ભારતીય ટીમ આજરોજ તા.૨૦મી માર્ચને શનિવારે અમદાવાદમાં ઇંગ્લેન્ડ સામે અંતિમ T-20 મેચ સાથે આગામી વર્લ્ડ કપ T-20 પહેલાની અંતિમ મેચ પણ ભારત રમશે. હાલ પાંચ મેચની શૃંખલા 2-2ની બરાબરી પર ચાલી રહી છે. દુનિયાના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષકોની ગેરહાજરીમાં મેચ શનિવારે સાંજે 7-00 વાગ્યાથી શરૂ થશે.
ટીમ ઇન્ડિયા શ્રેણી જીતીને આગામી ટી-20 વર્લ્ડ કપનો વિજયી મંચ તૈયાર કરવા અને તેની તરફ મજબૂત રીતે આગેકૂચ કરવાનું’ લક્ષ્ય રાખે છે. ભારતીય ટીમે આ શ્રેણી દરમિયામ નીડર અને સાહસિક રવૈયો અપનાવ્યો છે. પાંચમા મેચનું પરિણામ જે પણ હોય, પણ વિશ્વ કપની તૈયારી સાચી દીશામાં આગળ વધી રહી છે તેવું કહી શકાય. શ્રેણી દરમિયાન કોહલીની ટીમને ઇશાન કિશન અને સૂર્યકુમાર યાદવના રૂપમાં બે હુકમના એક્કા મળી ગયા છે. જો કે આ શ્રેણીમાં રોહિત અને રાહુલ જેવા અનુભવી ખેલાડીઓના નબળા પ્રદર્શનથી ટીમની ચિંતા જરૂર વધી છે.
બીજી તરફ ઇંગ્લેન્ડની ટીમ જે પાછલા ત્રણ વર્ષથી એક પણ ટી-20 શ્રેણી હારી નથી. તે પણ વર્લ્ડ કપને ધ્યાને રાખીને આગળ વધી રહી છે. તેનો ઇરાદો આખરી મેચમાં આક્રમક બેટિંગ અને ઝડપી બોલિંગ આક્રમણથી ટીમ ઇન્ડિયાની ભીંસમાં લેવાનો રહેશે. ઇંગ્લેન્ડના બે ઝડપી બોલર આર્ચર અને વૂડ શાનદાર ફોર્મમાં છે. જે નિર્ણાયક ટી-20 મેચમાં ભારતીય બેટધરો પર ભારે પડી શકે છે. જો કે તેને ક્રિસ જોર્ડન તરફથી પૂરતો સહયોગ મળી રહ્યો નથી. બેટિંગમાં બટલર અને મલાનમાં નિરંતરતાનો અભાવ ઇંગ્લેન્ડ માટે વર્લ્ડ કપ પહેલા રેડ સિગ્નલ જેવો છે.
ભારતીય ટીમની તેના સ્ટાર બેટસમેન રોહિત શર્મા પાસેથી એક સારી ઇનિંગની આશા રહેશે. કેએલ રાહુલને વિશ્રામ મળી શકે છે. તે સતત નિષ્ફળ રહ્યો છે. તેના સ્થાને યુવા ઇશન કિશનની વાપસી શકય છે. ઓલરાઉન્ડરના રૂપમાં હાર્દિકે પાછલા મેચમાં અસરકારક બોલિંગ પ્રદર્શન કર્યું છે, પણ તે હજુ ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં જેવો બેટિંગ ફોર્મમાં હતો તેવો આ શ્રેણીમાં હજુ સુધી જોવા મળ્યો નથી. નિર્ણાયક મેચમાં ટીમ મેનેજમેન્ટ અનુભવી શિખર ધવન પર ભરોસો મુકે છે કે નહીં તે પણ જોવું રહ્યંy. તે પહેલા મેચ પછીથી ઇલેવનની બહાર છે.
ઇંગ્લેન્ડે અંતિમ ટી-20 શ્રેણી જુલાઇ 2018માં ભારત સામે જ ગુમાવી હતી. આ પછીથી પાછલી 8 સિરીઝમાં ઇંગ્લેન્ડે સાત જીતી છે અને એક ડ્રો રહી છે. ઇંગ્લેન્ડ હવે ભારતને તેની સરજમીં પર ટી-20માં હાર આપવા માંગે છે. ટીમના કેપ્ટન મોર્ગને કહ્યંy છે કે અમે દબાણભર્યા મેચ રમવા માંગીએ છીએ. જેથી વિશ્વ કપની તૈયારી થઇ શકે. વિદેશી ધરતી પર ટી-20 શ્રેણી જીતવી શાનદાર બની રહેશે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં 18 ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમાયા છે. જેમાં બન્ને બળિયા બરાબરી પર છે. ભારત અને ઇંગ્લેન્ડ બન્નેના નામે 9-9 જીત છે. ભારતની ધરતી પર બન્ને વચ્ચે 10 ટી-20 ટક્કર થઇ છે. જેમાં પણ બન્ને પ-પ વિજય સાથે સમતોલ છે.














