જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
રેરા કાયદાને કારણે જમીન, મકાન સાથે સંકળાયેલા ગ્રાહકોથી લઇને બિલ્ડર્સ સુધીના લોકોને એક યા બીજા કારણોસર ફાયદો થયો છે પણ રિયલ એસ્ટેટ ધંધા સાથે સંકળાયેલા બ્રોકર્સ (દલાલો) મુશ્કેલીમાં મૂકાયા છે. રેરામાં એવી જોગવાઇ કરવામાં આવી છે કે રિયલ એસ્ટેટ બ્રોકર જે રાજ્યમાં કામ કરે એ રાજ્યમાં રેરા અન્વયે તેનું રજિસ્ટ્રેશન કરાવેલું હોવું ફરજિયાત છે, એ સિવાય એ કામગીરી કરી શકે નહીં. રેરામાં રિયલ એસ્ટેટ બ્રોકર્સ સામેની આ અન્યાયી જોગવાઇ દૂર કરાવવા માટે સુરત ખાતેથી રાજ્ય અને કેન્દ્ર સરકારમાં રજૂઆતોનો દૌર ચલાવવામાં આવશે.
સુરતમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રના બ્રોકર્સ અગ્રણી અજિતભાઇ શાહ અને હેમલભાઇ ભટ્ટે સી.આઇ.એ. લાઇવ ન્યુઝ વેબ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે વ્યવસાયે તબીબ હોય કે પછી ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ એક તેમનું એક જ વખત રજિસ્ટ્રેશન થાય છે અને તેઓ આખા દેશમાં કોઇપમ સ્થળે પોતાનું કામકાજ કરી શકે તેમ છે. પરંતુ, રિયલ એસ્ટેટ બ્રોકર્સે જો જુદા જુદા રાજ્યોમાં કામ કરવું હોય તો તેમને દરેક રાજ્યે રાજ્યે રેરા કાયદા અન્વયે રજિસ્ટ્રેશન કરાવવું પડે છે. મહત્વની વાત છે કે રજિસ્ટ્રેશનનો ચાર્જ દરેક રાજ્યમાં અલગ અલગ છે, બ્રોકર્સ માટે આ અન્યાયી જોગવાઇ છે જેને દૂર કરીને રેરા અન્વયે ફક્ત એક વખતનું રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ બ્રોકર્સ આખા દેશમાં ગમે ત્યાં કામ કરી શકે તેવી જોગવાઇ કરવા માટે રજૂઆતો કરવામાં આવશે.
આજે સુરતના બ્રોકર્સ અગ્રણીઓએ સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ શ્રી દિનેશભાઇ નાવડીયાને મળીને ચેમ્બર તરફથી પણ આ અંગે સરકારમાં રજૂઆત કરવામાં આવે તેવી માગણી કરી હતી.











