ગુજરાતના રાસ-ગરબા, તો દિલ્હીમાં રાવણદહન, બંગાળમાંદુર્ગાપૂજા, દક્ષિણ ભારતમાં શાહી સવારી
વિવિધતામાં એક્તાથી ભરેલા આપણા દેશમાં લોકોની ભાષા, ખોરાક, સંસ્કૃતિ, પોશાક અલગ અલગ છે, રીતરિવાજો અલગ અલગ છે, પૂજા પ્રાર્થનાની રીત અલગ છે પણ લોકભાવના એક છે. દેશના દરેક તહેવારોનો એક વિશિષ્ટ અને અનન્ય પ્રાદેશિક સ્પર્શ છે અને એની ઉજવણીના અલગ અલગ સ્વરૂપ છે.
વિવિધતાની ઉજવણીનું નવલું ઉદાહરણ છે નવરાત્રી, જેનો સંસ્કૃતમાં અર્થ થાય છે નવ રાત. આ નવ રાત અને દસ દિવસ દરમિયાન જગતજનની અને શક્તિની દેવીના જુદા જુદા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે જે વિવિધ ગુણોનું પ્રતિનિધિત્વ કરે છે. દેશભરમાં અને વિદેશમાં પણ નવરાત્રીની ઉજવણી જુદી જુદી રીતે ખુશી, ઉર્જા અને ઉત્સાહપૂર્વક ભાતીગળ રીતે કરવામાં આવે છે. દેશના જુદા જુદા રાજ્યોમાં નવરાત્રીની ઉજવણી કેવી રીતે કરવામાં આવે છે એના વિશે જાણીએ.
રાજસ્થાન
નવરાત્રિદરમિયાન દશેરાના મેળા રાજસ્થાનની મુખ્ય ઉજવણી ગણવામાં આવે છે, જ્યાં દરેક ક્ષેત્રના લોકો એકસાથે ઉજવણી કરે છે.
પશ્ર્ચિમ બંગાળ, આસામ અને બિહાર
આ રાજ્યોમાં, નવરાત્રીનો તહેવાર દુર્ગાપૂજા તરીકે ઉજવવામાં આવે છે. આ પશ્ર્ચિમ બંગાળનો મુખ્ય તહેવાર છે. સપ્તમી, અષ્ટમી, નવમી અને દશમ એ નવરાત્રિના અંતિમ ચાર દિવસ છે, જે પૂર્વીય ભારતમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. હાથમાં વિવિધ શસ્ત્રો સાથે દેવી દુર્ગા સિંહ પર સવાર થયેલી દર્શાવવામાં આવે છે. મહિષાસુરની હત્યાને બતાવતા દર્શાવતી દેવી દુર્ગાની ઉત્કૃષ્ટ રચના અને શણગારેલી આકારની માટીની મૂર્તિઓ મંદિર અને અન્ય સ્થળોએ સ્થાપિત કરવામાં આવે છે. આ મૂર્તિઓની પાંચ દિવસ પૂજા કરવામાં આવે છે અને પાંચમાં દિવસે તેમનેનદીમાં લીન કરવામાં આવે છે. રાજ્યભરમાં દુર્ગાપૂજા ભવ્ય ધોરણે ઉજવવામાં આવે છે, જેમાં કેટલીક વિશેષ વિધિ કરવામાં આવે છે અને મા દુર્ગાની પ્રાર્થના કરવામાં આવે છે.
પંજાબ
પંજાબમાં નવરાત્રીની ઉજવણી કરવાની એક અલગ રીત છે. નવરાત્રી દરમિયાન, પંજાબની મહિલાઓ તહેવારના પહેલા સાત દિવસ માટે વ્રત રાખે છે, દેવીની પૂજા કરે છે અને જાગરણ (પરંપરાગત વિધિ)માં ભાગ લે છે, જેમાં રાતભર ભજન અને ભક્તિગીતો ગવાય છે. આઠમા દિવસે વ્રત પૂરું થાય છે અને એની ઉજવણી કરવામાં આવે છે, જેમાં નવ કુમારિકાને આમંત્રિત કરી ભોજન કરાવવામાં આવે છે અને એમને દુર્ગા માતાના રૂપમાં પૂજવામાં આવે છે. એને ક્ધયાપૂજન અથવા કંજક કહેવાય છે.
હિમાચલ પ્રદેશ
હિમાચલ પ્રદેશમાં દસમા દિવસે નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે, જેને કુલુ દશેરા તરીકે ઓળખવામાં આવે છે. એને ભગવાન રામના અયોધ્યામાં પાછા ફરવાનું પ્રતિક માનવામાં આવે છે. તે ઉત્તરમાં નવરાત્રીની ઉજવણીનો એક ભાગ છે અને કુલુ ખીણમાં પ્રખ્યાત છે. આ સમય દરમિયાન ખીણ તેજસ્વી રંગથી દીપી ઉઠે છે. ત્યાં દેવીની મૂર્તિઓ સાથે વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવે છે અને બિયાસ નદીના કાંઠે લંકાદહનના પ્રખ્યાત પ્રદર્શન પછી કેટલાક નૃત્ય અને ધાર્મિક વિધિ કરવામાં આવે છે.
દક્ષિણ ભારત
દક્ષિણ ભારતમાં નવરાત્રિ મિત્રો, સંબંધીઓ અને પાડોશીઓને આમંત્રણ આપવાનો સમય છે, જેઓ કોલુને જોવા માટે ભેગા થાય છે, જેમાં વિવિધ ઢીંગલીઓ અને પૂતળાંનું પ્રદર્શન થાય છે. કન્નડમાં આ પ્રદર્શનને બૉમ્બે હબ્બા, તમિલમાં બૉમ્માઇ કોલુ, મલયાલમમાં બૉમ્મા ગુલ્લુ, અને તેલુગુમાં બૉમ્માલા કોલુવુ કહેવામાં આવે છે. નવરાત્રીને કર્ણાટકમાં દશરા તરીકે ઓળખવામાં આવે છે. યક્ષગણ, પુરાણોમાંથી મહાકાવ્યની નાટકોના રૂપમાં પ્રસ્તુતિ કરી નૃત્ય કરવામાં આવે છે. મૈસુરમાં દશેરાની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે. મૈસુરના રાજવી પરિવાર દ્વારા શાહી સવારી કાઢવામાં આવે છે અને આ તહેવારને રાજ્ય ઉત્સવ તરીકે મનાવવામાં આવે છે. નવમીના દિવસે દક્ષિણ ભારતના ઘણા ભાગોમાં ધામધૂમથી આયુધ પૂજા કરવામાં આવે છે. આ દિવસે દેવી સરસ્વતીની પણ પૂજા કરવામાં આવે છે અને સાથે કૃષિ સાધનો, તમામ પ્રકારના સાધનો, પુસ્તકો, સંગીતનાં સાધનો, મશીનરી અને ઓટોમોબાઈલ્સનેપણ શણગારવામાં આવે છે અને પૂજવામાં આવે છે. દસમો દિવસ ‘વિજયા દશમી’ તરીકે ઉજવવામાં આવે છે. તે કેરળમાં વિદ્યારંભનો દિવસ ગણાય છે, જ્યાં નાના બાળકોને શિક્ષણ આપવાની શરૂઆત કરવામાં આવે છે.
આ નવ દિવસ આપણને આરામ કરવા, કાયાકલ્પ કરવા અને આપણા પ્રિયજનો સાથે વધુ સારી રીતે જોડાવા અને જીવનની ઉજવણી કરવામાં મદદ કરે છે.
મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં નવરાત્રી સમારોહ નવી શરૂઆતનું પ્રતિનિધિત્વ કરે છે, જેમાં મહિલાઓ તાંબા અથવા પિત્તળના વાસણ (ઘડા)માં પાણી ભરે છે અને તેને ચોખાના ઢગલા પર મૂકે છે. જે લાકડાના ટેબલ પર મૂકવામાં આવે છે અને તેની બાજુમાં દીવો મૂકવામાં આવે છે. જે જ્ઞાન અને સમૃદ્ધિનો સંકેત આપે છે. ઘડો એ કૃષિ કલ્યાણનું પ્રતીક છે.
ગુજરાત
નવરાત્રીમાં ગરબા અને દાંડિયા તો ગુજરાત અને ગુજરાતીઓની ઓળખ છે. ખૂબ જ ઉત્સાહપૂર્વક આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. ભક્તો માટીના પ્રતિકાત્મક નાના ઘડા (ગરબો)ની ઉપાસના કરે છે. આ ગરબાને બ્રહ્માંડનું પ્રતિક માનવામાં આવે છે. તેને મધ્યમાં રાખવામાં આવે છે અને દીવો પ્રગટાવવામાં આવે છે. એની આસપાસ ગરબા અને દાંડિયા રમવામાં આવે છે. દાંડિયા એ લોકનૃત્ય છે, જેમાં સ્ત્રીઓ અને પુરુષો બધા હાથમાં બે નાની લાકડીઓ લઇ ગીત-સંગીતના તાલે જૂથમાં પરંપરાગત પહેરવેશમાં નૃત્ય કરે છે.
નવી દિલ્હી
રાજધાનીના શહેર દિલ્હીમાં દુષ્ટ રાવણ પર ભગવાન રામની જીત તરીકે નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. અહીં રામલીલા ઉજવવામાં આવે છે અને તેમાં કુંભકર્ણ અને રાવણના પૂતળાનું દહન કરવામાં આવે છે. દુષ્ટ અને અસુરી શક્તિ ઉપર સારાઇની જીત તરીકે વિજ્યાદશમીનો તહેવાર ઉજવવામાં આવે છે. ઉપરાંત, આ નવ દિવસ દરમિયાન વિશેષ પૂજાઓ, ઉપવાસ, ધ્યાન, ગીત અને નૃત્ય થાય છે. અહીં નવરાત્રી પર ભેટો આપવાનો સામાન્ય રિવાજ છે. લોકો મિઠાઇ, કપડાં અને ઉપયોગી વસ્તુઓની ભેટ આપે છે.