નાગપુરની એક સરકારી એજન્સીએ ટૉયલેટના પાણીથી કરોડો રૂપિયા ઉભા કર્યા છે.
ટૉઈલેટ ફ્લશ કર્યા બાદ ગટરમાં વહી જતું કહેવાતું ગંદુ પાણી ઘણું અત્યંત ઉપયોગી છે. નાગપુરની એક સરકારી એજન્સીએ ટૉયલેટના પાણીથી બાયો સીએનજી ગેસ બનાવીને તેનાથી પરિવહન નિગમની બસ દોડાવીને કરોડો રૂપિયાની કમાણી કરી છે અને હવે દેશભરમાં સંડાસના ગંદા પાણીમાંથી ગેસ પેદા કરીને એ બળતણથી બસો દોડાવવાનો પ્રયોગ શરૂ કરાઇ રહ્યો હોવાનું રાષ્ટ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું.

આપણે જેને ટૉયલેટનું ગંદુ પાણી સમજીને ગટરમાં વહાવી દેઇએ છીએ એ ગંદા ગટરના પાણીને નાગપુરની સરકારી એજન્સીએ 78 કરોડમાં વેચ્યુ છે. એટલું જ નહીં પણ નાગપુરની ગટરમાંથી વહેતા ગંદા પાણી માંથી ઉત્પન કરાયેલા ગેસમાંથી શહેરમાં 50 એસી બસ ચાલી રહી છે. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યુ કે નાગપુરમાં વૈકલ્પિક ઈંધણને લઈ પ્રયોગ કરાઈ રહ્યા છે. જેમાંથી એક છે ટૉઈલેટના પાણીથી બાયો સીએનજી કાઢીને બસ ચલાવવાની યોજના. આવી 50 બસ રોડ પર ચાલી રહી છે.
ગંગાની ગંદકીથી 26 શહેરમાં ચાલશે બસ
ગડકરીએ કહ્યું કે પેટ્રોલિયમ મંત્રાલય અંતર્ગત આવતી તેલ અને ગેસ કંપનીઓ સાથે થયેલા કરાર મુજબ ગંગા કિનારે વસેલા 26 શહેરોને લાભ મળશે. જે મુજબ પાણીમાંથી ગંદકી સાફ કરીને મિથેન ગેસ દ્વારા બાયો સીએનજી તૈયાર કરાશે. જેનાથી 26 શહેરોમાં સિટી બસ ચાલશે. આ કામથી 50 લાખ યુવાનોને રોજગારી મળશે. અને ગંગાની સફાઈ પણ થશે.
કોલસાથી સિટી બસ ચલાવવાની તૈયારી
ગડકરીએ ઉમેર્યું કે દેશમાં કોલસાની કમી નથી. કોલસામાંથી મિથેન બનાવીને મુંબઈ, પૂણે અને ગુવાહાટીમાં સિટી બસ ચલાવવાની તૈયારી શરૂ કરાઈ છે. ગડકરીના કહેવા મજુબ દેશમાં 62 રૂપિયા પ્રતિ લિટર ડીઝલની જેટલું જ કામ કરનાર મિથેનની કિંમત 16 રૂપિયા જેટલી પડે છે.




















