પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટીમાં વધારો કરવામાં આવ્યા પછી હવે ઈંધણના રિટેલ ભાવમાં લગભગ ૭૦ ટકા હિસ્સો ટેક્સનો હોય છે. સરકારે ઓઇલ કંપનીઓના વિક્રમ સ્તરે પહોંચેલા માર્કેટિંગ માર્જિનમાં પણ લગભગ ૭૫ ટકા જેટલો ઘટાડો કર્યો છે.

રાષ્ટ્રવ્યાપી લોકડાઉનના કારણે કેન્દ્ર અને રાજ્ય સરકારની આવક એકદમ ઘટી ગઈ છે. પરિણામે ઈંધણ પર ટેક્સ વધારીને આવક ઊભી કરવામાં આવી છે. માર્ચથી વૈશ્ર્વિક બજારમાં ઓઇલના કડાકાના કારણે સરકાર મહત્તમ લાભ લેવા માંગે છે જેમાં ગ્રાહકોને કોઈ ફાયદો મળ્યો નથી. સરકારે પેટ્રોલ પર સેન્ટ્રલ એક્સાઇઝમાં લિટરે ૧૦ રૂપિયા અને ડીઝલમાં લિટરે ૧૩ રૂપિયાનો વધારો કર્યો છે. તેની સાથે દિલ્હી સરકારે પણ વેટમાં વધારો કર્યો છે તેથી દિલ્હીમાં રિટેલ ભાવમાં લગભગ ૭૦ ટકા જેટલો ટેક્સનો હિસ્સો થયો છે. અન્ય રાજ્યોમાં આ ટકાવારી અલગ-અલગ હશે.
કેન્દ્ર દ્વારા મંગળવારે વધારે ડ્યૂટી લાદવામાં આવી તેનાથી દેશમાં ઈંધણના ભાવમાં વધારો નથી થયો કારણ કે ફ્યુઅલ રિટેલિંગ કંપનીઓએ તેને પોતાના માર્જિન સામે એડ્જસ્ટ કરી લીધું હતું. તાજેતરમાં ઓઇલ કંપનીઓના માર્જિન વિક્રમ ઊંચા સ્તરે પહોંચ્યા હતા.
માર્ચમાં લિટરે ત્રણ રૂપિયા એક્સાઇઝ વધારવામાં આવી તેનાથી પણ રિટેલ ભાવમાં કોઈ ફેર પડ્યો ન હતો. કેન્દ્ર સરકાર સૌથી પહેલાં સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓને તેના માર્કેટિંગ માર્જિનમાં તીવ્ર વધારો કરવા દે છે. ત્યાર બાદ ડ્યૂટી વધારીને આંચકો સહનકરવા જણાવે છે જેથી રિટેલ ભાવમાં ફરક પડતો નથી.
ઉદ્યોગના એક એક્ઝિક્યુટિવે જણાવ્યું કે, આ રાજકીય બાબત છે. તેનાથી સરકાર ઊંચા ભાવ બદલ દોષ ઉઠાવવામાંથી બચી જાય છે. માર્ચની શરૂઆતથી અત્યાર સુધીમાં આંતરરાષ્ટ્રીય દરમાં ૪૫ ટકા ઘટાડો થયો છે જ્યારે દિલ્હીમાં ડીઝલના ભાવમાં ૭.૫ ટકા વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પેટ્રોલ ૩૭ ટકા સસ્તું થયું છે પરંતુ દિલ્હીમાં તેમાં માત્ર એક ટકાનો ઘટાડો થયો છે. સમાન ગાળામાં ક્રૂડ ઓઇલના ભાવમાં પણ ૪૧ ટકાનો ઘટાડો થયો છે. ઓઇલ કંપનીઓ આંતરરાષ્ટ્રીય દરને ધ્યાનમાં લઈને દરરોજ સ્થાનિક ઈંધણના ભાવમાં ફેરફાર કરે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.
ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા ડ્યૂટીનો વધારો શોષી લેવાના કારણે તેનું નેટ ફ્યુઅલ માર્કેટિંગ માર્જિન રૂ. ૧૪.૫-૧૬.૫થી ઘટીને બુધવારે લિટર દીઠ માત્ર રૂ. ૨.૩-૪.૪ થયું હતું. આઇસીઆઇસીઆઇ સિક્યોરિટીઝે આ કંપનીઓના શેરનું રેટિંગ ડાઉનગ્રેડ કરીને બાયના બદલે હોલ્ડ રેટિંગ આપ્યું હતું. ઓઇલ કંપનીઓનું માર્કેટિંગ માર્જિન તેના ઓપરેટિંગ નફામાં બે તૃતીયાંશ જેટલો હિસ્સો ધરાવે છે. માર્કેટિંગ માર્જિનમાં દર ૫૦ પૈસાના ફેરફારથી પ્રોજેક્ટ અર્નિંગને ૧૧થી ૨૧ ટકા સુધી અસર થઈ શકે.



















