
જમ્મુ-કાશ્મીરમાંથી 370 અને 35-એ નાબૂદ કર્યા બાદ આજરોજ ગુરુવાર 15 ઓગસ્ટના રોજ સમગ્ર ભારતવર્ષમાં સ્વાતંત્રપર્વની’ પ્રથમ ઉજવણી હર્ષોલ્લાસભેર અને રંગેચંગે થઇ રહી છે. સ્વતંત્રતા પર્વની સાથે ભાઇ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની ઉજવણી પણ થઇ રહી છે. એકલા ભારતમાં જ નહીં પણ વિશ્વમાં ખૂણેખૂણે વસતા ભારતીયો બન્ને પર્વોને ધામધૂમપૂર્વક ઉજવી રહ્યા છે.

એ પૂર્વે આતંકવાદી હુમલાની દહેશતના પગલે સુરત, અમદાવાદ સહિત દેશભરમાં હાઇએલર્ટ જાહેર કરાયું હતું. દરિયાકાંઠા અને સરહદી વિસ્તારોમાં સઘન સુરક્ષા ગોઠવવામાં આવી છે’ જ્યારે નર્મદા ડેમ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સોમનાથ મંદિર, અંબાજી મંદિર સહિતના યાત્રાધામો તેમજ અમદાવાદના આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટીક એરપોર્ટની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત ગુજરાતમાં તમામ મોટા શહેરોના પ્રવેશના તમામ માર્ગો પર ઠેર ઠેર નાકાબંધી કરીને વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ખાસ તકેદારીના ભાગરૂપે અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત સહિતના શહેરોમાં પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.બીજી તરફ કચ્છ સરહદ પર પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જ્યારે કોસ્ટગાર્ડને પણ એલર્ટ રહેવાના આદેશો આપીને દરિયાઈ સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે.





















