CIA ALERT

Alert Archives - Page 232 of 518 - CIA Live

August 16, 2020
corona_india.jpg
1min6110

ભારતમાં ગતરોજ તા.15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસના ચોવીસ કલાક દરમિયાન કોરોનાના નવા 67,000 કરતા વધારે કેસ નોંધાયા છે. આ પાછલા અઠવાડિયાના સૌથી વધુ કેસ છે, જે પહેલા ગુરુવારે 66,037 કેસ નોંધાયા હતા. ભારતમાં કોરોના પોઝિટિવ કેસનો કુલ આંકડો 26 લાખની નજીક પહોંચ્યો છે. જ્યારે મૃત્યુઆંક 50,000ને પાર થઈ ગયો છે.

ભારતમાં ગુરુવારે 67,103 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જે સાથે કુલ પોઝિટિવ કેસનો આંકડો 25,90,572 થયો છે. દેશમાં કોરોના વાયરસના કારણે થયેલા કુલ મૃત્યુમાંથી 27% મૃત્યુ ઓગસ્ટના 15 દિવસમાં નોંધાયા છે. આ 15 દિવસમાં દેશમાં 13,500 કરતા વધારે લોકોના મોત નોંધાયા છે. જ્યારે જુલાઈ મહિનામાં થયેલા કુલ મૃત્યુનો આંકડો 19,122 હતો.

મહારાષ્ટ્રમાં 300થી વધુ લોકોના કોરોના વાયરસના કારણે મોત થયા જ્યારે 12,000 કરતા વધારે પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં નોંધાયેલા વધુ 322 મોત નોંધાયા જે 13 ઓગસ્ટે નોંધાયેલા 413 કરતા નીચો આંકડો છે, રાજ્યમાં કુલ મૃત્યુઆંક 19,749 થયો છે, જ્યારે 12,614 નવા કેસ નોંધાયા છે, આ પહેલા 8 ઓગસ્ટના રોજ 12,822 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં કુલ પોઝિટિવ કેસનો આંકડો 5,84,754 થયો છે.

આ તરફ કર્ણાટકમાં 8,818 નવા કેસ નોંધાયા છે, રાજ્યમાં પહેલીવાર નવા કેસનો આંકડો 8,000ને પાર ગયો છે.

રાજ્યમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે જેમાં શનિવારે 55,000 કરતા વધારે દર્દીઓએ કોરોના વાયરસને માર આપી છે આ સાથે કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 18.5 લાખ કરતા વધુ થયો છે.

August 15, 2020
dhoni_cia3-1280x960.jpg
2min10450

ધોની સુરતની કાજુકતરીનો દિવાનો હતો, કાજુકતરી ભલે આખા દેશમાં મળતી હોય

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

મહેન્દ્રસિંહ ધોનીએ 15 ઓગસ્ટ સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ આંતર રાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધી. સમાચાર વિશ્વભરમાં એટલા વાઇરલ થયા કે સોશ્યલ મિડીયામાં જ્યાં જુઓ ત્યાં, ટ્વીટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ બધી જગ્યાએ ધોની જ ધોની જોવા મળ્યો હતો.

સી.આઇ.એ લાઇવ સુરત બેઝ ડિજીટલ મિડીયા છે. ગુજરાતી વ્યૂઅર્સ, વાચકો માટે અમે ધોની અને સુરતના કેટલાક સંભારણા રજૂ કરી રહ્યા છે.

ડુમસના ભાવિક (B.K.) પટેલ સાથે ધોનીની દિલોજાન દોસ્તી

સુરતના ભાવિક પટેલ (બી.કે.) સાથે ધોનીને એટલી ગાઢ દોસ્તી છે કે 2011ની વર્લ્ડ કપ ક્રિકેટની ફાઇનલ મેચની બે વીવીઆઇપી ટિકીટ આઇ.સી.સી.એ કેપ્ટન હોવાના નાતે મહેન્દ્રસિંહ ધોનીને આપી હતી. ધોનીએ આ બે ટિકીટ પૈકી એક તેની પત્નીને આપી હતી જ્યારે બીજી ટિકીટ સુરતના ડુમસમાં રહેતા અંગત મિત્ર ભાવિક બી.કે. પટેલને આપી હતી.

સુરત ડુમસના ભાવિક (B.K.) પટેલ અને મહેન્દ્રસિંહ ધોનીની યારી બયાં કરતી તસ્વીર www.cialive.in

સુરતના ડુમસમાં રહેતા અને ક્રિકેટના જબરદસ્ત ચાહક ભાવિક (બી.કે.) પટેલ અને મહેન્દ્રસિંહ ધોની વચ્ચે ગજબની દોસ્તી છે. ભાવિક પટેલ અને ધોનીના ફોટા જોઇએ તો એમ જ લાગે કે બન્ને બાળપણના મિત્રો છે.

ધોનીની રિટાયરમેન્ટની ઘોષણા પછી સી.આઇ.એ. લાઇવ સાથે વાતચીત કરતા ડુમસના ભાવિક (B.K.) પટેલે જણાવ્યું કે ધોની સુરતમાં બે વખત આવી ચૂક્યા છે. એક વખત સુરતની એક જાણિતી હોટેલના ઉદઘાટન માટે આવ્યા હતા. ભાવિક પટેલે કહ્યું કે ડુમસ રોડ પર ધોનીએ કાર સેલ્ફ ડ્રાઇવ કરી અને અમે મારા ઘરે પહોંચ્યા હતા. ધોનીએ ભાવિક પટેલને કહ્યું હતું કે કોઇ ટેલેન્ટેડ ક્રિકેટર હોય અને તકલીફમાં હોય તો તેને ખાસ જણાવશો જેથી તેને હેલ્પ કરી શકાય.

ભાવિક પટેલે કહ્યું કે જ્યારે ધોનીને મળવા જતો ત્યારે ખાસ કંઇને કંઇ લઇ જતો. ધોની થોડો ફૂડી પણ છે. એક વખત તેણે મારા ઘરે બનાવેલા થેપલા અને કેરીનો છુંદો (મુરબ્બો) ખાધો હતો અને પછી ધોની માટે સુરતી થેપલા અને કેરીનો મુરબ્બો ફેવરીટ બની ગયા છે. કોરોનાકાળ દરમિયાન લૉકડાઉન પછી પણ ભાવિક પટેલે સુરતથી ખાસ ધોની માટે મુરબ્બો મોકલી આપ્યો હતો.

ધોની સુરતમાં એક હોટેલના ઉદઘાટનમાં આવ્યો હતો ત્યારે ડુમસના ભાવિક બી.કે. પટેલના ઘરે ડુમસ કાર સેલ્ફ ડ્રાઇવ કરીને ગયો હતો એ વેળાની તસ્વીર www.cialive.in

કાજુકતરી આખા દેશમાં મળે પણ ધોનીને સુરતની જ બહુ ભાવે

ભાવિક પટેલે કહ્યું કે એક વખત તેને મળવા ગયો ત્યારે કાજુકતરીનું બોક્સ લઇને ગયો હતો. બધા મિત્રો વચ્ચે તેણે પેકેટ ખોલીને એક પીસ ખાધો. તેને કાજૂકતરી એટલી ભાવી ગઇ કે પછી હું જ્યારે તેને મળવા જાઉ ત્યારે મારા તેના માટે ખાસ કાજુકતરી લઇ જવી પડે. કાજુ કતરી આમ તો આખા દેશમાં મળે પરંતુ, તેને સુરતનો ટેસ્ટ ભાવી ગયો છે.

August 14, 2020
ausi-flood6.jpg
1min6980

સૌરાષ્ટ્રમાં બુધવારની રાતથી શરૂ થયેલો વરસાદ આજે દિવસ દરમિયાન પણ ચાલુ રહેતા લગભગ મોટા ભાગના જિલ્લાઓ તરબોળ થયાં હતા. રાજકોટ, અમરેલી અને જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં મોડી રાતથી ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો. રાજકોટમાં ચાર ઈંચ, ગોંડલમાં ચાર ઈંચ, વીરપુરમાં ત્રણ ઈંચ, ઉપલેટામાં ત્રણ ઈંચ, જસદણમાં બે ઈંચ, લોધીકામાં બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેને કારણે સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર આવ્યા હતા, જ્યારે શહેરોના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા.

બીજી બાજુ આજે ગુરૂવારે સવારથી રાજ્યના ૨૧૭ તાલુકાઓમાં વરસાદ શરૂ થયો હતો જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ ૧૮૨ મિમી એટલે કે સાડા સાત ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો.

રાજ્યમાં ગુરૂવારે અમદાવાદ, આણંદ, ખેડા, સાબરકાંઠા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, વડોદરા, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, જામનગર, જૂનાગઢ, કચ્છ, રાજકોટ સહિતના મોટા ભાગના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં ૧૧૩ મિમી એટલે કે સાડા ચાર ઇંચ અને ધ્રાંગધ્રામાં ચાર ઇંચ પાણી વરસ્યું હતું.

રાજકોટમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. શહેરનાં બસ સ્ટેન્ડ, ઢેબર રોડ, ગોંડલ રોડ, યાજ્ઞિક રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા. બીજી તરફ ગોંડલ, વીરપુર, ધોરાજી, જસદણ સહિતના ગામોમાં છેલ્લા ૨૪ કલાકથી વરસાદ વરસી રહ્યો છે. ગોંડલ પંથકમાં ધોધમાર ચાર ઈંચ વરસાદ પડતા ખેતરોમાં પાણી ભરાય ગયા છે. વીરપુરમાં ૩ ઈંચ વરસાદ પડતા સિમ વિસ્તારમાં નદી-નાળા છલકાયા હતા, આ સાથે જ લોધિકામાં ૨ ઈંચ વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ભરાઇ ગયા હતા.

આ ઉપરાંત ભાવનગર જિલ્લામાં વહેલી સવારથી જ ભાવનગર, તળાજા, ઘોઘા, સિહોર, પાલિતાણા, ગારીયાધાર, વલ્લભીપુર અને ઉમરાળા તાલુકાઓમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો.

August 14, 2020
real_cia-1-1280x1022.jpg
1min6920

ગુજરાત સમેતના કેટલાક રાજ્યોમાં કોરોના ટેસ્ટીંગની સંખ્યા વધારવા અંગે વડાપ્રધાન શ્રી મોદીએ મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં કરેલી ટકોરનો પ્રતિસાદ બે જ દિવસમાં ગુજરાતમાં દેખાયો છે. તા.12 અને તા.13 એમ બે જ દિવસના સમયગાળામાં ગુજરાતમાં એક લાખ કોરોના ટેસ્ટ કરાયા અને તેમાંથી 2244 દર્દીઓ મળ્યા. આમ ગુજરાતમાં ટેસ્ટીંગ વધ્યા પછી પણ કોરોનાના કેસો વધ્યા નથી એ સુખદ કહી શકાય તેવી બાબત બહાર આવી છે. તા.13મીએ સાંજે ગુજરાતમાં કોરોના કુલ કેસનો આંક ૭૫૦૦૦ને પાર થયો છે. જ્યારે મૃત્યુ આંક વધીને ૨૭૦૦ને પાર થઇ ૨૭૩૨ થઇ ગયો છે.

  • 12 ઓગસ્ટે 50,124 કોરોના ટેસ્ટ 1152 નવા કેસ 18ના મોત
  • 13 ઓગસ્ટે 50,817 કોરોના ટેસ્ટ 1092 નવા કેસ 18ના મોત

ગુજરાતમાં કોવીડ પેન્ડેમિકની સ્થિતિમાં અત્યાર સુધીમાં તા.12મી ઓગસ્ટને બુધવારે પહેલી વખત એક સાથે ૫૦,૧૨૪ ટેસ્ટ કરાયા હતા. ગુરુવારે ૫૦,૮૧૭ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જોકે, આ ટેસ્ટમાં આરટીપીસીઆર કરાયા છે કે એન્ટીજેનનો સમાવેશ પણ કરી દેવાયો છે એના અંગે કોઇ ફોડ પડાયો નથી.

કોરોના ટેસ્ટસમાં 8માં ક્રમે છે ગુજરાત

છેલ્લા ૧૨ દિવસમાં કરવામાં આવેલા ટેસ્ટને ધ્યાનમાં લઇ તો ૬૦ હજારથી વધુ કેસ ધરાવતા ૧૧ રાજ્યોમાં ટેસ્ટિંગના મામલે ગુજરાત આઠમાં ક્રમે આવે છે. આ ૧૨ દિવસમાં સૌથી વધુ ટેસ્ટ ઉત્તર પ્રદેશમાં કરવામાં આવ્યા છે.

  • ઉત્તર પ્રદેશમાં ૧૦૮૬૯૧૮ ટેસ્ટ કરાયા છે,
  • મહારાષ્ટ્રમાં ૭૭૯૯૬૬,
  • તમિલનાડુમાં ૭૭૩૮૮૭,
  • બિહારમાં ૭૨૪૮૦૮,
  • આંધ્ર પ્રદેશમાં ૬૯૭૯૯૧,
  • આસામમાં ૬૫૬૪૦૫,
  • કર્ણાટકમાં ૪૭૫૫૨૫ ટેસ્ટ
  • ગુજરાતમાં ૩૪૪૨૨૮ ટેસ્ટ કરાયા છે.
  • એવી જ રીતે આસામમાં ૧૨ દિવસમાં ૬૫૬૪૦૫ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

આસામમાં પણ ઘનિષ્ઠ ટેસ્ટીંગ

  • છેલ્લા બે દિવસમાં જ આસામમાં ૧૯૫૧૭૧ ટેસ્ટ કરવામાં આવ્યા છે. આસામની સરખામણીએ ગુજરાતમાં ૧૨ દિવસમાં ૩૪૪૨૨૮ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી છેલ્લા બે દિવસમાં ગુજરાતમાં ૯૧૭૭૧ ટેસ્ટ કરાયા છે. આ ૧૨ દિવસમાં જોઇએ તો આસામમાં ગુજરાત કરતા લગભગ બે ગણા ટેસ્ટ કરવામાં આવ્યા છે. આસામમાં અત્યાર સુધીમાં કુલ ૬૯૦૦૦ કેસ નોંધાયા છે, જ્યારે ગુજરાતમાં ૭૪૩૯૦ કેસ નોંધાયા છે. જો કે, ગુજરાતમાં ૧૨ ઓગસ્ટ સુધીમાં ૭૪૩૯૦ કેસ નોંધાયા છે. જોકે પશ્ર્ચિમ બંગાળ અને દિલ્હીની કરતા ગુજરાતમાં ટેસ્ટ વધારે કરવામાં આવ્યા છે. દિલ્હીમાં ૨૦૯૯૫૪ ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને પશ્ર્ચિમ બંગાળમાં ૨૯૩૫૨૩ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

ગુજરાતમાં બે દિવસમાં અનુક્રમે ૯૭૭ તથા ૧૦૪૬ દર્દીઓને આઇસીએમઆરની ગાઇડલાઇન્સ પ્રમાણે ડિસ્ચાર્જ કરાયા હતા આ સાથે રાજ્યમાં કુલ પોઝિટિવ ૭૫૪૮૨ કેસમાંથી કુલ ૫૮,૪૩૯ દર્દી ડિસ્ચાર્જ થતાં કુલ રિવકરી રેટ ૭૭.૪૨ ટકા સુધી પહોંચી ગયો છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસ ૧૪૩૧૦ છે એમાંથી ૭૯ વેન્ટીલેટર ઉપર છે જ્યારે ૧૪૨૩૧ સ્ટેબલ છે.

August 14, 2020
faceless.jpg
1min8680

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે દેશમાં નવી કર વ્યવસ્થાનો પ્રારંભ કરાવતા એક નવા અધ્યાયની શરૂઆત થઈ છે. પીએમ મોદીએ ટ્રાન્સપરન્ટ ટેક્સેશન- ઓનરિંગ ધ ઓનેસ્ટ પ્લેટફોર્મને ઓનલાઈન લોન્ચ કર્યું હતું જેમાં ફેસલેસ ટેક્સ સ્ક્રૂટિનીનો આજની પ્રારંભ કરવામાં આવ્યો છે અને ફેસલેસ ટેક્સ અપીલ સેવાનો 25 સપ્ટેમ્બરથી પ્રારંભ થશે. વડાપ્રધાને આ પ્રસંગે દેશના તમામ કરદાતાઓને રાષ્ટ્રનિર્માણના યોગદાન માટે સમયસર ટેક્સ ભરવા પણ આહ્વાન કર્યું હતું.

આ ઉપરાંત આવકવેરા વિભાગ ‘ટેક્સપેયર ચાર્ટર’ને અપનાવશે જે કરદાતા અને આવકવેરા કચેરી બન્નેના અધિકારો તેમજ જવાબદારીઓની રૂપરેખા નિર્ધારિત કરશે. વડાપ્રધાને પોતાના સંબોધમાં જણાવ્યું કે, દેશમાં ગુલામીકાળથી કર વ્યવસ્થા અમલમાં છે અને તેમાં સમયાંતરે ઓછાવત્તા બદલાવો થતા રહ્યા પરંતુ તેનું મૂળ માળખું જૂનું જ રહ્યું હતું અને વ્યવસ્થા જૂનવાણી ઢબે જ ચાલી રહી હતી.

આ માળખાને પગલે દેશના પ્રામાણિક કરદાતાઓ સાથે હંમેશા અન્યાય થતો રહ્યો. જો કે આ પ્લેટફોર્મથી હવે પ્રામાણિક કરદાતાઓને ન્યાય મળી શકશે તેમ પીએમે વધુમાં જણાવ્યું હતું. મોદીએ લોકોને સમયસર કર ચૂકવવા માટે પણ જણાવ્યું હતું. જેમ કરદાતા સાથે સમ્માનપૂર્વક વ્યવહાર કરવો તે કરવેરા અધિકારીની જવાબદારી છે તેમ પોતાનો બાકી કર આપવો તે કરદાતાની જવાબદારીમાં આવે છે.

ભારતમાં વર્તમાન સમયે કોર્પોરેટ ટેક્સનો દર સૌથી ઓછો છે તેમ વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું.

ફેસલેસ ટેક્સ સ્ક્રૂટિની શું છે?

ફેસલેસ ટેક્સ સ્ક્રૂટિની વ્યવસ્થામાં કરદાતા કોણ છે તેમજ કરવેરા અધિકારી કોણ છે તેનો કોઈ અર્થ રહેતો નથી. જૂની વ્યવસ્થા હેઠળ શહેરમાં રહેલા આવકવેરા વિભાગ દ્વારા કરદાતાની તમામ તપાસ થતી હતી પરંતુ હવે કોઈપણ રાજ્ય અથવા શહેરના અધિકારી કોઈપણ સ્થળે તપાસ કરી શકે છે. કમ્પ્યૂટર મારફતે આ નક્કી થશે કે ક્યા ટેક્સ અધિકારીએ કોની સ્ક્રૂટિની કરવી. આ એસેસમેન્ટનો રિવ્યૂ ક્યા અધિકારી પાસે જશે તે પણ કોઈ જાણી શકશે નહીં. આનો સૌથી મોટો ફાયદો એ થશે કે આવકવેરા અધિકારીઓ સાથે પરિચય કેળવીને તેમને પ્રલોભનો આપનારા તત્વો હવે ફાવી નહીં શકે. આ વ્યવસ્થાને પગલે બિનજરૂરી કાયદાકીય ગૂંચવણથી પણ બચી શકાશે. જે લોકો ખોટા વિકલ્પો અપનાવતા હતા અને કરચોરી કરતા હતા તેમને આ વ્યવસ્થાથી મુશ્કેલી પડી શકે છે.

August 13, 2020
food_delivery.png
1min6330

ગુજરાત સરકારે આખરે મોડી રાત સુધી ફૂડ ડિલિવરી ચાલુ રાખવાની મંજૂરી આપતા રેસ્ટોરન્ટ્સને મોટી રાહત મળી છે. સોમવારે સીએમ વિજય રૂપાણી અને ગુજરાત હોટલ્સ એન્ડ રેસ્ટોરન્ટ્સ એસોસિએશન (HRA)ના પ્રતિનિધિઓ વચ્ચે થયેલી બેઠકમાં મોડી રાત સુધી ફૂડ ડિલિવરી ચાલુ રાખવાની મંજૂરી મળી ગઈ છે. આમ ખાવાના શોખીન ગુજરાતીઓ હવે મોડી રાત સુધી રેસ્ટોરન્ટ્સ અને હોટલ ફૂડના મજા માણી શકશે.

ગુજરાત HRAના પ્રેસિડન્ટ નરેન્દ્ર સોમાનીએ જણાવ્યું કે, લોકડાઉન બાદ બહાર ખાતા લોકોની સંખ્યામાં તીવ્ર ઘટાડો થયો છે, જોકે તાજેતરમાં ફૂટફોલ્સમાં નજીવો સુધારો થયો છે, એ પણ વીકેન્ડમાં. અમે આ મુદ્દે રજુઆત કરીને સરકારને 10 વાગ્યા બાદ પણ ફૂડ ડિલિવરીની મંજૂરી આપવા કહ્યું હતું જેથી કરીને આવક ચાલુ રહે. આ અંગે મુખ્યમંત્રીએ અમને સકારાત્મક પ્રતિસાદ આપ્યો અને જણાવ્યું કે, રેસ્ટોરાં રાત્રે 10 વાગ્યે પછી પણ ધંધો કરી શકશે.

રાજ્ય સરકારના સુત્રએ જણાવ્યું હતું કે, ‘એવી કોઈ માર્ગદર્શિકા નથી કે જે રાત્રે 10 વાગ્યા પછી રેસ્ટોરાંઓને ચાલુ રાખવા પર પ્રતિબંધ મૂકી શકે. જો રેસ્ટરન્ટો ઇચ્છતા હોય તો તેઓ મધ્યરાત્રિ પછી ધંધા માટે તેમના પરિસરને ખુલ્લા રાખી શકે છે.’ રાજ્ય સરકાર તરફથી મંજૂરી મળ્યા બાદ હવે આવા રેસ્ટોરાંને ઘણો ફાયદો થશે જેમના બિઝનેસને લોકડાઉનને કારણે ફટકો પડ્યો છે.

સિટી રેસ્ટોરન્ટસના પાર્ટનર દિલિપ ઠક્કરે કહ્યું કે, કેટલાક યુવાનો મોડી રાત સુધી ખાવાનો ઓર્ડર આપે છે. મોડા કામ કરનારા કેટલાંક આઇટી પ્રોફેશનલ્સ પણ મોડાથી ઓર્ડર માંગે છે. રેસ્ટોરન્ટસના અંદાજ મુજબ ડાઇન-ઇન્સમાં ઓછામાં ઓછા 60%નો ઘટાડો થયો છે. જોકે હવે ટેકઓવેને મંજૂરી અપાતા રેસ્ટોરન્ટના વ્યવસાયને બચાવવામાં મદદ મળશે.

August 12, 2020
CIA_Live_Logo_New2.jpg
1min8310

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

હાલ કોવીડ-19 પેન્ડેમિકની સ્થિતિમાં શાળાઓ ગત માર્ચ માસથી બંધ છે અને નવા શૈક્ષણિક વર્ષ 2021-22ના શૈક્ષણિક વર્ષના પ્રથમ સત્રનું શિક્ષણ કાર્ય સમગ્ર રાજ્ય અને દેશમાં ઓનલાઇન ચાલી રહ્યું છે. જ્યાં મોબાઇલ, ઇન્ટરનેટ નથી ત્યાં સરકારે ટેલિવિઝનથી બાળકોના ભણવાની વ્યવસ્થા કરી છે. દરમિયાન જુલાઇ 2020થી તો સરકારે ઓનલાઇન શિક્ષણ લઇ રહેલા પ્રાથમિક શાળાના બાળકોની સામાયિક પરીક્ષા યોજી હતી અને હવે સરકાર ઓનલાઇન શિક્ષણમાં પણ રેગ્યુલર પરીક્ષા લેવાના મૂડમાં જણાય રહી છે.

એક તરફ સુરત સમેત રાજ્યની હજારો ખાનગી શાળાઓના સંચાલકોએ સરકારની આ સામાયિક પરીક્ષાનો બહિષ્કાર કર્યો છે. તા.10મી સુધીમાં માર્કસ સરકારને અપલોડ કરવાના હતા એ પણ હજુ થયા નથી ત્યારે રાજ્ય સરકારે હવે દ્વિતીય સામાયિક પરીક્ષાની તારીખો જાહેર પણ કરી દીધી છે.

ધો.3થી 8માં પરીક્ષા 27 અને 28 ઓગસ્ટે લેવાશે

રાજ્ય સરકારે દ્વિતીય સામાયિક પરીક્ષાની તારીખ જાહેર કરતા પરિપત્રમાં જણાવ્યું છે કે ધો.3થી 5માં આ વખતે પર્યાવરણ અને ધો.6થી 8માં વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનની પરીક્ષા યોજવાની સૂચના આપી છે. તા.5મી સપ્ટેમ્બર 2020 સુધીમાં વાલીઓએ બાળકોની આન્સરશીટ શાળાને પહોંચતી કરવાની રહેશે.

દ્વિતીય સામયિક પરીક્ષાનો સરક્યુલર

August 12, 2020
CIA_Live_Logo_New2.jpg
1min13340

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

દાનવીર સુરતીઓએ વધુ એક વખત એ વાતની પ્રતીતી કરાવી છે કે આપવામાં તેમનો કોઇ જોટો જડે તેમ નથી. જોય ઓફ ગીવીંગ સુરતીઓને પામવો છે અને એટલે જ લોક સેવામાં રૂપિયા, સંપતિ, માનવ અંગો (ઓર્ગન ડોનેશન) અને હવે કોવીડ-19ના ક્રિટીકલ દર્દીઓ માટે પ્લાઝમા આપવામાં સુરતીઓ થોડા દિવસમાં જ ગુજરાતમાં અવ્વલ સ્થાને પહોંચ્યા છે એટલું જ નહીં પણ સમગ્ર ભારત અને વિશ્વ માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે.

કોરોનાના ક્રિટીકલ દર્દીઓની સારવાર માટે પ્લાઝમા થેરાપીનો વિકલ્પ

કોવીડ-19 માટે હજુ અસરકારક દવા કે વેક્સિન બની નથી. અનેક પદ્ધતિઓથી દુનિયાભરમાં, દેશમાં, રાજ્યમાં, સુરતમાં કોરોનાના દર્દીઓની સારવાર થઇ રહી છે. આ સારવાર પદ્ધતિમાં એક સારવાર પદ્ધતિ છે તેનું નામ પ્લાઝમા થેરાપી. પ્લાઝમા થેરાપીની સામાન્ય સમજ એ છે કે જે દર્દીઓ કોરોનામાંથી રિકવર થઇ ચૂક્યા છે, તેમના લોહીમાં કોરોના સામે લડવા માટેના એન્ટીબોડીઝ ડેવલપ થઇ ચૂક્યા હોય છે. આથી કોરોનાથી સાજા થયેલા દર્દીઓના લોહીમાં ખાસ તત્વ હોય છે જે કોરોનાને ફાઇટ આપી શકે છે. આ તત્વને પ્લાઝમા કહેવાય છે અને સાજા થયેલા દર્દીઓના પ્લાઝમા સાથે મેચ થતા કોરોનાના એક્ટીવ ક્રિટીકલ દર્દીઓને એ પ્લાઝમા આપીને તેમને નવજીવન આપી શકાય તેમ છે.

પ્લાઝમા ડોનેશનની હાકલ પડી ને દોડી ગયા સુરતીઓ

નિમ્નદર્શિત ચાર્ટમાં જોઇ શકાશે કે રાજ્યમાં સૌથી વધુ કેસો ધરાવતા બે મોટા શહેરોમાં કોવીડ-19ના કેસો વધુ હતા અને ત્યાં રિકવર દર્દીઓની સંખ્યા પણ વધુ હતી. અમદાવાદ અને સુરતમાં પ્લાઝમા ડોનેશનની તા.10મી ઓગસ્ટની સ્થિતિ એ બાબતને સ્વયંસ્પષ્ટ કરે છે કે પ્લાઝમા ડોનેશનમાં પણ સુરતીઓનો જોટો જડે તેમ નથી.

સુરતને જુલાઇ 2020ના પહેલા સપ્તાહમાં પ્લાઝમા ડોનેશન એકત્રીતક કરવાની મંજૂરી મળી અને બહુ ઓછા સમયમાં 35 દિવસના સમયગાળામાં 455 જેટલા સુરતીઓ કે જેઓ પોતે કોરોનામાંથી સાજા થયા હતા અને તેઓ પ્લાઝમા ડોનેટ કરવા માટે સ્વયંભુ ઉમટી પડ્યા. ફક્ત તેમને માહિતી આપવાની જરૂર હતી કે તમે પ્લાઝમા ડોનેટ કરીને કોઇકને નવજીવન આપી શકો. અમદાવાદમાં રાજ્યમાં સૌથી પહેલા પ્લાઝમા ડોનેશનની મંજૂરી મળી હતી. એપ્રિલ મહિનાના ત્રીજા સપ્તાહમાં અમદાવાદને પ્લાઝમા ડોનેશનની મંજૂરી મળી હતી. ત્યાં ગઇ તા.10મી સુધીમાં ફક્ત 232 કોરોના રિકવર્ડ પેશન્ટોએ તેમનું પ્લાઝમા દાન કર્યું. અમદાવાદમાં કોરોના રિકવર્ડ દર્દીઓની સંખ્યા પણ 21 હજાર ઉપરાંત છે. તેની સામે સુરતની સરખામણી કરીએ તો સુરતીઓએ પ્લાઝમા ડોનેશનમાં ફક્ત ગુજરાતમાં જ નહીં બલ્કે સમગ્ર દેશમાં ટકાવારીની દ્રષ્ટીએ સારામાં સારું ઉમદા કાર્ય કર્યું છે.

August 11, 2020
sputnikv.jpg
1min8940

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

તા.11મી ઓગસ્ટ 2020ના રોજ રશીયાના વડાપ્રધાન વાલ્દીમીર પુટીને વિશ્વની પહેલી કોરોના વેક્સિન રજિસ્ટર્ડ થયાના સમાચાર દુનિયાને આપ્યા. રશીયાની કોરોના વેક્સિન રસીના સમાચારો વિશ્વમાં વાયુવેગે પ્રસર્યા. પહેલી કોરોના રસીના આ સમાચારોમાં એક મહત્વની વાત એ પણ ઢંકાઇ ગઇ કે રશીયાએ વિશ્વની પહેલી રજિસ્ટર્ડ કોરોના વેક્સિનનું નામ પણ આપ્યું છે.

સ્પુટનિક-5 નામથી ઓળખાય છે રશીયાની રજિસ્ટર્ડ કોરોના વેક્સિન. કોરોના વેક્સિનને સ્પુટનિક-5 નામ આપવા પાછળ રશીયાએ પોતાની સ્પેશ સિદ્ધીનું અનુસંધાન ટાંક્યું છે. હકીકતમાં વિશ્વમાં સૌથી પહેલી વખત અંતરીક્ષમાં સેટેલાઇટ લોંચ કરવાનું શ્રેય પણ રશીયાના શિરે લખાયેલું છે. વિશ્વના પહેલા સેટેલાઇટનું નામ સ્પુટનિક રાખવામાં આવ્યું હતું. એ સિદ્ધિ વિશ્વના પહેલા સેટેલાઇટને લોંચ કરવાની હતી અને એ જ રીતે આજે દુનિયાભરના દેશોને કનડી રહેલા કોરોનાની પહેલી રજિસ્ટર્ડ વેક્સિનનું નામ પણ રશીયાએ સ્પુટનિક-5 રાખ્યું છે.

ક્લિનિકલ ટ્રાયલમાં 100% સફળતાનો દાવો

આ અગાઉ રશિયાએ કહ્યું હતું કે, તેની કોરોના વાયરસની વેક્સીન ક્લિનિકલ ટ્રાયલમાં 100% સફળ છે. આ વેક્સીનને રશિયન સંરક્ષણ મંત્રાલય અને ગમલેયા રાષ્ટ્રીય સંશોધન કેન્દ્ર દ્વારા તૈયાર કરવામાં આવી છે. રશિયાએ કહ્યું કે ક્લિનિકલ ટ્રાયલમાં આ કોરોના વેક્સીન મેળવનારા તમામ લોકોને SARS-CoV-2ની પ્રતિરોધક ક્ષમતા હોવાનું જણાયું છે.

આ ટ્રાયલ 42 દિવસ પહેલા શરૂ થયો હતો. તે સમયે, વોલેન્ટિયર્સનો મોસ્કોની બર્ડેન્કો લશ્કરી હોસ્પિટલમાં કોરોના વેક્સીન દ્વારા ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું. આ લોકો સોમવારે ફરીથી હોસ્પિટલમાં આવ્યા હતા અને સઘન તપાસ કરવામાં આવી હતી. આ સમય દરમિયાન જાણવા મળ્યું કે બધા લોકોમાં કોરોના વાયરસ સામે પ્રતિરોધક ક્ષમતા ઉભી થઈ છે. આ તપાસના પરિણામ બાદ સરકારે રશિયન વેક્સીનની પ્રશંસા કરી છે.

રશિયા બુધવારે તા.11 ઓગસ્ટ 2020ના રોજ પોતાની કોરોના વેક્સીન લોન્ચ કરી છે. સ્પુટનિક-5 દુનિયાની પહેલી રજિસ્ટર્ડ કોરોના વેક્સીન બની છે, પરંતુ, રશિયાના આ દાવા પર WHO સહિત સમગ્ર દુનિયાના ઘણા જાણકારોને શંકા કરી રહ્યા છે

વેક્સીન બનવામાં સામાન્ય રીતે વર્ષો કે દાયકાઓ લાગતા હોય છે. પરંતુ, દુનિયાભરમાં કોરોનાની ભયાનક મહામારીના કારણે તબીબી જગત ઉતાવળમાં છે, પરંતુ રશિયા આટલી જલદી લોન્ચ કરવાની સ્થિતિમાં આવી ગયું એ વાત ગળે ઉતરતી નથી.

આ વેક્સીનની ક્લિનિકલ ટ્રાયલ પૂરી થયાનો દાવો કરનારી ઈન્સ્ટિટ્યૂટે હજુ સુધી બીજા અને ત્રીજા તબક્કાની ટ્રાયલના આંકડા જાહેર કર્યા નથી. આ બંને ફેઝ નક્કી કરવામાં મહત્વની ભૂમિકા નિભાવે છે કે વેક્સીન કેટલી સુરક્ષિત અને સફળ છે. ડબલ્યુએચઓએ પણ કહ્યું કે, તેની પાસે રશિયાની વેક્સીનના માત્ર ફેઝ વનના આંકડા છે. ડબલ્યુએચઓએ રશિયાને આગ્રહ કર્યો છે કે તે બધા માપદંડોનું પાલન કરે.

August 11, 2020
corona-gujarat.jpg
1min6500

ભારતમાં કોરોના વાયરસના સંક્રમિત દર્દીઓની ભાળ મળ્યા પછી ગુજરાતે માર્ચ મહિનાના આરંભથી ચેપગ્રસ્ત શંકાસ્પદોને શોધવા માટે શરૂ કરેલા ટેસ્ટનો આંક તા.10મી ઓગસ્ટ 2020ના રોજ ૧૦ લાખને પાર થયો છે.

ગુજરાતના પડોશી રાજ્યોએ આ આંક દોઢ મહિના પહેલા પાર કરી દીધો છે. છેલ્લા ચોવીસ કલાકમાં ૨૯,૬૦૪ ટેસ્ટ કરાયા અને એમાંથી વધુ ૧૦૫૬ પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા હતા. આ સાથે કુલ ટેસ્ટનો આંક ૧૦,૧૭,૨૩૪ થયો છે જ્યારે કેસનો આંક ૭૨૧૨૦ સુધી પહોંચ્યો છે.

કોરોનાની સારવાર લઇને અત્યાર સુધીમાં નવા ૧૧૩૮ દર્દીઓ મળી કુલ ૫૫૨૭૬ ડિસ્ચાર્જ થયા છે એના પગલે રાજ્યનો રિવકરી રેટ ૭૬.૬૪ ટકા થયો છે. અલબત્ત, વધુ ૨૦ દર્દીઓના સારવાર દરમિયાન પાછલા ચોવીસ કલાકમાં મૃત્યુ થયા છે એનો કુલ આંક પણ ૨૬૭૪ સુધી પહોંચ્યો છે જે ૩.૯૬ ટકા સાથે સમગ્ર દેશમાં સૌથી વધારે છે.

તા.10મી ઓગસ્ટનો રિપોર્ટ

10મી ઓગસ્ટના ચોવીસ કલાકમાં સૌથી વધારે કેસ સુરતમાંથી નોંધાયા છે મહાનગરમાંથી ૧૭૬ અને ગ્રામ્યમાંથી નવા ૬૦ કેસ ઉમેરાતા કુલ ૨૩૬ કેસ થયા છે જ્યારે ૪-૪ દર્દીઓના મૃત્યુ પણ નોંધાયા છે. અમદાવાદમાં ૧૩૩ કેસ અને ગ્રામ્યમાંથી ૧૧ નવા કેસ મળી કુલ ૧૪૪ કેસ નોંધાયા છે જ્યારે વધુ ચાર દર્દીના કોવિડ સંક્રમણને લીધે મૃત્યુ થયાં છે. વડોદરા મહાનગરમાંથી નવા ૯૩ કેસ અને ગ્રામ્યમાંથી વધુ પંદર કેસ મળી ૧૦૮ કેસ થયા છે. મહાનગરના બે દર્દીઓના મૃત્યુ થયાનું સરકારે જાહેર કર્યું છે. ગાંધીનગર મહાનગરમાંથી નવા ૮ અને ગ્રામ્યમાંથી ૧૮ કેસ નવા ઉમેરાયા છે.

સૌરાષ્ટ્રના મહાનગરો અને એના જિલ્લામાં જોઇએ તો સૌથી વધુ રાજકોટમાંથી ૬૧ કેસ અને ગ્રામ્યમાંથી ૩૫ કેસ મળી કુલ ૯૬ કેસ થવા જાય છે. ગ્રામ્યના એક દર્દીનું મૃત્યુ થયું છે. આ જ રીત ભાવનગર શહેરમાંથી નવા ૩૦ દર્દી નોંધાયા છે અને એક દર્દીનું મૃત્યુ થયું છે. ગ્રામ્યમાંથી વધુ ૧૮ કેસ ઉમેરાયા છે. જામનગર શહેરમાંથી નવા ૩૦ કેસ અને ગ્રામ્યમાંથી એક જ કેસ ઉમેરાયો છે. જૂનાગઢ શહેરમાંથી ૨ અને ગ્રામ્યમાંથી ૧૬ મળી ૧૮ કેસ નવા નોંધાયા છે.

સૌરાષ્ટ્રમાં અન્ય જિલ્લાઓમાં સૌથી વધુ અમરેલી જિલ્લામાંથી ૪૨ કેસ વધુ ઉમેરાયા છે એટલું જ નહીં એક દર્દીનું મૃત્યુ પણ થયું છે. ગીર સોમનાથમાંથી નવા ૨૯ કેસ, મોરબી અને પોરબંદરમાંથી નવા ૨૫-૨૫ કેસ નોંધાયા છે. સુરેન્દ્રનગર જિલ્લામાંથી વધુ ૨૦ કેસ, દેવભૂમિ દ્વારકામાંથી ૫ અને બોટાદમાંથી ૩ નવા કેસ નોંધાયા છે. પોરબંદરના એક દર્દીનું કોવિડના લીધે મૃત્યુ થયું છે. કચ્છ જિલ્લામાંથી સતત નવા કેસ આવી રહ્યા છે અહીં વધુ ૩૨ કેસ ઉમેરાયા છે.

ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ મહેસાણા જિલ્લામાંથી ૧૯ કેસ નોંધાયા છે અને એક દર્દીનું મૃત્યુ થયું છે. પડોશી પાટણ જિલ્લામાંથી વધુ ૧૩, બનાસકાંઠા અને સાબરકાંઠામાંથી ૮-૮ કેસ, અરવલ્લીમાંથી એક જ કેસ નવો ઉમેરાયો છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાંથી ભરૂચ ૨૦, પંચમહાલ અને વલસાડમાંથી ૧૮-૧૮, ખેડા ૧૫, દાહોદ ૧૪, નર્મદા ૧૧, મહીસાગર અને નવસારીમાંથી ૯, છોટાઉદેપુર ૨, તાપી ૧ કેસ નોંધાયો છે.

આમ, હાલ રાજ્યમાં ૧૪૧૭૦ એક્ટિવ કેસ છે એમાંથી ૭૬ વેન્ટીલેટર ઉપર છે અને બાકીના ૧૪૦૯૪ સ્ટેબલ છે