આયુષ્યમાન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના (એબી-પીએમજેએવાય) હેઠળ 70 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના તમામ નાગરિકો માટે વડાપ્રધાન મોદી દ્વારા આરોગ્ય વીમાની શરૂઆત 29 ઓક્ટોબરે થવાની સંભાવના છે તેમ સત્તાવાર સૂત્રોએ આ માહિતી આપી હતી.નિયમિત ટીકાકરણનું ઇલેકટ્રોનિક રજિસ્ટર બનાવી રાખવા માટે વિકસિત યુ-વિન પોેર્ટલને પણ તે જ દિવસે વડાપ્રધાન દ્વારા શરૂ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બે ઉપરાંત મંગળવારે કેટલાક અન્ય પ્રોજેક્ટ્સ પણ શરૂ કરવામાં આવશે.
70 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકોને તેમની આવક ધ્યાનમાં લીધા વગર આયુષ્યમાન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજનામાં આવરી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સરકારના આ નિર્ણયથી 6 કરોડ વરિષ્ઠ નાગરિકોને ફાયદો થશે. આ સ્કીમ હેઠળ 70 વર્ષથી વધુ ઉંમરની વ્યકિત પછી ભલે તે ગરીબ હોય કે ધનવાન તમામને મફતમાં પાંચ લાખ રૂપિયાની મફત સારવાર આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે 1 સપ્ટેમ્બર, 2024 સુધીમાં 12696 ખાનગી હોસ્પિટલો સહિત 29648 હોસ્પિટલોમાં એબી-પીએમજેએવાયના લાભાર્થીઓને મફત સારવાર આપવામાં આવે છે.
દિલ્હી, ઓડિશા અને પશ્ચિમ બંગાળને છોડીને દેશના 33 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આ યોજના અમલી છે. આધાર કાર્ડ અનુસાર જે વ્યકિતની ઉંમર 70 કે તેથી વધારે હોય તે આ સ્કીમ માટે અરજી કરી શકે છે તેમ સૂત્રોએ જણાવ્યું છે.
15 લાખથી વધુનું સ્થળાંતર : બંગાળમાં ત્રણ હોડી ડૂબતા 16 માછીમાર લાપતા પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ સહિત પૂર્વોત્તરના રાજ્યોમાં ભારે વરસાદ પડયો : ઓડિશામાં સ્કૂલ-કોલેજો, જગન્નાથ, કોણાર્ક મંદિર બંધ કરાયા ચક્રવાતી તોફાન દાના ‘દાનવ’ બનીને ગુરુવારે મોડી રાત પછી ઓડિશા અને પશ્ચિમ બંગાળ પર ત્રાટક્યું હતું. વાવાઝોડું ત્રાટકે તે પહેલાં તકેદારીના ભાગરૂપે ગુરુવારે ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં 300થી વધુ ફ્લાઈટ્સ અને 552 ટ્રેનો રદ કરી દેવાઈ હતી. આ સિવાય ઓડિશામાં 10લાખથી વધુ જ્યારે બંગાળમાં ઓડિશા અને પશ્ચિમ બંગાળ સહિત સાત રાજ્યો પર વાવાઝોડાંની અસર થઈ હતી. વાવાઝોડાના કારણે ઝારખંડ, બિહાર, છત્તીસગઢ, મધ્ય-પ્રદેશમાં પણ ભારે વરસાદ ખાબક્યો હતો. ભારે પવન સાથે વરસાદ પણ જોરદાર પડી રહ્યું છે.
વાવાઝોડું દાના ઓડિશામાં પ્રતિ કલાક 120 કિ.મી.ની ઝડપે ભિતરકનિકા નેશનલ પાર્ક અને ધામરા પોર્ટના દરિયા કિનારાના વિસ્તારમાં ટકરાયું હતું. આ સમયે સમુદ્રના મોજા બે મીટર ઊંચા ઉછળ્યા હતા. વાવાઝોડના કારણે ઓડિશામાં ભારે વરસાદ પડયો હતો. ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માંઝીએ ક્હયું હતું કે, તેમની સરકાર ‘ઝીરો કેઝ્યુલિટી’ માટે કટિબદ્ધ છે. આ માટે દરેક પ્રકારની વ્યવસ્થા કરી દેવાઈ છે. પીએમ મોદી સતત વાવાઝોડા દાના અંગે માહિતી મેળવી રહ્યા છે.
ઓડિશામાં 14 જિલ્લામાં 10 લાખથી વધુ, પશ્ચિમ બંગાળમાં 3.50 લાખથી વધુ અને અન્ય રાજ્યોમાંથી પણ હજારો લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું છે. વાવાઝોડાના પગલે સર્જાનારી કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે એનડીઆરએફની 19 ટીમો, ઓડિશા આરએએફની 51, ફાયર સર્વિસની 220 અને વન વિભાગની 95 ટીમો સહિત 385 રેસ્ક્યુ ટીમો તૈનાત કરાઈ છે. આ સિવાય ઓડિશા પોલીસના જવાનોની 150 પ્લાટૂન્સને પણ બચાવ કામગીરી માટે તૈનાત રખાઈ છે.
ભુવેશ્વર એરપોર્ટ ગુરુવારે સાંજથી આગામી 16 કલાક માટે બંધ કરી દેવાયું હતું, જેને પગલે 300થી વધુ ફ્લાઈટ્સ રદ કરી દેવાઈ હતી. ઓડિશામાં સ્કૂલ અને કોલેજો બે દિવસ માટે બંધ કરી દેવાયા છે. ભારતીય રેલવેએ પણ ઓડિશા અને બંગાળમાં ૫૫૨થી વધુ ટ્રેનોનું સંચાલન રદ કર્યું હતું. પુરી જગન્નાથ મંદિર પરિસરમાંથી બધા જ અસ્થાયી ટેન્ટ હટાવી દેવાયા છે જ્યારે વિશ્વવિખ્યાત કોણાર્ક મંદિર બે દિવસ માટે બંધ કરી દેવાયું છે.
વાવાઝોડા દાનાની અસરના પગલે માત્ર ઓડિશા જ નહીં પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, છત્તિસગઢ સહિત પૂર્વોત્તરના રાજ્યો પર અસર જોવા મળી હતી. દાના ઓડિશામાં ત્રાટકે તે પહેલાં પશ્ચિમ બંગાળમાં શમશેરગંજ અને ફરક્કા વિસ્તારમાં આંધી-તોફાન જોવા મળ્યા હતા. તેની ઝપેટમાં આવતા ત્રણ હોડી ડૂબી ગઈ હતી અને 16 માછીમાર લાપતા થઈ ગયા હતા. તેમની શોધ ચાલુ છે. માછીમારો સાથે 10થી 12 વર્ષના અનેક બાળકો પણ હોડીઓમાં સવાર હતા.
ઝારખંડમાં પણ વાવાઝોડાની અસરના કારણે ગુરુવારે આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. હવામાન વિભાગે પશ્ચિમી સિંહભૂમ, સરાયકેલા-ખરસાવાં અને પૂર્વીય સિંહભૂમ જિલ્લામાં ભારે વરસાદના પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરાઈ હતી.
અલ્લુ અર્જુનની ‘પુષ્પા ટૂ’ હવે છઠ્ઠી ડિસેમ્બરને બદલે પાંચમી ડિસેમ્બરે રીલિઝ થશે. તેના કારણે વિકી કૌશલનું ટેન્શન વધ્યું છે. વિકી કૌશલની ‘છાવા’ તા. છઠ્ઠી ડિસેમ્બરે જ ‘પુષ્પા ટૂ’ સામે ટકરાવાની હતી પરંતુ હવે આગલા દિવસથી જ ‘પુષ્પા ટૂ’ છવાઈ જશે તો ‘છાવા’ને મોટો ફટકો પડશે. ‘પુષ્પા ટૂ’ ફિલ્મની રિલીઝની તારીખમાં વાંરવાર ફેરફાર કરવામાં આવ્યા છે. પહેલા આ ફિલ્મને ગત એપ્રિલ મહિનામાં રીલિઝ કરવાની યોજના હતી. આ પછી તેને ૧૫ ઓગસ્ટના રોજ રીલિઝ કરવાનું જાહેર કરાયું હતું. પરંતુ શૂટિંગ લંબાઇ જવાના કારણ તારીખ ઠેલાઈ ગઈ હતી. બંને ફિલ્મોમાં મુખ્ય હિરોઈન તરીકે રશ્મિકા મંદાના કોમન છે.
આમ રશ્મિકાની જ એક ફિલ્મનો મુકાબલો રશ્મિકાની બીજી ફિલ્મ સામે થશે.
‘પુષ્પા ટૂ’ને તેના પહેલા ભાગની ગુડવિલનો લાભ મળી રહ્યો હોવાથી તે રેસમાં અત્યારથી આગળ છે. બીજી તરફ વિકી કૌશલ એક સારો કલાકાર હોવા છતાં પણ બોક્સ ઓફિસ પર કમર્શિઅલ સકસેસની ગેરન્ટી મનાતો નથી.
આગામી દિવસોમાં વર્ષના સૌથી મોટાં તહેવાર દિવાળીની શરુઆત થવા જઈ રહી છે. આ દિવસો દરમિયાન યાત્રાધામોમાં વિશેષ ઉજવણીઓ કરવામાં આવતી હોય છે. દિવાળીના પર્વની જગતમંદિર દ્વારકામાં વિશેષ ઉજવણી થવાની છે. જેને લઈને મંદિરના દર્શન સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.
દ્વારકાધીશ મંદિર કચેરી દ્વારા દ્વારકાધીશ મંદિરના દર્શનના સમયમાં ફેરફાર સાથેનું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. જેમાં જણાવ્યું છે કે ધનતેરસના દિવસે મંદિરમાં સવારે 6:30 વાગ્યે મંગળા આરતી થશે, બપોરે 1 થી 5 અનોસર એટલે કે મંદિર બંધ રહેશે, ત્યારબાદ સાંજે 5:00 વાગે ઉત્થાપન બાદ દર્શનનો લાભ મળશે. તેમ જ રાત્રે 9:45 કલાકે અનોસર બાદ મંદિર દર્શન બંધ થશે.
ડોનાલ્ડ ટ્રમ્પનો વહેલા મતદાનની પદ્ધતિ સામે વિરોધ છતાં તેમના પક્ષના મતદારોએ જ આ વિકલ્પ વધુ અપનાવ્યો
5 નવેમ્બરે યોજાનાર અમેરિકી પ્રમુખપદની ચૂંટણીને હજી બે અઠવાડિયા બાકી છે ત્યારે બે કરોડથી વધુ અમેરિકનો મતદાન કરી ચૂક્યા છે જે ઉપ-પ્રમુખ કમલા હેરિસ (ડેમોક્રેટ ઉમેદવાર) અને ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (રિપબ્લિકીન ઉમેદવાર) વચ્ચેની સ્પર્ધાની તીવ્રતા દર્શાવે છે. ફ્લોરિડાની ઈલેક્શન લેબની યુનિવર્સિટી અનુસાર ૭૮ લાખ મતદારોએ વહેલા ઈન-પર્સન વોટિંગમાં ભાગ લીધો હતો જ્યારે એક કરોડથી વધુ મતદારોએ ટપાલ બેલોટનો વિકલ્પ પસંદ કર્યો હતો.
ભારતથી વિપરીત જ્યાં મતદાન શરૂ થવા અગાઉ પ્રચાર બંધ કરવામાં આવે છે, અમેરિકામાં અનેક અઠવાડિયા સુધી બંને સમાંતર ચલાવવાની મંજૂરી છે. આ વર્ષે એરિઝોના, નેવાડા, વિસ્કોનસિન, મિશિગન, પેનીસીલવેનિયા, ઉત્તર કેરોલિના અને જ્યોર્જિયા જેવા પરિણામ પર પ્રભાવ પાડવા સક્ષમ મહત્વના સાત રાજ્યો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
અમેરિકામાં વહેલું મતદાન લોકપ્રિય પદ્ધતિ છે જેમાં મતદારોને ચૂંટણીના નિર્ધારિત દિવસ અગાઉ જ ટપાલ અથવા નક્કી કરાયેલા પોલીંગ બૂથ પર તેમના મત આપવાની છૂટ હોય છે.
નોંધનીય છે કે રિપબ્લિકન મતદારોએ વહેલા વોટિંગમાં વધુ રસ દાખવ્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પના આ પદ્ધતિ સામે વિરોધને જોતા આ બાબતે ઘણાને આશ્ચર્ય થયું હતું. પ્રત્યક્ષ વોટિંગમાં ૪૧.૩ ટકા રિપબ્લિકન મતદારો હતા જ્યારે ડેમોક્રેટ્સ ૩૩.૬ ટકા હતા. બીજી તરફ ટપાલ દ્વારા વોટિંગમાં બંનેની સંખ્યા લગભગ સમાન હતી.
સેમ એલ્મી જેવા રાજકીય નિષ્ણાંતોના મતે રિપબ્લિકન મતદારોએ સગવડ અને અસરકારકતાને કારણે વહેલા મતદાનનો વિકલ્પ અપનાવ્યો હતો. જ્યોર્જિયા જેવા રાજ્યોમાં ચૂંટણીના દિવસ પહેલા ૭૦ ટકા મતદારો તેમના મત આપવાની સંભાવના હોવાથી મતદાન રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. ખાસ કરીને રિપબ્લિકન મતદારોમાં વધુ પ્રમાણમાં મતદાન થવાની બાબત ચૂંટણીના પરિણામ માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે.
સુપ્રીમ કોર્ટે ગુરુવારે Date 24/10/2024 પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના નિર્ણયને રદ્દ કર્યો હતો. આ નિર્ણયમાં પીડિતાની ઉંમર નિર્ધારિત કરવા માટે આધાર કાર્ડમાં લખેલી જન્મતારીખને સ્વીકારવાનું કહેવામાં આવ્યું હતું.
જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ ઉજ્જલ ભુયાનની બેન્ચે ઉંમરના પુરાવા તરીકે આધાર કાર્ડનો ઉપયોગ અયોગ્ય ગણાવ્યો હતો. તેમણે નોંધ્યું કે, મૃતકની ઉંમર નક્કી કરવા માટે આધાર કાર્ડમાં નોંધાયેલી જન્મતારીખનો ઉલ્લેખ કરવાને બદલે મૃતકની ઉંમર જુવેનાઈલ જસ્ટિસ અધિનિયમ ૨૦૧૫ની કલમ ૯૪ હેઠળ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટના આધારે નક્કી કરી શકાય છે.
આ કેસમાં મોટર એક્સિડેન્ટસ ક્લેમ ટ્રિબ્યુનલ દ્વારા નક્કી કરવામાં આવેલા રૂ. ૧૯,૩૫,૪૦૦ના વળતરને હાઈકોર્ટે ઘટાડીને રૂ. ૯,૨૨,૩૩૬ કર્યું હતું કારણકે, મૃતકના આધાર કાર્ડમાં નોંધવામાં આવેલી જન્મ તારીખ પર આધાર રાખીને તેની ઉંમર ૪૭ વર્ષની ગણીને ૧૩નો ગુણાંક લાગુ કરવામાં આવ્યો હતો.
અપીલકર્તાએ હાઈકોર્ટના નિર્ણયને સર્વોચ્ચ અદાલતમાં પડકાર્યો હતો. તેમણે અરજીમાં કહ્યું કે, મૃતકની ઉંમરની ગણતરી કરવા માટે આધાર કાર્ડનો ઉલ્લેખ કરવામાં ભૂલ થઈહતી. તેમની દલીલ હતી કે, મૃતકના સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ મુજબ તેની ઉંમર ૪૫ વર્ષની હતી અને તે મુજબ ૧૪નો ગુણાંક લાગુ થવો જોઈએ.
રેલ્વે મંત્રી અશ્વીની વૈષ્ણવે પ્રેસ મીટમાં જણાવ્યું હતું કે આ વર્ષે દિવાળી અને છઠ્ઠ પૂજા નિમિત્તે દૈનિક બે લાખ વધારાના મુસાફરોની સુવિધા માટે સાત હજાર વિશેષ ટ્રેન દોડાવશે. રેલવે અધિકારીએ જણાવ્યું હતું કે તહેવારોની ભીડને પહોચી વળવા ગત વર્ષે દિવાળી અને છઠ્ઠ પૂજા નિમિત્તે ૪૫૦૦ વિશેષ ટ્રેનો દોડાવી હતી મુસાફરોની સંખ્યામાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને મંત્રાલયે આ વર્ષે સેવાઓમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. આ સમયગાળા દરમિયાન દેશના પૂર્વીય ભાગોમાં મોટી સંખ્યામાં મુસાફરો મુસાફરી કરતા હોવાથી આ ભાગમાં ઉત્તર રેલવે વધુ સંખ્યામાં ટ્રેનો દોડાવશે. ઉત્તર રેલવેએ એક યાદીમાં જણાવ્યું હતું કે મુસાફરોને તેમના ગંતવ્ય સુધી પહોચાડવા માટે ૩૦૫૦ વિશેષ ટ્રેનો દોડાવવામાં આવશે. ભારતીય રેલવેએ વર્ષ ૨૦૨૩માં ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો દોડાવી હતી જેમાં ઉત્તર રેલવેએ ૧,૦૮૨ ટ્રેનો દોડાવી હતી જેમાં આ વર્ષે ૩૦૫૦ ટ્રેનોની ટ્રીપ્સ દોડાવશે. સ્પેશિયલ ટ્રેનો ઉપરાંત રૂટીન ્રટ્રેેનોમાં મુસાફરોનો રસ જોઇને કોચમાં વધારો કરવામાં આવી રહ્યો છે.
ઈન્ડિગોની મુંબઈ ફ્લાઈટને બોમ્બની ધમકી મળતા શ્રીનગર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હાઈ-એલર્ટ
દેશમાં એક સપ્તાહ કરતાં વધુ સમયથી વીમાનોમાં બોમ્બની અફવાનો સિલસિલો મંગળવારે પણ ચાલુ રહ્યો હતો. છેલ્લા 24 કલાકમાં દેશમાં વધુ 80થી વધારે ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સને બોમ્બની ધમકી મળી હતી, જેને પગલે સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ હતી તેમજ ફ્લાઈટ્સના ટાઈમિંગ અને રૂટમાં ફેરફાર કરવામાં આવતા હજારો પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. મંગળવારે એર ઈન્ડિયા, ઈન્ડિગો, આકાસા એર, વિસ્તારા જેવી એરલાઈન્સને ટાર્ગેટ કરાઈ હતી. આ સાથે બોમ્બની ધમકીઓના કારણે એરલાઈન્સને રૂ. 600 કરોડથી વધુનું નુકસાન થયું હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
ડીજીસીએના સૂત્રોએ જણાવ્યું હતું કે, સોમવાર રાતથી મંગળવાર દરમ્યાન સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય ભારતીય એરલાઈન્સ દ્વારા સંચાલિત લગભગ 80થી વધુ ફ્લાઈટને બોમ્બની ધમકી મળતા વિક્ષેપ સર્જાયા હતા અને અનેક ઉડાણોના રૂટમાં ફેરફાર કરાયો હતો. મંગળવારે એર ઈન્ડિયા, ઈન્ડિગો, આકાસા એર અને વિસ્તારા જેવી એરલાઈન્સને ટાર્ગેટ કરાઈ હતી જેમાંથી કેટલીક ફ્લાઈટને સાઉદી અરબ અને કતાર તરફ વાળવામાં આવી હતી. દેશમાં નવ દિવસમાં 170થી વધુ ફ્લાઈટને બોમ્બની ધમકી મળી હતી, જેમાં મોટાભાગની ધમકીઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મારફત અપાઈ હતી.
એક ડોમેસ્ટિક ફ્લાઈટ્સનો કાર્યક્રમ ખોરવાતા અંદાજે રૂ. 1.5 કરોડનું નુકસાન થાય છે જ્યારે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પાછળનો આ ખર્ચ અંદાજે રૂ. 5-5.5 કરોડ થાય છે. આમ ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ ખોરવાતા સરેરાશ રૂ. 3.5 કરોડનો ખર્ચ થાય છે અને 170થી વધુ ફ્લાઈટ્સનો કાર્યક્રમ ખોરવાતા એરલાઈન્સ ઉદ્યોગને અંદાજે રૂ. 600 કરોડથી વધુનું નુકસાન થયું હોવાનું માનવામાં આવે છે.
એર ઈન્ડિયા અને ઈન્ડિગોની 13-13 સહિત 50થી વધુ ફ્લાઈટ્સને મંગળવારે બોમ્બની ધમકી મળી હતી જ્યારે અકાસા એરને ૧૨થી વધુ ફ્લાઈટ્સ અને વિસ્તારાને પણ 11 જેટલી ફ્લાઈટ્સ માટે ધમકીઓ મળી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. સોમવારે રાતે ઈન્ડિગો, એર ઈન્ડિયા અને વિસ્તારાની 30 જેટલી ફ્લાઈટ્સને બોમ્બની ધમકી મળી હતી.
આકાસા એરએ અનેક સુરક્ષા ચેતવણીની પુષ્ટી કરી હતી જ્યારે ઈન્ડિગોએ 23 થી વધુ ફ્લાઈટ પ્રભાવિત થયાનું જણાવ્યું હતું. તેમાંથી બેંગલુરુ, કોઝીકોડે અને દિલ્હીના રુટ સહિત જેદ્દાહ જતી ત્રણ ફ્લાઈટને વાળવામાં આવી હતી. અન્ય પ્રભાવિત રુટમાં દિલ્હીથી દમામ અને ઈસ્તાનબુલથી મુંબઈ અને દિલ્હી જેવા આંતરરાષ્ટ્રીય રુટ સામેલ હતા. સૌથી વધુ જેદ્દાહ, ઈસ્તનબુલ અને રિયાધ જતી ફ્લાઈટને ટાર્ગેટ કરવામાં આવી હતી.
ઈન્ડિગોને મળેલી ધમકીમાં લખનઉથી પુણે, હૈદરાબાદથી જેદ્દાહ, ઈસ્તનબુલથી મુંબઈ, દિલ્હીથી દમામ, બેંગલુરુથી જેદ્દાહ, ઈસ્તનબુલથી દિલ્હી, કોઝીકોડેથી જેદ્દાહ અને દિલ્હીથી જેદ્દાહ જતી ફ્લાઈટ સામેલ હતી. ધમકીઓના પ્રતિસાદમાં એરપોર્ટ પ્રશાસને પ્રવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા સ્થાપિત સલામતી ધોરણોનું પાલન કર્યું હતું. વધુમાં ઈન્ડિગોની મુંબઈ ફ્લાઈટ શ્રીનગર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચવાના સમયે જ બોમ્બની ધમકી મળવાથી એરપોર્ટ પર હાઈ એલર્ટ જાહેર કરાઈ હતી.
ધમકીઓ બનાવટી હોવા છતાં ભારતીય સિવિલ એવિયેશન મંત્રીએ સંભવિત જોખમોને ધ્યાનમાં રાખીને આવી બાબતોને ગંભીરતાથી લેવાની સૂચના આપી હતી. દરમ્યાન ભારત સરકાર નાગરિક ઉડ્ડયન અધિનિયમની સલામતી સામે ગેરકાયદેસર કાયદાઓના દમનમાં સૂચિત સુધારા સાથે, બોમ્બની ધમકીઓ સામે કડક કાયદાકીય પગલાં લેવાની યોજના બનાવી રહી છે. આ ફેરફારોને કારણે કોર્ટના આદેશ વિના આરોપીની ધરપકડ અને પૂછપરછ કરી શકાશે અને ફ્લાઈટને ધમકી આપનારા સામે સખત પગલા લઈ શકાશે.
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન કે. રામ મોહન નાયડુએ આજે જણાવ્યું હતું કે ભારતે સ્થાનિક પ્રતિભાઓને પ્રોત્સાહિત કરવા માટે ડ્રોનની આયાત પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. આંધ્ર પ્રદેશના અમરાવતી ખાતે બે દિવસીય રાષ્ટ્રીય ડ્રોન શિખર સંમેલનને સંબોધતા નાગરિક ઉડ્ડયન મંત્રીએ કહ્યું હતું કે સરકારે ડ્રોનની આયાત પર પ્રતિબંધ એટલા માટે મુક્યો છે, કારણ કે તે ઇચ્છતી નથી કે ભારતની કિંમત પર કોઇ અન્ય દેશ અથવા કંપનીને ફાયદો થાય.
નાયડુએ કહ્યું હતું કે “અમે ડ્રોનની કુલ આયાત પર પ્રતિબંધ મુક્યો છે, અમે તે શા માટે કર્યું? અમે આ ડ્રોન સેક્ટરમાં વધુ સ્ટાર્ટઅપ્સને આવવા માટે પ્રોત્સાહિત કરવા માંગીએ છીએ. અમે ઇચ્છીએ છીએ કે આ દેશના લોકો ડ્રોનનું ઉત્પાદન કરે. અમે ડ્રોનની આયાત કરવા માંગતા નથી. આ અંગેનો લાભ કોઈ અન્ય દેશ અથવા કોઈ અન્ય કંપનીને આપવા માંગતા નથી. કેન્દ્રીય મંત્રીના જણાવ્યા અનુસાર સરકાર ઈચ્છે છે કે દેશના યુવા અને પ્રતિભાશાળી લોકો દેશના સ્વદેશી સમાધાનો પુરા કરવા માટે નવા પ્રકારના ડ્રોન વિકસિત કરે, તેથી આ માનસિકતા સાથે અમે આયાત પર પ્રતિબંધ મૂક્યો છે.
ઉડ્ડયન મંત્રીએ એ વાત પર પ્રકાશ પાડ્યો હતો કે કેન્દ્ર સરકારે ડ્રોન ઇકોસિસ્ટમ માટે નિયમોને ઉદાર બનાવ્યા છે અને 27 કંપનીઓને પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ (પીએલઆઇ) યોજનાનો લાભ મેળવવા સક્ષમ બનાવી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત ડ્રોન હબ તરીકે ઉભરી આવ્યું છે. તેમણે કહ્યું કે સરકાર આ ઉદ્યોગને વધુ આગળ વધારવા માંગે છે.
તેમણે કહ્યું હતું કે ભવિષ્યમાં આંધ્ર પ્રદેશમાં એક ડ્રોન હબની સંભાવના છે. અમે એ સુનિશ્વિત કરવા માંગીએ છીએ કે આંધ્રપ્રદેશ પોતાની ક્ષમતા અનુસાર વિકાસ કરે. સરકાર ખાતરી કરવા માંગે છે કે દક્ષિણનું રાજ્ય વિશ્વમાં ડ્રોન હબ તરીકે ઉભરી આવે. આ મેગા-ડ્રોન સમિટમાં ડ્રોન હેકાથોન, પ્રદર્શનો અને ઉદ્યોગ નિષ્ણાતો ભાગીદારી કરશે. સમિટમાં 1,711 પ્રતિનિધિ અને 1,306 મુલાકાતી ભાગ લે તેવી અપેક્ષા છે.
વૈશ્વિક સ્તરના પ્રતિકૂળ અહેવાલો પાછળ વૈશ્વિક બજારોમાં સેન્ટીમેન્ટ ડહોળાવાની સાથોસાથ વિદેશી રોકાણકારોની જંગી વેચવાલી સહિતના અન્ય અહેવાલો પાછળ આજે ભારતીય શેરબજારમાં કડાકો બોલી જવા પામ્યો હતો. જેના પગલે કામકાજના અંતે રોકાણકારોની
સંપત્તિમાં (બીએસઇ માર્કેટકેપ.) રૂ.૯.૨૦ લાખ કરોડનું ધોવાણ થવા પામ્યું હતું. ચીન દ્વારા રાહત પેકેજો જાહેર કરાતા વિદેશી રોકાણકારો ભારત છોડીને ચીન તરફ વળ્યાના અહેવાલોની સાથોસાથ વિદેશી શેરબજારોમાં પણ મોટા પાયે વેચવાલીના અહેવાલોની ભારતીય બજાર પર પ્રતિકૂળ અસર થવા પામી હતી. આ ઉપરાંત ઘર આંગણે અત્યાર સુધી કંપનીઓ દ્વારા જાહેર કરાયેલ પરિણામોમાં નફા વૃદ્ધિમાં રૂકાવટ આવ્યાના અહેવાલોની પણ બજાર પર પ્રતિકૂળ અસર થઇ હતી. આ ઉપરાંત ઉંચા વેલ્યુએશનની પણ બજાર પર પ્રતિકૂળ અસર થઈ હતી. આજે લાર્જકેપની સાથે સ્મોલકેપ અને મીડકેપ શેરોમાં પણ મોટા પાયે ગાબડા નોંધાયા હતા.
આ અહેવાલો પાછળ આજે વિદેશી રોકાણકારોની આગેવાની હેઠળ ફંડો તેમજ ઓપરેટરો સહિત ચોમેરથી આવેલ વેચવાલીના ભારે દબાણે આજે સેન્સેક્સમાં છેલ્લા કલાકમાં ભારે પેનિંક આવતા કામકાજના અંતે ૯૩૦ પોઈન્ટ તૂટીને ૮૦૨૨૦ની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૩૦૯ પોઈન્ટ તૂટીને ૨૪૪૭૨ની સપાટીએ ઉતરી આવ્યો હતો.
સેન્સેક્સની નરમાઈ પાછળ આજે રોકાણકારોની સંપત્તિ પણ રૂ. ૯.૨૦ લાખ કરોડ ઘટીને રૂ. ૪૪૪.૪૫ લાખ કરોડ રહી હતી. વિદેશી રોકાણકારોએ આજે રૂ. ૩૯૭૯ કરોડની વેચવાલી હાથ ધરી હતી. આજે બીએસઈ સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૨૧૧૮ અને મીડકેપ ઇન્ડેક્સમાં ૧૧૯૦ પોઈન્ટનું ગાબડું નોંધાયું હતું.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.