Alert Archives - Page 360 of 512 - CIA Live

May 16, 2019
indo_pak-1280x720.jpg
1min9030

પાકિસ્તાને ભારતીય ફ્લાઇટ્સ માટે પોતાની હવાઇસીમા ૩૦મી મે સુધી નહિ ખોલવાનો બુધવારે નિર્ણય લીધો હતો.

ભારતીય હવાઇદળે ૨૬મી ફેબ્રુઆરીએ પાકિસ્તાનના બાલાકોટમાંના ત્રાસવાદી સંગઠન જૈશે મહંમદની છાવણીઓ પર હુમલા કર્યો તે પછી પાકિસ્તાને પોતાની હવાઇસીમા ભારતીય વિમાનો માટે સંપૂર્ણ બંધ કરી દીધી હતી.

આમ છતાં, પાકિસ્તાને નવી દિલ્હી, બેંગકોક અને ક્વાલા લમ્પુર માટેની ફ્લાઇટ્સ સિવાયના ફ્લાઇટ્સ માટે પોતાની હવાઇસીમા ૨૭મી માર્ચે ખોલી હતી.

પાકિસ્તાનના એક ઉચ્ચ સરકારી અધિકારીએ સંબંધિત માહિતી આપતા જણાવ્યું હતું કે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રાલય અને મુલકી ઉડ્ડયન મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓની બુધવારે બેઠક મળી હતી અને તેમાં ભારતીય ફ્લાઇટ્સ પરના પ્રતિબંધને ૩૦મી મે સુધી લંબાવવાનો નિર્ણય લેવાયો હતો.

તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાનની સરકાર હવે પોતાની હવાઇસીમામાંના ભારતીય ફ્લાઇટ્સ પરના પ્રતિબંધ અંગે ૩૦મી મેએ ફેરવિચારણા કરશે.

પાકિસ્તાનના વિજ્ઞાન અને ટેક્નૉલૉજી વિભાગના પ્રધાન ફાવદ ચૌધરીએ ચાલુ સપ્તાહના પ્રારંભમાં જણાવ્યું હતું કે અમારી સરકાર ભારતમાંની સામાન્ય ચૂંટણી પૂરી થવાની રાહ જોઇ રહી છે અને ત્યાં સુધી આ સ્થિતિ જેમ છે એમ રખાશે.

ભારતે પણ પાકિસ્તાની ફ્લાઇટ્સ પર આવો પ્રતિબંધ મૂક્યો હોવાથી પાકિસ્તાને બેંગકોક, ક્વાલા લમ્પુર ખાતેની પોતાની અનેક ફ્લાઇટ રદ કરી હતી.

May 16, 2019
sherpa_everest.jpeg
1min7880

૪૯ વર્ષના નેપાળી શેરપાએ ૨૩મી વખત માઉન્ટ ઍવરેસ્ટ સર કરી તેનો પોતાનો જ અગાઉનો રેકૉર્ડ તોડ્યો હોવાનું પ્રસાર માધ્યમના અહેવાલમાં બુધવારે જણાવવામાં આવ્યું હતું.

કામી રીટા શેરપા જેણે ગયા વરસે વિશ્ર્વના સૌથી ઊંચા ૮૮૫૦ મીટરના માઉન્ટ ઍવરેસ્ટની ટોચ પર ઊભા રહીને સૌથી વધુ બાવીસ વખત ઍવરેસ્ટ સર કરવાનો વિક્રમ સ્થાપ્યો હતો. બુધવારે સવારે ફરી એકવાર તેણે તેના સાથીદારો સાથે માઉન્ટ ઍવરેસ્ટના શિખર પર પગ મૂકી પોતાનો જ અગાઉને રેકોર્ડ તોડ્યો હતો.

પ્રસારમાધ્યમે સેવન સમિટ ટ્રેક્સ ખાતે કંપનીના અધ્યક્ષ મિન્ગમા શેરપાને એમ કહેતા ટાંક્યા હતા કે સોલુખુમ્બુ જિલ્લાના થામે ગામના વતની કામી રીટા શેરપાએ નેપાળની બાજુએથી બુધવારે સવારે ૭:૫૦ વાગ્યે ઍવરેસ્ટના સર્વોચ્ચ શિખર પર પગ મૂકી અગાઉનો તેનો જ વિક્રમ તોડ્યો હતો.

કામી રીટા શેરપા વર્ષ ૧૯૯૪થી માઉન્ટ ઍવરેસ્ટ ચઢી રહ્યો છે. વર્ષ ૨૦૧૫માં તેનો ગ્રાહક માર્ગમાં અધવચ્ચે જ માંદો પડી જવાને કારણે તે ઍવરેસ્ટ ચઢી નહોતો શક્યો. વર્ષ ૧૯૯૫માં ભયાનક હિમસ્ખલને એક ટુકડીનો ભોગ લીધા બાદ તેણે માઉન્ટ ઍવરેસ્ટ જવાનું માંડી વાળ્યું હતું.

વર્ષ ૨૦૧૭માં કામી ૨૧ વખત માઉન્ટ ઍવરેસ્ટ સર કરનાર ત્રીજી વ્યક્તિ બન્યો હતો અને તેણે અપ્પા શેરપા અને પૂર્બા તાશી શેરપાના વિક્રમની બરોબરી કરી હતી. અપ્પા શેરપા અને પૂર્બા તાશી શેરપાએ ત્યાર બાદ નિવૃત્તી લઈ લીધી હતી.

વર્ષ ૨૦૧૮માં કામીએ બાવીસમી વખત ઍવરેસ્ટ સર કરી નવો વિક્રમ સ્થાપ્યો હતો.

May 16, 2019
amit_shah1.jpg
1min11640

ભાજપના પ્રમુખ અમિત શાહે ચૂંટણી પંચ પર બેવડા ધોરણ અપનાવવાનો અને પશ્ર્ચિમ બંગાળમાં આચારસંહિતાના થઈ રહેલા ભંગને મૂકપ્રેક્ષક બની નિહાળી રહ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. મંગળવારે કોલકોતામાંના રોડ શો દરમિયાન થયેલી હિંસા માટે અમિત શાહે તૃણમૂલ કૉંગ્રેસને જવાબદાર ગણાવી હતી.

શિક્ષણશાસ્ત્રી અને સમાજસુધારક ઈશ્ર્વરચંદ્ર વિદ્યાસાગરની પ્રતિમાને ભાજપના કાર્યકરોએ ખંડિત કરી હતી તેવા ટીએમસીના આક્ષેપને અમિત શાહે ફગાવી દીધો હતો.

અમિત શાહે બુધવારે નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદને કહ્યું કે, ‘પશ્ર્ચિમ બંગાળમાં ચૂંટણીમાં ગરબડ કરવાના પ્રયત્નો ચૂંટણી પંચ મૂકપ્રેક્ષક બની જોઈ રહ્યું છે. તેમણે તરત જ હસ્તક્ષેપ કરવો જોઈએ. દેશભરમાં ચૂંટણીના સમય દરમિયાન ગુનાહિત રેકોર્ડ ધરાવતા ગુનેગારોને જેલમાં ધકેલવામાં આવે છે, જ્યારે પશ્ર્ચિમ બંગાળમાં બોન્ડ લઈ આવા લોકોને છોડી મૂકવામાં આવે છે. ચૂંટણી પંચના આવા બેવડા ધોરણ કેમ છે? શા માટે ચૂંટણી પંચ મૌન છે?’

અમિત શાહે કહ્યું હતું કે, સીઆરપીએફની સુરક્ષા ન મળતે તો તેમના કાફલા પર થયેલા હુમલામાંથી તેમના માટે બચવું મુશ્કેલ હતું. કોલકોતાના માર્ગો પર ભાજપના અને ટીએમસીના કાર્યકરો વચ્ચે અથડામણ થઈ હતી. ધાંધલધમાલના પગલે અમિત શાહનો રોડ શો અડધેથી અટકાવી દેવો પડ્યો હતો. વિદ્યાસાગર કોલેજની હૉસ્ટેલમાંથી ભાજપના કાફલા પર કથિત રીતે ટીએમસીના ટેકેદારોએ પથ્થરમારો કર્યો હતો. ભાજપના કાર્યકરોએ વળતો જવાબ આપ્યો હતો અને તે દરમિયાન કૉલેજ કેમ્પસમાં રહેલી વિદ્યાસાગરની પ્રતિમાને નુકસાન થયું હતું.

ભાજપ હિંસા માટે જવાબદાર છે તેવા ટીએમસીના આક્ષેપના પ્રતિભાવમાં અમિત શાહે કહ્યું કે, ભાજપ દરેક રાજ્યમાં ચૂંટણી લડી રહી છે તો પછી પશ્ર્ચિમ બંગાળમાં જ હિંસા થઈ રહી છે. તેમણે કહ્યું કે મમતા બેનર્જી પોતાના ભાષણોમાં ધમકી આપતા રહે છે, પણ તેમને પ્રચારકાર્યથી અટકાવવામાં આવતા નથી અને આમ લોકશાહીનું ગળું રુંધાઈ રહ્યું છે.

દરમિયાન ટીએમસીએ એક પત્રકાર પરિષદમાં વીડિયો જાહેર કરી દાવો કર્યો હતો કે, ભાજપના ગુંડાઓએ હિંસા ફેલાવી હતી અને વિદ્યાસાગરની પ્રતિમાને નુકસાન પહોંચાડ્યું હતું. અમિત શાહે કહ્યું કે, કૉલેજના દરવાજા બંધ હતા અને ભાજપ કાર્યકરો તો કૉલેજની બહાર હતા તો પછી કેમ્પસમાં એક રૂમની અંદર રાખેલી પ્રતિમાને કેવી રીતે નુકસાન કરી શકે તેવો પ્રશ્ર્ન કર્યો હતો.

May 16, 2019
us_iran.jpg
1min12230

સાઉદી અરેબિયાના બે ઓઈલ ટેન્કર પર અને મુખ્ય ઓઈલ પાઈપલાઈન પર હુમલો થયા પછી ગલ્ફ ક્ષેત્રમાં તણાવ ક્રમશ: વધી રહ્યો છે. કોઈ અઘટિત બનાવ ન બને તે માટે અમેરિકાએ ઈરાકની રાજધાની બગદાદ અને એર્બિલના દૂતાવાસ આંશિક રીતે બંધ કર્યા છે. બંને દૂતાવાસમાં ફકત ‘ઈર્મજન્સી સ્ટાફ’ને જ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઈરાન હુમલો કરી શકે છે તેવી સંભાવના ધ્યાનમાં રાખીને દૂતાવાસ ખાલી કરાવ્યા છે. ગલ્ફ ક્ષેત્રમાં અમેરિકાએ સૈન્યતાકાત પણ વધારી છે. અમેરિકાએ ‘એરક્રાફટ સ્ટ્રાઈક ગ્રુપ’ તૈનાત કરશે તેવું કહ્યું છે.

દરમિયાન ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લાહ અલી ખેમેનીએ મંગળવારે ગર્ભિત ચેતવણી આપી હતી કે ‘યુરેનિયમ એનરિચમેન્ટ’ (શુદ્ધિકરણ) કરીને ૨૦ ટકા યુરેનિયમ એનરિચમેન્ટ કરવું ઈરાન માટે મુશ્કેલ નથી. ખેમેનીએ કહ્યું હતું કે ‘અમે અથવા તેઓ લડાઈ કરવા ઈચ્છુક નથી. તેમને જાણ છે કે તેમને લાભ નહીં થશે.’

અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ ઈરાન સાથે મહાસત્તાઓએ કરેલા અણુકરારમાંથી એક વર્ષ અગાઉ બહાર નીકળી ગયા હતા. ઈરાને મંગળવારે પ્રથમ વાર અણુકરારથી પીછેહઠ કરવાના સંકેત આપ્યા હતા. ઈરાન કહે છે કે જો નવા અણુકરાર નહીં કરવામાં આવે તો યુરેનિયમ એનરિચમેન્ટ સાઠ દિવસ પછી શરૂ કરવામાં આવશે. હાલના અણુકરાર પ્રમાણે ઈરાન ફકત ૩.૬૭ ટકા યુરેનિયમ એનરિચમેન્ટ કરી શકે છે.

ઈરાકમાં ઈરાનનો પ્રભાવ હોવાથી અમેરિકાએ દૂતાવાસો આંશિક રીતે બંધ કરવાનો નિર્ણય કર્યો છે. ઈરાકમાં અમેરિકાના નાગરિકો અને કંપનીઓ સામે ઈરાકમાં સક્રિય સંખ્યાબંધ ત્રાસવાદી જૂથો જોખમ ઊભું કરી શકે છે તેવું અમેરિકા માને છે. અમેરિકાના વિદેશપ્રધાન માઈક પોમ્પિયોએ ગત સપ્તાહમાં બગદાદની મુલાકાત લીધી હતી. પોમ્પિયોએ પત્રકારોને કહ્યું કે ઈરાનના દળો તેમની તાકાત વધારી રહ્યા હોવાથી અને હુમલો થઈ શકે છે તેવી સંભાવનાને ધ્યાનમાં લેવામાં આવી છે.

ઈરાન સાથેના અણુસોદામાંથી પીછેહઠ કર્યા પછી અમેરિકાએ ઈરાન પરના આર્થિક પ્રતિબંધો વધુ કડક કર્યા છે.

May 15, 2019
online-pharmacy.jpg
1min8530

ભારતમાં ઓનલાઇન ફાર્મસીનું ચલણ વધી રહ્યું છે પરંતુ તે લોકોના આરોગ્ય માટે જોખમી છે કારણ કે શિડ્યૂલ્ડ ડ્રગ્સ કે નાર્કોટિક્સ ડ્રગ્સનો દૂરુપયોગ થવાની પૂરી શક્યતાઓ છે. કાયદા મુજબ રિટેલ સ્ટોરમાંથી રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટની હાજરીમાં જ દવાનું વેચાણ કરી શકાય છે અને તેમાં પ્રિસ્ક્રિપ્શન અનિવાર્ય હોય છે અને ડોક્ટરે લખેલી બ્રાન્ડ પણ બદલી શકાતી નથી જ્યારે ઓનલાઇન ફાર્મસીમાં કોઇ ચોક્સાઇ વગર દવાઓનું વેચાણ થાય છે.

ડ્રગ્સ ડિલિવરીમાં તમામ તબક્કે માર્જિન ફિક્સ છે ત્યારે ઓનલાઇન ફાર્મસી મોટા ડિસ્કાઉન્ટ આપીને રિટેલ કેમિસ્ટ્સના અસ્તિત્વ સામે ખતરો બની રહી છે.

પ્રિસ્ક્રિપ્શન અપલોડ કરવાનું હોય છે પરંતુ તેની વિશ્વસનિયતા હોતી નથી. વિકસિત દેશોમાં પણ ઓનલાઇન ફાર્મસીને માત્ર ઓટીસી પ્રોડક્ટ્સનું વેચાણ કરવાની મંજૂરી છે અને તેઓ અન્ય ડ્રગ્સનું વેચાણ કરી શકતા નથી. જોકે, એસોસિયેશનના હોદ્દેદારો જ ઓનલાઇન ફાર્મસીને દવાઓનું વેચાણ કરતા હોવાના મુદ્દે સભ્યોમાં રોષ છે.

સમગ્ર દેશમાં ઓનલાઇન ફાર્મસી બિઝનેસ સામે રિટેલ કેમિસ્ટ્સ વિરોધ નોંધાવી રહ્યા છે અને તેમને જે હોલસેલરો દવાની સપ્લાય કરે છે તેમની સામે વિરોધ કરી રહ્યા છે

ડ્રગ રુલ્સ પ્રમાણે કોઇપણ વ્યક્તિને સપ્લાયનો ઇનકાર કરવો શક્ય નથી.

ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ્સ એસોસિયેશન્સના હરેશ શાહે આ અંગે જણાવ્યું હતું કે, “મેં અંગત કારણોસર એસોસિયેશનના હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. ઓનલાઇન ફાર્મસીને સપ્લાયનો વિરોધ કરવામાં આવે છે પરંતુ ડ્રગ રૂલ્સ પ્રમાણે અમે કોઇને સપ્લાય કરવાનો ઇનકાર કરી શકીએ નહીં અને કોઇ પણ માલ માંગે તો સપ્લાય કરવી જરૂરી બને છે.”

ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ્સ એસોસિયેશન્સના સૂત્રોના જણાવ્યા મુજબ, અમદાવાદ કેમિસ્ટ્સ એસોસિયેશન દ્વારા ઓનલાઇન ફાર્મસી સામે આંદોલન ચલાવવામાં આવે છે પરંતુ તેના જ કેટલાક હોદ્દેદારો ઓનલાઇન ફાર્મસી કંપનીઓને માલ સપ્લાય કરતા હોવાના પૂરાવા વોટ્સએપ પર ફરતા થયા હતા અને તેના પગલે એસોસિયેશને પાંચ હોલસેલર અને ડિસ્ટ્રીબ્યુટરને પ્રત્યેકને ₹10,000નો દંડ કર્યો હતો.

May 15, 2019
monsoon.png
1min6010

ભયંકર ગરમી બાદ વરસાદની રાહ જોઈ રહેલા લોકો માટે ચોમાસાને લઈને મહત્વના સમાચાર આવ્યા છે. હવામાન અંગેની માહિતી આપતી એજન્સીએ મંગળવારે જણાવ્યું કે, ભારતમાં 4 જૂને ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થઈ જશે. આ જાણકારી સ્કાયમેટ દ્વારા આપવામાં આવી છે, જે હવામાન અંગેની ભવિષ્યવાણી કરે છે. ચોમાસું કેરળ પહોંચવાની તારીખ પહેલા 1 જૂન જણાવાઈ હતી, એટલે કે તે સમય કરતા થોડું મોડું આવી રહ્યું છે.

May 15, 2019
weather-forecast.jpg
1min9800

સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં છેલ્લાં કેટલાક દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે તો ક્યાંક ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઊડી રહી છે તો ક્યાં કાળઝાળ ગરમીથી લોકો તોબાહ પોકારી ઊઠયા છે.

હવામાન ખાતાના જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. વધુમાં ઉત્તર પશ્ર્ચિમ ભાગમાં લો-પ્રેશર થવાના કારણે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, સૌરાષ્ટ્ર-કચ્છ અને રાજકોટમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પશ્ર્ચિમ ઇરાનમાં સર્જાયેલું અપરએર સાઈક્લોનિક સર્ક્યુલેશન આવતી કાલથી દક્ષિણ પાકિસ્તાન વિસ્તારોમાં પહોંચશે જેની અસરોથી તાપમાન સામાન્ય કે સામાન્યથી નીચું રહેશે.

ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ક્યાંક વરસાદી છાંટા પડવાની આગાહી પણ હવામાન ખાતાએ કરી હતી.

May 14, 2019
gseb-1280x720.jpg
1min22940

ગુજરાત બોર્ડનું ધો.12 સાયન્સનું છેલ્લા આઠ વર્ષના સૌથી નીચા અને નબળા પરીણામ બાદ સમગ્ર રાજ્યમાંથી ભારે ઉહાપોહ મચી ઉઠ્યો છે. વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ખાસ કરીને કેમેસ્ટ્રી વિષયનું પેપર અને તેના પરીણામ અંગે ભારે આક્રોશ છે. વાલીઓ અને વિદ્યાર્થીઓનો રોષ ઠંડો પાડવા માટે આખરે સરકારની સૂચના બાદ ગુજરાત બોર્ડે આજે જાહેરાત કરી છે કે ધો.12 સાયન્સમાં એક નહીં પરંતુ, બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ આગામી જુલાઇ 2019માં લેવામાં આવનારી પૂરક પરીક્ષા (સપ્લીમેન્ટરી એકઝામ) આપીને જો તેમાં સફળ થશે તો તેમની કારકિર્દીનું એક અમૂલ્ય વર્ષ બચાવી શકશે.

ધો.12 સાયન્સના ગઇ તા.9મી મે ના રોજ જાહેર થયેલા પરીણામમાં કુલ 34800 વિદ્યાર્થીઓને નાપાસ જાહેર કરવામાં આવ્યા છે. નાપાસ વિદ્યાર્થીઓ પૈકી બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા બહું મોટી થવા જાય છે. આમ, બે વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓ માટે સરકારે તેમનું એક વર્ષ બચી જાય તેવી તક આપી છે.

આજે તા.14મી મે 2019ના રોજ ગુજરાત બોર્ડ દ્વારા જે ગાઇડલાઇન્સ જાહેર કરવામાં આવી હતી એ આ મુજબ છે.

May 14, 2019
CIA_Live_Logo_New2.jpg
1min9980

જયેશ બ્રહ્મભટ્ટ

સેન્ટ્રલ બોર્ડની સ્કુલોમાં ગુજરાત બોર્ડની સ્કુલો કરતા સારુ શિક્ષણ મળતું હોવાની વાત માની શકાય પરંતુ, સેન્ટ્રલ બોર્ડની સ્કુલોની બીજી કેટલીક નબળાઇઓ વિદ્યાર્થીઓને જીવનભર ભારે પડી શકે તેમ છે. સુરતની રાયન ઇન્ટરનેશનલ સ્કુલ, રેડિયેન્ટ સ્કુલ, એસ.ડી. જૈન ઇન્ટરનેશનલ સ્કુલ વગેરે સ્કુલમાં ધો.12 સાયન્સ ભણીને પાસ થયેલા વિદ્યાર્થીઓએ ગુજકેટ-2019ની પરીક્ષા આ વખતે આપી નહીં હોવાથી તેમના માટે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી સંચાલિત એન્જિનિયરિંગ, ફાર્મસી કે એગ્રિકલ્ચર જેવા કોઇ જ અભ્યાસક્રમમાં મેરીટ ધરાવતા હોવા છતાં પ્રવેશ નહીં મળે.

ઉપરોક્ત ત્રણેય સ્કુલોના વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે તેમને સ્કુલમાંથી ક્યારેય એવી સમજણ આપવામાં આવી ન હતી કે તેમણે ગુજકેટ જેવી ગુજરાત બોર્ડની પરીક્ષા આપવી જોઇએ. પરિસ્થિતિ એ આવીને ઉભી છે કે એક તરફ ગુજરાતમાં એન્જિનિયરિંગ કોલેજોમાં સીટો ખાલી પડી રહેશે અને બીજી તરફ સીબીએસઇના વિદ્યાર્થીઓ સારા ટકા લાવ્યા હોવા છતાં ગુજકેટના અભાવે પ્રવેશ નહીં મેળવી શકે.

જેઇઇ મેઇન્સનું પરીણામ સાવ ખરાબ આવ્યું અને સીબીએસઇ સ્કુલોના વિદ્યાર્થીઓએ ગુજકેટ આપી નહીં, હવે એન્જિનિયરિંગ કોલેજોમાં ક્યાંયે પ્રવેશ નહીં મળી શકે

સુરતમાં સીબીએસઇ બોર્ડ સાથે સંલગ્ન રાયન ઇન્ટરનેશનલ સ્કુલ, રેડિયેન્ટ સ્કુલ, એસ.ડી. જૈન ઇન્ટરનેશનલ સ્કુલ વગેરે સ્કુલોના સંચાલકો અને આચાર્યો એમના મગજમાં એવી રાય ભરીને જ ચાલતા હોય છે કે તેમને બધી જ બાબતોનો ખ્યાલ છે. પરંતુ, આ વખતે વિદ્યાર્થીઓ અને વાલીઓ તેમના મગજમાંથી રાય કાઢી નાંખે તેવી સ્થિતિ પેદા થઇ છે.

ધો.11-12 સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ફક્ત નીટ અને જેઇઇની તૈયારી કરવાની સલાહ આપતા સેન્ટ્રલ બોર્ડની સ્કુલોના સંચાલકો, આચાર્યો અને શિક્ષકોના પાપે આ વખતે સેન્ટ્રલ બોર્ડના સેંકડો વિદ્યાર્થીઓ ધો.12 સાયન્સમાં સારું પરીણામ લાવ્યાં હોવા છતાં તેઓ ગુજરાતની એન્જિનિયરિંગ, ફાર્મસી કે એગ્રિકલ્ચર કોલેજોમાં પ્રવેશ નહીં મેળવી શકે. એક તરફ જેઇઇ મેઇન્સનું પરીણામ પાછલા વર્ષોની તુલનામાં અત્યંત કડક આવ્યું છે અને મોટા ભાગના વિદ્યાર્થીઓ એડવાન્સ માટેની લાયકાત સુદ્ધાં મેળવી શક્યા નથી, તો એન.આઇ.ટી. કે ત્રિપલ આઇટીમાં પ્રવેશ મળવાની વાત તો દૂર રહીં.

એક અબ્રામા સ્થિત પી.પી. સવાણી સ્કુલ સેન્ટ્રલ બોર્ડની એકમાત્ર એવી શાળા છે જ્યાં ધો.11-12ના વિદ્યાર્થીઓને દરેકે દરેક પ્રવેશ પરીક્ષા અંગે અગાઉથી માહિતગાર કરીને તે અંગેની પૂર્વ તૈયારી કરાવવામાં આવે છે. એ સિવાય મોટા ભાગની સીબીએસઇ સ્કુલોના વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શનના નામે મીંડું આપવામાં આવે છે.

મગજમાં આઇએમ સમથીંગનો ફાંકો રાખીને ફરતા સીબીએસઇ સ્કુલોના સંચાલકો અને આચાર્યો ધો.11-12 સાયન્સના વિદ્યાર્થીઓને એવું પણ ગાઇડન્સ આપી ન શક્યા કે તેમણે ગુજકેટ જેવી પ્રવેશ પરીક્ષાનું ફોર્મ ભરવું જોઇએ

સીબીએસઇની સ્કુલોએ જો તેમના ધો.12 સાયન્સના વિદ્યાર્થીઓને એવી સલાહ, સમજણ આપી હોત કે જેઇઇ મેઇન્સની સાથે ગુજકેટની પરીક્ષા આપવાથી ગુજરાતની એન્જિનિયરિંગ કોલેજો, ફાર્મસી કોલેજો, એગ્રિકલ્ચર કોલેજોમાં પ્રવેશ મળશે અને તેના માટે ગુજકેટ જરૂરી છે તો કદાચ સેંકડો વિદ્યાર્થીઓનું ભાવિ બગડતા બચી ગયું હોત.

લેખક કરીયર કાઉન્સલર હોવાના નાતે અત્યાર સુધીમાં રાયન ઇન્ટરનેશનલ સ્કુલ, રેડિયેન્ટ સ્કુલ, એસ.ડી. જૈન ઇન્ટરનેશનલ સ્કુલ વગેરેના 125થી વધુ વિદ્યાર્થીઓ પર્સનલ કાઉન્સેલિંગ માટે રૂબરૂ મળ્યા ત્યારે આ વાતનો ઘટસ્ફોટ વિદ્યાર્થીઓએ કર્યો કે તેમને ક્યારેય સ્કુલ તરફથી એવી સમજ, સલાહ કે ગાઇડન્સ આપવામાં આવ્યું ન હતું કે જેઇઇની સાથે તેમણે ગુજકેટની પરીક્ષા પણ આપવી જોઇએ. જો વિદ્યાર્થીઓને એ વાતની પહેલેથી જ જાણકારી હોત તો તેઓ આજે એન્જિનિયરિંગ કોલેજમાં સાવ જ પ્રવેશથી વંચિત ન રહી ગયા હોત.

સેન્ટ્રલ બોર્ડની સ્કુલોના ગુજકેટની પરીક્ષા નહીં આપનારા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓની હાલ તો પગતળેથી ધરતી ખસી ગઇ છે કેમકે હવે તેમની પાસે સહારો માત્ર બી.એસસી.માં પ્રવેશનો બચ્યો છે પરંતુ, તેમને થયેલા આ નુકસાનની જવાબદારી કોની, સેન્ટ્રલ બોર્ડનું એક વખત એફિલિયેશન મેળવી લીધા બાદ હાટડીની જેમ સ્કુલો ચલાવતા સંચાલકોને સ્વપનેય ખ્યાલ નહીં હોય કે તેમણે વિદ્યાર્થીઓનું કેટલું અહીત કર્યું હશે.

ગુજકેટની પરીક્ષા નહીં આપનારા રાયન ઇન્ટરનેશનલ સ્કુલ, રેડિયેન્ટ સ્કુલ, એસ.ડી. જૈન ઇન્ટરનેશનલ સ્કુલના સેંકડો વિદ્યાર્થીઓની સ્થિતિ ન કહેવાય ન સહેવાય જેવી થઇ

પોતાના સંતાનોને સીબીએસઇ સ્કુલોમાં અભ્યાસ કરાવવા માટે અધીરા બની રહેલા વાલીઓ, માબાપ માટે ઉપરોક્ત કિસ્સો આંખ ઉઘાડનારો છે. સીબીએસઇ સ્કુલો શિક્ષણ ભલે સારું આપે, સીબીએસઇમાં ટીચર્સની ક્વોલિટી ગુજરાત બોર્ડના શિક્ષકો કરતા સારી હોય પણ અન્ય બાબતોમાં સેન્ટ્રલ બોર્ડના સંચાલકોની અજ્ઞાનતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગાડી નાંખે તેટલી જવાબદાર બને છે.

May 14, 2019
birthday-bumps-images-8.jpg
1min7560

(Symbolic Pic)

સુરતમાં ખાસ કરીને લોઅર મિડલ ક્લાસના યંગસ્ટર્સ પોતાના મિત્રની બર્થ ડે ઉજવણીના બહાને જાહેર માર્ગ પર વગર પીધે છાકટા થઇને જંગલીયત પર ઉતરી આવતા હતા. પોતાના મિત્રની સાથે ટપોરીઓને પણ શરમાવે એ રીતે મારઝૂડ અને જુલ્મો આચરતા સુરતી યંગસ્ટર્સની આખરે શાન ઠેકાણે લાવવા માટે પોલીસ કમિશનરે જાહેર માર્ગ પર બર્થડે બમ્પસના સેલિબ્રેશન પર પ્રતિબંધ લાદવો પડ્યો હતો. બર્થ ડે પર ઘાતકી રીતે મારઝૂડ કરવાનો ટ્રેન્ડ મિડલ અને લોઅર મિડલ ક્લાસ પરિવારના યંગસ્ટર્સમાં જ જોવા મળતો હતો. જ્યારે બર્થ ડે ની જાહેર માર્ગ પર ઉજવણી કરતા ત્યારે આ સુરતી યંગસ્ટર્સ એટલી જંગલિયત પર ઉતરી આવતા હતા કે મારઝૂડની સાથે ગાળાગાળી કરીને આખા વિસ્તારમાં અશાંતિ મચાવી મૂકતા હતા.

(Symbolic Pic)

પણ હવે સુરત પોલીસ કમિશનર સતિષ શર્માએ જંગલીયતભર્યા બર્થ ડે સેલિબ્રેશન સામે નિષેધાત્મક આદેશ જાહેર કર્યો છે.

પોલીસ કમિશનરના આદેશો બાદ આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ, સ્પેશિયલ બ્રાન્ચ, પી.એલ. ચૌધરીએ આઈપીસી 188 અંતર્ગત આદેશોની અવગણના ન થાય તે માટે એક જાહેરનામું બહાર પાડ્યું છે. જે અંતર્ગત પોલીસ આ જાહેરનામાનો ભંગ કરતી કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરી શકશે.

સુરતના અડાજણ, ઉમરા, ડુમસ વગેરે વિસ્તારમાં પોલીસના ધ્યાનમાં આવ્યું હતું કે જાહેર જગ્યાઓ પર ખાસ કરીને મુખ્ય માર્ગો પર થતી જન્મદિવસની ઉજવણી હિંસાત્મક અને જાહેર જીવનમાં ખલેલ પહોંચાડનારી બનતી હતી. એક યુવકનો બર્થ ડે સેલિબ્રેટ કરવામાં આવી રહ્યો હતો તે સમયે તેને પહેલા બાંધી દીધો હતો અને બાદમાં તેના પર ઈંડા ફેંકવામાં આવ્યા. પાડોશીનું ધ્યાન જતાં તેણે યુવકને છોડાવતા તે બેભાન થઈને નીચે ઢળી પડ્યો હતો.

બર્થ ડે બમ્પસ સામે પ્રતિબંધ મૂકવાની આખા દેશમાં પહેલ કરનારા પોલીસ કમિશનર શ્રી શર્માએ કહ્યું હતું કે, ‘આ જાહેરનામું લોકોમાં સાવચેત કરવા માટે બહાર પાડવામાં આવ્યું છે કે, કેટલાક પ્રકારની ઉજવણી જીવન માટે ખતરારૂપ હોય છે અને તેનાથી બચીને રહેવું જોઈએ. પોલીસ માત્ર જાહેર માર્ગ પર કેક લગાવનારને નહીં, પરંતુ પીટાઈ કરનારને તેમજ અન્ય સંબંધિત ગુનાઓમાં પણ કેસ દાખલ કરશે.

હિંસક રીતે જન્મદિવસની ઉજવણીની બાબતમાં પોલીસ રસ્તા તેમજ અન્ય જાહેર સ્થળો પર પેટ્રોલિંગ કરશે. પોલીસ પેટ્રોલિંગ ટીમ આવી રીતે થતી ઉજવણીઓ પર પણ નજર રાખશે તેમ એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું. ડુમસ રોડ પર જન્મદિવસની ઉજવણી નિયમિત રીતે થાય છે, જેના કારણે મુસાફરો, ફુટપાથ પર બેસતા તેમજ પરિવાર અને મિત્રો સાથે ફરવા આવતા લોકોને ખલેલ પહોંચે છે.