ત્રણ મેચ બાદ હારનો ક્રમ તોડનાર પંજાબ કિંગ્સની ટીમ સોમવારે અમદાવાદના વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર આઇપીએલના મેચમાં કોલકતા નાઇટ રાઇડર્સ સામે જીતનો ક્રમ જાળવી રાખવાની કોશિશ કરશે. સોમવારથી હવે અમદાવાદમાં પણ આઇપીએલના મેચોનો પ્રારંભ થઇ રહ્યો છે. મોટેરા સ્ટેડિયમની પિચ બેટધરોને યારી આપશે તેવું માનવામાં આવશે. અહીં સિઝનનો આ પહેલો મુકાબલો હોવાથી બન્ને ટીમની કઠિન કસોટી થશે.
પંજાબની ટીમે ટૂર્નામેન્ટની શરૂઆત જીત સાથે કરી હતી, પણ બાદમાં તેને સતત ત્રણ હાર મળી હતી. આ પછી કેએલ રાહુલની ટીમે શુક્રવારે વર્તમાન વિજેતા મુંબઇ ઇન્ડિયન્સની ટીમને 9 વિકેટે હાર આપીને જીતની રાહ પર વાપસી કરી છે. પંજાબ હવે કેકેઆર સામે જીતના મકકમ ઇરાદે સોમવારે મેદાને પડશે. જે પાછલા ચાર મેચ સતત હારી ચૂકી છે.
પંજાબની બેટિંગ લાઇન અપ મજબૂત છે. સુકાની રાહુલ સતત શાનદાર પ્રદર્શન કરનારા ખેલાડીઓમાં સામેલ છે. તેણે પાછલા મેચમાં મુંબઇ સામે અણનમ 60 રન કરીને ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ઓપનર મયંક અગ્રવાલ પણ સારા ફોર્મમાં છે. ક્રિસ ગેલે મુંબઇ વિરૂધ્ધ અણનમ 43 રન કરીને ફોર્મમાં વાપસીનો સંકેત આપી દીધો છે. જે પંજાબ માટે સારી ખબર છે. જો કે દીપક હુડ્ડા એક મેચના સારા દેખાવ બાદ તેનું પુનરાવર્તન કરવામાં નિષ્ફળ રહ્યો છે. યુવા સ્પિનર રવિ બિશ્નોઇ અને અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમી સારો દેખાવ કરી રહ્યા છે.
બીજી તરફ વિશ્વ વિજેતા ઇંગ્લેન્ડની ટીમના કપ્તાન ઇયોન મોર્ગનના સુકાનીપદ હેઠળની કેકેઆર ટીમ તેના પ્રદર્શનમાં સુધારો કરવામાં નિષ્ફળ રહી છે. તેને પાછલા મેચમાં રાજસ્થાન રોયલ્સ વિરૂધ્ધ 6 વિકેટે હાર સહન કરવી પડી હતી. કેકેઆરે જો હારનો ક્રમ તોડવો હશે તો તેના બેટધરોએ સારો દેખાવ કરવો પડશે. નીતિશ રાણા અને દીનેશ કાર્તિકે કેટલીક આકર્ષક ઇનિંગ રમી છે, પણ હુકમના એકકા આંદ્રે રસેલ સહિતના બીજાએ નિરાશ કર્યાં છે. યુવા અને પ્રતિભાશાળી શુભમન ગિલ પણ સંઘર્ષ કરી રહ્યો છે.તેણે પાંચ ઇનિંગમાં ફકત 80 રન કર્યાં છે. જયારે કેપ્ટન મોર્ગનના નામે પ ઇનિંગમાં માત્ર 4પ રન જ છે. બોલિંગમાં રસેલ, પ્રસિધ્ધ કૃષ્ણા અને વરૂણ ચક્રવર્તી ઠીક ઠીક પ્રદર્શન કરી રહ્યા છે.








