CIA ALERT

Alert Archives - Page 11 of 509 - CIA Live

January 28, 2026
image-17.png
1min77

સંસદનું બજેટ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે, જે આગામી સમયમાં ભારતીય રાજનીતિ અને અર્થતંત્ર માટે અત્યંત મહત્વનું સાબિત થશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંયુક્ત અભિભાષણ સાથે આ સત્રના પ્રથમ તબક્કાનો પ્રારંભ થશે.

સંસદનું બજેટ સત્ર બે તબક્કામાં ચાલશે. પ્રથમ તબક્કો આજથી શરૂ થઈને 13 ફેબ્રુઆરી સુધી ચાલશે, જ્યારે બીજો તબક્કો 9 માર્ચથી 2 એપ્રિલ સુધી ચાલશે. ઇતિહાસમાં પ્રથમવાર 1 ફેબ્રુઆરીએ રવિવાર હોવા છતાં નાણામંત્રી નિર્મલા સીતારમણ કેન્દ્રીય બજેટ રજૂ કરશે.

સત્રની શરૂઆત પહેલા થયેલી સર્વદળીય બેઠકમાં સરકારે વિપક્ષની મહત્વની માંગણીઓ ફગાવી દીધી છે. વિપક્ષ ‘વીબી-જીરામજી’ કાયદા પર ચર્ચા ઈચ્છતો હતો. આ કાયદો મનરેગા (MGNREGA) ની જગ્યા લઈ રહ્યો છે અને ગ્રામીણ પરિવારોને 100 ને બદલે 125 દિવસની રોજગારીની ગેરંટી આપે છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ કાયદો શિયાળુ સત્રમાં પસાર થઈ ગયો છે અને હવે તે અમલી છે, તેથી તેના પર ફરી ચર્ચા થઈ શકે નહીં.

‘SIR’ એટલે કે ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (મતદારી યાદીના વિશેષ સુધારણા) ને લઈને છે. પશ્ચિમ બંગાળ અને આસામ જેવા રાજ્યોમાં મતદારોના નામ હટાવવા અંગે વિપક્ષે આશંકા વ્યક્ત કરી છે. જોકે, સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂએ જણાવ્યું કે આ અંગે અગાઉ ચર્ચા થઈ ચૂકી છે અને સત્રને સુચારૂ ચલાવવા માટે વિપક્ષ સહયોગ આપે.

આ સત્ર એવા સમયે યોજાઈ રહ્યું છે જ્યારે પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ અને કેરળ જેવા પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. આથી બજેટમાં કરવામાં આવતી જાહેરાતો અને વિપક્ષનો હંગામો બંને રાજકીય દ્રષ્ટિએ ખૂબ જ મહત્વના રહેશે.

January 28, 2026
Cia_business_news-1280x936.jpg
1min77

77મા ગણતંત્ર દિવસના અવસરે સુરત–તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. (સુમુલ ડેરી)ને ભારત સરકારના નાણાં મંત્રાલયના આવક વિભાગ હેઠળના CGST અને સેન્ટ્રલ એક્સાઇઝ, સુરત કમિશનરેટ દ્વારા પ્રશંસા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું. આ સન્માન આર્થિક વર્ષ 2024–25 દરમિયાન GST રિટર્ન સમયસર ફાઇલ કરવા તેમજ GST ની નિયમિત ચુકવણી બદલ આપવામાં આવ્યું છે.

સુમુલ ડેરી દ્વારા કરવામાં આવેલા આ નિયમિત અને જવાબદાર કર પાલનને રાષ્ટ્રના મજબૂત અને સ્થિર વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન તરીકે માન્યતા આપવામાં આવી છે. પ્રમાણપત્ર કમિશનર (IRS) ડૉ. મનપ્રીત અરોરા દ્વારા તા. 26 જાન્યુઆરી 2026ના રોજ એનાયત કરવામાં આવ્યું હતું, જે સુમુલ ડેરી તરફથી મેનેજિંગ ડિરેક્ટર શ્રી સી.એ. અરુણ પુરોહિત એ સ્વીકાર્યું હતું. આ સન્માન સુમુલ ડેરીની મજબૂત નાણાકીય શિસ્ત, પારદર્શક શાસન અને જવાબદાર સહકારી કાર્યશૈલીનું પ્રતિબિંબ છે. સુરત અને તાપી જિલ્લાના લાખો દૂધ ઉત્પાદકો તથા ગ્રાહકોને સેવા આપતી સુમુલ ડેરી સહકારી મૂલ્યો સાથે દેશની અર્થવ્યવસ્થામાં સતત યોગદાન આપી રહી છે.

સહકાર આધારિત કાર્યપદ્ધતિ અને ખેડૂતોની ભાગીદારીથી સંચાલિત સુમુલ ડેરી “સહકારથી સમૃદ્ધિ” ના મૂળમંત્રને સાર્થક કરતી આગવી સંસ્થા તરીકે કાર્ય કરી રહી છે.

January 27, 2026
gold-and-silver.jpg
1min79

વૈશ્વિક બજારમાં વધતી અસ્થિરતા અને સુરક્ષિત રોકાણની વધતી માંગને કારણે આજે ભારતીય બુલિયન માર્કેટમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે. સોના અને ચાંદીના ભાવે આજે તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે અને એક નવી ઐતિહાસિક સપાટીને સ્પર્શી ગયા છે. ગ્લોબલ ઇકોનોમીમાં ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે રોકાણકારો સોના તરફ વળ્યા હોવાથી કિંમતોમાં આ ધરખમ વધારો જોવા મળી રહ્યો છે.

ચાંદીની કિંમતમાં 25 હજાર રૂપિયાનો વધારો!

Dated 27/01/26 સોમવારે ભારતીય કોમોડિટી માર્કેટ બંધ હતું. પરંતુ ઈન્ટરનેશનલ માર્કેટમાં સોનાના ભાવમાં ભયંકર તેજી જોવા મળી અને પહેલીવાર સોનાનો ભાવ 5000 ડોલર પ્રતિ ઔંસ પહોંચી ગયો. જે બાદ આજે ભારતીય બજાર ખૂલતાંની સાથે જ સોનું અને ચાંદી બંનેમાં ભારે તેજી જોવા મળી. એક કિલો ચાંદીની કિંમતમાં 25000 રૂપિયાનો વધારો થયો છે. સોનું પણ 3700 રૂપિયા મોંઘું થયું છે.

સોનું-ચાંદી બંને ઑલ ટાઈમ હાઈ

ચાંદીની કિંમતો છેલ્લા 3 મહિનાથી બેકાબૂ થઈ ગઈ છે. આજે MCX પર બજાર ખૂલતાં જ ચાંદીનો ભાવ 3,59,800 રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગયો. સોનાની વાત કરીએ તો 10 ગ્રામ સોનાનો ભાવ 1,59,820 રૂપિયા પહોંચી ગયો છે. આમ સોનું અને ચાંદી બંનેએ આજે ઈતિહાસના તમામ રેકોર્ડ તોડ્યા છે અને ઑલ ટાઈમ હાઈ પર ટ્રેડ કરી રહ્યા છે. 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં સોનાના વાયદા ભાવમાં 24 હજાર રૂપિયાનો વધારો થયો છે.

સોના-ચાંદીના ભાવમાં વધારાના કારણ

વૈશ્વિક અસ્થિરતા:
અમેરિકા અને મિડલ ઈસ્ટ વચ્ચે યુદ્ધની પ્રબળ આશંકા

ઔદ્યોગિક માંગ:
AI ડેટા સેન્ટર્સ અને સોલાર પેનલ્સમાં ચાંદીના વધી રહેલા વપરાશને કારણે સપ્લાય ચેઈન ખોરવાઈ

January 27, 2026
image-13.png
1min71

બેંક કર્મચારી યુનિયનોએ 5 વર્કિંગ ડેની માંગ કરી લાંબા સમયથી પડતર માંગણીનો નિવેડો આવે તે માટે 27 જાન્યુઆરીએ દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી છે. આ હડતાળનું આહ્વાન યુનાઇટેડ ફોરમ ઓફ બૅન્ક યુનિયન્સ (UFBU) દ્વારા કરવામાં આવ્યું છે. જેથી 27 જાન્યુઆરી 2026ને મંગળવારે દેશભરમાં બેંકિંગ સેવાઓ પ્રભાવિત થવાના સંકેત છે. છેલ્લા ત્રણ દિવસ 24,25,26 જાન્યુઆરી બેન્કમાં સત્તાવાર રજા હતી ત્યારે વધુ એક દિવસ 27 જાન્યુઆરીએ બેન્કનું કામકાજ ઠપ રહે તો ગ્રાહકોને મોટી હાલાકીનો સામનો કરવો પડી શકે તેવી શક્યતાઓ છે.

કઈ કઈ બેન્કના કામકાજ પર પડશે અસર?

યુનાઇટેડ ફોરમ ઑફ બૅન્ક યુનિયન્સ (UFBU)એ જાહેર કરેલી આ હડતાળમાં દેશભરની તમામ સરકારી બેન્કના કર્મચારીઓ જોડાઈ શકે છે. જેમાં ખાસ કરીને આમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), પંજાબ નેશનલ બેંક (PNB), બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઈન્ડિયા, કેનેરા બેંક, ઈન્ડિયન બેંક અને અન્ય જાહેર ક્ષેત્રની બેંકના કર્મચારીઓ જોડાઈ શકે છે. જેના ભાગરૂપે ઘણા બેંક કર્મચારીઓએ પહેલાથી જ ઘણા શહેરોમાં વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધા છે. અને ચેતવણી આપી છે જો માગ સ્વીકારવામાં નહીં આવે તો વધુ પ્રચંડ આંદોલન થશે.

અનેક કાર્યો પ્રભાવિત થશે

જેથી મંગળવારે 27 જાન્યુઆરી બેન્ક જતાં પહેલા ખરાઈ કરી લેજો કે બેન્કનું કામકાજ ચાલુ છે કે સંભવિત હડતાળના કારણે બંધ? ત્રણ દિવસથી સત્તાવાર રજાઓને કારણે બૅન્કનું કામ રોકાયેલું છે તેવામાં વધુ એક દિવસ વિરોધના ભાગરૂપે જો બેન્ક કર્મચારીઓ કામથી અળગા રહેશે તો કેશ, ચેક ક્લીયરન્સ, ડ્રાફ્ટ, પાસબુક, લોન સંબંધિત સહિત અનેક કાર્યો પ્રભાવિત થઈ શકે છે.

શું છે બૅન્ક કર્મચારી યુનિયનની માંગ?

યુનાઇટેડ ફોરમ ઑફ બૅંક યુનિયન્સ (UFBU) દ્વારા જાહેર 27 જાન્યુઆરી 2026એ સંભવિત બૅન્ક હડતાળના નિર્ણયનું મુખ્ય કારણ સપ્તાહમાં 5 દિવસ જ કામકાજ બે દિવસ રજા(ફાઇવ ડે વર્કિંગ)નો નિયમ લાગુ કરવાનું છે. UFBUએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે હાલ બૅન્ક કર્મચારીઓને દરેક મહિનામાં બીજા અને ચોથા શનિવારે રજા મળે છે, બાકીના બે શનિવારે રજા જાહેર કરવા માર્ચ 2024માં વેતન સંશોધન કરાર મુજબ ઇન્ડિયન બૅન્ક ઍસોસિએશન(IBA) અને યુનાઇટેડ ફોરમ ઑફ બૅંક યુનિયન્સ (UFBU) વચ્ચે સહમતિ સધાઈ હતી. જેમાં સોમવાર થી શુક્રવાર સુધી પ્રત્યેક દિવસ 40 મિનિટ વધારાના કામ કરવા પણ સહમતી બની હતી જેથી કામકાજના સમયમાં કોઈ કાપ મૂકવામાં આવ્યો નથી, પણ દુભાગ્યપૂર્ણ છે કે સરકારે વાસ્તવિક માંગ પર હજુ સુધી કોઈ ધ્યાન આપ્યું નથી.

બૅન્ક યુનિયનોનું કહેવું છે કે, અઠવાડિયામાં પાંચ દિવસના કામકાજથી કર્મચારીઓ પરનું માનસિક દબાણ ઘટશે અને તેમની કાર્યક્ષમતામાં વધારો થશે. હાલમાં ભારત સરકારના મોટાભાગના વિભાગો, RBI, LIC, શેરબજાર અને ફોરેક્સ માર્કેટમાં પાંચ દિવસનું જ કામકાજ હોય છે. બૅન્ક કર્મચારીઓ પણ આ જ ધોરણે તમામ શનિવારની રજાની માંગ કરી રહ્યા છે. નોંધનીય છે કે, આ હડતાળનું આહ્વાન ‘યુનાઇટેડ ફોરમ ઑફ બૅન્ક યુનિયન્સ’ (UFBU) દ્વારા કરાયું છે. જો કે, આ માંગણીને અમલમાં મૂકવા માટે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI) અને સરકારની મંજૂરી મેળવવી અત્યંત જરૂરી છે.

બે રવિવાર અને બે શનિવારની રજા હવે કર્મચારીઓ માટે અપૂરતી

બેન્ક કર્મચારીઓને વર્ષ 2013થી દર મહિનાના ચાર રવિવાર ઉપરાંત બે શનિવારની રજા આપવામાં આવે છે. જોકે, હવે મહિનાના તમામ શનિવારોએ રજા જાહેર કરવાની લાંબા સમયની માંગણી પર કેન્દ્ર સરકાર દ્વારા કોઈ જ સકારાત્મક પગલાં લેવામાં આવ્યા નથી. સરકારના આ ઉદાસીન વલણને કારણે બેન્ક કર્મચારીઓ અને તેમના વિવિધ એસોસિયેશનોમાં નારાજગી સતત વધી રહી છે.

9 બૅન્ક યુનિયનનું સામૂહિક સંગઠન છે UFBU

યુનાઇટેડ ફોરમ ઑફ બૅન્ક યુનિયન્સ (UFBU)એ ભારતના 9 પ્રમુખ બૅન્ક યુનિયનનું સામૂહિક સંગઠન છે, જે સાર્વજનિક ક્ષેત્રે બૅન્ક અને તેના અધિકારીઓ અને કર્મચારીઓના હિતોનું પ્રતિનિધિત્વ કરે છે. યુએફબીયુના સભ્યોમાં ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન (AIBEA), ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ કોન્ફેડરેશન (AIBOC), નેશનલ કોન્ફેડરેશન ઓફ બેંક એમ્પ્લોઈઝ (NCBE), ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ એસોસિએશન (AIBOA) અને બેંક એમ્પ્લોઈઝ ફેડરેશન ઓફ ઈન્ડિયા (BEFI) નો સમાવેશ થાય છે.

January 25, 2026
Cia_business_news-1280x936.jpg
6min107

સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા આગામી તા. ર૪, રપ અને ર૬ જાન્યુઆરી, ર૦ર૬ દરમિયાન સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ કલાક સુધી સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકિઝબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘ફૂડ એન્ડ બેવરેજીસ’, ‘SGCCI ગ્લોબલ વિલેજ’ અને વુમન આંત્રપ્રિન્યોર એકિઝબિશનનું સંયુકત આયોજન કરવામાં આવ્યું છે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે, ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (SGCCI) દ્વારા આયોજિત એક્ઝિબિશનમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના મહેમાનોની વિશિષ્ટ હાજરી રહેશે, જે એક્ઝિબિશનની વૈશ્વિક મહત્તા અને પ્રતિષ્ઠાને ઉજાગર કરે છે.

શનિવાર, તા. ર૪ જાન્યુઆરી, ર૦ર૬ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે એકિઝબિશન ડોમ, સરસાણા, સુરત ખાતે ત્રણેય એક્ઝિબિશનનો ઉદ્‌ઘાટન સમારોહ યોજાશે, જેમાં ઉદ્‌ઘાટક તરીકે ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ તેમજ Craftroots – Crafting Stories, Stitching Culturesના સ્થાપક અને ડિરેક્ટર શ્રીમતી અનાર પટેલ પધારશે અને તેમના વરદ્‌ હસ્તે એકિઝબિશનોનું ઉદ્‌ઘાટન કરવામાં આવશે.

ઉદ્‌ઘાટન સમારોહમાં સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલ (IAS) મુખ્ય મહેમાન તરીકે સ્થાન શોભાવશે.

ચેમ્બરના ઉપપ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, ઉદ્‌ઘાટન સમારોહ પ્રસંગે સ્પેશ્યલ ગેસ્ટ તરીકે એલ્બર્ટા ઇકોનોમિક કોરિડોરના MLA ચેર, શ્રી શેન ગેટસન (Mr. Shane Getson, MLA Chair, Alberta Economic Corridor), બોત્સ્વાનાના આંતરરાષ્ટ્રીય સંબંધોના માનનીય મંત્રી ડૉ. ફેન્યો બૂટાલે (Hon. Dr. Phenyo Butale, Minister of International Relations, Botswana) તથા ઝિમ્બાબ્વેના ઉદ્યોગ અને વાણિજ્યના માનનીય ડેપ્યુટી મિનિસ્ટર શ્રી રાજ મોદી (Hon’ble, Mr. Raj Modi, Deputy Minister of Industry and Commerce, Republic of Zimbabwe) ઉપસ્થિત રહી વિશિષ્ટ હાજરી નોંધાવશે.

ચેમ્બરના તત્કાલીન પૂર્વ પ્રમુખ શ્રી વિજય મેવાવાલા, માનદ્‌ મંત્રી શ્રી બિજલ જરીવાલા, માનદ્‌ ખજાનચી સીએ મિતિષ મોદી, ચેમ્બરના ઓલ એકિઝબિશન્સ ચેરમેન શ્રી કિરણ ઠુંમર અને કો–ચેરમેન શ્રી નિરવ માંડલેવાલાએ જણાવ્યું હતું કે, ઉદ્‌ઘાટન સમારોહમાં ગેસ્ટ ઓફ ઑનર તરીકે ભારતમાં સાયપ્રસ રિપબ્લિકના માનદ્‌ કોન્સુલ જનરલ શ્રી વિરાજ કુલકર્ણી (Mr. Viraj Kulkarni, Hon. Consul General of the Republic of Cyprus in India), કેનેડાના એલ્બર્ટા રાજ્યના MLA સુશ્રી જેકી લવલી (Ms. Jackie Lovely, MLA Alberta, Canada), નેશનલ MSME બોર્ડના ડિરેક્ટર શ્રી પ્રદીપ પેશકર (Mr. Pradeep Peshkar, Director National MSME Board), ઘાના રિપબ્લિકની ઘાના ફ્રી ઝોન્સ ઓથોરિટી (GFZA)ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ડૉ. મેરી અવુસી (Dr. Mary Awusi, Chief Executive Officer, Ghana Free Zones Authority (GFZA), Republic of Ghana) તથા KREMAG એસોસિએશનના ઉપપ્રમુખ શ્રી ઇશ્વર પરમાર (Mr. Ishwar Parmar, Vice President, KREMAG Association) ઉપસ્થિત રહેશે.

આવી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠિત વ્યક્તિઓની હાજરીથી ત્રણેય એકિઝબિશનો સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારો અને વેપારીઓ માટે વૈશ્વિક વેપાર, રોકાણ અને સહકારની નવી તકો સર્જવાનું મહત્વપૂર્ણ મંચ બની રહેશે.

_____________________________________________________

SGCCI દ્વારા તા. ર૪થી ર૬ જાન્યુઆરી ર૦ર૬ દરમ્યાન સરસાણા સ્થિત SIECC ખાતે ફૂડ એન્ડ બેવરેજીસ’ એકિઝબિશન યોજાશે

સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા આગામી તા. ર૪, રપ અને ર૬ જાન્યુઆરી, ર૦ર૬ દરમિયાન સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ કલાક સુધી સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકિઝબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘ફૂડ એન્ડ બેવરેજીસ’ એકિઝબિશનનું આયોજન કરવામાં આવ્યું છે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન મળી રહે અને તેના થકી તેનો વિકાસ થાય તેવા આશય સાથે ફૂડ એન્ડ બેવરેજીસ એકિઝબિશનનું આયોજન કરવામાં આવે છે. આ એકિઝબિશનમાં સુરત ઉપરાંત દેશના વિવિધ શહેરો જેવા કે પૂણે, નાસિક, રાયપુર (છત્તીસગઢ), હરિયાણા, અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, પંચમહાલ, નવસારી, વાપી, વલસાડ, અંકલેશ્વર, ભાવનગર, સુરેન્દ્રનગર, ગોંડલ, જુનાગઢ અને ભરૂચથી ૧પ૬ એકિઝબિટર્સે ભાગ લીધો છે.

ચેમ્બરના ઉપપ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, ફૂડ એન્ડ બેવરેજીસ એક્ષ્પોમાં ફુડ પ્રોસેસિંગ ક્ષેત્રે ફુડ પ્રોસેસિંગ ઇકવીપમેન્ટ્‌સ એન્ડ મશીનરી, પેકેજિંગ મશીનરી એન્ડ મટિરિયલ્સ, કોલ્ડ ચેઇન ઇકવીપમેન્ટ એન્ડ રેફ્રીજરેશન એપ્લાયન્સિસ, વેર હાઉસિંગ એન્ડ કાર્ગો હેન્ડલીંગ, ફુડ ટેસ્ટીંગ લેબોરેટરીઝ, ઇન્સ્યુરન્સ એજન્સીઝ, ફાયનાન્શિયલ સોલ્યુશન્સ, ડ્રાયડ, ફ્રોઝન ફુડ, બેકરી એન્ડ ગ્રોસરીઝ, બેવરેજ, ફુડ પાર્કસ અને કન્ઝયુમર પેકેજડ ગુડ્‌સનું પ્રદર્શન કરવામાં આવશે.

ચેમ્બરના તત્કાલીન પૂર્વ પ્રમુખ શ્રી વિજય મેવાવાલા, માનદ્‌ મંત્રી શ્રી બિજલ જરીવાલા, માનદ્‌ ખજાનચી સીએ મિતિષ મોદી, ચેમ્બરના ઓલ એકિઝબિશન્સ ચેરમેન શ્રી કિરણ ઠુંમર અને કો–ચેરમેન શ્રી નિરવ માંડલેવાલાએ જણાવ્યું હતું કે, એકિઝબિશનમાં ભારતીય ન્યુટ્રિશન અને વેલનેસ બ્રાન્ડ દ્વારા ઓર્ગેનિક અને નેચરલ પ્રોડક્‌ટ્‌સનું પ્રદર્શન કરવામાં આવશે. ઓર્ગેનિક મોરિંગા (સરગવા) લીફ પાવડર, મોરિંગા જીરૂ પાવડર, મોરિંગા સૂપી શોટ્‌સ તથા મોરિંગા ટેબ્લેટ્‌સ જેવી મુખ્ય પ્રોડકટ રેન્જ રજૂ કરવામાં આવશે, જે નિયમિત ઉપયોગથી ઊર્જા, પાચન અને સમગ્ર હેલ્થ વેલનેસમાં સકારાત્મક ફેરફાર લાવે છે.

એક્ષ્પોમાં બોટલ પિક એન્ડ ડ્રોપ માટેની અદ્યતન રોબોટ મશીનરીનું પણ પ્રદર્શન કરવામાં આવશે. આ રોબોટ સિસ્ટમ આપોઆપ બોટલોને ચોક્કસ રીતે ઉઠાવીને બોકસમાં ગોઠવવાનું કામ કરે છે, જેના કારણે ઉત્પાદન પ્રક્રિયામાં ઝડપ, ચોકસાઈ અને કાર્યક્ષમતા વધે છે. માનવ શ્રમ પરની નિર્ભરતા ઘટાડીને સમય અને ખર્ચ બચાવવામાં મદદરૂપ બનતી આ મશીનરી ખાસ કરીને ફૂડ, બેવરેજીસ અને પેકેજિંગ ઉદ્યોગ માટે અત્યંત ઉપયોગી સાબિત થાય છે.

‘ફૂડ એન્ડ બેવરેજીસ’ એક્ષ્પોના ચેરમેન શ્રી કે.બી. પિપલિયાએ જણાવ્યું હતું કે, શહેરીજનો ફૂડ એન્ડ બેવરેજીસ એક્ષ્પોમાં ખાણીપીણીની વિવિધ ચીજવસ્તુઓની મજા એકછત નીચે માણી શકશે. દેશ–વિદેશની વિવિધ ખાદ્ય ચીજવસ્તુઓ સાથે આશરે પ૦૦થી વધુ ફૂડ આઇટમ્સના સ્વાદનો આનંદ માણી શકાશે. પરંપરાગત વાનગીઓથી લઈને આધુનિક, હેલ્ધી અને નવીન ખાણીપીણીના વિકલ્પો સુધીની વિશાળ પસંદગી એક્ષ્પોની ખાસ ઓળખ રહેશે, જ્યાં શહેરીજનો પરિવાર અને મિત્રો સાથે અનોખો ફૂડ અનુભવ મેળવી શકશે.

આ એકિઝબિશન માટે રજિસ્ટ્રેશન ફ્રી રહેશે. શહેરના હોટલ, રેસ્ટોરન્ટ અને કાફે સાથે સંકળાયેલા તમામ વ્યવસાયિક મિત્રોને આ એકિઝબિશનની વિઝીટ કરવાથી ઘણો લાભ થશે.

_____________________________________________________

SGCCI દ્વારા તા. ર૪થી ર૬ જાન્યુઆરી ર૦ર૬ દરમ્યાન સરસાણા સ્થિત SIECC ખાતે ‘SGCCI ગ્લોબલ વિલેજ’ એકિઝબિશન યોજાશે

સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા આગામી તા. ર૪, રપ અને ર૬ જાન્યુઆરી, ર૦ર૬ દરમિયાન સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ કલાક સુધી સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકિઝબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘SGCCI ગ્લોબલ વિલેજ’ એકિઝબિશનનું આયોજન કરવામાં આવ્યું છે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, ચેમ્બર દ્વારા આ વર્ષે બીજી વખત ગ્લોબલ એક્ષ્ચેન્જ એન્ડ ટ્રેડ માટે ‘SGCCI ગ્લોબલ વિલેજ’ એકિઝબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત અને વિશ્વના અન્ય દેશો વચ્ચે સાંસ્કૃતિક, શૈક્ષણિક અને વ્યવસાયિક જોડાણો સરળતાથી થઇ શકે તે માટે આ એકિઝબિશન યોજાઇ રહયું છે.

આ એકિઝબિશનમાં દુબઇ, ઓસ્ટ્રેલિયા, જાપાન, થાઇલેન્ડ અને અફઘાનિસ્તાનના એકિઝબિટર્સ ભાગ લેશે. દુબઇના એકિઝબિટર્સ રિયલ એસ્ટેટ અને ટુરિઝમનું પ્રદર્શન કરશે. ઓસ્ટ્રેલિયાના એકિઝબિટર્સ વિઝા પ્રોસેસ ઉપરાંત કાઉન્સીલ સર્વિસ – સેવાઓનું પ્રદર્શન કરશે. અફઘાનિસ્તાનના એકિઝબિટર્સ ડ્રાય ફુ્રટ, મસાલા અને કાર્પેટનું પ્રદર્શન કરશે. થાઇલેન્ડના એકિઝબિટર્સ હેલ્થ, બ્યુટી અને એફ.એમ.સી.જી. ક્ષેત્રની પ્રોડકટ્‌સનું પ્રદર્શન કરશે. જાપાનના એકિઝબિટર્સ લોજિસ્ટીકસ અને કુરિયર સર્વિસિસનું પ્રદર્શન કરશે.

ચેમ્બરના ઉપપ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, આ એકિઝબિશનમાં અફઘાનિસ્તાનના ૧૦, દુબઇના ર, થાઇલેન્ડના ર, જાપાનનો ૧ અને ઓસ્ટ્રેલિયાનો ૧ મળી કુલ ૧૬ સ્ટોલ રહેશે. આ ઉપરાંત, વસુધૈવ કુટુંમ્બકમ કોન્સેપ્ટ થકી સેલ્ફ હેલ્થ ગૃપ તથા ગુજરાત, મહારાષ્ટ્ર અને ખાસ કરીને ભુજથી ૧રથી વધુ સ્ટોલ રહેશે.

આ એકિઝબિશનમાં ભાગ લેનારા દેશો ઉપરાંત કેનેડા, શ્રીલંકા, તુનેશિયા, ઘાના, સાઇપ્રસ, ઇથોપિયા વિગેરે દેશોથી બાયર્સ અને વિઝીટર્સ આવશે તથા તેઓના દેશોમાં વેપારની તકો વિષે પણ સુરતના ઉદ્યોગ સાહસિકો અને વ્યવસાયિકોને માહિતી આપશે.

ચેમ્બરના તત્કાલીન પૂર્વ પ્રમુખ શ્રી વિજય મેવાવાલા, માનદ્‌ મંત્રી શ્રી બિજલ જરીવાલા, માનદ્‌ ખજાનચી સીએ મિતિષ મોદી, ચેમ્બરના ઓલ એકિઝબિશન્સ ચેરમેન શ્રી કિરણ ઠુંમર અને કો–ચેરમેન શ્રી નિરવ માંડલેવાલાએ જણાવ્યું હતું કે, આ એકિઝબિશનમાં ૧પથી વધુ દેશોના પ્રતિનિધિઓ ઉપરાંત ૪થી વધુ દેશોના મિનિસ્ટ્રી તથા વિવિધ ડિપ્લોમેટ્‌સની નોંધપાત્ર હાજરી રહેશે. તદુપરાંત, ૧પથી વધુ દેશોના પ્રતિનિધિ મંડળો એકિઝબિશનની મુલાકાત લઇ સુરતના ઉદ્યોગકારો સાથે બી–ટુ–બી મિટીંગ કરશે, જેનો લાભ સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના વેપાર–ઉદ્યોગને મળશે. વિદેશી પ્રતિનિધિ મંડળો સુરતમાં ૪૦થી વધુ ફેકટરી વિઝિટ કરશે તેવું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ એકિઝબિશન થકી સુરતના ઉદ્યોગકારો અને વેપારીઓને વિવિધ દેશોના આંતરરાષ્ટ્રીય બજારો સાથે સીધો સંપર્ક સાધવાની તક મળશે અને તેઓ નવા બિઝનેસ વિકલ્પો શોધી શકશે, જેથી કરીને બિઝનેસ ડેવલપમેન્ટ માટે નવી દિશાઓ ખુલશે.

_____________________________________________________

SGCCIના લેડીઝ વિંગ દ્વારા તા. ર૪થી ર૬ જાન્યુઆરી ર૦ર૬ દરમ્યાન સરસાણા સ્થિત SIECC ખાતે Women Entrepreneur Exhibition (WEE) એકિઝબિશન યોજાશે

સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા આગામી તા. ર૪, રપ અને ર૬ જાન્યુઆરી, ર૦ર૬ દરમિયાન સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ કલાક સુધી સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકિઝબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે Women Entrepreneur Exhibition (WEE) એકિઝબિશનનું આયોજન કરવામાં આવ્યું છે.

ચેમ્બર ઓફ કોમર્સના લેડીઝ વિંગના ચેરપર્સન શ્રીમતી મયુરીબેન મેવાવાલાએ જણાવ્યું હતું કે, મહિલા સશક્તિકરણ અને ઉદ્યોગ સાહસિકતાને પ્રાધાન્ય આપવાના મુખ્ય ઉદ્દેશ સાથે Women Entrepreneur Exhibition (WEE)નું આયોજન કરવામાં આવ્યું છે. One More Steps Towards Women Entrepreneurshipની થીમ પર આધારિત આ એકિઝબિશન મહિલાઓને તેમના વ્યવસાય, પ્રતિભા અને ઉત્પાદનોને વ્યાપક મંચ પર રજૂ કરવાની એક મહત્વપૂર્ણ તક પૂરું પાડશે.

WEE એકિઝબિશનમાં ૧૧૦થી વધુ મહિલા સાહસિકો દ્વારા વિવિધ વ્યવસાયિક ક્ષેત્રોના સ્ટોલ્સ લગાવવામાં આવશે, જેમાં હેલ્થ, કન્ઝયુમર ડયુરેબલ્સ, રેડીમેડ ગારમેન્ટ્‌સ, ફેશન અને ફિટનેસ ઇકિવપમેન્ટ્‌સ, સ્કિન અને હેલ્થ કેર, હેન્ડલૂમ અને હેન્ડીક્રાફટ, ડ્રેસ મટિરિયલ્સ, ફેશન એકસેસરીઝ, પરંપરાગત વસ્ત્રો અને સાડીઓ, જ્વેલરી, ઇન્ટિરિયર ડેકોરેશન આઇટમ્સ, ડિઝાઇનર લાઉન્જ તેમજ ફૂડ એન્ડ બેવરેજીસ જેવા વિવિધ સેગમેન્ટ્‌સનો સમાવેશ કરવામાં આવ્યો છે.

WEE એકિઝબિશન માત્ર વેપાર–વ્યવસાય માટેનું મંચ નથી, પરંતુ મહિલાઓને આત્મનિર્ભર બનવા, નેટવર્કિંગ કરવા, પોતાના બ્રાન્ડને ઓળખ અપાવવા અને નવી વ્યવસાયિક તકો શોધવાની એક સશક્ત પ્લેટફોર્મરૂપે કાર્ય કરશે.

ચેમ્બરની લેડીઝ વિંગનો હેતુ મહિલાઓમાં રહેલી ઉદ્યોગ સાહસિક શક્તિને પ્રોત્સાહન આપી તેમને મુખ્ય પ્રવાહના વ્યવસાય સાથે જોડવાનો છે, જેથી મહિલા સશક્તિકરણને વાસ્તવિક સ્વરૂપ આપી શકાય.

Women Entrepreneur Exhibition (WEE) એકિઝબિશન દ્વારા શહેરના નાગરિકોને મહિલાઓના પરિશ્રમ, સર્જનાત્મકતા અને વ્યવસાયિક કુશળતાનો સીધો અનુભવ મળશે, સાથે જ સ્થાનિક અને મહિલા ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપવાની ભાવના પણ મજબૂત બનશે.

January 20, 2026
weather-forecast.jpg
1min82

ગુજરાતના વાતાવરણમાં ફરી પલટો આવી શકે છે. હાલ રાજ્યમાં બેવડી ઋતુની અસર જોવા મળી રહી છે, વહેલી સવારે ઠંડી અને બપોરના સમયે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં સામાન્ય કમોસમી વરસાદ થવાના સંકેત મળી રહ્યા છે. કારણ કે હવામાન વિભાગની આગાહી મુજબ 20 જાન્યુઆરી પછી ઉત્તર ભારતમાં પશ્ચિમી વિક્ષેપ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ શકે છે જેની અસર ગુજરાતમાં પણ થશે તેવી શક્યતાઓ છે.

આ સાથે ઉત્તર-પશ્ચિમી પવનો ફૂંકાવાનું શરૂ થતા રાજ્યમાં ઠંડીનું જોર પણ વધશે, હવામાન વિભાગે આપેલી જાણકારી અનુસાર આગામી એક અઠવાડિયામાં ત્રણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની ભીતિ છે. જેના લીધે પશ્ચિમી હિમાલય વિસ્તારમાં વરસાદ તેમજ બરફવર્ષા પડી શકે છે. જેની અસર હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીરમાં વધારે થશે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતના વાતાવરણ પર પણ થઈ શકે. જો કે, હવામાન વિભાગ મુજબ હાલમાં ગુજરાત વાતાવરણમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નથી.

આગામી સમયમાં લઘુતમ તાપમાન 14 થી 15 ડિગ્રીની આસપાસ તો મહત્તમ તાપમાન 30 થી 32 ડિગ્રી સુધી પહોંચી શકે તેવું અનુમાન આપવામાં આવ્યું છે. ઠંડી, ગરમી અને વરસાદની વકી વચ્ચે આગામી દિવસોમાં વાયરલ ઇન્ફેક્શનના કેસ પણ સામે આવી શકે છે.

હાલમાં હિમાલય તરફથી આવી રહેલા ઠંડા પવનની અસર ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં જોવા મળી રહી છે. આજે નલિયા 10.8 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર શહેર હતું. તે ઉપરાંત, પોરબંદ 11 ડિગ્રી, અમરેલી 11.6 ડિગ્રી, તો ડીસા 11.9 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી.

January 18, 2026
Cia_business_news-1280x936.jpg
1min266

ગુજરાતના વિવિધ અખબારો, ટીવી મિડીયાના 13 પત્રકારોની ટીમ આજે નાગાલેન્ડના 5 દિવસના સત્તાવાર પ્રવાસે દીમાપૂર એરપોર્ટ પર પહોંચી હતી. જ્યાં નાગાલેન્ડ પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો (પીઆઇબી) કોહીમાના આસિસ્ટન્ટ ડાયરેક્ટર કે.સોનીકુમાર સિંઘ અને તેમની ટીમના સભ્યોએ ગુજરાતથી દીમાપૂર પહોંચેલા પત્રકારોનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.

ગુજરાતના પત્રકારો આગામી પાંચ દિવસ દરમિયાન નાગાલેન્ડમાં થઇ રહેલા વિકાસકામો તથા તેમની પ્રોજેક્ટ સાઇટની મુલાકાત લેશે. નાગાલેન્ડની ભાતીગળ સંસ્કૃતિ, ભારતના સૌથી પહેલા ગ્રીન વીલેજ સહિતના પ્રોજેક્ટની મુલાકાત લેશે. પ્રવાસનું આયોજન પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો ગુજરાત તેમજ પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો નાગાલેન્ડના સંયુક્ત પ્રયાસોથી હાથ ધરવામાં આવ્યો છે.

January 18, 2026
chardham.jpg
1min243

ઉત્તરાખંડની પવિત્ર ચારધામ યાત્રા પર જનારા શ્રદ્ધાળુ માટે આ વર્ષે મોટા સમાચાર સામે આવ્યા છે. બદ્રીનાથ, કેદારીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામની પવિત્રતા અને મર્યાદા જાળવી રાખવા માટે ઉત્તરાખંડ સરકાર અને વહીવટી તંત્રએ એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. હવેથી મંદિર પરિસરમાં મોબાઈલ ફોન અને કેમેરા લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો છે. આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ મંદિરોમાં વધતા જતા ‘રીલ’ કલ્ચર અને સોશિયલ મીડિયા બ્લોગિંગ પર લગામ કસવાનો છે.

આ અંગે ગઢવાલ કમિશનર વિનય શંકર પાંડેની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં નિર્ણય લેવાયો હતો. વહીવટીતંત્રના જણાવ્યાનુસાર, છેલ્લા કેટલાક વર્ષોમાં જોવા મળ્યું છે કે શ્રદ્ધાળુઓ દર્શન કરવાને બદલે મંદિરની અંદર ફોટા પાડવામાં અને વીડિયો કે રીલ બનાવવામાં વધુ સમય વિતાવે છે. આ કારણસર માત્ર મંદિરની ગરિમા તો જોખમાય જ છે, પરંતુ ત્યાં દર્શન માટે ઉભેલા અન્ય શ્રદ્ધાળુઓને પણ મુશ્કેલી પડે છે. ભીડનું વ્યવસ્થાપન કરવું પણ કઠિન બને છે. વળી, આ મુદ્દે અન્ય લોકો પણ વારંવાર ફરિયાદ કરે છે, જેથી પવિત્ર ધામોમાં કોઈ પણ વિવાદોને રોકવા માટે આ પગલું લેવાયું છે.

નવા નિયમ મુજબ, બદ્રીનાથમાં સિંહદ્વારથી આગળ અને કેદારીનાથ, ગંગોત્રી તેમજ યમુનોત્રીના મંદિર પરિસરમાં મોબાઈલ લઈ જવાની મનાઈ રહેશે. શ્રદ્ધાળુઓએ દર્શન કરતા પહેલા જ પોતાના મોબાઈલ ફોન અને કેમેરા નક્કી કરેલા કાઉન્ટર પર જમા કરાવવાના રહેશે. બદ્રીનાથ-કેદારીનાથ મંદિર સમિતિ (BKTC) દ્વારા ફોન સુરક્ષિત રાખવા માટે અલગ વ્યવસ્થા કરાશે. જો કે, મંદિરની બહારથી બેકગ્રાઉન્ડમાં જવાબદારીપૂર્વક અને કોઈને ખલેલ ના પહોંચે તે રીતે ફોટો અને વીડિયોગ્રાફી કરવાની છૂટ રહેશે.

આ વર્ષે પણ યાત્રા માટે રજિસ્ટ્રેશન ફરજિયાત રહેશે, જેમાં 60% ઓનલાઇન અને 40% ઓફલાઇન પદ્ધતિ રખાઈ છે. ગત વર્ષે 50 લાખથી વધુ પ્રવાસીએ ચારધામના દર્શન કર્યા હતા, જેને ધ્યાનમાં રાખીને આ વર્ષે રસ્તા, આરોગ્ય અને સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવાઈ રહી છે. શ્રદ્ધાળુઓ શાંતિપૂર્ણ અને ભક્તિમય વાતાવરણમાં દર્શન કરી શકે તે તંત્રની પ્રાથમિકતા છે.

January 18, 2026
image-7.png
1min114

સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં છેલ્લા બે દિવસથી પલટો આવ્યો છે અને આજે રવિવારે 18/01/26 સવારથી વાતાવરણમાં ગાઢ ધુમ્મસ છવાતા સુરત એરપોર્ટ પર ફ્લાઇટના આવાગમનને ઘેરી અસર થઈ હતી.

મળતી માહિતી મુજબ આજે 18/01/26 સવારે એક વાગ્યા સુધીની કમ સે કમ 6 ફલાઈટ અને પરત ફરનારી 6 મળીને 12 ફ્લાઈટોના એરાઇવલ તથા ડિપાર્ચરમાં ભારે વિલંબ થયો હતો. એર ઇન્ડિયા એક્સપ્રેસની સવારે 8:25 કલાકે સુરત આવનારી ફ્લાઇટને અમદાવાદ ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી.

આજે 18/1/26 લેટ થયેલી ફ્લાઈટની વાત કરીએ તો એર ઇન્ડિયા એક્સપ્રેસની દિલ્હીથી સુરત આવનારી ફ્લાઈટનો નિર્ધારિત સમય 7:30 કલાકનો હતો તેને બદલે એ ફ્લાઈટ 10.17 સુરત એરપોર્ટ પર લેન્ડ થઇ હતી. એવી જ રીતે હૈદરાબાદથી સુરત આવનારી ફ્લાઈટનો નિર્ધારિત એરાઇવલ ટાઈમ સવારે 7.50 કલાકનો છે, તેની જગ્યાએ એ ફ્લાઈટ આજે રવિવારે બપોરે 12.09 કલાકે સુરત એરપોર્ટ પર પહોંચી હતી.

ઈન્ડિગો એરલાઇન્સની દિલ્હીથી સુરત આવતી સવારે 8:00 કલાકની ફ્લાઈટ બપોરે 12:30 કલાકે સુરત એરપોર્ટ પર પહોંચી હતી.

ચેન્નાઈ થી સવારે 11:25 કલાકે સુરત આવતી ઈન્ડિગો એરલાઇન્સની ફ્લાઈટ એક કલાક મોડી પહોંચી હતી.
એરાઇવલ ફ્લાઈટોમાં જે રીતે વિલંબ થયો હતો તેવો જ વિલંબ ડિપાર્ચરમાં પણ થયો હતો. સુરતથી બેંગ્લોર, દિલ્હી, બેંગકોક, દુબઈ અને પુને જનારી લાઇટોમાં એકથી ત્રણ કલાક જેવો વિલંબ થયો હતો.

આજે સુરત એરપોર્ટ પર ફ્લાઇટોનું સમયપત્રક વાતાવરણ તેમજ કેટલાક ટેકનિકલ ઇશ્યુને કારણે ખોરવાયું હતું જેને કારણે સુરત એરપોર્ટ પરથી આવાગમન કરનારા સેંકડો મુસાફરોને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.

January 16, 2026
image-6.png
3min100

મહારાષ્ટ્રમાં ચાર વર્ષના લાંબા વિલંબ બાદ યોજાયેલી 29 નગર નિગમોની ચૂંટણીના પરિણામો આજે (શુક્રવાર) જાહેર થઈ રહ્યા છે. રાજ્યભરના 893 વોર્ડમાં કુલ 15,931 ઉમેદવારોના ભાવિનો ફેંસલો આજે થશે. મતોની ગણતરી સવારે 10 વાગ્યે શરૂ થઈ ગઈ છે અને બપોર પછી મુખ્ય પરિણામો આવવાની ધારણા છે.

BMC ચૂંટણીમાં શું છે સ્થિતિ?

કુલ બેઠક 227
પાર્ટી વલણો
ભાજપ+ 69
કોંગ્રેસ+ 04
UBT+ 27
NCP 0

નાગપુરના વલણોમાં ભાજપને બહુમતી

નાગપુરની 151 બેઠકમાંથી ભાજપ 98 બેઠક પર લીડ મેળવી ચૂક્યો છે. આ સાથે વલણોમાં ભાજપ બહુમતીમાં આવી ગયો છે.

બીએમસી ચૂંટણીથી એક મોટા સમાચાર એ આવ્યા છે કે પહેલી બેઠક કોંગ્રેસના ઉમેદવારે જીતી લીધી છે. વોર્ડ નંબર 183માં કોંગ્રેસના ઉમેદવારે જીત નોંધાવી છે. જ્યારે વોર્ડ નંબર 214 પ્ર ભાજપના ઉમેદવાર જીત્યા છે.

આ સાથે ચૂંટણી પંચે મતદાન વખતે માર્કર પેનના ઉપયોગ પર વિવાદ થતાં મોટો નિર્ણય કર્યો છે અને માર્કર પેનના ઉપયોગ પર બેન મૂકી દીધો છે.

નાગપુરમાં 151માંથી 73 બેઠકો વલણમાં ભાજપે 57 બેઠકો પર લીડ મેળવી લીધી છે. જ્યરે કોંગ્રેસ 16 જ બેઠક પર આગળ છે.

પૂણેમાં 165 બેઠકોમંથી 75 બેઠકના વલણો જાહેર થઇ ગયા છે. જેમાંથી 52 બેઠકો પર ભાજપના ગઠબંધને લીડ મેળવી લીધી છે. જ્યારે એનસીપી ગઠબંધન માત્ર 18 જ બેઠક પર લીડમાં જણાય છે. જ્યારે કોંગ્રેસ અને યુબીટીના ગઠબંધનમાં 1 જ બેઠક આવી છે.

રાહુલ ગાંધીએ શાહી વિવાદ અંગે ટિપ્પણી કરતાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી હતી જેમાં ચૂંટણી પંચ સામે નિશાન તાક્યું હતું. તેમણે કહ્યું કે ચૂંટણી પંચ દ્વારા ગેરમાર્ગે દોરવા એ લોકતંત્ર પર મોટા પ્રહાર સમાન છે.

સંજય રાઉતે ભજપ સામે ગંભીર આરોપ મૂકતાં કહ્યું હતું કે ચૂંટણી માટે મતદાન પૂરું થતાં જ બીએમસીના કમિશનરે ભાજપના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. આચારસંહિતા લાગુ હોવા છતાં તેઓ આવું કેવી રીતે કરી શકે?

બીએમસી સહિત મહારાષ્ટ્રની 29 મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે મતગણતરીની શરૂઆત થઇ ચૂકી છે. મોટાભાગે ભાજપનો દરેક જગ્યાએ દબદબો જોવા મળી રહ્યો છે. હાલમાં વલણો જાહેર થઇ રહ્યા છે. જેના આધારે પૂણેમાં ભાજપ 32 તો એનસીપી 14 બેઠક પર આગળ છે. જ્યારે બીએમસીની ચૂંટણીની વાત કરીએ તો 46 બેઠકના વલણો સામે આવ્યા છે. જેમાં ભાજપ ગઠબંધન 25, ઉદ્ધવ જૂથ 19, કોંગ્રેસ 2 બેઠક પર આગળ દેખાય છે.

ઉલ્લેખનીય છે કે એનડીએ ગઠબંધન એટલે કે મહાયુતિ મહારાષ્ટ્રની સ્થાનિક એકમની ચૂંટણીમાં 60થી વધુ બેઠકો પહેલાથી જ બિનહરિફ જીતી ચૂક્યું છે. તેમાં સૌથી વધુ બેઠક 43 ભાજપ જીત્યો હતો. જ્યારે એકનાથ શિંદેની શિવસેનાએ 19 અને એનસીપીએ 2 બેઠક જીતી હતી. જેને લઈને વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો. ચૂંટણી પંચે પણ આ મામલે તપાસના આદેશ કર્યા હતા.

આ તમામ ચૂંટણીઓમાં સૌથી વધુ ચર્ચા બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC)ની છે, જે દેશની સૌથી ધનિક નગર નિગમ છે અને તેનું બજેટ 74,400 કરોડ રૂપિયાથી વધુ છે. BMCમાં કુલ 227 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી, જ્યાં બહુમતી માટે 114 બેઠકોની જરૂર છે. ગુરુવારે આવેલા એક્ઝિટ પોલ્સમાં મહાયુતિ (ભાજપ + એકનાથ શિંદેની શિવસેના) ગઠબંધનને સ્પષ્ટ બહુમતી મળવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.

વિવિધ એક્ઝિટ પોલ્સ અનુસાર:

  • ભાજપ-શિંદે ગઠબંધન (મહાયુતિ): 130 થી 150 બેઠકો.
  • ઉદ્ધવ ઠાકરે (UBT) + રાજ ઠાકરે (MNS) ગઠબંધન: 58-68 બેઠકો.
  • કોંગ્રેસ + VBA ગઠબંધન: 12-16 બેઠકો.
  • અન્ય અને અપક્ષ: 6-12 બેઠકો.

આ હતા મુખ્ય રાજકીય ગઠબંધન

આ ચૂંટણીમાં મુખ્યત્વે ત્રણ મોટા ગઠબંધન વચ્ચે મુકાબલો જોવા મળ્યો હતો. શિવસેનાના વિભાજન બાદ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે પ્રથમવાર સાથે મળીને ચૂંટણી લડ્યા હતા.

  • મહાયુતિ: ભાજપે 137 અને શિંદે જૂથની શિવસેનાએ 90 બેઠકો પર ઉમેદવાર ઉતાર્યા હતા.
  • ઠાકરે ગઠબંધન: શિવસેના (UBT) 163 બેઠકો પર અને મનસે (MNS) 52 બેઠકો પર લડી હતી.
  • કોંગ્રેસ ગઠબંધન: કોંગ્રેસે 143 અને વંચિત બહુજન આઘાડી (VBA) એ 46 બેઠકો પર ઉમેદવાર ઉભા રાખ્યા હતા.
  • અજિત પવાર NCP: એકલા હાથે 94 બેઠકો પર ચૂંટણી લડી હતી.

મુંબઈમાં 41-50% મતદાન

15 જાન્યુઆરીએ યોજાયેલા મતદાનમાં મુંબઈમાં સરેરાશ 41-50% મતદાન નોંધાયું હતું. આ ચૂંટણી 2017 પછી પ્રથમ વખત યોજાઈ રહી છે, કારણ કે 2022માં યોજાનારી ચૂંટણી વોર્ડ સીમાંકન અને અન્ય કારણોસર મુલતવી રાખવામાં આવી હતી. મુંબઈ ઉપરાંત પુણે, નાગપુર, નાસિક, થાણે, નવી મુંબઈ, પિંપરી-ચિંચવડ અને કલ્યાણ-ડોમ્બિવલી જેવા મોટા શહેરોના પરિણામો પર પણ સૌની નજર રહેશે.