CIA ALERT

બિઝનેસ Archives - Page 78 of 90 - CIA Live

November 5, 2018
smc.jpg
1min34120

સુરત મહાનગરપાલિકાએ દિવાળીના બે દિવસ અગાઉ જ આજે તા.5મી નવેમ્બર 2018ના રોજ તેના કર્મચારીઓને રૂ.3 કરોડ 25 લાખની કુલ રકમનું બોનસ જાહેર કરીને જે તે ચોથા વર્ગના કર્મચારીઓના બેંક અકાઉન્ટમાં જ સીધું જમા કરાવી દીધું છે. કમસે કમ 9800 ઉપરાંત કર્મચારીઓને બોનસની રકમ સીધી બેંકમાં મળી જતા કર્મચારીઓએ દિવાળી સુધરી ગયાની લાગણી વ્યક્ત કરી હતી.

સુરત મહાનગરપાલિકાના અકાઉન્ટસ વિભાગે અખબારી યાદીમાં જણાવ્યું હતું કે 9811 જેટલા ઓનરોલ કર્મચારીઓને બોનસ મળવાપાત્ર હતું. આ કર્મચારીઓના બોનસની રકમની ગણતરી કરતા કુલ રૂ.3 કરોડ 25 લાખની જંગી રકમ થઇ હતી. આજરોજ તા.5મી નવેમ્બર 2018ના રોજ સુરત મહાનગરપાલિકાના 9811 જેટલા કર્મચારીઓને દિવાળી બોનસની રકમ સીધી તેમના ખાતામાં ટ્રાન્સફર આપી દેવામાં આવી છે. કર્મચારીઓમાં બોનસની રકમ મળતા જ ખુશાલી છવાય જવા પામી છે.

સુરત મહાનગરપાલિકાએ આ બોનસ તાત્કાલિક અસરથી આપવાનો નિર્ણય કર્યો હતો. મોટા ભાગના કર્મચારીઓને એવી જ માન્યતા હતી કે આ વખતે દિવાળી બોનસની રકમ વહીવટી ગૂંચને કારણે નહીં મળે. બોનસ અંગે હજારો કર્મચારીઓમાં અનેક શંકા કુશંકા પ્રવતર્તી હતી. પરંતુ, આજે તાત્કાલિક અસરથી ધનતેરસના પર્વે સુરત મહાનગરપાલિકાએ બોનસની રકમ કર્મચારીઓના બેંક અકાઉન્ટમાં જમા કરાવી દઇને તેમની દિવાળી સુધારી દીધી છે.

November 4, 2018
200-1280x720.jpg
1min17930

લોકો જે ફિલ્મની ખૂબ જ ઉત્કંઠાથી રાહ જોઈ રહ્યા છે એ ફિલ્મ ‘૨.૦’ને બનાવવા પાછળ લગભગ ૬૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. તા.3 નવેમ્બર 2018ના રોજ આ ફિલ્મનું ટ્રેલર લૉન્ચ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ ૨૦૧૦માં આવેલી ડિરેક્ટર શંકરની ‘રોબોટ’ની સીક્વલ છે. ‘૨.૦’ ૨૯ નવેમ્બરે રિલીઝ થવાની છે. આ ફિલ્મ વિશે રજનીકાન્તે કહ્યું હતું કે ‘મારી વાત યાદ રાખજો આ ફિલ્મ સુપરહિટ થવાની છે. હું  ઍડ્વાન્સમાં શંકરને અને પ્રોડક્શન-હાઉસને શુભેચ્છા આપું છુ. લગભગ ૬૦૦ કરોડ રૂપિયા આ ફિલ્મ બનાવવામાં લાગ્યા છે. પ્રોડક્શન-હાઉસના સર્પોટ વગર આ ફિલ્મ બનવી શક્ય નહોતી. આ માત્ર રજનીકાન્તની ફિલ્મ નથી. આ પૈસા શંકર પાછળ ખર્ચવામાં આવ્યા છે, જે હંમેશાં લોકોને એન્ટરટેઇન કરવામાં સફળ રહ્યા છે. આ શંકરનું વિઝન છે અને પ્રોડક્શન-હાઉસે એની પાછળ જે રકમ ખર્ચી છે એના માટે હું તેમનો આભારી છું.’

રજનીકાન્ત, અક્ષયકુમાર અને ‘૨.૦’ના ડિરેક્ટર શંકરે ગઈ કાલે ચેન્નઈમાં ફિલ્મનું ટ્રેલર લૉન્ચ કર્યું હતું. આ ફિલ્મમાં મોબાઇલનો ઉપયોગ કરનાર દરેક વ્યક્તિ ખતરનાક હોય છે એવું કહેવામાં આવ્યું છે. ટંૂકમાં મોબાઇલ આ ફિલ્મમાં મહkવનો ભાગ ભજવી રહ્યો છે અને એથી જ તેઓ લૉન્ચમાં પણ મોબાઇલ સાથે જોવા મYયા હતા.

November 3, 2018
tax_consult.jpg
1min484

જીએસટીના અમલને 16 મહિના થવા આવ્યા છતાં જીએસટીના માળખામાં, ફ્રેમવર્કમાં પડી રહેલી તકલીફોનું નિરાકરણ લાવવામાં નથી આવી રહ્યું. પોતાના ક્લાયન્ટસને સામે ચાલીને જીએસટી રિટર્ન માટે સમજાવી તૈયાર કરતા ટેક્સ કન્સલ્ટન્ટસ પણ હવે તો તોબા પોકારી ઉઠ્યા છે. એક તો કાયદાની જટીલતા અને તેનાથી પણ વધારે તેના અમલીકરણની જટીલતા સામે તેઓ રોજ ઝઝુમી રહ્યાં છે. સર્વરને અપગ્રેડ નહિં કરાતા રોજબરોજ નવા પ્રશ્નો ઊભા થાય છે. તાજેતરમાં ધી સાઉથ ગુજરાત કોમર્શિયલ ટેક્સ બાર એસોસિએશન દ્વારા જીએસટી કાઉન્સિલને રજૂઆત કરી આ પ્રશ્નોનું હવે તો નિરાકરણ લાવવા કલેકટરને આવેદનપત્ર આપ્યું છે.

જીએસટી જ્યારે લાગુ પડ્યું ન હતું અને લાગુ પડ્યા પછી જ્યારે સુરતમાં વ્યાપારીઓ ખાસ કરીને ટેક્સટાઇલ વ્યાપારીઓ જીએસટીને ઇગ્નોર કરી રહ્યા હતા ત્યારે શહેરના ટેક્સ કન્સલ્ટન્ટસ એ જ ક્લાયન્ટસને જીએસટીની તરફેણમાં સમજાવ્યા હતા. આજે પરિસ્થિતિ એ થઇ કે એક તરફ જીએસટી નેટવર્ક યોગ્ય રીતે કામગીરી કરી શકતું નથી, ટેક્નોલોજી, પ્રોગ્રામિંગમાં અનેક છીંડા છે ત્યારે સૌથી વધારે મરો ટેક્સ કન્સલ્ટન્ટસનો થઇ રહ્યો છે. એક તરફ ન તો સરકાર સિસ્ટમ સુધારી રહી છે કે ન તો તેમાં અનુભવાય રહેલી તકલીફોનું નિરાકરણ લાવવામાં આવી રહ્યું છે અને બીજી તરફ ક્લાયન્ટસ ટેક્સ કન્સલ્ટન્ટસને સામે પૂછી રહ્યા છે કે તમે તો કહેતા હતા ને જીએસટી સિસ્ટમ સુધરી જશે.

જીએસટીના કાયદાના અમલના 16 મહિના પછી પણ વેપારીઓઁએ અમુક વ્યવહાર માટે વકીલની સલાહ લેવી પડે છે. ટૂંકી સમયમર્યાદાઓ, ઉપરાઉપરી એક પછી એક પત્રકોની હારમાળા, સતત થઈ રહેલા બદલાવ અને આકરા દંડના કારણે વેપારધંધો સરળ બનાવવાના ઇરાદે બનાવાયેલો કાયદો અનેક વેપારીઓ માટે મુશ્કેલી સર્જી રહ્યો છે. આ મુજબની રજૂઆત કરતાં આવદેનપત્રમાં ટેક્સ બાર એસોસિએશનના પ્રમુખ પ્રશાંત શાહ, શશાંક મીઠાઇવાલા, કુમાર દવે, વેપારી પ્રમોદ ભગત, મીતેષભાઈ વગેરેના પ્રતિનિધિ મંડળે વધુમાં જણાવ્યું છે કે, ભારતમાં કર-કાયદાઓનું 90 ટકા અનુપાલન કર વ્યવસાયિકો દ્ધારા જ થાય છે અને તેથી વેપારીઓ વતી સિસ્ટમ સામે તેઓ રીતસર ઝઝુમી રહ્યાં છે. સિસ્ટમની નાકામયાબીના હિસાબે વેપારીઓ દ્વારા અનેકવખત વારે-તહેવારો રજૂઆતો થઈ છે  જેનો 16-16 મહિના પછી પણ કોઈ ઉકેલ આવ્યો નથી.

આથી તેમની આ રજૂઆતોને જીએસટી કાઉન્સિલના ચેરમેન સુધી પહોંચાડવામાં આવે તેવી લાગણી સાથે કલેકટરને આજરોજ આવેદનપત્ર અપાયું છે. જેમાં ઝીણવટપૂર્ણ મુશ્કેલીઓને દર્શાવવામાં આવી છે જેથી કરીને તેની પર યોગ્ય કામ થાય.

જાણો તેમની મુશ્કેલીઓ….

  1.     —-જીએસટી નેટવર્ક પર એક સાથે અંદાજે 1,50,000 રિટર્ન ફાઈલ થઈ શકે છે અને દેશમાં જીએસટી નોંધણી ધરાવતા વેપારીઓની સંખ્યા 1.14 કરોડ છે એટલે સર્વરને અપગ્રેડ કરવું પડે. તેની કેપેસિટી વધારવી જોઈએ.
  2.   —- અનેક કિસ્સાઓ એવા છે જેમાં વેપારીઓને દિવસો સુધી પ્રયત્ન કર્યા પછી પણ જીએસટી કંપલાયન્સ કરી શક્યા નથી અને જેના કારણે તેઓને નાણાંકિય નુકશાન ભોગવવું પડે છે.
  3.   —- રિફંડની પ્રક્રિયા ખુબ જ જટિલ છે અનેક કિસ્સાઓમાં વેપારીઓને રિફંડ 90 દિવસે પણ મળતું નથી.
  4.    —–જીએસટી નેટવર્ક પર કોઈ તકલીફ હોય તો વેપારીઓ કે કર વ્યવસાયિકો જીએસટી હેલ્પ સેન્ટરમાં ફોન કરી કરીને થાકી જાય છે પરંતુ કોઈ જ હેલ્પ મળતી નથી અને હાસ્યાસ્પદ જવાબો મળે છે.
  5.    —–પોર્ટલની ખામીને કારણે છેલ્લા દિવસે રિટર્ન ન ભરી શકનારા વેપારીને પેનલ્ટીમાંથી મુકિત મળવી જોઈએ.
November 1, 2018
epharmacy.jpg
1min13840

મદ્રાસ હાઈ કોર્ટે તા.31મી ઓક્ટોબર 2018ના રોજ કેમિસ્ટ્સ ઍન્ડ ડ્રગિસ્ટ્સ અસોસિએશનની અરજીની સુનાવણી દરમ્યાન ૯ નવેમ્બર 2018 સુધી દવાઓનું ઑનલાઇન વેચાણ રોકવાના વચગાળાના આદેશને મંજૂરી આપી હતી.

અરજીમાં દવાઓના ઑનલાઇન વેચાણ માટેની લિન્ક્સ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ સંબંધિત અધિકારીઓને આપવાની માગણી કરવામાં આવી હતી. અદાલતે એ બાબતમાં કેન્દ્ર સરકારને જવાબ ફાઇલ કરવાનો આદેશ આપતાં અરજીની સુનાવણી ૯ નવેમ્બર પર મોકૂફ રાખી હતી.

કેમિસ્ટ્સ ઍન્ડ ડ્રગિસ્ટ્સ અસોસિએશને અરજીમાં જણાવ્યું હતું કે ‘દવાઓનું ઑનલાઇન વેચાણ ગ્રાહકો માટે સગવડભર્યું હોઈ શકે છે, પરંતુ લાઇસન્સ વગર દવાઓની ઑનલાઇન ખરીદી જોખમી બની શકે છે; કારણ કે એ માધ્યમથી બનાવટી, એક્સપાયરી-ડેટ પસાર થઈ ગઈ હોય એવી, દૂષિત અને અસ્વીકૃત દવાઓ વેચાઈ શકે છે.’

October 31, 2018
electronic-store.png
1min7220

એમેઝોન અને ફ્લિપકાર્ટના ભારે ડિસ્કાઉન્ટ અને કેશ બેકના કારણે કન્ઝ્યુ ઇલેક્ટ્રોનિક્સ અને સ્માર્ટફોન સ્ટોર્સને આ વખતે પાંચ વર્ષની સૌથી ખરાબ દિવાળીની આશંકા છે. સાત રિટેલ ચેઇન્સના જણાવ્યા અનુસાર નવરાત્રિથી શરૂ થયેલા લગભગ ત્રણ સપ્તાહના ગાળામાં દિવાળીનું વેચાણ 50 ટકા સુધી ગબડ્યું છે.

સાઉથ ગુજરાતના અગ્રણી સેલફોન રિટેલર રાહુલ ઓમએ જણાવ્યું કે અગાઉ ક્યારેય આટલી ખરાબ અસર દિવાળીના સમયે અનુભવાઇ નથી. ગ્રાહકો વધુ ઓનલાઇન ડિસ્કાઉન્ટની રાહ જોઈ રહ્યા હોવાથી સ્ટોર્સમાં હજુ પણ ખાસ અવરજવર શરૂ થઈ નથી. ઘણા ગ્રાહકોએ કદાચ તહેવારોની ખરીદી પૂરી પણ કરી લીધી છે.

ઓનલાઇન માર્કેટમાં ઘણી સ્માર્ટફોન બ્રાન્ડ્સે 30 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપ્યું છે અને મોટા ભાગના કિસ્સામાં ભાવ ડિસ્ટ્રિબ્યુટર પ્રાઇસ કરતાં પણ નીચા રહ્યા છે. ગયા વર્ષની ફેસ્ટિવલ સીઝન કરતાં વેચાણ 20-55 ટકાની રેન્જમાં ઘટ્યું હોવાની વાતને સમર્થન આપ્યું છે.

દેશભરના મોટા ભાગના સેલફોન સ્ટોર્સમાં વેચાણ 50-55 ટકા ઘટ્યું છે. ઓનલાઇન માર્કેટપ્લેસ દ્વારા પ્રેસ નોટ-૩નું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે અથવા તેમણે નિયમોની છટકબારીનો લાભ લીધો છે. ઉલ્લેખનીય છે કે, પ્રેસ નોટ-૩ અનુસાર ઇ-કોમર્સ માર્કેટપ્લેસ પર પ્રોડક્ટ પ્રાઇસિંગને પ્રભાવિત કરવા અને ભારે ડિસ્કાઉન્ટ આપવાના મુદ્દે પ્રતિબંધ મુકાયો છે. જેથી ઓફલાઇન રિટેલર્સને સ્પર્ધાત્મક માહોલ મળી શકે.

નવરાત્રિના ગાળામાં ‘ફેસ્ટિવલ સેલ’ની શરૂઆત પછી એમેઝોન અને ફ્લિપકાર્ટે ગયા સપ્તાહે બીજું સેલ લોન્ચ કર્યું હતું. બંને કંપની ચાલુ સપ્તાહે વધુ એક સેલની યોજના ધરાવે છે. કેટલીક બ્રાન્ડ્સે ઓફલાઇન સ્ટોર્સમાં ઓનલાઇન માર્કેટપ્લેસ સાથે જ ડિસ્કાઉન્ટ ઓફર કર્યું હતું, પણ તેમણે ડિસ્કાઉન્ટનો પૂરતો પ્રચાર કર્યો ન હતો. ફ્લિપકાર્ટ અને એમેઝોન દ્વારા ઓનલાઇન એક્સ્ક્લુઝિવ મોડલ્સ પર ડિસ્કાઉન્ટ અને મેગા એડ્વર્ટાઇઝિંગને કારણે ગ્રાહકોમાં ઓનલાઇન વિકલ્પ સૌથી સસ્તું હોવાનું વલણ ઊભું કર્યું હતું.

October 29, 2018
diamond1.jpg
1min6760

ભારતમાં રિ-કટિંગ તથા રિ-ડિઝાઇનિંગ માટે આવતા કટ અને પોલિશ હીરા પરની ઇમ્પોર્ટ ડ્યૂટીમાં વધારવામાં આવી હોવાથી સુરત-મુંબઇ સમેત હીરાના વેપાર સાથે સંકળાયેલા શહેરોની ઇકોનોમી પર ઘેરી અસર થઇ છે. હીરાના જોબવર્કનું કામ જે પહેલા ભારતને સૌથી વધુ મળતું હતું એ હવે ઇમ્પોર્ટ ડ્યુટી વધારાને કારણે ચીન અને થાઇલેન્ડ ભણી જઇ રહ્યું છે. વિદેશોમાંથી જોબવર્ક માટે ભારત આવતા હીરા પર ડ્યૂટી વધારાને કારણે ભારતમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોની રોજગારી છીનવાય જાય તેવી શક્યતાઓ ઉપસ્થિત થઇ છે.

  • 26 સપ્ટેમ્બરે કટ અને પોલિશ હીરાની આયાત પરની ડ્યૂટી પાંચ ટકાથી વધારીને 7.5 ટકા કરી
  • ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છમાસિક ગાળામાં કટ અને પોલિશ માટેના હીરાની આયાતમાં 31.83 ટકાનો ઘટાડો
  • હીરા કટ એન્ડ પોલીશનું કામ હવે થાઇલેન્ડ અને ચીન ભણી ઘસડાય રહ્યું છે

સરકારે આ વર્ષે 26 સપ્ટેમ્બરે કટ અને પોલિશ હીરાની આયાત પરની ડ્યૂટી પાંચ ટકાથી વધારીને 7.5 ટકા કરી દીધી છે. ચાલુ ખાતાની ખાધને ઘટાડવા માટે બિનઆવશ્યક આઇટમ્સ પરની આયાત ડ્યૂટીમાં વધારો કરવાના પગલાના ભાગરૂપે ડ્યૂટી વધારવામાં આવી હતી પણ તેની અવળી અસર રોજગારી પર પડશે એવી કોઇ ગણતરી સરકારની ન હતી.

જેમ એન્ડ જ્વેલરી એક્સ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલના સૂત્રો કહે છે કે ડ્યૂટીમાં વધારો, બિઝનેસ કરવામાં સરળતાના અભાવે તથા પ્રવાહિતાની સમસ્યાના કારણે આગામી બે ત્રિમાસિક ગાળા દરમિયાન સુરતમાં હીરાના વેપારમાં સંકળાયેલા આશરે એક લાખ લોકોની રોજગારી સંભવિતપણે છીનવાય જાય તેવી શક્યતાઓ ઉપસ્થિત થઇ છે. ઘણા બધા હીરા રિ-કટિંગ માટે ભારતમાં આવતા હોય છે તે હવે ચીન તથા થાઇલેન્ડ જઈ રહ્યા છે. દેશમાં હીરાના વેપાર સાથે આશરે પાંચ લાખ લોકો સંકળાયેલા છે. ઉપરાંત હીરા ઉદ્યોગમાં પ્રવાહિતા સંદર્ભે પણ કોઈ રાહત નથી કેમ કે કોલેટરલ નોર્મ તથા રેટિંગના નોર્મ્સ વધારે કડક થયા છે.

ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ માસિક ગાળામાં કટ અને પોલિશ એટલે કે જોબવર્ક માટેના હીરાની આયાતમાં 31.83 ટકાનો ઘટાડો થઈ ચૂક્યો છે. નાણાકીય વર્ષ 2018ના પ્રથમ છ માસિક ગાળા માટે ₹7,759.48 કરોડની કિંમતના કટ અને પોલિશ હીરાની આયાત થઈ હતી તેની સરખામણીએ ચાલુ નાણાકીય વર્ષના સમાન ગાળા માટે ₹5,289.35 કરોડની કિંમતની આયાત નોંધાઈ છે.

ઉદ્યોગની કુલ નિકાસની ટકાવારી તરીકે ઉદ્યોગ પાસે કામગીરીને ચાલુ રાખવા માટે પૂરતા પ્રમાણમાં ફાઇનાન્સ નથી. અવાસ્તવિક કોલેટરલ નોર્મના કારણે તેમાં વધારે ઘટાડો થશે. ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ઘટાડાના કારણે ડોલરમાં ફાઇનાન્સમાં વધારે ઘટાડો નોંધાયો છે જેથી મુશ્કેલીમાં વધારો થયો છે.

સુરતમાં કટિંગ અને પોલિશિંગ એકમોએ તેમની નફાકારકતાને જાળવી રાખવા માટે દિવાળીની રજાઓને એક પખવાડિયા પહેલાં જ શરૂ કરી દીધી છે.ઘરઆંગણાના બજારમાં પણ હીરાનો ઉપાડ ઘટ્યો છે. ટ્રેડર્સ કહે છે કે સેન્ટિમેન્ટ તેજીમય નથી કેમ કે ફાઇનાન્શિયલ માર્કેટ પડી ભાંગ્યું છે.

October 26, 2018
su1.jpg
1min14260

જયેશ બ્રહ્મભટ્ટ  98253 44944

  • સુમુલ ડેરીએ એકલા હાથે 80 ટન ઉપરાંત ઘારી વેચી
  • ક્વોન્ટિટી ઉપરાંત સુમુલ ડેરીની ઘારી સ્વાદ રસીયા સુરતીઓએ મોંફાટ વખાણી
  • ભારતના અન્ય શહેરો અને વિદેશોમાં સપ્લાય થયેલી મોટા ભાગની ઘારી સુમુલ ડેરીની

દિન દુગની રાત ચૌગુની પ્રગતિ કરી રહેલી અને સુરતની ઓળખ બની ચૂકેલી સુમુલ ડેરીએ આ વખતે ફક્ત સુરતીઓના પોતિકા તહેવાર, ચંદી પડવાના પર્વને અનુલક્ષીને સુરતીઓમાં ખવાતી ઘારીનું બમ્પર વેચાણ કર્યું છે. સ્વાદના શોખીન સુરતીઓમાં ઘારી વેચાણમાં સુમુલ ડેરીની ઘારી સૌથી વધુ વેચાઇ એટલું જ નહીં ચંદી પડવાની પૂર્ણાહૂતિ બાદ મળેલા રિવ્યુમાં ગ્રાહકોએ સુમુલ ડેરીની ઘારીની ક્વોલિટી વખાણી પણ છે. સોશ્યલ મિડીયા પર અનેક ગ્રાહકોએ સુમુલ ડેરીની ઘારીની ક્વોલિટીને વખાણી છે.

ચંદી પડવા ના દિવસે ઘારી અને ભૂસું ખાવાનો રિવાજ આખા ભારત કે ગુજરાતમાં ફક્ત સુરતમાં છે. સુરતમાં દાયકાઓથી ચંદી પડવાએ ઘારી ખાવાનો રિવાજ છે. અત્યાર સુધી સુરતમાં ઘારીઓનું વેચાણ જુદી જુદી બ્રાન્ડથી થતું હતું. જેમકે કોટ વિસ્તારમાં આવેલી મીઠાઇની શોપ્સથી શરૂ કરીને સામાજિક સ્તરે સોસાયટીઓ, સમાજ, મંડળ, પેઢી દ્વારા ઘારી બનાવીને વેચાતી હતી. આમ, સુરતીઓની ઘારીની માગને સંતોષવા માટે અનેક ઘારી પ્રોડ્યુસર્સ અત્યાર સુધી આ સિઝનલ બિઝનેસ કરી જાણતા હતા.

પરંતુ, 2018ના ચંદી પડવાએ ઘારી વેચાણના પેરામીટર્સ બદલી નાંખ્યા છે. તા.25મી ઓક્ટોબર 2018ની રાત્રે ચંદી પડવાનો તહેવાર પૂરો થયા પછી જે માર્કેટ રિવ્યુ મળ્યા છે એમાં સુમુલ ડેરીની ઘારી વધુ તો વેચાઇ પણ સાથોસાથ સુમુલની ઘારીની ક્વોલિટી પણ સ્વાદ રસીયા સુરતીઓએ વખાણી છે. એક અંદાજ મુજબ સુમુલ ડેરીએ 80 ટનથી વધુ ઘારી ચંદી પડવાના તહેવાર પૂર્વે માર્કેટમાં વેચી કાઢી છે. સુરતના અન્ય ઘારી પ્રોડ્યુસર્સના વેચાણના આંકડાઓની સરખામણી કરાતાં એવું તારણ સપાટી પર આવ્યું કે આ વખતે સુમુલ ડેરીએ ઘારી વેચાણના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. ઘારી વેચાણમાં સુમુલ ડેરીએ તેનું એક હથ્થુ શાસન જમાવી દીધું છે.

ક્વોલિટી પ્રોડેક્ટસે સુમુલની વિશ્વસનીયતાને મજબૂત બનાવી છે : માર્કેટિંગ હેડ ડો. મનીષ

સુમુલ ડેરીના માર્કેટિંગ હેડ ડો.મનીષભાઇએ સી.આઇ.એ. સાથે વાતચીતમાં જણાવ્યું કે સુમુલ ડેરી ક્વોલિટી પ્રોડકશન સાથે કોઇ જ કોમ્પ્રોમાઇસ કરતી નથી. સુમુલ ડેરની ઘારીની બનાવટમાં ક્યાંય મેનમેઇડ એલિમેન્ટ હોતું નથી. સુમુલ ડેરી દ્વારા સંપૂર્ણ પણે મશીન મેડથી ઘારીને શેપ અપાય એટલું જ નહીં ઘારીમાં જેટલા પણ પ્રકારના ઇન્ગ્રિડીયન્ટસ વપરાયા એની ક્વોલિટી અવ્વલ દરજ્જાની હોય, સુરત સમેત બહારગામના ગ્રાહકો સુમુલની તમામ પ્રોડક્ટસને આંખ મીંચીને અપનાવે છે. ઘારી વેચાણમાં પણ એમ જ જોવા મળ્યું હતું. સ્વાદના શોખીન સુરતીઓ ઉપરાંત સુરતના અન્ય શહેરો તેમજ વિદેશોમાં પણ લોકોએ પોતાના સગાવહાલાઓને સુમુલ ડેરીની ઘારી મોકલવાનું જ મુનાસિબ માન્યું છે. ક્વોલિટી પ્રોડક્ટસને કારણે ગ્રાહકોમાં સુમુલ ડેરીની વિશ્વસનીયતા સજ્જડ બની છે.

October 25, 2018
IndiGo_logo.png
1min8870

ઉડ્ડયન ઉદ્યોગની નં 1 કંપની ઇન્ડિગોએ તેના 64 ડેસ્ટિનેશન્સના નેટવર્ક માટે દિવાળી સ્પેશિયલ સેલ લોન્ચ કર્યો છે, જેની હેઠળ તે ₹899 જેટલા પ્રારંભિક ભાડામાં હવાઈટિકિટ વેચશે. ભારતની એરલાઇન કંપનીઓની બેલેન્સશીટ પહેલેથી જ ખોટમાં છે ત્યારે આવી સસ્તી ટિકિટની સ્પર્ધા વધવાને કારણે તેમની નાણાકીય મુશ્કેલી વધુ ખરાબ થઈ શકે છે. “24 ઓક્ટોબરથી 26 ઓક્ટોબર માટે શરૂ થયેલી આ ઓફરમાં 10 લાખ સીટ આવરી લેવાઈ છે. આ ઓફર હેઠળ 8 નવેમ્બર 2018થી 15 એપ્રિલ 2019 વચ્ચેની ટિકિટો ખરીદી શકાશે, જેની પ્રારંભિક કિંમત ₹899 (ઓલ-ઇન્ક્લુઝિવ)થી શરૂ થશે.” એમ ઇન્ડિગોએ તા.24 ઓક્ટોબર 2018ના એક નિવેદનમાં જણાવ્યું હતું. ઇન્ડિગોએ પ્રવાસની પિક સીઝન દરમિયાન લોન્ચ કરેલા સેલનું અનુકરણ હરીફ એરલાઇન્સ પણ કરે તેવી શક્યતા છે.

October 24, 2018
Hari_Krishna_Exports_Logo.png
1min12330
  • સુરતની હરેકૃષ્ણ હીરાની પેઢીએ 600 કર્મચારીઓને કાર લઇ આપી, તા.25મી ઓક્ટોબર 2018ના રોજ કારની ચાવી અર્પણ કરાશે
  • નરેન્દ્ર મોદી દિલ્હી ખાતે પોતાની ઓફિસમાં 2 દિવ્યાંગ મહિલા કર્મચારીઓ સમેત 4 કર્મચારીઓને ટોકન રૂપે ચાવી અર્પણ કરશે
  • સુરતની હરેકૃષ્ણ હીરાની પેઢીના સવજીભાઇ ધોળકીયા કહે છે કે તેજી હોય કે મંદી મોટરકાર આપવાના મામલાને કોઇ અસર નથી પહોંચતી કેમકે એ કર્મચારીઓએ કરેલી એક્સટ્રા મહેનતના જ પૈસા છે
  • દરેક કર્મચારીઓને ઇન્સેન્ટિવ પેટે રૂ.6 હજાર ફિક્સ, જેમાંથી લોનનો હપ્તો કંપની બારોબાર ભરશે

જયેશ બ્રહ્મભટ્ટ  98253 44944

સુરતની જાણીતી હીરાની પેઢી હરેકૃષ્ણે એક્સપોર્ટ દ્વારા ચાલુ વર્ષે પણ દિવાળી પૂર્વે તેના 600 કર્મચારીઓને મોટરકારની ચાવી અર્પણ કરવાનો કાર્યક્રમ તા.25મી ઓક્ટોબર 2018ના રોજ યોજી રહી છે.

 

કાર્યક્રમની પૂર્વ સંધ્યાએ હરે કૃષ્ણ પેઢીના સ્થાપક સવજીભાઇ ધોળકીયાએ પત્રકારોને જણાવ્યું હતું કે મોટરકાર આપવાના કાર્યક્રમને સ્કીલ ઇન્ડિયા ઇન્સેન્ટીવ મિશન નામ આપ્યું છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે મોટરકાર એવા કર્મચારીઓને મળી રહી છે જેમણે તેમનામાં સ્કીલ ડેવલપ કરી કંપનીને ફાયદો કરાવ્યો છે. ટૂંકમાં કંપની માટે કર્મચારીઓએ કરેલી મહેનતનું પરિણામ તેઓ તેમને મોટરકાર અપાવીને કે ઘર લેવા માટેની ફિક્સ ડિપોઝિટ કરીને ચૂકવશે.

સવજીભાઇ ધોળકીયાએ કહ્યું કે કર્મચારીઓને ઇન્સેન્ટીવ માટે પસંદ કરવામાં આવેલા 600 કર્મચારીઓએ પોતાને મોટરકાર જોઇએ છે તેવી માગણી કરતા તેમણે મારુતી સેલેરીયો, મારુતી અલ્ટો અને રેનૉલ્ટ ક્વીડ કાર લઇ આપી છે. તેમણે મોટરકાર ઉત્પાદક કંપનીઓ સાથે જ સીધું ડિલિંગ કર્યું છે એટલે પ્રતિકાર 80 હજાર જેટલું જંગી ડિસ્કાઉન્ટ મળ્યું હોવાનું પણ સવજીભાઇએ કહ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આ કાર્યક્રમમાં આવે એટલા માટે સંપર્ક કરાયો હતો પણ તેઓ વ્યસ્ત હોવાથી નહીં આવી શકે પણ, તા.25મી ઓક્ટોબર 2018ના રોજ સવારે તેઓ દિલ્હી ખાતે સુરતની હરેકૃષ્ણ એક્સપોર્ટના 4 કર્મચારીઓ જેમાં 2 દિવ્યાંગ મહિલા કર્મચારીનો સમાવેશ થાય છે તેમને ટોકન ચાવી ગીફ્ટ કરશે એ પછી સુરત ખાતે ઇચ્છાપોરમાં હરેકૃષ્ણ કંપની ખાતે બાકીના કર્મચારીઓને કાર ભેટમાં આપવામાં આવશે.

કર્મચારીઓને કાર વિતરીત કરાયા પછી કંપની તેમના વતી હપ્તો ભરશે, આ હપ્તોની રકમ એ જે તે કર્મચારીઓએ કરેલી મહેનતના બદલામાં તેમને આપવામાં આવેલું પ્રતિ માસ રૂ.6 હજારની રકમનું ઇન્સેન્ટીવ જ છે.

સવજીભાઇએ એક વાત મહત્વની એ પણ કરી કે ઇન્સેન્ટીવ પામનારા દરેક કર્મચારીઓને માગે એટલે કાર નથી આપતા પણ તેઓ પહેલા એ ચેક કરે છે કે કર્મચારી પાસે પોતાનું ઘર છે કે નહીં, ઘર ન હોય તો તેઓ પહેલા ઘર લેવા માટે ઇન્સેન્ટિવના નાણાં ઉપયોગમાં લેવાની સૂચના આપે છે, જેમની પાસે ઘર હોય તેઓને જ કાર લેવાની પરમિશન અપાય છે.

October 18, 2018
ravan.jpg
1min7650
  • રાવણ બનાવવા માટેના વાંસ, કાગળ અને ફટાકડાના ભાવમાં લગભગ 25 ટકા સુધી વધારો
  • ફટાકડાના ભાવમાં તોતિંગ વધારો
  • મટિરિયલ પર જીએસટીની ચૂકવણી

દશેરા પર્વે મનોરંજન માટે ખાસ કરીને બાળકોના મનોરંજન માટે રાવણદહનનો કાર્યક્રમો યોજાય છે. પણ આ વખતે રાવણને પણ જીએસટી અને મોંઘવારી એવા નડ્યા કે વિરાટ કદના રાવણને વામન કદના કરી દેવા પડ્યા છે. બજારમાં દશેરાએ રાવણ દહન માટેના રાવણો તૈયાર કરી આપનારાઓએ રાવણોના ભાવમાં 35 ટકા જેટલો જંગી વધારો કર્યો હોવાથી આ વખતે ગુજરાતના અનેક શહેરોમાં રાવણોના કદ પાછલા વર્ષોની તુલનામાં નાના થઇ ગયા છે.

રાવણોને પણ ગુજરાતમાં આ વર્ષે મોંઘવારી અસર કરી રહી છે. ગુજરાતમાં દશેરાના દિવસે રાવણદહન માટે તૈયાર કરી આપવામાં આવતા રાવણનાં પૂતળાં મોંઘવારીને કારણે ઓછાં વેચાયાં છે તો જ્યાં રાવણદહન થાય છે ત્યાં રાવણનાં નાના કદના પૂતળાંના ઓર્ડર અપાયા હોવાનું જાણવા મળે છે.
દક્ષિણ ગુજરાતનાં અલગ-અલગ શહેરોમાં વાપી, અમદાવાદ અને મુંબઇથી દર વર્ષે રાવણ તૈયાર કરીને મોકલવામાં આવે છે અને એ માટે ખાસ ઉત્તર પ્રદેશથી કારીગરો એક મહિના પહેલાંથી રાવણ દહન સ્થળે ડેરા તંબુ તાણીને રાવણનાં પૂતળાં બનાવે છે.

સુરતમાં રહીને રાવણદહન માટે રાવણ તૈયાર કરી આપતા અબ્બાસ અલી કહે છે કે 25થી 50 ફૂટ જેટલાં ઊંચાં રાવણનાં પૂતળાંનો અૉર્ડર  અત્યાર સુધી મળતા હતા. આ વર્ષે ભાવતાલની વાતચીતમાં જ ઓર્ડર પર 30 ટકા કાપ આવી ગયો છે. જીએસટી અને રાવણ માટે ઉપયોગી મટીરીયલ અને ફટાકડાના ભાવ વધારાને કારણે રાવણના ભાવ 35 ટકા જેટલા વધાર્યા છે. આમ આ વર્ષે રાવણ દહન કરનારાઓએ પોતાનું બજેટ વધાર્યું નથી એટલે આ વર્ષે દશેરામાં મોંઘવારીને કારણે રાવણની માગણી ઓછી થઈ ગઈ છે.

રાવણ બનાવવા માટેના વાંસ, કાગળ અને ફટાકડાના ભાવમાં લગભગ 28 ટકા વધારો થયો છે રાવણ દહન કરાવનારા આયોજકોએ ભાવ વધારાને પગલે ઓછા ફટાકડા નાખવાનું કહેવા ઉપરાંત નાના કદના તૈયાર કરાવ્યા છે.