CIA ALERT

બિઝનેસ Archives - Page 11 of 90 - CIA Live

November 8, 2024
vipul-shah-gjepc.jpg
2min364

કેન્દ્ર સરકારે સોનાના દાગીના બનાવવામાં સોનાના થતાં બગાડના ધોરણો એટલી હદે મર્યાદિત કરી દીધા હતા કે જેને કારણે ઝવેરાત ઉત્પાદકો, ઝવેરીઓને નફાની વાત તો દૂર પણ નુકસાની વહોરવી પડતી હતી. સમગ્ર દેશના ઝવેરાત ઉત્પાદકોમાં આ અન્યાયી નિયમો સામે સખત નારાજગી હતી જેને લઇને જેમ્સ એન્ડ જ્વેલરી એક્ષપોર્ટ પ્રમોશન કાઉન્સિલે કેન્દ્ર સરકારને રજૂઆતો કરી હતી કે સોનામાંથી દાગીના બનાવનારા ઉત્પાદકોને દાગીના બનાવતી વખતે 5 ટકા સુધીના સોનાનો બગાડ સહન કરવો પડે છે. આ રીતે બગડતું સોનું ક્યાં તો ગોલ્ડ ડસ્ટ, ક્યાંતો ઓગળીને, ક્યાં તો કચરા ભેગું થઇ જતું હોવાથી અગાઉના ધોરણો અનુસાર 5 ટકા બગાડને મંજૂર રાખવા માટે રજૂઆત કરવામાં આવી હતી.

જીજેઇપીસીની સત્તાવાર યાદીમાં જણાવવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારે ઝવેરાત ઉત્પાદનમાં થતા સોનાના બગાડ અંગેની માગણીને સ્વીકારી છે. વિદેશી વેપારના મહાનિદેશાલય (ડીજીએફટી) એ આગામી તા.1લી જાન્યુઆરી 2025થી અમલમાં આવે એ રીતે દાગીનાઓના ઉત્પાદનમાં થતાં સોનાના બગાડના નવા ધોરણો અને સ્ટાન્ડર્ડ ઇનપુટ આઉટપુટ નોર્મ્સ (SIONs)માં સુધારો કરતું નોટિફિકેશન પ્રસિદ્ધ કરી દીધું છે.

અગાઉ DGFTએ 27મી મે 2024ના રોજ જાહેર સૂચના નંબર 05/2024-25 દ્વારા તમામ દાગીનાઓની તમામ શ્રેણીઓના બગાડના ધોરણોમાં ભારે ઘટાડો કર્યો હતો. આ ઘટાડાઓની ગંભીર અસર પર ધ્યાન આપતા, જીજેઇપીસીએ એ જ દિવસે DGFT અધિકારીઓ સાથે સ્ટેક હોલ્ડર્સની મીટીંગ યોજી હતી. જીજેઇપીસી અને ઝવેરાત ઉત્પાદકોએ દાગીના બનાવવાની પ્રક્રિયા દરમિયાન કઇ રીતે કેટલા પ્રમાણમાં સોનું બગડે છે તે પ્રકારે ઉત્પાદન ડેટા રજૂ કર્યો હતો. પરિણામે, અગાઉ આપવામાં આવેલી સૂચનાનો અમલ સમયાંતરે સ્થગિત કરવામાં આવ્યો હતો.

જીજેઇપીસીએ ઝવેરાત ઉત્પાદકોના હિતમાં કેન્દ્ર સરકાર પાસે બે મુખ્ય રજૂઆતો કરી હતી જેમાં (એ) દાગીનાઓના ઉત્પાદની પ્રક્રિયા સાથે વાસ્તવિક રીતે સંરેખિત થતા બગાડના ધોરણો નિર્ધારિત કરવા અને (બી) નવા નિયમો અપનાવવા માટે ફેરફાર અપનાવવાની પર્યાપ્ત અવધિની મંજૂરી આપવી.

GJEPC ના સંશોધન અને ડીજીએફટી અધિકારીઓ સાથેની વિવિધ ચર્ચાઓ બાદ, બગાડના અગાઉના ધોરણો સાથે વ્યવહારુ ફેરફારો કરવામાં આવ્યા છે જે આગામી તા.1લી જાન્યુઆરી 2025થી અમલમાં આવશે. વચગાળાના સમયગાળા દરમિયાન, અગાઉના ધોરણો 31મી ડિસેમ્બર 2024 સુધી અમલમાં રહેશે.

આ જાહેરનામામાં SIONs માટેના સુધારણાની પણ વિગતો આપવામાં આવી છે, જે ફિનિશ્ડ જ્વેલરીના ચોક્કસ જથ્થા માટે મંજૂર કાચા માલની માત્રાનો ઉલ્લેખ કરે છે. સુધારેલા ધોરણોનો ઉદ્દેશ્ય ધાતુના અસરકારક ઉપયોગને દાગીનાઓની ઉત્પાદનની પ્રક્રિયાઓની વાસ્તવિકતાઓ સાથે સંતુલિત કરવાનો છે, જેનાથી વધારે ફાયદો પરંપરાગત કારીગરોને થશે.

હેડિંગ બોક્સ

દાગીના ઉત્પાદનમાં સોનાનો બગાડના ધોરણો

વિગત સોનું ચાંદી

હેન્ડ ક્રાફ્ટેડ પ્લેન જ્વેલરી 2.25 3

મશીન મેડ જ્વેલરી 0.45 0.50

સ્ટડેડ હેન્ડ ક્રાફ્ટ જ્વેલરી 4.00 4.00

સ્ટડેડ મશીન મેડ જ્વેલરી 2.80 2.80

માઉન્ટીંગ-ફાઇન્ડીંગ્સ હેન્ડ 2.00 2.50

માઉન્ટીંગ-ફાઇન્ડીં મશીન 0.40 0.50

અન્ય મિકેનાઇઝ્ડ જ્વેલરી 0.90 0.90

ભગવાનની પ્રતિકૃતિ હેન્ડ 4.00 4.00

ભગવાનની પ્લેન પ્રતિકૃતિ 2.00 2.00

November 8, 2024
ntpc2-1280x853.jpg
1min286

, ભારત સરકારના ઔદ્યોગિક સાહસ NTPC લિમિટેડનો 50મો સ્થાપના દિવસ ગઇ તા.07 નવેમ્બર, 2024ના રોજ NTPC કવાસ ખાતે ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો હતો. NTPC ધ્વજ લહેરાવ્યા પછી, મુખ્ય અતિથિ શ્રીસુરેશ જોન ડેવિડ, પ્રોજેક્ટ હેડ (KAWAS)એ સ્થાપના દિવસ સમારોહમાં ઉપસ્થિત કર્મચારીઓને 76,476 મેગાવોટની વીજ ઉત્પાદન ક્ષમતાની અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

સભાને સંબોધતા તેમણે કહ્યું કે NTPC એ દેશના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી છે. એનટીપીસી હાલમાં કોલસો, ગેસ, નેપ્થા, હાઇડ્રો, પવન અને સૌર સ્ત્રોતોમાંથી વીજળીનું ઉત્પાદન કરીને દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. વધુમાં, એનટીપીસી પરમાણુ વીજ ઉત્પાદન માટેની યોજનાનો અમલ કરી રહી છે.

વીજ ઉત્પાદનની સાથે, NTPC કોલસાની ખાણકામ, ગ્રીન હાઇડ્રોજન, કાર્બન ડાયોક્સાઇડમાંથી મિથેનોલ ઉત્પાદન, હાઇડ્રોજન મિશ્રણ, FCEV મોબિલિટી પ્રોજેક્ટ વગેરે ક્ષેત્રોમાં પણ રોકાયેલ છે.

તેમણે કહ્યું કે માનવ સંસાધન વિકાસના ક્ષેત્રમાં પણ અમે અમારી સંસ્થામાં ‘પીપલ બિફોર પીએલએફ’ની ફિલસૂફીને સર્વોચ્ચ સ્થાન આપ્યું છે અને તે મુજબ લોકો મૈત્રીપૂર્ણ નીતિઓ લાગુ કરી છે. NTPC એ નિવૃત્તિ પછી કર્મચારીઓની સારી સંભાળ માટે પેલિએટીવ કેર સેન્ટર અને વૃદ્ધાશ્રમ જેવી નીતિઓ પર અભિન્ન પહેલ કરી છે.

આ પ્રસંગે મુખ્ય મહેમાનશ્રીએ કર્મચારીઓને આહવાન કર્યું હતું કે આપણે દરેક કાર્ય ઉચ્ચ ગુણવત્તા અને નીતિમત્તાથી કરવાની જરૂર છે. મલ્ટિ-ટાસ્કિંગ દ્વારા અમારી ક્ષમતાઓને વધુ વધારવા માટે આપણે હંમેશા લવચીક રહેવું પડશે. તેમના સંબોધનમાં, મુખ્ય અતિથિએ NTPC કવાસ સાથે સંકળાયેલી તમામ સંસ્થાઓ પ્રત્યે તેમનો આભાર વ્યક્ત કર્યો.

કાર્યક્રમના અંતે, સિમ્યુલેટર ભવન ઓડિટોરિયમમાં NTPC સ્થાપના દિવસ નિમિત્તે NTPC ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર માનનીય શ્રી ગુરદીપ સિંહના સંબોધનનું જીવંત પ્રસારણ યોજવામાં આવ્યું હતું.

આજના કાર્યક્રમને યાદગાર બનાવવા પ્રોજેક્ટ હેડની અધ્યક્ષતામાં સવારે શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને સાંજે સાંસ્કૃતિક સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું.

November 7, 2024
bitcoin.jpg
1min215

  • ટ્રમ્પે અમેરિકાને ક્રિપ્ટોનું વૈશ્વિક મથક બનાવવાની ચૂંટણી પ્રચારમાં ખાતરી આપી છે કમલા હેરિસ કરતા ડોનાલ્ડ ટ્રમ્પ ક્રિપ્ટોકરન્સીસ માટે વધુ પોઝિટિવ હોવાનો ખેલાડીઓ મત ધરાવી રહ્યા છે. ટ્રમ્પના આવવાથી અમેરિકાના સિક્યુરિટીસ એન્ડ એકસચેન્જ કમિશન (એસઈસી)ના ક્રિપ્ટોકરન્સીસ તરફના વલણમાં બદલાવ આવવાની પણ અપેક્ષા રાખવામાં આવી રહી છે.
  • ક્રિપ્ટો માર્કેટ તરફી વલણ ધરાવતા ડોનાલ્ડ ટ્રમ્પના વિજયની અસર
    અમેરિકાના પ્રમુખપદે ક્રિપ્ટોકરન્સી તરફી ડોનાલ્ડ ટ્રમ્પનો વિજય થતાં છેલ્લા ચોવીસ કલાકમાં બિટકોઈનની આગેવાની હેઠળ વૈશ્વિક ક્રિપ્ટો માર્કેટમાં મોટી રેલી જોવા મળી હતી. દસ ટકાના ઉછાળા સાથે બિટકોઈને ૭૫૩૬૩ ડોલરની નવી ઊંચી સપાટી દર્શાવી હતી. છેલ્લા ચોવીસ કલાકમાં બિટકોઈન નીચામાં ૬૮૬૫૪ ડોલર જોવાયો હતો અને મોડી સાંજે ૭૩૮૬૦ ડોલર કવોટ કરાતો હતો. બિટકોઈનની પાછળ અન્ય ક્રિપ્ટોસમાં પણ સુધારો જોવા મળ્યો હતો. આજથી શરૂ થયેલી ફેડરલ રિઝર્વની બે દિવસની બેઠક પર બજારની નજર રહેશે.

બિટકોઈનમાં જંગી ઉછાળા પાછળ સંસ્થાકીય માગ હોવાનું બજારના સુત્રોએ જણાવ્યું હતું. અમેરિકાના બિટકોઈન ઈટીએફ હોલ્ડિંગ્સ ગયા મહિને વધી ૬૬ અબજ ડોલરની વિક્રમી સપાટીએ પહોંચ્યું હતું.

જોખમ લેવા માગતા ખેલાડીઓ માટે બિટકોઈન એક પસંદગીની એસેટસ છે. બિટકોઈનમાં ઉછાળાનો અર્થ સંસ્થાકીય રોકાણકારો તેમાં નાણાં ઠાલવી રહ્યા છે એમ બજારના સુત્રોએ જણાવ્યું હતું.

ટ્રમ્પના વિજયથી ડિજિટલ કરન્સીને બળ મળશે. પોતાના ચૂંટણી પ્રચારમાં ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાને ક્રિપ્ટોનું વૈશ્વિક મથક બનાવવાની ખાતરી આપી હતી.

બાઈડન વહીવટીતંત્ર હેઠળ જપ્તિના પગલાંઓ બાદ ક્રિપ્ટોકરન્સી ઉદ્યોગ હવે નિયમનકારી માળખાની આશા રાખી રહ્યો છે. બિટકોઈનની પાછળ અન્ય ક્રિપ્ટોસ જેમ કે એથરમ વધી ૨૬૨૨ ડોલર, સોલાના ૧૮૫ ડોલર, બીએનબી ૫૮૨ ડોલર બોલાતા હતા.

એલન મસ્કના પીઠબળ સાથેની ક્રિપ્ટો ડોજકોઈન ૨૫ ટકા ઉછળી ૦.૨૦ ડોલર પહોંચી ગઈ હતી. એલન મસ્કે ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને ખુલ્લો ટેકો જાહેર કર્યો હતો. ક્રિપ્ટોસની એકંદર માર્કેટ કેપ પણ પાંચ ટકાથી વધુ વધી ૨.૫૬ ટ્રિલિયન ડોલર પર પહોંચી ગઈ હતી.

નીચા વ્યાજ દરોને બિટકોઈન માટે તેજીની સ્થિતિ તરીકે જોવામાં આવે છે, કારણ કે રોકાણકારો વધુ નાણાં ઉછીના લઈ જોખમી એસેટસમાં રોકાણ કરવાનું પસંદ કરે છે, ત્યારે વર્તમાન સપ્તાહમાં અમેરિકન ફેડરલ રિઝર્વની ૬-૭ મીએ મળનારી બેઠકમાં વ્યાજ દરમાં જો વધુ ઘટાડોઆવશે તો બિટકોઈન સહિતની ક્રિપ્ટોકરન્સીસમાં ઉછાળો જોવા મળવાની ખેલાડીઓને અપેક્ષા છે.

October 25, 2024
pushpa2.png
1min343

અલ્લુ અર્જુનની ‘પુષ્પા ટૂ’ હવે છઠ્ઠી ડિસેમ્બરને બદલે પાંચમી ડિસેમ્બરે રીલિઝ થશે. તેના કારણે વિકી કૌશલનું ટેન્શન વધ્યું છે. વિકી કૌશલની ‘છાવા’ તા. છઠ્ઠી ડિસેમ્બરે જ ‘પુષ્પા ટૂ’ સામે ટકરાવાની હતી પરંતુ હવે આગલા દિવસથી જ ‘પુષ્પા ટૂ’ છવાઈ જશે તો ‘છાવા’ને મોટો ફટકો પડશે. ‘પુષ્પા ટૂ’ ફિલ્મની રિલીઝની તારીખમાં વાંરવાર ફેરફાર કરવામાં આવ્યા છે. પહેલા આ ફિલ્મને ગત એપ્રિલ મહિનામાં રીલિઝ કરવાની યોજના હતી. આ પછી તેને ૧૫ ઓગસ્ટના રોજ રીલિઝ કરવાનું જાહેર કરાયું હતું. પરંતુ શૂટિંગ લંબાઇ જવાના કારણ તારીખ ઠેલાઈ ગઈ હતી. બંને ફિલ્મોમાં મુખ્ય હિરોઈન તરીકે રશ્મિકા મંદાના કોમન છે.

આમ રશ્મિકાની જ એક ફિલ્મનો મુકાબલો રશ્મિકાની બીજી ફિલ્મ સામે થશે.

‘પુષ્પા ટૂ’ને તેના પહેલા ભાગની ગુડવિલનો લાભ મળી રહ્યો હોવાથી તે રેસમાં અત્યારથી આગળ છે. બીજી તરફ વિકી કૌશલ એક સારો કલાકાર હોવા છતાં પણ બોક્સ ઓફિસ પર કમર્શિઅલ સકસેસની ગેરન્ટી મનાતો નથી.

October 23, 2024
1min222

વૈશ્વિક સ્તરના પ્રતિકૂળ અહેવાલો પાછળ વૈશ્વિક બજારોમાં સેન્ટીમેન્ટ ડહોળાવાની સાથોસાથ વિદેશી રોકાણકારોની જંગી વેચવાલી સહિતના અન્ય અહેવાલો પાછળ આજે ભારતીય શેરબજારમાં કડાકો બોલી જવા પામ્યો હતો. જેના પગલે કામકાજના અંતે રોકાણકારોની

સંપત્તિમાં (બીએસઇ માર્કેટકેપ.) રૂ.૯.૨૦ લાખ કરોડનું ધોવાણ થવા પામ્યું હતું.
ચીન દ્વારા રાહત પેકેજો જાહેર કરાતા વિદેશી રોકાણકારો ભારત છોડીને ચીન તરફ વળ્યાના અહેવાલોની સાથોસાથ વિદેશી શેરબજારોમાં પણ મોટા પાયે વેચવાલીના અહેવાલોની ભારતીય બજાર પર પ્રતિકૂળ અસર થવા પામી હતી. આ ઉપરાંત ઘર આંગણે અત્યાર સુધી કંપનીઓ દ્વારા જાહેર કરાયેલ પરિણામોમાં નફા વૃદ્ધિમાં રૂકાવટ આવ્યાના અહેવાલોની પણ બજાર પર પ્રતિકૂળ અસર થઇ હતી. આ ઉપરાંત ઉંચા વેલ્યુએશનની પણ બજાર પર પ્રતિકૂળ અસર થઈ હતી. આજે લાર્જકેપની સાથે સ્મોલકેપ અને મીડકેપ શેરોમાં પણ મોટા પાયે ગાબડા નોંધાયા હતા.

આ અહેવાલો પાછળ આજે વિદેશી રોકાણકારોની આગેવાની હેઠળ ફંડો તેમજ ઓપરેટરો સહિત ચોમેરથી આવેલ વેચવાલીના ભારે દબાણે આજે સેન્સેક્સમાં છેલ્લા કલાકમાં ભારે પેનિંક આવતા કામકાજના અંતે ૯૩૦ પોઈન્ટ તૂટીને ૮૦૨૨૦ની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૩૦૯ પોઈન્ટ તૂટીને ૨૪૪૭૨ની સપાટીએ ઉતરી આવ્યો હતો.

સેન્સેક્સની નરમાઈ પાછળ આજે રોકાણકારોની સંપત્તિ પણ રૂ. ૯.૨૦ લાખ કરોડ ઘટીને રૂ. ૪૪૪.૪૫ લાખ કરોડ રહી હતી. વિદેશી રોકાણકારોએ આજે રૂ. ૩૯૭૯ કરોડની વેચવાલી હાથ ધરી હતી. આજે બીએસઈ સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૨૧૧૮ અને મીડકેપ ઇન્ડેક્સમાં ૧૧૯૦ પોઈન્ટનું ગાબડું નોંધાયું હતું.

October 18, 2024
100281353-gold_bars_piles_gettyP.530x298.jpg
1min260

દિવાળી અને ધનતેરસ પહેલાં જ સોના-ચાંદીની ચમક વધી છે. વૈશ્વિક સ્તરે પણ ડોલર ઈન્ડેક્સ નબળો પડતાં સોના-ચાંદીમાં રેકોર્ડ વૃદ્ધિની અસર સ્થાનિક બજારોમાં જોવા મળી છે. સ્થાનિક બજારોમાં આજે સોના-ચાંદીના ભાવ રૂ. 500 વધ્યા છે.

અમદાવાદ ચોક્સી બજારમાં આજે સોનાની કિંમત રૂ. 500 વધી રૂ. 79800 પ્રતિ 10 ગ્રામ સાથે ઐતિહાસિક ટોચે પહોંચી છે. ચાંદી પણ રૂ. 500 ઉછળી રૂ. 92500 પ્રતિ કિગ્રા પર ક્વોટ થઈ છે. જે તેના રેકોર્ડ લેવલ રૂ. 93000 પ્રતિ કિગ્રા નજીક છે.

એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.77294ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.77667ના ઓલટાઈમ હાઈને સ્પર્શી, નીચામાં રૂ.77294ના સ્તરને સ્પર્શી, રૂ.77107ના આગલા બંધ સામે રૂ.482 વધી રૂ.77589ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓક્ટોબર વાયદો 8 ગ્રામદીઠ રૂ.543 ઊછળી રૂ.62250ના ભાવ થયા હતા. જ્યારે ગોલ્ડ-પેટલ ઓક્ટોબર વાયદો 1 ગ્રામદીઠ રૂ.58 વધી રૂ.7564ના ભાવ થયા હતા. સોનું-મિની ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.533ના ઉછાળા સાથે રૂ.77073ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.91995ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.93135 અને નીચામાં રૂ.91995ના મથાળે અથડાઈ, રૂ.91744ના આગલા બંધ સામે રૂ.1257ના ઉછાળા સાથે રૂ.93001ના ભાવ થયા હતા. આ સામે કિલોદીઠ ચાંદી-મિની નવેમ્બર વાયદો રૂ.1210ની તેજી સાથે રૂ.92824ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે ચાંદી-માઈક્રો નવેમ્બર વાયદો રૂ.1209ના ઉછાળા સાથે રૂ.92824ના ભાવ થયા હતા.

વૈશ્વિક સ્તરે પણ કિંમતી ધાતુની માગ વધતાં સ્પોટ ગોલ્ડ પ્રથમ વખત 2700 ડોલરનું લેવલ ક્રોસ કરી 2729.30 ડોલર પ્રતિ ઔંશની રેકોર્ડ સપાટીએ નોંધાયુ છે. જિઓ પોલિટિકલ ક્રાઈસિસ, અમેરિકાની ચૂંટણી અંગે અનિશ્ચિતતાઓ અને ડોલર ઈન્ડેક્સ નબળો પડવા સહિતના પરિબળોના પગલે રોકાણકારો કિંમતી ધાતુ તરફ ડાયવર્ટ થયા છે.

LKP સિક્યુરિટીઝના કોમોડિટી એન્ડ કરન્સી રિસર્ચ એનાલિસ્ટ જતીન ત્રિવેદીએ જણાવ્યા પ્રમાણે, “સોનાના ભાવ તેની મજબૂત તેજી સાથે આગેકૂચ કરી રહ્યા છે. આ મજબૂત વલણ ફેડ દ્વારા વ્યાજ દરમાં કાપની અપેક્ષા દ્વારા પ્રેરિત છે. નજીકના ભવિષ્યમાં અપેક્ષિત વધુ ઘટાડા સાથે MCX સોનામાં વ્યાપક વલણ સ્પષ્ટપણે હકારાત્મક રહ્યું છે, તે વર્ષની શરૂઆતમાં રૂ. 68,000ના લેવલથી ઊંચકાઈ રૂ. 77,500ની ટોચે પહોંચ્યું છે. જ્યાં સુધી વ્યાજદરમાં કાપની અપેક્ષાઓ અને ભૌગોલિક રાજકીય તણાવ યથાવત રહેશે ત્યાં સુધી સોના માટેનો બુલિશ અંદાજ અકબંધ રહેશે.”

ચાલુ કેલેન્ડર વર્ષ 2024માં સોનામાં આકર્ષક 22 ટકાથી વધુ ઉછાળો નોંધાયો છે. દિવાળીથી દિવાળીના આંકડાઓને ધ્યાનમાં લઈએ તો 30 ટકા રિટર્ન છૂટ્યું છે. આગામી સેશનમાં એમસીએક્સ સોનું રૂ. 78,500ના સંભવિત અપસાઇડ સાથે બુલિશ રહેશે. સપોર્ટ લેવલ રૂ. 75000 પ્રતિ 10 ગ્રામ નિર્ધારિત કરવામાં આવ્યો છે. વર્તમાન તેજીને ધ્યાનમાં લેતાં આગામી ટૂંકા ગાળામાં કરેક્શન આવી શકે છે, પરંતુ ઓવરઓલ ટ્રેન્ડ પોઝિટિવ રહેશે.

October 15, 2024
Cia_business_news-1280x936.jpg
1min2661

કેન્દ્ર સરકારે ટફ બંધ કર્યાના અઢી વર્ષ બાદ રાજ્ય સરકારે ટેક્ષટાઇલ ઉદ્યોગમાં અપગ્રેડેશન રૂંધાય નહીં તે માટે કેપીટલ ઇન્વેસ્ટમેન્ટ પર 10થી 35 ટકા સુધી સબસિડી આપવાની જાહેરાત કરી છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે ગુજરાત ટેક્ષટાઇલ પોલિસી 2024નું લોકાર્પણ કર્યું અને જાણે સુરતના ટેક્ષટાઇલ ઉદ્યોગના ભાગ્ય ખૂલી ગયા હતા. કેન્દ્રએ ટેક્ષટાઇલ ઉદ્યોગમાં ખાસ કરીને નાના અને મધ્યમસ્તરના કાપડ ઉત્પાદક કારખાનેદારો માટેની ટફ સબસિડી સ્કીમ બંધ કર્યાના અઢી વર્ષ બાદ ગુજરાત સરકારે આજે જાહેર કરેલી ટેક્ષટાઇલ પોલિસીમાં ટેક્ષટાઇલ કારખાનેદારો માટે ફરીથી ઇન્વેસ્ટમેન્ટ સબસિડીની જાહેરાત કરી છે જેને લઇને સ્થાનિક ટેક્ષટાઇલ ઉદ્યોગકારોમાં ખુશાલી પ્રવર્તી ઉઠી છે.

મળતી પ્રારંભિક માહિતી મુજબ ટેક્ષટાઇલ ઉદ્યોગમાં મશીનરી સ્વરૂપમાં નવું મૂડીરોકાણ કરનારા ઉદ્યોગ સાહસિકોને 10 ટકાથી લઇને 35 ટકા સુધી સબસિડી આપવાની જાહેરાત કરવામાં આવી છે. કયા સંજોગોમાં 10 ટકા અને કયા સંજોગોમાં 35 ટકા સબસિડી મળશે તેની ડિટેઇલની રાહ જોવાય રહી છે. પરંતુ, રાજ્ય સરકારે ઇન્વેસ્ટમેન્ટ પર સબસિડી આપવાની નીતિ વિષયક ઘોષણા કરીને સુરતના ટેક્ષટાઇલ ઉદ્યોગકારોને દિલ જીતી લીધા છે. ઇન્વેસ્ટમેન્ટ સબસિડીનો લાભ લેવામાં સુરતના ટેક્ષટાઇલ ઉદ્યોગકારો એકલા ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં પહેલા ક્રમે આવે છે.

કેન્દ્ર સરકારની 1998થી ચાલી આવતી ટેક્નોલોજી અપગ્રેડેશન ફંડ (ટફ) સ્કીમ માર્ચ 2022માં સમાપ્ત કરી દીધી હતી. ટફ સ્કીમમાં મશીનરીની કુલ કિંમતના 10 ટકા સબસિડી આપવામાં આવતી હતી. જેની સામે રાજ્ય સરકારે 10થી 35 ટકા સુધીની ઇન્વેસ્ટમેન્ટ સબસિડી આપવાની ઘોષણા કરી છે.

એથી વિશેષ બેંક ધિરાણ પર લાગૂ પડતા વ્યાજમાં 5થી 7 ટકા સુધીની ઇન્ટરેસ્ટ સબસિડી આપવાનું પણ એલાન ગુજરાત ટેક્ષટાઇલ પોલિસીમાં કરવામાં આવ્યું છે.

એવી જ રીતે ઇલેક્ટ્રીસિટી ટેરીફ પ્રતિ યુનિટ રૂ.1ના દરે આપવાની પણ નીતિ વિષયક ઘોષણાને કારણે સુરતના વીવીંગ નીટીંગ ઉદ્યોગકારોને મોટો ફાયદો થાય તેમ માનવામા આવે છે.

એવી જ રીતે ટેક્ષટાઇલ ઉદ્યોગમાં રોજગારીનું સર્જન વધારે થાય તે માટે રૂ.5 હજાર સુધી પ્રતિ કર્મચારી પેરોલ સપોર્ટ આપવાની પણ ઘોષણા કરવામાં આવી છે.

October 10, 2024
ratan-tata.png
1min320

દિગ્ગજ બિઝનેસમેન રતન ટાટાનું 86 વર્ષની વયે નિધન થઇ ગયું છે. આ માહિતી ટાટા ગ્રૂપે જ આપી હતી. ટાટા સમૂહે કહ્યું છે કે અપાર દુઃખ સામે અમે પ્રિય રતનના શાંતિપૂર્ણ નિધનની જાહેરાત કરીએ છીએ. અમે તેમના ભાઈ, બહેન અને સ્વજન તથા તેમની પ્રશંસા કરનારા તમામ લોકોના પ્રેમ અને સન્માનથી સાંત્વના મહેસૂસ કરીએ છીએ.

મહારાષ્ટ્રના મંત્રી દીપક કેસરકરે કહ્યું કે ઉદ્યોગપતિ રતન ટાટાના નિધનને કારણે મુંબઈમાં રાજ્ય સરકારના તમામ કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા છે.

રતન ટાટાને રાજકીય સન્માન સાથે વિદાય આપવામાં આવશે. મુંબઈમાં 10 વાગ્યાથી લોકો તેમના અંતિમ દર્શન કરી શકશે.

મુંબઈ પોલીસના દક્ષિણ ઝોનના એડિશનલ કમિશનર અભિનવ દેશમુખે જણાવ્યું હતું કે તેમના પાર્થિવ દેહને સવારે 10 થી બપોરે 3:30 વાગ્યા સુધી દર્શન માટે NCPA ખાતે રાખવામાં આવશે. દર્શન માટે આવનાર તમામ લોકોને અપીલ છે કે ત્યાં પાર્કિંગની સુવિધા ન હોવાથી તેઓએ પોલીસની સૂચનાનું પાલન કરવું પડશે અને આવતા પહેલા તેમની પાર્કિંગની વ્યવસ્થા કરવી પડશે. પોલીસનો સંપૂર્ણ બંદોબસ્ત ગોઠવવામાં આવશે.

રતન ટાટાના નિધન પર શોક વ્યક્ત કરતા વિદેશ મંત્રી એસ જયશંકરે લખ્યું, “રતન ટાટાનું નિધન એક યુગનો અંત છે. તેઓ ભારતીય ઉદ્યોગના આધુનિકીકરણ અને તેનાથી પણ વધુ તેના વૈશ્વિકીકરણ સાથે ઊંડે સુધી સંકળાયેલા હતા. હું તેમને મળ્યો છું. ઘણા પ્રસંગોએ તેમની સાથે વાર્તાલાપ કરવાનો આનંદ મળ્યો અને તેમની દૂરંદેશી અને સૂઝબુઝનો લાભ મળ્યો. ઓમ શાંતિ! તેમના નિધનના શોકમાં સમગ્ર રાષ્ટ્ર સાથે જોડાઈએ.

October 5, 2024
stock-down.jpeg
1min261

ભારતીય શેરબજારમાં(Stock Market) First Week October 2024 દરમ્યાન રોકાણકારોમાં ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો. જેમાં 30 સપ્ટેમ્બરે જ્યારે શેરબજાર ખુલ્યું ત્યારે રોકાણકારોએ અંદાજ પણ નહીં લગાવ્યો હોય કે આ અઠવાડિયું તેમના માટે નુકશાનકારક સાબિત થશે. ગયા સપ્તાહે શુક્રવારથી શરૂ થયેલો શેરબજારમાં ઘટાડાનો ટ્રેન્ડ આજે 4/10/2024 સતત 5માં દિવસે પણ ચાલુ રહ્યો હતો. શેરબજારમાં ચાલી રહેલા વિક્રમી ઘટાડા વચ્ચે રોકાણકારોના કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.

નિષ્ણાતોનું માનવું છે કે પશ્ચિમ એશિયામાં વધતા તણાવની સીધી અસર શેરબજાર પર જોવા મળી રહી છે. માર્કેટમાં 5 દિવસથી ચાલી રહેલા ઘટાડાથી શેરબજારના રોકાણકારોને 16.26 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ 5 દિવસના ઘટાડા પછી BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂપિયા 16,26,691.48 કરોડ ઘટીને રૂપિયા 4,60,89,598.54 કરોડ થયું હતું.

સપ્તાહના છેલ્લા દિવસે એટલે કે આજે 4/10/2024 સેન્સેક્સ 808.65 પોઈન્ટ ઘટીને 81,688.45 પોઈન્ટ પર બંધ થયો હતો. બીજી તરફ નિફ્ટી 50 પણ 200.25 પોઈન્ટ ઘટીને 25,049.85 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. આ અઠવાડિયું ભારતીય બજાર માટે ઘણું ખરાબ રહ્યું. આ અઠવાડિયે સેન્સેક્સમાં કુલ 3883.40 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે બીજી તરફ આ સપ્તાહે નિફ્ટી 50માં કુલ 1129.10 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો.

આજે સેન્સેક્સ કંપનીઓમાં ભારતની અગ્રણી ઓટોમોબાઈલ કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં 3.58 ટકાનો સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો. જોકે, શેરબજારમાં અરાજકતા સર્જનાર આ ઘટાડામાં ઈન્ફોસિસના શેરમાં સૌથી વધુ 1.33 ટકાનો વધારો નોંધાયો હતો.

October 3, 2024
sensex.jpg
1min281


ઈરાન દ્વારા ઈઝરાયલ પર કરાયેલા હુમલાને પગલે યુદ્ધ છંછેડાવાની ભીતિને પગલે ભારતીય શેરબજારમાં હડકંપ મચી ગયું છે. આજે 3/10/24 સ્ટોક માર્કેટ પ્રી ઓપન સેશનમાં સેન્સેક્સમાં એકઝાટકે 1264 પોઈન્ટનો કડાકો બોલી ગયો હતો. જ્યારે નિફ્ટી 50માં પણ 345 પોઈન્ટનો કડાકો બોલી ગયો હતો.

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધતી તંગદિલીથી બજારનો મૂડ બગડ્યો છે. જોકે સૌથી મોટી ડરની વાત એ છે કે ઈરાને તો 500 જેટલી મિસાઈલો ઝિંકીને ઈઝરાયલમાં હાહાકારની સ્થિતિ સર્જી દીધી પરંતુ હવે ઈઝરાયલ આ હુમલાનો જવાબ કેવી રીતે આપે છે તેના પર સૌની મોટી મંડાઈ છે. જો ઈઝરાયલ વધારે તબાહી સર્જશે તો એક મોટા યુદ્ધની આશંકા સેવાઈ રહી છે જેની અસર સીધી રીતે વેપાર અને શેરબજાર પર થવાની છે.

શેરબજારમાં કડાકા પાછળ હાલમાં ઈરાન દ્વારા ઈઝરાયલ પર કરાયેલા હુમલા બાદ યુદ્ધ થવાની આશંકાને મોટું કારણ ગણવામાં આવી રહ્યું છે. આ દરમિયાન ભારતીય શેરબજારમાં સૌથી વધુ ઓટો સ્ટોક્સમાં નુકસાન દેખાયું. નિફ્ટી ઓટો ઈન્ડેક્સ 2.07 ટકા તૂટ્યો. એફએમસીજીમાં પણ 1.52 ટકાનો કડાકો બોલાયો છે. જ્યારે નિફ્ટી આઈટી ઈન્ડેક્સ, પીએસયુ બેન્ક, હેલ્થકેરમાં એક-એક ટકાનો ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત નિફ્ટી રિયલ્ટી ઈન્ડેક્સ, કન્ઝ્યૂમર ડ્યુરેબલ્સ, ઓઈલ એન્ડ ગેસ સહિત મોટાભાગના ઈન્ડેક્સ લાલ નિશાનમાં ખુલ્યા હતા.