કોરોના સંકટથી ત્રસ્ત પ્રજાને માથે હવે પેટ્રોલ-ડીઝલના વધારાનો બેવડો માર સહન કરવો પડી રહ્યો છે. શનિવારે પેટ્રોલમાં લિટરદીઠ 59 પૈસા તેમજ ડીઝલમાં 58 પૈસાનો વધારો ઝીંકવામાં આવ્યો હતો. સળંગ સાત દિવસ સુધી પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારો ઝિંકવામાં આવતા સપ્તાહમાં પેટ્રોલ રૂ. 3.98 તેમજ ડીઝલ રૂ.4 મોઘું થયું છે.
દેશમાં 82 દિવસ સુધી ઈંધણના ભાવમાં કોઈ બદલાવ નહીં થયા બાદ તેલ કંપનીઓ દ્વારા સળંગ સાતમાં દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ વધીને લિટરે રૂ. 75.16 જ્યારે ડીઝલનો ભાવ રૂ. 73.39 થયો છે.
માર્ચના મધ્યમાં કેન્દ્ર સરકારે પેટ્રોલ ડીઝલ ઉપરના એક્સાઈઝ દરમાં વધારો કરવામાં આવ્યા બાદ ઈંધણના દરમાં વધારો સ્થગિત કરાયો હતો. ઓઈલ કંપનીઓ ઈન્ડિયન ઓઈલ કોર્પ, ભારત પેટ્રોલિયમ કોર્પ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પ દ્વારા એક્સાઈઝ ડ્યુટીમાં વધારો ગ્રાહકો પર લાદવાને બદલે તેને વહન કરી રહ્યા હતા. આંતરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલના ભાવમાં ફેરફારને પગલે કંપનીઓ ઈંધણના ભાવ પોતાની રીતે નિયંત્રીત કરી શકે છે.
જીએસટી (ગુડ્સ ઍન્ડ સર્વિસીઝ ટેક્સ) કાઉન્સિલની શુક્રવારે મળેલી બેઠકમાં જીએસટી રિટર્ન્સ ફાઇલિંગના વિલંબ કરનારાઓ માટે મોટી રાહતની જાહેરાત કરવામાં આવી હતી.
પાંચ કરોડ રૂપિયા સુધીનું ટર્નઓવર ધરાવતા નાના કરદાતાઓએ ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ મહિનાના જીએસટી રિટર્ન્સ મોડા ભર્યા હશે તો એના પર તેમણે અડધું એટલે કે 9 ટકા વ્યાજ ભરવું પડશે. જીએસટી કાઉન્સિલે શુક્રવારે આવા કરદાતાઓ માટેના આ વ્યાજના દરને 18 ટકાથી અડધોઅડધ ઘટાડીને 9 ટકા કરી નાખ્યો હતો. જોકે, તેમના આ રિટર્ન્સ સપ્ટેમ્બર 2020 સુધીમાં નોંધાઈ ગયા હોવા જોઈશે.
એ ઉપરાંત, મે તેમ જ જૂન અને જુલાઈ માટેના રિટર્ન્સ નોંધાવવા માટેની આખરી તારીખ (કોઈ પણ વ્યાજ કે લેટ-ફી વગર) સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે.
‘જે રજિસ્ટર્ડ એન્ટિટીઓએ જુલાઈ 2017થી જાન્યુઆરી 2020 વચ્ચેની શૂન્ય જવાબદારી સાથેના જીએસટી રિટર્ન્સ મોડેથી નોંધાવ્યા હશે તેમની પાસેથી કંઈ પણ લેટ-ફી નહીં લેવામાં આવે’, એવું પણ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું.
કાઉન્સિલની મિટિંગ બાદ પત્રકારોને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે અન્યો માટેના માસિક સેલ્સ રિટર્ન ન નોંધાવવા વિશેની લેટ-ફી જુલાઈ 2017થી જાન્યુઆરી 2020ના સમયગાળા માટે ઘટાડીને મહત્તમ 500 રૂપિયા કરવામાં આવી છે.
આડકતરા વેરા સંબંધિત નિર્ણયો લેતી સર્વોત્તમ સંસ્થા જીએસટી કાઉન્સિલમાં શુક્રવારે કૉવિડ-19ની મહામારીની પડેલી અસર બાબતમાં ચર્ચા થઈ હતી, એવું કહીને સીતારમણે ઉમેર્યું હતું કે ‘કાઉન્સિલની મિટિંગમાં જીએસટીની આવકને ઇન્વર્ટેડ ડ્યૂટીના માળખાની થયેલી વિપરીત અસર બાબતમાં ચર્ચા થઈ હતી. પગરખાં, ખાતર અને ટેક્સટાઇલ્સમાં જકાતના દરમાં સુધારો કરવા સંબંધમાં પણ પૅનલ વિચારે છે. પાન મસાલા પરના કરવેરા વિશે જીએસટી કાઉન્સિલની આગામી રાબેતામુજબની બેઠકમાં ચર્ચા થશે એવી આશા છે.
દરમિયાન, રાજ્યની વળતરની જરૂરિયાતોના મુદ્દે ખાસ ચર્ચા કરવા જુલાઈમાં વિશિષ્ટ બેઠક યોજાવાની છે.
કોરોના વાઈરસના વધી રહેલા કેસોની ચિંતા વચ્ચે ગઈકાલે વોલસ્ટ્રીટ અને ક્રૂડના ભાવમાં ઘટાડા બાદ આજે તા.12મી જુનને શુક્રવારે સવારે એશિયાના અન્ય બજારોની જેમ ભારતીય શેરબજારના ઇન્ડેસીસ પણ લૉઅર ગેપમાં ખૂલ્યા બાદ વધુ ગગડયા હતા.
તા.12મી જુનને સવારે ભારતીય સેન્સેક્સ 900 પોઈન્ટ્સ ઘટીને ટ્રેડ થઈ રહ્યો હતો. પ્રારંભિક સેશનમાં જ શેરબજારમાં સાર્વત્રિક વેચવાલી જોવા મળી હતી. તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ સવારે રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. બેન્ક, ફાઈનાન્સ, પાવર, રિયલ્ટી, ઓટો, કેપિટલ ગૂડ્ઝ, IT, ટેકનો શેરોમાં આક્રમક વેચવાલી જોવા મળી હતી.
સવારે 9.30 વાગ્યે BSE સેન્સેક્સ 786.13 પોઈન્ટ્સ અથવા 2.34 ટકાના ઘટાડા સાથે 32,752.24 પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ આજે સવારે 219.05 પોઈન્ટ્સ અથવા 2.21 ટકાના જંગી કડાકા સાથે 9,862.95 પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.
BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 2.12 ટકા અને 2.66 ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા.
આજે સવારે ઘટીને ટ્રેડ થઈ રહેલા મુખ્ય શેરોમાં ઈન્ડસઈન્ડ બેન્ક 5.61 ટકા, ONGC 4.60 ટકા, કોટક બેન્ક 4.02 ટકા, NTPC 3.67 ટકા, એક્સિસ બેન્ક 3.05 ટકા, ICICI બેન્ક 3.00 ટકાનો સમાવેશ થાય છે.
આજે સવારે વધીને ટ્રેડ થઈ રહેલા મુખ્ય શેરોમાં સન ફાર્મા 0.50 ટકાનો સમાવેશ થાય છે.
આજે સવારે જાપાનનો નિક્કાઈ 1.22 ટકા, ઓસ્ટ્રેલિયા શેરબજાર 1.74 ટકા, ચીન શેરબજાર 0.67 ટકા ઘટીને ટ્રે઼ડ થઈ રહ્યા હતા. ગુરુવારે અમેરિકાના શેર્સ ઈન્ડાઈસિસ 5 ટકા ઘટીને બંધ રહ્યા હતા.
ટેલિકોમ કંપનીઓની એડ્જસ્ટેડ ગ્રોસ રેવન્યૂ (એજીઆર)ના કેસમાં સુપ્રીમ કોર્ટમાં આજે તા.11મી જુનને ગુરુવારે સુનાવણી હાથ ધરાવાની સુપ્રીમ કોર્ટની સૂચનાના આધાર પર ટેલિકોમ શેર્સની નું ભાવી નક્કી થશે. ખાસ કરીને વોડા આઇડિયા માટે આજનો સુપ્રીમ કોર્ટનો નિર્ણય મહત્ત્વનો રહેશે જેનો શેર છેલ્લા એક મહિનામાં બમણાથી વધારે વધ્યો છે.
સુનાવણીમાં સરકારની વિનંતી પણ સામેલ કરી શકાય છે જેણે ટેલિકોમ કંપનીઓને ચુકવણી માટે 20 વર્ષનો સમય આપવાની માંગણી કરી છે. એનાલિસ્ટ્સે કહ્યું કે કોર્ટ કંપનીઓને વહેલી ચુકવણી કરવા જણાવશે તો આ શેરમાં આવેલી તેજી અટકી જશે.
એજીઆરની ચુકવણી માટે 15-20 વર્ષ કરતાં ઓછો સમય મળશે તો તેમની પાસે 4G માટે મૂડીખર્ચ કરવા નાણાં નહીં બચે. તેથી માર્કેટ શેર પર અસર પડશે કારણ કે રોકાણ નહીં વધારાય તો માર્કેટ હિસ્સો ઘટશે.
ટેલિકોમ ઓપરેટર વોડાઆઇડિયાએ સરકારને એજીઆર પેટે ₹58,254 કરોડની ચુકવણી કરવાની છે જેમાંથી હજુ સુધી માત્ર ₹6,854 કરોડ ચૂકવાયા છે. બુધવારે આ શેર 7.34 ટકા વધીને ₹10.82 બંધ આવ્યો હતો. એક મહિના પહેલાં ₹4.58નો ભાવ હતો. તેની તુલનામાં શેર 136 ટકા વધ્યો છે. તેની સરખામણીમાં છેલ્લા એક મહિનામાં ભારતી એરટેલના શેરમાં છ ટકાનો વધારો થયો છે.
વોડાઆઇડિયાના શેરમાં તેજી એવા સમયે આવી છે જ્યારે ડિલિવરી વોલ્યુમ ઘટ્યું છે. એટલે કે લાંબા ગાળાના રોકાણકારોને તેના ઋણના સ્તર અને એજીઆરની બાકી નીકળતી રકમ અંગે શંકા છે.
ઇટીઆઇજી ડેટાબેઝ દ્વારા એકત્ર કરાયેલા ડેટા પ્રમાણે છેલ્લા એક સપ્તાહમાં ડિલિવરી વોલ્યુમની ટકાવારી 23 ટકાની નજીક હતી જ્યારે છેલ્લા એક મહિનામાં 26.9 ટકા હતી. તે ત્રણ મહિનાના સરેરાશ ડિલિવરી વોલ્યુમ 28.6 ટકા અને છ મહિનાના સરેરાશ ડિલિવરી વોલ્યુમ 28.54 ટકાની નજીક છે.
આ કાઉન્ટરમાં સટ્ટાકીટ પ્રવૃત્તિ દર્શાવે છે. ટેલિકોમ સેક્ટર સારું દેખાય છે અને શેર વધી રહ્યો છે કારણ કે બીજી ટેલિકોમ કંપનીઓ વધી રહી છે. વધુ રેલી આવે તો વોડાફોનનો શેર વેચવો જોઈએ.
લાંબા ગાળાના રોકાણકારોને એજીઆર અને રિપેમેન્ટના મુદ્દે સ્પષ્ટતાની જરૂર છે. કંપની ચાલુ રહે તે માટે એજીઆરની ચુકવણીમાં તેને ઓછામાં ઓછાં 15 વર્ષનો સમયગાળો મળવો જોઈએ.
વર્તમાન નાણાં વર્ષના સતત બીજા મહિનામાં એટલે કે મેમાં જીવન વીમા કંપનીઓના નવા વેપાર મારફતના પ્રીમિયમ્સ ઘટાડો નોંધાયો હતો. ગયા વર્ષના મેમાં રૂપિયા ૧૮૪૧૪ કરોડની સરખામણીએ વર્તમાન નાણાં વર્ષના મેમાં નવા વેપાર મારફતના પ્રીમિયમનો આંક ૨૫.૪૦ ટકા ઘટી ૧૩૭૩૯ કરોડ રહ્યો હતો.
નાણાં વર્ષના પ્રથમ બે મહિનાના આંક જોઈએ તો પ્રીમિયમ્સ રૂપિયા ૨૮૩૯૫.૯૦ કરોડ પરથી ૩૦ ટકા ઘટી રૂપિયા ૨૦૪૬૬.૭૬ કરોડ રહ્યું હતું એમ પ્રાપ્ત આંકડા જણાવે છે.
મે ૨૦૧૯માં વીમાના એકંદર આવરણનો આંક જે રૂપિયા ૫.૮૦ ટ્રિલિયન રહ્યો હતો તે વર્તમાન વર્ષના મે સુધીમાં ૨૦.૨૦ ટકા ઘટી રૂપિયા ૪.૭૦ ટ્રિલિયન પર આવી ગયો હતો. દેશમાં ૨૩ ખાનગી જીવન વીમા કંપનીઓ કાર્યરત છે તેમના પ્રીમિયમ્સની આવકમાં મેમાં ૨૮ ટકા જ્યારે એલઆઈસીની નવા પ્રીમિયમ્સ મારફતની આવકમાં ૨૪ ટકા ઘટાડો નોંધાયાનું પણ આંકડા જણાવે છે. એપ્રિલ તથા મેમાં દેશભરમાં લોકડાઉન રહેતા વેપાર પર અસર રહી હતી.
પેટ્રોલના ભાવમાં બુધવારે લિટર દીઠ ૪૦ પૈસાનો અને ડીઝલના ભાવમાં ૪૫ પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. ઑઇલ ક્ષેત્રની જાહેર ક્ષેત્રીય કંપનીઓએ ભાવમાં ફેરફાર કરવા સંબંધિત ૮૨ દિવસના બ્રેકનો અંત આવ્યો એ પછી આ સતત ચોથો દૈનિક ભાવવધારો છે.
દિલ્હીમાં પેટ્રોલનો લિટર દીઠ ભાવ વધારીને રૂપિયા ૭૩.૦૦થી વધીને રૂપિયા ૭૩.૪૦ થયો છે, જ્યારે ડીઝલનો ભાવ રૂપિયા ૭૧.૧૭થી વધારીને રૂપિયા ૭૧.૬૨ કરવામાં આવ્યો છે, એમ સરકારી માલિકીની ઑઇલ માર્કેટિંગ કંપનીઓના નોટિફિકેશનમાં જણાવાયું હતું.
ભાવવધારો દેશભરમાં કરાયો છે. જોકે, રાજ્યોમાં સ્થાનિક વેચાણ વેરા અથવા વેલ્યૂ એડેડ ટેક્સને આધારે નક્કી કરાશે. રવિવારથી કરવામાં આવેલા લાગલગાટ ચોથા ભાવવધારામાં એકંદરે પેટ્રોલનો ભાવ લિટર દીઠ રૂપિયા ૨.૧૪ અને ડીઝલનો ભાવ લિટર દીઠ રૂપિયા ૨.૨૩ વધ્યો છે.
સેન્ટ્રલ બોર્ડ ફોર ઇનડાયરેક્ટ ટેક્સીસ દ્વારા આજે તા.8મી જુનના રોજ જાહેરાત કરવામાં આવી હતી કે જીએસટી કરદાતાઓની વધુ એક સુવિધાઓના ભાગરૂપે જો નીલ રિટર્ન એટલે કે ઝીરો જીએસટીનું રિટર્ન ફાઇલ કરવું હશે તો કરદાતા ફક્ત પોતાના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી એક એસ.એસ.એસ. કરીને નીલ રિટર્ન ફાઇલ કરી શકશે. એના માટે ટેક્સ કન્સલ્ટન્ટની પણ જરૂરીયાત રહેશે નહીં.
Press Release – In a major move towards taxpayer facilitation, Government rolls out facility of filing of NIL GST Return through SMS. pic.twitter.com/1yC0dkVMBy
સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વીટરે તા.5મી જુને ભારતની સૌથી મોટી દુધ ઉપ્તાદક સંસ્થા અમૂલના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર બેન લાદી દીધો હતો. અમૂલએ ટ્વીટર પર એક્ઝીટ ધ ડ્રેગન એવી પોસ્ટ મૂકતા ટ્વીટરએ આ પગલું ભર્યું હતું.
ટ્વિટર પર અમૂલના નવા ‘એક્ઝિટ ધ ડ્રેગન’ સ્લોગન સાથેની ક્રિએટિવ એડ જે ચાઈનિઝ પ્રોડક્ટના બહિષ્કાને સમર્થન આપે છે. જેને લઈને ટ્વિટરે આ પગલું ભર્યું હતું.
ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)ના ઉચ્ચ પદાધિકારી પણ ટ્વિટરની કોઈ પણ સૂચના વગરની ચેતવણીથી હેરાની અનુભવી રહ્યા છે.
કોરોના સંકટ વચ્ચે પડી ભાંગેલી અર્થવ્યવસ્થામાં નવા પ્રાણ ફૂંકવા માટે રાજ્ય સરકાર સક્રિય થઈ ગઈ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુરૂવારે ₹14,000 કરોડનાં આત્મનિર્ભર ગુજરાત પેકેજની જાહેરાત કરી છે.
100 યુનિટ વીજ બિલ માફ કરવાનો અને વેપારીઓને ₹એક લાખથી અઢી લાખની લોન 4 ટકા વ્યાજે આપવામાં આવશે. 4 ટકા વ્યાજ રાજ્ય સરકાર ચૂકવશે. આ માટે ₹300 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
રાજયના 92 લાખ વીજધારકો માટે 100 યુનિટ સુધીનું વીજ બિલ માફ કરવામાં આવશે. આ પેકેજમાં વાર્ષિક પ્રોપર્ટી ટેક્સમાં 20 ટકાની માફી આપવામાં આવી છે. નાની દુકાનો, પ્રોવીઝન સ્ટોર, મોબાઇલ મેડિકલમાં ત્રણ મહિના માટે 15 ટકા વીજ દર લેવામાં આવશે. તેનાથી 30 લાખ દુકાનદારો અને કારીગરોને ₹80 કરોડનો લાભ મળશે. આદિવાસી શ્રમિકના ઘરો માટે ₹350 કરોડની ફાળવણી કરી છે.
લોકડાઉનને કારણે પરિવહન ક્ષેત્રને મોટો ફટકો પડ્યો હોવાથી રાજ્ય સરકાર દ્વારા લક્ઝરી, કોન્ટ્રાક્ટ બેઝ બસો વગેરેનો 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર સુધીનો ટેક્સ માફ કરવાની જાહેરાત કરી છે, જે માટે સરકાર ₹230 કરોડ ભોગવશે. ₹460 કરોડનાં બાકી લેણાં અને પેનલ્ટી વ્યાજ વગેરેમાં માફી મળશે.
ખેડૂતો નાના ગોડાઉન બનાવે માટે ₹35,000ની સહાય જાહેર કરી છે. આ માટે ₹350 કરોડનું પેકેજ જાહેર કરાયું છે. મત્સ્ય ઉદ્યોગ માટે 40 ઇનપુટ સાધનોની ખરીદીમાં પણ ₹200 કરોડની સબસિડી જાહેર કરી છે. આત્મનિર્ભર ગુજરાત પેકેજ અંતર્ગત ₹એક લાખ સુધીની મુદતમાં છ ટકા વ્યાજ સરકાર ભરશે. મહિલા સખી મંડળને 0 ટકા વ્યાજે મળી રહે એ માટે ₹200 કરોડ રૂપિયાની યોજના જાહેર કરાઈ છે.
₹768 કરોડની કેપીટલ અને વ્યાજ સબસીડીનું 31 જુલાઇ 2020 સુધીમાં ચૂકવણું કરવામાં આવશે. જેના કારણે ઉદ્યોગોને નાણાં ભીડમાંથી મોટી રાહત મળશે. ટેક્ષટાઇલ ઉદ્યોગોને ₹450 કરોડ કેપીટલ અને વ્યાજ સબસીડીનું ચૂકવણું 31 જુલાઇ સુધીમાં કરવામાં આવશે.
કોવિડ-19ની મહામારીની વિકટ પરિસ્થિતિમાં રાજ્યના તમામ પ્રકારના ઔદ્યોગિક એકમોને લાભ મળી રહે તે જરુરી છે. જે અન્વયે મેગા ઇન્ડસ્ટ્રીઝને પણ ₹150 કરોડ કેપીટલ અને વ્યાજ સબસીડીનું 31 જુલાઇ સુધીમાં ચૂકવણું કરવામાં આવશે. રાજ્યના 3200 કરતા વધુ વેપારીઓને ₹1,200 કરોડનું પડતર વેટ અને GST રિફંડ 31 જુલાઇ સુધીમાં ચુકવવામાં આવશે જેથી આ વેપારીઓને નાણાં ભીડમાંથી રાહત મળશે.
વેરા સમાધાન યોજના-2019 હેઠળ 15 માર્ચ સુધી પ્રથમ હપ્તો ભરનારને ત્રણ માસની મુદત વધારી આપવામાં આવશે. આ યોજનાથી આશરે 26,000 વેપારીઓને લાભ મળશે.
વેટ અને કેન્દ્રીયકાયદાકીય જોગવાઇઓ હેઠળની લોકડાઉન દરમ્યાન પૂરી થતી મર્યાદાઓ અને મનાઇ હુકમોની મુદત લંબાવવામાં આવશે.
રાજ્યના 27,000થી વધુ ઉદ્યોગ સાહસિકોને વાજપેયી બેન્કેબલ યોજનામાં ₹190 કરોડની સબસીડીની રકમ 31 જુલાઇ સુધીમાં ચુકવવામાં આવશે. સોલર રુફ ટોપ યોજના હેઠળની 65000 કુટુંબો માટે ₹190 કરોડની સબસીડી 31 જુલાઇ સુધીમાં આપવામાં આવશે.
ગુજરાત એગ્રો-ઈન્ડસ્ટ્રીઝ કાર્પોરેશનના માધ્યમથી એગ્રો અને ફુડ પ્રોસેસીંગ એક્મોને ₹90 કરોડની કેપીટલ અને વ્યાજ સબસીડી 31 જુલાઇ સુધીમાં આપવામાં આવશે. ગુજરાત વેટ કાયદા હેઠળ વર્ષ 2016-17 અને 1-4-2017થી 30-06-2017 સુધીની આકારણીની કામગીરીમાં ₹10 કરોડથી ઓછું વાર્ષિક ટર્નઓવર ધરાવતા વેપારીઓના કિસ્સામાં આકારણી માટે આપવામાં આવેલી નોટીસ પરત ખેંચવામાં આવશે.
વિદેશી વેપારીઓ, આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાંતો અને એન્જિનિયરોને ભારતમાં આવવા દેવામાં આવશે, એમ સરકારે બુધવારે જાહેર કર્યું હતું. માર્ચમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યો તે પછી આવું પ્રથમ વાર થઇ રહ્યું છે.
ભારત આવવાના લોંગ ટર્મ મલ્ટિપલ એન્ટ્રી બિઝનેસ વિઝા હોય તેમણે ભારતીય દૂતાવાસ પાસેથી તેમના વિઝા ફરી માન્ય કરાવવા પડશે. ગૃહ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે બિઝનેસ વિઝા પર આવનારા વિદેશી વેપારીઓ, આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાતો, સંશોધકો, એન્જિનિયરો અને લૅબોરેટરી એન્જિનિયરોને ભારત આવવાની મંજૂરી આપવામાં આવશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ વિદેશીઓએ નવો બિઝનેસ વિઝા અથવા ઍમ્પ્લોયમેન્ટ વિઝા સંબંધીત વિદેશી દૂતાવાસો પાસેથી લેવાનો રહેશે.
દરમિયાન કોરોનાના કુલ કેસ વધીને બુધવારે ૨૦૭૬૧૫ નોંધાયા હતા અને મૃત્યાંક વધીને ૫૮૧૫ થયો હતો. ૧૦૦૩૦૩ લોકો સારા થયા છે તેવું કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું હતું.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.