
સુરતમાં બહું જૂજ એવા મંડળો બચ્યા હશે કે જેઓ વર્ષોથી નહીં પણ દાયકાઓથી પરંપરાગત રીતે આજે પણ ગણેશોત્સવનું રસ્મોરિવાજથી આયોજન કરતા હોય છે. આવા જ એક મંડળનું નામ છે ગોપીપુરા મોઢેશ્વર યુવક મંડળ.

ગોપીપુરા મોઢેશ્વર યુવક મંડળ અંગે માહિતી આપતા યુવા કર્મકાંડી બ્રાહ્મણ હાર્દિકભાઇ ઉપાધ્યાયે 98255-73335 જણાવ્યું હતું કે તેમના જન્મ અગાઉથી ગોપીપુરા ખાતે ગણેશોત્સવનું આયોજન શરૂ થયુ હતું જે આજે પણ અવિરત પણે ચાલી રહ્યું છે. પૂર્ણ શાસ્ત્રોક્ત વિધી વિધાનથી અહીં ગણેશજીની મુખ્ય પ્રતિમા અને મંગલમૂર્તિનું સ્થાપન કરવામાં આવે છે. આસપાસના રહેવાસીઓમાં એવી માનતા છે કે મંગલમૂર્તિની સ્થાપના પોતાના સ્વનિમિત્તે કરાવે તો ભગવાન શ્રીજી તમામ મનોકામના પૂર્ણ કરે છે અને એટલે જ એક વર્ષ અગાઉથી મંગલમૂર્તિના સૌજન્ય માટે સ્થાનિક રહેવાસીઓ એડવાન્સમાં બુકિંગ કરાવી લે છે.
હાર્દિકભાઇએ જણાવ્યું કે અહીં ફક્ત બે જ મૂર્તિઓનું સ્થાપન કરવાનો રિવાજ છે. શહેરના અન્ય મંડળોમાં જુદા જુદા પરિવારો પોતાની નાની મૂર્તિઓ સાર્વજનિક આયોજન સાથે સ્થાપિત કરે છે પરંતુ, ગોપીપુરા મોઢેશ્વર યુવક મંડળમાં ફક્ત બે જ મૂર્તિની સ્થાપના થાય છે અને આસપાસના મહોલ્લાવાસીઓ પૂરી શ્રદ્ધાથી દસ દિવસ શ્રી ગણપતિ બાપ્પાની પૂજા અર્ચના કરે છે.

આવતીકાલ રવિવાર તા.19મી સપ્ટેમ્બરના રોજ અનંત ચઉદશ પર્વે બ્રાહ્મણો દ્વારા અભિમંત્રિત સફરજનનું વિતરણ ભાવિક ભક્તોમાં કરવામાં આવે છે. અહીં એવી પરંપરા છે કે ભાવિકો પોતે સફરજનનો ભોગ ગણપતિ બાપ્પાને ચઢાવે છે અને અભિમંત્રિત સફરજનનો પ્રસાદ અચૂક મેળવે છે.
















