
‘ચૉકર્સ’ તરીકે ઓળખાતા સાઉથ આફ્રિકન ક્રિકેટરોની ટીમ આજે (ભારતીય સમય મુજબ સાંજે ૬.૦૦થી) અફઘાનિસ્તાન સામે વર્લ્ડ કપની મૅચ રમશે. તળિયાની આ બે ટીમમાંથી એક પણ ટીમ આ વખતે એક પણ મૅચ નથી જીતી અને આજે જીતીને વિજયીપથ પર આવવા મક્કમ હશે જ.

સાઉથ આફ્રિકાનો આ વખતના વર્લ્ડ કપમાં ઇંગ્લૅન્ડ, બંગલાદેશ અને ભારત સામે પરાજય થયો ત્યાર બાદ વેસ્ટ ઇન્ડિઝ સામેની એની મૅચ વરસાદને કારણે અનિર્ણીત રહી હતી. અફઘાનિસ્તાન પણ ત્રણ મૅચ (ઑસ્ટ્રેલિયા, શ્રીલંકા, ન્યૂ ઝીલૅન્ડ) હાર્યું છે.
આજે સાઉથ આફ્રિકા જીતીને તાકાતનો મોડેથી પરચો કરાવવા માગતું હશે, જ્યારે અફઘાનિસ્તાન નબળી ટીમ તરીકેની પોતાની ઓળખ દૂર કરવા પ્રયત્નશીલ હશે.
અમેરિકાથી આયાત થતા બદામ, અખરોટ અને કઠોળ સહિતની 29 ચીજો પરની ટેરિફમાં વધારો કરવા માટેની મુદ્ત સતત પાછી ઠેલ્યા બાદ હવે આગામી 16 જૂનથી ટેરિફમાં વધારો અમલી કરવામાં આવશે, એમ માહિતગાર સૂત્રોએ જણાવતાં ઉમેર્યું હતું કે આ સંદર્ભે નાણાં મંત્રાલય ટૂંક સમયમાંજ નોટિફિકેશન જારી કરશે.
સરકારના ટેરિફ વધારાના પગલાંથી આ 29 ચીજોના અમેરિકાના નિકાસકારો પર વિપરીત અસર પડશે અને આ ચીજોની આયાત મારફતે ભારતને 21.7 કરોડ ડૉલરની વધુ મહેસૂલી આવક થશે. ભારતે અમેરિકાને પ્રતિકારાત્મક ટેરિફ વધારા અંગે જાણ કરી હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું

નોંધનીય બાબત એ છે કે અમેરિકાએ ભારતથી આયાત થતા સ્ટીલ અને એલ્યુમિનિયમના ઉત્પાદનો પર અનુક્રમે 25 ટકા અને 10 ટકા જેટલાં ટેરિફના ઊંચા દર લાદવાનો નિર્ણય લીધો હતો તેના પ્રતિકારમાં ભારતે પણ અમેરિકાથી આયાત થતી 29 ચીજો પરની ટેરિફ વધારવાનો નિર્ણય લીધો હતો. ગત સાલ મે મહિનામા નાણાં મંત્રાલયે અમેરિકાથી આયાત થતી 29 ચીજો પરની ટેરિફમાં વધારો કરવાની મુદ્ત 16 જૂન સુધી લંબાવી હતી, પરંતુ ત્યાર બાદ જૂન 2018 પછીથી ઘણી વખત આ મુદ્દત લંબાવવામાં આવી હતી.
અમેરિકાથી આયાત થતાં ઘણાં ઉત્પાદનો પર ટેરિફ વધારવાનું નોટિફાઈ કરવામાં આવ્યું હતું. જેમાં અખરોટ પરની ટેરિફ જે હાલ 30 ટકા છે તે વધારીને 120 ટકા, વટાણા, ચણા અને મસૂર દાળ પરની ટેરિફ જે હાલ 30 ટકા છે તે વધારીને 70 ટકા અને મસૂર પરની ટેરિફ વધારીને 40 ટકા કરવાનો સમાવેશ થતો હતો.
ગત નાણાકીય વર્ષ 2017-18માં ભારતની અમેરિકા ખાતે નિકાસ 47.9 અબજ ડૉલરની સપાટીએ રહી હતી, જ્યારે આયાત 26.7 અબજ ડૉલરના સ્તરે રહેતાં વેપારી તુલા ભારતની તરફેણમાં રહી હતી.
ગુજરાતમાં એમબીબીએસ પ્રવેશ પ્રક્રિયામાં સરળતા કરવામાં આવી છે. ડોમિસાઈલમાં ગુજરાત ગુજરાતમાં જન્મેલા અને ધોરણ 10 અને 12 ગુજરાત બોર્ડમાં પરીક્ષા આપી હોય તેવા વિદ્યાર્થીઓએ મેડિકલમાં પ્રવેશ માટે ડોમિસાઇલ સર્ટિ.ની વિનાજ મેડિકલમાં પ્રવેશ મેળવી શકશે.
બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓને ઉચ્ચશિક્ષણ મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા 10 ટકા આર્થિક અનામત આપવાનો નિર્ણય કર્યો છે તેનો ગુજરાતે સૌ પ્રથમ અમલ કર્યો છે. ચાલુ વર્ષથી જ ગુજરાતના બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓને મેડિકલ શિક્ષણમાં પ્રવેશ અપાશે. રાજ્યના આરોગ્ય પ્રધાન નીતિન પટેલ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓનો જન્મ ગુજરાતમાં હોય અને જે વિદ્યાર્થીઓને 10મું ધોરણ અને 12મું ધોરણ ગુજરાતમાં પાસ કર્યું હોય. અને ગુજરાતના પાંચ માન્ય બોર્ડ હોય તેને આ વર્ષથી ડોમિસાઈલ સર્ટિફિકેટ રજુ નહીં કરવાની છૂટ આપવામાં આવે છે. આમ દસ હજાર વિદ્યાર્થીઓને ડોમિસાઈલ લેવામાં સરળતા કરી આપવામાં આવી છે. જે વિદ્યાર્થીઓને જન્મ ગુજરાત બહાર જન્મ થયો હોય અને ગુજરાતમાં ધોરણ 10 અને 12માં પરીક્ષા પાસ કરી હોય તેવા વિદ્યાર્થીઓને એડમિશન ફાર્મ દરમિયાન ડોમિસાઇલ સર્ટી આપવું પડશે. દીવ દાદરા નગર હવેલી તે વિદ્યાર્થીઓ ગુજરાતની બોર્ડની પરીક્ષા આપતા હતા. અને તે વિદ્યાર્થીઓને ગુજરાતની મેડિકલ કૉલેજમાં પ્રવેશ આપતા હતા. આ વખતે સિલવાસા ખાતે 150 વિદ્યાર્થીઓની મંજૂરી આપવામાં આવી છે. દાદરા નગર હવેલીની નવી મેડિકલ કોલેજ કેન્દ્ર સરકારે મંજૂર કરી છે. તેમાં ગુજરાતના વિદ્યાર્થીઓ માટે 10 સીટનો કોટા રિઝર્વ કરવામાં આવ્યો છે. મેડિકલની પ્રવેશ પ્રક્રિયા ઓનલાઇન થશે. આરોગ્ય કમિશનરના વડપણ હેઠળની કમિટી ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા હાથ ધરશે અને મેરિટના આધારે પ્રવેશ મળશે. 4650 બેઠક ઉપર મેડિકલમાં પ્રવેશ અપાશે. તથા ધોરણ 12 સાયન્સમાં બોર્ડની પરીક્ષામાં ગ્રેસિંગ માર્ક સાથે 50 ટકા મેળવ્યા હશે. તેવા વિદ્યાર્થીઓ પણ નીટની ટકાવારીને આધારે મેડિકલમાં પ્રવેશ મેળવી શકશે, એવું તેમણે ઉમેર્યું હતું.
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાયુએ દિશા બદલી પણ તેની અસર સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના વિસ્તારોમાં જોવા મળી રહી છે. ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લામાં ગુરુવારની બપોરથી શરૂ થયેલા વરસાદને પગલે શુક્રવાર સુવાર સુધીમાં સરેરાશ આઠ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો જેના કારણે હિરણ નદીમાં ઘોડાપૂર આવ્યા હતા તેમ જ તાલાલા હાઇવે પણ પાણી ભરાઇ જતા તે નદીમં ફેરાવાયો હતો. ગુરુવારની રાત્રિએ તાલાલા અને સૂત્રાપાડામાં છ ઇંચ જેટલો વરસાદ નોંધાયો ખાબક્યો હતો, જ્યારે વેરાવળમાં ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે. તો ભારે વરસાદને કારણે સોમનાથ મંદિર નજીક આવેલ શોપિંગ સેન્ટરમાં દુકાનોમાં ગોઠણ સુધી પાણી ભરાયા હતા. બીજી તરફ દીવ, ઉના અને ગીરગઢડામાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. વાવાઝોડાને લઇને દરિયાકાંઠાના શહેરો અને તાલુકામાં સવાર સુધીમાં છેલ્લા 24 કલાકમાં તાલાલા અને સૂત્રાપાડામાં 8 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. તેમ જ વેરાવળમાં બે, કોડિનારમાં બે, ઊનામાં એક અને ગીર ગઢડામાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો.ગીરસોમનાથ જિલ્લામાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી ગઇ છે. દરમિયાન રાજકોટમાં વહેલી સવારે ભારે પવન સાથે વરસાદ પડતા વીજ પુરવઠો ખોરવાયો હતો. શહેરના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. 10 મિનિટ ધોધમાર વરસાદ વરસતા શહેરના રસ્તાઓ પર પાણી ભરાયા હતા. તો બીજી તરફ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. રાજકોટ ઉપરાંત મોરબી, જામનગર, અમરેલી, જૂનાગઢમાં પણ વરસાદ વરસ્યો છે.

ગુજરાતમાં વાયા વાવાઝોડાની મધદરિયે વિદાય થયા બાદ તેની અસરરૂપે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી સહિતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. કોડીનારમાં આઠ ઇંચ જ્યારે સૂત્રાપાડામાં છ ઇંચ જેટેલો વસસાદ નોંધાયો હતો. આ ઉપરાંત બીજી મોટા ભાગના જિલ્લાઓમાં એકથી પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જૂનાગઢમાં ધોધમાર વરસાદથી સોનલખી નદી વહેતી થઇ હતી તેમ જ દામોદર કુંડમાં નવા નીર આવ્યા હતી. જ્યારે ઉના અને તાલાલામાં પણ ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા તેમજ નદી નાળા વહ્યાં હતા.

સોરઠમાં વંથલી પંથકમાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયેલો હતો. જિલ્લામાં સર્વત્ર વરસાદી માહોલ છવાયો હતો. રાજ્યના 114 તાલુકાઓમાં હળવા ઝાપટાંથી લઇ સાડા છ ઇંચ વરસાદ નોંધાયો હતો. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના અહેવાલ અનુસાર 24 કલાક દરમિયાન રાજ્યમાં અનેક સ્થળે મૂશળધાર વરસાદ વરસ્યો છે. વાયુ વાવાઝોડાના કારણે દરિયાઇ કાંઠાના સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદનું જોર જોવા મળ્યું છે. રાજ્યભમાં 61 તાલુકાઓ એવા છે જ્યાં અડધા ઇંચથી માંડીને સાડા છ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.
તાલાલા તાલુકામાં સાડા છ ઇંચ જેટલો એટલે કે, 160 મી.મી, સૂત્રાપાડા તાલુકામાં છ ઇંચ એટલે કે 145 મી.મી., વેરાવળમાં 60 મી.મી., કોડીનારમાં 48 મી.મી., ગીર ગઢડામાં 30 મી.મી., ઉનામાં 22 મી.મી. વરસાદ વરસ્યો છે. જૂનાગઢના વંથલીમાં 86 મી.મી., મેંદરડામાં 72 મી.મી., માળીયામાં 69 મી.મી., જૂનાગઢ તાલુકા અને શહેરમાં 45 મી.મી., માંગરોળમાં 37 મી.મી., કેશોદમાં 32 મી.મી., વિસાવદરમાં 24 મી.મી., ભેંસાણમાં 20 મી.મી., માણાવદરમાં 17 મી.મી. વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત ભાવનગર શહેરમાં પણ જોરદાર ઝાપટાં શરૂ થયા હતા. જિલ્લામાં તળાજા તાલુકામાં 57 મી.મી., ઉમરાળામાં 39 મી.મી., પાલીતાણામાં 34 મી.મી., ભાવનગર શહેર અને મહુવામાં 33 મી.મી., વલભીપુરમાં 30 મી.મી., ગારીયાધારમાં 27 મી.મી., શિહોરમાં 14 મી.મી., ધોધામાં 13 મી.મી. વરસાદ પડ્યો હતો. બોટાદ જિલ્લાના ગઢડામાં 48 મી.મી., રાણપુરમાં 23 મી.મી., બરવાળામાં 19 મી.મી., બોટાદમાં 14 મી.મી., જ્યારે અમરેલી જિલ્લાના જાફરાબાદમાં 46 મી.મી., રાજુલામાં 44 મી.મી., ખાંભામાં 35 મી.મી., અમરેલી અને લાઠીમાં 30મી.મી., સાવરકુંડલામાં 29 મી.મી., વડીયામાં 25 મી.મી., લિલિયામાં 22 મી.મી., ધારીમાં 21 મી.મી. અને બાબરામાં 12 મી.મી. વરસ્યો છે. જ્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં 42 મી.મી., ધોરાજીમાં 30 મી.મી., જામકંડોરણામાં 17 મી.મી., જેતપુર અને વિછિંયામાં 15 મી.મી., ગોંડલમાં 14 મી.મી., લોધિકામાં 12 મી.મી. વરસાદ વરસ્યો છે. તાપી જિલ્લામાં સોનગઢમાં 25 મી.મી. અને વ્યારામાં 12 મી.મી. વરસાદ પડ્યો હતો. આ સાથે સુરત, પોરબંદર, ભરૂચ, નવસારી, ડાંગ, સુરેન્દ્રનગર, છોટાઉદેપુર, જામનગર, દેવભૂમિ દ્વારકા, અમદાવાદ, આણંદ જિલ્લામાં હળવા ઝાપટાં વરસ્યા હતા.
ગુજરાતને માથેથી માંડ ટળેલું વાવાઝોડું ‘વાયુુ’ 16મી જૂને કદાચ પાછું ફરીને કચ્છ પર 17 અથવા 18મી જૂને ત્રાટકવાની શક્યતા અર્થ સાયન્સ મંત્રાલયે જાહેર કરી હતી. અર્થ સાયન્સ મંત્રાલયના સચિવ એમ રાજીવને જણાવ્યું હતું કે વાવાઝોડું ‘વાયુુ’ 16મી જૂને કદાચ પાછુ ફરે એવી શક્યતા છે અને 17 કે 18મી જૂને કચ્છ પર ત્રાટકવાની શક્યતા સર્જાઇ છે. જોકે, વાવાઝોડાની તીવ્રતા ઘટી જશે, પણ તોય એ કિનારા પર વાવાઝોડા સાથે અથડાશે. આ મામલે ગુજરાત સરકારને વાવાઝોડાની આડઅસર વિશે જાણ કરી દેવાઇ છે અને સરકાર ફરી એકવાર સાબદી થઇ છે. વાવાઝોડું ‘વાયુુ’ અગાઉ ગુરુવારે ગુજરાત પહોંચવાનું હતું, પણ બુધવારે રાતે એની દિશા બદલાઇ હતી. જોકે એ ગીર, સોમનાથ, દીવ, જૂનાગઢ અને પોરબંદર નજીકથી પસાર થયું હતું.

પ.બંગાળમાં સાથી ડૉક્ટર પર કરવામાં આવેલા હુમલાના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા ડૉક્ટરો પરત્વે એકતા દર્શાવવા ઈન્ડિયન મૅડિકલ અસોસિયેશન (આઈએમએ)એ શુક્રવારે ત્રણ દિવસનું રાષ્ટ્રવ્યાપી વિરોધપ્રદર્શન આરંભ્યું હતું અને બિનજરૂરી આરોગ્ય સેવા પાછી ખેંચી લઈ 17મી જૂને હડતાળની હાકલ કરી છે.
હૉસ્પિટલોમાં આરોગ્ય સેવાનું કામ કરતા કર્મચારીઓ વિરુદ્ધ કરવામાં આવતી હિંસા પર લગામ તાણવા કાયદો ઘડી કાઢવાની પણ આઈએમએએ નવેસરથી માગણી કરી છે અને તેમાં નિયમોનો ભંગ કરનારને ઓછામાં ઓછી સાત વર્ષની જેલની સજા કરવાની જોગવાઈ હોવી જોઈએ એમ જણાવ્યું છે.
ડૉક્ટરો પર અવારનવાર કરવામાં આવતા હિંસક હુમલાઓની વધતી જતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને આઈએમએએ કાળી પટ્ટી પહેરી, ધરણા કરી, શાંતિપૂર્ણ રીતે સરઘસ કાઢી આજે અને આવતીકાલે પણ દેશભરમાં વિરોધપ્રદર્શન ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે અને તમામ અસોસિયેશનોને તેમાં સહભાગી થવાની વિનંતી કરી છે.
કોલકાતાસ્થિત એનઆરએસ કૉલેજ ખાતે ટોળાં દ્વારા ડૉ. મુખરજી પર કરવામાં આવેલા હિંસક હુમલાની ઘટનાને આઈએમએએ વખોડી કાઢી હતી અને ઘટનાને મામલે રાજ્ય સરકાર તરફથી દૃષ્ટાંતરૂપ કાર્યવાહી કરવામાં આવે એવી માગણી કરી હતી.
પ.બંગાળના તમામ રેસિડન્ટ ડૉક્ટરોની યોગ્ય માગણીઓ કોઈપણ પ્રકારની શરત વિના સ્વીકારવામાં આવવી જોઈએ, એમ આઈએમએના સેક્રેટરી જનરલ આર. વી. અશોકને કહ્યું હતું.

કોલકાતાના ડૉક્ટરોની હડતાળને ટેકો જાહેર કરવા અને તેમના પરત્વે એકતા વ્યક્ત કરવા મુંબઈના 2800 સહિત મહારાષ્ટ્રના 4500 કરતા પણ વધુ ડૉક્ટરોએ પણ એક દિવસની હડતાળ પાડી હતી. હૈદરાબાદ અને તેલંગણામાં જૂનિયર ડૉક્ટરોએ વિરોધપ્રદર્શન કર્યું હતું.
જયપુરમાં એસએમએસ સરકારી હૉસ્પિટલમાં ડૉક્ટરોએ કાળીપટ્ટી અને હૅલ્મેટ પહેરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. રાજસ્થાનના ડૉક્ટરોએ પણ પ્રતીકાત્મક હડતાળમાં ભાગ લીધો હતો.
રાયપુરમાં અંદાજે 400 જેટલા ડૉક્ટરોએ રાજ્યની સૌથી મોટા ડૉ. બાબાસાહેબ આંબેડકર મેમોરિયલ હૉસ્પિટલમાં સવારે 8:00 વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધી હૉસ્પિટલના પરિસરમાં વિરોધપ્રદર્શન કર્યું હતું.
અનેક ડૉક્ટરો એક દિવસની હડતાળ પર ઊતરી જતા પણજીસ્થિત ગોવા મૅડિકલ કૉલેજ ઍન્ડ હૉસ્પિટલ સહિતની રાજ્યની હૉસ્પિટલોની સેવા આંશિક રીતે ખોરવાઈ ગઈ હતી. ચંડીગઢમાં 1200 તો કોઈમ્બતુરમાં 100 ડૉક્ટરોએ ધરણા કર્યા હતા તો મહિલા ડૉક્ટરો પણ આ વિરોધપ્રદર્શનમાં જોડાઈ હતી.
દરમિયાન, દેશભરના ડૉક્ટરોના આ પગલાંની સીધી અસર દર્દીઓ પર પડી હતી. હજારો દર્દીઓની સારવાર રખડી પડી હતી. દર્દીઓનો આર્તનાદ અસહ્ય હતો. જીવ બચાવનારાઓ જ જીવ લેવા બેઠા છે એવું દર્દીઓના સગાંઓ બોલી રહ્યા હતા. ડૉક્ટરોએ પેશન્ટોને રીતસર વૅન્ટીલેટર પર રાખ્યા છે. દર્દીઓનું દર્દ કોણ સમજશે? એવો આક્રોશ જોવા મળ્યો હતો.
જયેશ બ્રહ્મભટ્ટ
ભારતમાં એન્જિનિયરિંગની સૌથી સર્વોચ્ચ સંસ્થા ગણાતી આઇ.આઇ.ટી. તેમજ એન.આઇ.ટી. જેવી સંસ્થાઓમાં પ્રવેશ માટે લેવામાં આવતી JEE એડવાન્સ પરીક્ષાના આજે જાહેર થયેલા પરીણામની ગણતરીની મિનિટોમાં જ આ સંસ્થાની ત્રણક જેટલી વેબસાઇટ ખોટકાય જવા પામી હતી.
પરીક્ષા સત્તાધીશોએ આજે તા.14મી જુનની સવારે એવી જાહેરાત કરી હતી કે JEE એડવાન્સ 2019નું પરીણામ જાહેર થઈ ચૂક્યું છે. હજુ વિદ્યાર્થીઓ પરીણામ જુએ એટલી વારમાં તો રિઝલ્ટની સત્તાવાર વેબસાઇટ ક્રેશ થઇ જવા પામી હતી. વેબસાઇટ ખૂલતી ન હોવાની ફરીયાદો દેશવ્યાપી ધોરણે ઉપસ્થિત થતાં જેઇઇ એડવાન્સ સત્તાધીશોએ અન્ય વૈકલ્પિક વેબસાઇટ પર પરીણામ જોવાની જાહેરાત કરી હતી. એ વેબસાઇટ પર પણ પરીણામ આજે સાંજે 4 વાગ્યા સુધી જોઇ શકાતા ન હતા.
આઇ.આઇ.ટી. (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી) જેવી ભારતની સર્વોચ્ચ સંસ્થાની વેબસાઇટમાં આવા ધાંધીયા થાય એ સમગ્ર દેશ માટે નીચા જોણું છે. ભારતીયો તો આ બાબત જાણે છે પરંતુ, વિશ્વભરમાં આજે ભારતની ફજેતી થવા પામી હતી.

સુરતમાં તક્ષશિલા કોમ્પેક્ષમાં લાગેલી ભયાનક આગમાં 22થી વધુ બાળકોના મોત થયા હતા. આ કેસમાં ગુજરાત હાઇકોર્ટ કડક વલણ દાખવ્યું હતું અને ગુજરાત સરકારને નોટીસ ફટકારી દીધી છે. સુરતમાં લાગેલી આગના પગલે ગુજરાત હાઈકોર્ટમાં પીઆઈએલ કરવામાં આવી હતી.
પી.આઇ.એલ.ના અનુસંધાને ગુજરાત હાઇકોર્ટે ગુજરાત સરકારને નોટીસ ફટકારી છે. અગ્નિ સલામતીના નિયમોના સખત અમલ અને તેનું અમલ ન કરનારા વિરુદ્ધ પગલાં લેવા મામલે હાઈકોર્ટમાં દાખલ કરાયેલી પી.આઇ.એલ.ના અનુસંધાને હાઈકોર્ટે ગૃહખાતાના મુખ્ય સેક્રેટરી, સ્ટેટ યુનિયન ડેવલપમેન્ટ અને અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટ, સુરત મ્યુનિસિપલ કમિશનર, સુરતના ચીફ ફાયર અધિકારી, સુરત પોલીસ કમિશનર, દક્ષિણ ગુજરાત વિજ કંપની લિમિટેડ અને સરથાના પોલીસ સ્ટેશનના ઈન્સપેક્ટર જોગ નોટિસ જારી કરી છે. જાહેર હિતની રીટની સુનાવણી 27 જૂને હાથ ધરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
અડાજણના રહેવાસી સંજીલ ભાર્ગવ અને તેમના વકીલ વિશાલે દુકાનદારોના ઈન્સ્યોરન્સ કવરને લઈને હાઈકોર્ટમાં પીઆઈએલ કરી હતી. આ સિવાય તમામ શોપિંગ કોમ્પલેક્ષ, બિલ્ડીંગ, મોલ, બેન્કવિટ, કોચિંગ ક્લાસિસ અને સ્કૂલમાં ફાયર ઈન્સ્યોરન્સ ફરજીયાત કરવાની માગ કરી હતી. પીઆઈએલમાં ફાયર ઈન્સ્યોરન્સને લઈને કડક નિયમ બનાવવાની સૂચના કરવામાં આવી હતી અને ફાયર સેફ્ટીના નિયમોના ભંગ કરનારનું લાયસન્સ રદ્દ કરવાની વાત પણ કરી હતી.