CIA ALERT

Alert Archives - Page 62 of 509 - CIA Live

July 18, 2024
hardik-pandya-natasha.jpg
2min454

 ભારતીય ટીમના ક્રિકેટર હાર્દિક પંડ્યા અને બોલિવૂડની અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક વચ્ચે છૂટાછેડા થઈ ગયા છે. આ અંગે બંનેએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જાહેરાત કરી છે અને નેગેટિવિટીથી બચવા માટે કોમેન્ટ સેક્શન પણ બંધ કરી દીધું છે. બંને વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી અણબનાવ ચાલી રહ્યો હોવાના અહેવાલો સામે આવ્યા હતા. તાજેતરમાં જ નતાશા તેના પરિવારના ઘરે જતી રહી હતી. આ ઉપરાંત અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નમાં પણ હાર્દિક એકલો મસ્તી કરતા જોવા મળ્યો હતો.

https://www.instagram.com/p/C9kcSrhTp5J/?utm_source=ig_embed&ig_rid=d4930b82-fb0d-4261-9415-ee9633bbd6b7

નતાશાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી સ્ટોરી

આ પહેલા નતાશાએ ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરી હતી, જેમાં તેણે લખ્યું હતું કે, ‘હોમ સ્વીટ હોમ’. આ પોસ્ટમાં એક કાર દેખાઈ રહી છે અને આ ઘર વિદેશનું હોવાનું જણાઈ આવે છે. અર્થાત નતાશા તેના સર્બિયાના ઘરની વાત કરી રહી છે. તેની બીજી સ્ટોરીમાં તેનો અને હાર્દિક પંડ્યાનો પુત્ર અગત્સ્ય દેખાય છે. સાથે તેનું એક પેટ એટલે કે પાલતુ શ્વાન દેખાય છે. આ સ્ટોરીમાં તેણે માસા એવું લખીને સફેદ હાર્ટ રાખ્યું છે અને ત્રીજી સ્ટોરીમાં તેણે અગત્સ્યને ભેટીને હેપી બર્થ ડે વિશ કર્યું છે. જો કે અગત્સ્યનો જન્મદિવસ 30 જુલાય છે.

હવે પુત્રની દેખભાળ કોણ કરશે?

હાર્દિકે પુત્રની દેખભાળ અંગે લખ્યું છે કે, ‘અમે અમારા જીવનમાં પુત્ર અગસ્ત્યને મેળવીને ભાગ્યશાળી છીએ. અમારો પુત્ર અમારી જિંદગીનો હંમેશા આધાર રહેશે. અમે બંને તેની દેખભાળ કરીશું. પુત્રને દુનિયાની બધી જ ખુશીઓ મળે તેની ખાતરી કરવા અમે પૂરો પ્રયાસ કરીશું અને તેની ખુશી માટે અમે જે કંઈ કરી શકીએ તે કરીશું. અમે આશા રાખીએ છીએ કે, આ મુશ્કેલ સમયમાં તમારો સપોર્ટ મળશે અને અમારી પ્રાઈવસી સમજશો.’

હાર્દિક-નતાશાએ 2020માં કર્યા હતા લગ્ન

ઉલ્લેખનીય છે કે હાર્દિક પંડ્યાએ 2020માં દુબઈમાં નતાશાને પ્રપોઝ કર્યું હતું. બાદમાં 31 મે, 2020માં બંનેના લોકડાઉનમાં લગ્ન થયા હતા. બંનેએ હિન્દુ અને વેસ્ટર્ન બંને વિધિ પ્રમાણે લગ્ન કર્યા હતા. 30 જુલાઈના રોજ પુત્ર અગસ્ત્યનો જન્મ થયો હતો. જેનું નામ અગત્સ્ય રાખવામાં આવ્યું હતું.   

July 18, 2024
jatin-naik-spb.jpeg
1min427

ધી સૂરત પીપલ્સ કો ઓપ બેન્ક ના એમ. ડી. / સી. ઈ. ઓ. ડો. જતીન નાયક ની નિમણુંક દિલ્હી સ્થિત નેશનલ કાઉન્સિલ ઓફ કો ઓપરેટીવ ટ્રેનિંગ દ્વારા ચાલતા અભ્યાસક્રમ નક્કી કરવા માટેની કમિટીમાં કરવામાં આવી છે.

નેશનલ કાઉન્સિલ ફોર કોઓપરેટીવ ટ્રેનિંગના મુખ્ય સચિવ મોહનકુમાર મિશ્રાએ નિમણુંક અંગેનો પત્ર ડો. જતીન નાયકને પાઠવ્યો છે અને પહેલી મિટીંગ માટે નવી દિલ્હી તેડાવ્યા છે. ઊચ્ચ શૈક્ષણિક કારકિર્દી ધરાવતા સુરતની પીપલ્સ કો.ઓ. બેંકના એમડી અને ચીફ એક્ઝિક્યુટિવ ડો. જતીન નાયક હાલમાં ત્રણ યુનિવર્સીટીઓના બોર્ડ ઓફ સ્ટડીસના પણ મેમ્બર છે. સુરત પીપલ્સ બેન્કના બોર્ડ ઓફ ડિરેકટર્સ અને કર્મચારીઓએ એમની આ સિધ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા છે. અને આવી દિર્ઘર્દષ્ટી તેમજ કર્તવ્યનિષ્ઠ વ્યકિત મેળવવા બદલ સંસ્થા ખૂબ જ ગર્વની લાગણી અનુભવે છે.

July 18, 2024
IMG_8637-1280x853.jpg
2min281
  • અનુમોદન અને સ્વીકારની અપેક્ષા જ માણસને દુઃખી કરે છે – થર્સ-ડે થોર્ટ
  • જીવનનું રૂપાંતરણ એ જ ગીતાજીનું કેન્દ્રબિંદુ છે.
  • માણસનું મન દલા તરવાડી જેવું છે. પોતાની રીતે જ જીવવા મન બનાવી લે છે. – કાનજી ભાલાળા
  • માણસ પોતે જ પોતાનો વકીલ છે જે હંમેશા નિષ્ફળતાનો બચાવ કરે છે. – ડો. બાલુભાઈ શેલડીયા
  • બીજાની ઈર્ષા કરવી તે વિકૃતિ છે – ડો. બાલુભાઈ શેલડીયા
  • શુદ્ધિકરણ અને ઉર્ધ્વીકરણએ સુખી થવાનો ખરો રસ્તો છે. – કાનજી ભાલાળા

સુખાકારી માટે લોકોને જીવનની નવી દિશા આપવા શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી દર ગુરુવારે નવા વિચારનું વાવેતર કરવામાં આવે છે. તા. ૧૮/૦૭/૨૪ ના રોજ વરાછા બેંક ઓડીટોરીયમ ખાતે યોજાયેલ ૭૦માં થર્સ-ડે થોર્ટ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખશ્રી કાનજીભાઈ ભાલાળાએ જણાવ્યું હતું કે, આપણા વ્યક્તિત્વને નીખારીએ તો જ સુખનો અહેસાસ થઈ શકે. જયારે કોઈપણ પ્રકારનું અભિમાન જ માણસનું પતન કરે છે. માનસીક રીતે માણસ, માણસ સાથે અથડાય છે. ત્યારે દુઃખોના તણખા શરૂ થાય છે. માણસનું મન દલા તરવાડી જેવું છે. પોતે જ પોતાનો વકીલ છે. અને પોતે જ પોતાનો ન્યાયધીશ બની પોતાની રીતે જીવવા મન બનાવી લે છે. પરિણામ જીવનમાં સુધારો થતો જ નથી. કોઈ દોષ હોય, કોઈ ભૂલ હોય કે કોઈ ઘરના હોય વ્યક્તિ હંમેશા દોષનો ટોપલો બીજા ઉપર નાખતો હોય છે. માણસ પોતે જ સાચો છે. હું કહું તેમ જ થાય તે જ બરાબર છે. આવું માનતો વ્યક્તિ હંમેશા બીજાના અનુમોદનની અપેક્ષા રાખે છે. અપેક્ષા પ્રમાણે અનુમોદન ન મળે ત્યારે માણસ દુઃખી થાય છે.

નવો વિચાર આપતા કાનજીભાઈ ભાલાળા એ જણાવ્યું હતું કે, અનુમોદન અને સ્વીકારની અપેક્ષા જ માણસના દુઃખોનું કારણ બને છે. સોશીયલમિડિયામાં મુકેલી પોસ્ટને લાઈક અનુમોદન ન મળે તો પણ માણસ દુઃખી થાય છે, આજે જે માણસ પાસે બધુ જ છે તેને પણ મોજ નથી. જયારે માણસ પોતાની મર્યાદા અને ભૂલોના અસ્વીકાર કરે છે. ત્યારે તેની પ્રગતિ અટકે છે. હંમેશા મર્યાદા સ્વીકારી સતત સુધરતા રહેવુ તે જ ખરૂ જીવન છે. શુદ્ધિકરણ અને ઊર્ધ્વીકરણ જ સુખી થવાનો ખરો રસ્તો છે. આપણે બીજાના દુઃખે દુઃખી થઈએ છીએ પરંતુ બીજાના સુખે સુખી થઈ શકતા નથી. આ ઈર્ષા ભાવ જ માણસને મોટું નુકશાન કરે છે. બીજાની ઈર્ષા કરવી તે વિકૃતિ છે. જે માણસને દુઃખી કરે છે.

કોલેજના નિવૃત આચાર્ય અને લેખક તથા ચિંતક એવા ડો. બાલુભાઈ એમ. શેલડીયા એ જણાવ્યું હતું કે, માણસ હંમેશા પોતાની જાતનો બચાવ કરતો હોય છે. કોઈ જગ્યાએ જવામાં મોડા પડે તો ટ્રાફિકનો દોષ, ઠેસ લાગે તો પથ્થરનો દોષ, દરેક કાર્યમાં પોતાની નિષ્ફળતાનો ટોપલો બીજા ઉપર ઢોળવામાં આવે છે. તેમને જણાવ્યું હતું કે, આપણે રસ્તામાં ખોવાયેલી નદી જેવા છીએ. આપણે સંયમના કિનારાને સ્વીકારવા તૈયાર જ નથી.. તેને કારણે દુઃખી છીએ. કોઈ પણ ભૂલ કે દોષની જવાબદારી સ્વીકારવા તૈયાર નથી પરિણામે આપણામાં સુધારો થતો નથી. પ્રથમ કોઈ ભૂલ કે ખામી દુર કરવી તે શુદ્ધિકરણ અને પછી હંમેશા વિકસતુ રહેવું તે ઊર્ધ્વીકરણ છે. જીવનમાંથી વાસનાને દુર કરવી એ શુદ્ધિકરણ અને જીવનને સમદ્રષ્ટી સાથે એક કરી દેવું એ ઊર્ધ્વીકરણ. શુદ્ધિકરણ અને ઊર્ધ્વીકરણ સુખી થવાન રસ્તા છે. પોતાની પાસે નથી તે જોઈએ છે. પરંતુ બીજાની પાસે હોય તો તેની ઈર્ષા કરીએ છીએ.

આ વિરોધાભાસ માણસને વિક્ષિપ્ત કરે છે. ખરેખર દુનિયા વિરાટ પાગલખાનામાં રૂપાંતરિત થઈ રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભૂલ નો અસ્વીકાર અને મર્યાદા ના ડરથી પ્રગતિ અવરોધાય છે. જાહેરમાં નહીં, તો કંઈ નહીં પણ માણસે મનમાં પોતાની ભૂલ નો સ્વીકાર કરવો જોઈએ. આપણી ભૂલને સ્વીકારવા ને બદલે એ ભૂલ માટે આપણે બીજાનું અનુમોદન માંગીએ છીએ. જસ્ટિફીકેશન આપીને ભૂલો ને આભૂષણ પહેરાવીએ છીએ એનું નામ માલએડજસ્ટમેન્ટ એટલે કુસુમાયોજન.
આપણા કર્મો જ આપણા સુખ-દુઃખનું કારણ છે. આપણે જે કંઈ પણ છીએ તે સ્વયં આપણા જ કર્મોનું ફળ છે. બાહ્ય પરિસ્થિતિનું પરિવર્તન કરીને ક્યારેય આપણે સુખી થઈ શકીએ નહીં. પરંતુ સત્યની શોધ કરવાને બદલે પોતાની જ માન્યતાને સાચી માનવી એ પ્રગતિને રોકે છે. સફળતા માટે પરિવર્તન સ્વીકારવું અનિવાર્ય છે. જે કુદરતના ઉત્ક્રાંતિના નિયમને પ્રતિબિંબિત કરે છે. આપણી જાતને રૂપાંતરણ કર્યા વગર આ સંસારમાં સુખી થવું તે અશક્ય છે. સ્થગિતતા નું બીજું નામ એટલે મૃત્યુ. જ્યારે જીવનનું રૂપાંતરણ એ જ ગીતાનું કેન્દ્રબિંદુ છે

રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર પટેલ બોર્ડીંગના પ્રમુખ અને રાજકોટ પીપલ્સ કો-ઓપરેટીવ બેન્કના સ્થાપક ચેરમેન શ્રી શામજીભાઈ ખુંટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓ હંમેશા નીડરતાથી જીવ્યા છે. તેમનું સૂત્ર છે કે, “જીવવું તો ડરવુ નહિ અને ડરવુ તો જીવવુ નહિ”. શ્રી શામજીભાઈ ખુંટ તથા તેમના પત્ની ભગવતીબેનનું ખાસ અભિવાદન કરવામાં આવ્યું હતું. ગત ગુરુવારનો વિચાર રજુ કરતા અંકીતભાઈ બુટાણીએ જણાવ્યું હતું કે, “જીવનને નીરોગી રાખવું તે આપણી પ્રાથમિક ફરજ છે”. કાર્યક્રમનું સંચાલન હાર્દિક ચાંચડે તથા વ્યવસ્થા વરાછા બેંકની ટીમ અને યુવાટીમે સંભાળી હતી.

July 18, 2024
સીટેક્ષ-એક્ષ્પો-1280x853.jpeg
1min323

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સુરતના ટેક્ષટાઇલ ઉદ્યોગકારો માટે આગામી તા.20થી 22 જુલાઇ દરમિયાન સરસાણા સ્થિત ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર ખાતે ટેક્ષટાઇલ મશીનરીના એક્ષ્પો સિટેક્ષ 2024નું આયોજન કરવામાં આવ્યું છે. પોતાના કાર્યકાળના સૌથી પહેલા સીટેક્ષ એક્ષ્પો અંગે પ્રેસિડેન્ટ વિજય મેવાવાલાએ જણાવ્યું કે જે ઉદ્યોગકારોએ પોતાની ફેક્ટરી, કારખાનામાં ટેક્નોલોજી અને મશીનરી અપગ્રેડેશન કરવાનું વિચારી રહ્યા છે તેમના માટે સીટેક્ષ એક્ષ્પો નવી રાહ ચીંધશે. લેટેસ્ટ ટેક્નોલોજી અને મિકેનિઝમની મશીનરીનો લાઇવ ડેમો સીટેક્ષ એક્ષ્પોમાં જોવા મળશે.

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર તથા સુરત ટેક્ષમેક ફેડરેશનના સંયુકત ઉપક્રમે યોજાઇ રહેલા સીટેક્ષ એક્ષ્પો અંગે વિજય મેવાવાલા, નિખિલ મદ્રાસી, નીરવ માંડલેવાલા, રમેશ વઘાસીયા, બિજલ જરીવાલા, મુકેશ પટેલે જણાવ્યું હતું કે આ પ્રદર્શનમાં ટેક્ષ્ટાઇલ મશીનરી, ટેક્ષ્ટાઇલ એન્સીલરી અને મશીનરીઓ, ટેકનિકલ ટેક્ષ્ટાઇલ સંબંધિત મશીનરી, એરજેટ લૂમ્સ, વોટર જેટ લૂમ્સ, રેપીયર લૂમ્સ, ઈલેકટ્રોનિક જેકાર્ડ, ડોબી મશીન, વેલવેટ વિવિંગ મશીન, સકર્યુલર નીટિંગ, યાર્ન ડાઇંગ, વોર્પિંગ મશીન, ડિજીટલ પ્રિન્ટીંગ મશીનરી, પોઝીશન પ્રિન્ટીંગ મશીન, વિવિધ પ્રિન્ટીંગ ઈન્ક, સ્યુઇંગ મશીન, ફયુઝીંગ મશીન તેમજ ખૂબ મોટી સંખ્યામાં મશીનરી તથા એસેસરીઝનું પ્રદર્શન કરવામાં આવશે.

ટેક્ષ્ટાઇલ મશીનરીમાં ટેકનોલોજી અપગ્રેડ થઇ રહી છે. અત્યાર સુધી ભારતમાં વિવિધ સ્થળે થતા એકઝીબીશનોમાં ૧૧૦૦થી ૧ર૦૦ આરપીએમની સ્પીડ ધરાવતા મશીનો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા, જ્યારે આ એકઝીબીશનમાં એરજેટમાં ૧૬૦૦ આરપીએમની સ્પીડ ધરાવતું મશીનનું પ્રદર્શન કરવામાં આવશે.

સીટેક્ષમાં ખાસ કરીને એરજેટ, વોટરજેટ, મોનો સ્પેટીંગ મશીન, ડિજિટલ પ્રિન્ટીંગ મશીન આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. એર જેટ મશીન કન્વેન્શનલ લુમ કરતા ૭થી ૮ ગણું વધારે પ્રોડકશન આપે છે. જ્યારે વોટર જેટ મશીન ૬થી ૭ ગણું વધારે પ્રોડકશન આપે છે. આજથી ચાર વર્ષ પહેલા જે ડિજિટલ પ્રિન્ટીંગ મશીન આવતા હતા એ ર૪ કલાકમાં ૧ર૦૦ મીટરનું પ્રોડકશન આપતા હતા, જ્યારે એકઝીબીશનમાં જે ડિજિટલ પ્રિન્ટીંગ મશીન પ્રદર્શિત થનાર છે તે ર૪ કલાકમાં ૬૦૦૦ મીટરનું પ્રોડકશન આપે છે. એટલે પ ગણું વધારે પ્રોડકશન આ મશીન પરથી લઇ શકાય છે.

કોટન નહીં પણ વિસ્કોસ અને પોલીએસ્ટર બેઝ એરજેટ અને વોટરજેટ જોવા મળશે

સીટેક્ષ પ્રદર્શનમાં ભારતમાં બનેલા એરજેટ અને વોટરજેટના લેટેસ્ટ મોડેલ મશીનરીનું પ્રદર્શન કરવામાં આવશે. મોટા ભાગે એરજેટ મશીન કોટન બેઇઝ હોય છે, પરંતુ આ એકઝીબીશનમાં વિસ્કોસ તેમજ પોલિએસ્ટરનું પ્રોડકશન કરનારા એરજેટ મશીનો પણ પ્રદર્શિત કરવામાં આવશે. આ મશીનરી પર અલગ અલગ યાર્નનો પણ ઉપયોગ કરી શકાય છે, જે પ્રોડકશનમાં ૯પથી ૯૬ ટકા સુધીની એફિશીયન્સી આપે છે. સરસાણા સ્થિત ‘સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ૧.૩૦ લાખ સ્કવેર ફૂટમાં પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. પીલરલેસ એસી ડોમમાં પ૦થી વધુ એકઝીબીટર્સ દ્વારા ટેક્ષ્ટાઇલ મશીનરી અને એસેસરીઝ મેન્યુફેકચરર્સ તેમની વિશ્વની સૌથી અદ્યતન ટેકનોલોજી ધરાવતી મશીનરીનું પ્રદર્શન કરશે. વધુમાં, ટેક્ષ્ટાઇલ મશીનરી અને એન્સીલરીનું વિશાળ પ્રદર્શન હોવાથી આ એકઝીબીશનમાં ૧૪ વર્ષથી નાના બાળકોનો પ્રવેશ પ્રતિબંધિત છે.

July 17, 2024
august-holidya.png
1min246

આજકાલ દરેક વ્યક્તિ બેંકમાં જાય છે અને રોજબરોજના અનેક બેંક સંબંધિત કામ કરવા માટે આપણને બેંક જવું જ પડે છે. ડિજિટલ ઈન્ડિયાના જમાનામાં અનેક કામ એવા પણ હોય છે કે જે ઘરે બેઠા ઓનલાઈન જ થઈ જાય છે તો કેટલાક કામ એવા પણ હોય છે કે જેના માટે ફરજિયાત બેંક જવું જ પડે એમ હોય છે.

જુલાઈ મહિનો અડધો પૂરો થઈ ગયો છે અને થોડા જ દિવસોમાં ઓગસ્ટ મહિનો શરૂ થઈ જશે. જો તમે પણ ઓગસ્ટ મહિનામાં બેંક સંબંધિત કામ પતાવવાનું વિચારી રહ્યા હોવ તો આ સમાચાર તમારા માટે જ છે. ઓગસ્ટ મહિનામાં આવી રહેલાં બેન્ક હોલીડે (Bank Holiday In August)ની યાદી વાંચી લો, જેથી તમારે ધક્કો ના ખાવો પડે-

  • આ દિવસે બેંકોમાં હશે રજા (Bank Holiday)
  • ચોથી ઓગસ્ટના રવિવારની રજાને કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે
  • 10મી ઓગસ્ટના મહિનાનો બીજો શનિવાર હોવાથી દેશભરમાં બેંકોમાં રજા રહેશે
  • 11મી ઓગસ્ટના રવિવારની રજાને કારણે બેંકો બંધ રહેશે
  • 15મી ઓગસ્ટના સ્વતંત્રતા દિવસ હોવાથી દેશભરની બેંકોમાં રજા આપવામાં આવી છે
  • 18મી ઓગસ્ટના પણ રવિવારની રજા નિમિત્તે બેંકો બંધ રહેશે
  • 19મી ઓગસ્ટના રક્ષાબંધનના તહેવાર નિમિત્તે ઉત્તરાખંડ, દમણ, દીવ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, હરિયાણા, ગુજરાત, ચંદીગઢ અને ઉત્તર પ્રદેશમાં બેંક હોલીડે રહેશે
  • 24મી ઓગસ્ટના ચોછો શનિવાર હોવાથી દેશભરમાં બેંકોમાં રજા રહેશે
  • 25મી ઓગસ્ટના રવિવારની રજાને કારણે બેંકો બંધ રહેશે
  • 26મી ઓગસ્ટના જન્માષ્ટમી હોવાને કારણે આંદામાન અને નિકોબાર, પંજાબ, ઝારખંડ, જમ્મુ-કાશ્મીર, મધ્ય પ્રદેશ, દિલ્હી, રાજસ્થાન, બિહાર, હરિયાણાસ હિમાચલ પ્રદેશ, તેલંગણા, ઉત્તર પ્રદેશ, દમણ અને દીવ, નાગાલેન્ડ, ચંદીગઢ, તમિલનાડુ, ઉત્તરાખંડ, ઓડિશા, સિક્કીમ, ગુજરાત, મેઘાલય, છત્તીસગઢ, આંધ્ર પ્રદેશ અને ત્રિપુરાની બેંકો બંધ રહેશે.
July 17, 2024
air-india-kalina-airport.png
1min335

એર ઈન્ડિયા એરપોર્ટ સર્વિસીસ લિમિટેડ દ્વારા આયોજિત વોક-ઈન ઈન્ટરવ્યુ માટે મુંબઈના કાલીનામાં હજારો લોકો ઉમટી પડ્યા હતા. પરિસ્થિતિ કાબૂ બહાર જવાથી, અરજદારોને તેમના બાયોડેટા સબમિટ કરવા અને જવા માટે કહેવામાં આવ્યું હતું.

મંગળવારે મુંબઈના કાલીનામાં હજારો નોકરી શોધનારાઓ એર ઈન્ડિયા એરપોર્ટ સર્વિસીસ લિમિટેડ દ્વારા આયોજિત વોક-ઈન ઈન્ટરવ્યુ માટે આવ્યા હતા. આ પદો માટેની લઘુત્તમ લાયકાત SSC પાસ અને વધુમાં વધુ 23 વર્ષની હતી. પગાર રૂ. 22,530 પ્રતિ માસ નક્કી કરવામાં આવ્યો હતો. આ પદ 3 વર્ષના ફિક્સ્ડ-ટર્મ કોન્ટ્રાક્ટના આધારે હતું. વિવિધ સમારકામ અને જાળવણી કાર્યો કરવા માટે હેન્ડીમેન અને યુટિલિટી એજન્ટની પોસ્ટ માટે 1,800 જગ્યાઓ માટે લગભગ પચાસ હજારથી વધુ લોકો આવ્યા હતા. લિમિટેડ વેકેન્સી હોવા છતાં ભરતી કચેરીની બહાર ભારે ભીડ ઉમટી પડતા નાસભાગની સ્થિતિ સર્જાઇ હતી.

ગુજરાતમાં 9 જુલાઈના રોજ આવી જ નાસભાગ જેવી સ્થિતિ જોવા મળી હતી. અંકલેશ્વર ખાતે 40 જગ્યાઓ માટે એક પેઢી દ્વારા લેવામાં આવેલા વોક-ઈન ઈન્ટરવ્યુ માટે લગભગ 1,000 લોકો આવ્યા હતા. ભીડ એટલી વધી ગઇ હતી કે તેને કાબૂમાં રાખવું મુશ્કેલ બની ગયું હતું. ત્યાર બાદ બેકાબૂ યુવાનોનું ટોળું હોટલની બહારની રેલિંગ પર ચઢી ગયું હતું. જેના કારણે રેલિંગ તૂટી ગઈ હતી અને અનેક યુવકો નીચે પડી ગયા હતા. ઉપરાંત રેલીંગની સામે પાર્ક કરાયેલા વાહનોને પણ નુકસાન થયું હતું. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

July 16, 2024
virat-kohli.jpg
1min257

૨૬ જુલાઈથી શરૂ થનાર પૅરિસ ઑલિમ્પિક્સ માટે વિરાટ કોહલીએ લગભગ એક મિનિટનો વિડિયો શૅર કરીને ભારતીય ખેલાડીઓને મોટિવેટ કર્યા છે. તેણે ભારતના રમતપ્રેમીઓને ૧૧૮ સભ્યોની ભારતીય ઑલિમ્પિક્સ ટીમને સમર્થન આપવાની હાકલ કરી છે, કારણ કે તેઓ ટોક્યો ઑલિમ્પિક્સના તેમના શ્રેષ્ઠ પ્રદર્શન (સાત મેડલ) કરતાં વધુ સારું પ્રદર્શન કરવા જઈ રહ્યા છે.

કિંગ કોહલીએ કહ્યું હતું કે ‘એક સમય હતો જ્યારે દુનિયા ભારતને સાપ અને હાથીઓના દેશ તરીકે જાણતી હતી, પરંતુ હવે એવું નથી. હવે આપણે વિશ્વની સૌથી મોટી લોકશાહી અને ડેટા ટેક્નૉલૉજીનું કેન્દ્ર છીએ. અમે ક્રિકેટ અને બૉલીવુડ, સ્ટાર્ટઅપ યુનિકૉર્ન અને ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા માટે જાણીતા છીએ. હવે આ મહાન દેશ માટે આગળ શું થશે? મહત્તમ ગોલ્ડ, સિલ્વર અને બ્રૉન્ઝ મેડલ. આપણાં ભાઈ-બહેનો મેડલ જીતવા પૅરિસ જઈ રહ્યાં છે. જ્યારે તેઓ ટ્રૅક ઍન્ડ ફીલ્ડ, કોર્ટ અથવા રિંગમાં ઊતરશે ત્યારે એક અબજથી વધુ ભારતીયો તેમને ઉત્સાહથી જોતા હશે. મારી સાથે તમે પણ એવા લોકોના ચહેરા યાદ કરજો જેઓ ગર્વથી તિરંગો ધ્વજ લહેરાવવાના દૃઢ નિશ્ચય સાથે પોડિયમની નજીક જશે. જય હિન્દ અને ભારતીય ટીમને શુભેચ્છાઓ.’

July 16, 2024
gmers.png
1min274

ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી (GMERS) હસ્તકની 13 મેડિકલ કોલેજોની ફીમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વિવિધ સંગઠનો અને રાજકીય પક્ષોએ સરકારને આ ફી વધારા મામલે ઘેરવામાં આવી હતી. આ બાદ સરકારે GMERS હસ્તકની 13 મેડિકલ કોલેજોની ફીમાં ઘટાડો કરવામાં આવ્યો છે. સરકારી ક્વોટામાં 1.75 લાખ જ્યારે પ્રાઇવેટ ક્વોટામાં 5 લાખ રૂપીયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. સરકારની કેબિનેટ બેઠકમાં લેવાયેલા ફી ઘટાડાના નિર્ણયની માહિતી સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે આપી હતી.

ગુજરાત સરકાર દ્વારા ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી (GMERS) હસ્તકની 13 મેડિકલ કોલેજોની ફીમાં ધરખમ વધારાઓ કરવામાં આવ્યો હતો. મેડિકલ કોલેજોની સ્વનિર્ભર બેઠકો, મેનેજમેન્ટ ક્વોટાની બેઠકો અને NRI ક્વોટાની બેઠકોની ફીમાં વધારો કરવામાં આવ્યો હતો. જેમાં સ્વનિર્ભર બેઠકોની ફી રૂ. 3.30 લાખથી વધારીને રૂ. 5.50 લાખ રૂપિયા કરી દેવામાં આવી હતી.

જ્યારે મેનેજમેન્ટ ક્વોટાની ફી રૂ. 9.07 લાખથી વધારીને રૂ. 17 લાખ અને NRI ક્વોટાની ફી રૂ. 22 હજાર યુએસ ડોલરથી વધારીને રૂ. 25 હજાર યુએસ ડોલર કરવામાં આવી હતી. સ્વનિર્ભર બેઠકોની ફીમાં 67 ટકા, મેનેજમેન્ટ ક્વોટાની બેઠકોની ફીમાં 87 ટકા અને એનઆરઆઈ ક્વોટાની બેઠકોની ફીમાં 14 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો.

જો કે આ ફી વધારા મામલે ગુજરાત સરકારને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. સરકર દ્વારા કરવામાં આવેલા ફી વધારાને લીધે મેડિકલ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવી હતી અને ત્યારબાદ ઇંડિયન મેડિકલ એસોસિયેશન દ્વારા પણ મુખ્યમંત્રીને પત્ર લખી આ ફીમાં ઘટાડો કરવાની માંગ કરવામાં આવી હતી. ગુજરાત કોંગ્રેસે પણ આ મામલે ખૂબ વિરોધ કર્યો હતો. શક્તિસિંહ ગોહિલે સરકાર પર આકરા આરોપો કરીને તોતિંગ ફી વધારાને ઘટાડવા માટે મુખ્યપ્રધાન અને આરોગ્યપ્રધાનને પત્ર લખ્યો હતો.

July 16, 2024
cia_windo-1-1280x793.jpg
1min281

મોહરમના તહેવાર નિમિતે સુરત શહેરમાં પારંપરિક રીતે તા 16/07/2024 ના મંગળવારે શહાદતની રાત્રે અને અને તા. 17/07/2024 બુધવારે યોવમે આસુરાના દિવસે તાજીયા જુલુસ શહેરના રાજમાર્ગ પર નીકળશે એવુ સુરત શહેર તાજીયા કમીટી પ્રમુખ અસદ કલ્યાણીએ જણાવ્યું હતું.

છેલ્લા 20 દિવસ થી સુરત શહેર તાજીયા કમીટીનું કાર્યાલય બેગમપુરા મુરગવાન ટેકરા ખાતે કાર્યરત હોઈ, સુરત શહેરના બેગમપુરા, સલાબતપુરા, નાનપુરા, સેયદપુરા, હરીપુરા, રામપુરા, ઇન્દરપુરા, ગધેવાન, ખાંડા કુવા, સેતરંજીવાડ, ઝાલાવાડ ટેકરા, ઝાંપાબઝાર, રાણીતળાવ, ગોપીતળાવ, રુસ્તમપુરા, સગરામપુરા, રૂદદરપુરા, લીંબાયત, રાંદેર, ઉધના, પાંડેસરા, ભેસ્તાન, ઉન વિસ્તારોમાં તાજીયાની સ્થાપના છેલ્લા નવ દિવસથી કરવામાં આવી છે અને તાજીયાઓ દર્શન માટે પડદાઓ ખોલવામાં આવ્યા હતા.

તાજીયા, સવારી, દુલ દુલ, અખાડા, પાણીના વાહનો, પાણીની પરબો, ઘોડા, પરીની મળીને 350થી વધુ પરમીટ ફોર્મ ભરવામાં આવ્યા છે, સહાદાતની રાત્રે (મંગળવારે) સુરત કોટ વિસ્તારના તાજીયાઓ ઝાંપાબાઝાર એકત્રિત થશે ત્યાં રાત્રે શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેલોત શ્રીફળ વધેરી તાજીયા જુલુસને આગળ વધારશે. આ જુલુસ મોતી સિનેમાથી મુંબઈવડ થઇ નવાબસાહેબના નવાબ મહેલે જઈ પરત પોત પોતાના સ્થાનક ઉપર થશે.

બુધવાર યોવમે આસુરા ના દિવસે તજીયા ઠંડા થવાના દિવસ લીંબાયત, સલાબતપુરા અને સુરત કોટ વિસ્તારના તાજીયા ભાગળ ચાર રસ્તે ભેગા થઈ રાજમાર્ગથી લાલગેટથી ગત વર્ષના રૂટ, ફાયદાબજારથી ક્રાઉન ડેરી, મુગલીસરા મહાનગર પાલીકાથી આઈપી મિશન સ્કુલ થઇ ચકલાબઝારથી હોડી બંગલા ખાતે તાજીયા ઠંડા કરવામાં આવશે.

ભાગળ ચાર રસ્તે કોમી એકતાનો મહાકાર્યક્રમમાં સાંજે 5.30 કલાકે યોજાશે. વહેલા તે પહેલા આવનારા 10 તાજીયાને સંત શ્રી અંબરીષાનંદ મહારાજ, મેયર દક્ષેશ માવાણી, પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, સાંસદ મુકેશ દલાલ સહિતના મહાનુભાવોના હસ્તે ટ્રોફી એનાયત કરવાનો કાર્યક્રમ રાખવામો આવ્યો છે. જુલુસ દરમિયાન તાજીયા કમીટીના 1500થી વધુ સ્વયંવસેવકો ખડેપગે સેવા આપશે.

July 15, 2024
surat-airport.png
1min311

ગત ડિસેમ્બર 2023માં સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટ તેમજ સપ્તાહમાં સાતેય દિવસ ચોવીસે કલાક ઓપરેશનલ એરપોર્ટ જાહેર કર્યા બાદ આ પ્રકારનું સ્ટેટસ ફક્ત નામ પૂરતું રહી ગયું છે. સુરતનું એરપોર્ટ અર્થપૂર્ણ રીતે ઇન્ટરનેશનલ એરપોર્ટ બને તે માટે 11 જેટલા ટોપ પ્રાયોરિટીના કામો તાત્કાલિક પૂર્ણ કરવા માટે વી વોન્ટ વર્કીંગ એરપોર્ટ એટ સુરત WWWAS ગ્રુપ દ્વારા કેન્દ્ર સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલય સુધી રજૂઆતોનો દૌર ચલાવવામાં આવી રહ્યો છે.

સુરત એરપોર્ટ માટે સતત સક્રીય WWWAS ગ્રુપના સંજય જૈને જણાવ્યું હતું કે સુરત એરપોર્ટ પર જે પ્રકારે પેસેન્જર ટ્રાફિક મળી રહ્યો છે, એ પ્રકારની ફ્લાઇટ્સ નથી મળી રહી. તેનું મુખ્ય કારણ એ છે કે સુરત એરપોર્ટનો સમાવેશ કેન્દ્ર સરકારની બાયલેટરલ પોલિસીમાં નથી કરાય રહ્યો એ છે. આથી WWWASની માગણી છે કે સુરત એરપોર્ટને બાયલેટરલ કોન્ટ્રાક્ટ પોલિસીમાં સમાવિષ્ટ કરવામાં આવે જેથી કરીને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ મળી શકે અને પ્રાઇવેટ એરલાઇન્સ સાથે વૈશ્વિક ડેસ્ટીનેશનના જોડાણો સુરતને મળી શકે.

તેમણે કહ્યુંકે નવા ટર્મિનલ બિલ્ડીંગને મંજૂરી મળવી જોઇએ જેથી ચોવીસ કલાક અને સાતેય દિવસ ખરા અર્થમાં તેનો ઉપયોગ કરી શકાય. સાથોસાથ પેરેલલ ટેક્સી-વે કે જેનું કામ વર્ષોથી ખોરંભે પડ્યું છે તેને પણ ત્વરીત પૂર્ણ કરવામાં આવે. જૂનું ટર્મિનલ છે તેનો પણ વિસ્તાર કરવામાં આવે જેથી મુસાફરોની સુવિધા વધારવામાં એ ઉપયોગી નિવડી શકે. સુરતથી દેશના અન્ય ડેસ્ટીનેશન પર કાર્ગો સર્વિસ ઓપરેટ થઇ રહી છે, હવે કાર્ગો સેક્ટરમાં વન સ્ટેપ અહેડ જતા ઇન્ટરનેશનલ કાર્ગો ફેસેલિટી પણ સુરતથી શરૂ થાય તો હીરા અને ટેક્ષટાઇલ ઉદ્યોગને તેનો સીધો ફાયદો મળી શકે. આ સર્વિસથી અસરસપરસ બન્નેને લાભ થઇ શકે તેમ છે.

WWWASના સંજય જૈને કહ્યું કે હાલ શારજાહ અને દુબઇની ફ્લાઇટ ચાલી રહી છે, સુરત એરપોર્ટથી ડાયરેક્ટ ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી વિસ્તરે તે માટે બેંગકોક અને સિંગાપોરની ફ્લાઇટ શક્ય એટલી ઝડપથી થાય તેવા પ્રયાસો કરવા જોઇએ. તેમણે કહ્યું કે સુરતથી દોહા સુધીની કનેક્ટીવિટી જો સુરત એરપોર્ટને મળી શકે, કતાર એરવેઝ સાથે આ માટે જોડાણ થઇ શકે તો દોહાથી સમગ્ર વિશ્વ સાથે સુરત એરપોર્ટ જોડાઇ શકે અને સિંગલ પીએનઆરથી સુરતથી જ મુસાફરો ટ્રાવેલ કરી શકે તેમ છે. એવી જ રીતે ડોમેસ્ટીક કનેક્ટિવિટી વધારવા માટે સરકાર સુરત એરપોર્ટના મુસાફરોનાં આંકડાઓ ધ્યાનમાં લે. અંતમાં WWWAS સુરત એરપોર્ટ માટે એક કાયમી એરપોર્ટ ડાયરેક્ટરની ત્વરીત નિમણૂંક કરવામાં આવે એવી પણ માગણી કરી છે.