ચૂંટણી પંચે એની વિશ્ર્વસનીયતા અને સ્વાતંત્ર્ય ગુમાવી દીધા છે, એવો આક્ષેપ કરીને કૉંગ્રેસે કહ્યું હતું કે આ પંચની નિયુક્તિની પ્રક્રિયાની સમીક્ષા કરવાનો સમય આવી ગયો છે.
શું આચારસંહિતા હવે ‘મોદીની આચારસંહિતા’ બની ગઈ છે? એવું પૂછાતાં કૉંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ કહ્યું હતું કે ‘પશ્ર્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચારમાં ૨૦ કલાકનો કાપ મૂકવાનો ચૂંટણી પંચનો આદેશ ભારતીય લોકશાહી પરનો તેમ જ ચૂંટણી પંચ જેવી સંસ્થાઓ પર ‘ઘેરો ધબ્બો’ છે.
કોલકતામાં ભાજપ અને તૃણમૂલ કૉંગ્રેસ (ટીએમસી)ના કાર્યકરો વચ્ચે હિંસા ફાટી નીકળતાં ચૂંટણી પંચે બુધવારે બંધારણની કલમ ૩૨૪ લાગુ કરીને પશ્ર્ચિમ બંગાળની નવ બેઠકોમાં ચૂંટણીના પ્રચારકાર્યને ગુરુવારે રાત્રે ૧૦.૦૦ વાગ્યે (સમયપત્રક મુજબની સમયમર્યાદા કરતાં ૨૪ કલાક પહેલાં) થંભાવી દેવાનો આદેશ બહાર પાડ્યો હતો.

સૂરજેવાલાએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘ચૂંટણી પંચમાં થતી નિયુક્તિની પ્રક્રિયાની સમીક્ષા કરવાનો સમય આવી ગયો છે. શું આ પંચ શાસક પક્ષ સાથે સંલગ્ન વિભાગ બની રહેવો જોઈએ કે આપણી લોકશાહી માટે જરૂરી અને ન્યાયી તથા પારદર્શક પ્રક્રિયાથી નિયુક્ત થયેલી બંધારણીય સંસ્થા બની રહેવી જોઈએ? કૉંગ્રેસ એક જવાબદાર રાજકીય પક્ષ છે અને એણે ક્યારેય બંધારણીય સંસ્થાઓ સામે કારણ વગર આંગળી નથી ચીંધી. જોકે, અમારે ઊંડા ખેદપૂર્વક કહેવું પડે છે કે ચૂંટણી પંચે એની સ્વાયત્તતા ગુમાવી દીધી છે.’
સૂરજેવાલાએ એવો આક્ષેપ પણ કર્યો હતો કે ‘ચૂંટણી પંચની પગલાં પરથી લાગે છે કે એ વડા પ્રધાન મોદી તથા ભાજપ માટેની વિદાય સમયની ભેટ છે. પંચનું એક પગલું આ માટે સૂચક છે. આ પગલાંમાં ચૂંટણી પંચે પશ્ર્ચિમ બંગાળમાં પ્રચારકાર્યને ૨૪ કલાક વહેલો સમેટી લેતો આદેશ આપ્યો એમાં મોદીની અગાઉથી જાહેર થયેલી મથુરાપુરા તથા ડમ ડમ ખાતેની રૅલીને નથી આવરી લેવાઈ. બીજી રીતે કહીએ તો આ બે રૅલીને ઊની આંચ ન આવે એ મુજબનો પ્રતિબંધ લાગુ કરાયો છે.’
સૂરજેવાલાના મતે ‘મોદીજીની ખુરસી, તેમની પ્રતિષ્ઠા અને ચૂંટણી પંચ તથા લોકશાહીનું સ્વાતંત્ર્ય, આ ત્રણેય બાબતો અત્યારે ખતરામાં છે. આ દેશની પ્રજા અંતિમ નિર્ણય લેનારી છે, પરંતુ એક વાત નક્કી છે કે જ્યારે બધુ નિષ્ફળ જતું હોય ત્યારે લોકશાહી સફળ રહેતી હોય છે. ચૂંટણી પંચ ભાજપના પ્રમુખ અમિત શાહના ગુંડાઓ અને તોફાનીઓને સજા કરવાને બદલે લોકશાહીને હાનિ પહોંચાડી રહ્યું છે. ભારતીય ચૂંટણી પંચ મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજી શકવા સમર્થ નથી એવું કબૂલીને પ્રજામાં એક પ્રકારનો હાઉ પેદા કરી રહ્યું છે. કૉંગ્રેસે ચૂંટણી પંચ સમક્ષ મોદી તથા અમિત શાહની વિરુદ્ધમાં ૧૧ કરતાં વધુ ફરિયાદો કરી છે. અમને તો ચૂંટણી પંચમાં સ્પષ્ટપણે નારાજગી દેખાઈ રહી છે. પંચ નરેન્દ્ર મોદી અને અમિત શાહને શરણે થઈ ગયું છે.’