માહિતી તંત્રજ્ઞાન ક્ષેત્રના પ્રધાન રવિશંકર પ્રસાદે આર્જેન્ટિનાના સલાટા ખાતે ‘જી-૨૦ ડિજિટલ ઇકૉનૉમી મિનિસ્ટરિયલ મિટિંગ’માં જણાવ્યું હતું કે ભારતમાં ચૂંટણી પ્રક્રિયાને સોશિયલ મીડિયાના દુરુપયોગથી હાનિ પહોંચાડવા નહિ દેવાય.
તેમણે જણાવ્યું હતું કે ભારતમાં ચૂંટણી પ્રક્રિયાને માઠી અસર પહોંચાડવા માટે સોશિયલ મીડિયાના ડેટાનો દુરુપયોગ કરવા નહિ દેવાય અને તે કરનારા લોકોને સજા કરાશે.

સેન્ટ્રલ બ્યુરો ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)એ ફેસબુક પરની ભારતીયોની અંગત માહિતી ગેરકાયદે મેળવનારી બ્રિટિશ રાજકીય સલાહકાર કંપની કેમ્બ્રિજ એનાલિટિકા સામે તાજેતરમાં પ્રાથમિક તપાસ શરૂ કરી છે. પ્રસાદે ‘જી-૨૦’ના કાર્યક્રમમાં જણાવ્યું હતું કે ડિજિટલ પ્લેટફૉર્મ્સ દ્વારા થતી આવકનો અમુક હિસ્સો અન્ય ઘણી બજારોમાં ફરી રોકવો જરૂરી છે. સરહદ પાર કરાતા વ્યાપાર અને વાણિજ્ય માટે સાયબર વિશ્ર્વ અમર્યાદિત તક પૂરી પાડે છે. સલામત અને સુરક્ષિત સાયબરસ્પેસ વૈશ્ર્વિક અર્થતંત્ર માટે ડિજિટલ ટ્રાન્સફૉર્મેશનના અનેક લાભ પૂરા પાડે છે. ભારત સરકાર સાયબર ક્રાઇમને નાથવા વિવિધ પગલાં લઇ રહી છે. તેમણે જણાવ્યું હતું કે હાલમાં ભારતમાં ૪૫ કરોડ
સ્માર્ટફૉન સહિત ૧.૨૧ અબજ મૉબાઇલ ફૉન છે અને ઇન્ટરનેટ તેમ જ બ્રૉડબેન્ડનો ઉપયોગ અંદાજે પચાસ કરોડ લોકો કરી રહ્યા છે. આ ઉપરાંત, બાયોમેટ્રિક આઇડેન્ટિફાયર ‘આધાર’ અને કૉમન સર્વિસીસ સેન્ટર્સ જેવા કાર્યક્રમથી દેશની ડિજિટલ શક્તિ ઘણી વધી છે.



































