CIA ALERT

આધ્યાત્મિક Archives - Page 24 of 36 - CIA Live

August 29, 2019
Ganesh_sthapna.jpg
1min6630

પવિત્ર શ્રાવણ મહિનો પૂરો થઇ રહ્યો છે અને આગામી સોમવાર તા.2 સપ્ટેમ્બરના રોજ વિક્રમ સંવત 2076ની ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચતુર્થીએ ગણેશોત્સવનો આરંભ થઇ રહ્યો છે.મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ગણેશોત્સવની ભારે ધૂમ મચતી હોય છે. સુરતમાં તો ગણેશ પંડાલો, મંડપોની તૈયારી થઇ ચૂકી છે હવે બસ બાપ્પાના આગમનની રાહ જોવાય રહી છે. આ સંજોગોમાં ગણેશજીની સ્થાપના કરનારા લોકોને ગણેશ ચતુર્થીએ કયા મૂહુર્તમાં સ્થાપના કરવી એની શાસ્ત્રોક્ત માહિતી અત્રે રજૂ કરવામાં આવી છે. વિનાયક ચતુર્થી અથવા ગણેશચોથના નામથી જાણીતી આ ચતુર્થીને ભગવાન ગણેશના જન્મદિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે.

ગણેશ ચતુર્થીના પાવન પર્વ પર સોમવારે એટલે કે 2 સપ્ટેમ્બરે સવારે દ્વિસ્વભાવ લગ્ન કન્યામાં સવારે 7:10 વાગ્યાથી 9:26 વાગ્યા સુધી, ચર લગ્ન તુલામાં 9:26 થી 11:44 સુધી અથવા તો ધન દ્વિસ્વભાવ લગ્ન બપોરે 2:03 થી 4:07 સુધી અથવા ચર લગન મકરમાં સાંજે 4:08 વાગ્યાથી 5:50 વાગ્યા સુધીમાં ઈકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના ઘર, પાર્ક, પંડાલમાં કરવામાં આવશે તો શુભ રહેશે.

લગ્ન મુહૂર્તના વધારાના ખાસ મુહૂર્ત જોઈએ તો એવું માનવામાં આવે છે કે ગણેશજીનો જન્મ ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થીના મધ્યાહ્નના સમયે થયો હતો. આ વખતે આ અતિશુભ સમય દિવસના 11:05 થી બપોરના 1:38 મિનિટ રહેશે.

August 24, 2019
AATHAM.jpg
3min14760

જન્માષ્ટમી એટલે પ્રભુ પ્રેમીઓના આનંદની પરાકાષ્ઠા. આ પર્વ પ્રત્યેક વર્ષે એક જ વાર આવે છે, પણ લોકોને કેટલો આનંદ આપે છે! વસુદેવ શુદ્ધ સત્વનું સ્વરૂપ છે, અને દેવકીજી નિષ્કામ બુદ્ધિનું સ્વરૂપ છે.

દેવકીનો ભાઇ કંસ બહેનને વિદાય આપવા રથ હાંકે છે. આ વખતે આકાશવાણી થાય છે. “તારી બહેન દેવકીનો આઠમો ગર્ભ તને મારશે.” કંસે ભયભીત બની દેવકી અને વાસુદેવને કારાગૃહમાં પૂરી દીધા હતા. એક પછી એક એમ દેવકીના બાળકોનો કંસે વિનાશ કર્યો.

શ્રી કૃષ્ણાવતાર એટલે દેવકીજીનો આઠમો પુત્ર. શ્રાવણ વદ આઠમ, અભિજિત નક્ષત્ર, શ્રી કૃષ્ણ જન્મ જયંતી, ભગવાન શ્રી કૃષ્ણે આજે અધર્મનો નાશ કરી ધર્મની સ્થાપના કરવા, પાપીઓનો સંહાર કરવા, પુણ્યાત્માઓની રક્ષા કરવા તેમજ ગાયો, બ્રાહ્મણો અને સંતોનું પાલન કરવા ધરતી ઉપર જન્મ ધારણ કર્યો. ભગવાનનો પ્રાદુર્ભાવ થતાની સાથે જ કારાગૃહમાં દિવ્ય પ્રકાશ રેલાયો.

પ્રકાશમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરેલા ભગવાન વિષ્ણુને વસુદેવે જોયા. “મને ગોકુળમાં નંદબાબાને ત્યાં મૂકી આવો.” અને વસુદેવ-દેવકીને બીજા વધુ ૧૧ વર્ષ અને ૫૨ (બાવન) દિવસ પોતાનું ધ્યાન ધરવા કહ્યું. “यदा यदा हि धर्मस्य…” આ કોલ પાળવા શ્રી કૃષ્ણે દેવકીજીની કૂખે અવતાર લીધો.

જન્મ કારાવાસમાં પરંતુ ઉછેર નંદરાજાને ઘેર માતા યશોદાજીની ગોદમાં! શ્રી કૃષ્ણ એટલે કૌસ્તુભમણિ. સવાર થતાં જ યશોદાજીને પુત્ર જન્મની વધાઈ સાંપડે છે. ગોકુળમાં આનંદ આનંદ છવાઈ ગયો. “નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી.” વસુદેવ યોગમાયાને લઈ પાછા મથુરામાં કારાગૃહમાં પ્રવેશ્યા. આ બાલિકા શ્રી વિષ્ણુની નાની બહેન મહામાયા જ હતી.

જન્માષ્ટમી પ્રભુ કીર્તન, પ્રભુ સ્મરણ, દર્શન, વંદન, શ્રવણ તથા પૂજન પાપને તત્કાળ દૂર કરે

બ્રહ્મ સંબંધ થતાં બેડી તૂટેલી. માયાનો સંસર્ગ થવાથી તેમના હાથમાં ફરીથી બેડીઓ આવી ગઈ. કારાગૃહના દ્વાર બંધ થઈ ગયા. સો ટચના સોનાનો કદી આકાર થતો નથી. ચોખા વાવે તો ચોખા ન થાય. તે માટે તો ડાંગર જ વાવવી પડે. આવરણ સાથે બ્રહ્મ નિહાળે તેને મુક્તિ મળતી નથી. આ બધા પ્રસંગો તો અવતાર ધારણ કરવા પ્રભુની સ્વેચ્છા મુજબ જ બન્યાં હતા.

દેવીએ એક પછી એક પૃથ્વી ઉપર અવતાર લેવા માંડ્યો. દેવાંગનાઓ વ્રજભૂમિમાં ગોપીઓ બની અને દેવો ગોવાળિયાઓ બન્યાં. શ્રી કૃષ્ણ ભયાનક કાળમાં જન્મ્યાં હતા. તત્કાલીન સમાજમાં સત્તા અને સંપત્તિનું પાશવી નૃત્ય ચાલી રહ્યું હતું. રાક્ષસી પૂતના, રાક્ષસો શકરાસુર, તૃણાવર્ત, વત્સાસુર, બકાસુર, વ્યોમાસુર વગેરે ભગવાન શ્રી કૃષ્ણના અપૂર્વ બળ આગળ ટકી શકતા નથી. વ્રજ ગોપીઓ પ્રત્યેના અલૌકિક પ્રેમનો અને રાસલીલાનો પ્રસંગ અદભુત છે.

વ્રજના કણ કણમાં આ ઉત્સવ ઉજવાયો છે. શ્રી કૃષ્ણ ભગવાન વિષ્ણુના આઠમા અવતાર હતા વળી તિથિ પણ શ્રાવણ વદ આઠમ, આથી આ દિવસ જન્માષ્ટમી તરીકે પવિત્ર ગણાય છે. જન્માષ્ટમીના દિવસે કરવામાં આવેલું વ્રત વ્રતધારીને સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ આપનારું છે. જન્માષ્ટમી વ્રત કરવાથી અને ઉપવાસ કરવાથી પ્રભુ પ્રસન્ન થાય છે. 

દશાફલ વ્રત (શ્રાવણ વદ આઠમ) અન્ય વ્રત કરતાં જુદું જ છે. ભગવાનની સેવા-પૂજા, કથા-વાર્તા, આરતી વગેરે મધરાતે કરાય છે. ભગવાને અર્ધ્ય પણ મધરાતે અપાય છે. આ વ્રત કરનારને ખરાબ દશા આવતી નથી, માટે સૌએ આ વ્રત શ્રદ્ધા પૂર્વક કરવું જોઇએ. ઈશ્વરનું પ્રાગટ્ય કે પ્રાદુર્ભાવ એટલે મહોત્સવ.

પ્રભુ કીર્તન, પ્રભુ સ્મરણ, દર્શન, વંદન, શ્રવણ તથા પૂજન લોકોના પાપને તત્કાળ દૂર કરે છે. નંદબાબાએ ગૌદાન અને ગુપ્ત દાન કરીને સૌને પ્રસન્ન કર્યા હતા. ધન-સંપત્તિને ધોવાની સારી પ્રક્રિયા દાન છે. અન્નદાન, વિદ્યાદાન વગેરે દાન દ્વારા ધન ધોવાય છે. આ દાન સુપાત્ર હોવું જરૂરી છે. દેવતાઓ વિવિધ સ્વરૂપે દર્શને આવ્યા છે. સૌંદર્ય એ આંખનો ઉત્સવ છે. સંતોષ એ આનંદનો ઉત્સવ છે. ધ્યાન અને પ્રેમ એ અંતઃકરણનો ઉત્સવ છે. ભગવાન સૌંદર્ય અને પરમાનંદ લૂંટાવી રહ્યા છે. શિવજી પણ પધાર્યા છે. હરિ-હરની નજર એક બને છે.

શિવજી તો આનંદવિભોર બની તાંડવ નૃત્ય કરવા લાગે છે. બાલસ્વરૂપ નિહાળી સૌને પરમાનંદ થાય છે. પ્રભુએ બાળલીલામાં કોટિ કોટિ બ્રહ્માંદના દર્શન કરાવ્યા છે. કંસ પૂતના રાક્ષસીને મોકલે છે. જે પવિત્ર નથી તે પૂતના. પૂતના એ મનનો દોષ છે. મનમાં રહેલી અવિદ્યા છે. પૂતના એ અહંકાર અને વિકાર છે.

પવિત્રમાં પવિત્ર વૃત્તિને ઘસડી લઈ જાય તે પાપનું નામ પૂતના. સ્તનપાન કરાવવાના ધરી આવે છે. શ્રી કૃષ્ણ તેનો ઉદ્ધાર કરે છે. પૂતના અજ્ઞાનતાનું પ્રતીક છે, વાસનાનું પ્રતીક છે. માણસની આંખમાં પૂતના રહેલી છે. પરસ્ત્રીનું સૌંદર્ય જોનારની આંખમાં પૂતનાનો વાસ છે. પૂતનાનું બાહ્ય સૌંદર્ય માયાનું સ્વરૂપ છે. તે કામચારિણી અને નિશાચારિણી હતી. પાપ પાપના રૂપમાં હોય ત્યારે ઓળખી શકાય છે, પરંતુ તે પુણ્યનો આંચળો ઓઢીને આવે છે તે ઓળખવું દુષ્કર છે. 

શ્રી કૃષ્ણ જન્મનું રહસ્ય એ છે કે મથુરામાં જ્યારે શ્રી કૃષ્ણે મલ્લો સાથે યુદ્ધ કર્યું ત્યારે મલ્લોને મારી નાંખ્યાં હતા. સંસાર રૂપી અખાડામાં કામ-ક્રોધ રૂપી મહામલ્લો જીવને મારતાં આવ્યાં છે. કંસ વધની કથાનું રહસ્ય એ છે કે, સંસાર એક અખાડો છે, મલ્લ “ચાણુર” કામનું પ્રતીક છે અને “મુષ્ટિક” એ ક્રોધનું પ્રતીક છે. કામ અને ક્રોધ બે મહામલ્લો છે, જે અનાદિકાળથી જીવને મારતાં આવ્યાં છે.

શ્રી કૃષ્ણે કંસ દ્વારા મોકલવામાં આવેલ “કુવલયાપીડ” હાથી એ અભિમાનનું પ્રતીક છે. જે પૂર્ણ તૃપ્તિ આપે તે પ્રિય કહેવાય. ભગવાન શ્રી કૃષ્ણનો અનુગ્રહ એ બીજ છે. આ બીજનું જો જીવનમાં બીજારોપણ કરવામાં આવે તો ભાવમય સૃષ્ટિનું સર્જન થાય છે. ગોપીઓ કહે છે: અમારા સાચા પતિ તમે જ છો. અમને એવું જ્ઞાનામૃત આપો કે જેથી તમારો વિયોગ જ ન થાય. ગોપી એ હ્રદયનો શુદ્ધ ભાવ છે.

ગોપીની પરિભાષા એ છે કે, “પરમાત્મા દર્શન કરતી વખતે સ્ત્રીત્વ અને પુરુષત્વનું ભાવ ભૂલે એ ગોપી!” ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓને દિવ્ય રસનું, અદ્વૈત રસનું પાન કરાવે છે. ગોપીઓને પ્રમાનંદન પ્રાપ્ત થાય છે. જીવ અને ઈશ્વર ઐક્ય સાધે છે. વ્રજાંગનાઓના મંડળમાં પ્રભુનું ખોવાઈ જાય છે. જન્માષ્ટમીના પરમ પવિત્ર દિવસે ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય વ્રજવાસીઓના પાપને હરનારું છે. આ તિથિનો મહિમા અનેરો, અનોખો અને અદ્વિતીય છે. એક વખત બ્રહ્માદિ દેવોને થયું કે, કૃષ્ણ ગોપીઓ સાથે નાચે-કૂદે, રાસ લે એ ઠીક ન કહેવાય. આ નિષ્કામ લીલા મર્યાદા વિરુદ્ધ ગણાય. પ્રભુ પોતે પરસ્ત્રી સાથે નાચે-કૂદે તે યોગ્ય નથી. આવું બ્રહ્માજી વિચારી રહ્યા છે, ત્યાં તો તેમને જેટલી ગોપીઓ હતી તેટલા કૃષ્ણ દેખાયા ! 

ગોપીઓના પ્રેમપરાગ પાસે પ્રભુ વેચાઈ ગયા છે. રાસમાં ગોપીઓના શરીર સાથેનું રમણ ન હતું. આ તો ગોપીઓના આધ્યાત્મિક સ્વરૂપનું મિલન હતું. આ આધ્યાત્મિક મિલન માટે પણ સૌએ જન્માષ્ટમીનું વ્રત કરવું આવશ્યક છે. રાસલીલામાં આત્માનું આત્મા સાથે રમણ છે. આ તો ભક્તિમાર્ગના ઉચ્ચ જીવાત્માઓ સાથે નટવરનું નૃત્ય છે. રાસોત્સવ મહાન છે. ગોપીઓ (સ્ત્રી અને પુરુષો બંને) ભક્તિમાર્ગના સાધકો છે.

ભગવાન શ્રી કૃષ્ણે રસબ્રહ્મની અનુભૂતિ કરાવીને પરમાનંદ રસના માધ્યમથી રસની લહાણ કરી છે. આ સર્વે ગોપીઓ નિષ્કામ ભક્તિમાર્ગની પ્રવાસીઓ છે. ભગવાન શ્રી કૃષ્ણે શંખચૂડ, અરિષ્ટાસુર, કેશી દૈત્ય, વ્યોમાસુર વગેરેનો તેમજ કંસનો વધ કર્યો હતો. ત્યાર પછી પ્રભુ કારાગૃહમાં માતા-પિતાને મળવા જાય છે, પ્રણામ કરી તેમને મુક્ત કરે છે. કંસનો ઉદ્ધાર કરી તેનું રાજ્ય શ્રી કૃષ્ણે કંસના પિતા ઉગ્રસેનને અર્પણ કર્યું હતું. 

ગોકુળ લીલા ૧૧ વર્ષ ૫૨ (બાવન) દિવસ ચાલી હતી, અને પછી પ્રભુ મથુરા પધાર્યા હતા. કંસ વધ કરી શ્રી કૃષ્ણ જ્યારે દેવકીજીને તેમને પોતાના ખોળામાં બેસાડી હ્રદય પૂર્વક રૂદન કરે છે. પિતા વસુદેવનો વાત્સલ્ય પ્રેમ પણ અતૂટ છે, તેમની આંખો પણ અશ્રુભીની થાય છે. વસુદેવજી કૃષ્ણ-બલદેવને આલિંગન આપી ગદગદ કંઠે કહે છે કે, આજે મારો જન્મ સાર્થક થયો છે, મારું જીવન સફળ થયું છે. આજે મને મારા બંને પુત્રો મળ્યા છે તેથી મારા આનંદની સીમા અસીમ છે. 

જન્માષ્ટમીનું વ્રત ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞાથી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર તેમજ અન્ય ધર્મશીલ વર્ગ કરે છે. આ પાપનાશક વ્રતનો મહિમા ઘણો છે. આ દિવસે શ્રી કૃષ્ણલીલા અને ચરિત્રોનું શ્રવણ-પઠન કરવું, ઉપવાસ કરવો, બ્રહ્મચર્યનું પાલન કરવું. આ દિવસે ત્રણ પ્રકારની ભગવત્સેવા કરવાનું વ્રત લેવું. આ સેવા ત્રણ પ્રકારની છે – (૧) માનસી સેવા (૨) તનુજા સેવા અને (૩) વિત્તજા સેવા. જન્માષ્ટમીના દિવસે મનની એકાગ્રતા રાખી ભગવાન શ્રી કૃષ્ણમાં ચિત્ત પરોવવું તેને “માનસી સેવા” કહે છે. તનુ એટલે દેહ. દેહ દ્વારા જે સેવા થાય તેનું નામ “તનુજા સેવા”. વત્તિ એટલે ધન. ધનથી જે સેવા થાય તેનું નામ “વિત્તજા સેવા”. સેવા, ધર્મ અને ધર્મબળ એ સર્વ આધ્યાત્મિક બળોની બુનિયાદ છે. જ્યારે શ્રી કૃષ્ણ અને વસુદેવ-દેવકીજીનું કારાગૃહમાં સુખદ મિલન થાય છે ત્યારે વાણીની ભાષા અટકી જાય છે અને આંસુની ભાષા શરૂ થાય છે. માતા-પિતા પુત્ર પાસે એવું માગે છે કે, અમને માયા સતાવે નહિ. અમને માયાજાળથી અલિપ્ત રાખજો. એમને દૈવી સંસ્કૃતિનો ભારતવર્ષમાં ફેલાવો કરવાની અભીપ્સા છે માટે એવું સામર્થ્ય માગે છે. એમને રાજ્યધૂરાને લીધે માયામાં ડૂબી જવું નથી. ઉન્નતિની આંધળી લિપ્સા નથી જોઇતી, એમને તો અમી થઈને વરસતા વાદળ જેવું જીવન આ વૃદ્ધાવસ્થામાં જોઇએ છીએ. 

ભલે હો અલ્પ, કિન્તુ માનવી જેવું જીવન દેજે;            

ઉરે હો જે ભાવ, એવું મનન દેજે…કનૈયા !

મારે મોક્ષ નથી જોઇતો, નિષ્કામ ભક્તિ જોઇએ છે. માતા-પિતાને કૃષ્ણ દર્શનથી મોક્ષનો મોહ પણ ઊતરી ગયો છે. માટે એવી ભક્તિ માગે છે કે,

 “ઊતરી જાયે મોક્ષનાય પણ મોહ !” હે ગોપાલ ! ભક્તિ કેવળ કોરી નહિ, કર્મ સ્વરૂપે આપજે.

મોહ એ માનસ રોગોનું મૂળ છે. ધર્મ એ અમૃત છે. આપત્તિમાં વિવિધ વ્રતો દ્વારા પ્રભુ-સ્મરણ કરવું એ અમૃત છે. વ્રત કર્યા પછી સંપત્તિનો વિનોયોગ કીર્તિ દાનમાં નહિ પરંતુ ગુપ્ત દાનમાં કરવો એ ધર્મ છે. આચાર અને વિચારનો સુભગ સમન્વય કરી વ્રતધારીએ પોતાના વચનને વર્તન દ્વારા સમૃદ્ધ બનાવવું એ સાચું વ્રત છે. આપણું આજીવિકાનું સાધન શુદ્ધ હોવું જોઇએ અને તેના દ્વારા જીવાતું જીવન અને દાન-દક્ષિણા પણ શુદ્ધ હોવા જોઇએ. ધર્મના માર્ગે જે દ્રવ્યોપાર્જન થાય છે, તે વ્રત-ઉત્સવમાં ખર્ચાય તે યોગ્ય વિનિમય કહેવાય. 

આ ધન જીવનમાં સાધુતાને અને સદગુણોને નષ્ટ થવા દેવું જે સાચો વ્રતધારી છે, જે ત્યાગી છે, જે તપસ્વી છે, જે સંન્યાસી છે તેને ધનની જરૂર પડતી જ નથી. લક્ષ્મીજી તેમની પાછળ પાછળ દોડે છે. તેઓ સદકાર્ય માટે ધન જેમ-જેમ આપતા જાય છે, વાપરતાં જાય છે, તેમ-તેમ ધન આપનારા વધતાં જાય છે. વ્રત-ઉપાસના એ પ્રાચીન પરંપરા છે, તે મૂર્ધન્ય સંસ્કૃતિ છે. સર્વ ધર્મનો નિચોડ વ્રત-ઉપાસનામાં નવનીત (માખણ) રૂપે આવી જાય છે. વિધિ વ્રતો જ્ઞાન અને ભક્તિની અભિવૃદ્ધિ કરે છે. વ્રતો સ્ત્રી-પુરુષો માટે પારા જેવા છે. પારો પચે નહિ તો આખા શરીરમાં ફૂટી નીકળે. વ્રત દરમિયાન આત્મધર્મ સાથે દેહધર્મ બજાવવો જોઇએ. શરીરને વસ્ત્ર ઢાંકે છે, તેમ આત્માને વાસના ઢાંકે છે. આ વાસનાનું આવરણ દૂર કરવાથી પ્રભુ પ્રાપ્તિ થાય છે. 

જન્માષ્ટમીનું વ્રત કરવાથી સર્વ સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. આ સિદ્ધિઓ યોગમાર્ગની નહિ, પણ ભક્તિમાર્ગની છે. અષ્ટસિદ્ધિની પ્રાપ્તિ માટે જન્માષ્ટમીનું વ્રત એ અમોઘ સાધન છે. પ્રેમી અને પ્રેમાસ્પદે પ્રભુ પ્રત્યે આ દિવસે પ્રીતિની ગાંઠ બાંધવી જોઇએ.

દેવકી-વસુદેવમાં વાત્સલ્યનું પરમ માધુર્ય પાછું આવે છે. અદ્વૈત બુદ્ધિ જાગૃત થાય છે અને માહાત્મ્ય જ્ઞાન ભૂલાઈ જાય છે. ભગવાન સાથે સંબંધ બાંધી શકે છે તે ઉત્તમ સાધક કે ઉત્તમ વ્રતધારી છે. આ સંબંધના ચાર ભાગ છે: દાસ ભાવ, વાત્સલ્ય ભાવ, મિત્ર ભાવ અને પ્રિયા-પ્રિયતમનો સંબંધ.

ક્યારેક કરુણાનિધાન ભગવાન શ્રી કૃષ્ણ જીવનને અનુકૂળ બની જાય છે, આ એમની અસીમ કરુણા છે, કૃપા છે. ‘વ્રત’ એ ભક્તિ માર્ગ છે. જ્ઞાનમાર્ગમાં તોડવાનું છે, છોડવાનું છે અને ભક્તિમાર્ગમાં બાંધવાનું છે. યશોદાજી વાત્સલ્યના માધુર્યમાં કૃષ્ણ જન્મને લીધે બંધાઈ ગયા છે. આ શરણાગતિ અને આત્મનિવેદન છે. ભગવાન લૌકિક દોરડાથી બંધાતા નથી, એ તો પ્રેમરૂપી દોરડાથી જ બંધાય છે. જે વ્રતીના અંતઃકરણમાં બ્રહ્મવાદ અને ભક્તિ સ્થિર હોય, જીવન-જગતને ભગવાનની દેન માને તે પરમ ભગવદીય છે. વ્રત-ઉપાસના ચિત્તને એકાગ્ર બનાવનારી અને ચિંતારૂપી ચિતાનો નાશ કરનારી છે. જેને વ્રતમાં શ્રદ્ધા છે, તેનું મન સ્થિર રહે છે. વિશ્વાસ એ માનવ અંતઃકરણની મૂર્તિ છે. વ્રતીના વિશ્વાસની યાત્રા શ્રદ્ધા સુધી જવી જોઇએ. શ્રદ્ધા અને વિશ્વાસનો જો સુભગ સમન્વય થાય તો જ વ્રત પરિપૂર્ણ થાય છે. વ્રત-ઉપાસનામાં ચિત્તવૃત્તિ સ્થિર બને તેનું નામ શ્રદ્ધા. આ શ્રદ્ધાને સ્થિર રાખવા સંયમ જોઇએ, તપ જોઇએ. ભક્તિ એ વ્રતની સમૃદ્ધિ છે. શ્રાવણ વદ આઠમ, અભિજિત નક્ષત્ર, બુધવાર, ભગવાન શ્રી કૃષ્ણની જન્મ જયંતી. શ્રી કૃષ્ણે આજે અધર્મનો નાશ કરી ધર્મની સ્થાપના કરવા, પાપીઓનો સંહાર કરી, પુણ્યાત્માઓની રક્ષા કરવા, અસુરોનો ધ્વંસ કરી, ગાયો, બ્રાહ્મણો અને સંત-મહાત્માઓનું પાલન કરવા જન્મ ધારણ કર્યો હતો. આ પરમ પવિત્ર દિવસે જન્માષ્તમીનો ઉત્સવ, રાત્રે જાગરણ અને કૃષ્ણ કીર્તન કરતાં-કરતાં જન્મદિવસની ઉજવણી દરેક દેવમંદિરોમાં કરવામાં આવે છે. અર્ચન-પૂજન, ભૂદેવો અને સંતોનું સન્માન, દાન-દક્ષિણા વગેરે સાથે વ્રત કરવાથી શ્રી કૃષ્ણની કૃપા પ્રાપ્ત થાય છે, અને સુખ-શાંતિ ભર્યું જીવન જીવી અંતે વૈકુંઠમાં વાસ મળે છે. પૂર્વે યદુના વંશમાં શ્રી કૃષ્ણનો જન્મ થયેલો. શ્રી શુકદેવજી કહે છે: “कृष्णस्तु भगवान स्वयं” – કૃષ્ણ પોતે જ ભગવાન છે. દેવાધિદેવ ભગવાન શ્રી કૃષ્ણ જન્માષ્ટમી વ્રત ઉપવાસ કરવાથી પ્રસન્ન થાય છે. આ વ્રત સુખ, સમૃદ્ધિ, સંપત્તિ આપનારું છે. આ વ્રત સૌ પ્રથમ રાજા યુધિષ્ઠિરે કર્યું હતું. આ વ્રતના પ્રભાતે તેઓ પુનઃ રાજવૈભવ પ્રાપ્ત કરી શક્યા હતા.

August 15, 2019
ambaji_temple-1280x720.jpg
1min7990

ભાદરવી પૂર્ણિમાના મેળાને અનુલક્ષીને માતાજીના દર્શનનો સમયે વધારવામાં આવ્યો હતો.

સાત દિવસ ચાલનારા મેળા દરમિયાન દૂરદૂરથી પગપાળા ચાલીને માઈભક્તો અંબાજી દર્શને આવશે ત્યારે ભક્તો સવારે સવા છ વાગ્યાથી લઈને મોડી રાત્રે દોઢ વાગ્યા સુધી માતાજીના દર્શન કરી શકશે.

સવારે સવા છ વાગ્યાથી લઈને મોડી રાત્રે દોઢ વાગ્યા સુધી માતાજીના દર્શન

અંબાજી ભાદરવી પૂર્ણિમાનો મેળો આવતા મહિને તા.૮મી સપ્ટેમ્બરથી શરૂ થશે અને સાત દિવસ ચાલશે. મેળાની પૂર્ણાહુતિ ૧૪ સપ્ટેમ્બરે થશે. દરમિયાન લાખોની સંખ્યામાં માઈભક્તોનું ઘોડાપૂર દર્શનાર્થે ઊમટશે એમ માનવામાં આવે છે ત્યારે એ દરમિયાન માત્ર સાંજના સમયે ૫ વાગ્યાથી ૭ વાગ્યા સુધી મંદિર બંધ રખાશે અને તે દરમિયાન સફાઈ કામગીરી કરાશે.

તા.૮મી સપ્ટેમ્બરથી શરૂ થશે અને સાત દિવસ ચાલશે. મેળાની પૂર્ણાહુતિ ૧૪ સપ્ટેમ્બરે

બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર સાથેની બેઠકમાં મેળા દરમિયાન એક્સપાયરી ડેટનો માલ વેચાતો હોવાની અને ધર્મશાળાઓમાં ભાડા વધારી દેવાતા હોવાની ફરિયાદ ઊઠવા પામી હતી. તાજેતરમાં અમદાવાદના કાંકરિયા સ્થિત ડિસ્કવરી રાઈડ્સનો કાંડ થયો હતો તેવી ઘટના ન બને તે માટે તકેદારી રાખવા ખાસ અનુરોધ કરાયો હતો.

ઉપરાંત આ વખતે મેળા દરમિયાન મંદિરમાં પ્રસાદના કાઉન્ટર વધારવા તેમ જ મંદિરમાં દર્શનની વ્યવસ્થામાં સુધારો કરવા માગ કરાઈ હતી. પોલીસ વિભાગ દ્વારા યાત્રીઓને પોલીસમિત્ર બની સહકાર આપવા અનુરોધ કરવામાં આવ્યો હતો. આ ભાદરવી પૂનમે ૩૦ લાખ જેટલા શ્રદ્ધાળુઓ આવવાની શક્યતાને ધ્યાનમાંં લઈને પોલીસનું ચુસ્ત બંદોબસ્ત ગોઠવવાનું આયોજન કરાશે. મેળામાં ઝૂમિંગ સીસીટીવીથી નજર રાખશે.

August 13, 2019
shirdi.jpg
1min11040

શિરડી એરપોર્ટ પર ચાલુ વર્ષના અંત સુધી રાત્રે પણ વિમાનોને લેન્ડિંગ કરવા માટેની પરવાનગી આપવામાં આવશે. એરપોર્ટની માલિકી ધરાવતા મહારાષ્ટ્ર એરપોર્ટ ડેવલપમેન્ટ કંપની (એમએડીસી)એ અનેક ઓપરેટર્સ તરફથી વધતી માગણીઓને ધ્યાનમાં રાખીને ઉક્ત નિર્ણય લીધો હતો. એરપોર્ટનો રનવે એરબસ એ૩૨૦ અને બોઇંગ ૭૩૭ જેવા કોડ થ્રીસી જેવા વિમાનોને હેન્ડલ કરવા માટે સક્ષમ છે. 

એમએડીસીના મેનેજિંગ ડિરેક્ટર સુરેશ કાકાનીએ જણાવ્યું હતું કે હાલમાં દિલ્હી, હૈદરાબાદ, મુંબઈ, ચેન્નઇ, ભોપાલ, બેંગલુરુ અને જયપુર સહિત વિવિધ જગ્યાએથી શિરડીમાં રોજ દિવસ દરમિયાન બાવીસ ફ્લાઇટ આવતી હોય છે. વધુ દસ ફ્લાઇટની સંખ્યા વધારવાની તથા ડિસેમ્બર સુધી રૂ. ચાર કરોડના ખર્ચે રાત દરમિયાન લેન્ડિંગ સુવિધા ઇન્સ્ટોલ કરવાની યોજના છે. 

સાઇબાબા મંદિર તથા તેનાથી ૭૦ કિલોમીટરના અંતરે આવેલા શનિ શિંગણાપુરના દર્શન કરવા ૯૦ ટકા પ્રવાસીઓ શિરડી આવતા હોય છે. એરલાઇન્સની વિનંતીઓને ન ગણકારતા એરપોર્ટ પર હજી સુધી ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ (આઇએલએસ) બેસાડવામાં આવી નથી જેના દ્વારા પાઇલટ લો વિઝિબિલિટીમાં પણ વિમાન લેન્ડ કરી શકે છે. ચાલુ વર્ષે ૨૧મી મે, ૨૦૧૮ અને ૨૯મી એપ્રિલ, ૨૦૧૯ના બે વિમાન રનવે પર લપસી પડ્યા હતાં. હાલમાં એરપોર્ટ ૨,૭૫૦ ચો. મીટર કરતા વધુ વિસ્તારમાં ફેલાયેલું છે અને તેની રોજ ૫૦૦ પ્રવાસીની ક્ષમતા છે.

August 12, 2019
amarnath_chadi-1280x1024.jpg
1min5050

અમરનાથ યાત્રાનું સમાપન કરવાની પરંપરાને જીવંત રાખવા રાજ્યપાલે અમરનાથ યાત્રાની પ્રતીક મનાતી છડી મુબારકને હેલિકૉપ્ટર મારફતે અમરનાથ ગુફા સુધી લઈ જઈ સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે. 

પવિત્ર છડી મુબારક નિર્ધારિત કાર્યક્રમ મુજબ શનિવારે પહેલગામ નહોતી પહોંચી શકી. 

જોકે હવે પવિત્ર છડી મુબારકને હેલિકૉપ્ટર મારફતે પવિત્ર ગુફા સુધી પહોંચાડવામાં આવશે અને ૧૪ ઑગસ્ટે તે તેના વિશ્રામસ્થળ દશનામી અખાડાથી રવાના થશે. 

પવિત્ર ગુફામાં છડી મુબારકનો પ્રવેશ ૧૫ ઑગસ્ટ રક્ષાબંધનની સવારે થશે. 

આ સાથે જ બાબા બર્ફાનીના મુખ્ય દર્શન સાથે વર્ષ ૨૦૧૯ની વાર્ષિક અમરનાથ યાત્રા સંપન્ન થશે. 

નિર્ધારિત કાર્યક્રમ મુજબ પવિત્ર છડી મુબારકને દશનામી અખાડાના મહંત દીપેન્દ્ર ગીરીના નેતૃત્વમાં શનિવારે સવારે રવાના થવાની હતી, પરંતુ કાશ્મીરની બદલાતી પરિસ્થિતિને કારણે પહેલગામ નહોતી પહોંચી શકી. 

સામાન્ય રીતે પવિત્ર છડી મુબારક દશનામી અખાડાથી નીકળ્યા બાદ દુર્ગાનાગ, શ્રીનગર, સૂર્યહાર મંદિર, ઈંદિરાનગર, પામ્પોર શિવ મંદિર, બીજબિહાડા મંદિર સહિત માર્ગમાં આવતા તમામ પૌરાણિક અને મુખ્ય મંદિરોમાં પૂજા કરતા કરતા પહેલગામસ્થિત ગણેશબલ મંદિર પહોંચવાની હતી. ગણેશબલ પહોંચતા અગાઉ છડી મુબારકે મરતડ મંદિરમાં પણ ભવનાન સૂર્યનું અનુષ્ઠાન પૂરું કરવાનું હતું. 

બે દિવસ પહેલગામમાં વિશ્રામ કર્યા બાદ ૧૨ ઑગસ્ટે છડી મુબારકે આગળની યાત્રા કરવાની હતી અને શેષનાગ, પંચતરણી થઈને ૧૫ ઑગસ્ટે પવિત્ર ગુફામાં પ્રવેશ કરવાનો હતો, પરંતુ કાશ્મીરમાં બદલાઈ રહેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને છડી મુબારકને હેલિકૉપ્ટર મારફતે ગુફા સુધી પહોંચાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

August 8, 2019
jain-chaturmas.jpg
2min21160

જૈન ધર્મમાં ચાતુર્માસનું ભારે મહત્વ અંકાયું છે. ચોમાસાના ચાર મહિનાનો સમય એવો છે કે જૈન સાધુ-સાધ્વીઓ એક જ સ્થળે ચાર મહિના સુધી સ્થિરતા કરે છે. ત્યાં રહેતા લોકોને આ ચાર મહિનામાં ધર્મમાર્ગે પ્રવૃત્ત કરવાનું યુગકાર્ય તેઓ બજાવે છે.

ચાતુર્માસના ચાર મહિનામાં વરસાદના કારણે અનેક જીવ-જંતુઓ ઉતપન્ન થતાં હોવાથી આ જીવોની હિંસા ન થાય, તેમની જયણા જળવાય, તેમની રક્ષા થઈ શકે એ માટે ચાતુર્માસના ચાર મહિના જૈન સાધુ-સાધ્વીઓને એક જ સ્થાને સ્થિર રહેવાનો આપણાં ધર્મશાસ્ત્રોમાં સ્પષ્ટ આદેશ અપાયો છે.

ભારતની શ્રમણ સંસ્કૃતિ અતિ પ્રાચીન છે. એમાંય જૈન શ્રમણોની ચાતુર્માસ ચર્ચા લોકો માટે ઉપકારક બની રહી છે. જૈન સાધુ-સાધ્વીઓ ચાતુર્માસના આ ચાર મહિના સવિશેષ તપ-જપ-ધ્યાન-ધર્માભ્યાસમાં ગાળે છે. અન્યોને પણ ધર્મોપદેશ આપી ધર્મ માર્ગે જોડે છે, ધર્મમાં સ્થિર કરે છે.

જૈનોમાં ચાતુર્માસનો આ સમય અષાઢ સુદ-૧૪થી કારતક સુદ-૧૫ સુધીનો હોય

જૈનોમાં ચાતુર્માસનો આ સમય અષાઢ સુદ-૧૪થી કારતક સુદ-૧૫ સુધીનો હોય છે. આ ચાતુર્માસમાં શ્રાવક-શ્રાવિકાઓને સંયમ, આચાર અને અનુશાસનનું પાલન કરવાનું હોય છે. શ્રમણ ભગવંતોનો ઉપદેશ શ્રવણ કરવાનો હોય છે. આ સમયે તપશ્ચર્યાનો મહિમા પણ અધિક જોવા મળે છે. અઠ્ઠાઈથી માંડીને માસક્ષમણ અને એથી પણ અધિક તપસાધના આ ચાતુર્માસમાં જૈનો કરતા હોય છે.

અઠ્ઠાઈથી માંડીને માસક્ષમણ અને એથી પણ અધિક તપસાધના આ ચાતુર્માસમાં જૈનો કરતા હોય

આ ચાતુર્માસમાં ચાર મહિના જૈનોએ ગુરુ ભગવંતની આજ્ઞાથી

  • (૧) જ્ઞાનાચાર
  • (૨) દર્શનાચાર
  • (૩) ચારિત્રાચાર
  • (૪) તપાચાર અને
  • (૫) વીર્યાચાર

એમ પાંચ પ્રકારના નિયમોનું પાલન કરવાનું હોય છે. આજના યુગમાં આ ઉપકારક પાંચ નિયમોનું પાલન થઈ શકે તો ચાતુર્માસના ચાર મહિના પણ આ નિયમોનું પાલન થઈ શકે તો જીવોનું અવશ્ય કલ્યાણ થઈ શકે.

આ પાંચે નિયમોમાં જ્ઞાનાચારમાં ગુરુ ભગવંતોના વ્યાખ્યાનાદિ શ્રવણ કરવું, ધર્મસૂત્રો, ગાથાઓ વગેરે કંઠસ્થ કરવી, નવકાર મંત્રનો જાપ કરવો, એઠા મુખે બોલવું નહીં વગેરે નિયમોનો સમાવેશ થાય છે.

જૈન ધર્મમાં ચાતુર્માસનું ભારે મહત્વ અંકાયું છે. ચોમાસાના ચાર મહિનાનો સમય એવો છે કે જૈન સાધુ-સાધ્વીઓ એક જ સ્થળે ચાર મહિના સુધી સ્થિરતા કરે છે.

દર્શનાચારમાં પરમાત્માનાં નિત્ય દર્શન, સેવાપૂજા-સ્તવના કરવી, પરમાત્માની આંગી કરવી-કરાવવી, પરમાત્માનો જાપ કરવો, ગુરુ વંદન કરવું વગેરે નિયમો આવી જાય છે.

ચારિત્રાચારમાં દરરોજ અથવા પર્વ તિથિએ સામાયિક, પ્રતિક્રમણ કરવું, દરરોજ અથવા પર્વતિથિએ પૌષધ કરવો, વાહન, ચંપલ, ગાદીનો ત્યાગ કરવો. સિનેમા, ટીવી, વિડિયો વગેરેનો ત્યાગ કરવો એ નિયમોનો સમાવેશ થાય છે.

તપાચારમાં નવકારશી, પોરસી, તિવિહાર, ચોવિહારનું પાલન કરવું. લીલોતરી, ફ્રૂટ, મીઠાઈનો ત્યાગ કરવો, પર્વતિથિએ ઉપવાસ, આયંબિલ, એકાસણું, બિયાસણું વગેરે તપ કરવું, તપસ્વીઓની ભક્તિ કરવી વગેરે નિયમોનું પાલન કરવાનું છે.

વીર્યાચારમાં સામૂહિક અનુષ્ઠાનોમાં ભાગ લેવો, સંઘની પ્રવૃત્તિઓમાં જોડાવું, સંપતિ, વસ્ત્ર, ભોજન આદિનું દાન કરવું, શક્તિ ગોપાવ્યા વિના આરાધના કરવી, નિયમિત પણે ધર્મપાલન કરવું વગેરેનો સમાવેશ થાય છે.

જૈન ધર્મમાં દાન, શીલ, તપ અને ભાવનાનું આચરણ

જૈન ધર્મમાં દાન, શીલ, તપ અને ભાવનાનું આચરણ કરવાનું કહેવાયું છે. ચાતુર્માસમાં એનો સવિશેષ અમલ જોવા મળે છે. પરંતુ આખું જીવન આ ચારે ભાવનાનું પાલન થાય તો એ જીવને ઉચ્ચ ગતિ પ્રાપ્ત થયા વિના રહે નહીં.

આ ચાર ભાવનામાં દાનવૃત્તિથી ધનની મમતા-લાલસા દૂર કરવાની છે. શીલ દ્વારા ભોગ-વિલાસ, વિષય-વાસના દૂર કરવાની છે, તપ-આહારની ઇચ્છા અવરોધી કર્મની નિર્જરા કરવાની છે. ભાવના દ્વારા આર્તધ્યાન અને રૌદ્રધ્યાનની ભયંકરતા ટાળવાની છે. દાન-ધર્મથી ધન્ના, શાલિભદ્ર વગેરે અતુલ સુખ-સમૃદ્ધિ પામ્યા હતા. શીલ ધર્મથી સુદર્શન શેઠ, સતી કલાવતી વગેરે સ્વર્ગસુખ પામ્યાં હતાં. તપધર્મથી મહાત્મા દૃઢ પ્રહારી, ઢંઢણકુમાર વગેરે ઋષિઓ મોક્ષપદને પામ્યા હતા. ભાવધર્મથી મહર્ષિ પ્રસન્નચંદ્ર, ઇલાશીકુમાર, મટુદેવી માતા વગેરે સિદ્ધિપદને પામ્યાં હતાં.

માત્ર ચાતુર્માસમાં જ નહીં, પૂરા વર્ષમાં તિથિઓનું ભારે મહત્વ અંકાયું છે. એમાં બે બીજને દર્શન તિથિ કહેવાય છે અને એ સમ્યક આરાધના માટે છે. બે પાંચમ અને બે અગિયારસ આ ચાર પર્વતિથિઓ જ્ઞાનતિથિઓ છે. એનાથી ચૌદપૂર્વના જ્ઞાનની આરાધના થાય છે. બે આઠમ, બે ચૌદશ, એક પૂર્ણિમા અને એક અમાસ આ છ પર્વતિથિઓને ચારિત્રતિથિઓ કહેવાય છે. આ ચારિત્રની આરાધના માટે છે.

ચાતુર્માસમાં ઉકાળેલું પાણી વાપરવાનું કહેવાયું છે. માત્ર ચાતુર્માસમાં જ નહીં, પૂરા જીવનમાં ઉકાળેલું પાણી વાપરવાથી જીવરક્ષાનું મહાપુણ્ય તમે કમાઈ શકો. ત્રણ ઊભરા આવેલું ઉકાળેલું પાણી નિર્જીવ એટલે કે જીવ વિનાનું બને છે. એમાં શિયાળામાં ચાર પ્રહર, ઉનાળામાં પાંચ પ્રહર અને ચોમાસામાં ત્રણ પ્રહર સુધી જીવો ઉત્પન્ન થતા નથી. જ્યારે કાચા પાણીમાં સમયે-સમયે અસંખ્યાત જીવો ઉત્પન્ન થાય છે. આથી ઉકાળેલું પાણી પીવાથી સર્વ જીવોનું રક્ષણ થઈ શકે છે.

ચાતુર્માસના શ્રાવણ મહિનાના ચાર દિવસોમાં અને ભાદરવા મહિનાના ચાર દિવસોમાં પર્વોનો રાજા કહેવાય એવા પર્યુષણ મહાપર્વનું આગમન થાય છે.

ચાતુર્માસના શ્રાવણ મહિનાના ચાર દિવસોમાં અને ભાદરવા મહિનાના ચાર દિવસોમાં પર્વોનો રાજા કહેવાય એવા પર્યુષણ મહાપર્વનું આગમન થાય છે. શ્વેતામ્બર સંપ્રદાયમાં આઠ દિવસનું પર્યુષણ પર્વ હોય છે તો દિગમ્બર સંપ્રદાયમાં દસ દિવસનું દશ લક્ષણી પર્વ હોય છે. આ મહાપર્વના દિવસોમાં લોકો પરમાત્માની પૂજા, સામાયિક, પ્રતિક્રમણ, વ્યાખ્યાનાદિ શ્રવણ અને યશાશક્ય તપસાધના કરે છે.

પર્યુષણ પર્વનો અંતિમ દિવસ સંવત્સરી પર્વ તરીકે મનાવવામાં આવે છે. વર્ષ દરમ્યાન જાણ્યે-અજાણ્યે થયેલી ભૂલ બદલ, વૈર-વિરોધ બદલ લોકો આ દિવસે પરસ્પરને હૃદયથી ક્ષમા કરે છે, એકબીજાને ખમાવે છે.

ચાતુર્માસના આ દિવસોમાં અષાઢ મહિનામાં ગુરુનો મહિમા કરતું પર્વ ગુરુપૂર્ણિમા અને આસો મહિનામાં શ્રમણ ભગવાન મહાવીરનું નિર્વાણ કલ્યાણક-દિવાળી પર્વ તેમ જ કારતક મહિનામાં બેસતા વર્ષે પ્રભુ મહાવીરના પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામીનું કેવળજ્ઞાન કલ્યાણક આવે છે. કારતક શુક્લ પક્ષની પંચમી એ જ્ઞાનપંચમી છે. જૈનો આ દિવસે જ્ઞાનની ભાવપૂર્વક આરાધના કરે છે. આમ આ પર્વો જૈનો ખૂબ જ આનંદ  અને ઉલ્લાસપૂર્વક ઊજવી પરમાત્માએ પ્રરૂપેલા આચારધર્મનું યથાશક્ય પાલન કરી પોતાનું શ્રેય સાધે છે.

August 7, 2019
nirbhayasuprem.png
1min5010

મધ્યસ્થતા કોઈ સ્પષ્ટ ઉકેલ લાવવામાં વિફળ રહ્યા બાદ આખરે આજથી સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદનાં વિવાદની સુનાવણી શરૂ કરી દેવામાં આવી છે. જેમાં આજે સૌપ્રથમ નિર્મોહી અખાડાનાં વકીલે પોતાનો પક્ષ રજૂ કરતાં કહ્યું હતું કે, 100 વર્ષોથી આ વિવાદિત ભૂમિ ઉપર તેનો કબજો રહેલો છે. આ કેસ હવેથી અઠવાડિયામાં ત્રણ દિવસ- મંગળવાર, બુધવાર અને ગુરુવારે સાંભળવામાં આવશે તેવું અદાલતે ઠરાવ્યું છે. દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં વિચારક એન.ગોવિંદાચાર્યે આયોધ્યા કેસની સુનાવણીનું જીવંત પ્રસારણ કરવાની માગણી સુપ્રીમ કોર્ટમાં કરી હતી. જેને અદાલતે ખારિજ કરી નાખી છે.

અયોધ્યા વિવાદ ઉકેલવા માટે મધ્યસ્થતા સમિતિને આપવામાં આવેલાં નિશ્ચિત સમયમાં તે કોઈ નિરાકરણ લાવી શકી નહોતી. જેને પગલે સર્વોચ્ચ અદાલતે આજથી આ મામલાની રોજિંદી સુનાવણી શરૂ કરી દીધી છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પાંચ સદસ્યોની બનેલી બંધારણીય ખંડપીઠ આ મામલો સાંભળે છે. આ બંધારણીય ખંડપીઠમાં જસ્ટિસ એસ.એ.બોબડે, ડી.વાય. ચંદ્રચૂડ, અશોક ભૂષણ અને એસ.એ.નઝીર સામેલ છે.

નિર્મોહી અખાડાનાં ધારાશાત્રી સુશીલ કુમાર જૈને આજે પોતાનો પક્ષ રજૂ કરતાં દલીલ આપી હતી કે, આ જમીન ઉપર તેનો સેંકડો વર્ષોથી હક હતો. તેમણે નક્શો દેખાડતા જણાવ્યું હતું કે તેમનો દાવો વિવાદિત પરિસરનાં આંતરિક ભાગનો છે. આ જમીન ઉપર અખાડાનો જ કબજો હતો પણ પછી અન્યોએ બળપૂર્વક તેમાં અતિક્રમણ કર્યુ હતું. અખાડાની માગ માત્ર પરિસરનાં આંતરિક ભાગની છે. જેમાં સીતા રસોઈ અને ભંડાર ગૃહ સામેલ છે. ડિસેમ્બર 1992 બાદ ઉપદ્રવીઓએ નિર્મોહી અખાડાનું મંદિર પણ ધ્વસ્ત કરી દીધું હતું. જૂના ફેંસલાઓનો હવાલો આપતાં કહેવામાં આવ્યું હતું કે, તે મુજબ એવા સ્થાનને મસ્જિદ ગણાવી શકાય નહીં જ્યાં નમાઝ પઢાતી ન હોય. આ દરમિયાન સુન્ની વક્ફ બોર્ડનાં વકીલ રાજીવ ધવને હસ્તક્ષેપ કરતાં અદાલતે તેમને ઠપકો આપતાં કહ્યું હતું કે, તેનો પક્ષ પણ સમય આવ્યે સાંભળવામાં આવશે.

August 1, 2019
somanath.jpg
1min5780

ગુજરાતમાં આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે સતત એક માસ સુધી દેવાધિદેવ મહાદેવની વિશેષ આરાધના અને પૂજા થશે. શ્રાવણ માસને લઈ સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. શ્રાવણ માસના ચાર સોમવાર, રક્ષાબંધન, જન્માષ્ટમી અને અમાસ સહિતના સાત દિવસ દરમિયાન સોમનાથ મહાદેવના દર્શન માટે મંદિર પરિસર સવારે ચાર વાગ્યે ખૂલશે અને રાત્રે ૧૧ વાગ્યે બંધ કરવામાં આવશે. જ્યારે આ સિવાયના દિવસોમાં ભગવાન ભોળાનાથના દર્શન માટે મંદિર પરિસર સવારે ૫.૩૦ કલાકે ખૂલશે અને રાત્રે ૧૦ વાગ્યે બંધ થશે. દેવોના દેવ મહાદેવ એવા ભોળાનાથની પૂજા અર્ચના અને આરાધના કરવા માટે ખાસ ગણાતો મહિનો એટલે શ્રાવણ માસ. ત્યારે ૧લી ઑગસ્ટ, ૨૦૧૯ના ગુરુવારથી શ્રાવણ માસ શરૂ થાય છે. આથી શિવભક્તોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે.

July 29, 2019
jalabhishek.jpg
2min13630

શ્રાવણ મહિનો આવતા જ વરસાદની રિમઝિમ વાછટની વચ્ચે ઉત્તર ભારતમાં ચારે તરફ બોલ બમ, બોલ બમની ગૂંજ વહેતી થઇ જાય છે. તે કાવડ યાત્રાના ભક્તોના ઉલ્લાસ સ્વરની ગૂંજ હોય છે. આમ તો સામાન્ય રીતે શિવ ભક્ત શ્રાવણનો મહિનો શરૂ થતાં જ ગંગા નદી તરફ જવા નીકળી પડે છે અને તેનું પવિત્ર જળ લાવીને ભગવાન શિવ પર ચડાવે છે. પણ જે ક્ષેત્રોમાંથી ગંગા નદી બહુ દૂર હોય છે ત્યાં 

બીજી પવિત્ર નદીનું જળ લાવીને ભગવાન શિવ પર ચડાવાય છે. 

પશ્ર્ચિમ અને દક્ષિણ ભારતમાં પણ હવે કાવડનીપરંપરા શરૂથઇ ગઇ છે. નાસિક પાસે આવેલા ત્ર્યંબકેશ્ર્વરમાં ભગવાન ત્ર્યંબકેશ્ર્વર એટલે કે શિવનો ગોદાવરી નદીના પવિત્ર જળથી અભિષેક કરવામાં 

આવે છે. આ જ રીતે દક્ષિણ ભારતમાં કૃષ્ણા, કાવેરી નદીઓના જળથી પણ ભગવાન શિવનો જળાભિષેક થાય છે. 

પણ મૂળ તો કાવડની ધાર્મિક અને સાંસ્કૃતિક યાત્રા ઉત્તર ભારતની જીવંત પરંપરાનો હિસ્સો છે. હરિદ્વાર અને ઋષિકેશથી અત્યારના દિવસોમાં જળ લાવીને શિવ ભક્તો પૂરા દેશમાં શિવ મંદિરોમાં જાય છે, જેના 

કારણે પશ્ર્ચિમી ઉત્તર પ્રદેશ, દિલ્હી અને ઉત્તરાંચલનો એક મોટો હિસ્સો શ્રાવણમાં કાવડ યાત્રાથી તરબોળ થઇ જાય છે. 

જો પૌરાણિક દૃષ્ટિએ જોઇએ તો એવું માનવામાં આવે છે કે રાવણ, પરશુરામ અને ભગવાન રામ દુનિયાના પહેલા કાવડિયા હતા, જેમણે નદીઓમાંથી પવિત્ર જળ લાવીને ભગવાન શિવનો જળાભિષેક કર્યો હતો. તેની પાછળ ધાર્મિક વાર્તાનીદૃષ્ટિએજોઇએ તો પૌરાણિક કાળમાં દેવતાઓ અને દૈત્યોએ મળીને સમુદ્ર મંથન કર્યું હતું ત્યારે તેમાંથી ૧૪ રત્ન નીકળ્યા હતા. આ રત્નોમાં એક હળાહળ વિષ પણ હતું, જે બીજા દેવતાઓની વિનવણીથી ભગવાન શિવે પી લીધું હતું. 

કહેવાય છે કે જ્યારે ભગવાન શિવે તે ઝેર પી લીધું તો તે એટલું બધું કડવું હતું કે તેને પીતા જ તેમનું પૂરું ગળું નીલા રંગનું થઇ ગયું. આથી જ તેમનું એક નામ નીલકંઠ પણ છે. તેનાથી ભગવાન શિવનું શરીર એકદમ ગરમીથી બળવા લાગ્યું. આથી તેમની દાહક ગરમીને ઓછી કરવા માટે દેવતાઓએ તેમના શરીર પર જળનો વરસાદ વરસાવ્યો. 

આ રીતે તેમના ભક્તોએ પણ તેમનો જળાભિષેક કર્યો. ત્યારથી જ આખા શ્રાવણ મહિનામાં ભગવાન શિવનો જળાભિષેક થાય છે. આખા દેશની પવિત્ર નદીઓમાંથી જળ લાવીને તેમના પર ચડાવવામાં આવે છે. જેથી પ્રતીકરૂપે પણ તેમના શરીરની ગર્મી ખતમ થઇ જાય. આ જળાભિષેક આખો શ્રાવણ માસ થાય છે. પણ સૌથી વધારે મંદિરોમાં ભીડ તેરસ અને ચૌદશે થાય છે. આ દિવસોમાં તો લાખો, કરોડો ભક્તો શિવની જળ આરાધના કરે છે. 

જોકે, તેનું ફક્ત ધાર્મિક મહત્ત્વ જ નથી, પણ કાવડનું કારણ એક જબરજસ્ત સામાજિક અને સાંસ્કૃતિક કારણ પણ છે. વાસ્તવમાં કાવડ જળની મહત્તાને સ્થાપિત કરવા માટેનું કાર્ય પણ છે. 

લોકો સેંકડો હજારો માઇલ પગે ચાલીને પવિત્ર નદીઓમાંથી જળ લાવીને ભગવાન શિવ પર ચડાવે છે તો એક તરફ જળ એ મહત્ત્વની સંસ્કૃતિ છે તેની જાણ થાય છે તો બીજી બાજુ દેશનાં વિવિધ ક્ષેત્રોમાં રહેતા લોકોનું એક સામાજિક મિલન પણ થઇ જાય છે. જ્યાં સુધી આ કાવડ યાત્રાના કાયદા કાનૂનની વાત છે તો તે બહુ સ્થાયી પ્રકારના નથી. 

આથી ક્યાંક તો કાવડિયા પોતાના ઘરેથી ગંગા કે 

કોઇ બીજી પવિત્ર નદી સુધી પગપાળા જાય છે. પછી ત્યાંથી કાવડ લઇને ચાલે છે. પછી જ્યાં સુધી ભગવાન શિવ પર જળ નથી ચડાવી દેવાતું ત્યાં સુધી તે ના તો ક્યાંય અટકી શકે છે કે ના તો અન્ન, જળ ગ્રહણ કરી શકે છે. 

પણકાવડ યાત્રીઓનો કોઇ એક નિયમ નથી. જુદી જુદી જગ્યાએ અને એક જ જગ્યાએપણ જુદા જુદા કાવડ યાત્રીઓ જુદા જુદા પ્રકારના નિયમોનું પાલન કરે છે. કેટલાક કાવડ યાત્રી હરિદ્વાર કે ઋષિકેશથી જળ લાવીને કેટલાંક પગલાં પગપાળા ચાલે છે અને તેના પછી કોઇ વાહનમાં પોતાની કાવડ રાખીને પોતાના ગંતવ્ય સ્થાન કે તે મંદિર સુધી પહોંચે છે જ્યાં તેમને ભગવાન શિવનો જળાભિષેક કરવાનો હોય છે. 

અત્યારેહિન્દુ ધર્મની તમામ બીજી ધાર્મિક, સાંસ્કૃતિક ગતિવિધિયોની જેમ અહીં પણ કોઇ કટ્ટર નિયમ નથી. જેમને જેટલી શ્રદ્ધા હોય છે એ પરંપરાને તે તેટલી જ મહેનતથી સંપન્ન કરે છે. 

આ પ્રકારની ધાર્મિક ગતિવિધિયો ફક્ત આપણને અપ્રત્યક્ષ રૂપે પ્રકૃતિ સાથે આત્મસાત કરવાની શીખ આપે છે એટલું જ નહીં પણ માણસની ભાવનાઓ, આસ્થા અને તેના સદીઓ જૂના વિચારોનું નિરંતર પ્રદાન કરે છે.આથી શ્રાવણ મહિનામાં બોલ બમ, બોલ બમની ગૂંજ ફક્ત ધાર્મિક સંદેશ જ નથી આપતી, પણ પ્રકૃતિ અને માનવીની સામંજસ્યતાનો મૂળ સંદેશ પણ આપે છે.

July 26, 2019
amarnath-1.jpg
1min6040
Amarnath Yatra 2019

ગઇ તા.1લી જુલાઇ 2019થી શરૂ થયેલી બાબા અમરનાથ યાત્રામાં આ વખતે યાત્રીઓની સંખ્યામાં વિક્રમી વધારો જોવા મળ્યો છે. છેલ્લા 25 દિવસમાં જ ત્રણ લાખ જેટલા યાત્રીઓએ બાબા અમરનાથના દર્શન કરી લીધા છે, યાત્રા હજુ અવિરતપણે જારી છે.

પહેલા 25 દિવસમાં અમરનાથ યાત્રીઓની સંખ્યામાં ગયા વર્ષના આ સમયગાળા કરતાં 25.51%નો વધારો થયો. સુરક્ષાને ધ્યાનમાં રાખીને રજિસ્ટ્રેશન કરાવીને કાફલામાં આવતા ભક્તોની સંખ્યામાં 54.98 ટકાનો ઉછાળો આવ્યો છે.

2018માં કુલ 61 દિવસમાં આખી યાત્રા પૂરી થઇ ત્યાં સુધીમાં 2.85 લાખ યાત્રીઓએ બાબા અમરનાથના દર્શન કર્યા હતા. આમ, આ વખતે યાત્રીઓની સંખ્યામાં જંગી વધારો જોવા મળ્યો છે.

કુદરતી રીતે આકાર પામતા શિવલિંગના દર્શનાર્થે ભારત ઉપરાંત એન.આર.આઇ. પણ મોટી સંખ્યામાં દર વર્ષે આવતા હોય છે.

આ વર્ષની યાત્રા 15 ઓગસ્ટે પૂરી થશે. હજુ 21 દિવસ સુધી યાત્રા ચાલવાની હોવાથી સત્તાવાળાઓ એવી ગણતરી માંડી રહ્યા છે કે અભૂતપૂર્વ રીતે અમરનાથયાત્રીઓની સંખ્યા વધશે, અગાઉના કોઇ વર્ષમાં નહીં નોંધાયા હોય તેટલા અમરનાથ બાબાના ભક્તો આ વખતે યાત્રામાં ઉમટશે એ બાબત નિશ્ચિત થઇ ચૂકી છે.

અત્યાર સુધી અમરનાથા યાત્રામાં સામેલ થયેલા સવા ત્રણ લાખ શ્રદ્ધાળુ પ્રતિ ચોંકાવનારુ તથ્ય એ છે કે લગભગ સવા બે લાખ લોકોએ કોઇ પણ સુરક્ષા વિના એટલે કે જમ્મુથી રવાના થતા કાફલાથી અલગ થઇને યાત્રા કરી છે. એનો અર્થ એ થાય છે કે માત્ર એક લાખ જેટલા શ્રદ્ધાળુ માટે જ રોડબંધી કરવામાં આવે છે, જેને કારણે લખનપુરથી લઇને યાત્રાના પડાવ સ્થળ સુધી લાખો લોકોને પરેશાનીનો સામનો કરવો પડે છે. 

આ પરેશાની માત્ર યાત્રીઓને નહીં, પરંતુ સ્થાનિકોને પણ ભોગવવી પડે છે અને આ યાત્રા સિવાય અહીં ફરવા આવેલા ટૂરિસ્ટોને પણ ભારે અગવડ ભોગવવી પડે છે, જેઓ લાખો રૂપિયા ખર્ચીને કાશ્મીર ફરવા આવ્યા છે. 

અનંતનાગમાં રહેતા એક વ્યક્તિ જહૂર અહમદે સવાલ કર્યો હતો કે માત્ર મુઠ્ઠીભર લોકોને કોન્વોયમાં લઇને જવાના હોય છે તે એના માટે લાખો લોકોને શા માટે પરેશાન કરવામાં આવે છે. જહૂર અનંતનાગથી શ્રીનગર કામ માટે આવે છે. જે દિવસથી યાત્રા શરૂ થઇ છે તે દિવસથી તેની બે કલાકની સફર સાત કલાકની થઇ ગઇ છે. રોડબંધી અને રેલબંધીને કારણે જમ્મુના હજારો લોકો ત્રસ્ત છે, જેમને રાજમાર્ગથી જવાનું હોય છે અને તેમને લિંક માર્ગ પર રોકી દેવામાં આવે છે. શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે આમ નાગરિકોને પરેશાન કરવામાં આવી રહ્યા છે. આ પ્રક્રિયા ૧૫ ઑગસ્ટ સુધી ચાલશે. 

જમ્મુ નિવાસી ૪૫ વર્ષીય અજય ખજૂરિયા છેલ્લાં કેટલાક વર્ષથી અમરનાથ યાત્રામાં સામેલ થઇ રહ્યા છે. તેઓ આજ સુધી કોઇ પણ કાફલાનો હિસ્સો બનીને યાત્રામાં નથી ગયા. તેમણે જણાવ્યું હતું કે અસુરક્ષાનો કોઇ માહોલ નથી. લોકોમાં ખાલી હાઉ પેદા કરવામાં આવ્યો છે. જોકે, તેમના પાછા ફરતી વખતે રોડબંધીનો સામનો જરૂર કરવો પડ્યો છે.

24 જુલાઈ સુધીમાં રજિસ્ટર કરાવેલા કાફલામાં 1.07 લાખ લોકો આવ્યા હતા. ગયા વર્ષે આ સમયગાળામાં 69,164 યાત્રીઓ રજિસ્ટર કરાવેલા કાફલામાં ગયા હતા. આ વર્ષે વાહનોના કાફલામાં 80.98%નો વધારો થયો છે. 24 જુલાઈ સુધીમાં વાહનોના કાફલાની સંખ્યા વધીને 4,349 થઈ છે. 2018ના પહેલા 25 દિવસમાં આ સંખ્યા 2,403 હતી.

અમરનાથની ગુફામાં દર્શન કરવા જતા લોકોની સંખ્યામાં વધારો થવા પાછળનું કારણ આ વખતે ગોઠવાયેલો ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત છે. આ વખતે નવો સિક્યુરિટી પ્લાન અમલમાં મૂકવામાં આવ્યો છે. જેમાં લોકલ પોલીસ બંદોબસ્ત, 24 કલાક નાકા પર ચેકિંગ, સીસીટીવી અને સેટેલાઈટ ઈમેજ દ્વારા યાત્રા પર રખાતી નજર, RFID ટેગિંગવાળા વાહનો, બચાવકાર્ય માટે પર્વતારોહકોની ટીમ, અમુક ચોક્કસ સ્થળોએ SDRFની ટીમનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહે ગયા મહિને જમ્મૂ-કાશ્મીર જઈને સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરી હતી. લોકસભામાં કેંદ્રીય ગૃહમંત્રાલયે માહિતી આપી હતી કે આ વખતે અમરનાથ યાત્રીઓ પર પથ્થરમારો થવાની શક્યતા નથી.