CIA ALERT

આધ્યાત્મિક Archives - Page 5 of 37 - CIA Live

October 25, 2024
Dwarkadhish-Temple0-1280x1917.jpg
1min282

આગામી દિવસોમાં વર્ષના સૌથી મોટાં તહેવાર દિવાળીની શરુઆત થવા જઈ રહી છે. આ દિવસો દરમિયાન યાત્રાધામોમાં વિશેષ ઉજવણીઓ કરવામાં આવતી હોય છે. દિવાળીના પર્વની જગતમંદિર દ્વારકામાં વિશેષ ઉજવણી થવાની છે. જેને લઈને મંદિરના દર્શન સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.

દ્વારકાધીશ મંદિર કચેરી દ્વારા દ્વારકાધીશ મંદિરના દર્શનના સમયમાં ફેરફાર સાથેનું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. જેમાં જણાવ્યું છે કે ધનતેરસના દિવસે મંદિરમાં સવારે 6:30 વાગ્યે મંગળા આરતી થશે, બપોરે 1 થી 5 અનોસર એટલે કે મંદિર બંધ રહેશે, ત્યારબાદ સાંજે 5:00 વાગે ઉત્થાપન બાદ દર્શનનો લાભ મળશે. તેમ જ રાત્રે 9:45 કલાકે અનોસર બાદ મંદિર દર્શન બંધ થશે.

October 3, 2024
amba-1280x1700.jpg
1min327

નવરાત્રિ એટલે આસુરી શક્તિ ઉપર દૈવશક્તિના વિજય માટે નવદુર્ગા, અંબિકા, જગદંબા, ભગવતી ચંડીકા જેવા અનેક નામોથી પૂજીએ છે તે દેવી શક્તિની કૃપા પ્રાપ્ત કરવાનો અવસર. આસ્થા-સાધના-તપ-જપ-ઉલ્લાસના પર્વ શારદીય નવરાત્રિનો આજ (ત્રીજી ઓક્ટોબર)થી પ્રારંભ થવા જઈ રહ્યો છે. નવ દિવસ ભક્તો જગતજનનીની આરાધનામાં લીન થશે. જ્યારે ખેલૈયાઓ રાસ-ગરબામાં થનગનશે. આ વખતે આસો સુદ ત્રીજ બે દિવસ છે, જ્યારે 12મી ઓક્ટોબરે નોમ અને દશેરા એક જ દિવસે મનાવાશે. અલબત્ત, અનેક સ્થળોએ 11મી ઓક્ટોબર સુધી જ ગરબાનું આયોજન કરાયું છે.

જે ચેતના, જે ઊર્જા, સમગ્ર સૃષ્ટિમાં વ્યાપ્ત છે, જેના દ્વારા સઘળી સૃષ્ટિની રચના છે એ શક્તિના વિવિધ સ્વરૂપ પ્રત્યે કૃતજ્ઞતા-ભક્તિભાવ વ્યક્ત કરવાનો અવસર એટલે નવરાત્રિ. આજથી શક્તિપીઠ અંબાજી, ચોટીલા, હરસિદ્ધિ માતા, અમદાવાદમાં ભદ્રકાળી સહિતના માતાજીનાં મંદિરોમાં વહેલી સવારથી ભક્તોનું ઘોડાપુર ઉમટ્યુ છે.

ઉપાસના શરૂ કરવા તેમજ ઘટ સ્થાપન કરવા સવારે 6:31થી વિવિધ મુહૂર્ત છે. સવારે 6:31થી 8:01 શુભ, સવારે 11:01થી બપોરે 12:31 ચલ, બપોરે 12:31થી 2:01 લાભ, બપોરે 2:01થી ૩:30 અમૃત, સાંજે 5થી 6:30 શુભ, સાંજે 6:30થી 8 અમૃત જ્યારે રાત્રે 8થી 9:31 વાગ્યે ચલ મુહૂર્ત છે. વર્ષમાં આવતી ચાર નવરાત્રિમાં શારદીય નવરાત્રિનું વિશેષ મહત્ત્વ ધરાવે છે. પૃથ્વી પર જેટલા વ્રતો છે તેમાં નવરાત્રિ વ્રતને શ્રેષ્ઠ ગણવામાં આવે છે.

નવરાત્રિ પૂજનથી ધન-ધાન્ય-સંતતિ, સુખ-સમૃદ્ધિ, આયુષ્ય-આરોગ્ય રક્ષણ, સ્વર્ગ મોક્ષ તેમજ વિદ્યા, સુખ-સંપત્તિ -સૌભાગ્ય વગેરે લાભ થાય છે. શાસ્ત્રવિદોના મતે નવરાત્રિ એટલે આસુરી શક્તિ ઉપ દૈવી શક્તિના વિજયનો ઉત્સવ. રામાયણના યુદ્ધ સમયે ભગવાન શ્રી રામે પણ નવરાત્રિના વ્રત કરીને માતાજીના આશીર્વાદ લીધા હતા. આમ, પોતાનું શુભ ઈચ્છનારે નવરાત્રિ દરમિયાન વ્રત કરવા જોઇએ. નવરાત્રિમાં ભક્તિ કરવાથી પૂર્વજન્મના દોષ, અપરાધ તેમજ આ જન્મમાં કોઇ દ્વિધા-સંતાપ હોય તે દૂર થાય છે.

હવામાન વિભાગના મતે અમદાવાદમાં આવતીકાલે સાંજે 8 થી 6 દરમિયાન હળવા ઝાપટાં પડી શકે છે. જોકે, રાહતની વાત એ છે કે અમદાવાદમાં નવરાત્રિમાં બાકીના નોરતાં દરમિયાન વરસાદની કોઇ જ સંભાવના નથી. હવામાન નિષ્ણાતોના મતે હાલ કોઇ સિસ્ટમ સક્રિય નહીં હોવાથી વરસાદની સંભાવના ઓછી છે. આમ, ખેલૈયાઓ વરસાદના વિધ્ન વિના આગામી દિવસોમાં મન મૂકીને ગરબે ધુમી શકશે.

નવરાત્રિમાં માતાજીના પ્રસિદ્ધ મંદિરોમાં દર્શનના સમય

શક્તિપીઠ અંબાજી : આરતી સવારે 7:30થી 8, દર્શન સવારે 8થી 11:30, રાજભોગ બપોરે 12, દર્શન બપોરે 13:30થી 4:15, આરતી સાંજે 6:30થી 7, દર્શન સાંજે 7થી 9 વાગ્યા સુધી.

ચોટીલા ચામુંડા માતાજી: પગથીયાના દ્વાર સવારે 4:30 વાગ્યે ખુલશે અને સવારે 5 વાગ્યે આરતી. સાંજની આરતી સૂર્યાસ્તના સમયે.

પાવાગઢ મંદિર : પ્રથમ-આઠમા નોરતે અને પૂનમના દિવસે મંદિરના દ્વાર સવારે 4 વાગ્યે ખોલાશે અને રાત્રિના 8 વાગ્યે બંધ થશે. આ સિવાયના નોરતામાં સવારે 5 વાગ્યે દ્વાર ખોલાશે અને રાત્રે 8 વાગ્યે બંધ થશે.

ભદ્રકાળી મંદિર અમદાવાદ: સવારે 6થી રાત્રિના 12 સુધી દર્શન થઈ શકશે. રોજ રાત્રિના 9થી 12 મંદિરના ચોકમાં ગરબાનું પણ થશે.

September 30, 2024
Navratri_9swaroop.jpg
1min372

નવરાત્રિના 9 દિવસોમાં માંના 9 સ્વરૂપોની પૂજા-અર્ચના કરવામાં આવે છે. માતાજીને પ્રસન્ન કરવા માટે ભક્તો વ્રત પણ રાખે છે. ધાર્મિક માન્યતાઓના અનુસાર, નવરાત્રિ દરમિયાન વિધિ-વિધાનથી માં દુર્ગાની પૂજા કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે. આસો મહિનાના શુક્લ પક્ષની એકમ તિથિથી શારદીય નવરાત્રિ શરૂ થઈ જાય છે. હિન્દુ ધર્મમાં નવરાત્રિનું ખુબ વધારે મહત્વ હોય છે. હિન્દુ પંચાગ અનુસાર, શારદીય નવરાત્રિનો પર્વ 3 ઓક્ટોબર 2024, ગુરૂવારથી શરૂ થાય છે. શારદીય નવરાત્રિનો પર્વ 11 ઓક્ટોબર 2024ના રોજ સમાપ્ત થશે.

નવરાત્રિના પહેલા નોરતાથી કલશ સ્થાપનાનું મહાત્મ્ય છે. તેનાથી માતાજી પ્રસન્ન થાય છે. કલશમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ અને માતૃગણનો નિવાસ માનવામાં આવે છે. તેની સ્થાપનાથી જાતકને શુભ પરિણામ મળે છે.

જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર, આ વખતે કલશ સ્થાપનાનો સમય સવારે 6:15 વાગ્યાથી 7:22 વાગ્યા સુધી રહેશે. તેના સિવાય કલશ સ્થાપના અભિજીત મુહૂર્તમાં પણ કરી શકાય છે. અભિજીત મુહૂર્ત સવારે 11:46 મિનિટથી બપોરે 12:33 મિનિટ સુધી રહેશે. એટલે 47 મિનિટનો સમય મળશે.

જ્યોતિષાચાર્યના અનુસાર, નવરાત્રિ સંસ્કૃત શબ્દ છે. તેનો અર્થ નવ રાત થાય છે. આ નવ દિવસોમાં ઉપવાસ રાખીને દુર્ગા દેવીની પૂજા કરવામાં આવે છે. દુર્ગા સપ્તસતીના પાઠ, દુર્ગા સ્ત્રત્તેત અને દુર્ગા ચાલીસાની સાથે રામ ચરિતમાનસના પણ પાઠ કરવામાં આવે છે. ભક્તિભાવથી આરાધના કરવાથી દુર્ગા માં પ્રસન્ન થાય છે. તેમણે જણાવ્યું કે, આ વખતે માતાજી પાલખીમાં આવી રહ્યા છે. નવરાત્રીની શરૂઆત ગુરુવાર અને શુક્રવારથી થાય છે, તો માનવામાં આવે છે કે માતા પાલખીમાં આવી રહ્યા છે.

September 20, 2024
tirupati.png
1min242
  • જગનના વિરોધમાં બહેન શર્મિલા: લાડુમાં મિલાવટના કૌભાંડની સીબીઆઈ તપાસની માગ

આંચકાજનક પર્દાફાશમાં તિરુપતિ દેવસ્થાનના તિરુપતિ મંદિરના પવિત્ર પ્રસાદમાં મટન ટેલો, માછલીનું તેલ અને પામ તેલ, ડુક્કરની ચરબીનો ઉપયોગ થતો હોવાનું પ્રકાશમાં આવતા હોબાળો મચી ગયો છે. આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રબાબુ નાયડુએ બુધવારે આરોપ મૂક્યો હતો કે વાયએસઆરસીપીની સરકારમાં તિરુપતિના લાડુના પવિત્ર પ્રસાદ બનાવવામાં ઉપયોગમાં લેવાતા ઘીમાં પ્રાણીજન્ય ચરબીવાળા ઘી સહિતના અશુદ્ધ તત્વોનો ઉપયોગ થતો હતો, પણ અમારી સરકાર આવતા અમે આ બધું સુધારી દીધું છે.

તેની સાથે તેમણે જગન સરકારે લોકોની ધાર્મિક લાગણી પર કુઠારાઘાત કરવાનો આરોપ મૂક્યો હતો. જો કે જગનની પાર્ટી વાયએસઆરપીએ આ દાવાને નકારી કાઢ્યો હતો. આ લેબ ટેસ્ટ ગુજરાતની લેબમાં કરાવવામાં આવ્યો હતો.નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ ઘએનડીડીબી)ની ગુજરાતની સેન્ટર ફોર એનાલિસિસિ એન્ડ લર્નિંગ ઇન લાઇવસ્ટોક એન્ડ ફૂડે આ રિપોર્ટ આપ્યો હતો. તિરુપતિ પ્રસાદમાં આ પ્રકારની મિલાવટ જગનની વાયએસઆરપી સરકારના કાર્યકાળમાં થઈ હતી. ઉલ્લેખનીય છે કે વર્ષે કરોડો લોકો તિરુપતિ મંદિરની મુલાકાતે આવે છે.

તિરુપતિના લાડુનું વિતરણ તિરુપતિના શ્રી લેંકટેશ્વરા મંદિરે થાય છે. તેનું સંચાલન તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ ટ્રસ્ટ (ટીટીડી) કરે છે. બુધવારે એનડીએની બેઠકમાં ચંદ્રાબાબુ નાયડુએ દાવો કર્યો હતો કે તિરુપતિ મંદિરના લાડુ ઉતરતી ગુણવત્તાવાળા તત્વોથી બનાવવામાં આવતા હતા. આમ કરીને લોકોની ધાર્મિક લાગણી સાથે રમત રમવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે તિરુપતિ મંદિરમાં રોજના ત્રણ લાખ લાડવા બને છે અને તેના દર છ મહિને ટેન્ડર બહાર પાડવામાં આવે છે.

રાજ્યના આઇટી પ્રધાન નારા લોકેશે આ મુદ્દે વાયએસ જગન મોહન રેડ્ડી સરકારની ઝાટકણી કાઢી હતી. લોર્ડ વેંકટશ્વરા સ્વામિ મંદિર આપણું સૌથી પવિત્ર મંદિર છે. મને તે જાણી આંચકો લાગ્યો કે વાયએસ જગનમોહન રેડ્ડીનું તંત્ર તિરુપતિના પ્રસાદમમાં ઉપયોગમાં લેવાતા ઘીમાં પ્રાણીજન્ય ચરબીનો ઉપયોગ કરતું હતું.

તેની સામે વાયએસઆરસીપીએ દાવો કર્યો છે કે ટીડીપી ફક્ત રાજકીય માઇલેજ મેળવવા માટે આ પ્રકારના આક્ષેપ કરી રહી છે. પક્ષનો દાવો છે કે આ પ્રકારના નિવેદનો કરીને નાયડુએ પોતે કરોડો લોકોની લાગણી પર કુઠારાઘાત કર્યો છે. પક્ષના આગેવાન સુબ્બા રેડ્ડીએ લખ્યું હતું કે આ ફરીથી પુરવાર થયું છે કે નાયડુ તેમના રાજકીય ફાયદા માટે કોઈપણ પ્રકારની પગલું ભરતાં અચકાશે નહીં.

જ્યારે કોંગ્રેસે પણ આ બાબતને લઈને અગાઉની વાયએસઆર કોંગ્રેસની સરકારની ઝાટકણી કાઢી હતી. ભૂતૂપર્વ મુખ્યપ્રધાનની બહેન અને કોંગ્રેસની પક્ષપ્રમુખે ઉચ્ચસ્તરીય સીબીઆઈ તપાસની માંગ કરી હતી. તેણે જણાવ્યું હતું કે કરોડો લોકોની આસ્થા સાથે રમત રમાઈ છે અને જો અગાઉની સરકારને એમ લાગતું હોય કે તેમણે કશું ખોટું કર્યું નથી તો તેમણે સીબીઆઈ તપાસનો સામનો કરવો જોઈએ.

September 18, 2024
pitru-paksh.png
1min328

હિન્દુ ધર્મમાં પિતૃ પક્ષ જેને શ્રાદ્ધ પક્ષ કે શ્રાદ્ધ મહાલય કહેવામાં આવે છે. દર વર્ષે ભાદરવા મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિથી પિતૃપક્ષ શરૂ થાય છે. જેમાં પિતૃપક્ષના 15 થી 16 દિવસમાં પિતૃઓ માટે તર્પણ, શ્રાદ્ધ, પિંડ દાન વગેરે કરવામાં આવે છે.

પુરાણોમાં પણ કહેવામાં આવ્યું છે કે, જે મનુષ્ય પોતાના પિતૃઓને તૃપ્ત થાય તેવી ભાવનાથી પિતૃ શ્રાદ્ધ કરે છે. તેને પિતૃદેવના આશીર્વાદ મળે છે અને તેના પાપોનો નાશ થાય છે. આગામી 2 ઓક્ટોબર-બુધવાર સુધી મહાલયા-શ્રાદ્ધપક્ષ છે. શ્રાદ્ધપક્ષ દરમિયાન કોઇ પ્રકારના શુભકાર્ય થઇ શકતા નથી. શ્રાદ્ધ પક્ષ દરમિયાન કઇ તિથિનું શ્રાદ્ધ ક્યારે કરવું તેની વિગતવાર માહિતી આ મુજબ છે.

બુધવારથી શ્રાદ્ધપક્ષનો પ્રારંભ: આ તારીખ સુધી નહીં થાય કોઈ શુભ કાર્ય, જુઓ તિથી પ્રમાણે વિગતવાર માહિતી 2 - image
September 7, 2024
ambaji_temple-1280x720.jpg
1min334

બનાસકાંઠા જિલ્લામાં આવેલા વિશ્વપ્રસિદ્ધ મા અંબેના ધામ અંબાજી ખાતે દર વર્ષે આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાય છે. જેમાં ગુજરાત અને દેશભરમાંથી શ્રદ્ધાળુઓ પવિત્ર દિવસોમાં અંબાના દર્શનાર્થે પધારે છે. આ દરમિયાન આવતા શ્રદ્ધાળુઓની યાત્રા સુખદ અને યાદગાર બની રહે એ માટે રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રતિવર્ષ સંચારૂ આયોજન કરીને તમામ વ્યવસ્થાઓ કરવામાં આવે છે. આ વર્ષે આગામી 12મીથી 18મી સપ્ટેમ્બર દરમિયાન અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહા મેળા યોજાશે.

પ્રવાસન અને યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ અધ્યક્ષ સ્થાને મેળાના આયોજન અંગે બેઠક યોજાઈ હતી. મેળાના સુચારુ આગોતરા આયોજન માટે પ્રવાસન અને યાત્રાધામ સચિવ રાજેન્દ્રકુમારની અધ્યક્ષતામાં અંબાજી મંદિર હોલ ખાતે વિવિધ વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી. જેમાં મેળા માટે બનાવાયેલી વિવિધ સમિતિઓએ કરવાની કામગીરીની સમીક્ષા કરી હતી. યાત્રાળુઓને મેળા સંબધિત તમામ પ્રકારની માહિતી મળી રહે માટે તૈયાર કરવામાં આવેલા એક્શન પ્લાન ક્યુઆર કોડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

મંદિર વહીવટદાર કૌશિકભાઈ મોદી દ્વારા પ્રેઝન્ટેશન દ્વારા વિગતો અને માહિતી રજૂ કરાઇ હતી. પ્રવાસન અને યાત્રાધામ સચિવ સચિવ રાજેન્દ્રકુમારે જણાવ્યું હતું કે, ‘વહીવટીતંત્ર દ્વારા કરાયેલી મેળાની તૈયારીઓનો લાભ છેવાડાના પદયાત્રી સુધી પહોંચે તે જરૂરી છે. દર વર્ષે ભાદરવી પૂનમના મહામેળામાં આવતા ભાવિક ભક્તો માટે વ્યવસ્થાઓ કરવામાં આવે છે. આ વર્ષે પણ આ સુવિધાઓમાં વધારો કરીને યાત્રાળુઓને મેળા દરમિયાન સુખદ અનુભવ થાય એવા પ્રયાસો કરાશે. દર વર્ષે મેળાનો વ્યાપ વધતો જાય છે અને એ જ રીતે વિશેષ વ્યવસ્થાઓ પણ કરવામાં આવે છે.’

ભાદરવી પૂનમના મહામેળામાં શ્રદ્ધાળુઓ માટે બસ વ્યવસ્થા, રોકાણ અને ભોજન વ્યવસ્થા, પાર્કિંગ, સ્વાસ્થ્ય સુવિધાઓ, સ્વચ્છતા, કાયદો-વ્યવસ્થા, ટ્રાફિક નિયમન, લાઇટિંગ, મંદિરમાં દર્શન વ્યવસ્થા, સુરક્ષા-સલામતી, પ્રચાર-પ્રસાર સહિતની બાબતોનું ધ્યાન રાખવામાં આવશે.

August 26, 2024
Janmashtami.jpg
1min302

જન્માષ્ટમી પર બે શુભ સંયોગ, જો શુભ મુહૂર્તમાં કરશો પૂજા તો શ્રીકૃષ્ણની થશે અપાર કૃપા 1 – શ્રીકૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર હિંદુ ધર્મના એ તહેવારોમાંથી એક છે જેની દરેક વ્યક્તિ રાહ જુએ છે. વર્ષ 2024માં કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર 26 ઓગસ્ટના રોજ દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવશે. શ્રાવણ મહિનાની વદ પક્ષની આઠમની તિથિએ ઉજવાતો જનમાષ્ટમીનો આ તહેવાર માત્ર ભારતમાં જ નહીં, પરંતુ અન્ય ઘણા દેશોમાં પણ ખૂબ જ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે. આ વર્ષે કૃષ્ણ જન્માષ્ટમી પર બે શુભ યોગ પણ બની રહ્યા છે. તો આવો આ શુભ યોગો વિશે અને કૃષ્ણ જન્માષ્ટમીના શુભ પૂજાના સમય વિશે જાણીએ.

જન્માષ્ટમી તિથિ

વર્ષ 2024માં આઠમ તિથિ 26મી ઓગસ્ટના રોજ સવારે 3.40 કલાકે શરૂ થશે અને 26મીએ સવારે 2.20 કલાકે પૂર્ણ થશે. એટલે કે આઠમ તિથિ 27મીએ સવારે 2.20 વાગ્યા સુધી રહેશે. તેથી જન્માષ્ટમીનો તહેવાર 26 ઓગસ્ટે જ ઉજવવામાં આવશે.

જન્માષ્ટમી પર શુભ યોગ

આ વખતે જન્માષ્ટમી પર કેટલાક શુભ યોગ પણ બની રહ્યા છે. આ દિવસે રોહિણી નક્ષત્ર બપોરે 3.55 કલાકે શરૂ થશે અને 27મીએ મધ્યરાત્રિ સુધી ચાલુ રહેશે. આ સાથે જ જન્માષ્ટમીના દિવસે ચંદ્ર વૃષભ રાશિમાં બિરાજમાન હતા. એવું માનવામાં આવે છે કે જ્યારે ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો, ત્યારે પણ આવો જ યોગ રચાયો હતો, એટલે કે તે સમયે પણ ચંદ્ર વૃષભ રાશિમાં હતો. આ સાથે આ વખતે જન્માષ્ટમીનો તહેવાર સોમવારે છે. જ્યારે પણ આ તહેવાર સોમવાર કે બુધવારે આવે છે ત્યારે તેને ખૂબ જ શુભ સંયોગ માનવામાં આવે છે.

પૌરાણિક માન્યતાઓ પ્રમાણે ભગવાન કૃષ્ણનો જન્મ થયો ત્યાર બુધવાર હતો. જ્યારે ભગવાન કૃષ્ણનું નામ જે દિવસે રાખવામાં આવ્યું હતું, તે સોમવાર હતો. એટલે આ બે દિવસોમાં કૃષ્ણ જન્માષ્ટમીના તહેવાર ખૂબ જ શુભ અને ફળદાયી સાબિત થઈ શકે છે. આ શુભ યોગમાં જો વિધિ- વિધાનથી ભગવાન કૃષ્ણની પૂજા કરવામાં આવે તો, વ્યક્તિની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે. ચાલો હવે જાણીએ કે આ દિવસે પૂજા માટેનું શુભ મુહૂર્ત ક્યારે અને કયા સમય સુધી શુભ રહેશે.

કૃષ્ણ જન્માષ્ટમીએ પૂજાનો શુભ સમય

સવારે પૂજા માટેનો શુભ સમય – સવારે 5.55 થી 7.36 (આ દરમિયાન અમૃત ચોઘડિયા હશે).

સાંજે પૂજા માટેનો શુભ સમય – બપોરે 3:35 થી 7 વાગ્યા સુધી.

રાત્રે પૂજા માટેનો શુભ સમય – 12 મધ્યરાત્રિથી 12.45 સુધી.

અભિજીત મુહૂર્ત- આ એક શુભ સમય માનવામાં આવે છે અને આ સમય દરમિયાન તમે ભગવાન કૃષ્ણની પૂજા પણ કરી શકો છો, અભિજીત મુહૂર્ત દિવસ દરમિયાન સવારે 11:56 થી બપોરે 12:48 સુધી રહેશે.

આમ તો જન્માષ્ટમી પર ગમે ત્યારે ભગવાન કૃષ્ણનું ધ્યાન કરી શકાય છે. પરંતુ જો ઉપર જણાવેલ શુભ મુહૂર્તમાં પૂજા કરશો, તો તમને સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થશે.

August 14, 2024
rakhi1.jpg
1min277

રક્ષાબંધનમાં પંચક અને ભાદ્રની છાયા, જાણો રાખડી બાંધવાની તારીખ અને શુભ સમય

ભાઈ -બહેનના પ્રેમના પ્રતીક તરીકે રક્ષાબંધનનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ તહેવારમાં બહેનો તેમના ભાઈઓની સુરક્ષા અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરે છે. અને બહેન ભાઈના કાંડા પર રક્ષા સૂત્ર બાંધે છે, ત્યારે ભાઈઓ પણ બહેનની રક્ષા કરવાનું વચન આપે છે. હિંદુ કેલેન્ડર મુજબ રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિએ ઉજવવામાં આવે છે. આ વર્ષે રક્ષાબંધન 19 ઓગસ્ટ 2024ના રોજ ઉજવાશે. પરંતુ આ દિવસે પંચકની સાથે ભાદ્રની છાયા પડે છે. તેથી દરેક વ્યક્તિ મૂંઝવણમાં છે કે રાખડી બાંધવાનો શુભ સમય કયો માનવો. ચાલો જાણીએ રક્ષાબંધનનો શુભ સમય અને અન્ય માહિતી…
રક્ષાબંધન 2024 ક્યારે છે?

પંચાંગ અનુસાર શ્રાવણ માસની પૂર્ણિમાની તિથિ 19 ઓગસ્ટના રોજ સવારે 3.04 કલાકથી શરૂ થઈને રાત્રે 11.55 કલાકે સમાપ્ત થશે. એટલે રક્ષાબંધનનો તહેવાર 19 ઓગસ્ટ રોજ માનવામાં આવશે.

રાખડી બાંધવા માટે રક્ષા બંધન 2024 મુહૂર્ત

રક્ષાબંધન વિધિનો સમય – બપોરે 1:30 થી 9:06 સુધી

રાખડી બાંધવાનો સમય – બપોરે 1:46 થી 4:19 સુધી

સમયગાળો 02 કલાક 37 મિનિટ

રક્ષાબંધનમાં પ્રદોષ કાલનો શુભ સમય – સાંજે 06:56 થી 09:07 સુધી

સમયગાળો 02 કલાક 11 મિનિટ

રક્ષાબંધન પર ભાદ્રા અને પંચકની છાયા

તમારી જાણકારી માટે દરેક મહિનાના 5 દિવસ એવા હોય છે, જેમાં અનેક શુભ તેમજ માંગલિક કાર્યો વર્જિત ગણવામાં આવે છે. તેને પંચક કહેવાય છે. તમને જણાવી દઈએ કે, ઓગસ્ટ મહિનામાં પંચક શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે એટલે કે 19મીએ સાંજે 7:01 વાગ્યાથી શરૂ થઈ રહ્યું છે, જે 23મી ઓગસ્ટે રહેશે. પરંતુ તે સોમવારથી શરૂ થતો હોવાથી રાજ પંચક રહેશે. એટલે તમે શુભ કાર્યો સરળતાથી કરી શકો છો. આમાં કોઈ પણ પ્રકારનો દોષ લાગતો નથી.

આ વર્ષે રક્ષાબંધન દરમિયાન સવારથી જ ભદ્રાની છાયા રહેશે. આ કારણે બપોરે 1.30 પછી જ રાખડી બાંધવી શુભ રહેશે.

રક્ષાબંધન ભાદ્રાનો અંત સમય – બપોરે 01:30 કલાકે

રક્ષાબંધન ભાદ્રા પૂંછ – સવારે 09:51 – સવારે 10:53

રક્ષાબંધન ભાદ્રા મુળ – સવારે 10:53 – બપોરે 12:37

રક્ષાબંધન પર અનેક શુભ પ્રસંગો બની રહ્યા છે

આ વર્ષે રક્ષાબંધન પર અનેક શુભ યોગ બની રહ્યા છે. એટલે ભાઈના કાંડા પર રાખડી બાંધવી ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે. આ સાથે આ દિવસે સવારે 6.08 વાગ્યાથી સર્વાર્થ સિદ્ધિ યોગ શરૂ થઈ રહ્યો છે, જે સવારે 8.10 વાગ્યા સુધી ચાલશે. આ સાથે સૂર્ય પોતાની રાશિ સિંહ રાશિમાં રહેશે. આ સાથે બુધ અને શુક્ર સિંહ રાશિમાં રહીને લક્ષ્મી નારાયણ યોગ, બુધાદિત્ય અને શુક્રદિત્ય યોગ બનાવી રહ્યા છે. આ સાથે શનિ શશ નામનો રાજયોગ બનાવી રહ્યા છે.

August 4, 2024
shiv-mahadev.png
1min365

ગુજરાતમાં આજે અષાઢ માસની અમાસ દિવાસાના દિવસથી દશામાં વૃતનો પ્રારંભ થયો છે. અખંડ સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે. અષાઢ માસની અમાસથી શ્રાવણ માસની નોમ સુધી વ્રત ચાલે છે. અંતીમ દિવસે જાગરણ કરી વહેલી સવારે દશામાની પાણીમાં પધરામણી કરવામાં આવે છે. આવતકાલથી પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રારંભ થઈ રહ્યો છે. આ વર્ષે અનોખો યોગ બની રહ્યો છે. શ્રાવણનો પ્રારંભ સોમવારે અને વિદાય સોમવારે થશે.

દશામા વ્રતનું મહત્વ

ગુજરાતમાં દશામા વ્રત ધામધૂમથી ઉજવાય છે. આ વ્રત મહિલાઓ સંપૂર્ણ દસ દિવસ સુધી રાખે છે. આ સમય દરમિયાન દશામા માતાની સંપૂર્ણ વિધિથી પૂજા કરવામાં આવે છે અને તેમની પાસે સુખ અને સમૃદ્ધિની પ્રાર્થના કરવામાં આવે છે. સમગ્ર દસ દિવસ પંડાલમાં દિવડાઓ પ્રગટાવવામાં આવે છે અને દિવસભર ભજન કીર્તન કરવામાં આવે છે. પૂરા દસ દિવસ સુધી દરરોજ દશામા વ્રતની કથા કરે છે. જ્યોતિષીય અસંતુલન સુધારવા માટે આ વ્રત રાખવામાં આવે છે. આ વ્રતની અસરથી સાધકને સ્વાસ્થ્ય લાભ મળે છે.

જીવ અને શિવના પવિત્ર શ્રાવણ મહિનાનો સોમવારથી પ્રારંભ

કૈલાસના નિવાસી એવા ભગવાન ભોળાનાથની ભકિતનો મહિનો એટલે શ્રાવણ મહિનો જેનો 5મી ઓગસ્ટને સોમવારથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થનાર છે. 1952 બાદ 72 વર્ષ પછી શ્રાવણ માસનો પ્રારંભ અને અંત સોમવારથી થતો હોય તેવો અનોખો યોગ આવ્યો છે. શિવાલયોમાં હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠશે.

2જી સપ્ટેમ્બરના સોમવારે રોજ છેલ્લો દિવસ

હિન્દુ ધર્મના પવિત્ર શ્રાવણ મહિનાનો આવતીકાલે 5મી ઓગસ્ટને સોમવારથી શરૂઆત થનાર છે. જયારે શ્રાવણ માસનો અંત પણ સોમવારે 2જી સપ્ટેમ્બરના રોજ થશે. શ્રાવણ મહિનો શિવભક્તિ કરવાનો માસ ગણાય છે. શિવજીને પ્રિય એવા પાંચ સોમવાર પણ આવી રહ્યા છે. ત્યારે શ્રાાવણ માસના પ્રથમ દિવસે સોમવારથી ભકતો સવારના સમયે શિવાલયમાં ઉમટી પડશે. શીવજીને અભિષેક કરી પૂજા-અર્ચના સમગ્ર શ્રાવણ મહિના દરમિયાન ભકતો કરશે. આ ઉપરાંત અમુક ભકતો આખો મહીનો ઉપવાસ કે એકટાણા કરે છે. શ્રાવણ મહિના દરમિયાન ભક્તિ ભાવથી શિવપુરાણ, શિવલીલામૃત, શિવકવચ, શીવ ચાલીસા, શિવ પંચાક્ષર મંત્ર, શિવ પંચાક્ષર સ્ત્રોત, મહામૃત્યુંજય મંત્રનો પાઠ અને જાપ કરવાથી મનોવાંચ્છીત ફળ મળે છે.

July 19, 2024
somnat.jpg
1min302

સોમનાથ મહાદેવ મંદિરમાં ફક્ત ૨૫ રૂપિયા ભરીને ઘેરબેઠાં પૂજાનો લહાવો લઈ સોમનાથદાદાના આશીર્વાદ મેળવી શકાશે

સોમનાથ મહાદેવના શિવલિંગ પર બીલીપત્રપૂજાની ફાઇલ તસવીર.

શિવભક્તો માટે વર્ષના સૌથી મોટા ઉત્સવ શિવરાત્રિમાં વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અને જ્યાં પ્રથમ જ્યોતિર્લિંગ આવેલું છે એવા સૌરાષ્ટ્રના સોમનાથ મંદિરમાં સોમનાથ મહાદેવને ઘેરબેઠાં બિલ્વપત્ર અર્પણ કરી શકાશે. ઑગસ્ટ મહિનાથી શ્રાવણ મહિનો શરૂ થઈ રહ્યો છે ત્યારે સોમનાથ મહાદેવ મંદિરમાં ૨૫ રૂપિયા ભરીને ઘેરબેઠાં બિલ્વપૂજાનો લહાવો લઈ શકાશે અને સોમનાથદાદાના આશીર્વાદ મેળવી શકાશે.

શાસ્ત્રોમાં શિવજીને બિલ્વપત્ર અર્પણ કરવાનો મહિમા વર્ણવતાં કહેવાયું છે કે ‘શિવજીને ત્રણ પર્ણવાળું બીલીપત્ર અર્પણ કરવાથી ત્રણ જન્મોનાં પાપ નાશ પામે છે ત્યારે સોમનાથ ટ્રસ્ટની વેબસાઇટ પરથી ભક્તો બિલ્વપૂજા ઘેરબેઠાં નોંધાવી શકાશે અને સોમનાથ મહાદેવ મંદિરમાં શિવલિંગ પર પૂજારી દ્વારા બિલ્વાર્ચન કરવામાં આવશે. જે ભક્તજન બીલીપત્રપૂજન કરાવશે તેમના ઘરે સોમનાથ ટ્રસ્ટ દ્વારા બિલ્વપૂજાનાં બીલીપત્ર, રૂદ્રાક્ષ અને ભસ્મ પ્રસાદ સ્વરૂપે મોકલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે શ્રાવણ મહિનામાં ૨.૫૦ લાખથી વધુ ભક્તોએ બિલ્વપત્રપૂજાનો લાભ લીધો હતો. જે શિવભક્તોને ઘેરબેઠાં ઑનલાઇન બિલ્વપૂજાનો લહાવો લેવો હોય તેઓએ સોમનાથ ટ્રસ્ટની અધિકારિક વેબસાઇટ https://somnath.org/BilvaPooja/ પર પૂજા બુક કરાવી શકે છે.