બિઝનેસ Archives - Page 46 of 90 - CIA Live

July 2, 2020
coronil.jpg
1min4790

કેન્દ્રીય આયુષ મંત્રાલયે બાબા રામદેવની પતંજલિ કંપનીને ‘કોરોનીલ’ની દવા રોગપ્રતિકારક શક્તિ વધારવાની દવા તરીકે વેચવાની મંજૂરી આપી છે.

બાબા રામદેવએ આ દવાને કોવિડ-૧૯ની દવા તરીકે જાહેરાત કર્યા બાદ આયુષ મંત્રાલયે હંગામી ધોરણે એની જાહેરાત અને વેચાણ પર પ્રતિબંધ લાદ્યો હતો. પતંજલિએ આ મામલે એવો દાવો કર્યો હતો કે એમણે કોવિડ-૧૯ના સંચાલન પર કામ કર્યું હોવાની વાત તાર્કિક રીતે આયુષ મંત્રાલયે સ્વીકારી છે અને એમની કંપની વચ્ચે કોઇ મતભેદ નથી. બાબા રામદેવે જણાવ્યું હતું કે હું લોકોને જણાવવા માગુ છું કે આ દવાના વેચાણ પર હવે કોઇ પ્રતિબંધ નથી. આજથી એ દેશભરમાં વેચાણ માટે ઉપલબ્ધ રહેશે.

આયુષ મંત્રાલયે એમને કોવિડ ટ્રીટમેન્ટને બદલે કોવિડ સંચાલન શબ્દ વાપરવા જણાવ્યું છે અને તેઓ એવું જ કરશે.

આયુષ મંત્રાલયે આ દવાના વેચાણ માટે પરવાનગી આપી હોવાની વાત સ્વીકારતા જણાવ્યું હતું કે એમણે આ દવા કોરોનાની દવા તરીકે નહીં, પણ રોગપ્રતિકારક શક્તિ વધારવાની દવા તરીકે વેચવાની મંજૂરી આપી છે.

June 30, 2020
tatasteel.jpg
1min5220

ટાટા સ્ટીલે 29 June 2020 સોમવારે માર્ચ ક્વાર્ટરના પરિણામની જાહેરાત કરી હતી જેમાં તેણે ₹1,615.35 કરોડની સંગઠિત ચોખ્ખી ખોટ નોંધાવી હતી. કંપનીએ એક વર્ષ અગાઉ સમાન ગાળામાં ₹2,295.25 કરોડનો નફો નોંધાવ્યો હતો તેમ તેણે BSE ફાઇલિંગમાં જણાવ્યું હતું.

કંપનીની સંગઠિત આવક જાન્યુઆરી-માર્ચ 2019 ગા‌ળામાં ઘટીને ₹35,085.86 કરોડ થઈ હતી જે અગાઉના નાણાકીય વર્ષમાં ₹42,913.73 કરોડ હતી. કંપનીનો કુલ ખર્ચ આ ગાળામાં ₹33,272.29 કરોડ નોંધાયો હતો. જે એક વર્ષ અગાઉના સમાન ગાળામાં ₹38,728.87 કરોડ હતો. કંપનીનો શેર બીએસઇ પર 0.82 ટકા ઘટીને ₹321.25 બંધ આવ્યો હતો.

ટાટા સ્ટીલે 2019-’20ના સમગ્ર નાણાકીય વર્ષમાં ₹2,719.58 કરોડનો સંગઠિત ચોખ્ખો નફો નોંધાવ્યો છે જે વાર્ષિક ધોરણે 73.55 ટકાનો ઘટાડો દર્શાવે છે. સ્ટીલ કંપનીએ 2018-’19ના નાણાકીય વર્ષમાં ₹10,283.45 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો.

નાણાકીય વર્ષ 2020ના સમગ્ર ગાળા દરમિયાન કંપનીની સંગઠિત આવક ઘટીને ₹1.41 લાખ કરોડ થઈ હતી જે નાણાકીય વર્ષ 2019 દરમિયાન 1.59 લાખ કરોડ હતી. નાણાકીય વર્ષ 2020ના ચોથા ક્વાર્ટરમાં સંગઠિત ચોખ્ખી ખોટ ₹1,095.68 કરોડ હતી જ્યારે ગયા વર્ષના સમાન ગાળામાં કંપનીએ ₹2,430 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો.

નોન કરન્ટ એસેટ માટે ₹3,141 કરોડના ઇમ્પેરમેન્ટના કારણે કંપનીની નફામાં ગાબડું પડ્યું હતું. કંપનીની સંગઠિત આવક 20.40 ટકા ઘટીને ₹33,769.95 કરોડ થઈ હતી જે નાણાકીય વર્ષ 2019ના ચોથા ક્વાર્ટરમાં ₹42,423.86 કરોડ હતી.

ટાટા સ્ટીલના બોર્ડે ₹10ના ઓર્ડિનરી શેર દીઠ ₹10ના ડિવિડન્ડની (100 ટકા) જાહેરાત કરી હતી અને ₹10ના પાર્ટલી પેઇડ ઓર્ડિનરી શેર દીઠ ₹2.504ના ડિવિડન્ડની ભલામણ કરી હતી. કોવિડ-19ના કારણે તમામ કંપનીઓને અસર થઈ છે જેમાં ટાટા સ્ટીલ પણ સામેલ છે. લોકડાઉનના કારણે કંપનીના સેલ્સ વોલ્યુમ, મિક્સ અને મળતરમાં ઘટાડો થયો છે.

હાલના ક્વાર્ટરમાં આ અસર માર્ચ 2020ના પાછલા ભાગ પૂરતી મર્યાદિત હતી. કંપનીની યુરોપ, સાઉથ ઈસ્ટ એશિયા અને કેનેડા ખાતેની કામગીરીમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે અને જ્યાં મંજૂરી મળી છે ત્યાં સ્થાનિક માર્ગદર્શિકા પ્રમાણે કામગીરી થાય છે.

June 30, 2020
diamond.png
1min7410

અમદાવાદ બાદ હવે સુરતમાં પણ દરરોજ કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. આ સ્થિતિમાં અનલોક-1 જાહેર કર્યા બાદ ફરી ધંધા ઉદ્યોગો શરૂ થયા છે. તેવામાં પણ ખાસ કરીને હિરા ઉદ્યોગમાં કામ કરતા લોકોમાં કેસ વધારે સામે આવી રહ્યા છે. આ સ્થિતિને ગંભીરતાથી લેતા સુરત મહાનગર પાલિકા દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં ચાલતા હિરાના કારખાનાઓ ક્લસ્ટર તરીકે જાહેર કરી સાત દિવસ બંધ રાખવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે.

file photo diamond factory

આ અંગે સુરત મહાનગરપાલિકાના કમિશન બંછાનિધિ પાનીએ કહ્યું છું કે, સુરત શહેરના કેટલાક ડાયમંડ યુનિટ્સમાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવામાં આવતું નથી તેમજ માસ્ક ન પહેરવાના કારણે આવા કારખાનાઓમાં કામ કરતા કારીગરો તથા તેમના પરિવારજનોમાં કોરોનાનું સંક્રમણ વધારે જોવા મળી રહ્યું છે.

આ અંગે તેમણે વધુમાં કહ્યું કે આ સ્થિતિમાં SMCના નોર્થ ઝોન એટલે કે લાલદરવાજા, કતારગામ સહિતના વિસ્તારમાં આવેલા તમામ કારખાનાઓને ‘ક્લસ્ટર’ જાહેર કરવામાં આવે છે. તેમજ આ તમામ કારખાનાઓ સાત દિવસ માટે બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

June 29, 2020
sensex_down.jpg
1min4750

તા.29મી જુન 2020ને ઉઘડતા અઠવાડીયાના પહેલા દિવસ, સોમવારે વૈશ્વિક લાઇન અને અપેક્ષા મુજબ ભારતીય શેરબજારના મુખ્ય ઇન્ડેક્ષ સેન્સેક્સ ડાઉન ગેપમાં ખૂલ્યો હતો અને એ પછી વધુ ગગડ્યો હતો. શેરબજાર સવા નવ કલાકે શરૂ થયાની ગણતરીની મિનિટો બાદ સેન્સેક્સ 330 પોઈન્ટ્સ ઘટીને ટ્રેડ થઈ રહ્યો હતો. વીકલી ઓપ્શન ડેટામાંથી શેરબજાર નીચે ગેપમાં ખૂલવાનો સંકેત મળ્યો હતો.

આજે સવારથી જ બેન્ક, ફાઈનાન્સ, IT,ટેકનો અને પાવર શેરોમાં ધૂમ વેચવાલી જોવા મળી હતી જ્યારે FMCG, હેલ્થકેર અને રિયલ્ટી શેરોમાં લેવાલી જોવા મળી હતી.

સવારે 9.30 વાગ્યે BSE સેન્સેક્સ 255.92 પોઈન્ટ્સ અથવા 0.73 ટકા ગગડીને 34,915.35 પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ 69.20 પોઈન્ટ્સ અથવા 0.67 ટકા ગગડીને 10,313.80 પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.55 ટકા અને 0.58 ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા.

શુક્રવારે પુટની સરખામણીમાં કોલનું વધુ સંખ્યામાં વેચાણ થયું હતું. આ ઉપરાંત એફઆઇઆઇ પણ ઇન્ડેક્સ ફ્યુચર્સમાં નેટ શોર્ટ છે, જે ઇન્ડેક્સમાં નજીકના ગાળામાં દબાણનો સંકેત આપે છે.

અમેરિકામાં કોરોના વાઇરસના વધતા જતાં કેસોથી આર્થિક રિકવરીની પ્રક્રિયા અટકી જવાની શક્યતાને કારણે શુક્રવારે ડાઉ જોન્સ ઇન્ડેક્સમાં ત્રણ ટકા કરેક્શન આવ્યું હતું.

June 29, 2020
SpiceJet-MAX2.jpg
1min4770

કોરોના અગાઉ તેમની કુલ ક્ષમતાના ૪૫ ટકા જેટલી પ્રવાસી ડૉમેસ્ટિક ફ્લાઈટ્સ ઑપરેટ કરવાની સરકારે ઍરલાઈન્સને શુક્રવારે પરવાનગી આપી હતી.

કોરોના વાઈરસને કારણે જાહેર કરવામાં આવેલા લૉકડાઉનના બે મહિના બાદ પચીસ મેથી ઉડ્ડયન ખાતાએ ૩૦ ટકા ક્ષમતા સાથે ડૉમેસ્ટિક પ્રવાસી ફ્લાઈટ્સ શરૂ કરવાની પરવાનગી આપી હતી.

નવા આદેશમાં આ ક્ષમતા ૩૦ ટકાથી વધારીને ૪૫ ટકા સુધી લઈ જવાની પરવાનગી આપવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતું.

જોકે, ૨૩ માર્ચથી બંધ કરવામાં આવેલી આંતરરાષ્ટ્રીય વિમાનસેવા આગામી આદેશ બહાર પાડવામાં ન આવે ત્યાં સુધી બંધ રહેશે, એમ તેમણે કહ્યું હતું.

June 25, 2020
rbi.jpeg
1min4630

કેન્દ્રના પ્રધાનમંડળની બુધવારે યોજાયેલી બેઠકમાં ૧૪૮૨ શહેરી કૉ-ઓપરેટિવ બૅન્ક અને ૫૮ આંતરરાજ્ય કો-ઓપરેટિવ બૅન્ક સહિત સરકારી બૅન્કોને આરબીઆઈના સુપરવિઝન હેઠળ લાવવાની જાહેરાત કરી હતી.

આ બૅન્કોમાં અંદાજે ૮.૬ કરોડ જેટલા ડિપોઝિટર છે, એમ તેમણે કહ્યું હતું.

પંજાબ ઍન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ (પીએમસી) બૅન્ક કૌભાંડને પગલે લાખો ડિપોઝિટરો સમસ્યાનો સામનો કરી રહ્યા હોવા વચ્ચે પ્રધાનમંડળ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયને મહત્ત્વનો માનવામાં આવી રહ્યો છે.

અગાઉ, પ્રધાનમંડળે પીએમસી બૅન્ક જેવી કટોકટીનું પુનરાવર્તન ટાળવા અને કો-ઓપરેટિવ બૅન્કોને વધુ મજબૂત બનાવવા બૅન્કિંગ રૅગ્યૂલેશન ઍક્ટમાં સુધારાને મંજૂરી આપી હતી.

ડિપોઝિટરના નાણાં સલામત હોવાની બાંયધરી પણ તેમણે આપી હતી અને કહ્યું હતું કે એ અંગેનો વટહુકમ ઘડી કાઢવામાં આવશે.

પ્રસારમાધ્યમને સંબોધન કરતા કેન્દ્રના પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે નિયમિત બૅન્કોને લાગુ પડતા આરબીઆઈના તમામ નિયમો હવે કો-ઓપરેટિવ બૅન્કોને પણ લાગુ પડશે.

પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ શીશુ લૉન શ્રેણીના લેણદારને વ્યાજમાં બે ટકા રાહત આપવાનો પણ પ્રધાનમંડળની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે, એમ તેમણે કહ્યું હતું.

અન્ય પછાતજાતિમાં પેટા વર્ગીકરણના મુદ્દાને ચકાસવા બંધારણની કલમ ૩૪૦ હેઠળ રચવામાં આવેલા પંચની મુદત છ મહિના લંબાવીને આવતા વર્ષની ૩૧મી જાન્યુઆરી સુધી કરવાના પ્રસ્તાવને પણ બેઠકમાં મંજૂરી આપવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતું.

ડેરી, મરઘાંબતકાં ઉછેર કેન્દ્ર અને માંસની પ્રક્રિયાને પ્રોત્સાહન આપવા પ્રધાનમંડળે રૂ. ૧૫,૦૦૦ કરોડના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડને મંજૂરી આપી હતી.

અવકાશી પ્રવૃત્તિઓ માટે ખાનગી ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવતાં જિતેન્દ્રસિંહે કહ્યું હતું કે નવું જ રચવામાં આવેલું ઈન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન ઍન્ડ ઑથોરાઈઝેશન સેન્ટર ખાનગી કંપનીઓને પણ ભારતીય અવકાશના માળખાનો ઉપયોગ કરવાની સમાન તક આપશે.

મત્સ્ય, પશુસંવર્ધન અને ડેરી ઉદ્યોગના પ્રધાન ગીરીરાજસિંહે કહ્યું હતું કે પશુસંવર્ધન માળખા માટે વિકાસ ભંડોળ સ્થાપવાને પણ પ્રધાનમંડળે મંજૂરી આપી હતી. પાત્ર લાભાર્થીને સરકાર વ્યાજમાં ત્રણ ટકા રાહત આપશે, એમ તેમણે કહ્યું હતું.

મ્યાનમારસ્થિત બ્લૉક એ-૧ અને એ-૩ના વિકાસ માટે ઓએનજીસી વિદેશ લિ. દ્વારા કરવામાં આવનારા વધારાના રોકાણને પણ બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી.

June 22, 2020
petrol-diesel-1.jpg
1min4520

દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત ૧૫મા દિવસે ભાવવધારો થયો હતો.

મુંબઇમાં પેટ્રોલનો ભાવ ૩૪ પૈસા વધીને લિટર દીઠ રૂ. ૮૬.૦૪ થયો હતો, જ્યારે ડીઝલનો ભાવ ૫૮ પૈસા વધીને રૂ. ૭૬.૬૯ થયો હતો.

દિલ્હીમાં પેટ્રોલના ભાવ ૩૫ પૈસા વધીને લિટર દીઠ રૂ. ૭૯.૨૩ થયા હતા અને ડીઝલના ભાવ ૬૦ પૈસા વધીને લિટર દીઠ રૂ. ૭૮.૨૭ થયા હતા.

કોલકાતામાં પેટ્રોલના ભાવ લિટર દીઠ રૂ. ૮૦.૯૫ થયા હતા અને ડીઝલના ભાવ લિટર દીઠ રૂ. ૭૩.૬૧ થયા હતા.

સ્થાનિક સેલ્સ ટૅક્સ અથવા વૅટના આધારે દરેક રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અલગ અલગ ભાવવધારો થાય છે. પંદર દિવસ સતત ભાવવધારો કર્યા બાદ પેટ્રોલના ભાવ લગભગ આઠ રૂપિયા વધી ગયા છે અને ડીઝલના ભાવ ૮.૮૮ રૂપિયા વધી ગયા છે.

પેટ્રોલ અને ડીઝલના છૂટક વેચાણ ભાવમાં લગભગ બે તૃતીયાંશ ભાગ એટલે કે લગભગ ૬૩ ટકા તો ટૅક્સ હોય છે.

June 18, 2020
CIA_Live_Logo_New2.jpg
1min5150

Surat Cityની હદમાંથી સચીન GIDC બાકાત

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ગુજરાત સરકારના અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા આજે તા.18મી જુન 2020ના રોજ જાહેર કરવામાં આવેલા સુરત શહેરના હદ વિસ્તરણમાંથી સચીન ઇન્ડસ્ટ્રીયલ નોટીફાઇડ એરીયાને બાકાત રાખવામાં આવ્યો છે.

સચીન જીઆઇડીસીને સુરત શહેરની હદમાંથી બાકાત રાખવાના કારણે હાલ તુરત તો સચીન જીઆઇડીસીના ઉદ્યોગકારો સુરત મહાનગરપાલિકાના કરવેરામાંથી બચી ગયા છે. કેમ કે જો સચીન જીઆઇડીસી એટલે કે ઇન્ડસ્ટ્રીયલ નોટીફાઇડ એરીયાને સુરત શહેરની હદમાં સામેલ કરવામાં આવ્યા હોત તો સુરત મહાનગરપાલિકા ઉદ્યોગોની આકારણી કરીને તેમની પાસેથી વેરા વસુલાત શરૂ કરી શકે અને જાણકારો કહે છે કે સચીનના એકએક ઇન્ડસ્ટ્રીયલ યુનિટને તેના વિસ્તાર પ્રમાણે લાખથી બે લાખ જેટલો વેરો ભરપાઇ કરવાનો આવે એમ છે.

Surat City Limit Expansion Notification

અહીં નિર્દેશ કરાયો છે કે સચીન ઇન્ડસ્ટ્રીયલ નોટીફાઇડ એરીયા એક્સક્લુડીંગ

પરંતુ, હાલ તુરત તો સુરત શહેરની હદમાં સચીન ઇન્ડસ્ટ્રીયલ નોટીફાઇડ એરીયાને સામેલ કરવામાં આવ્યો ન હોઇ, સચીનના ઉદ્યોગકારો સુરત મહાનગરપાલિકાના તોતીંગ વેરામાંથી બચી ગયા છે પરંતુ, એ ક્યાં સુધી બચી શકે છે એ જોવાનું રહે છે.

કેમકે ભૂતકાળમાં જ્યારે સુરતનું હદ વિસ્તરણ થયું હતું ત્યારે ઉધના, પાંડેસરા વગેરે જીઆઇડીસીનો સમાવેશ કરાયો ન હતો. પરંતુ, સુરત મહાનગરપાલિકાએ સ્વબળે જ વેરો ઉઘરાવવાનું શરૂ કરી દેતા આખરે એ વિસ્તારોને સુરત મહાનગરપાલિકાની હદમાં સામેલ કરીને તેમને ઇન્ડસ્ટ્રીયલ એરીયા તરીકે ડીનોટીફાઇડ જાહેર કરવામાં આવ્યા હતા.

પાંડેસરા જીઆઇડીસી સુરત શહેરની હદમાં ન હતી ત્યારે સુરત મહાનગરપાલિકાએ એવી દલીલ કરી હતી કે મ્યુનિસિપલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને જ પાંડેસરાના ઉધોગો ચાલી રહ્યા હોઇ, સુરત મહાનગરપાલિકા ઉદ્યોગો પાસેથી વેરો ઉઘરાવી શકે. હવે સચીન જીઆઇડીસી ક્યાં સુધી પાલિકાના વેરામાંથી બચી શકે છે એ જોવું રહ્યું.

June 18, 2020
petrol-diesel-1.jpg
1min4650

દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત ૧૧મા દિવસે ભાવવધારો થયો હતો.

મુંબઇમાં પેટ્રોલનો ભાવ ૫૩ પૈસા વધીને લિટર દીઠ રૂ. ૮૪.૧૫ થયો હતો, જ્યારે ડીઝલનો ભાવ ૫૭ પૈસા વધીને રૂ. ૭૪.૩૨ થયો હતો.

દિલ્હીમાં પેટ્રોલના ભાવ ૫૫ પૈસા વધીને લિટર દીઠ રૂ. ૭૭.૨૮ થયા હતા અને ડીઝલના ભાવ ૪૦ પૈસા વધીને લિટર દીઠ રૂ. ૭૫.૧૯ થયા હતા.

સ્થાનિક સેલ્સ ટૅક્સ અથવા વૅટના આધારે દરેક રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અલગ અલગ ભાવ વધારો થાય છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવવધારા સામે જોરદાર વિરોધ થઈ રહ્યો છે.

June 16, 2020
petrol-diesel-1.jpg
1min5040

પેટ્રોલ, ડીઝલના ભાવમાં સતત નવમા દિવસે દર વધારો થયો હતો. સોમવારે પેટ્રોલના દરમાં ૪૮ પૈસાનો અને ડીઝલના દરમાં ૨૩ પૈસાનો વધારો થયો હતો. ગુજરાતમાં પેટ્રોલ, ડીઝલના ભાવમાં રૂા. ૨નો વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલના દર પ્રતિ લિટરે રૂ. ૭૫.૭૮થી વધીને રૂ. ૭૬.૨૬ થયા હતા, જ્યારે ડીઝલના દર પ્રતિ લિટરે રૂ. ૭૪.૦૩થી વધીને રૂ. ૭૪.૨૬ થયા હતા, એમ સ્ટેટ ઓઇલ માર્કેટિંગ કંપનીના પ્રાઇસ નોટિફિકેશનમાં જણાવાયું હતું.

સંપૂર્ણ દેશમાં આ વધારો લાગુ થયો છે અને દરેક રાજ્યમાં સ્થાનિક સેલ્સ ટેક્સ અથવા વેટને આધારે તેના દર અલગ અલગ હશે. સાતમી જૂનથી ઓઇલ કંપનીઓએ દરમાં સુધારો કરવાનું શરૂ કર્યા બાદ સતત નવમા દિવસે પેટ્રોલ-ડીઝલના દરમાં વધારો થયો હતો.

નવ દિવસમાં પેટ્રોલના દરમાં પ્રતિ લિટરે રૂ. પાંચ અને ડીઝલના દરમાં પ્રતિ લિટરે રૂ. ૪.૮૭નો વધારો થયો હતો.

વધારાનું ભંડોળ ભેગુ કરવા માટે સરકારે પેટ્રોલ-ડીઝલની એક્સાઇઝ ડ્યૂટીમાં વધારો કર્યા બાદ માર્ચના મધ્યમાં દરને ફ્રીઝ કરવામાં આવ્યા હતા.