ગુજરાતમાં ધોરણ 10 અને 12ની જેમ હવે ધોરણ 9-11ની શાળાઓ શરૂ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરી કે, 1 ફેબ્રુઆરીથી ધોરણ 9 અને 11નાં વર્ગો શરૂ કરવામાં આવશે. આ સાથે જ ધોરણ 9થી 12 સુધી ટયુશન કલાસ પણ શરૂ કરાશે. શાળા અને ટ્યૂશન ક્લાસીમાં તમામ SOPનું પાલન કરવાનું રહેશે.
ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરી છે કે રાજ્યમાં ધોરણ 9 અને 11ની શાળાઓ પહેલી ફેબ્રુઆરીથી શરુ કરાશે. તે ઉપરાંત કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે ધોરણ 9-12 ટ્યુશન ક્લાસીસ શરુ કરવાની મંજુરી પણ આપવામાં આવી છે. ધોરણ 9 અને 11ના વર્ગો શરૂ કરવા માટે 8 જાન્યુઆરીએ શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી SOPનું પાલન કરવાનું રહેશે.
જિલ્લા શિક્ષણ અધિકારીના પરિપત્રમા જણાવવામાં આવ્યું છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની કચેરીને મળેલી રજુઆતોને ધ્યાને લેતાં કોરોનાની પરિસ્થિતિમાં શૈક્ષણિક વર્ષ 2020-21માં ધોરણ 9થી 12માં પ્રવેશથી વંચિત રહી ગયેલા વિદ્યાર્થીઓને 31 જાન્યુઆરી સુધી સ્કૂલમાં પ્રવેશ આપી શકાશે. વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ મેળવવા માટેની આ છેલ્લી તક આપવામાં આવે છે.
રાજ્યમાં ધોરણ 9 અને 11ની સ્કૂલો પહેલી ફેબ્રુઆરીથી શરૂ થશે, ટ્યૂશન ક્લાસીસને પણ મળી મંજૂરી, તમામ SOPનું ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે
કમલેશ સેલર. એક મળવા જેવો માણસ. 1990ના દાયકાથી સુરતીઓએ જેને સતત લોકોની સેવા માટે તત્પર રહેતા જોયો હોય એવો સાચો લોક સેવક.
મિત્ર હોવાના નાતે અત્યંત નજીકથી લેખકે કમલેશ સેલરના વ્યક્તિત્વને જોયું જાણ્યું છે. 1995માં ભાજપામાંથી કોર્પોરેટર બન્યા, પાણી સમિતિના ચેરમેન બન્યા. સુરત શહેરના શાસકોમાં આગળ પડતું નામ બન્યા પણ એ નામનું તેમને ક્યારેય અભિમાન નહીં. કોઇપણ જાતના પદ કે પ્રશંસાની ઝંખના કર્યા વગર કોઇપણ વ્યક્તિ ભલેને એ અપરિચિત હોય પરંતુ સતત તેને કોઇપણ મુદ્દા પર મદદ કરવા માટે કમલેશ સેલર હંમેશા તત્પર રહે છે. એ કમલેશ સેલરની લિડરશીપ હેઠળ એક નહીં એવી અનેક સંસ્થાઓ છે જે આ જે વસંતમાં ખીલતા પુષ્પોની જેમ ખીલી ઉઠી છે.
રાંદેર પીપલ્સ બેંક હોય કે કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ, આ સંસ્થાઓનો વિકાસ જોઇને સુરતીઓ ખુશ થાય છે
રાંદેર પીપલ્સ બેંક, એક સમયે અત્યંત નાજુક પરિસ્થિતિમાંથી પસાર થઇ રહી હતી એ સમયે જ કમલેશ સેલરે તેનું નેતૃત્વ હાથમાં લીધું. અનેક તકડી છાંયડી, અનેક ટેકનિકલ, કાયદાકીય આંટીઘૂંટીમાંથી પસાર થઇને એ જ રાંદેર પીપલ્સ બેંકને આજે અપટુ ડેટ અને પ્રોફિટ મેકિંગ સાથે નેત્રદિપક કામગીરી.
એવી જ રીતે જહાંગીરપુરા તાપી કિનારે સ્થિત કુરુક્ષેત્ર સ્મશાનભૂમિ. અહીં પણ અપર્યાપ્ત માળખાગત સુવિધાઓ વચ્ચે રાંદેર અડાજણ આખા વિસ્તારમાં એક માત્ર સ્મશાનભૂમિ હતી. લોકોને અનેક અગવડો, અસુવિધાઓ થતી હતી. કમલેશ સેલરના નેતૃત્વમાં એક પછી એક કામો થતા ગયા આજે કુરુક્ષેત્ર સ્મશાનભૂમિ કે જ્યાં સામાન્ય સેવકોને કામ કરવાની પણ સૂગ આવે ત્યાં તેમણે કાબિલેતારીફ વિકાસ કામો કર્યા.
ડિઝાસ્ટર મેનેજમેન્ટ સમયે હંમેશા તેમની સેવાઓ જોવા મળી
શહેરમાં જ્યારે જ્યારે તાપી પૂર કે ખાડી પૂરનો વખત આવ્યો ત્યારે ત્યારે વહીવટીતંત્રોએ કમલેશ સેલરની સેવાઓ લીધી છે. સિમાડા વિસ્તારમાં ફરી વળેલા ખાડી પૂરના સમયે સૌથી પહેલા સ્થળ પર કમલેશ સેલરની ટીમ પહોંચીને બચાવ રાહતની કામગીરી શરૂ કરી દીધી હતી. એવી જ રીતે શહેરમાં 1998, 2002 અને 2006ની તાપી રેલ વખતે પણ કમલેશ સેલરની આગેવાની હેઠળ તેમની ટીમોએ સુરતને ઘણી મોટી જાનહાની અને નુકસાનીમાંથી બચાવવાની ભગીરથ કામગીરી કરી છે. કમલેશ સેલર માટે કહેવાય છે કે એ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કરતી બિનસરકારી વ્યક્તિ છે.
સ્પોર્ટસનો સૌથી મોટો સમર્થક
કમલેશ સેલર માટે કહેવાય છે કે તેઓ સ્પોર્ટસના સૌથી મોટા સમર્થક છે. ભાણકી સ્ટેડીયમને ડેવલપ કરવાની તીવ્ર માગ કમલેશ સેલરે વખતોવખત કરી છે. એથી વિશેષ સુરતમાં ફુટબોલ એસોસીએશનના સ્થાપકથી લઇને રાષ્ટ્રીયસ્તરની ટુર્નામેન્ટ પણ તેઓ યોજી ચૂક્યા છે.
આવી સંસ્થાઓના જો નામ લેવા જઇએ તો લાંબુ લિસ્ટ થાય કે જ્યાં કમલેશ સેલરે કોઇપણ જાતની ક્રેડિટ, પદ, પ્રતિષ્ઠા કે પ્રશંસાની પરવાહ કર્યા વગર ફક્તને ફક્ત કોઇને મદદરૂપ થવાનો સ્વભાવને અનુસરીને કામો કર્યા.
28 જાન્યુઆરીના રોજ ગુરુવાર અને પુષ્ય નક્ષત્રનો સંયોગ આવે છે. ગુરુ પુષ્ય સંયોગમાં કરવામાં આવતાં કાર્યોમાં સફળતા મળે છે. આ દિવસે કોઇપણ શુભ કામ શરૂ કરી શકાય છે. ગુરુ પુષ્ય યોગમાં કોઇપણ બિઝનેસ ડીલ કરવી ફાયદાકારક રહે છે.
જ્યોતિષશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે, આ યોગમાં શનિ અને ગુરુ બંનેનો શુભ પ્રભાવ હોય છે એટલે લાંબા સમય સુધી ફાયદો આપનાર કામ આ યોગમાં શરૂ કરવું જોઇએ. પ્રોપર્ટીને લગતાં કાર્યો અને રૂપિયાના રોકાણ માટે પણ આ યોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે.
પુનમના દિવસે પૂર્ણિમા તિથિના સ્વામી અને કર્ક રાશિના અધિષ્ઠાતા ચંદ્ર દેવતાનું પૂજન અર્ચન અને ધ્યાન વિશેષ માનસિક શાંતિમાં વધારો કરનારું રહેશે. ગુરૂવાર જે વિષ્ણુ ભગવાનની ઉપાસના માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે અને સાથે પુષ્ય નક્ષત્ર સ્વામી શનિ દેવતા છે. તેમજ આ દિવસે શાકંભરી નવરાત્રી સમાપ્ત થાય છે. અંબાજી પ્રાગટ્ય ઉત્સવ માઘ સ્નાન આરંભ અને ગોચરમાં વેપાર-વ્યવસાય બુદ્ધિ લેખન વાચનના કારક ગ્રહ બુધનું કુંભ રાશિમાં ભ્રમણ દરમિયાન જ્યારે વક્રી થવા જઈ રહ્યા છે ત્યારે તેની અશુભ અસર ઓછી કરવા માટે બુધ ગ્રહ દેવતાના મંત્ર જાપ અને તેને લગતી વસ્તુઓનું દાન પણ ઉત્તમ રહેશે. શ્રી વિષ્ણુની ઉપાસના વિષ્ણુ સહસ્ત્ર નામાવલી સ્તોત્રના પાઠ સત્યનારાયણ ભગવાનની કથા, શ્રી સુક્ત, પુરુષ સૂક્તના પાઠ કરવાથી જીવનમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થશે. આ ઉપરાંત દુર્ગા સપ્તશતીના પાઠ અને માતા અંબાજીની ઊપાસના કરવા માટે અને ખરીદી કરવા માટેનો શ્રેષ્ઠ દિવસ રહેશે. લીલોતરી અને હરિયાળી શાકભાજીની અધિષ્ઠાત્રી દેવી શાકંભરી હોવાથી તેમની ઉપાસના અને દર્શનથી પ્રસન્નતામાં વધારો થશે.
આ દિવસે શક્ય હોય તેટલા ચંદ્રગ્રહના જપ, મહામૃત્યુંજય મંત્રના જાપ કરવાથી તેમ જ ઓમ નમઃ શિવાયનો મંત્ર જાપ વિશેષ હિતકારી બની રહેશે. હાલમાં શિયાળાની કડકડતી ઠંડીમાં ગરમ વસ્ત્રોનું દાન તેમ જ ઔષધીઓનું દાન ખૂબ જ ફળદાયી નીવડશે. પૂનમે માતાજીની ઉપાસના કરવાથી જીવનમાં વિશેષ ફળપ્રાપ્તિ થાય છે. તેમ જ દિવસ દરમિયાન એક વાર માતાજીના દર્શન કરવા જોઈએ.
દિલ્હી પોલીસે તા.26મી જાન્યુઆરીને પ્રજાસત્તાક પર્વે દેશની રાજધાનીમાં ટ્રેક્ટર પરેડની આડમાં આતંક મચાવનારા ખેડૂતો સામે અલગ-અલગ 15 FIR નોંધી છે. આ ફરીયાદોમાં ગંભીર પ્રકારની કલમો જેમકે બળવો કરવો સહિત તોડફોડ અને પોલીસની પિસ્તોલ ઝૂંટવી લેવા જેવા કેસ નોંધાયા છે.
પ્રજાસત્તાક દિવસ પર ટ્રેક્ટર પરેડ કાઢી રહેલા ખેડૂતોએ દિલ્હીને આતંકિત કરી દીધું હતું. પોલીસ પર ટ્રેક્ટર ચઢાવવાની કોશિશો પણ થઈ હતી, આ સિવાય બસો અને વાહનોમાં તોડફોડ અને પત્થરમારો કરીને લાલ કિલ્લા પર પોતાનો ઝંડો લગાવી દીધો હતો. લાલ કિલ્લા પાસે ઘણાં પોલીસ જવાનોએ દિવાલ કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો.
આ પહેલા ત્રણ ખેતી બિલનો વિરોધ કરીને હજારો ખેડૂતોએ પોલીસના બેરિકેટ્સ તોડી નાખ્યા હતા અને તેમની સાથે ઝપાઝપી કરી હતી. પ્રદર્શનકારીઓએ તોડફોડ અને લાલ કિલ્લા પર ધાર્મિક ઝંડો ફરકાવ્યો હતો. જાણકારી મુજબ હિંસામાં 150 કરતા વધારે પોલીસકર્મી ઘાયલ થયા છે. બીજી તરફ આઈટીઓમાં એક પ્રદર્શનકારીનું ટ્રેક્ટર પલ્ટી જવાથી તેનું મોત થઈ ગયું.
દિલ્હી પોલીસે પોતાના નિવેદનમાં જણાવ્યું કે ખેડૂતો દ્વારા પ્રજાસત્તાક દિવસ પર ખેડૂત ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટ્રેક્ટર રેલીને લઈને દિલ્હી પોલીસ અને ખેડૂતોની ઘણી બેઠકો થઈ હતી. નિવેદન મુજબ સવારે 8-30 વાગ્યે 6 હજારથી 7 હજાર ટ્રેક્ટર સિંઘુ સરહદ પર એકત્રિત થયા. આ પહેલા નિર્ધારિત રસ્તાઓ પર ગયા પછી તેમણે મધ્ય દિલ્હી તરફ જવા પર ભાર મુક્યો હતો.
ભારતીય જનતા પાર્ટી, સુરત મહાનગરના મહામંત્રી જેવી પોસ્ટ પરથી ગણતરીના દિવસોમાં જ રાજીનામું આપીને ગુજરાત ભાજપામાં ખળભળાટ મચાવનાર લલીત વેકરીયાના મુદ્દે ભાજપા પરિવારમાં પ્રશ્નોનું ઘમાસાણ સર્જી દીધું છે. જે પોસ્ટ પર રહીને લલીત વેકરીયા અનેક લોકોને ટિકીટ અપાવી શકે તેમ હતા, આમ છતાં તેમણે રાજીનામુ આપીને પોતાના માટે ટિકીટ માગી લીધી. ભાજપાના સામાન્ય કાર્યકરોના પણ ગળે ઉતરે એવી વાત નથી કે કોઇ વ્યક્તિ સુરત ભાજપાના મહામંત્રીનું પદ કોર્પોરેટર બનવા માટે છોડી દે. હવે ભાજપા મોવડીમંડળ આ અઘરો દાખલો કેવી રીતે ગણે છે એ આગામી દસેક દિવસમાં જોવા મળશે. પણ જે પ્રશ્નો સર્જાયા છે એ હાલ તુરત તો અનુત્તર છે.
ભૂમિકા અને જવાબદારી ભાજપા (સંસ્થા) નક્કી કરે કે નેતા ખુદ?
સંગઠનનું કામ એટલે પાર્ટીને મજબૂત બનાવવાનું કામ, એ છોડીને ચૂંટણી લડીને લોકલ સેલ્ફ ગવર્નમેન્ટમાં સત્તા મેળવવાનો માર્ગ કેમ?
શું લલીત વેકરીયાને ટિકીટ આપવાનું ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા પૂરી થાય એ પહેલાથી જ ફાઇનલ છે?
એક વ્યક્તિ એક હોદ્દો નીતિની જાહેરાત સી.આર. પાટીલે કર્યા બાદ લલીત વેકરીયાએ સુરત ભાજપાનું મહામંત્રી પદ કેમ સ્વીકાર્યું?
લલીત વેકરીયાને ટિકીટ અપાય તો ભાજપાને ફાયદો કે નુકસાન ?
લલીત વેકરીયાને ટિકીટ નહીં મળે તો શું ?
આવા અનેક પ્રશ્નો અનુત્તર રહ્યા છે જેના જવાબો આગામી દિવસોમાં આપમેળે મળતા થઇ જશે. હકીકતમાં ભાજપાના મોવડીઓ ભલે લલીત વેકરીયાના રાજીનામાના અનુસંધાને સી.આર. પાટીલના એક વ્યક્તિ એક હોદ્દાના સુત્રનો દાખલો ટાંકતા હોય પરંતુ, અંદરખાને મામલો સમસમીને બેસી રહેવા જેવો થયો છે. લલીત વેકરીયાને જો પ્રોત્સાહન મળે તો આગામી દિવસોમાં પાર્ટીનું સંગઠનનું કામ છોડીને અનેક નેતાઓ સત્તાના માર્ગે ચાલવાનો રસ્તો અખત્યાર કરતા થઇ જશે. હકીકત પણ એ જ છે કે સંગઠનનું કામ એટલે દેશીભાષામાં કહીએ તો મજૂરીનું કામ, પદડા પાછળ રહીને પાર્ટીને મજબૂત બનાવવાનું કામ જ્યારે ચૂંટણી લડીને કોઇ પોસ્ટ મળે તો એ ફ્રન્ટસ્ટેજ લાઇમલાઇટનું કામ ગણાય છે. ભાજપામાં એક નીતિ ચાલી આવે છે અને એ જે તે કાર્યકર કે નેતાની ભૂમિકા અને જવાબદારી આપવાનું કામ પાર્ટી કરતી હોય છે નેતા નહીં.
સુરત સમેત ગુજરાતભરમાં ભાજપા કેમ્પમાં હાલ અત્યંત વાઇબ્રન્ટ માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને અનુલક્ષીને ભાજપામાં હાલ ચાલી રહેલી ઉમેદવારોના સેન્સ લેવાની કાર્યવાહીમાં યંગ અને ટેક્નોક્રેટ્સની સાથે એક સમયથી હાંસિયામાં ધકેલી દેવાયેલા સિનિયર નેતાઓમાં પણ રિ-એન્ટ્રીનો થનગનાટ જોવા મળી રહ્યો છે. સી.આર. પાટીલ પ્રદેશ પ્રમુખ બન્યા બાદ જે રીતે સંગઠનમાં તેમણે નિમણૂંકો કરી-કરાવી એ જોતા હવે કોરાણે મૂકી દેવાયેલા નેતાઓ, પૂર્વ કોર્પોરેટરો, પૂર્વ ધારાસભ્યોમાં પણ આશા જાગી છે કે તેઓ ફરીથી પાર્ટી પોલિટિક્સ કે ચૂંટણીની ટિકીટ સુધી પહોંચી શકે તેમ છે.
એક તસ્વીર ભાજપાનું ઇન્ટર્નલ પોલિટિક્સ બદલી શકે
તાજેતરમાં ભાવનગરની મુલાકાત સમયે ભાજપાના પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર. પાટીલે ભાજપાના સિનિયર મોસ્ટ નેતા અને હાલમાં અલ્પ સક્રિય નેતા પૂર્વ પ્રદેશ પ્રમુખ શ્રી રાજેન્દ્રસિંહ રાણાને જાહેર સમારોહના મંચ પર પગે લાગીને તેમને સન્માન અર્પણ કર્યું હતું. આ એક તસ્વીર ભાજપામાં ઇન્ટર્નલ પોલિટિક્સ બદલાય રહ્યાની અનુભૂતિ કરાવી રહી છે. CiA Live
CR પાટીલના આવ્યા પછી અનેક નેતાઓને લિફ્ટ મળી
સુરત શહેર ભાજપાના સંગઠનની રચનામાં અનેક એવા નેતાઓને સ્થાન આપવામાં આવ્યા છે કે જેમને અગાઉના શહેર પ્રમુખોના શાસનમાં કોઇ જ જવાબદારી કે કામગીરી નહીં આપીને સાવ નિષ્ક્રિય બનાવી દેવાયા હતા. આ નેતાઓને સંગઠનમાં મહત્વના હોદ્દાઓ કે જવાબદારીઓ આપવાની નીતિ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે અપનાવી અને તેના આધારે જ સિનિયર મોસ્ટ, પૂર્વ પદાધિકારીઓ, પૂર્વ હોદ્દેદારો, પૂર્વ કોર્પોરેટરો વગેરેમાં ફરીથી મેઇન સ્ટ્રીમમાં આવવાની આશા જાગી છે. હાલમાં એવા અનેક સિનિયર નેતાઓને જુદી જુદી કામગીરીઓ, જવાબદારીઓ આપીને ભાજપાના સંગઠન લેવલ પર મેઇન સ્ટ્રીમમાં જોતરી દેવાયા છે અને તેની સીધી અસર ભાજપામાં સાવ નિષ્ક્રિય થઇ ગયેલા કે કરી દેવાયેલા નેતાઓ હવે ફરીથી ભાજપાની ઇન્ટર્નલ રાજનીતિમાં સક્રિય થયેલા જોવા મળી રહ્યા છે. જેનો અલ્ટીમેટ બેનિફિટ તો ભાજપાને જ મળી રહ્યો છે.
સુરત શહેર-જિલ્લાથી લઇને ગુજરાત પ્રદેશ ભાજપાના સંગઠનના નવનિર્મિત માળખામાં અનેક એવા ચહેરાઓને સ્થાન મળ્યા છે, જેમને અગાઉના સમયમાં યેનકેન પ્રકારે કામગીરી વિહોણા કરીને કોરાણે બેસાડી દેવામાં આવ્યા હતા. આ ટ્રેન્ડને પગલે ભાજપાને સિનિયર મોસ્ટ નેતાઓનો બહોળો અનુભવ મળે તેમ છે.
સુરત સંગઠનમાં અનેકની રિ-એન્ટ્રીથી આશા જાગી
હાલ ચાલી રહેલી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોના સેન્સ લેવાની પ્રક્રિયામાં 1995ની ટર્મમાં, 2000ની ટર્મમાં, 2005ની ટર્મમાં કોર્પોરેટર રહ્યા બાદ સાવ હાંસિયામાં ધકેલાય ગયેલા અનેક નેતાઓએ ફરીથી ટિકીટ માટે દાવો કર્યો છે. પૂર્વ કોર્પોરેટરોની સાથે અગાઉ ભાજપામાં જે પ્રકારનું ગ્રુપીઝમ હતું અને એ ગ્રુપીઝમને કારણે હાંસિયામાં ધકેલાય ગયેલા નેતાઓ ફરીથી સક્રિય થયા છે. આવા અનેક નામો અહીં લઇ શકાય પરંતુ, કેટલીક મર્યાદાઓને કારણે એમને અહીં લખી શકાય તેમ નથી.
ભાજપા પ્રદેશ હાઇકમાન્ડ દ્વારા સુરત મહાનગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને દાવેદારોને સાંભળવા માટે નિયુક્ત કરવામાં આવેલા નિરીક્ષકો ડો.ઋુત્વિજ પટેલ (પ્રદેશ પ્રમુખ યુવા મોરચો) , શ્રી દુષ્યંતભાઇ પટેલ (પ્રદેશ સહકોષાધ્યક્ષ) અને શ્રીમતી ભાવનાબેન દવે (પ્રદેશ મંત્રી, મહિલા મોરચો)એ સાંભળ્યા હતા. (CiA Live)
અન્ડર-50 વયના સેંકડોની દાવેદારી
મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે ઉમેદવારી અંગેનો સેન્સ લેવાની હાલ ભાજપામાં હાથ ધરાઇ રહેલી પ્રક્રિયામાં ઉડીને આંખે વળગે એવી બાબત એ પણ જોવા જાણવા મળી રહી છે કે 50 વર્ષથી ઓછી વયના (રાજનીતિમાં યુવા નેતાગીરી કહેવાય) સેંકડો નેતાઓએ જુદા જુદા વોર્ડમાંથી દાવેદારી કરી છે. ભાજપા માટે આ એક પોઝિટીવ સાઇન છે.
સિટીંગ ધારાસભ્ય કે સાંસદોના લેબલ વગર ટિકીટ માટે દાવો કરવાનો ટ્રેન્ડ
ભાજપામાં હાલ ચાલી રહેલા ઉમેદવારોની દાવેદારી અંગેની કાર્યવાહીમાં એક ટ્રેન્ડ એવો પણ જોવા મળ્યો છે કે અત્યાર સુધી સિટીંગ ધારાસભ્યો કે સાંસદોનું પીઠબળ હોવાની બાબતને નિરીક્ષકો સમક્ષ દાવેદારો રજૂ કરી રહ્યા હતા. પરંતુ, આ વખતે સી.આર. પાટીલની રાજનીતિની ફળશ્રુતિ કહો કે બદલાવ કહો પણ ઉમેદવારો સ્વતંત્ર રીતે અને પોતાના જ્ઞાતિ-સમાજ સંગઠનના જોરે અને કેટલાક તો સોશ્યલ મિડીયા પ્રેઝન્સને જ પોતાની ક્રેડિટ ગણાવીને ટિકીટ માટે દાવો કરી રહ્યા છે.
ભાજપા પ્રદેશ હાઇકમાન્ડ દ્વારા સુરત મહાનગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને દાવેદારોને સાંભળવા માટે નિયુક્ત કરવામાં આવેલા નિરીક્ષકો શ્રી છત્રસિંહ મોરી ( પૂર્વ ધારાસભ્ય), શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ (ધારાસભ્ય) તેમજ શ્રીમતી ઉષાબેન પટેલ (પૂર્વ ધારાસભ્ય)એ વોર્ડ નં.21માં દાવેદારોને સાંભળ્યા હતા. CiA Live
શક્તિ પ્રદર્શનને મંજૂરી નહીં
મહાનગરપાલિકાની ચૂંટણીમાં દાવેદારોને સાંભળવાની પ્રક્રિયામાં આ વખતે એક બાબત એ પણ જોવા મળી રહી છે કે કોરોના કહો કે સી.આર. પાટીલનો ધાક કહો પણ શક્તિ પ્રદર્શન કરવાથી દાવાદારો બચી રહ્યા છે. ભાજપામાં હાલ એક હવા એવી પણ છે કે શક્તિ પ્રદર્શન કરીને ટિકીટ માગનારાને સાવ જ કોરાણે બેસાડી દેવામાં આવે તેમ છે. પરીણામે મોટા ટોળા, સૂત્રોચ્ચાર કે રેલી કાઢીને ઉગ્ર રજૂઆતો કરવાનો અગાઉ જોવાયેલો ટ્રેન્ડ આ વખતે બિલકુલ જોવા મળતો નથી. ઉમેદવારો એકલ-દોકલ કે વધુમાં વધુ પાંચેક સમર્થકો સાથે જઇને પોતાની દાવેદારી રજૂ કરી રહ્યા છે.
નગરપાલિકા અને પંચાયતો માટે 28 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે
ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કામાં મહાનગરપાલિકા અને બીજા તબક્કામાં નગરપાલિકા અને પંચાયતોની ચૂંટણી યોજાશે.
છ મહાનગરપાલિકાઓ માટે 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને 23મી ફેબ્રુઆરીએ મતગણતરી કરવામાં આવશે.
31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતો તથા 81 નગરપાલિકાઓ માટે 28 ફેબ્રુઆરીએ મતદાન થશે જેની મતગણતરી બીજી માર્ચે કરવામાં આવશે.
ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ દ્વારા તમામ જિલ્લા કલેક્ટરો સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા એક સમીક્ષા બેઠક યોજાઈ હતી જેમાં કોરોનાકાળ વચ્ચે ચૂંટણી યોજાવાની હોવાથી મતદાન મથકોએ ચૂંટણી સ્ટાફ તથા પોલીસને ફેસશિલ્ડ, સેનિટાઈજર તથા માસ્ક પૂરા પાડવામાં આવશે.
મતદાન મથકોએ પણ મતદારો માટે સેનિટાઈઝરની વ્યવસ્થા કરવામાં આવશે. કોરોનાનો ચેપ ન ફેલાય તેની તકેદારીના ભાગ રૂપે માસ્ક અને સેનિટાઈઝર જેવી વ્યવસ્થા પર વધારે ભાર મૂકવામાં આવ્યો હતો.
અમેરિકાના નવનિયુક્ત રાષ્ટ્રપતિ જો બાયડન અંતે દેશની સત્તા સંભાળવાથી માત્ર એક દિવસ દૂર છે. 20મી જાન્યુઆરી એટલે કે, બુધવારે દેશની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં 46મા રાષ્ટ્રપતિપદે શપથગ્રહણ કરશે. આ સાથે જ દેશની પહેલી મહિલા અને અશ્વેત ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ પણ શપથ લેશે. દરમ્યાન, શપથથી પહેલાં અમેરિકામાં’ હાઇએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વોશિંગ્ટન ડીસીમાં 25,000 જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, બાયડને પોતાની સરકારમાં મહત્ત્વનાં પદો પર 13 મહિલાઓ સહિત ઓછામાં ઓછા 20 ભારતીય મૂળનાં અમેરિકીઓનું નામાંકન કર્યું છે.
રાષ્ટ્રપતિનો શપથ સમારોહ અમેરિકામાં દર વર્ષે ચર્ચામાં હોય છે, પરંતુ આ વર્ષે સમગ્ર દુનિયાની નજર અનેક કારણોસર તેનાં પર ટકેલી છે. અમેરિકામાં રાષ્ટ્રપતિપદના શપથ સમારોહને ‘ઇનેગ્યુરેશન’ કહેવાય છે, જે વોશિંગ્ટન સ્થિત સંસદની ‘યુએસ કેપિટલ’ ઇમારતમાં આયોજિત કરવામાં આવે છે, આ વર્ષની થીમ છે ‘અમેરિકા યુનાઇટેડ’. આ વર્ષની શરૂઆતમાં જ 6ઠ્ઠી જાન્યુઆરીનાં સંસદની ઇમારત હિંસાનો શિકાર બની હતી, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ સંસદ પર ચડાઇ કરી હતી. જેના જવાબદાર માનવામાં આવતા ટ્રમ્પની સામે મહાભિયોગ પણ લાવવામાં આવ્યો હતો.
કડક સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે યોજાનારા આ સમારોહમાં અપેક્ષા મુજબ ઓછા લોકો પહોંચશે. જો કે, તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. 20મી જાન્યુઆરીના કાર્યક્રમ મુજબ, શપથ સમારોહ રાષ્ટ્રગીતની સાથે સવારે 11 વાગ્યાને 30 મિનિટે (ભારતીય સમય મુજબ રાત્રે 10 વાગ્યે) શરૂ થશે. એ પછી બપોરથી પહેલાં જ કમલા હેરિસ ઉપ રાષ્ટ્રપતિ પદનાં શપથ લેશે. કમલા હેરિસને સુપ્રીમ કોર્ટનાં ન્યાયાધીશ સોનિયા ઓટોમેયર પદની શપથ અપાવશે. એ પછી નવનિયુક્ત રાષ્ટ્રપતિ જો બાયડન અમેરિકાના 46મા રાષ્ટ્રપતિ પદનારૂપમાં શપથ લેશે, પરંપરા મુજબ, સુપ્રીમના મુખ્ય ન્યાયાધીશ જોન રોબર્ટસ બાયડનને શપથ અપાવશે. એબીસી, સીબીએસ, સીએનએન સહિતની ચેનલો પ્રસારણ કરશે.
પ્રજાસત્તાક દિન ૨૬મી જાન્યુઆરી-૨૦૨૧ની રાજ્યકક્ષાની ઉજવણીનું આયોજન દાહોદ જિલ્લાના વડામથક ખાતે કરાયું છે. અહીં મુખ્યમંત્રી વિજય રૂપાણી ધ્વજવંદન કરાવશે. વિધાનસભાના અધ્યક્ષ ખેડા જિલ્લામાં ધ્વજવંદન કરશે અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ વડોદરા ખાતે ધ્વજવંદન કરશે.
દાહોદ ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી
વડોદરા ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ
આર સી ફળદુ સુરેન્દ્રનગરમાં,
ભુપેન્દ્રસિંહ ચુડાસમા રાજકોટમાં,
સૌરભ પટેલ અમદાવાદમાં,
કૌશિક પટેલ ગાંધીનગરમાં,
ગણપત વસાવા સુરતમાં,
જયેશ રાદડીયા કચ્છમાં,
ઈશ્ર્વર પરમાર નવસારીમાં,
કુંવરજી બાવળીયા ભાવનગરમાં અને
જવાહર ચાવડા ગીરસોમનાથ ખાતે ધ્વજવંદન કરશે.
જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી રૂપાણી મંત્રીમંડળના રાજ્યકક્ષાના મંત્રીઓ વિવિધ જિલ્લામાં કરશે. જેમાં
પ્રદીપસિંહ જાડેજા પંચમહાલ,
બચુ ખાબડ છોટાઉદેપુર,
જયદ્રથસિંહ પરમાર આણંદ,
ઈશ્ર્વરસિંહ પટેલ વલસાડ,
વાસણ આહીર પાટણ,
વિભાવરીબેન દવે મહેસાણા,
રમણ પાટકર અરવલ્લી,
કિશોર કાનાણી ભરૂચ,
યોગેશ પટેલ તાપી અને
ધર્મેન્દ્રસિંહ જાડેજા અમરેલી ખાતે ધ્વજવંદન કરશે.
રાજ્યના ૧૦ જિલ્લામાં કલેક્ટરના હસ્તે ધ્વજવંદન થશે.
જેમાં મોરબી, મહીસાગર, જૂનાગઢ, બનાસકાંઠા, દેવભૂમિદ્વારકા, પોરબંદર, નર્મદા, સાબરકાંઠા, બોટાદ અને ડાંગ જિલ્લામાં ત્યાંના કલેક્ટર ધ્વજવંદન કરશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બ્રિસબેનમાં બોર્ડર-ગાવસ્કર સીરિઝની ચોથી ટેસ્ટ રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાએ ચોથા દિવસે બીજી ઈનિંગ્સમાં 75.5 ઓવરમાં 294 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ છે. મેજબાન ટીમને પહેલી ઈનિંગ્સમાંથી પણ 33 રનની લીડ મળી હતી. આ સાથે જ ભારતીય ટીમને ચોથી ટેસ્ટ મેચ જીતવા માટે 328 રનનો ટાર્ગેટ મળ્યો છે. હાલમાં બંને ટીમો સીરિઝમાં 1-1 મેચ જીતીને બરાબરી પર છે. એવામાં જો ભારતીય ટીમ આ ટાર્ગેટને હાંસેલ કરી લે છે તો ઓસ્ટ્રેલિયાના ગઢમાં તેની સૌથી મોટી હાર ગણાશે. ઓસ્ટ્રેલિયા આ મેદાન પર 1988થી અજેય રહી છે. એવામાં હવે રહાણે એન્ડ ટીમ પર મેચ જીતીને શ્રેણીમાં 2-1થી જીત મેળવવાનું લક્ષ્ય હશે.
ઓસ્ટ્રેલિયા માટે બીજી ઈનિંગ્સમાં સ્ટીવન સ્મિથે 55 રનનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. જે બાદ ડેવિડ વોર્નર સૌથી વધુ 48 રન, માર્કસ હેરિસે 38, કેમરોન ગ્રીને, 37, કેપ્ટન ટીમ પેઈને 27 તથા માર્નસ લબુશાનેએ 25 રનનું યોગદાન આપ્યું હતું.
ભારતીય બોલિંગ આક્રમણની વાત કરીએ તો મેચમાં મોહમ્મદ સિરાજે 19.5 ઓવરમાં 73 રન આપીને 5 વિકેટો ઝડપી હતી. જ્યારે શાર્દુલ ઠાકુરે 19 ઓવરમાં 61 રન આપીને 4 વિકેટો લીધી હતી. વોશિંગ્ટન સુંદરને પણ 1 વિકેટ મળી હતી. સમગ્ર મેચ દરમિયાન ભારતીય બોલર્સે શાનદાર પ્રદર્શન કર્યું હતું.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.