|
મહેસાણામાં રવિવાર 14 July 2019 સવારે જન્મભૂમિ એક્સપ્રેસ(19107) ટ્રેન આવી પહોચતા સાંસદ જુગલજી ઠાકોર ,સ્ટેશન અધિકારી એસ.આર.મીના સહિત આગેવાનો,અધિકારીઓએ સ્વાગત કર્યુ હતું અને લીલીઝંડી આપી ટ્રેનને પ્રસ્થાન કરાવ્યુ હતું. |

|
મહેસાણામાં રવિવાર 14 July 2019 સવારે જન્મભૂમિ એક્સપ્રેસ(19107) ટ્રેન આવી પહોચતા સાંસદ જુગલજી ઠાકોર ,સ્ટેશન અધિકારી એસ.આર.મીના સહિત આગેવાનો,અધિકારીઓએ સ્વાગત કર્યુ હતું અને લીલીઝંડી આપી ટ્રેનને પ્રસ્થાન કરાવ્યુ હતું. |

જગતના નાથ એવા ભગવાન જગન્નાથ વર્ષમાં માત્ર એકવાર નગરચર્યાએ નીકળે છે અને આ વિશિષ્ટ પર્વ એટલે રથયાત્રા. આજે એટલે કે અષાઢી બીજનાં દિવસે અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથજી મંદિરની 142મી પૌરાણિક-પારંપરિક રથયાત્રા ભવ્યાતિભવ્ય રીતે નીકળી રહી છે.

ભગવાન જગન્નાથજી ગુરુવારે અત્યંત શુભ એવા ‘ગુરુપુષ્ય’ યોગમાં ભક્તોનાં ખબર-અંતર પૂછવા માટે નગરચર્યાએ રજવાડી શણગાર સજીને નીકળ્યા છે.
સવાર સવારમાં જ મંગળા આરતી દરમિયાન વરૂણદેવ પણ રાજી થયા હતા અને ભગવાનની રથયાત્રા પૂર્વે અમીછાંટણાથી ભક્તો ખુશખુશાલ થઈ ગયા હતા. રથાયાત્રા અગાઉ મેઘરાજાની હાજરીથી મનમોહક વાતાવરણ જોવા મળ્યું છે.

ભગવાન જગન્નાથ નંદિઘોષ રથમાં આરૂઢ છે જ્યારે બહેન સુભદ્રા કલ્પધ્વજ રથમાં વિદ્યમાન છે અને ભાઈ બલભદ્ર તાલધ્વજ રથમાં બિરાજમાન થયા છે. ભગવાનને નયનભરીને નિરખવા માટે ભક્તો તલપાપડ થઈ રહ્યા છે અને મંદિરની બહાર પણ વિશાળ જનમેદની ઉપસ્થિત છે. ભગવાનની રથયાત્રા જમાલપુરના નિજમંદિર બહાર પહોંચી છે અને ઠેર ઠેર ‘જય રણછોડ માખણચોર’ના નાદ ગૂંજી રહ્યા છે.

૧૪૨મી રથયાત્રાનો પ્રારંભ સવારે ૭.૦૦ વાગ્યે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે સોનાની સાવરણીથી માર્ગ સ્વચ્છ કરીને ‘પહિંદ વિધિ’ કરાવીને રથ ખેંચીને કરાવ્યો હતો.

ગુરુવારે રથયાત્રા સાથે અખંડ ‘ગુરુપુષ્યામૃતસિદ્ધિ’ અને ‘લક્ષ્મી’યોગ, આ દિવસે કરેલું કાર્ય સિદ્ધિ-સફળતા અપાવશે
ગુરુવાર, તા.૪ જુલાઈ 2019 ના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા નો દિવસ અત્યંત શુભ અને પવિત્ર માનવામાં આવે છે. ગુજરાતી વર્ષ પ્રમાણે અષાઢી બીજના આ ઉત્તમ દિવસે જ ‘ગુરુપુષ્યામૃતસિદ્ધિ યોગ’, ‘લક્ષ્મી યોગ’નો સમન્વય થઈ રહ્યો છે. જેથી આ દિવસે શુભ કાર્યો માટે અને કાર્યસિદ્ધિ માટે સર્વોત્તમ બની રહેશે. એટલા માટે જ ગુરુવાર આવી રહેલા આ યોગના અત્યંત શુભ માનવામાં આવે છે.
અષાઢ સુદ બીજ, તા.૪ જુલાઈ, ૨૦૧૯ના રોજ ચંદ્ર પુષ્ય નક્ષત્રમાં વહેલી સવારે ૪.૪૦ મિનિટે આવે છે અને રાત્રિના ૨.૩૧ મિનિટ સુધી પુષ્ય નક્ષત્રમાં રહે છે. આ સમયગાળા દરમિયાન ચંદ્રની સાથે મંગળ પણ છે. એટલે ચંદ્ર-મંગળનો ‘લક્ષ્મી યોગ’ થાય છે.
બારમે સૂર્ય, શુક્ર અને રાહુ મિથુન રાશિના છે. ચંદ્રકુંડળી અનુસાર સૂર્ય ધન સ્થાનનો માલિક બને છે અને શુક્ર લાભ સ્થાનનો માલિક બને છે. આ બન્નેની યુતિ ધન-પ્રાપ્તિમાં સહાયક છે. તેની સાથે ઉચ્ચનો રાહુ છે. સામાન્ય રીતે રાહુ નકારાત્મક શક્તિનો દ્યોતક છે, પરંતુ મિથુન રાશિમાં રહેલો ઉચ્ચનો રાહુ હકારાત્મક બને છે. તેની સાથે છઠ્ઠા સ્થાનમાં ધન રાશિમાં રહેલો શનિ તે આ સ્થાનમાં શ્રેષ્ઠ ફળ
આપનાર છે.

વૃશ્ચિક રાશિનો ગુરુ પાંચમા સ્થાનમાં છે અને તે વક્રી હોવાથી ‘શુભા વક્રા અતિશુભા’ શુભ ગ્રહો વક્રી થાય તો વધુ શુભ ફળ આપે છે. એ મુજબ પાંચમા સ્થાનમાં રહેલો ગુરુ વધુ શુભ ફળ આપનારો છે અને તે નવમા ભાગ્ય સ્થાનનો માલિક છે અને તે સ્થાન પર ગુરુની દૃષ્ટિ હોવાથી ધાર્મિક કાર્યો સારા પ્રમાણમાં થશે. ગુરુની ચંદ્ર-મંગળ અને બુધ પર દૃષ્ટિ છે અને ગુરુની જે ગ્રહ પર દૃષ્ટિ થાય તે શુભ ફળ આપનાર બને છે. તેથી ચંદ્ર, મંગળ અને બુધ ત્રણેય શુભ ફળ આપનાર બની રહેશે. આ પ્રકારના અખંડ ગુરુ-પુષ્યામૃતસિદ્ધિ યોગમાં કરેલું કાર્ય સફળતા અપાવનાર બની રહે છે.
આ દિવસે ચંદ્ર-ગુરુનો નવપંચમ યોગ થઈ રહ્યો છે. માટે આ દિવસ કોઈપણ પ્રકારના કાર્યની સિદ્ધિ માટે તથા સરસ્વતી દેવીની આરાધના શ્રેષ્ઠ છે. નવા કાર્યોનો પ્રારંભ કરવા માટે પણ ઉત્તમ છે. બીજી તરફ તિથિ મુજબ પણ અષાઢી બીજ-રથયાત્રાનો સમન્વય થાય છે. જ્યારે ચાતુર્માસના પ્રવેશ માટે પણ ઉત્તમોત્તમ દિવસ છે.
શહેરમાં આગામી તા.૪થી જુલાઈએ ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. મોસાળમાંથી એટલે કે, મામાના ઘરેથી ભગવાન જગન્નાથ આજે મંદિરે પરત ફર્યા હતા.
મંદિરે ભગવાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભગવાનને આંખો આવી હોવાથી તેઓને આંખે પાટા બાંધી નેત્રોત્સવ વિધિ કરવામાં આવી હતી. આજે મંદિરે વિશેષ પૂજા અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. જેમાં લોકોએ મોટી સંખ્યાં હાજરી આપી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર ભગવાન પૂનમથી અમાસ એટલે કે ૧૫ દિવસ મામાના ઘેર રોકાયા બાદ આજે મંગળવારની વહેલી સવારે ભગવાન જમાલપુર ખાતેના નિજ મંદિરે વાજતે ગાજતે પરત ફર્યા હતા. સરસપુરમાં મામાના ઘેર ખૂબ કેરી આરોગી હોવાથી ભગવાનને આંખો આવી હોવાથી ભગવાનને આંખે પાટા બાંધી નેત્રોત્સવ વિધિ કરવામાં આવી હતી. આજે મંદિરમાં સાધુ સંતોનો ભંડારો પણ યોજવામાં આવ્યો હતો.
જેમાં ૨૦૦૦થી વધુ સાધુ-સંતોએ પ્રસાદનો લ્હાવો લીધો હતો. મંદિર તરફથી સાધુ-સંતોને પ્રસાદ સાથે દક્ષિણા અને ભેટ આપવા આવી હતી. આજના દિવસે વિશેષ ભંડારો કાળી રોટી એટલે કે માલપુવા અને સફેદ દાળ એટલે કે દૂધ પાક આપવામાં આવે છે. ભક્તો પણ દૂર દૂરથી આ પ્રસાદનો લ્હાવો લેવા માટે મંદિરે આવે છે. રાજ્યપાલ ઓ.પી. કોહલીએ, મેયર બીજલ પટેલે તેમજ મોટી સંખ્યામાં રાજકીય અગ્રણીઓએ પણ ભગવાનના દર્શન કરી શહેરની શાંતિ અને સલામતીની પ્રાર્થના કરી હતી.
મહેમદાવાદ સિદ્ધિ વિનાયક મંદિર ખાતે આ વર્ષે સૌથી મોટી 17 કિલોમીટર લાંબી રથયાત્રા કાઢવામાં આવશે જેમાં તાલુકાના 72 ગામોના લોકો આ રથયાત્રામાં ભાગ લેશે. પ્રથમ વખત જ આ રથયાત્રાના રૂટ પર ભગવાનના રથ માટે એક લાખ સાડી પાથરવામાં આવશે. જે ગામ લોકોના ઘરે ઘરેથી એકત્ર કરાઈ છે. તેમજ ભક્તોએ માતાજીને દસ હજાર સાડી અર્પણ કરી હતી. રથયાત્રાની સાથે સાથે માતાજી પણ નગરચર્યા માટે નીકળવાના હોવાથી રથ જ્યાં જ્યાં ફરશે ત્યાં રોડ પર સાડી પાથરવામાં આવશે.

રથયાત્રાના દિવસે પાંચ હજારથી વધુ શ્રદ્ધાળુ માટે ભંડારો પણ યોજાશે. તેમજ પ્રસાદ તરીકે 1200 કિલો જાંબુ- અને મગનું વિતરણ કરાશે. જ્યારે આ રથયાત્રામાં 50થી વધુ રથ જોડાશે તેમજ મોટી સંખ્યામાં ભક્તો ઉપરાંત સાધુ-સંતો ભાગ લેશે. અમદાવાદ જિલ્લાના મહેમદાવાદ તાલુકાના સિદ્ધિ વિનાયક મંદિરેથી નીકળનારી રથયાત્રામાં પાંચ લાખથી વધુ ધજા-પતાકા તેમ જ ડીજે જોડાશે.
સાથે સાથે આદિવાસી નૃત્યનું આયોજન કરવામાં આવશે. આ નૃત્ય માટે ડાંગ વિસ્તારના આશરે 150 લોકો સિદ્ધિ વિનાયક મંદિર ખાતે આવશે. તેમ જ 25થી વધુ ભજનમંડળીઓ આ રથયાત્રામાં જોડાશે. જેમાં જે ભજનમંડળી સારું પ્રદર્શન કરશે તેને ઇનામ આપવામાં આવશે. સમગ્ર રથયાત્રા દરમિયાન રૂટ પર પાથરવામાં આવેલી સાડીઓ રથયાત્રાની પૂર્ણાહુતિ પછી મંદિરમાં દર્શને આવનારા નવદંપતીને દાન કરવામાં આવશે.

’જય શ્રી ગોપાલલાલ મહારાજશ્રીની સુરત સૃષ્ટિ ટ્રસ્ટ-સુરત’ નિર્મિત પ્રભુશ્રી ગોપાલલાલજી ની હવેલીના પાટોત્સવના ૨૫ વર્ષ પૂરા થતાં ટ્રસ્ટ આયોજીત પાટોત્સવ મિતિ રજત મહોત્સવ વર્ષ ૨૦૧૯ – ૨૦૨૦ ના ભાગરૂપે આજ રોજ સવંત ૨૦૭૫, જેઠ વદ દશમ તારીખઃ- ૨૮/૦૬/૨૦૧૯ શુક્રવારના રોજ શ્રી જમુનેશ મહાપ્રભુજીનો ૩૪૯માં જન્મદિન રૂપી ઓચ્છવમાં સુરત સૃષ્ટિના વૈષ્ણવોએ સુંદર સત્સંગ સાથે કુંજવારા (છપ્પનભોગ) તેમજ રાત્રે ઢાઢીલીલા નું સુંદર આયોજન કરવામા આવ્યું હતું. જેમાં હજારો વૈષ્ણવોએ જન્મોત્સવ નો લાભ લઈ આનંદ અને ખુશી વ્યકત કરી હતી.

પ્રભુશ્રી ગોપાલલાલજી ની હવેલી – કતારગામ, સુરત ટ્રસ્ટના પ્રમુખશ્રી નાગજીભાઈ જે. પટેલ તથા મંત્રીશ્રી જસમતભાઈ એન. વિડિયા તથા સુરત સૃષ્ટિ ટ્રસ્ટ-સુરતના સેવાકાર્યમાં જોડાયેલ વૈષ્ણવો ભીખાભાઈ ઈટાલિયા, વશરામભાઈ શેટા, પ્રવિણભાઈ કાકડિયા, હિંમતભાઈ સવાણી, ભરતભાઈ ઈટાલિયા (ઢાઢીશ્રી), ભીમજીભાઈ મીયાણી, બટુકભાઈ જીવાણી, લક્ષ્મણભાઈ મોરડિયા, હિંમતભાઈ બેલડિયા સુરત સૃષ્ટિના વૈષ્ણવોએ કરેલ સુંદર આયોજન સાથે સેવાકાર્યની સુરત સૃષ્ટિના વૈષ્ણવો થકી પણ ખૂબ જ પ્રશંસા કરવામાં આવી હતી, તેમજ સુરત સૃષ્ટિ ટ્રસ્ટે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં અથાગ પરિશ્રમ કરનાર સ્વયં સેવકોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
શહેરમાં અષાઢી બીજને દિવસે એટલે કે, આગામી તા. 4થી જુલાઈએ નીકળનારી 142મી રથયાત્રાને હવે ગણતરીના જ દિવસ બાકી છે ત્યારે શહેર પોલીસ પણ રથયાત્રાના માહોલમાં આવી પ્રિ-એકશન પ્લાન પોલીસે ઘડી કાઢ્યો હતો.
રથયાત્રાના રૂટ પર પોલીસે કોમ્બિંગ, પેટ્રોલિંગની સાથે સંવેદનશીલ વિસ્તાર ગણાતા એવા દરિયાપુર, કાલુપુર ફ્રુટ માર્કેટ અને દિલ્લી દરવાજા ખાતે વધુ સીસીટીવી કેમેરા લગાવી તૈયારીઓ શરૂ કરી દીધી હતી. તેમજ શહેરના રૂટપર ફલેગ માર્ચ યોજી આખરી ઓપ આપ્યો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર શહેરની ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને અગાઉથી જ પોલીસ એકશનમાં આવી જતી હોય છે. જૂના પોલીસ અધિકારીઓ કે જેમણે રથયાત્રાનો બંદોબસ્ત કર્યો હોય તેવા અધિકારીઓનું લિસ્ટ પણ તૈયાર કરી દેવાતું હોય છે. અને સાથે થોડા દિવસો પહેલા જ કોમ્બિંગ, પેટ્રોલિંગ કરવામાં આવતું હોય છે.
પોલીસે દરિયાપુર, કાલુપુર ફ્રુટ માર્કેટ અને દિલ્લી દરવાજા ખાતે વધુ સીસીટીવી કેમેરા લગાવી તૈયારીઓ શરૂ કરી દીધી હતી. આ ઉપરાંત સંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલીંગ અને કોમ્બિંગ પણ કરવામાં આવી રહ્યું છે.
મહત્વનું છે કે આ વખતે પોલીસ સુરક્ષા માટે સૌથી વધુ ડ્રોનનો ઉપયોગ કરશે. શહેરના દરિયાપુર, શાહપુર અને દિલ્લી દરવાજા તે સંવેદનશીલ વિસ્તારમાંના એક ગણાય છે. જેને લઇને પહેલા તો આ વિસ્તારમાં 100થી વધુ કેમેરા લગાવવામાં આવ્યા હતા. આ કેમેરા હાઇ રિઝોલ્યુશનવાળા મુવેબલ સીસીટીવી કેમેરા છે. આ તમામ કેમેરાનું મોનિટરીંગ ત્રણ જગ્યાએ થશે.
આજે વિશ્વ યોગ દિવસ, 21 જૂને દિવસ ઉગ્યો ત્યારથી સમગ્ર વિશ્વમાંથી યોગ દિવસની ઉજવણીના જ સમાચારો ટ્રેન્ડમાં જોવા મળ્યા હતા.
વિશ્વને યોગ દિવસની ભેંટ આપનારા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આજે યોગ દિનની રાષ્ટ્રીય ઉજવણીના ભાગરૂપે રાંચીના પ્રભાત તારા મેદાન પર યોજાયેલા યોગાસન કાર્યક્રમમાં એક પાર્ટીસિપેટ તરીકે યોગાસન કરીને વિશ્વને યોગ અંગે ગાઇડન્સ આપ્યું હતું.
ગુજરાતમાં અમદાવાદમાં પણ મોટી સંખ્યામાં લોકોએ સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે યોગ કરીને વિશ્વ યોગ દિનની ઉજવણી કરી હતી.
એવી જ રીતે યોગ ગુરુ ગણાતા બાબા રામદેવની વેશભૂષામાં આવેલા તેમ સ્કેટિંગ શૂઝ સાથે યોગ કરનારા બાળકોએ આકર્ષણ જમાવ્યું હતું.

નવી મોદી સરકારમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન બનેલા અમિત શાહ દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી બીજ નિમિત્તે નીકળનારી ભગવાન જગન્નાથની ૧૪૨મી રથયાત્રામાં મંગળા આરતીના દર્શન કરવા માટે બે દિવસ એટલે કે, ૩ અને ૪ જૂલાઈ ગુજરાતની મુલાકાતે આવશે. ૪ જુલાઈના રોજ અમિત શાહ ૧૭મી વખત મંગળા આરતીના દર્શન કરશે. ગાંધીનગર લોકસભા બેઠકના કાર્યકરો દ્વારા અમિત શાહનો અભિવાદન સમારોહ યોજવામાં આવશે. માત્ર એટલું જ નહીં, શાહ ગુજરાતની હાલની રાજકીય પરિસ્થિતિ અને રાજ્યસભાની બે બેઠકોની યોજાનારી ચૂંટણી અંગે પણ ભાજપના પ્રદેશ નેતાઓ સાથે બેઠક યોજશે. તેમના હસ્તે ઈન્કમટૅક્સ ચાર રસ્તા પર ૬૦ કરોડ રૂપિયાના ખર્ચે બનેલા નવા પુલનું લોકાર્પણ પણ કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહ પ્રધાન તરીકે અમિત શાહનો આ પહેલો લોકાર્પણ કાર્યક્રમ હશે. તો સાથે જ ગાંધીનગર લોકસભા બેઠકના જનસંપર્ક કાર્યાલયનું પણ ઉદ્ઘાટન કરશે.
ભગવાન જગન્નાથની ૧૪૨મી જળયાત્રા મંદિરેથી સવારે જળયાત્રાની શોભાયાત્રા નીકળી હતી. શ્રૃંગાર કરેલા હાથીઓની સાથે બેન્ડવાજા ભજનમંડળી અને મોટીસંખ્યામાં ધજા પતાકા લઈને શ્રદ્ધાળુઓ જોડાયા હતા. શોભાયાત્રા સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરે ગંગા પૂજન બાદ ૧૦૮ કળશમાં જળ ભરવામાં આવ્યા હતા. નિજ મંદિરે આવ્યા બાદ સવારે ૧૦ વાગ્યે વિધિવત મહાજળાભિષેક કરવામાં આવ્યો હતો.ભગવાન તેમના મોસાળમાં આગામી ૧૪ દિવસ સુધી વિશ્રામ કરશે. હવે ભગવાન જગન્નાથજીના નિગ્રહના દર્શન જ થઈ શકશે. એટલે કે ભગવાનની પ્રતિમાના સ્થાને તેમના ફોટો મુક્વામાં આવશે. માન્યતા અનુસાર ભગવાન જગન્નાાથજી મામાને ઘેર ગયા હોવાથી તેમના દર્શન થઈ શકતા નથી. સાંજે પાંચ વાગ્યે સરસપુરના આંબેડકર હોલથી શોભાયાત્રાનું પ્રયાણ થયું હતું અને સાંજે છ વાગ્યે વાજતે ગાજતે અને રંગેચંગે ભગવાન જગન્નાથજી સરસપુરના રણછોડરાયજી મંદિર સ્થિત પોતાના મોસાળમાં પધરામણી કરી હતી.