CIA ALERT

બિઝનેસ Archives - Page 52 of 90 - CIA Live

February 28, 2020
sensex_down.jpg
1min4520

કોરોનાની ગંભીર અસરના ભયે શુક્રવારે બેન્ચમાર્ક BSE સેન્સેક્સમાં 1448 પોઈન્ટ્સનો તોતિંગ કડાકો જોવા મળ્યો હતો.

દિવસ દરમિયાન BSE સેન્સેક્સ ઉપરમાં 39,087.47 અને નીચામાં 38,219.97 પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ 1448.37 પોઈન્ટ્સ અથવા 3.64 ટકાના જંગી કડાકા સાથે 38,297.29 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ ઉપરમાં 11,384.80 અને નીચામાં 11,175.05 પોઈન્ટ્સ વચ્ચે ટ્રેડ થયા બાદ 414.10 પોઈન્ટ્સ અથવા 3.56 ટકા તૂટીને 11,219.20 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 3.13 ટકા અને 3.52 ટકા ઘટીને બંધ રહ્યા હતા.

આજે શેરબજારમાં સાર્વત્રિક વેચવાલી જોવા મળી હતી. ગભરાટભર્યા માહોલમાં BSEના તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ રેડ ઝોનમાં બંધ રહ્યા હતા. આજે સવારથી જ મેટલ, રિયલ્ટી, IT, ટેકનો, કેપિટલ ગૂડ્ઝ, ઓટો, બેન્ક, ઓઈલ-ગેસ શેરોમાં ધૂમ વેચવાલી જોવા મળી હતી.

તા.27મી ફેબ્રુઆરીને ગુરુવારે વિશ્વભરના બજારોમાં કડાકાની અસર આજે તા.28મી ફેબ્રુઆરીને શુક્રવારે સવારે એશિયાના બજારોમાં પણ જોવા મળી હતી. કોરોનાની ગંભીર અસરના ભયે આજે સવારે વિશ્વના અન્ય બજારોની જેમ ભારતીય શેરબજારના બેન્ચમાર્ક BSE સેન્સેક્સમાં 1100 પોઈન્ટ્સનો તોતિંગ કડાકો બોલી ગયો હતો.

આજે સવારે શેરબજાર નીચે ગેપમાં ખૂલ્યા બાદ વધુ ગગડ્યું હતું. સવારે 9.45 વાગ્યે BSE સેન્સેક્સ 1118.75 પોઈન્ટ્સ અથવા 2.81 ટકાના જંગી કડાકા સાથે 38,626.91 પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ 339.35 પોઈન્ટ્સ અથવા 2.92 ટકા તૂટીને 11,293.95 પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 3.64 ટકા અને 3.51 ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા.

આજે સવારથી જ શેરબજારમાં સાર્વત્રિક વેચવાલી જોવા મળી હતી. ગભરાટભર્યા માહોલમાં BSEના તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. આજે સવારથી જ મેટલ, રિયલ્ટી, IT, ટેકનો, કેપિટલ ગૂડ્ઝ, ઓટો, બેન્ક, ઓઈલ-ગેસ શેરોમાં ધૂમ વેચવાલી જોવા મળી હતી.

February 28, 2020
SGCCI.jpg
1min4980

આજરોજ તા.28મી ફેબ્રુઆરી 2020ને શુક્રવારે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર આયોજિત મેગા બિલ્ડ એક્ષ્પોનું ઉદઘાટન સમારોહ સરસાણા સ્થિત કન્વેન્શન સેન્ટર ખાતે યોજાશે.

આજથી તા.ર માર્ચ ર૦ર૦ દરમિયાન ચાર દિવસ માટે સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘મેગા બીલ્ડ એક્ષ્પો– ર૦ર૦’ પ્રદર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે.

આયોજક સંસ્થાઓ

ચેમ્બર દ્વારા સુરત હાર્ડવેર એન્ડ બિલ્ડીંગ મટીરિયલ મર્ચન્ટ એસોસિએશન, સુરત સિરામીક એસોસિએશન, ધી સુરત આયર્ન એન્ડ સ્ટીલ મર્ચન્ટ એસોસિએશન, સુરત પેન્ટ્‌સ મર્ચન્ટ એસોસિએશન, સુરત મશીન ટૂલ્સ હાર્ડવેર એન્ડ વેલ્ડીંગ મર્ચન્ટ્‌સ એસોસિએશન, સુરત ઇલેકટ્રીકલ મર્ચન્ટ્‌સ એસોસિએશન અને સુરત ફર્નીચર એસોસિએશનની સાથે મળીને ‘મેગા બીલ્ડ એક્ષ્પો– ર૦ર૦’ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યુ છે.

ચેમ્બરના પ્રમુખ શ્રી કેતન દેસાઇએ ‘મેગા બીલ્ડ એક્ષ્પો– ર૦ર૦’ અંગે જણાવ્યુ હતુ કે, દક્ષિણ ગુજરાતના વ્યાપાર અને ઉદ્યોગના વિકાસ માટે સતત પ્રયત્નશીલ એવી સંસ્થા ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં કન્સ્ટ્રકશન ઇન્ડસ્ટ્રીઝમાં હાલની માર્કેટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બિલ્ડીંગ મટીરિયલ્સ પ્રોડકટને બુસ્ટઅપ કરવા માટે પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યુ છે. આ પ્રદર્શનને કારણે ગ્રાહકોને પ્રોડકટની ડિટેલ આસાનીથી મળી રહેશે.

સુરતમાં વસતિ વધારાને સમાવવા માટે નવા ઇન્ફ્રાસ્ટ્રકચરની જરૂરિયાત પડવાની હોવાથી નવા ટાઉન પ્લાનીંગ મંજૂર કરવામાં આવ્યા છે. સુરત મહાનગરપાલિકાએ ૬૬ જેટલી નવી ડ્રાફટ ટીપી સ્કીમો તૈયાર કરી છે અને રાજય સરકાર પાસેથી મંજૂરી મેળવવા માટે આગળ ધપાવી છે. સુરત, વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતા શહેરોની યાદીમાં સમાવિષ્ટ છે અને દક્ષિણ ગુજરાત પણ ગુજરાત રાજયમાં માથાદીઠ આવકમાં મોખરે હોવાથી લોકોની ખરીદશકિત પણ વધારે છે. દક્ષિણ ગુજરાતના શહેરોમાં મોડર્ન કન્સ્ટ્રકશન સિસ્ટમને સ્વીકારવામાં આવી છે ત્યારે રીયલ એસ્ટેટને નવી ઉંચાઇએ પહોંચાડવા માટે આ પ્રદર્શન ખૂબ જ મહત્વનું બની રહેશે.

ચેમ્બરના એકઝીબીશન સેલના હેડ શ્રી દેવેશ પટેલે જણાવ્યુ હતુ કે, સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ૯૦ હજાર સ્કવેર ફૂટ એરીયામાં મેગા બીલ્ડ એક્ષ્પો પ્રદર્શન યોજાશે. જેમાં ફર્નીચર એન્ડ સ્ટીલ સેગ્મેન્ટ, ફર્નીચર એન્ડ ફર્નીશીંગ સેગ્મેન્ટ, હાર્ડવેર સેગ્મેન્ટ, સિરામીક સેગ્મેન્ટ, પેન્ટ સેગ્મેન્ટ, ઇલેકટ્રીકલ સેગ્મેન્ટ અને મશીન ટૂલ્સ સેગ્મેન્ટને આવરી લેવામાં આવ્યા છે.

આ પ્રદર્શનમાં સુરત ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, વલસાડ, સેલવાસ, જામનગર, હિમ્મતનગર, મોરબી, કચ્છ, મુંબઇ, ઠાણે, હરીયાણા અને ગુડગાવથી કુલ મળીને ૧૪૦ જેટલા એકઝીબીટર્સે ભાગ લીધો છે. ગુજરાત અને મહારાષ્ટ્ર ઉપરાંત દેશના અન્ય રાજયોમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં બાયર્સ આ પ્રદર્શનની મુલાકાત લેશે.

‘મેગા બીલ્ડ એક્ષ્પો પ્રદર્શન’ના ચેરમેન શ્રી હિરેન શાહે જણાવ્યુ હતુ કે, રીયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી સંબંધિત નવી પ્રોડકટ એનર્જી અને કોસ્ટ ઇફેકટીવ હશે. આર્કીટેકટ, ઇન્ટીરીયર ડિઝાઇનર અને જાહેર જનતા સુધી નવી પ્રોડકટ અને તેની પ્રાઇઝ રેટની અવેરનેસ પહોંચાડવા માટે આ પ્રયાસ કરવામાં આવ્યો છે.

આંતરરાષ્ટ્રીય કક્ષાના આ પ્રદર્શનમાં ચાર દિવસ દરમિયાન રીયલ એસ્ટેટ સંબંધિત વિવિધ કોન્ફરન્સ અને સેમિનારો યોજાશે. વિવિધ સેગ્મેન્ટમાં નવી ડિઝાઇન અને અદ્યતન ટેકનોલોજીનું પ્રદર્શન કરવામાં આવશે. બીટુબી મિટીંગો યોજાશે તેમજ બ્રાન્ડ પ્રમોશન માટેની તકો આપવામાં આવશે.

આ પ્રદર્શનનું ઉદ્‌ઘાટન શુક્રવારે, તા. ર૮ ફેબ્રુઆરી ર૦ર૦ના રોજ સવારે ૧૦ઃ૩૦ કલાકે ભારત સરકારની મિનિસ્ટ્રી ઓફ માઇક્રો, સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઇઝીસના સ્પેશિયલ સેક્રેટરી એન્ડ ડેવલપમેન્ટ કમિશનર શ્રી રામ મોહન મિશ્રા (આઇએએસ)ના હસ્તે કરવામાં આવશે. આ પ્રદર્શનમાં અતિથિ વિશેષ તરીકે હીકોકી પાવર ટૂલ્સ ઇન્ડિયા પ્રા. લિ.ના એકઝીકયુટીવ ડાયરેકટર એન્ડ સેક્રેટરી શ્રી દત્તાત્રય જોશી ઉપસ્થિત રહેશે.

મેગા બીલ્ડ એક્ષ્પો પ્રદર્શનના આયોજનમાં ડાયમંડ સ્પોન્સર તરીકે શ્રીજી ગૃપ ઓફ કંપની તથા પ્લેટીનમ સ્પોન્સર તરીકે એ–વન ફાયર સેફટી સર્વિસિસ અને ઓલીવ જોડાયુ છે. જયારે સુરત મહાનગરપાલિકા, એચડીએફસી બેંક, એચબીએલએફ, મેરીયોટ સુરત, એરલીન્ક અને આર.કે. ઇન્ફ્રાટેલનો સહકાર પ્રાપ્ત થયો છે.

‘મેગા બીલ્ડ એક્ષ્પો’ પ્રદર્શન જાહેર જનતા માટે સવારે ૧૦:૦૦ થી સાંજે ૬:૦૦ કલાક સુધી ખુલ્લુ રહેશે.

February 21, 2020
CIA_Live_Logo_New2.jpg
1min466

દરેક સંકટમાં એક તક પણ : બાંગ્લાદેશ-શ્રીલંકામાં ચીની ફેબ્રિકનું ડમ્પિંગ ઠપ : ભારતીય ફેબ્રિકની ડિમાંડ વધી

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

છેલ્લા દોઢ મહિનાથી ચીનમાં ફેલાયેલા કોરોના વાઇરસને પગલે ચીની ઉદ્યોગ ધંધા તેમની ક્ષમતા કરતા 25 ટકા કેપેસીટી પર આવી ચૂક્યા છે. ચીની ઉત્પાદકોનું ઉત્પાદન ઠપ છે અને તેની અસર ફેબ્રિક મેન્યુફેક્ચરિંગ પર પણ પડી છે. બાંગ્લાદેશ અને ચીનમાં ઠલવાતા ચીની ફેબ્રિકનો કારોબાર ઠપ થવા પર છે અને હાલમાં આ પરિસ્થિતિનો સીધો ફાયદો ભારતના લોકલ ફેબ્રિક મેન્યુફેક્ચરર્સને મળી રહ્યાની પુષ્ટી તાજેતરમાં કોઇમ્બતુર ખાતે યોજાયેલા ઇન્ડીય નીટ ફેરમાં ચોમેરથી મળી હતી.

ઇન્ડિયા નીટ ફેરમાં આવેલા ઉદ્યોગપતિઓએ 300 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. મેળામાં વિવિધ દેશોના 31 ખરીદદારો અને 142 ખરીદનાર કંપનીઓ અને એજન્ટો હાજર રહ્યા હતા. તિરૂપુર, કોઈમ્બતુર, ચેન્નઈ અને કલકત્તાના કુલ 39 મોટા નિકાસકારોએ તેમના ઉત્પાદનોનું પ્રદર્શન કર્યું હતું.

એપરલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ચેરમેન એ શક્તિવેલે જણાવ્યું કે, ચીનમાં કોરોના વાયરસ રોગચાળો ફાટી નીકળતાં ભારતીય કાપડ ઉદ્યોગને મોટો ફાયદો થઈ રહ્યો છે. યુ.એસ., યુ.કે., યુરોપ અને કેનેડાના ખરીદદારો હવે ભારતમાંથી કપડાની ખરીદીમાં વધારો કરી શકે છે, કારણ કે ચીનમાંથી સપ્લાય ખોરવાયો છે. કોઈમ્બતુર નજીક તિરૂપુર ખાતે ત્રણ દિવસીય ભારત નીટ ફેરના સમાપન પર જારી કરાયેલા એક નિવેદનમાં તેમણે કહ્યું હતું કે યુરોપિયવ સંઘથી બ્રિટન નીકળવાનો ભારતીય કાપડ ઉદ્યોગને પણ ફાયદો થઈ શકે છે.

આ દરમિયાન કેન્દ્રીય કાપડ મંત્રાલયે કહ્યું કે, ચીનમાં રોગચાળાએ વર્તાવેલ મહામારી વૈશ્વિક એપરલ બજારમાં 20 અબજ ડોલરનો કારોબારની જગ્યા છોડી છે અને ભારતીય ઉદ્યોગે તેનો લાભ ઉઠાવવો જોઈએ. એક કાર્યક્રમમાં ટેક્સટાઇલ સેક્રેટરી રવિ કપૂરે કહ્યું કે, આ રીતે પોતાને પ્રોજેકટ કરવું સારું નથી, પરંતુ દરેક સંકટમાં એક તક છુપાયેલી હોય છે. અમે ચીનને દરેક રીતે સમર્થન આપી રહ્યા છીએ. પરંતુ અમારા માટે એક મોટી તક પણ છે. તેમણે કહ્યું કે ચીને છેલ્લા 3 વર્ષમાં 20 અબજ ડોલરનો ધંધો છોડી દીધો છે. વિયેતનામને તેનો સૌથી વધુ ફાયદો થયો છે.

February 19, 2020
CIA-1280x937.jpg
1min5030

જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ સૂરત તેમજ કસ્ટમ વિભાગ દ્વારા આજે સંયુક્ત પણે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા ધંધાર્થીઓ માટે અત્યંત જરૂરી ઇ-સ્ટોરેજ અને ઇનડાયરેક્ટ ટેક્સ ડોક્યુમેન્ટસના કમ્પ્યુટરાઇઝ્ડ હેન્ડલિંગ અંગે ટ્રેનિંગ તેમજ અવેરનેસનો મહત્વનો વર્કશોપ સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યો હતો. સેમિનારમાં ઉપસ્થિત રહેલા હીરા ઉદ્યોગના ધંધાર્થીઓ માટે આ વર્કશોપ અત્યંત ઉપયોગી એટલા માટે બની રહ્યો કેમકે દરેક એક્સપોર્ટસ હાઉસીસ તેમજ તેને આનુષંગિક કામગીરી સાથે સંકળાયેલા વ્યાવસાયિકો માટે કસ્ટમ ડિપાર્ટમેન્ટસની અદ્યતન માહિતી હોવી અને તેનું અમલીકરણ જરૂરી હતું. આ વર્કશોપને કારણે ડોક્યુમેન્ટેશન તેમજ અન્ય પ્રોસીજરનું સરળીકરણ થઇ શકશે.

શું છે ઇ-સંચિત

ઇ-સંચિત અંગે આજના વર્કશોપમાં માહિતી આપવામાં આવી હતી. આ ઇ-સંચિત એ એવું ડિજિટલ પ્લેટફોર્મ છે જે કેન્દ્ર સરકાર દ્વારા એક્સપોર્ટ-ઇમ્પોર્ટ કરતા વ્યવસાયિકો માટે લોંચ કરવામાં આવ્યું છે. કાગજકીય કાર્યવાહી ઓનલાઇન ડિજિટલી થઇ શકે અને વ્યક્તિગત કે ફિઝિકલ ઇન્ટરફિયરન્સ ઓછું થાય તે માટે ઇ-સંચિત પ્લેટફોર્મ ઉભું કરવામાં આવ્યું છે. કસ્ટમ તેમજ ક્લીયરીંગ એજન્ટો પ્રત્યક્ષ રીતે મળે અને એક યા બીજા પ્રશ્નો ઉપસ્થિત થાય તેના કરતા બહેતર રીતે ઇ-સંચિત કામ કરે છે અને તેના કારણે એપ્લિકેશન ક્લીયરિંગ પ્રોસેસનો સમય પણ ઘટી જાય છે. આ પ્લેટફોર્મ પર આયાત-નિકાસને લગતા ડોક્યુમેન્ટ્સ ડિજિટલી સહી સિક્કાની મદદથી અપલોડ કરી શકાય છે.

સૂરત હિરા બૂર્સના ડેપ્યુટી કમિશનર કસ્ટમ્સ ડો. પ્રસાદ વરવાન્ટકરે જણાવ્યું કે હીરા ઉદ્યોગમાં આયાત નિકાસનું કામ કરતા દરેક લોકો માટે ઇ-સંચિત પ્લેટફોર્મ પર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. સૂરત હીરા બૂર્સથી હીરા આયાત નિકાસનું કામ કરનારા દરેક લોકો માટે આ રજિસ્ટ્રેશન જરૂરી છે અને એ આયાત નિકાસકર્તાઓ માટે લાભદાયી પણ છે.

ઇ-સંચિત અંગેના આજના સેમિનારમાં અંદાજે 45 જેટલા આયાત નિકાસ હાઉસીસના પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહીને જરૂરી જાણકારી મેળવી હતી.

જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના રિજિયોનલ ચેરમેન શ્રી દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે ડાયમંડ ઉધોગકારોના હિતમાં છે ઇ સંચિત પ્લેટફોર્મ. અવરોધ મુક્ત કાગજકીય કાર્યવાહી અને ઝડપી પ્રોસેસિંગ ઇ-સંચિતથી શક્ય બન્યું છે. સ્થાનિક હીરા ઉદ્યોગકારોએ ઇ-સંચિત પ્લેટફોર્મનો વધુને વધુ ઉપયોગ કરવા દિનેશ નાવડીયાએ હિમાયત કરી છે. તેમણે જણાવ્યું હતું કે જીજેઇપીસી દ્વારા જરૂરી તમામ મદદ પૂરી પાડવામાં આવશે.

February 15, 2020
bs6.jpg
1min5700

સુપ્રીમ કોર્ટે ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડિલર્સ (એફએડીએ)ની અરજીને ફગાવતા ફરી એક વખત કહ્યું છે કે દેશમાં બીએસ-4 વાહનનું વેચાણ 31 માર્ચ સુધી જ થઈ શકશે. કંપનીઓએ એપ્રિલના અંત સુધી બીએસ-4 વાહનો વેંચવાની મંજૂરી માગી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે કોર્ટ તરફથી 30 એપ્રિલ સુધીનો સમય આપવામાં આવે તો સ્ટોકમાં રહેલા બીએસ-4 વાહન વેંચી શકાશે. જો કે સુપ્રીમ કોર્ટે રાહત આપવાનો ઈનકાર કરી દીધો છે.’ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આગામી એક એપ્રિલથી બીએસ-6 અનિવાર્ય છે.

સુપ્રીમ કોર્ટે ઓક્ટોબર 2018મા ચુકાદો આપ્યો હતો કે 31 માર્ચ 2020 બાદ બીએસ4 વાહનોના રજીસ્ટ્રેશન અને વેંચાણ ઉપર રોક લાગશે. આ આદેશ સામે ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડિલર્સે (એફએડીએ) અરજી દાખલ કરી હતી અને સમયમર્યાદા એક મહિનો લંબાવવા માટેની માગણી કરી હતી.

February 14, 2020
irctc_logo.png
1min5690

ડિસેમ્બર ક્વાર્ટરમાં નફામાં ત્રણ ગણો ઉછાળો આવ્યા બાદ IRCTC (ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન)ના શેરમાં આશરે 13 ટકાનો ઉછાળો આવ્યો હતો. કંપનીનો શેર બીએસઇમાં 11.35ટકા ઉછળીને ₹1,579.95એ બંધ આવ્યો હતો.

ગુરુવારમાં શેરની તેજી સાથે કંપનીના શેરમાં ઇશ્યૂ ભાવની સરખામણીમાં 399 ટકાની તેજી આવી છે, પરંતુ હજુ ઘણા એનાલિસ્ટ્સ માને છે કે શેરનો ભાવ વાજબી છે. IRCTCનું લિસ્ટિંગ 14 ઓક્ટોબર 2019ના રોજ થયું હતું. IPOમાં શેરનો ઇશ્યૂ ભાવ ₹320 હતો. કંપનીનો આઇપીઓ 112 ગણો છલકાયો હતો.

ચાલુ નાણાકીય વર્ષના ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 179.65ટકા ઉછળીને ₹205.80 કરોડ થયો હતો. ગયા વર્ષના સમાન ગાળામાં કંપનીએ ₹73.59 કરોડનો નફો કર્યો હતો. જાહેર ક્ષેત્રની આ કંપનીની આવક ડિસેમ્બર ક્વાર્ટરમાં 64.59 ટકા વધીને ₹715.98 કરોડ થઈ હતી. મજબૂત રિઝલ્ટને પગલે કંપનીના શેરમાં ભારે ખરીદી થઈ હતી.

FY19-22માં વેચાણમાં 22.5ટકા અને ટેક્સ પછીના નફામાં 48.7 ટકા વધારો થવાનો અંદાજ છે. કંપની ટિકિટ બુકિંગ એન્ડ કેટરિંગમાં ઇજારાશાહી ધરાવે છે, તેથી શેરનું વેલ્યુએશન આકર્ષક છે. યીલ્ડ મેક્સિમાઇઝરના સ્થાપક યોગેશ મહેતાએ જણાવ્યું હતું કે આઇપીઓ વખતે શેરનું મૂલ્ય નીચું હતું. શેરમાં આઇપીઓ ભાવથી આશરે પાંચ ગણો ઉછાળો આવ્યો છે. પરંતુ કંપની કેટરિંગ અને ટિકિટ બુકિંગમા ઇજારાશાહી ધરાવે છે. તે પ્રાઇસિંગ પાવર ધરાવે છે અને બીજા કોઇની સ્પર્ધા નથી.

February 13, 2020
lpg_cylinder.jpg
1min5790

ઘરેલુ વપરાશના રાંધણગૅસ (એલપીજી)ના ભાવમાં બુધવારે સિલિન્ડરદીઠ રૂપિયા ૧૪૪.૫નો વધારો કરાયો હતો. આમ છતાં, સરકારે એલપીજીના ઘરેલુ વપરાશકારોના લાભાર્થે સબસિડી (આર્થિક રાહત)માં પણ ભારે વધારો કર્યો હોવાથી ખાસ આર્થિક બોજ નહિ આવે.ઈંધણના વૈશ્ર્વિક ભાવમાંના વધારાને લીધે ઘરેલુ વપરાશના એલપીજીના ભાવમાં વધારો કરાયો હતો, પરંતુ સબસિડી પણ લગભગ બમણી કરવામાં આવતા ગ્રાહકને કોઇ મોટી આર્થિક અસર નહિ થાય.

સરકારી માલિકીની તેલ (ઑઇલ) કંપનીઓએ જણાવ્યું હતું કે રાંધણગૅસના ૧૪.૨ કિલોગ્રામના સિલિન્ડર (કોઠી)નો ભાવ અગાઉ રૂપિયા ૭૧૪ હતો, પરંતુ તે હવે વધારીને રૂપિયા ૮૫૮.૫૦ કરાયો છે.

અગાઉ, રાંધણગૅસના ભાવમાં ૨૦૧૪ના જાન્યુઆરીમાં સિલિન્ડરદીઠ રૂપિયા ૨૨૦નો વધારો કરીને તે રૂપિયા ૧,૨૪૧ કરાયો હતો અને તે પછીનો આ સૌથી મોટો ભાવવધારો છે.

દરેક પરિવારને દર વર્ષે ઘરેલુ વપરાશના રાંધણગૅસના ૧૪.૨ કિલોગ્રામના ૧૨ સિલિન્ડર માટે સરકાર આર્થિક રાહત આપે છે.

ઘરેલુ વપરાશના રાંધણગૅસના સિલિન્ડર પરની સબસિડી રૂપિયા ૧૫૩.૮૬થી વધારીને રૂપિયા ૨૯૧.૪૮ કરાઇ છે.

પ્રધાન મંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓની સબસિડી સિલિન્ડરદીઠ રૂપિયા ૧૭૪.૮૬થી વધારીને રૂપિયા ૩૧૨.૪૮ કરાઇ છે.

રાંધણગૅસના ઘરેલુ વપરાશકારોના બૅન્ક ખાતાંમાં સીધી જમા કરાવાતી આર્થિક રાહતને બાદ કરીએ તો સામાન્ય ઘરેલુ વપરાશકારને સિલિન્ડર રૂપિયા ૫૬૭.૦૨માં પડશે, જ્યારે પ્રધાન મંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને રૂપિયા ૫૪૬.૦૨માં મળશે.

સરકારે ઘરેલુ વપરાશમાં રાંધણગૅસનો ઉપયોગ વધારવા માટે પ્રધાન મંત્રી ઉજ્જવલા યોજના હેઠળ અંદાજે આઠ કરોડ લોકોને એલપીજીના જોડાણ આપ્યા છે.

સામાન્ય રીતે રાંધણગૅસના ભાવમાં દર મહિનાની પહેલી તારીખે ફેરફાર થાય છે, પરંતુ આ વખતે તેમાં આશરે બે અઠવાડિયાંનો વિલંબ થયો છે.

દિલ્હી વિધાનસભાની ચૂંટણીને લીધે રાંધણગૅસના ભાવમાંના ફેરફારમાં વિલંબ કરાયો હોવાનું પણ કહેવાય છે.

February 11, 2020
CIA_Live_Logo_New2.jpg
1min5850

એક તરફ કેન્દ્ર અને રાજ્ય સરકારોના જીએસટી સ્ટાફ દ્વારા વેપારીઓ અને પ્રેક્ટીશ્નરો પર જીએસટી રિટર્ન ફાઇલિંગના મુદ્દે યેનકેન પ્રકારે દબાણ કરવામાં આવી રહ્યા છે, કાયદાની બીક બતાવવામાં આવી રહી છે તો બીજી તરફ જીએસટી પોર્ટલના એટલા ધાંધીયા છે કે પ્રમાણિકતાથી રિટર્ન ફાઇલ કરવા ઇચ્છતા વેપારીઓ, ટેક્સ કન્સલ્ટન્ટસ રીટર્ન ફાઇલ કરી શક્તા નથી. જીએસટી પોર્ટલનું ટેકનિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું નબળું છે કે વારેઘડીયએ ખોટકાઇ રહ્યું છે. જીએસટી પોર્ટલના ધાંધીયા સામે તા.12મી ફેબ્રુઆરીને બુધવારે ગુજરાતના ટેક્સ પ્રેક્ટીશ્નર્સ રાજ્યવ્યાપી હડતાળ પાડશે.

GST અમલી બન્યો છે ત્યારથી જ પોર્ટલ ક્ષતિરહિત બનાવવા માટે રજૂઆતો થઇ રહી છે તેમ છતાં ડિપાર્ટમેન્ટ દ્વારા કોઇ જ સુધારો નહીં કરતાં વિવિધ ટેક્સ પ્રેક્ટિશનર્સ સંગઠનોની બનેલી એક્શન કમિટીએ આગામી તા. ૧૨મી ફેબ્રુઆરીએ હડતાળ પાડી કામકાજથી અળગા રહેવાની જાહેરાત કરી છે.

GST કમિશનર તથા તમામ જિલ્લા કલેક્ટરને આ બાબતે સંગઠન દ્વારા આવેદનપત્ર આપવામાં આવશે તેમ સેલ્સ ટેક્સ બાર એસો.ના ઉર્વિશ પટેલે જણાવ્યું હતું. 

ગુજરાત સેલ્સ ટેક્સ બાર એસો., ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ્સ, ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેક્ટિશનર્સ વેસ્ટ ઝોન, નેશનલ એક્શન કમિટી, ઇનકમ ટેક્સ બાર એસો., ટેક્સ એડવોકેટસ એસો. તથા ગુજરાત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એસો. અમદાવાદના હોદ્દાદારોએ સાથે મળીને આ મુદ્દે તા. ૧૨મીએ હડતાળ પાડવાની જાહેરાત કરી છે.

તેમની માંગણી છે કે જ્યાં સુધી પોર્ટલ ક્ષતિ રહિત ન બને ત્યાં સુધી ડિપાર્ટમેન્ટ કોઇ જ વેપારી પાસેથી દંડ ઉઘરાવે નહીં. જો હડતાળથી કોઇ પરિણામ નહીં આવે તો આગામી ૧૮મી તારીખે મૌન રેલી અને ત્યારબાદ વિવિધ કાર્યક્રમો આપવામાં આવશે. 

February 9, 2020
bouncechque.jpg
1min5290

કંફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (કેટ)એ કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સિતારામન અને વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલને પત્ર મોકલીને દેશમાં ચેક રિટર્નના કેસની સંખ્યામાં રહેલા વિલંબ તરફ સરકારનું ધ્યાન દોર્યું છે. નાણા મંત્રી અને વાણિજ્ય મંત્રીને મોકલેલ પત્રમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બ્રિજમોહન અગ્રવાલ તથા પ્રદેશ અધ્યક્ષ સુધાકર પંડાએ વિધિ આયોગના 213માં રિપોર્ટનો હવાલો આપતા કહ્યું કે, દેશમાં લગભગ 40 લાખ ચેક બાઉન્સના કેસ વિવિધ કોર્ટમાં વિલંબમાં પડ્યા છે. જેનાથી એ સ્પષ્ટ થાય છે કે કોર્ટમાં લંબિત કેસમાં ચેક બાઉન્સના કેસ એક મોટો હિસ્સો છે.

કહેવામાં આવ્યું છે કે, સરકાર દ્વારા નેગોશિએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ, 1981ની કલમ 138 પર ધ્યાન આપવાની તાત્કાલિક જરૂર છે અને ચેક આપવાની વિશ્વસનીયતાને પુન: સ્થાપિત કરવા સરકાર દ્વારા અસરકારક પગલા ભરવાની જરૂર છે. ઉપરોક્ત કેસોમાં કડક જોગવાઈઓ રાખવા કાયદામાં સુધારા લાવવા ઉપરાંત સૂચન કરવામાં આવ્યું હતું કે તાત્કાલિક પગલા રૂપે સરકારે દરેક જિલ્લા કક્ષાએ ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના કરવી જોઈએ જેથી ચેક બાઉન્સના કેસોનો સમયસર નિકાલ થઈ શકે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, આ ધ્યાન આપવાની વાત છે કે ગુજરાતમાં ચેક રિટર્નના કેસોનો નિકાલ કરવામાં સૌથી વધુ સમય આશરે 3,608 દિવસ (10 વર્ષથી થોડો ઓછો) લાગે છે, જ્યારે હિમાચલ પ્રદેશમાં સૌથી ઓછો સરેરાશ 967 દિવસ (લગભગ બે વર્ષ અને નવ મહિના) લાગે છે.), જે ન્યાયિક કહેવત “ન્યાયમાં વિલંબ-ન્યાયનું ખંડન” નું જીવંત ઉદાહરણ છે, જે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટીકોણ વિરુદ્ધ છે.

આ કેસોના નિકાલમાં વિલંબ એ અદાલતોની અસમર્થતા અને સમયસર મુકદ્દમાના સમાધાનના મૂળભૂત અધિકારોનું ગંભીર ઉલ્લંઘન છે. આને કારણે દેશમાં રોકડ વ્યવહાર, ભ્રષ્ટાચાર, નકલી નોટો જેવા વલણોને પ્રોત્સાહન મળે છે. ભરતીયા અને ખંડેલવાલે એમ પણ કહ્યું હતું કે, ઉચ્ચ ન્યાયતંત્ર અને ધારાસભ્ય બંનેએ આ ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી છે અને ઘણાં પ્રસંગો પર કલમ 138 હેઠળ આવતા કેસોના ઝડપી નિકાલ માટે તંત્રને લાગુ કરવાની આવશ્યકતા દોહરાવી છે. આ કેસોની વ્યવસાયિક પ્રકૃતિને જોતા ચેક બાઉન્સના કેસોના સમાધાનમાં વિલંબથી વ્યવસાયને ખરાબ અસર થાય છે અને વ્યવસાયમાં અવિશ્વસનીયતાની ભાવના પ્રવર્તે છે.

February 7, 2020
air-india.jpg
1min5900

સરકાર દ્વારા જેનું ડિસઈન્વેસ્ટમેન્ટ કરવામાં આવી રહ્યું છે કે આર્થિક કટોકટીમાં સપડાયેલી ઍર ઈન્ડિયાનાં વીવીઆઈપી ચાર્ટર ફ્લાઈટ માટે રૂ. ૮૨૨ કરોડનાં લેણાં બાકી હોવાનું માહિતી અધિકાર હેઠળ દાખલ કરવામાં આવેલી અરજીના જવાબમાં જાહેર કરવામાં આવેલી આંકડાઓની યાદીમાં દર્શાવવામાં આવ્યું હતું.

કોમોડોરે લોકોશ બત્રા (નિવૃત્ત) દ્વારા માહિતી અધિકાર હેઠળ દાખલ કરવામાં આવેલી અરજીના જવાબમાં ઍર ઈન્ડિયાએ જણાવ્યું હતું કે ૩૦ નવેમ્બર ૨૦૧૯ સુધીમાં વીવીઆઈપી ચાર્ટર ફ્લાઈટ પેટે રૂ. ૮૨૨ કરોડ વસૂલવાનાં બાકી છે. સ્થળાંતર કરાવવાની કામગારી પેટે વધારાના રૂ. ૯.૬૭ કરોડ અને વિદેશી મહાનુભાવોને લાવવા લઈ જવા બદલ રૂ. ૧૨.૬૫ કરોડનાં લેણાં બાકી હોવાનું તેમણે કહ્યું હતું.

વીવીઆઈપી ચાર્ટર ફ્લાઈટ હેઠળ ઍર ઈન્ડિયા પ્રમુખ, ઉપપ્રમુખ, રાષ્ટ્રપતિને લાવવા લઈ જવાનું કામ ઍર ઈન્ડિયા કરે છે જેનું બિલ સંબંધિત ખાતા દ્વારા ચુકવવામાં આવે છે.

આ ઓછું હોય તેમ ૩૧ માર્ચ ૨૦૧૯ સુધીમાં સરકારી અધિકારીઓની ટિકિટ પેટે વસૂલવાની બાકી નીકળતી રકમનો આંક રૂ. ૫૨૬.૧૪ કરોડ હોવાનું તેમણે કહ્યું હતું. આ રૂ. ૫૨૬.૧૪ કરોડમાંથી રૂ. ૨૩૬.૧૬ કરોડ તો છેલ્લાં ત્રણ વરસથી લેવાનાં બાકી છેે, એમ તેમણે કહ્યું હતું. વસૂલી નહીં થઈ શકે તેવી સંભવિત રકમનો આંક રૂ. ૨૮૧.૮૨ કરોડ હોવાનું તેમણે કહ્યું હતું.