ભારતીય જનતા પાર્ટી માટે નવસારીના સાંસદ અને ગુજરાતના કદાવર નેતા સી.આર. પાટીલ ઇલેક્શન સ્પેશ્યાલિસ્ટ માનવામાં આવે છે. બિહાર, કર્ણાટક બાદ હવે ભાજપની કેન્દ્રીય નેતાગીરીએ સી.આર. પાટીલને મધ્યપ્રદેશમાં ઇન્દોર ક્ષેત્રમાં આવતી લોકસભાની 16 બેઠકો પર પ્રચાર પ્રસારની જવાબદારી સાથે પ્રભારી બનાવ્યા છે. એક વખત સી.આર. પાટીલ આ ક્ષેત્રની મુલાકાત લઇ આવ્યા છે અને હવે આગામી સપ્તાહમાં પોતાની ટીમ સાથે મધ્યપ્રદેશમાં તેમને સોંપાયેલી કામગીરી કરવા માટે પ્રયાણ કરશે.

ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા સી.આર. પાટીલને મધ્ય પ્રદેશમાં કઇ કઇ બેઠકો પર પ્રચાર-પ્રસાર, ઇલેકશન વ્યૂહરચના ગોઠવણ માટે પ્રભારી બનાવવામાં આવ્યા છે તેની યાદી અત્રે પ્રસ્તુત છે.

સી.આર. પાટીલને ઇન્દોર ક્ષેત્રમાં આવતા બડવાની જિલ્લાની કુલ ચાર વિધાનસભા બેઠકો, ખંડવા જિલ્લામાં આવતી કુલ 4 વિધાનસભા બેઠકો, બુહરાનપુર જિલ્લામાં આવતી કુલ 2 બેઠકો અને ખરગોણ જિલ્લામાં આવતી કુલ 6 વિધાનસભા બેઠકોની જવાબદારી સોંપવામાં આવી છે. રાષ્ટ્રીય બીજીપી કાર્યકારણની બેઠકમાં તેમને આ ક્ષેત્રની જવાબદારી સોંપવામાં આવી હતી.
સી.આર. પાટીલને ઇલેકશન સ્પેશ્યલિસ્ટ એટલા માટે માનવામાં આવે છે કેમકે તેઓ કપરા સંજોગોમાં ભાજપાના ઉમેદવારો કેવી રીતે જીતી શકે તેનું માઇક્રો પ્લાનિંગ કરે છે અને એ રીતે પ્રચાર-પ્રસારની વ્યૂહરચના ઘડી કાઢે છે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં અગાઉ ભાજપા ક્યારેય જીત્યું ન હતું એવા ક્ષેત્રની વિધાનસભા બેઠકોની જવાબદારી ઉપાડીને સી.આર. પાટીલે ભાજપાના ઉમેદવારો વિજયી બને તે માટેનું નેટવર્ક ગોઠવ્યું હતું અને તેનું સાનૂકુળ પરીણામ આવતા ભાજપાએ તેમને ઇલેકશન સ્ટ્રેટેજી મેકર નેતાઓની યાદીમાં મૂક્યા છે. કોઇપણ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીઓમાં સ્ટ્રેટેજી મેકર તરીકે તેમનો સેન્સ લેવામાં આવી રહ્યો છે.
મધ્યપ્રદેશમાં તેમને સોંપવામાં આવેલી કામગીરીના પહેલા દૌરમાં તેઓ એક વખત જઇ આવ્યા છે હવે આગામી સપ્તાહે સુરતથી પોતાની ટીમ સાથે ઇન્દૌર ક્ષેત્રમાં જશે અને ત્યાં બીજેપીના ઉમેદવારોના જીતાડવા માટે વ્યૂહરચના અનુસાર કામગીરી સંભાળશે એમ જાણવા મળે છે.
























