જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
અબજો રૂપિયાનું ટર્નઓવર ધરાવતી અને બેરોકટોક વહીવટ થઇ શકે તેવું સ્ટ્રક્ચર ધરાવતી દક્ષિણ ગુજરાતની મોટામાં મોટી સહકારી સંસ્થા સુમુલ ડેરીનો વહીવટ હસ્તગત કરવા માટે ભાજપના બે મોટા માથાઓ હાલ આકાશપાતાળ એક કરી રહ્યા છે. એક તરફ વર્તમાન ચેરમેન રાજુ પાઠક છે તો બીજી તરફ ભાજપના જ નેતા અને સરકારના મંત્રી ગણપતસિંહ વસાવાનું જૂથ છે. વર્તમાન ચેરમેન રાજુ પાઠક જૂથ જો ચૂંટણી લડે તો તેમનો એકડો નીકળી જાય તેમ છે. આમ છતાં ભાજપાના દિગ્ગજ નેતાઓ સાથેના સંબંધોને કારણે તેઓ હારવાની બાજી સમાધાનના ફોરમ પર લઇ જવા મથી રહ્યા છે.
સુમુલની ચૂંટણીમાં CR પાટીલની દરમિયાનગીરી પછી પણ બાખડી રહ્યા છે ભાજપના બે મોટા નેતાઓ, હવે હુકમનું પાનું ઉતરશે સી.આર. પાટીલ
ભાજપના જ નેતા અને વર્તમાન ચેરમેન રાજુ પાઠકની સામે દિગ્ગજોની આખી ફૌજ છે. રાજ્ય સરકારના કેબિનેટ મંંત્રી ગણપત વસાવા ઉપરાંત પૂર્વ સાંસદ અને બીજેપીના નેતા માનસિંહ પટેલ સાથે તાજેતરમાં ભાજપમાં જોડાયેલા અને ખેડૂત સમાજમાં મોટું નામ એવા જયેશ દેલાડ થી લઇને અનેક મોટા માથા રાજુ પાઠકની વિરુદ્ધમાં છે.
ગુજરાત ભાજપાના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે દરમિયાનગીરી કરીને બન્ને મોટા નેતાઓના જૂથો વચ્ચે સમાધાનકારી ફોર્મ્યુલા મૂકી છે. પરંતુ, પ્રદેશ પ્રમુખની દરમિયાનગીરી પછી પણ ભાજપના બન્ને નેતાઓ અઠંગ રાજકીય રીતે મની, મસલ્સ પાવરથી એક બીજાનો એકડો કાઢી નાંખવા માટેની પેંતરાબાજીમાં પડ્યા છે.
ભાજપાના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે સમાધાન માટેની મિટીંગો બાદ ફોર્મ્યુલા આપી હોવા છતાં ભાજપના બેઉ નેતાઓ મની મસલ્સ પાવરથી લઇ રહ્યા છે અને બદનામી ભાજપાની થઇ રહી છે. આવી સ્થિતિમાં હવે ખુદ ભાજપે મેન્ડેટ આપીને બન્ને નેતાઓની લડાઇ પર પૂર્ણવિરામ મૂકવું પડે તેમ છે. જો રાજુ પાઠક જૂથ અને ગણપત વસાવા-માનસિંહ પટેલ જૂથ સુમુલની ચૂંટણીમાં લડી લેશે તો આગામી દિવસોમાં આવી રહેલી નગરપાલિકા, તાલુકા પંચાયતોની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપાને જ આ લડાઇ ભારે પડી જાય તેવી સ્થિતિ છે.
સમજાવટ નાકામ હવે સીધો પાર્ટીલાઇન આદેશ
સૂત્રોના જણાવ્યા અનુસાર સી.આર. પાટીલે સુમુલ ડેરીની ચૂંટણીમાં થઇ રહેલી ગતિવિધિઓને ગંભીરતાથી લઇને સમાધાનની એક ફોર્મ્યુલા નક્કી કરી આપી છે. અને આગામી 2-3 ઓગસ્ટ કે એ પહેલા સુમુલ ડેરીની ચૂંટણીને અનુલક્ષીને ભાજપાના પરિવારમાં થઇ રહેલા ઝગડાઓ બંધ થઇ જાય તેવી શક્યતા હાલ જોવાય રહી છે. સમજાવટથી કામ વિવાદોનો નિવેડો નહીં આવતા છેવટે હવે પ્રદેશ હાઇકમાન્ડે સીધો જ મેન્ડેટ આપવો પડશે અને એ પણ લગભગ અપાઇ ચૂક્યો છે. આગામી દિવસોમાં સુમુલની ચૂંટણીનો ઝઘડો સમી જાય તેવી પૂરેપૂરી શક્યતા છે.
સુમુલની ચૂંટણીમાં ભાજપીઓ જો લડશે તો સીધી અસર હવે પછીની ગ્રામીણ ચૂંટણીઓ પર પડશે

14 બેઠકો માટે 31 ઉમેદવારો મેદાનમાં
ક્યાં ક્યાં ચૂંટણી યોજાવાની છે
- ઓલપાડ અહીંથી ચૂંટણી લડી રહ્યા છે હુકમના એક્કા સમાન જયેશ પટેલ દેલાડ, જેઓ કોંગ્રેસમાંથી તાજેતરમાં જ ભાજપામાં જોડાયા છે
- ચોર્યાસી અહીંથી ચૂંટણી લડી રહ્યા છે સંદીપ દેસાઇ, સુરત જિલ્લા ભાજપના ઉપપ્રમુખ છે
- પલસાણા Palsana બિનહરીફ વિજેતા ભરતસિંહ સોલંકી (માજી પલસાણા બીજેપી ચીફ) માનસિંહ પટેલની પેનલના ઉમેદવાર
- કામરેજ
- બારડોલી
- માંગરોળ અહીંથી લડી રહ્યા છે વર્તમાન ચેરમેન રાજેશ કાંતિલાલ પાઠક, જેઓ પણ ચેરમેનશીપ માટે દાવેદાર મનાય છે
- માંડવી
- મહુવા અહીં લડી રહ્યા છે માનસિંહ પટેલ, ચેરમેનશીપ માટેના પ્રબળ દાવેદાર
- વાલોડ
- વ્યારા
- સોનગઢ
- નિઝર
- ઉચ્છલ
- કુકરમુંડા
- ઉમરપાડા Umarpada બિનહરીફ વિજેતા રીતેશસિંહ વસાવા (ગુજરાત સરકારના મંત્રી ગણપતસિંહ વસાવાના સંબંધી) માનસિંહ પટેલની પેનલના ઉમેદવાર
- ડોલવણ Dolvan
જયેશ પટેલ (દેલાડ) પાટીદાર અને ખેડૂત આગેવાન, કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા પછી સુમુલ ડેરીમાંથી રાજુ પાઠકનો એકડો નીકળી જાય તેવી સ્થિતિ

અત્યાર સુધીની સુમુલ ડેરીની ચૂંટણીમાં હુકમનો એક્કો પુરવાર થયેલા એક સમયના કોંગ્રેસી નેતા જયેશ પટેલ દેલાડ હવે હાલની સુમુલની ચૂંટણી પૂર્વે જ ભાજપમાં સામેલ થતા હવે સુમુલ ડેરીની ચૂંટણીમાંથી કોંગ્રેસનો એકડો નીકળી ગયો છે પણ હવે લડાઇ ભાજપાના ઘરમાં ઘૂસી ગઇ છે. માનસિંહ પટેલની પેનલમાંથી ચૂંટણી લડી રહેલા જયેશ પટેલ કહેવાય છે કે સુમુલ ડેરીના સંગઠનમાં મોટું અને નિર્વિવાદ નામ છે. તેમના આવ્યા પછી આમેય રાજુ પાઠક જૂથના પાટીયા બેસી ગયા છે. જયેશ દેલાડને સુુમુલ ડેરીના વાઇસ ચેરમેન બનાવવા પડે તેવી સ્થિતિ છે. કેમકે તેઓ પાટીદાર હોવા ઉપરાંત ખેડૂત આગેવાન, સહકારી ક્ષેત્રમાં નામધારી નેતા છે.







