

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 12મી મેની ફાઇનલનું સ્થળ ચેન્નઈથી બદલીને હૈદરાબાદ કરવામાં આવ્યું છે. તમિળનાડુ ક્રિકેટ એસોસિયેશન (ટીએનસીએ) ત્રણ બંધ પડેલા સ્ટૅન્ડ ખોલવા સંબંધમાં સરકારની જરૂરી મંજૂરી લેવામાં નિષ્ફળ જતાં ક્રિકેટ બોર્ડ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
ચેન્નઈ સુપર કિંગ્સ પૉઇન્ટ્સ-ટેબલમાં સતતપણે નંબર વન પર રહ્યું છે અને જો નિર્ધારિત કુલ 14 લીગ મૅચને અંતે ટોચના બે સ્થાનમાં જળવાઈ રહેશે તો એને ઘરઆંગણે ક્વૉલિફાયર-વનમાં રમવાનો મોકો મળશે. જોકે, એલિમિનેટર (8 મે) તથા ક્વૉલિફાયર-ટૂ (10 મે) મૅચનું સ્થળ બદલીને વિશાખાપટનમ કરવામાં આવ્યું છે.
કમિટી ઑફ ઍડ્મિનિસ્ટ્રેટર્સ (સીઓએ)ના વડા વિનોદ રાયે સોમવારે પીટીઆઇને જણાવ્યું હતું કે ‘નૉકઆઉટ મૅચોમાં સ્ટેડિયમો ખાતે જે ગેટ-સેલ્સ (પ્રેક્ષકોના પ્રવેશ)ની આવક થતી હોય છે એના પર ક્રિકેટ બોર્ડનો હક હોવાથી અમે ફાઇનલના નવા સ્થળ વિશેનો નિર્ણય લીધો છે.’
સરકાર તરફથી જે ત્રણ સ્ટૅન્ડ ખોલવાની મંજૂરી નથી મળી એ જો ખુલ્યા હોત તો એમાં 12,000થી વધુ પ્રેક્ષકો બેઠા હોત. એ જોતાં, 12,000 ટિકિટોના વેચાણ ન થતાં જો ચેન્નઈમાં જ મૅચ રખાઈ હોત તો ક્રિકેટ બોર્ડે ઘણી કમાણી ગુમાવી હોત.
ત્રણ સ્ટૅન્ડ 2012ની સાલથી (સાત વર્ષથી) બંધ છે.
તીરંદાજીના વર્લ્ડ કપ માટે કૉલમ્બિયા જવા તૈયાર થયેલી ભારતના ૨૩ તીરંદાજોની ટીમ વિમાન મોડું થવાને કારણે આર્ચરી વર્લ્ડ કપમાં ભાગ લેવા માટેની મુદત ચૂકી ગઈ હતી. એ સાથે, વિશ્ર્વકપમાં ભાગ લેવાનું તેમનું સપનું રોળાઈ ગયું હતું.

સિનિયર રિકર્વ અને કમ્પાઉન્ડ ટીમોએ શનિવારે સવારે દિલ્હીથી ઍમ્સ્ટરડેમ જતી રૉયલ ડચ ઍરલાઇનની ફ્લાઇટ (કેએલએમ ૮૭૨)માં બેસવાનું હતું, પરંતુ ‘કામકાજને લગતા મુદ્દાઓને કારણે’ એ ફ્લાઇટ બે કલાક ત્રેપન મિનિટ મોડી થઈ હતી. ઍમ્સ્ટરડેમ ઍરપોર્ટ પર પહોંચવા માટે તેઓ વધુમાં વધુ સવા કલાક મોડા આવત તો ચાલી જાત, પરંતુ ફ્લાઇટ લગભગ ત્રણ કલાક મોડી થઈ હતી. તેઓ સમયસર ઍમ્સ્ટરડેમ પહોંચી ગયા હોત તો ત્યાંથી બોગોટાની ફ્લાઇટમાં બેસીને કૉલમ્બિયાના મેડેલિન ખાતે પહોંચ્યા હોત, પણ તેમનો એ પ્રવાસ રદ થયો હતો.

જાપાનની રાજધાની ટોક્યોમાં 2020ની ઓલિમ્પિક ગેમ્સ રમાશે, તાજેતરમાં ઓલમ્પિક્સની મહત્વની તારીખો અને કાર્યક્રમોની ઘોષણા કરવામાં આવી હતી.
ટોક્યો ઓલિમ્પિકની શરૂઆત 24 જુલાઇ 2020 થી શરૂ થશે અને અંતિમ મુકાબલો તા. 9 ઑગસ્ટ 2020ના રોજ રમાશે. ટોક્યો ઓલમ્પિક્સના ઉદ્ધાટન સમારંભથી બે દિવસ પહેલા જ વુમેન ફુટબોલના પ્રીલીમિનરી રાઉન્ડ રમાશે. ઉદ્ધાટન સમારંભ 24 જુલાઇના આયોજિત કરવામાં આવશે.
ટોક્યો ઓલિમ્પિકના પ્રારંભિક દિવસ તા. 24 જુલાઇના રોજ રોવિંગ અને તીરંદાઝીની હરીફાઇ યોજાશે. 10 મીટર એર રાઇફલ મહિલા નિશાનબાઝી સ્પર્ધાનું આયોજન પહેલા દિવસે જ થશે. પહેલા દિવસે કુલ 11 પદક દાવ પર હશે, જેમાં તીરંદાઝી, સાઇક્લિંગ ફેસિંગ જુડો, તાયક્વાન્ડો પદકોમાં સ્પર્ધા થશે. જણાવીએ કે આ દિવસે પદક રાઉન્ડ પર રમવામાં આવશે. બીજા દિવસથી બાસ્કેટ બૉલની શરૂઆત થશે. એક ઑગસ્ટના 21 પદક માટે સ્પર્ધા થશે. આ દિવસે જુડો, ટ્રાઇથોલોન, નિશાનેબાજીના પદકો પર નજર રહેશે. આગલા દિવસે મેરૉથૉન, પુરુષ એથલેટિક્સ 100 મીટર, જિમ્નાસ્ટિક અને પુરુષ ટેનિસ વર્ગ એમ કુલ મળીને 26 પદક દાવ પર હશે.
ઓલિમ્પિકમાં કુલ 33 રમતોમાં 339 સ્પર્ધાનું આયોજન થશે
8 ઑગસ્ટના કુલ 30 સ્પર્ધાઓના ખિલાડી ફાઇનલમાં સંઘર્ષ કરશે. આ દિવસે રિદમ જિમ્નાસ્ટિક, મહિલા ગોલ્ફ, પુરુષ બાસ્કેટબૉલ, પુરુષ બાસ્કેટ બૉલ, પુરુષ ફુટબૉલ, પુરુષ વૉલીબૉલ, અર્ટિસ્ટિક સ્વીમિંગમાં ફાઇનલ રમવામાં આવશે. આ રમતો સિવાય અન્ય ઘણી રમતોના ફાઇનલ આ જ દિવસે ફાઇનલ ઓયોજિત કરવામાં આવશે. 9 ઑગસ્ટના રમતોનું સમાપન થશે. આ દિવસે પુરુષ મેરૉથૉન આયોજિત કરાશે. ઓલિમ્પિકમાં કુલ 33 રમતોમાં 339 સ્પર્ધાઓનું આયોજન કરવાનું છે.

ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથની રાજસ્થાન રોયલ્સના સુકાની તરીકે અજિંક્ય રહાણેની બદલીમાં શનિવારે નિમણૂક કરાઈ હતી અને આશા કરાય છે કે આ ફેરફારથી આઈ. પી. એલ. (ઈન્ડિયન પ્રીમિયર લીગ)માં ટીમના અત્યાર સુધીના નિરાશાજનક સંગ્રામમાં પલટો લાવશે.
પોતાના રાષ્ટ્રની ટીમના દક્ષિણ આફ્રિકા ખાતેના છેલ્લાં પ્રવાસ દરમિયાન કેપટાઉન ટેસ્ટ મેચમાં બોલ ટૅમ્પરિંગના કૌભાંડમાં પોતાની સંડોવણી બદલ પોતાની પર મુકાયેલા એક વર્ષના પ્રતિબંધની મુદત પૂરી કરી ફરી રમતા થયેલા સ્મિથને ટીમનું ફરી સુકાન સોંપવામાં આવ્યું છે અને આ અંગેની જાહેરાત મુંબઈ ઈન્ડિયન્સ સામે અહીં મેચ પહેલા કરવામાં આવી હતી.
રોયલ્સની ટીમ તેની છેલ્લી આઠ મેચમાંથી છ હારી ગઈ હતી અને સ્પર્ધાના નોક-આઉટ રાઉન્ડમાં પ્રવેશ મેળવવા માટે તેણે પોતાની છ મેચમાંથી ઓછામાં ઓછી પાંચ મેચ જીતવાની રહે છે.
સ્મિથને 2018ની સ્પર્ધાની શરૂઆતમાં પણ સુકાન સોંપાયું હતું, પણ બોલ ટૅમ્પરિંગના બનાવના પગલે તેની ગેરહાજરીમાં આ જવાબદારી અજિંક્ય રહાણેને સોંપવામાં આવી હતી.
પણ, સ્મિથ 1લી મે સુધી સ્પર્ધાની મેચો માટે ઉપલબ્ધ હશે અને ત્યાં સુધીમાં રોયલ્સની ટીમે તેની ઘણીખરી લીગ મેચ રમી લીધી હશે.
સ્મિથે સાત મેચમાં ભાગ લઈ 37.20 રનની બૅટિંગ સરેરાશ સાથે કુલ 186 રન કર્યા છે જેમાં 73 રન તેનો શ્રેષ્ઠ દેખાવ રહે છે. રહાણેએ 25.12 રનની સરેરાશ સાથે કુલ 201 રન કર્યા છે જેમાં તેનો શ્રેષ્ઠ દેખાવ 70 રનનો છે.
બૉર્ડ ઑફ ક્ધટ્રૉલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)ના લોકપાલ ડી. કે. જૈને ટીવી કાર્યક્રમમાં વાંધાજનક જાતીય ટિપ્પણી કરનારા હાર્દિક પંડ્યા અને કે. એલ. રાહુલને વ્યક્તિ દીઠ રૂપિયા 20 લાખનો દંડ કર્યો હતો. જૈને ભારતીય ક્રિકેટ બૉર્ડની સત્તાવાર વૅબસાઇટ પર લખ્યું હતું કે વિવાદાસ્પદ જાતીય ટિપ્પણી બાદ પાંચ એક દિવસીય આંતરરાષ્ટ્રીય મૅચ નહિ રમી શકેલા પંડ્યા અને રાહુલની સામે કોઇ વધુ પગલાં નહિ ભરાય. અગાઉ, બન્ને ક્રિકેટરે બિનશરતી માફી માગી લીધી હતી.

હાર્દિક પંડ્યા અને કે. એલ. રાહુલે અર્ધ લશ્કરી દળોના ફરજ દરમિયાન શહીદ 10 કૉન્સ્ટેબલની વિધવાને વ્યક્તિ દીઠ રૂપિયા એક લાખ ‘ભારત કે વીર ઍપ’ દ્વારા ચૂકવવાના રહેશે, જ્યારે બાકીના રૂપિયા દસ લાખ ‘ક્રિકેટ એસૉસિયેશન ફૉર ધ બ્લાઇન્ડ’ માટે ઊભા કરાયેલા ભંડોળમાં જમા કરાવવાના રહેશે.
બન્ને ક્રિકેટરે 2019ની 19મી એપ્રિલના આદેશથી ચાર અઠવાડિયાંમાં દંડ ભરવાનો રહેશે અને જો તેઓ આ દંડ નહિ ભરે તો તેઓની મૅચ ફીમાંથી કાપી લેવાશે.
હાર્દિક પંડ્યા (પચીસ વર્ષ) અને કે. એલ. રાહુલ (27 વર્ષ)એ સર્વોચ્ચ અદાલત દ્વારા નિમાયેલા લોકપાલની સમક્ષ ચાલુ મહિને પોતાની રજૂઆત કરી હતી.
બન્ને ક્રિકેટરને માત્ર રૂપિયા 20 લાખનો દંડ જ થયો છે અને અન્ય કોઇ પગલાં નહિ ભરાવાના હોવાથી તેઓ યુકેમાં 30મી મેએ શરૂ થનારા ક્રિકેટના વિશ્ર્વકપ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે.

આગામી મહિનાથી ઇંગ્લેડમાં શરૂ થઇ રહેલા વર્લ્ડ કપ ક્રિકેટ માટે આજે બીસીસીઆઇ દ્વારા ભારતની સ્કવોડ જાહેર કરવામાં આવી હતી. રિષભ પંત, અજિક્ંય રહાણે વગેરે જેવા ક્રિકેટરોને સાઇડ પર મૂકવામાં આવ્યા છે.

વિરાટ કોહલી (સુકાની),
રોહિત શર્મા,
શિખર ધવન,
લોકેશ રાહુલ,
વિજય શંકર,
મહેન્દ્રસિંહ ધોની,
કેદાર જાધવ,
દિનેશ કાર્તિક,
યુઝવેન્દ્રસિંહ ચહલ,
કુલદીપ યાદવ,
ભુવનેશ્વર કુમાર,
જસપ્રિત બુમરાહ,
હાર્દિક પંડ્યા,
રવીન્દ્ર જાડેજા,
મોહમ્મદ શમી.
વર્તમાનમાં રમાતી આઈ. પી. એલ. (ઈન્ડિયન પ્રીમિયર લીગ)ની ટ્વેન્ટી-૨૦ સ્પર્ધામાં ક્રિકેટની રમતનો ભારોભાર કસબ અને ફટકાબાજીની આવડતમાં મોટી સંખ્યામાં સિક્સરોનો વરસાદ જોવા મળ્યો છે.
સૌથી વધુ સિક્સર વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓએ ફટકારી છે. ક્રિસ ગેઈલ (૧૮), કીરૉન પોલાર્ડ (૧૭) અને આન્દ્રે રસેલ (૨૫) વચ્ચે સ્પર્ધાના આ બારમા વર્ષમાં પહેલા ત્રણ સપ્તાહની અત્યાર સુધીની મેચોમાં કુલ ૬૦ સિક્સર નોંધાઈ છે.
આઈ. સી. સી. વર્લ્ડ કપ હવે ફક્ત દોઢ મહિનો દૂર હોવાથી વેસ્ટ ઈન્ડિઝના સિલેક્ટરોના વડા તથા ભૂતપૂર્વ કેપ્ટન જીમ્મી એદમ્સ મર્યાદિત ઓવરની મેચોના નિષ્ણાત ગણાતા રાષ્ટ્રના આ ખેલાડીઓના બૅટિંગ ફોર્મથી ખુશ છે.

મુંબઈ ઇન્ડિયન્સના હાર્ડ-હિટર કીરૉન પોલાર્ડે બુધવારે ૧૦ સિક્સરની મદદથી બનાવેલા આક્રમક ૮૩ રન સાથે મુંબઈને દિલધડક જીત અપાવી ત્યાર બાદ તેનો પુત્ર કેઇડન મેદાન પર આવ્યો હતો અને પિતા સાથે તેણે વાતચીત કરીને સૌકોઈને મોહિત કર્યા હતા. કેઇડન પિતાની ફટકાબાજી જોવા ખાસ કૅરેબિયનથી મુંબઈ આવ્યો હતો. કેઇડને મૅચ બાદ માઇક હાથમાં લઈને પિતાને કહ્યું, ‘વેલ ડન, કૉન્ગ્રેચ્યૂલેશન!’ પોલાર્ડની પત્નીનો બુધવારે ૩૨મો જન્મદિન હતો અને પોલાર્ડે તેમ જ પુત્ર કેઇડને તેને બર્થ-ડેની ગિફ્ટ તરીકે મુંબઈની જીત અર્પણ કરી હતી. હવે પછી મુંબઈની મૅચ વાનખેડેમાં ૧૩મી એપ્રિલે રાજસ્થાન સામે (બપોરે ૪.૦૦થી) રમાશે.