ટાટા સન્સે પોતાના દ્વારા અંદાજે ૯૦ વર્ષ પહેલાં શરૂ કરાયેલી ઍરલાઇન – ઍર ઇન્ડિયા ફરી હસ્તગત કરી હતી.
સરકારે આર્થિક મુશ્કેલીમાં સપડાયેલી ઍર ઇન્ડિયાને સંપૂર્ણ ફરી હસ્તગત કરવા માટેની ટાટા સન્સની રૂપિયા ૧૮,૦૦૦ કરોડની બિડને મંજૂરી આપી હતી. ઇન્વૅસ્ટમેન્ટ ઍન્ડ પબ્લિક અસૅસમેન્ટ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટના સેક્રેટરી તુહિનકાંતા પાણ્ડેયે શુક્રવારે ટૂંકમાં સંબંધિત માહિતી આપતા જણાવ્યું હતું કે ટાટા સન્સની હૉલ્ડિંગ કંપનીના યુનિટ – ટાલસે પ્રાઇવેટ લિમિટેડની વિજેતા બિડમાં રૂપિયા ૨,૭૦૦ કરોડની રોકડ અને રૂપિયા ૧૫,૩૦૦ કરોડનું દેવું પોતાના પર લેવાનો સમાવેશ થાય છે.
ટાટાએ સ્પાઇસજેટના પ્રમૉટર અજય સિંહના નેતૃત્વ હેઠળના જૂથે રજૂ કરેલી બિડને હરાવી હતી. પાણ્ડેયે જણાવ્યું હતું કે ઍર ઇન્ડિયા હસ્તગત કરવાની પ્રક્રિયા ડિસેમ્બર સુધીમાં પૂરી થવાની આશા રખાય છે. અગાઉ, ઍર ઇન્ડિયાનું ૧૯૫૩માં રાષ્ટ્રીયકરણ કરાયું હતું. ઍર ઇન્ડિયામાં સ્થાનિક ઍરલાઇન ઇન્ડિયન ઍરલાઇન્સનું ૨૦૦૭માં વિલીનીકરણ કરાયું હતું અને ત્યાર બાદ તે મોટી ખોટ કરી રહી છે.
ટાટા સન્સના માનદ અધ્યક્ષ રતન ટાટાએ કંપનીના ભૂતપૂર્વ અધ્યક્ષ જે. આર. ડી. ટાટા ઍર ઇન્ડિયાના વિમાનમાંથી ઊતરતા હોય એવો જૂનો ફૉટો ટ્વીટ કર્યો હતો. ઍર ઇન્ડિયાનું રાષ્ટ્રીયકરણ કરાયું, તેના અંદાજે ૭૦ વર્ષ પછી ટાટા સન્સે સરકાર પાસેથી આ ઍરલાઇન પાછી હસ્તગત કરી છે.
રતન ટાટાએ લખ્યું હતું કે ઍર ઇન્ડિયા, વૅલકમ બૅક. ટાટા ગ્રૂપે ઍર ઇન્ડિયાની બિડ જીતી તે મોટા સમાચાર ગણાય. ઍર ઇન્ડિયાને ફરી બેઠી (સધ્ધર) કરવા ઘણી મહેનત કરવી પડશે, પરંતુ તેને લીધે મુલકી ઉડ્ડયન ક્ષેત્રે ટાટા ગ્રૂપ માટે ઘણી તક ઊભી થશે.
વર્ષ ૨૦૧૬માં ઇન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઑફ ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ (ICJI)એ એક તપાસ હાથ ધરી હતી, જે લીક દસ્તાવેજો પર આધારિત હતી
ઈન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઓફ ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ્સ (ICIJ)એ ફરી એક વખત ટેક્સ ચોરીની તપાસ કરી છે અને એક મોટું રહસ્ય ઉજાગર કર્યું છે. વર્ષ 2016માં લીક થયેલા પનામા પેપર્સ કેસમાં કરચોરીમાં મોટા ઉદ્યોગપતિઓના નામ સામે આવ્યા હતા. હવે ફરી ICIJએ પેન્ડોરા પેપર્સમાં દાવો કર્યો છે કે ભારતીય સેલિબ્રિટી, ઉદ્યોગપતિ, ખેલાડીઓ અને સ્વાભાવિક રીતે જ રાજકીય નેતાઓ પણ આ કરચોરીમાં સામેલ છે. આ વખતે ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર પ્લેયર સચીન તેંડુલકરનું નામ પણ આ લીક પેપર્સમાં સામે આવ્યું છે.
પાનામા પેપર્સ શું છે?
દુનિયાભરના અરબોપતિઓ કરની રકમ બચાવવા માટે વિવિધ તરકીબો અજમાવે છે અને કાયદામાં ઉપલબ્ધ છૂટછાટનો ફાયદો ઉઠાવી ટેક્સ હેવેન (એવા દેશ જ્યાં કર ખૂબ ઓછો છે) ગણાતા દેશમાં પોતાના પૈસા ઇન્વેસ્ટમેન્ટ, ગિફ્ટ અથવા કાયદાકીય રીતે સ્વીકૃત માર્ગો દ્વારા આ દેશમાં મોકલે છે અને ચોક્કસ ચેનલ બનાવી એ રીતે પૈસા ફરી મેળવે છે, જેનાથી તેઓ ટેક્સમાં રાહત મેળવી શકે અથવા તેમને કર ભરવો પડે નહીં.
હકીકતે, વર્ષ ૨૦૧૬માં ઇન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઑફ ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ (ICJI)એ એક તપાસ હાથ ધરી હતી, જે લીક દસ્તાવેજો પર આધારિત હતી. જેમાં વિશ્વના અનેક નામી લોકોની કરચોરી વિશે ભાંડા ફોડ કરવામાં આવ્યો હતો. આ તપાસમાં જૉર્ડનના રાજા, યૂક્રેન, કેન્યા અને ઇક્વાડોરના રાષ્ટ્રપતિ, ચેક રિપબ્લિકના વડાપ્રધાન અને બ્રિટેનના પૂર્વ વડા પ્રધાન, ચીનના જિંગપિંગ, વર્લ્ડ ક્લાસ ફૂટબોલ પ્લેયર લીએનોલ મેસી અને ટોને બ્લેયરના નામ પણ સામે આવ્યા હતા. એટલું નહીં આમાં ભારત, અમેરિકા અને રશિયા જેવા દેશોના 130 અરબપતિઓના નામ પણ સામે આવ્યા હતા. આ લીક થયેલી માહિતીમાં લૉ ફર્મ મોસેક ફોનસેકા દ્વારા આ લોકો માટે થયેલા ટ્રાન્સેક્સનની વિગતો હતો. આ લિકથી વિશ્વમાં ખળભળાટ મચી ગયો હતો.
અહીં ઉલ્લેખનીય છે કે આ વર્ષે જુલાઈમાં, ભારત સરકારે એક ખુલાસો કર્યો હતો કે પનામા પેપર્સથી સંબંધિત 20,078 કરોડ રૂપિયાની ગેરકાયદે સંપત્તિઓ મળી આવી છે.
પેન્ડોરા પેપર્સ
હવે આ જ રીતે ફરી ઈન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઓફ ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ્સ (ICIJ) સંસ્થાએ યુકેમાં બીબીસી અને `ધ ગાર્ડિયન` અખબાર, ભારતમાં `ધ ઈન્ડિયન એક્સપ્રેસ` અને તપાસમાં 150 મીડિયા આઉટલેટ્સને સામેલ કરી 11.9 મિલિયનથી વધુ ગુપ્ત દસ્તાવેજોની તપાસ કરી હતી અને ઘણા ધનિક લોકોના ગુપ્ત નાણાકીય વ્યવહારોની વિગતો હવે સામે આવી છે. આ વિગતો સામે આવતા હેવ તેમણે કરેલી કરચોરીનો કૌભાંડ પણ પ્રકાશમાં આવ્યો છે.
આજે પ્રકાશિત થયેલા આ અહેવાલોમાં વૈશ્વિક સ્તરે 14 નાણાકીય સેવા કંપનીઓના લીક થયેલા દસ્તાવેજો પર આધારિત છે. ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ પેન્ડોરા પેપર્સમાં ઓછામાં ઓછા 380 ભારતીય નાગરિકોના નામ છે. તેમાંથી, ધ ઇન્ડિયન એક્સપ્રેસ અત્યાર સુધીમાં લગભગ 60 અગ્રણી વ્યક્તિઓ અને કંપનીઓ સાથે સંબંધિત દસ્તાવેજોની ચકાસણી અને પુષ્ટિ કરી છે. આ પેપર્સમાં દર્શાવાયું ચએ કે કઈ રીતે ટ્રસ્ટનો ઉપયોગ કરી કરચોરીનું આ કાળું કામ થઈ રહ્યું છે.
આ 14 વૈશ્વિક કોર્પોરેટ સર્વિસીસ ફર્મની 11.9 મિલિયન લીક થયેલી ફાઇલો છે, જેણે લગભગ 29,000 ઓફ-ધ-શેલ્ફ કંપનીઓ અને ખાનગી ટ્રસ્ટની સ્થાપના કરી છે. પેન્ડોરા પેપર્સ જણાવે છે કે કેવી રીતે સમૃદ્ધ, પ્રખ્યાત અને કુખ્યાત, જેમાંથી ઘણા પહેલેથી જ તપાસ એજન્સીઓના રડાર પર હતા, એસ્ટેટ પ્લાનિંગ માટે જટિલ બહુસ્તરીય ટ્રસ્ટ સ્ટ્રક્ચરની સ્થાપના કરી હતી.
ટ્રસ્ટની સ્થાપના વિવિધ કારણોસર કરવામાં આવે છે અને તેમાંના કેટલાક વાસ્તવિક પણ છે, પરંતુ તપાસમાં એ પણ જણાયું છે કે ઘણાના ટ્રસ્ટ સ્થાપવા માટેના બે ઉદ્દેશ છે. તેમની વાસ્તવિક ઓળખ છુપાવવી અને પોતાની જાતને ઓફશોર એન્ટિટીઝથી દૂર રાખવી જેથી કર અધિકારીઓ માટે તેમના સુધી પહોંચવું અશક્ય બની જાય અને બીજું રોકડ, શેરહોલ્ડિંગ્સ, રિયલ એસ્ટેટ, આર્ટ, એરક્રાફ્ટ અને યાટ્સ – લેણદારો અને કાયદા અમલદારો પાસેથી રોકાણકારોની સલામતીનું રક્ષણ કરવું.
હવે આ ખુલાશાથી કરચોરીમાં સંડોવાયેલા વિશ્વના જાણીતા લોકોનો જીવ તાળવે ચોંટી ગયો છે. ભારતના નાગરિકોની વાત કરીએ તો આ પ્રકરણમાં ઉદ્યોગપતિ અનિલ અંબાણી, ક્રિકેટના ગોડ ગણાતા સચીન તેંડુલકર, નીરવ મોદીની બહેન કિરણ મજૂમદારના પતિ, ગાંધી પરિવારના ખાસ મિત્ર સતીશ શર્મા, જેકી શ્રોફ, નિરા રાડિયા અને ઇકબાલ મિર્ચી પરિવારનું નામ પણ સામે આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે આ બાબતે સોમવારે કેન્દ્ર સરકારે કહ્યું છે કે તે આ મામલે તપાસ હાથ ધરાશે.
પેન્ડોરા પેપર્સના ખુલાસા બાદ પાકિસ્તાનના રાજકારણમાં હંગામો થયો છે. કારણ કે આ યાદીમાં પાકિસ્તાનના 700 લોકોના નામ સામે આવ્યા છે. જેમાં ઇમરાન સરકારમાં મંત્રી શૌકત તારિન, જળ સંસાધન મંત્રી મૂનીસ ઇલાહી, સાંસદ ફૈઝલ વાવડા, ઉદ્યોગ અને ઉત્પાદન મંત્રી ખુસરો બખ્તિયારના પરિવારના સભ્યોનો સમાવેશ થાય છે.
કોરોનાના કપરાકાળ બાદ અર્થતંત્ર વેગ પકડી રહ્યું હોવાની પ્રતીતિરૂપે જીએસટી વસૂલાત દેશમાં લગાતાર ત્રીજા મહિને એક લાખ કરોડ રૂપિયાને પાર કરી ગઈ છે.
સપ્ટેમ્બર-2021માં જીએસટી વસૂલાત 1,17,010 કરોડ રૂપિયા થઈ છે, જેમાં કેન્દ્રીય ભાગ 20,578 કરોડ, રાજ્યોનો હિસ્સો 26,767 કરોડ, એકીકૃત જીએસટી 60,911 કરોડ અને સેસનો ભાગ 8754 કરોડ રૂપિયા છે.
નાણાં મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું કે, જીએસટીથી આવક સપ્ટેમ્બર 2020ની તુલનાએ સપ્ટેમ્બર-2021માં 23 ટકા વધી છે.
સરકારે જીએસટી રિફંડનો દાવો કરવા માટે કરદાતાઓના આધાર ઑથેન્ટિકેશનને ફરજિયાત બનાવ્યું છે. સેન્ટ્રલ બૉર્ડ ઑફ ઇનડાઇરેક્ટ ટૅક્સીસ ઍન્ડ કસ્ટમ્સ (સીબીઆઇસી)એ જીએસટીના નિયમોમાં સુધારો કર્યો છે, જેમાં જીએસટી માત્ર પાન કાર્ડ સાથે લિંક થયેલા બૅંક ખાતામાં જ જમા થાય (જે ખાતા સાથે જીએસટી રજિસ્ટ્રેશન થયું હોય) સહિતના વિવિધ કરચોરી ડામવાના પગલાં લેવામાં આવ્યા છે.
જાહેરનામામાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે ૧ જાન્યુઆરી, ૨૦૨૨થી જે ઉદ્યોગોએ સમરી રિટર્ન ફાઇલ કરવામાં અને માસિક જીએસટી ભરવામાં ડિફોલ્ટ કર્યું છે, તેઓ આગામી મહિનાનું જીએસટીઆર-૧ વેચાણ રિટર્ન ફાઇલ કરી શકશે નહીં. આ જાહેરનામું ૧૭ સપ્ટેમ્બરે લખનઊ જીએસટી કાઉન્સિલની બેઠકમા ંલવાયેલા નિર્ણયોને અનુસરે છે.
‘કરચોરીને પકડવા માટે, સરકારે માલિક, ભાગીદાર, કર્તા, મેનેજિંગ ડિરેક્ટર, પૂર્ણ સમયના ડિરેક્ટર અને અધિકૃત હસ્તાક્ષરકર્તા માટે આધાર પ્રમાણીકરણ ફરજિયાત બનાવ્યું છે,’ એમ એએમઆરજી ઍન્ડ એસોસિયેટ્સના સિનિયર પાર્ટનર રજત મોહને જણાવ્યું હતું. ઇવાયના ટૅક્સ પાર્ટનર અભિષેક જૈને કહ્યું હતું કે, ‘આવક લીકેજ અટકાવવાના ઉદ્દેશથી સરકારે કરદાતાને રિફંડનો દાવો કરવા માટે આધાર ઑથેન્ટિકેશન ફરજિયાત બનાવ્યું છે.
આમ તો ફ્રાય ડે (શુક્રવાર)નો જ્યારે રેફરન્સ લેવામાં આવે છે ત્યારે મોટા ભાગે બ્લેક ફ્રાય ડે એવા ટાઇટલ જ સાંભળવા મળ્યા છે પરંતુ, આજે તા.24મી સપ્ટેમ્બર 2021નો ફ્રાય ડે ભારતીય શેરબજાર માટે ગુડ ફ્રાયડે બનીને આવ્યો છે.
આજે શુક્રવારે ભારતીય શેર બજારના ઇતિહાસમાં આ પ્રથમ વખત છે જ્યારે સેન્સેક્સે 60,000 સપાટીને કૂદાવી દીધી હતી. અત્યાર સુધી ફક્ત જેની કલ્પના કરવામાં આવી રહી હતી એ 60 હજારનો સૂચકાંક સર કરીને ભારતીય શેરબજારોએ વિશ્વભરના રોકાણકારોનું ધ્યાન ખેંચ્યુ છે.
આજે શેરબજારમાં શરૂઆતના કારોબારમાં બેન્ક અને આઇટી શેરમાં તેજી હતી. સૌથી વધુ વધારો ઇન્ફોસિસના શેરમાં થયો હતો.
ગતરોજ તા.23મી સપ્ટેમ્બર, ગુરુવારે શેરબજારમાં છેલ્લા ઘણા મહિનાઓમાં સૌથી મોટો ઉછાળો આવ્યો હતો. સેન્સેક્સમાં 950 પોઇન્ટથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. સવારે 431 પોઈન્ટના વધારા સાથે 59,358 પોઈન્ટ પર ખૂલ્યા બાદ સેન્સેક્સ સાંજે 958 પોઈન્ટ વધ્યો હતો. ગુરુવારે સાંજે સેન્સેક્સ 59,885.36 પોઇન્ટ પર બંધ થયો હતો. જે બુધવારે 58,927.33 પોઇન્ટ પર બંધ થયો હતો. આખા દિવસના કારોબારમાં એક સમય એવો હતો જ્યારે સેન્સેક્સ 59,957.25 પોઇન્ટની સર્વોચ્ચ સપાટીને સ્પર્શી ગયો હતો. એટલે કે, સેન્સેક્સમાં લગભગ 1030 પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો.
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ આયોજિત ઉદ્યોગપતિઓ સાથેના ઇન્ટરએક્ટિવ સેશનમાં કેન્દ્રના વાણિજ્ય મંત્રી પિયુષ ગોયેલએ આજે સુરતમાં કામ કરતી સરકારનો પરચો દેખાડતા સુરતના સચિન ખાતે બિલકુલ ફ્લોપ નિવડેલા સુરત એપેરલ પાર્કની 3.6 લાખ ચો.મી. જેટલી વિશાળ અને કિંમતી જમીન એક સપ્તાહમાં ઉદ્યોગોને પરત સોંપી દેવાની જાહેરાત કરતા સુરતના ઉદ્યોગકારો સ્તબ્ધ થઇ ગયા હતા. સચિન એપેરલ પાર્કની આ જમીનની સ્થાનિક જંત્રી પ્રમાણેની કિંમત રૂ.100 કરોડ જેટલી થવા જાય છે.
પિયુષ ગોયેલે છેલ્લા 15 વર્ષથી ગૂંચવાયેલા મામલાને ચપટી વગાડતા ઉકેલી આપ્યો હતો. વેપાર ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે ઓપન હાઉસમાં ચર્ચા કરવા માટે આજે ખાસ સુરત આવેલા કેન્દ્રના વાણિજ્ય મંત્રી પિયુષ ગોયેલએ સુરતના સચિન ખાતે એપેરલ પાર્ક સ્થાપવાની 15 વર્ષ જૂની ચેમ્બરની યોજના અન્વયે બિલકુલ બિનઉપયોગી પડી રહેલી 3.6 લાખ ચો.મી. જેટલી વિશાળ અને કિંમતી જમીનને ઉદ્યોગના હિતમાં છૂટી કરવા સંદર્ભે સ્થાનિક ઉદ્યોગપતિ રવિન્દ્ર આર્યએ રજૂઆતો કરી હતી.સચિન એપેરલ પાર્ક કે જેને ગેરસમજથી સ્પેશિયલ ઇકોનોમિક ઝોનનું સ્ટેટસ આપી દેવાયું હતું, ત્યાં અંદાજે 50 જેટલા યુનિટ્સ કાર્યરત થયા હતા એ પછી સમગ્ર પ્રોજેક્ટ ફ્લોપ ગયો હતો અને તેની 3 લાખ 60 હજાર ચો.મી. જેટલી વિશાળ જમીન વર્ષોથી બિનઉપયોગી નકામી પડી રહી હતી. આ જમીનને પાર્સીયલ રીતે ડીનોટીફાઇ કરવા સંદર્ભની ફાઇલ કેન્દ્રના વાણિજ્ય મંત્રાલયમાં પડી રહી છે તેનો નિકાલ લાવવા માટે રવિન્દ્ આર્યએ રજૂઆતો કરી હતી.
આ પ્રશ્ન ઉપસ્થિત થતાં જ પિયુષ ગોયેલે લોક પ્રશ્નો સાંભળવાની સાથે પોતાના મંત્રાલયમાંથી વિગતો કઢાવી હતી અને સ્ટેટસ જાણી લીધા બાદ રવિન્દ્ર આર્ય અને સુરતના ઉદ્યોગકારોને કહ્યું હતું કે સચિન એપેરલ પાર્કની પાર્સિયલ ડિનોટીફાઇ કરવાની દરખાસ્તને આગામી મંગળવા સુધીમાં ક્લીયર કરી દેવામાં આવશે.ઉદ્યોગોને જો આ જમીન પરત મળશે તો સચિનમાં વધુ કરોડો રૂપિયાના યુનિટ્સ નંખાશે જે સરવાળે સુરતના ઉદ્યોગોનું ટર્નઓવર વધારશે.
આ બેઠકમાં લગભગ ચાર ડઝન જેટલી વસ્તુઓ પરના કરવેરાની સમીક્ષા કરવા ઉપરાંત કોવિડની ૧૧ દવાને કરવેરામાં રાહત આપવા અંગે વિચારણા કરવામાં આવશે.
૧૭ સપ્ટેમ્બરે લખનઊ ખાતે યોજાનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં સિંગલ નેશનલ જીએસટી હેઠળ પેટ્રોલ અને ડીઝલ પર કરવેરો લાદવા અંગે તેમ જ ઝોમેટો અને સ્વિગી જેવી ડિલીવરી ઍપને રૅસ્ટોરાં ગણી તેમના દ્વારા કરવામાં આવતી ડિલીવરી પર પાંચ ટકા ટૅક્સ લાદવા અંગે પણ વિચારણા કરવામાં આવશે.
રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના નાણાં પ્રધાન તેમ જ કેન્દ્ર અને રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં હાજરી આપશે, એમ નાણાં ખાતા દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.
એમ્ફોટોરિસિન-બી, ટોસિલિઝૂમેબ, રેમડેસિવિર અને હેપારિન જેવી ઍન્ટી કૉગ્યૂલન્ટ્સ પરના કરવેરા પર હાલ આપવામાં આવતી રાહત ૩૦ સપ્ટેમ્બરથી લંબાવીને ૩૧ ડિસેમ્બર ૨૦૨૧ સુધી કરવાના પ્રસ્તાવ પર ચર્ચાવિચારણા કરવામાં આવશે.
ઈટોલિઝૂમેબ, પાસાકોનાઝોલ, ઈન્ફિલક્સિમેબ, બામલાનિવિમેબ, ઈટેસેવિમેબ, કાસિરિવિમેબ, ઈમડેવિમેબ, ૨-ડિઓક્સિ-ડી-ગ્લુકોઝ અને ફેવિપિરાવિર જેવી કોવિડની દવા પરનો જીએસટી દર ૩૧ ડિસેમ્બર ૨૦૨૧ સુધી ૧૨ ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવાના પ્રસ્તાવ અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવે એવી શક્યતા છે.
કેન્દ્રના પ્રધાન અનુરાગ ઠાકુરે dt 15/9/21, બુધવારે જણાવ્યું હતું કે કેન્દ્રના પ્રધાનમંડળે વાહન, વાહનોના ભાગો અને ડ્રોનને લગતા ઉદ્યોગો માટે રૂપિયા ૨૬,૦૫૮ કરોડની પ્રૉડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમને મંજૂરી આપી હતી. તેનો હેતુ દેશમાં આ ક્ષેત્રે વધુ ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો છે. પ્રૉડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમને લીધે ભારતમાં અત્યાધુનિક ‘ઑટૉમેટિવ ટેક્નૉલૉજી’ની વૈશ્ર્વિક સપ્લાય ચૅનને પ્રોત્સાહન મળશે.
અનુરાગ ઠાકુરે કેન્દ્રના પ્રધાનમંડળની બેઠક બાદ સંબંધિત માહિતી આપતા પત્રકારોને જણાવ્યું હતું કે આગામી પાંચ વર્ષ દરમિયાન વાહન, વાહનોના ભાગો અને ડ્રોનને લગતા ઉદ્યોગો માટે રૂપિયા ૨૬,૦૫૮ કરોડની સહાય પૂરી પડાશે. તેમણે જણાવ્યું હતું કે વાહન અને વાહનોના ભાગોને લગતા ઉદ્યોગમાં આ સ્કીમના અમલથી રૂપિયા ૪૨,૫૦૦ કરોડથી વધુનું નવું રોકાણ થવાની અને રોજગારીની ૭.૫ લાખથી વધુ તક ઊભી થવાની આશા છે.
કેન્દ્રના ૨૦૨૧ – ૨૦૨૨ના અંદાજપત્રમાં ૧૩ ક્ષેત્ર માટે પ્રૉડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમની કરાયેલી જાહેરાતના ભાગરૂપે વાહન, વાહનોના ભાગો અને ડ્રોન ઉદ્યોગોને આવરી લેવાનું નક્કી કરાયું હતું. આ સ્કીમ માટે રૂપિયા ૧.૯૭ લાખ કરોડ ફાળવાયા હતા.
તા.17મી સપ્ટેમ્બર, શુક્રવારે યોજાનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં પેટ્રોલ, ડીઝલ અને અન્ય પેટ્રોલિયમ ઉત્પાદનોને જીએસટીના દાયરામાં લવાય એવી શક્યતા ચર્ચાઇ રહી છે.
લખનઊમાં શુક્રવારે યોજાનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં કોવિડ-૧૯ માટેની જરૂરિયાતના સામાન પરના કરમાં પણ લાભ આપવા વિશે પણ વિચાર કરે એવી શક્યતા છે.
દેશમાં આસમાને પહોંચેલા પેટ્રોલ અને ડીઝલના ભાવને કાબૂમાં રાખવાનો જીએસટી સારો માર્ગ હોવાનું મનાય છે, કારણ કે જીએસટી હેઠળ લવાયા બાદ એના પર લાગતા રાજયના વેટ કર અને કેન્દ્રની જકાતની પણ બાદબાકી થશે.
જૂન મહિનામાં એક અરજીના નિકાલ વખતે કેરળની હાઇ કોર્ટે જીએસટી કાઉન્સિલને પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવા જણાવ્યું હતું.
સૂત્રોના જણાવ્યા મુજબ કોર્ટના આદેશ અનુસાર પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવાનો મુદ્દો ચર્ચા માટે જીએસટી કાઉન્સિલ સમક્ષ રજૂ કરવામાં આવશે.
મધ્ય પ્રદેશના પન્ના જિલ્લામાં ૨૧ સપ્ટેમ્બરથી અંદાજે રૂ. ૧.૦૬ કરોડના મૂલ્યના કુલ ૧૩૯ રફ ડાયમંડનું લિલામ કરવામાં આવશે, એમ અધિકારીઓએ રવિવારે તા.12મી સપ્ટેમ્બર 2021ના રોજ કહ્યું હતું.
પત્રકારોને માહિતી આપતા પન્નાના ડાયમંડ ઑફિસર રવી પટેલે કહ્યું હતું કે સામૂહિક રીતે આ હીરાઓનું કુલ વજન ૧૫૬.૪૬ કેરેટ છે. આ હીરા જિલ્લાની ખાણમાંથી મેળવવામાં આવ્યા છે. આ મૂલ્યવાન હીરાઓમાં ૧૪.૦૯ કેરેટના હીરાનો પણ સમાવેશ થાય છે. આ વર્ષના ફેબ્રુઆરીમાં એક શ્રમિકે ખાણમાંથી આ હીરો શોધી કાઢ્યો હતો
અગાઉની હરાજીમાં તે વેચાયા વિના જ રહી ગયો હતો, એમ તેમણે કહ્યું હતું. આ હીરો લિલામનું મુખ્ય આકર્ષણ બની રહેશે અને તેના અંદાજે રૂ. ૭૦ લાખ ઉપજે એવી અપેક્ષા છે. આ વખતે લિલામમાં મુકવામાં આવેલો આ સૌથી મોટો હીરો હશે. ગુજરાત, દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ અને દેશના અન્ય ભાગના લોકો આ લિલામમાં ભાગ લે તેવી શક્યતા છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.