જયેશ બ્રહ્મભટ્ટ
સેન્ટ્રલ બોર્ડની સ્કુલોમાં ગુજરાત બોર્ડની સ્કુલો કરતા સારુ શિક્ષણ મળતું હોવાની વાત માની શકાય પરંતુ, સેન્ટ્રલ બોર્ડની સ્કુલોની બીજી કેટલીક નબળાઇઓ વિદ્યાર્થીઓને જીવનભર ભારે પડી શકે તેમ છે. સુરતની રાયન ઇન્ટરનેશનલ સ્કુલ, રેડિયેન્ટ સ્કુલ, એસ.ડી. જૈન ઇન્ટરનેશનલ સ્કુલ વગેરે સ્કુલમાં ધો.12 સાયન્સ ભણીને પાસ થયેલા વિદ્યાર્થીઓએ ગુજકેટ-2019ની પરીક્ષા આ વખતે આપી નહીં હોવાથી તેમના માટે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી સંચાલિત એન્જિનિયરિંગ, ફાર્મસી કે એગ્રિકલ્ચર જેવા કોઇ જ અભ્યાસક્રમમાં મેરીટ ધરાવતા હોવા છતાં પ્રવેશ નહીં મળે.

ઉપરોક્ત ત્રણેય સ્કુલોના વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે તેમને સ્કુલમાંથી ક્યારેય એવી સમજણ આપવામાં આવી ન હતી કે તેમણે ગુજકેટ જેવી ગુજરાત બોર્ડની પરીક્ષા આપવી જોઇએ. પરિસ્થિતિ એ આવીને ઉભી છે કે એક તરફ ગુજરાતમાં એન્જિનિયરિંગ કોલેજોમાં સીટો ખાલી પડી રહેશે અને બીજી તરફ સીબીએસઇના વિદ્યાર્થીઓ સારા ટકા લાવ્યા હોવા છતાં ગુજકેટના અભાવે પ્રવેશ નહીં મેળવી શકે.
જેઇઇ મેઇન્સનું પરીણામ સાવ ખરાબ આવ્યું અને સીબીએસઇ સ્કુલોના વિદ્યાર્થીઓએ ગુજકેટ આપી નહીં, હવે એન્જિનિયરિંગ કોલેજોમાં ક્યાંયે પ્રવેશ નહીં મળી શકે
સુરતમાં સીબીએસઇ બોર્ડ સાથે સંલગ્ન રાયન ઇન્ટરનેશનલ સ્કુલ, રેડિયેન્ટ સ્કુલ, એસ.ડી. જૈન ઇન્ટરનેશનલ સ્કુલ વગેરે સ્કુલોના સંચાલકો અને આચાર્યો એમના મગજમાં એવી રાય ભરીને જ ચાલતા હોય છે કે તેમને બધી જ બાબતોનો ખ્યાલ છે. પરંતુ, આ વખતે વિદ્યાર્થીઓ અને વાલીઓ તેમના મગજમાંથી રાય કાઢી નાંખે તેવી સ્થિતિ પેદા થઇ છે.
ધો.11-12 સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ફક્ત નીટ અને જેઇઇની તૈયારી કરવાની સલાહ આપતા સેન્ટ્રલ બોર્ડની સ્કુલોના સંચાલકો, આચાર્યો અને શિક્ષકોના પાપે આ વખતે સેન્ટ્રલ બોર્ડના સેંકડો વિદ્યાર્થીઓ ધો.12 સાયન્સમાં સારું પરીણામ લાવ્યાં હોવા છતાં તેઓ ગુજરાતની એન્જિનિયરિંગ, ફાર્મસી કે એગ્રિકલ્ચર કોલેજોમાં પ્રવેશ નહીં મેળવી શકે. એક તરફ જેઇઇ મેઇન્સનું પરીણામ પાછલા વર્ષોની તુલનામાં અત્યંત કડક આવ્યું છે અને મોટા ભાગના વિદ્યાર્થીઓ એડવાન્સ માટેની લાયકાત સુદ્ધાં મેળવી શક્યા નથી, તો એન.આઇ.ટી. કે ત્રિપલ આઇટીમાં પ્રવેશ મળવાની વાત તો દૂર રહીં.
એક અબ્રામા સ્થિત પી.પી. સવાણી સ્કુલ સેન્ટ્રલ બોર્ડની એકમાત્ર એવી શાળા છે જ્યાં ધો.11-12ના વિદ્યાર્થીઓને દરેકે દરેક પ્રવેશ પરીક્ષા અંગે અગાઉથી માહિતગાર કરીને તે અંગેની પૂર્વ તૈયારી કરાવવામાં આવે છે. એ સિવાય મોટા ભાગની સીબીએસઇ સ્કુલોના વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શનના નામે મીંડું આપવામાં આવે છે.
મગજમાં આઇએમ સમથીંગનો ફાંકો રાખીને ફરતા સીબીએસઇ સ્કુલોના સંચાલકો અને આચાર્યો ધો.11-12 સાયન્સના વિદ્યાર્થીઓને એવું પણ ગાઇડન્સ આપી ન શક્યા કે તેમણે ગુજકેટ જેવી પ્રવેશ પરીક્ષાનું ફોર્મ ભરવું જોઇએ
સીબીએસઇની સ્કુલોએ જો તેમના ધો.12 સાયન્સના વિદ્યાર્થીઓને એવી સલાહ, સમજણ આપી હોત કે જેઇઇ મેઇન્સની સાથે ગુજકેટની પરીક્ષા આપવાથી ગુજરાતની એન્જિનિયરિંગ કોલેજો, ફાર્મસી કોલેજો, એગ્રિકલ્ચર કોલેજોમાં પ્રવેશ મળશે અને તેના માટે ગુજકેટ જરૂરી છે તો કદાચ સેંકડો વિદ્યાર્થીઓનું ભાવિ બગડતા બચી ગયું હોત.
લેખક કરીયર કાઉન્સલર હોવાના નાતે અત્યાર સુધીમાં રાયન ઇન્ટરનેશનલ સ્કુલ, રેડિયેન્ટ સ્કુલ, એસ.ડી. જૈન ઇન્ટરનેશનલ સ્કુલ વગેરેના 125થી વધુ વિદ્યાર્થીઓ પર્સનલ કાઉન્સેલિંગ માટે રૂબરૂ મળ્યા ત્યારે આ વાતનો ઘટસ્ફોટ વિદ્યાર્થીઓએ કર્યો કે તેમને ક્યારેય સ્કુલ તરફથી એવી સમજ, સલાહ કે ગાઇડન્સ આપવામાં આવ્યું ન હતું કે જેઇઇની સાથે તેમણે ગુજકેટની પરીક્ષા પણ આપવી જોઇએ. જો વિદ્યાર્થીઓને એ વાતની પહેલેથી જ જાણકારી હોત તો તેઓ આજે એન્જિનિયરિંગ કોલેજમાં સાવ જ પ્રવેશથી વંચિત ન રહી ગયા હોત.
સેન્ટ્રલ બોર્ડની સ્કુલોના ગુજકેટની પરીક્ષા નહીં આપનારા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓની હાલ તો પગતળેથી ધરતી ખસી ગઇ છે કેમકે હવે તેમની પાસે સહારો માત્ર બી.એસસી.માં પ્રવેશનો બચ્યો છે પરંતુ, તેમને થયેલા આ નુકસાનની જવાબદારી કોની, સેન્ટ્રલ બોર્ડનું એક વખત એફિલિયેશન મેળવી લીધા બાદ હાટડીની જેમ સ્કુલો ચલાવતા સંચાલકોને સ્વપનેય ખ્યાલ નહીં હોય કે તેમણે વિદ્યાર્થીઓનું કેટલું અહીત કર્યું હશે.
ગુજકેટની પરીક્ષા નહીં આપનારા રાયન ઇન્ટરનેશનલ સ્કુલ, રેડિયેન્ટ સ્કુલ, એસ.ડી. જૈન ઇન્ટરનેશનલ સ્કુલના સેંકડો વિદ્યાર્થીઓની સ્થિતિ ન કહેવાય ન સહેવાય જેવી થઇ
પોતાના સંતાનોને સીબીએસઇ સ્કુલોમાં અભ્યાસ કરાવવા માટે અધીરા બની રહેલા વાલીઓ, માબાપ માટે ઉપરોક્ત કિસ્સો આંખ ઉઘાડનારો છે. સીબીએસઇ સ્કુલો શિક્ષણ ભલે સારું આપે, સીબીએસઇમાં ટીચર્સની ક્વોલિટી ગુજરાત બોર્ડના શિક્ષકો કરતા સારી હોય પણ અન્ય બાબતોમાં સેન્ટ્રલ બોર્ડના સંચાલકોની અજ્ઞાનતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગાડી નાંખે તેટલી જવાબદાર બને છે.