દોઢ વર્ષ પહેલા ભારતમાં પહેલી વખત એવું બન્યું હતું કે પેટ્રોલ કરતા ડીઝલનો ભાવ વધી ગયો હતો. આવું ઇતિહાસમાં પહેલી વખત બનતા તમામને નવાઇ લાગી હતી કેમકે ડિઝલ પેટ્રોલથી સસ્તું મળી રહ્યું હતું. એવું જ કંઇક ખાદ્યતેલોના ભાવમાં બન્યું છે. લોકોએ સ્વપનેય વિચાર્યું ન હતું કે કપાસીયા તેલનો ભાવ સિંગતેલ કરતા વધી જશે અને એવું જ બન્યું છે. સિંગતેલ કરતા કપાસીયા તેલનો ભાવ વધી જતા લોકોમાં ભારે અચરજ ફેલાયું છે. કપાસીયા તેલ સિંગતેલથી બહું જ સસ્તુ મળી રહ્યું હતું.
ઇતિહાસમાં પહેલીવાર કપાસિયા તેલના ભાવે સિંગતેલના ભાવને ટપી ગયા છે અને રાજકોટમાં સિંગતેલના ડબ્બે રુ.10 ઉંચા ભાવે સોદા થયા હતા. અત્યાર સુધી એવું જ જોવા મળ્યું છે કે સિંગતેલના ભાવ ઉંચા હોય કરકસર માટે લોકો કપાસિયા તેલ તરફ વળ્યા હતા પરંતુ, પ્રથમવાર બજારમાં ઉલ્ટુ ચિત્ર સર્જાતા ભારે અચરજ ફેલાયું છે.
રાજકોટમાં તા.4 ઓગસ્ટ 2021ના રોજ જથ્થાબજારમાં 15 કિલો સિંગતેલ નવા ડબ્બાના સોદા રુ.2435થી મહત્તમ રુ. 2485ના ભાવે પડ્યા હતા. તા.5 ઓગસ્ટે પણ તેના ભાવ આટલા જ રહ્યા હતા. જ્યારે તા.4 ઓગસ્ટે રુ. 2435થી 2465 વચ્ચે વેચાયેલ કપાસિયા તેલમાં તા.5મી ઓગસ્ટે રુ.10નો વધારો થતાં તા.5મી ઓગસ્ટે કપાસિયા તેલના ડબ્બાના રુ. 2455-2485ના ભાવે સોદા થયા હતા.
ગુજરાત એડીબલ ઓઈલ એન્ડ ઓઈલ સીડ્ઝ એસો. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે ભૂતકાળમાં કપાસિયા તેલના ભાવમાં આવી ઉથલપાથલ થઈ નથી. તેમણે આ સાથે ઉમેર્યું કે એવું લાગી રહ્યું છે કે સિંગતેલના ભાવ માંગ અને પૂરવઠા મૂજબ છે ત્યારે કપાસિયા તેલમાં સટ્ટાખોરીથી ભાવ વધ્યા છે.
પામોલીન તેલમાં સરકારે આયાત માટે છૂટછાટ આપી છે, 30 સપ્ટેમ્બર સુધી ડયુટીમાં પણ ઘટાડો કર્યો છે છતાં પામોલીન તેલના ભાવ ઘટવાને બદલે વધી રહ્યા છે.
રાજકોટ માર્કેટયાર્ડમાં તા.6 ઓગસ્ટે કપાસિયાનો સૌથી ઉંચો રુ. 1790 સુધીના ભાવ મળ્યા હતા. યાર્ડમાં 250 ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી. માત્ર એક સપ્તાહમાં જ કપાસના પ્રતિ મણ દીઠ ભાવમાં રુ.57નો વધારો થયો છે. આ ઉપરાંત સોયાબીન, સન ફ્લાવર અને પામોલિન સહિતના તેલો કરતાં કપાસિયા તેલ સસ્તુ હોવાથી તેનો વધુ વપરાશ અને સામી બાજુ કપાસિયા તેલની શોર્ટેજ આ કારણો પણ ભાવ વધારા માટે જવાબદાર છે.
નિકાસને પ્રોત્સાહન આપવા માટે યોજાયેલી પરિષદમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે હાલ આપણે જીડીપીની ૨૦ ટકા જેટલી નિકાસ કરીએ છીએ અને કોવિડ બાદના વિશ્ર્વમાં નિકાસ ૪૦૦ અબજ ડોલર સુધી વધારવાની મબલક તક પડી છે.
એમણે ઉદ્યોગપતિઓ અને નિકાસકારોને આ તકનો લાભ લેવાની હાકલ કરી હતી. ભારતીય દૂતાવાસો અને એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલને સંબોધતા એમણે જણાવ્યું હતું કે આપણે દરેક ક્ષેત્રે વૈશ્ર્વિક ઉસ્તાદો પેદા કરવા પડશે. ઉત્પાદનને આધારે પ્રોત્સાહન આપવાની યોજના સરકારની ‘ઇમરજન્સી ક્રૅડિટ લાઇન ગૅરન્ટી સ્કીમ’ ઉદ્યોગજગતને સ્થાનિક ઉત્પાદન વધારવામાં મદદ કરશે. સ્થાનિક મોબાઇલ ફોન ઉત્પાદનના
ક્ષેત્રે આયાત આઠ અબજ ડોલરથી ઘટીને બે અબજ ડોલર થઇ છે અને નિકાસ જે અગાઉ ૦.૩ અબજ ડોલર હતુ, એ વધીને ૩ અબજ ડોલર થયુ હોવાની વાત પણ એમણે જણાવી હતી. એમણે વધુમાં જણાવ્યું હતું કે પાછલી અસરથી કરો નાબૂદ કરવાના નિર્ણય અમારી કટિબદ્ધતા અને નીતિમાં સમતોલપણું જાળવવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય વસ્તુઓની નિકાસ માટે નવા ઠેકાણાં શોધવાની વાત પર જોર આપતા જણાવ્યું હતું કે ભારતના વિદેશમાં રહેલા દૂતાવાસોએ ભારતીય વસ્તુઓના વેચાણ માટે નવા ઠેકાણાં શોધવા જોઇએ.
કુમાર મંગલમ બિરલાએ વોડાફોન આઈડિયાના નોન-એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન પદેથી રાજીનામું આપી દીધું છે.
વોડાફોન આઈડિયાના બોર્ડે તેમનું રાજીનામું મંજૂરી કરી લીધું છે. કંપનીએ આ અંગે બીએસઈને જાણકારી આપી છે. કંપનીએ કહ્યું છે કે, બિરલાના રાજીનામા બાદ હિમાંશુ કપાણિયાને એકમતે નવા નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન બનાવાયા છે.
હિમાંશુ કમાણિયા હાલમાં વોડાફોન આઈડિયાના નોન-એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર છે. કપાણિયા વોડાફોન આઈડિયાના બોર્ડમાં આદિત્ય બિરલા ગ્રુપના નોમિની છે. તેમને ટેલિકોમ ઈન્ડસ્ટ્રીનો 25 વર્ષનો અનુભવ છે. તેમને દુનિયાની દિગ્ગજ ટેલિકોમ કંપનીઓના બોર્ડનો પણ અનુભવ છે. ત ગ્લોબલ જીએસએમએના બોર્ડમાં પણ બે વર્ષ સુધી રહ્યા છે. તેઓ બે વર્ષ માટે સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (સીઓએએલ)ના ચેરમેન પણ રહી ચૂક્યા છે.
કમાણિયા હાલમાં ટેલિકોમ, ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ડિજિટલ ઈકોનોમી પર ફિક્કીની કાઉન્સિલના ચેરમેન છે. કંપનીએ કહ્યું કે, નોમિનેશન એન્ડ રેમ્યુનરેશન કમિટીની ભલામણ પર બોર્ડે સુશીલ અગ્રવાલને આદિત્ય બિરલા ગ્રુપના નોમિનીના રૂપમાં એડિશનલ ડાયરેક્ટર નિયુક્ત કરાયા છે.
વોડાફોન આઈડિયા ગંભીર નાણાકીય સંકટમાંથી પસાર થઈ રહ્યા છે. ફંડ મેળવવાના તેના પ્રયાસો નિષ્ફળ રહ્યા છે. તેના ગ્રાહકોની સંખ્યા સતત ઘટી રહ્યા છે. કામકાજ ચાલુ રાખવા માટે પણ તેની પાસ પૂરતા રૂપિયા નથી. તેણે સરકારને એજીઆરની મોટી રકમ ચૂકવવાની છે. 31 ઓગસ્ટ, 2018માં વોડાફોન આઈડિયા અને આઈડિયા સેલ્યુલરનું વિલનીકરણ થયું હતું. ત્યારથી આ કંપની સતત ખોટમાં છે. તેના પર 1.8 લાખ કરોડ રૂપિયાનું દેવું છે.
વૈશ્વિકના શેર બજારોની સાથે તેજીનું સંતુલન જાળવતા ભારતીય શેરબજારોમાં આજે આગઝરતી તેજી જોવા મળી હતી. આજે તા.3 ઓગસ્ટે બપોરે બપોરે 1 વાગ્યાની સ્થિતિએ નિફ્ટી ફિફ્ટી ઇન્ડેક્ષમાં ઐતિહાસિક 16000ની સપાટી વટાવી દીધી હતી. સેન્સેક્સમાં પણ 525 પોઈન્ટ્સના ઉછાળા સાથે 53,475ની સપાટી નોંધાઇ હતી.
આજે વધનારા શેર્સમાં મોટાભાગે બેન્કિંગ, આઈટી, ફાર્મા અને FMCG શેર્સનો સમાવેશ થાય છે. આઈટી ઈન્ડેક્સની વાત કરીએ તો એમ્ફેસિસ 3.21 ટકા અને ટાટા એલેક્સી 2.78 ટકાના ઉછાળા સાથે ટોપ પર રહ્યા છે. આ સિવાય ટીસીએસ, ઈન્ફોસિસ પણ આજની તેજીમાં દોડી રહ્યા છે. રિયલ એસ્ટેટ સ્ટોક્સમાં પણ ખરીદી યથાવત જોવા મળી રહી છે.
ટાઈટન 3.89 ટકાના ઉછાળા સાથે 1839ની સપાટી પર ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે HDFC 3.24 ટકાના ઉછાળા સાથે બીજા નંબરે હતો. આ સિવાય સન ફાર્મા, ભારતી એરટેલ, ઈન્ડસિન્ડ બેન્ક, ટીસીએસ, એશિયન પેઈન્ટ્સ, એસબીઆઈ, HUL, એક્સિસ જેવા શેર્સ પણ ઉછાળે ટ્રેડ થઈ રહ્યા છે. ઈન્ફોસિસનો શેર પણ આજે પોતાની ઓલટાઈમ હાઈ સપાટીને સ્પર્શી જતાં તેનું માર્કેટ કેપ 7 લાખ કરોડના સ્તરને વટાવી ગયું હતું.
વડા પ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું કે સરકાર અને લાભાર્થી વચ્ચે મર્યાદિત સંપર્ક સહિત ચોક્કસ રીતે અને લીક પ્રૂફ રીતે ચોક્કસ લાભાર્થીને લાભ મળી શકે એ માટે સરકાર ઘણા વર્ષોથી પ્રયત્ન કરી રહી છે.
ઇ-રૂપી ચૂકવણી માટે કેશલેસ અને કૉન્ટેક્ટલેશ સાધન છે. આ ક્યુઆર કૉડ અથવા એસએમએસ સ્ટ્રીંગ આધારિત ઇ-વાઉચર છે અને એને લાભાર્થીના મોબાઇલ પર મોકલવામાં આવશે. આ ઇ-રૂપી મેળવનાર લાભાર્થી ચોક્કસ કેન્દ્રો પર જઇને ઇ-રૂપી વાઉચરને કોઇપણ કાર્ડ, ઇન્ટરનેટ બૅન્કિંગ અથવા કોઇપણ જાતની ઍપની વગર વટાવી શકશે.
નૅશનલ પેમેંટ્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયાએ પોતાના યુપીઆઇ પ્લેટફૉર્મ પર વિત્તિય સેવા વિભાગ, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તથા રાષ્ટ્રીય સ્વાસ્થ્ય પ્રાધિકરણના સહયોગથી ઇ-રૂપી બનાવવામાં આવી છે.
સેવાઓના સ્પોન્સર્સને ઇ-રૂપી કોઇપણ જાતના શારીરિક સંપર્ક વગર લાભાર્થીઓને અને સેવા પ્રદાતાને જોડશે.
ઇ-રૂપી ઉપયોગ માતૃ એવં બાળ કલ્યાણ યોજનાઓ હેઠળ દવાઓ અને પોષણ સંબંધી સહાયતા, ટીબી ઉન્મૂલન કાર્યક્રમો, આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જેવી યોજનાઓ હેઠળ દવાઓ, ઉપચાર, સબ્સિડી વગેરે આપવાની યોજનાઓ હેઠળની સેવાઓ મેળવવા માટે કરી શકાશે.
ખાનગી ક્ષેત્ર પણ પોતાના કર્મચારીઓને કલ્યાણ યોજનાઓ અને સામાજિક જવાબદારી સંબંધી યોજનાઓ માટેના વળતર આપવા ઇ-રૂપીનો ઉપયોગ કરી શકશે.
કેન્દ્રીય કેબિનેટે બુધવારે મળેલી બેઠકમાં DICGC એક્ટમાં ફેરફારને મંજૂરી આપી છે. હવે આ અંગે બિલ સંસદમાં મુકવામાં આવશે. આનાથી કોઇ બેંક ડૂબશે તો વીમા હેઠળ ખાતેદારોને નાણાં ૯૦ દિવસની અંદર મળી જશે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણયની જાણકારી આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં ડિપોઝિટ ઇન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરન્ટી કોર્પોરેશન (DICGC) એક્ટમાં ફેરફારને મંજૂરી આપવામાં આવી છે. નાણામંત્રી કહ્યું કે, કેબિનેટે આજે ઇન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરન્ટી કોર્પોરેશન બિલ, ૨૦૨૧ને મંજૂરી આપી છે. આ બિલ સંસદના મોનસુન સત્રમાં મુકવામાં આવશે.
આ ફેરફારથી ખાતેદારો અને રોકાણકારોને પૈસાની સુરક્ષા મળશે. આ મંજૂર થતાં કોઇ બેંક ડૂબશે તો વીમા હેઠળ ખાતેદારોને નાણાં ૯૦ દિવસની અંદર મળી જશે. તેમણે કહ્યું કે, આની હેઠળ કોમર્શિયલી ઓપરેટેડ તમામ બેંક આવશે. આ પ્રકારના વીમા માટે પ્રીમિયમ બેંક આપે છે, ગ્રાહક નહીં.
DICGC ભારતીય રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની સબસિડિયરી છે. તે બેંક થાપણો પર વીમા કવર પ્રદાન કરે છે. અત્યાર સુધી નિયમ હતો કે, થાપણદારોને ૫ લાખ રૂપિયાના વીમા પર પણ ત્યાં સુધી પૈસા નહીં મળે, જ્યાં સુધી રિઝર્વ બેંક કેટલીક પ્રક્રિયાઓ પૂરી ના કરે. આના લીધે લાંબા સમય સુધી થાપણદારોને નાણાં મળતાં નહોતા. પરંતુ એક્ટમાં ફેરફારથી ગ્રાહકોને રાહત મળશે.
સુરત સમેત સમગ્ર ભારતમાં જ્યાં જ્યાં પણ ટેક્ષટાઇલ ઉદ્યોગ વિકસ્યો છે ત્યાં ત્યાં ફેબ્રિક મેન્યુફેક્ચર્સ, ફેબ્રિક પ્રોસેસર્સ અને વિક્રેતાઓ વચ્ચે સીધો સેતુ નથી પણ વચ્ચે દલાલ, આડતિયાઓ વગેરેની પણ એક કડી ઉમેરાય રહી છે. પરીણામે ફેબ્રિક કોસ્ટથી લઇને ઇચ્છિત ક્વોલિટી, માગ, જરૂરીયાત બધી જ બાબતો અસરગ્રસ્ત થાય છે. પણ જો ફેબ્રિક મેન્યુફેક્ચરર્સ જેમાં મોટા ભાગે વીવર્સ, નીટર્સ, પ્રોસેસર્સ સામેલ છે આ કડી તેમજ ફેબ્રિકના વિક્રેતાઓ, ફેશન મેકર્સ, ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ, સ્ટીચર્સ વગેરે વચ્ચે સીધો સેતુ જો સધાય તો અનેક પ્રશ્નોનો આપોઆપ ઉકેલ આવે તેમ છે અને આ પ્લેટફોર્મ સૌથી પહેલી વખત સુરતમાં સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ પૂરું પાડવા જઇ રહી છે. વીવનીટ એક્ષ્પો એક એવું પ્રદર્શન હશે જે ફેબ્રિક મેન્યુફેક્ચરર્સ તેમજ વિક્રેતા, ફેશન મેકર્સ વચ્ચે સીધો સેતુ કાયમ કરશે. જે સુરતની ટેક્ષટાઇલ ઇન્ડસ્ટ્રીઝ માટે ગેમ ચેન્જર બની રહેશે.
સુરતનો વણાટ ઉદ્યોગ દિન પ્રતિદિન નવી ક્ષિતિજો સર કરી રહ્યો છે, તેમાં પણ સોને પે સુહાગા કહેવત સાર્થક થતી જોવા મળી રહી છે કેમકે વણાટ ઉદ્યોગને સ્પર્શતો પહેલો બિઝનેસ ટુ બિઝનેસ (બીટુબી) એક્સપોનું આયોજન સુરત ખાતે થઇ રહ્યું છે. સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આગામી તા.11થી 12 સપ્ટેમ્બર દરમિયાન સરસાણા ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર ખાતે વીવનીટ એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. ચેમ્બર પ્રેસિડેન્ટ દિનેશ નાવડીયાના કહેવા મુજબ વીવનીટ એક્સ્પો સ્થાનિગ વણાટ ઉદ્યોગકારો માટે ગેમ ચેન્જર સમાન નિવડશે.
ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, દેશમાં પહેલી વખત યોજાઇ રહેલા વિવનીટ એક્સ્પો વિવર્સ, નીટર્સ, ટેકનીકલ ટેકસટાઇલ્સ, ફેબ્રિક મેન્યુફેકચરર્સને બીટુબી પ્લેટફોર્મ પૂરું પાડનારો એકસકલુઝીવ ફેબ્રિક શો હશે. આ એકઝીબીશનમાં ભાગ લેનારા આ તમામ કેટેગરીના ઉદ્યોગકારો વિવનીટ પ્રદર્શનના માધ્યમથી હોલસેલ ટ્રેડર્સ, રીટેલર્સ, ફેશન હાઉસિસ, ફેશન ડિઝાઇનર્સ, બ્રાન્ડ એપેરલ મેન્યુફેકચરર્સ, સ્પેશિયલ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડકટ મેન્યુફેકચરર્સ અને માસ કન્ઝમ્પશન કરતા પ્રોડકટ મેન્યુફેકચરર્સની સાથે સીધા સંપર્કમાં આવી શકશે.
આ પ્રદર્શનમાં ભાગ લેનારા એમ.એસ.એમ.ઇ. ઉદ્યોગકારોને ગુજરાત સરકાર તરફથી સબસિડીનો પણ લાભ મળશે. આ પ્રદર્શન થકી ઉદ્યોગકારો માટે ઉદ્યોગ – ધંધાની વિશાળ તકો ઉભી થશે.આ પ્રદર્શનમાં ભાગ લેનારા એકઝીબીટર્સ તેઓની પ્રોડકટને પ્રદર્શિત કરીને ઉત્પાદનોને વ્યાપારીઓ સુધી પહોંચાડી શકશે. નવી પ્રોડકટને લોન્ચ કરી શકશે અને બ્રાન્ડ વિશે અવેરનેસ લાવવાની તક ઝડપી શકશે. સાથે જ કોર્પોરેટ ઇમેજ ઉભી કરી શકશે અને નેટવર્કીંગ પણ ગોઠવી શકશે. તદુપરાંત પ્રોડકટ અને ટેકનોલોજીના માધ્યમથી નવી એપ્લીકેશન્સ અને સોલ્યુશન્સ મેળવી શકશે.આ ઉપરાંત ટેકસટાઇલ પ્રોસેસર્સ એન્ડ એપેરલ મેન્યુફેકચરર્સ, ફેશન ડિઝાઇનર એન્ડ ફેબ્રિક બાઇંગ હાઉસિસ, બિઝનેસ લીડર્સ એન્ડ આંત્રપ્રિન્યોર્સ, ડિસીઝન મેકર્સ ફ્રોમ ગવર્નમેન્ટ, પ્રોડકટ ડેવલપમેન્ટ એકઝીકયુટીવ, સી.ઇ.ઓ., સિનિયર એકઝીકયુટીવ ફ્રોમ ઇન્ડસ્ટ્રી, ઓપરેશન / ટેકનીકલ – પરચેઝ મેનેજર, ઇન્વેસ્ટર્સ એન્ડ વેન્ચર કેપિટલાઇઝેશન, રીટેલર ઇન્ડસ્ટ્રી એસોસીએશન, એનજીઓ અને કન્સલ્ટન્ટને આ પ્રદર્શનમાંથી ઘણી બધી ઉપયોગી માહિતી મળી રહેશે.
ભારતના 10થી વધુ શહેરોના મોટાગજાના બાયર્સ આવશે
વીવનીટ એક્સ્પોમાં યાર્નમાંથી કાપડનું ઉત્પાદન કરતા વિવર, નીટર, ટેકનીકલ ટેકસટાઇલ અને નેરો ફેબ્રિકસના ઉત્પાદકો ભાગ લેનારા છે. જેમાં સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી જ નહીં પણ ભારતભરની મુખ્ય કાપડની મંડીઓ જેવી કે ઇન્દોર, કટક, જયપુર, પૂણે, બનારસ, ગ્વાલિયર, હૈદરાબાદ, બેંગ્લોર, મદ્રાસ, ચંડીગઢ, લુધિયાના, કોલકાતા, લખનઉ, ચેન્નાઇ, મુંબઇ અને દિલ્હીથી ફેબ્રિકસના મોટા ગજાના બાયર્સને આમંત્રિત કરવામાં આવશે. જેથી કરીને એકઝીબીટર્સને સ્થળ પર બિઝનેસ મળી રહેશે.
હેડિંગ બોક્સમેન્યુફેક્ચરર્સ માટે વન સ્ટોપ શોપનું પ્લેટફોર્મ
વિવનીટ એકઝીબીશન થકી વુવન, નીટેડ, ટેકનીકલ ટેકસટાઇલ્સ, ઇન્ડસ્ટ્રીયલ અને સ્પેશિયલ ફેબ્રિક મેન્યુફેકચરર્સને સમગ્ર ભારતમાંથી આ પ્રદર્શનને જોવા માટે આવનારા બાયર્સ સામે પોતાની પ્રોડકટ રજૂ કરવા માટેની ઉત્તમ તક મળી રહેશે. મેન્યુફેકચરર્સ માટે આ વન સ્ટોપ શોપ એકઝીબીશન હશે કે જેમાં ઉત્પાદકો પોતાના વિવિધ ફેબ્રિકસના આધુનિક કલેકશન્સ જેવા કે પ્લેન, ટવીલ, સાટીન, એપેરલ, હોમ ફર્નિશીંગ, સિંગલ જર્સી, ડબલ જર્સી, નેટ્સ અને ટેકનીકલ ટેકસટાઇલ્સ વિગેરે પ્રદર્શિત કરી શકશે.
સરકારે કઠોળના આયાતકારોને સ્ટોક લિમિટમાંથી મુક્તિ આપી હતી. મિલરો અને હોલસેલરો માટેના નિયમો પણ હળવા બનાવવામાં આવ્યા છે. ફકત તુવર, અડદ, ચણા, મસૂર માટે ૩૧મી ઑકટોબર સુધી સ્ટોક લિમિટ અમલમાં રહેશે તેવું સરકારે સોમવારે બહાર પાડેલા એક જાહેરનામામાં કહ્યું હતું. ડિપાર્ટમેન્ટ ઑફ ક્ધઝયૂમર અર્ફેસના વેબપોર્ટલ પર સ્ટોક જણાવવાનો રહેશે, તેવું જાહેરનામામાં કહેવામાં આવ્યું છે.
‘કઠોળના આયાતકારોને સ્ટોકલિમિટમાંથી મુક્તિ આપવામાં આવી છે. તેમણે ડિપાર્ટમેન્ટ ઑફ ક્ધઝયૂમર અર્ફેસના પોર્ટલ પર કઠોળનો સ્ટોક જાહેર કરવાનું ચાલુ રાખવાનું રહેશે.’
હોલસેલરો માટેની સ્ટોકલિમિટ ૫૦૦ ટન રહેશે, પણ કોઈ એક કઠોળનો ૨૦૦ ટનથી વધુ સ્ટોક રાખી શકાશે નહીં. મિલરો છ મહિનાનું ઉત્પાદન અથવા કુલ વાર્ષિક ક્ષમતાના પચાસ ટકા (જે પણ વધુ હોય) તેટલો સ્ટોક રાખી શકશે.
રિટેલરો માટેની સ્ટોકલિમિટ યથાવત્ પાંચ ટન રાખવામાં આવી છે.
બીજી જૂને સરકારે મગ સિવાયના તમામ કઠોળ પર સ્ટોક લિમિટ જાહેર કરી હતી. આયાતકારો અને હોલસેલરો પર ૨૦૦ ટનની અને રિટેલરો પર પાંચ ટનની સ્ટોકલિમિટ જાહેર કરવામાં આવી હતી. મિલરો પર છેલ્લા ત્રણ મહિનાનું ઉત્પાદન અથવા કુલ વાર્ષિક ઉત્પાદન ક્ષમતાના ૨૫ ટકા (જે પણ વધુ હોય) તેટલી સ્ટોકલિમિટ રાખવામાં આવી હતી.
ગૌતમ અદાણીની સમસ્યાઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. થોડા સમય પહેલા એવા અહેવાલ આવ્યા હતા કે કેટલાક એફપીઆઈના ખાતા ફ્રિઝ કરવામાં આવ્યા છે, જેમણે અદાણીની કંપનીઓમાં ભારે રોકાણ કર્યું છે. તે સમાચાર પછી ગૌતમ અદાણીની કંપનીઓના શેરમાં સતત ઘણા દિવસો સુધી ઘટાડો જોવા મળ્યો હતો. બસ, હવે તેની કંપનીના શેરની હાલત થોડીક સ્થિર હતી કે ઇડી દ્વારા આ કંપનીઓની તપાસના સમાચાર આવવા લાગ્યા. સરકારે સ્પષ્ટ કર્યું કે આ કંપનીઓની તપાસ ઇડી દ્વારા નહીં પરંતુ સેબી અને ડીઆરઆઈ દ્વારા કરવામાં આવી રહી છે. આ સમાચાર પછી અદાણીની કંપનીઓમાં ઘટાડાનો સમય ફરી શરૂ થયો છે.
6માંથી 4 કંપનીઓમાં લાગી લોઅર સર્કિટ
મંગળવારે શેર બજાર ખુલતાંની સાથે જ અદાણીની 6 માંથી 3 કંપનીઓ લોઅર સર્કિટમાં આવી ગઈ. થોડીવાર પછી, બીજી કંપની નીચલી સર્કિટને સ્પર્શી. અન્ય બે કંપનીઓ પણ સતત ઘટતી રહી. મંગળવારે બજાર ખુલતાંની સાથે જ અદાણી ટ્રાન્સમિશન, અદાણી ટોટલ ગેસ લિમિટેડ અને અદાણી ગ્રીનના શેર લોઅર સર્કિટ મળ્યા અને થોડા સમય પછી અદાણી પાવર પણ લોઅર સર્કિટને સ્પર્શી ગયો.
બજાર નિયમનકાર સેબી (સેબી) અને ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ) અદાણી જૂથની કેટલીક કંપનીઓની તપાસ કરી રહ્યા છે. આ કંપનીઓ પર નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. નાણામંત્રી પંકજ ચૌધરીએ સોમવારે સંસદમાં આ વાત જણાવી હતી. તેમણે સ્પષ્ટ કર્યું નથી કે અદાણી જૂથની કઈ કંપનીઓની તપાસ કરવામાં આવી રહી છે. સેબીએ આ તપાસ ક્યારે શરૂ કરી તે હજુ જાણી શકાયું નથી. પંકજ ચૌધરીએ ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાના સવાલના જવાબમાં આ માહિતી આપી હતી. આ નિવેદન બાદ અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં ઘટાડો થયો હતો.
આ મોટા ઘટાડા પાછળનું કારણ એનએસડીએલ દ્વારા લેવામાં આવતી કાર્યવાહી છે. નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડે ત્રણ વિદેશી ભંડોળ Albula Investment Fund, Cresta Fund અને APMS Investment Fund ના ખાતા ફ્રીઝ કરી દીધા છે. અદાણી ગ્રૂપની 4 કંપનીમાં તેમની પાસે 43,500 કરોડ રૂપિયાથી વધુના શેર છે. એનએસડીએલ વેબસાઇટ અનુસાર, આ એકાઉન્ટ્સ 31 મેથી અથવા તે પહેલાં ફ્રીઝ કરવામાં આવ્યા છે. જો કે, ગૌતમ અદાણીએ કોઈપણ એકાઉન્ટ ફ્રીઝ થવાના સમાચારને નકારી દીધા હતા.
એક અધિકારીએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે કસ્ટોડિયન તેમના ગ્રાહકોને આવી કાર્યવાહી વિશે ચેતવણી આપે છે, પરંતુ જો ભંડોળ આનો જવાબ નહીં આપે અથવા તેનું પાલન ન કરે તો એકાઉન્ટ્સ ફ્રીઝ કરી શકાય છે. ખાતું ફ્રીઝ કરવાનો અર્થ એ છે કે ફંડ હાલની સિક્યોરિટીઝ વેચી શકશે નહીં અથવા નવી ખરીદી શકશે નહીં. આ સંદર્ભે એનએસડીએલ, સેબી અને અદાણી જૂથને મોકલવામાં આવેલા ઇમેઇલ્સનો કોઈ જવાબ મળ્યો નથી. અલબુલા ઈન્વેસ્ટમેન્ટ ફંડ, ક્રિસ્ટા ફંડ અને એપીએમએસ ઇન્વેસ્ટમેન્ટ ફંડનો સંપર્ક કરી શકાયો નહીં. આ ત્રણ ભંડોળ સેબી સાથે વિદેશી પોર્ટફોલિયોના રોકાણકારો તરીકે નોંધાયેલા છે અને મોરેશિયસથી સંચાલન કરે છે. ત્રણેય લોકો પોર્ટ લૂઇસમાં સમાન સરનામાં પર નોંધાયેલા છે અને તેમની વેબસાઇટ નથી.
2019 માં કેપિટલ બજારના નિયમનકારે પીએમએલએ મુજબ એફપીઆઇ માટે કેવાયસી દસ્તાવેજો બનાવ્યા. 2020 સુધીના નવા નિયમોનું પાલન કરવા માટે ભંડોળને સમય આપવામાં આવ્યો હતો. સેબીએ કહ્યું કે નવા નિયમોનું પાલન ન કરતા ભંડોળના ખાતા સ્થિર કરવામાં આવશે. નવા નિયમો અનુસાર એફપીઆઈને કેટલીક વધારાની માહિતી પૂરી પાડવાની હતી. આમાં સામાન્ય માલિકીની જાહેરાત અને ફંડ મેનેજરો જેવા મુખ્ય કર્મચારીઓની વ્યક્તિગત વિગતોનો સમાવેશ થાય છે. માનવામાં આવે છે કે સેબી અદાણી ગ્રુપની કંપનીઓના શેરના ભાવમાં છેડછાડની પણ તપાસ કરી રહી છે. છેલ્લા એક વર્ષમાં આ કંપનીઓના શેરમાં 200 થી 1000 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. આ મામલાના નિષ્ણાંતે જણાવ્યું હતું કે સેબીએ આ મામલે 2020 માં તપાસ શરૂ કરી હતી જે હજી ચાલુ છે. સેબીએ આ મામલે તેને મોકલેલા પ્રશ્નોનો જવાબ આપ્યો નથી.
કટ એન્ડ પોલિશ્ડ હીરા તથા લેબગ્રોન સિન્થેટિક ડાયમંડનું સૌથી વધુ ટર્ન ઓવર ધરાવતા સુરત શહેરના હીરા ઉદ્યોગમાં તેજીનો માહોલ છે તેની પ્રતીતિ આજે જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે જાહેર કરેલા આંકડાઓ પરથી થઇને રહે છે. જીજેઇપીસીના જણાવ્યા અનુસાર એપ્રિલ-21થી જૂન-21ના ચાલુ હિસાબી વર્ષના પ્રથમ ત્રિમાસીક સમયગાળામાં જ ભારતમાંથી કટએન્ડ પોલીશ્ડ ડાયમંડની નિકાસમાં અગાઉના બન્ને વર્ષોની તુલનામાં કુલ 26.45 ટકાનો જબ્બર વધારો નોંધાયો છે. આ સમયગાળા દરમિયાન કુલ રૂ.45741 કરોડની નિકાસ કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડની થઇ છે. આ પરિસ્થિતિ બે વર્ષ અગાઉ જ્યારે કોવીડ-19 અને તેની અસરો શરૂ થઇ ન હતી એ સમયગાળા કરતા પણ બહેતર છે. એટલે કે સુરત સમેત દેશનો હીરા ઉદ્યોગ પ્રી-કોવીડ પરિસ્થિતિમાં આવી ચૂક્યો છે અને હાલમાં કામકાજ જબરદસ્ત ચાલી રહ્યા છે.
હીરા ઉદ્યોગમાં તેજી અંગેનું કારણ આપતા જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ચેરમેન કોલિન શાહે કહ્યું હતું કે હીરા-ઝવેરાત નિકાસમાં વૃદ્ધિમાં મુખ્ય કારણ અમેરીકામાં ઉઠેલી માગ છે. કાઉન્સિલ દ્વારા વર્ચ્યુઅલ બાયર સેલર મીટ યોજવામાં આવી હતી જેમાં ભારતના અનેક પ્રદર્શનકર્તા વિક્રેતાઓ દ્વારા મોટી સંખ્યામાં ઓર્ડર મેળવવામાં આવ્યા હતા.
એપ્રિલથી જૂન 21 દરમિયાન ગોલ્ડ જ્વેલરીની નિકાસમાં 69.55 ટકાનો ઘટાડો
જીજેઇપીસીએ જાહેર કરેલા ચાલુ હિસાબી વર્ષના પ્રથમ ત્રિમાસીક ગાળાના સરવૈયામાં કહેવામાં આવ્યું છે કે એપ્રિલ 2021થી જૂન 2021ના સમયગાળામાં અગાઉના વર્ષની તુલના કરતા ગોલ્ડ જ્વેલરીની નિકાસમાં 69.55 ટકાનો જંગી ઘટાડો નોંધાયો છે. રૂપિયામાં આનું મૂલ્ય 4608.91 કરોડ જેટલું થાય છે. કોવીડ-19ની બીજી લહેરનો આ સમય હતો. આવું થવા પાછળ કેટલાક સ્થાનિક પ્રશ્નો, ગોલ્ડની પ્રાપ્તિ, ડ્યૂટી ડ્રો બેક વગેરેના પ્રશ્નો હોવાનું જણાય આવે છે.
જીજેઇપીસીએ જાહેર કરેલા ચાલુ હિસાબી વર્ષના પ્રથમ ત્રિમાસીક સમયગાળાના સરવૈયા પર નજર કરીએ તો પોલીશ્ડ લેબગ્રોન સિંથેટિંક ડાયમંડની નિકાસમાં 202 ટકાનો જંગી ઉછાળો થયો હોવાનું જણાવાયું છે. 2019ના પ્રથમ ત્રીમાસિક ગાળામાં લેબગ્રોન સિંથેટિક ડાયમંડની નિકાસ 86.36 મિલિનય ડોલર હતી, બીજા વર્ષે 2020માં એ જ સમયગાળામાં 38.99 મિલિયન અને ચાલુ વર્ષ 2021ના આ જ સમયગાળામાં આ નિકાસ વધીને 261.05 મિલિયન ડોલર જેટલી થઇ છે. આમ, કુલ 202 ટકાનો ઉછાળો પોલિશ્ડ લેબગ્રોન સિંથેટિક ડાયમંડની નિકાસમાં થયો છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.