તક્ષશિલા અગ્નિકાંડ બાદ સુરત શહેર જિલ્લાના શૈક્ષણિક જગત સાથે સંકળાયેલા સરકારી તંત્રો હરકતમાં આવ્યા છે અને નીતિ નિયમો વિરુદ્ધ ચાલી રહેલી શૈક્ષણિક સંસ્થાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
સુરત જિલ્લા શિક્ષણાધિકારીએ આજે સુરતના અડાજણ વિસ્તારમાં રોહાઉસની જગ્યામાં ઉભી કરી દેવામાં આવેલી રામાનંદાચાર્ય પ્રાથમિક શાળામાં ચાલી રહેલી અનેક ગેરરીતિઓ તેમજ ત્રુટિઓને પગલે આ સ્કુલની માન્યતા રદ કરી દેવા માટે ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકને ભલામણ કરી દીધી છે.
સુરત જિલ્લા શિક્ષણાધિકારીએ આ મુજબની ભલામણ રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકને કરી છે.

સ્કુલનું પૂરું નામ શ્રી રામાનંદાચાર્ય સંસ્કાર સરિતા વિદ્યાભવન છે. આ સંસ્થા મૂળ પરેશ પટેલ કે જેઓ હાલમાં સુરતના ઓલપાડ તાલુકામાં આવેલા નરથાણ ગામ ખાતે સંસ્કારકુંજ જ્ઞાનપીઠ નામથી શાળા ચલાવી રહ્યા છે, એમણે સ્થાપના કરી હતી. બાદમાં તેમણે સ્કુલનું સંચાલન અન્ય ટ્રસ્ટીઓને સોંપ્યું હતું, જેમાં અનેક ગેરરીતિઓ થયાની ફરીયાદોના પગલે સ્થાનિક શિક્ષણાધિકારી કચેરીએ તપાસ હાથ ધરતા પ્રથમ દર્શી નજરે જ અનેક ક્ષતિઓ જણાય આવી હતી. જેને પગલે શિક્ષણાધિકારીએ રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકને સ્કુલની માન્યતા રદ કરી દેવા માટે લેખિતમાં ભલામણ કરી દીધી છે.
















