CIA ALERT

Alert Archives - Page 483 of 519 - CIA Live

August 27, 2018
socialmedia1-900px.jpg
1min13590

માહિતી તંત્રજ્ઞાન ક્ષેત્રના પ્રધાન રવિશંકર પ્રસાદે આર્જેન્ટિનાના સલાટા ખાતે ‘જી-૨૦ ડિજિટલ ઇકૉનૉમી મિનિસ્ટરિયલ મિટિંગ’માં જણાવ્યું હતું કે ભારતમાં ચૂંટણી પ્રક્રિયાને સોશિયલ મીડિયાના દુરુપયોગથી હાનિ પહોંચાડવા નહિ દેવાય.

તેમણે જણાવ્યું હતું કે ભારતમાં ચૂંટણી પ્રક્રિયાને માઠી અસર પહોંચાડવા માટે સોશિયલ મીડિયાના ડેટાનો દુરુપયોગ કરવા નહિ દેવાય અને તે કરનારા લોકોને સજા કરાશે.

સેન્ટ્રલ બ્યુરો ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)એ ફેસબુક પરની ભારતીયોની અંગત માહિતી ગેરકાયદે મેળવનારી બ્રિટિશ રાજકીય સલાહકાર કંપની કેમ્બ્રિજ એનાલિટિકા સામે તાજેતરમાં પ્રાથમિક તપાસ શરૂ કરી છે. પ્રસાદે ‘જી-૨૦’ના કાર્યક્રમમાં જણાવ્યું હતું કે ડિજિટલ પ્લેટફૉર્મ્સ દ્વારા થતી આવકનો અમુક હિસ્સો અન્ય ઘણી બજારોમાં ફરી રોકવો જરૂરી છે. સરહદ પાર કરાતા વ્યાપાર અને વાણિજ્ય માટે સાયબર વિશ્ર્વ અમર્યાદિત તક પૂરી પાડે છે. સલામત અને સુરક્ષિત સાયબરસ્પેસ વૈશ્ર્વિક અર્થતંત્ર માટે ડિજિટલ ટ્રાન્સફૉર્મેશનના અનેક લાભ પૂરા પાડે છે. ભારત સરકાર સાયબર ક્રાઇમને નાથવા વિવિધ પગલાં લઇ રહી છે. તેમણે જણાવ્યું હતું કે હાલમાં ભારતમાં ૪૫ કરોડ

સ્માર્ટફૉન સહિત ૧.૨૧ અબજ મૉબાઇલ ફૉન છે અને ઇન્ટરનેટ તેમ જ બ્રૉડબેન્ડનો ઉપયોગ અંદાજે પચાસ કરોડ લોકો કરી રહ્યા છે. આ ઉપરાંત, બાયોમેટ્રિક આઇડેન્ટિફાયર ‘આધાર’ અને કૉમન સર્વિસીસ સેન્ટર્સ જેવા કાર્યક્રમથી દેશની ડિજિટલ શક્તિ ઘણી વધી છે.

August 27, 2018
Rough-Diamonds.png
1min9440

નાના કદના રફ હીરાની કિંમતમાં પાછલા એક પખવાડિયા દરમિયાન ચાર ટકાથી પાંચ ટકાનો ઘટાડો નોંધાયો છે. રફ હીરાના અગ્રણી ખરીદદારો પૈકી એક ભારત તેની રફ હીરાની ખરીદીમાં કાપ મૂકી રહ્યા છે. હીરાના વેપારમાં અત્યારના ટ્રેન્ડનો હેતુ ઇન્વેન્ટરી ઊભી ન થાય તે જોવાનો છે. માંગ ઊભી થાય ત્યારે રફ હીરાની ખરીદી કરવાની નીતિ છે.

આ વ્યાપાર માટે બેન્કધિરાણ મેળવવું અગત્યનો પ્રશ્ન બની ગયો છે ત્યારે તે હીરા ઉદ્યોગની નફાકારકતામાં વધારો કરવામાં પણ મદદ કરે છે. જેમ એન્ડ જ્વેલરી એક્સ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલના માજી ચેરમેન પ્રવીણ શંકર પંડ્યાએ જણાવ્યું હતું કે, પાછલા કેટલાક મહિનાઓથી મહત્ત્વના ગ્રાહક ચીને તેની રફ હીરાની ખરીદી ધીમી કરી દેતાં બજાર ધીમેધીમે આગળ વધી રહ્યું છે.

દૂર પૂર્વના દેશો તરફથી આવતી માંગ પણ ધીમી છે. હીરાના વેપારીઓ હાલમાં સ્ટોકિંગ પણ નથી કરતા કેમ કે નીરવ મોદી કૌભાંડ બાદ બેન્ક ધિરાણ મેળવવું પણ મુશ્કેલ બન્યું છે.

હીરાના અગ્રણી નિકાસકાર વિપુલ શાહે જણાવ્યું હતું કે, સુરતમાં મેન્યુફેક્ચરિંગ એકમો નાની કેટેગરીના હીરાના ઉત્પાદનની કામગીરીમાં ૨૦-૨૫ ટકાનો ઘટાડો કરી રહ્યા છે કેમ કે હીરાના વેપારીઓ હાલની પરિસ્થિતિમાં ઇન્વેન્ટરી ઊભી કરવા માંગતા નથી.

સૂત્રોએ જણાવ્યું હતું કે, માર્કેટમાં જે લોકો નાના હીરામાં ડીલ કરે છે તેમાં ઘણી બધી ગૂંચવણ છે. ડી બીયર્સે લાઇટબોક્સ નામે લેબોરેટરીમાં તૈયાર કરવામાં આવેલાં હીરાનાં આભૂષણો લોંચ કર્યા બાદ બજારમાં ઘણી ગૂંચવણ ઊભી થઈ છે. તમામ લોકો હાલમાં ‘થોભો અને રાહ જુઓ’ની નીતિ અપનાવી રહ્યા છે તથા નાના હીરાની ખરીદી કરતા નથી. રફ હીરાની કિંમત પર તેની અસર થઈ શકે.

ઉલ્લેખનીય છે કે પાછલા મે મહિનામાં ડી બીયર્સે લાઇટબોક્સ જ્વેલરી નામની નવી કંપની લોંચ કરવાની જાહેરાત કરી હતી જે આગામી સપ્ટેમ્બરમાં લાઇટબોક્સ નામ હેઠળ લેબોરેટરીમાં વિકસાવવામાં આવેલાં હીરાનાં આભૂષણોનું માર્કેટિંગ શરૂ કરશે, તે ગ્રાહકોને ઉચ્ચ ગુણવત્તાની સાથે સાથે હાલમાં અસ્તિત્વ ધરાવતા લેબ હીરાની સરખામણીએ નીચી કિંમત પર ફેશન જ્વેલરી ડિઝાઇન ઓફર કરી રહી છે.

હીરા ઉદ્યોગ માટે બેન્ક ફાઇનાન્સ એક મોટા પ્રશ્ન તરીકે યથાવત્ જળવાઈ રહ્યો છે જેથી થોડા સમય પૂરતું ઉત્પાદન પણ ઘટાડવામાં આવી રહ્યું છે. નીરવ મોદી-પીએનબી કૌભાંડ ગયા ફેબ્રુઆરીમાં સપાટી પર આવ્યું હતું તે પછી બેન્કોએ હીરાના વેપાર માટેના ધિરાણમાં કાપ મૂકવાની શરૂઆત કરી જ દીધી છે.

બેન્કોએ લોનના વિતરણ માટે વધારે ઊંચા સુરક્ષા કવચની માંગણી શરૂ કરી છે જે ઘણીવાર લોનની રકમના 120 ટકાથી લઈને 150 ટકા જેવી હોય છે. કૌભાંડ પ્રકાશમાં આવ્યું તે અગાઉ બેન્કો આ વ્યાપાર પાસેથી વિતરીત લોનના 40 ટકાથી લઈને 60 ટકા સુધીની ગેરેન્ટીની માંગણી કરતી હતી.

August 27, 2018
medic.jpg
1min15830

મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા આગામી સપ્ટેમ્બર માસમાં એમબીબીએસ માટેનો નવો અભ્યાસક્રમ લોન્ચ કરશે. આ અભ્યાસક્રમ આગામી શૈક્ષણિક વર્ષ ર૦૧૯-ર૦થી અમલી બનશે, જેમાં મહત્ત્વની વાત એ છે કે એમબીબીએસના પહેલા વર્ષના વિદ્યાર્થીઓને વર્ષની શરૂઆતથી જ હૉસ્પિટલમાં પ્રેક્ટિકલ અનુભવ લેવાની તક મળશે. સૂત્રોના જણાવ્યા મુજબ એમબીબીએસનો અભ્યાસક્રમ ર૧ વર્ષના લાંબા સમયગાળા બાદ બદલાઇ રહ્યો છે.

નવા અભ્યાસક્રમમાં ઘણાં ચેપ્ટર કાઢી નાખવામાં આવ્યાં છે તો છેલ્લા ર૧ વર્ષના સમયગાળા દરમિયાન નવી બીમારીઓ તેમ જ લેટેસ્ટ સારવાર પદ્ધતિની બાબતો સમાવાશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે એમબીબીએસના વિદ્યાર્થીઓ તેમના અભ્યાસના સમયગાળા દરમિયાન ત્રીજા વર્ષથી હોસ્પિટલમાં પ્રેક્ટિકલ અનુભવ મેળવી શકતા હતા. હવે નવા અભ્યાસક્રમ મુજબ વિદ્યાર્થીઓ પહેલા વર્ષથી જ હૉસ્પિટલમાં પ્રેક્ટિસ એટલે કે અનુભવ મેળવી શકશે. નવા અભ્યાસક્રમના અમલીકરણ પહેલાં એમસીઆઇ પ્રોફેસરને પણ તે અંગેની ટ્રેનિંગ આપશે. જાન્યુઆરી માસમાં આગામી શૈક્ષણિક વર્ષથી અભ્યાસક્રમમાં બદલાવ કરવાની મંજૂરી એનસીઆઇએ આપી દીધી હતી.

August 27, 2018
insurance-fraud.jpg
1min7380

ખાનગી વીમા કંપનીમાં પૉલિસી ધારક હયાત ન હોવા છતાં ખોટા દસ્તાવેજો રજૂ કરીને રૂ.૧૯.૫૦ લાખનો વીમો પકવવાનો પ્રયાસ કરવા બદલ સીઆઈડી ક્રાઈમે બે મહિલા સહિત ત્રણ જણાની ધરપકડ કર છે.

પ્રાઈવેટ ઇન્સ્યુરન્સ કંપનીઓમાં મૃતકના નામે બોગસ વીમા મેળવવા કૌભાંડ છેલ્લા ત્રણેક વર્ષથી રાજ્યમાં ચાલી રહ્યુ હતું. અનેક મૃતકોના ખોટા દસ્તાવેજો રજૂ કરીને વીમાની રકમ મેળવી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ખાનગી લાઈફ ઈન્સ્યોરેન્સ કંપનીમાં રાહુલ કાળુભાઈ પગીના નામે રૂ.૧૯.૫૦ લાખનો વીમો એજન્ટ જયશ્રીબેન હિમાંશુભાઈ પરમારે ૩૦મી એપ્રિલ ૨૦૧૫ના રોજ ઉતાર્યો હતો. જેમાં નોમીની તરીકે રાહુલની માતા ડામોરને દર્શાવી હતી. પછી તા. ૫મી ઓકટોબર ૨૦૧૫ના રોજ રાહુલ પગીનું મૃત્યુ થયુ હોવાનું જણાવીને વીમો મેળવવા માટે ચૂંટણીકાર્ડ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ,બેકનો કોરો ચેક, તથા મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાની ગ્રામ પંચાયતમાંથી મરણ સર્ટિફિકેટ મેળવીને રજૂ કર્યું હતું. પાંચ માસમાં રાહુલના મૃત્યુ નીપજવા અંગે ખાનગી લાઈફ ઈન્સ્યોરેન્સ કંપનીને શંકા જતા તેમને તપાસ કરી હતી જેમાં જાણવા મળ્યુ હતુ કે, વીમાનો એજન્ટ જયશ્રીબેન હિમાંશુભાઈ પરમારે ખાનગી લાઈફ ઈન્સ્યોરેન્સ કંપનીના સેલ્સ મેનેજર હિમાંશુ ચતુરભાઈ પરમાર સાથે મેળાપીપણામાં બોગસ વીમો ઉતારીને ૧૯.૫૦ લાખ વીમો મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે ખાનગી લાઈફ ઈન્સ્યોરેન્સ કંપનીએ સીઆઈડી ક્રાઈમને જાણ કરી હતી.

સીઆઈડી ક્રાઈમે તપાસ કરીને ખાનગી લાઈફ ઈન્સ્યોરેન્સ કંપનીના સેલ્સ મેનેજર હિમાંશુ ચતુરભાઈ પરમાર,વીમાનો એજન્ટ જયશ્રીબેન હિમાંશુભાઈ પરમાર અને રાહુલની માતા મનીષાબેન ડામોર સામે ગુનો નોંધીને ધરપકડ કરી હતી.

August 27, 2018
amarnath-yatra.gif
1min7630

મુદ્રના સ્તરથી ૧૪,૫૦૦ ફૂટ ઊંચે આવેલી અમરનાથ ગુફામાં સ્વયંભૂ હિમલિંગની પૂજાઅર્ચના, દર્શન કરવા માટે યોજાતી વાર્ષિક અમરનાથ યાત્રા શ્રાવણી પૂનમના દિને છડી મુબારક નામક વિધિ સાથે સંપન્ન થઈ હતી. રવિવારે તા.26મી ઓગસ્ટ 2018ના રોજ પૂર્ણિમા અને રક્ષા બંધનના દિને અંદાજે ૧૫૦ શ્રદ્ધાળુઓએ ગુફાના દર્શન કર્યા હતા. બે માસની અમરનાથ યાત્રામાં અંદાજેે ૨.૮૫ લાખ ભક્તોએ હિમલિંગના દર્શન કર્યા હતા. આ ફેરે અમરનાથ યાત્રામાં ૩૪ શ્રદ્ધાળુ મૃત્યુ પામ્યા હતા. છડી મુબારકની અમરનાથની પવિત્ર ગુફામાં સ્થાપના સાથે યાત્રાની સમાપ્તી થઇ હતી. વર્ષ ૨૦૧૭માં અમરનાથ યાત્રા કરનાર ભાવિક ભક્તોની સંખ્યા ૨.૬૦ લાખ હતી તેમ જ વર્ષ ૨૦૧૨માં ૬.૨૧ લાખ હતી.

આ વખતે ખરાબ મોસમ અને કાશ્મીરના સંજોગો જોતાં અમરનાથ યાત્રામાં ઓછા યાત્રાળુ આવ્યા હતા.

ઉત્તર ભારતમાં શ્રાવણ માસ પૂરો થવા અવસરે પવિત્ર ‘છડી મુબારક’ને રવિવારે તા.26મી ઓગસ્ટ 2018ના રોજ અમરનાથ ગુફામાં સ્થાપિત કરવામાં આવી હતી. દશનામી અખાડાના મહંત દીપેન્દ્ર ગીરીના નેજાં હેઠળ સાધુઓનું એક દળ શ્રીનગરના દશનામી અખાડાથી નીકળ્યું હતું. પૂજાઅર્ચના બાદ છડી મુબારકને ફરીથી તે અખાડામાં જ સ્થાપિત કરી દેવાયું હતું. ‘બર્ફાની બાબા કી જય,’ ‘જય બાબા અમરનાથ બર્ફાની, ભૂખે કો અન્ન, પ્યાસે કો પાની’,‘બમ બમ ભોલે’ અને ‘હર હર મહાદેવ’ના ગગનભેદી પોકારોથી વાતાવરણ ગુંજી ઊઠ્યું હતું.

August 26, 2018
rudraksh-1280x854.jpg
3min23090
દેવકાળની વાત છે ભગવાન શિવ મનને સંયમમાં રાખીને હજારો વર્ષોથી ઘોર તપશ્ચર્યામાં લીન હતા. એક દિવસ અચાનક તેઓએ બંને નેત્રો ખોલ્યાં, જેમાંથી  થોડાંક જળબિન્દુ સરી પડ્યાં. આ બિન્દુમાંથી રુદ્રાક્ષ નામનું વૃક્ષ પેદા થયું. શિવજીએ આ રુદ્રાક્ષને વિષ્ણુભક્તો તેમજ લોકોમાં વહેંચી દીધા.
વિશ્વમાં ઉપલબ્ધ વિવિધ કદ-આકારના રુદ્રાક્ષમાં કયા રુદ્રાક્ષ શ્રેષ્ઠ ગણવા જોઇએ?
આમળાના ફળ જેટલા મોટા રુદ્રાક્ષને શ્રેષ્ઠ ગણાયા છે.  બોર જેવડા હોય તો મધ્યમ અને ચણા જેવડા હોય તો એમની ગણના નિમ્ન કોટિમાં થાય છે. 
રુદ્રાક્ષ આડેધડ રીતે ધારણ કરી શકાતા નથી. ધારણ કરનારાઓ માટે શાસ્ત્રોમાં અનેક નિયમો નિર્દેશિત કરાયા છે. નિયમોનુ પાલન કરી રુદ્રાક્ષ ધારણ કરવાથી સકારાત્મક પરિણામ પ્રાપ્ત થાય છે. રુદ્રાક્ષ ધારણ કરતાં પહેલાં તેનું વિધિવત પૂજન કરવું જોઈએ અને ત્યારબાદ મંત્ર જાપ કરતાં કરતાં તે ધારણ કરી શકાય છે. રુદ્રાક્ષને શિવનું પ્રતીક ગણવામાં આવે છે. એને યોગ્ય રીતે ધારણ કરાય તો ફાયદાકારક રહે છે.
રુદ્રાક્ષના વિવિધ પ્રકાર છે, નીચે મુજબ છે:
– એક મુખી રુદ્રાક્ષ સાક્ષાત શિવનું સ્વરૂપ છે તે ભોગ અને મોક્ષ આપે છે.
– બે મુખી રુદ્રાક્ષ દેવદેવેશ્વર સંપૂર્ણ કામનાઓ અને ફળ આપનાર છે.
– ત્રણ મુખી રુદ્રાક્ષ અગ્નિ સ્વરૂપ છે. એના પ્રભાવથી વિદ્યા પ્રાપ્ત થાય છે.
– ચાર મુખી રુદ્રાક્ષ સાક્ષાત બ્રહ્માનું સ્વરૂપ છે તેનાં દર્શનથી ધર્મ અર્થ, કામ અને મોક્ષ મળે છે.
– પાંચ મુખી રુદ્રાક્ષ કાલાગ્નિ રુદ્ર રૂપ છે તે કંઇ પણ કરવા સમર્થ છે અને સંપૂર્ણ મન વાંછિત ફળ દેનાર છે.
– છ મુખી રુદ્રાક્ષ કાર્તિકેય સ્વરૂપ છે. જો તેને જમણી બગલની બાજુમાં ધારણ કરવામાં આવે તો બ્રહ્મહત્યા વગેરે પાપોથી મુક્ત થાય છે.
– સાત મુખી રુદ્રાક્ષ અનંગ સ્વરૂપ છે. તેને ધારણ કરનાર દરિદ્રને પણ પણ ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે.
– આઠ મુખી રુદ્રાક્ષ અષ્ટમુર્તિ ભૈરવરૂપ છે. તે ધારણ કરનાર મનુષ્ય પૂર્ણ આયુષ ભોગવે છે.
– નવ મુખી રુદ્રાક્ષ ભૈરવ અને કપિલ મુનિનું પ્રતિક છે. જે મનુષ્ય આ રુદ્રાક્ષ ડાબા હાથમાં ધારણ કરે તે શિવ સમાન સર્વેશ્વર થઈ જાય છે.
– દસ મુખી રુદ્રાક્ષ સાક્ષાત વિષ્ણુનું સ્વરૂપ છે. આ રુદ્રાક્ષને ધારણ કરવાથી સર્વ કામનાઓ પૂર્ણ થઈ જાય છે.
– અગિયાર મુખી રુદ્રાક્ષ રુદ્રરૂપ છે. આ રુદ્રાક્ષને ધારણ કરવાથી મનુષ્ય સર્વત્ર વિજયી બને છે.
– બાર મુખી રુદ્રાક્ષ આદિત્ય સમાન છે તેને કેશમાં ધારણ કરવાથી મસ્તક ઉપર બાર આદિત્યો બિરાજમાન થાય છે.
–  તેર મુખી રુદ્રાક્ષ વિશ્વદેવાનું રૂપ છે તેને ધારણ કરવાથી મનુષ્ય સંપૂર્ણ મનોવાંછિત ફળ પ્રાપ્ત કરે છે તથા સૌભાગ્ય અને મંગલનો લાભ કરાવે છે.
– ચૌદ મુખી રુદ્રાક્ષ તે પરમ શિવરૂપ છે. એને ભક્તિપૂર્વક મસ્તક ઉપર ધારણ કરવો, જેથી બધા પાપ નષ્ટ થાય છે.
August 26, 2018
RobotEvolution.jpg
1min5530

મહારાષ્ટ્ર રાજ્ય સરકારે સૌપ્રથમ વખત કૉલેજોને પ્લેસમેન્ટ ઑરિએન્ટેડ અભ્યાસક્રમ શરૂ કરવાની યોજના ઘડી કાઢી છે. કૉલેજોમાંં સાઇબર સિક્યોરિટી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એ.આઇ.) અને પ્રોડક્ટ ડિઝાઇન જેવા અભ્યાસક્રમનો સમાવેશ થશે.

સ્વાયત્ત કૉલેજોમાં આ વિષયને બીજા વિષયના વિકલ્પ તરીકે અપાશે અને અન્ય કૉલેજોમાં વૅલ્યુ ઍડેડ અભ્યાસક્રમ તરીકે ગણાશે. રાજ્ય સરકારની પ્લેસમેન્ટ ઑરિએન્ટેડ અભ્યાસક્રમ બનાવાની યોજના છે. કૉલેજોમાં રોબોટિક્સ, એ.આઇ., સાઇબર સિક્યોરિટી, ડૅટા ઍનાલિટ્કિસ અને કેપિટલ માર્કેટ્સ જેવા અભ્યાસક્રમ શરૂ કરવાની રાજ્ય સરકારની યોજના છે.

ગણતરીની કૉલેજોના કૅમ્પસ પ્લેસમેન્ટ પર રાજ્ય સરકાર નજર રાખશે. પ્લેસમેન્ટમાં વિદ્યાર્થીઓને મળતો સરેરાશ પગાર અને ઇન્ડસ્ટ્રીને વિદ્યાર્થીઓમાં કયા પ્રકારની નિપુણતા જોઇએ છે વગેરે માહિતીઓ પર રાજ્ય સરકાર બૅઝલાઇન સ્ટડી કરશે. છેલ્લે જ્યારે અભ્યાસક્રમમાં ફેરફાર થયો હતો તે વખતના વિદ્યાર્થીઓના પ્લેસમેન્ટ અને અત્યારના વિદ્યાર્થીઓના પ્લેસમેન્ટની રાજ્ય સરકાર સરખામણી કરશે.

મહારાષ્ટ્ર રાજ્ય સરકારની યોજના છે કે ઇન્ડસ્ટ્રીના નિષ્ણાતો દ્વારા પ્લેસમેન્ટ ઑરિએન્ટેડ અભ્યાસક્રમ બનાવવાનો વિચાર છે તે માટે આઇઆઇટી-બૉમ્બેના નિષ્ણાત પાસેથી રોબોટિક્સ અને એ.આઇ.નો અભ્યાસક્રમ અમદાવાદની નિરમા યુનિવર્સિટી દ્વારા તૈયાર કરવામાં આવશે. તે સિવાય સાઇબર સિક્યોરિટી, ડૅટા ઍનાલિટ્ક્સનો અને કૅપિટલ માર્કેટનો અભ્યાસક્રમ પણ શરૂ કરવામાં આવશે આ માટે શિક્ષકોને વિશેષ ટ્રેનિંગ આપવામાં આવશે.

August 25, 2018
wireless.jpg
1min7570
(તસ્વીરમાં જોઇ શકાય છે એ રીતે આઇફોનની સ્ક્રીન પર વાયરલેસ સિસ્ટમની મદદથી પેટમાં રહેલા ગર્ભનું પરીક્ષણ થઇ શકે છે, તસ્વીર પ્રતિકાત્મક છે)
રાજ્યમાં ભ્રુણ પરીક્ષણ પર પ્રતિબંધ હોવા છતાં યેનકેન પ્રકારે ભ્રુણ પરીક્ષણો થતા રહે છે અને ફક્તને ફક્ત દિકરો અવતરે એવી અપેક્ષા રાખતા પરિવારો દિકરીઓની માં ના પેટમાં જ હત્યા કરી દે છે. રાજકોટમાંથી એક હેરત પમાડે તેવો કિસ્સો પકડાયો છે. સંભવતઃ ગુજરાતનો પહેલો કિસ્સો હશે જેમાં કોઇ વાયરલેસ કનેકટેડ ગેજેટ્સ સાથે સોનોગ્રાફી મશીન્સથી ભ્રુણ પરીક્ષણ કરતા એક મહિલા સમેત ચાર વ્યક્તિઓને ઝડપી પાડવામાં આવ્યા છે. એક્સપર્ટસના કહેવા અનુસાર વાયરલેસ ગેડજેટ્સની મદદથી સોનોગ્રાફી મશીન એટેચ કરીને ભ્રુણ પરીક્ષણ કરવામાં આવી રહ્યું હતું. એક ફુલફ્લેજ સોનોગ્રાફી ક્લિનિકમાં સોનોગ્રાફી મશીન્સ, બેડ વગેરેથી લઇને અન્ય માળખાગત સુવિધાઓ ઉપલબ્ધ હોય ત્યારે ભ્રુણ પરીક્ષણ શક્ય બની શકે પરંતુ, રાજકોટમાં જે મોડસ ઓપરેન્ડી પકડાય છે એ જોતા હવે વાયરલેસ ઉપકરણથી કોઇપણ સ્થળે જઇને ગેરકાયદે ભ્રુણ પરીક્ષણ કરી આપીને રૂપિયા રળવાની ટેકનીક ભેંજાબાજો અપનાવી રહ્યાની પ્રતીતિ થઇ રહી છે.
ચોટીલાની મણીરત્ન હોસ્પિટલના સંચાલિકા રમા બડમલિયા દ્વારા વાયરલેસ સોનોગ્રાફી મશીન દ્વારા રાજકોટના રૈયા રોડ પર સગર્ભાનું ગેરકાયદે જાતિય ભ્રૂણ પરીક્ષણ કરી આપવામાં આવતુ હોવાની ચોકકસ બાતમી મળી હતી. બાતમીને આધારે રાજકોટ ક્રાઇમ બ્રાંચના એસીપી સરવૈયા, ઇન્સપેક્ટર હિતેષદાન ગઢવી, સબ ઇન્સપેક્ટર અતુલ સોનારાએ બ્રાંચના મહિલા કોન્સટેબલ મિતાલી હિતેન્દ્રભાઇ ઠાકરને  સાથે રાખીને છટકુ ગોઠવ્યું હતું.
વાયરલેસ ઉપકરણ દ્વારા ભ્રૂણ પરીક્ષણ
(રાજકોટથી પકડાયેલા મુદ્દામાલ)
મહિલા પોલીસ મિતાલી ઠાકરે ડમી ગ્રાહક બનીને રમાનો મોબાઇલ ફોન પર સંપર્ક સાધ્યો હતો. મિતાલી ઠાકરને ભ્રૂણ પરીક્ષણ માટે રૈયા રોડ પર દ્વારકેશ પાર્ક પાસે પ્રભુ રેસીડન્સીમાં આવેલ શ્રીમદ્ ભગવદ ગીતા નામના મકાન પર આવવા જણાવાયું હતું. આ સરનામુ મળતા જ  પોલીસ કાફલો જિલ્લા આરોગ્ય શાખાના અધિકારી એમ.એન. ભંડેરી, જુલીબહેન મણિયાર વગેરે ટીમે એ મકાન પર દરોડો પાડયો હતો. જ્યાં વાયરલેસ સોનોગ્રાફી મશીનથી ભ્રુણ પરીક્ષણ કરવામાં આવતું હોવાનું અને ચોટીલાની મણીરત્ન હોસ્પિટલની સંચાલિકા રમા બડમલિયા દ્વારા પરીક્ષણ કરી આપવામાં આવતુ હોવાનું માલુમ પડયું હતું. લોજીનું બનેલુ વાયરલેસ સોનોગ્રાફી મશીન, તેની સાથે જોડાયેલ આઇપેડ વગેરેને સીલ મારીને કબજે કરાયા હતાં. હોસ્પિટલની સંચાલિકા  રમા બડમલિયા કોઇપણ જાતની ડિગ્રી કે તાલિમ વગર જ આ પ્રકારનું પરીક્ષણ કરી આપતી હતી એ બાબતે પણ ગુનો નોંધાઇ રહ્યો છે.
પોલીસે આ ગુનામાં ચોટીલામાં આઇજીપી બંગ્લોઝ સામે આવેલી મણીરત્ન હોસ્પિટલનું સંચાલન કરતા રમા મુળુભાઇ બડમલિયા, રાજકોટની માલધારી સોસાયટી પાસેના મફતિયાપરામાં રહેતાં મહેશ મનુભાઇ રાઠોડ, જામનગર રોડ  પર અવંતીકા પાર્કના નિતેન્દ્રસિંહ ગજેન્દ્રસિંહ સોલંકી અને રૈયા રોડ પર દ્વારકેશ પાર્કની બાજુમાં આવેલ પ્રભુ રેસીડન્સીના હરેશ ગોરધનભાઇ કારિયાની ધરપકડ કરવામાં આવી છે.
મહિલા પોલીસને રૂ.ત્રણ હજારનું ઇનામ ગેરકાયદે ભ્રૂણ પરીક્ષણનું કૌભાંડ પકડી પાડવામાં ડમી ગ્રાહક બનીને છટકુ સફળતાપૂર્વક પાર પાડનાર ક્રાઇમ બ્રાંચની મહિલા કોન્સ્ટેબલ મિતાલી ઠાકરને રૂ. ત્રણ હજારનું ઇનામ આપવામાં આવ્યું હતું.
ટીમને રૂ. 15 હજારનું ઇનામ
બેટી બચાવ અભિયાન હેઠળ ભ્રૂણની હત્યા થતી રોકવા અને ગેરકાયદે ભ્રૂણ પરીક્ષણ કરનાર સામે કાર્યવાહી કરનાર ક્રાઇમ બ્રાંચની ટીમને રૂ. 15 હજારનું ઇનામ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે આપ્યું હતું.
August 25, 2018
karia.jpg
1min6690

સાંજે 5.27 સુધી રક્ષાબંધન ઉજવી શકાય એવો પંડિતજીઓનો અભિપ્રાય

ભાઈ-બહેનના પવિત્ર પ્રેમનું પર્વ એવું રક્ષાબંધન તા.26મી ઓગસ્ટ, 2018ના રોજ ઉજવાશે. એટલે કે શ્રાવણી પૂર્ણિમાએ આ વર્ષે પૂર્ણિમા સાંજે 5.27એ પૂર્ણ થતી હોવાથી ત્યાં સુધી જ રક્ષાબંધન થઈ શકશે. જ્યારે વ્રતની પૂનમ તા.25મી ઓગસ્ટે આવી રહી છે. ઉલ્લેખનીય છે કે હિંદુઓની પવિત્ર એવી અમરનાથ યાત્રાની પૂર્ણાહુતિ પણ રક્ષાબંધનનાં રોજ થશે.

સામાન્ય રીતે ભદ્રા વગેરે હોતાં અનેક વખત રાત્રિ રક્ષાબંધન કે બપોર સુધીના જ યોગ આવતા હતા, પરંતુ આ વર્ષે શ્રાવણ સુદ પૂર્ણિમા તિથિ સાંજે 5.27 સુધી જ હોવાથી રક્ષાબંધન એટલે કે બહેનો પોતાના ભાઈઓની રક્ષા માટે બાંધતા રક્ષા સૂત્ર-રાખડી ત્યાં સુધી જ બાંધવા કેમ કે ત્યારબાદ એકમનો પ્રારંભ થઈ જાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર રક્ષાબંધનમાં ભદ્રા અને એકમ ત્યાજ્ય હોય છે. સાથોસાથ વ્રતની પૂનમ તા.25મી ઓગસ્ટના રોજ મનાવાશે. જ્યારે આ દિવસે હયગ્રીવ જયંતીની પણ ઉજવણી કરવામાં આવશે.

(સુરતના અડાજણ ખાતે આવેલી પ્રેસિડેન્સી સ્કુલમાં રક્ષાબંધનની ઉજવણી થઇ એ વેળાની તસ્વીર)

આ દિવસે બહેનો ‘યેન બદ્ધો બલિ રાજા દાનવેન્દ્ર મહાબલ:, તેન ત્વામપિ બદ્ધાનિ રક્ષે મા ચલ મા ચલ’ શ્લોકનું ઉચ્ચારણ કરીને બહેને ભાઈના હાથે તો ભૂદેવોએ પોતાના યજમાનનાં હાથે રક્ષા સૂત્ર-રાખડી બાંધવી જોઈએ. આ દિવસે બહેનો પોતાના ભાઈના હાથે રક્ષા સૂત્ર બાંધીને વર્ષભર તેઓના રક્ષણ માટેની શુભકામના વ્યક્ત કરે છે અને જરૂર પડે ભાઈઓ પણ બહેનોની રક્ષા માટે તત્પર રહે છે. ભારતીય પરંપરમાં રક્ષાસૂત્રનું મહત્ત્વ પ્રાચીન કાળથી અકબંધ રહ્યું છે. રક્ષાસૂત્ર માટે જે પ્રાચીન મત મળે છે તે અંતર્ગત ઈન્દ્રાણી એવા શચીએ ઈન્દ્રને રક્ષાસૂત્ર બાંધ્યું હતું. તો લક્ષ્મીજીએ બલિરાજાને રાખડી બાંધી હતી. સાથે જ કુંતા માતાએ અભિમન્યુને રક્ષાસૂત્ર બાંધ્યું હતું.

ભૂદેવો પોત-પોતાના વેદ અનુસાર યજ્ઞોપવીત પરિવર્તન કરશે

શ્રાવણી પૂર્ણિમાએ ભૂદેવો પોત-પોતાનાં વેદ અનુસાર યજ્ઞોપવીત પરિવર્તન કરતાં હોય છે. જે અંતર્ગત ઋગ્વેદીય શ્રાવણી તા.૨૫મી ઓગસ્ટના રોજ થશે. જ્યારે તા.26મી ઓગસ્ટે યજુર્વેદ અને અથર્વવેદ શ્રાવણી થશે. જ્યારે તા.11મી સપ્ટેમ્બરના રોજ સામવેદી શ્રાવણી પરિવર્તન થશે.

August 25, 2018
hardik-patel-770x433.jpg
1min14200

આજે તા.25મી ઓગસ્ટ 2018થી પાટીદાર નેતા હાર્દિક પટેલ પોતાના અમદાવાદ ખાતેના નિવાસસ્થાને અનશન શરૂ કરે તે પહેલા જ પોલીસે સમગ્ર રાજ્યમાં જુદા જુદા વિસ્તારોમાંથી હજારો પાટીદારોને અટકાયતીના પગલા રૂપે નજરકેદ કર્યા હોવાની વિગતો જાણવા મળી છે. બીજી તરફ હાર્દિક પટેલ પોતાના નિવાસસ્થાને ઉપવાસ કરવા માટે મક્કમ છે અને જો ભવિષ્યમાં તેની કોઇકને કોઇક કેસમાં ધરપકડ થાય તો જેલમાંથી ભૂખ હડતાળ જારી રાખવાની જાહેરાત કરી ચૂક્યો છે.

બીજી તરફ હાર્દિકના ઘર તરફના માર્ગો પર બેસુમાર પોલીસ ખડકી દેવામાં આવી હોવાના ફોટો પણ સોશ્યલ મિડીયામાં વાઇરલ થઇ રહ્યા છે. શનિવારે સવારે હાર્દિક પટેલે પત્રકારોને જણાવ્યુ હતું કે તે કોઇપણ સંજોગોમાં પોતાના ઉપવાસ ચાલુ રાખશે. હાર્દિક પટેલના સમર્થનમાં કોંગ્રેસના ત્રણ પાટીદાર નેતાઓ પણ હાર્દિક પટેલના ઘરે પહોંચ્યા છે. આ નેતામાં લલિત કથગરા, લલિત વસોયા અને કિરીટ પટેલનો સમાવેશ છે.

પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલના અનશનને લઇને સમગ્ર ગુજરાતમાં ઉતેજનાપૂર્ણ માહોલ સર્જાયો છે. આજે હાર્દિક પટેલના નિવાસસ્થાને પહોંચવા માટે નીકળેલા પાટીદાર યુવકોને પોલીસે માર્ગમાં જ શોધી-શોધીને અટકાયતમાં લીધા હોવાના બિનસત્તાવાર સમાચારો સાંપડ્યા છે. ચોટીલા, ઉત્તર ગુજરાત, પંચમહાલ વગેરે વિસ્તારોમાંથી હાર્દિક પટેલના નિવાસસ્થાને પહોંચવાનો પ્રયાસ કરનારાઓને પોલીસ શોધી શોધીને અટકાયતમાં લઇ રહી છે. ટૂંકમાં હાર્દિક પટેલના અનશન પર સમગ્ર ગુજરાતની શાંતિનો આધાર જણાય રહ્યો છે.

પોલીસ તંત્ર દ્વારા પાસ સમર્થકોને હાર્દિકના સમર્થનમાં જતાં રોકવા માટે સૌરાષ્ટ્રભરમાં પાસના કન્વીનરો, સહકન્વીનરો વગેરેને નજર કેદ કરવાનો દોર શુક્રવાર તા.24 ઓગસ્ટ 2018થી જ શરૂ થઇ ગયો હતો. પાસના કાર્યકરો દ્વારા હાર્દિક સુધી પહોંચવા ગેરિલા પધ્ધતિ અપનાવવામાં આવે તેવા નિર્દશો મળે છે. અંદાજે એકાદ હજાર સૌરાષ્ટ્રીયન પાટીદાર તો અમદાવાદ પહોંચી ગયા હોવાનું જાણવા મળે છે. રક્ષાબંધનને દિવસે હાર્દિકને રાખડી બાંધવા ર૦૦ જેટલી પાટીદાર બહેનો સૌરાષ્ટ્રમાંથી હાર્દિકને રાખડી બાંધવા પહોંચશે.

પાસના સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ હાર્દિકના ઉપવાસના સમર્થનમાં ગુજરાતભરમાથી પાસના કાર્યકરો સમર્થનમાં ઉમટી પડવા હાકલ થતાં જ સૌરાષ્ટ્રના ગામે ગામથી પાસના કાર્યકરોની ફોજે કેસરિયા કર્યા છે. સેંકડો કાર્યકરોએ  અમદાવાદ પહોંચવા તેમના નામ નોંધાવી દીધા છે. પોલીસ છૈલ્લી ઘડીએ અટકાયતી પગલા લેશે એવી દહેશત સાથે જ પાસના વ્યુહ મુજબ સૌરાષ્ટ્રના અંદાજે એક હજાર  જેટલા કાર્યકરો તો અમદાવાદ અને અમદાવાદની આસપાસ પોહંચી પણ ગયા હોવાનું જાણવા મળે છે.