CIA ALERT

Blog - Page 440 of 708 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
October 15, 2019
trains.jpg
1min5830

ટ્રેનના પ્રવાસીઓ માટે બાંદરા ટર્મિનસથી પાલીતાણા વચ્ચે ૧૬ ઑક્ટોબર, ૨૦૧૯થી જાન્યુઆરી ૨૦૨૦ સુધી સુપરફાસ્ટ વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય પશ્ચિમ રેલવેએ કર્યો છે. આ નિર્ણયના પગલે દિવાળીના સમય દરમ્યાન ગુજરાત અને મહારાષ્ટ્રના પ્રવાસીઓની સુવિધામાં વધારો થશે.

ટ્રેન-નં. ૦૯૦૨૭ બાંદરા ટર્મિનસ-પાલિતાણા સુપરફાસ્ટ ટ્રેન બાંદરા ટર્મિનસથી ૧૬ ઑક્ટોબરને બુધવારે ૧૫.૨૫ વાગ્યે ઊપડીને આગલા દિવસે ૫.૩૦ વાગ્યે પાલિતાણા પહોંચશે. આ ટ્રેન ૧૬ ઑક્ટોબર, ૨૦૧૯થી ૧ જાન્યુઆરી, ૨૦૨૦ સુધી ચાલશે.

ટ્રેન-નંબર ૦૯૦૨૮ પાલિતાણા-બાંદરા ટર્મિનસ સુપરફાસ્ટ વિશેષ ટ્રેન ૧૭ ઑક્ટોબરને ગુરુવારે પાલિતાણાથી સવારે ૭.૩૫ વાગ્યે ઊપડીને એ જ દિવસે ૨૧.૫૦ વાગ્યે બાંદરા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન ૧૭ ઑક્ટોબર, ૨૦૧૯થી બીજી જાન્યુઆરી, ૨૦૨૦ સુધી ચાલશે.

આ ટ્રેનમાં એસી ટૂ ટિયર, એસી થ્રી ટિયર, સ્લીપર તથા સેકન્ડ કલાસ, જનરલ કોચ રહેશે. આ ટ્રેન શિહોર, સોનગઢ, ધોળા જંક્શન, બોટાદ, વિરમગામ, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વાપી તથા બોરીવલી સ્ટેશનો પર રોકાશે.

October 15, 2019
m2.jpg
1min5750
Peanut

ગુજરાતમાં મગફળીનું રેકોર્ડબ્રેક ઉત્પાદન થવાનો પૂરાવો આપતી આવક સૌરાષ્ટ્ર-ગુજરાતમાં સોમવારે થઇ હતી. વરસાદ અટક્યાને હજુ આઠેક દિવસનો સમય થયો છે ત્યાં ખેડૂતો માલ ઠાલવવા લાગતા સવા બે લાખ ગુણી મગફળી ગુજરાતભરમાં આવી પડી હતી ! સીઝનના આરંભના દિવસોમાં આવકનો આટલો પ્રવાહ ક્યારેય સર્જાયો નહીં હોવાથી સૌ આશ્ચર્યમાં મૂકાય ગયા હતા. ગોંડલ અને રાજકોટ જેવા માર્કેટ યાર્ડો મગફળીથી છલોછલ થઇ ગયા હતા. મગફળીના ભાવ પણ આવકના પ્રભાવથી તૂટયાં હતા.

રવીવારની રજા પછી સોમવારે સૌરાષ્ટ્રમાં સવા લાખ ગુણી અને ગુજરાત તરફ એકાદ લાખ ગુણીની હોબેશ આવક હતી. રાજકોટમાં લગભગ 32 હજાર ગુણી આવક હતી. રવિવારે આવેલી 16-17 હજાર ગુણી ઉમેરતા 48 હજાર ગુણી આવી પડી હતી. એ જ ઢબે ગોંડલ યાર્ડમાં 66000 ગુણી આવી હતી. બન્ને યાર્ડમાં કુલ મળીને 40 હજાર ગુણી પડતર છે.

રાજકોટ યાર્ડમાં મંગળવાર સવારે આઠ વાગ્યે આવકો નવી સૂચના સુધી બંધ કરી દેવામાં આવશે. ગોંડલમાં જગ્યાનો પ્રશ્ન હજુ નડતરરુપ ન હોય આવક ચાલુ છે. જોકે બે દિવસ આવકો વધુ રહે તો ત્યાં’ પણ આવક બંધ કરવાની નોબત આવી શકે છે. ચાલુ વર્ષે ઉત્પાદન 32થી 35 લાખ ટન વચ્ચે થવાના અંદાજો હોવાથી ડિસેમ્બર સુધી મબલક આવકો થશે અને ભાવ પણ તૂટશે.

મહારાષ્ટ્રમાં સીંગદાણાની માગથી મગફળીનો ભાવ ગયા અઠવાડિયે રાજકોટ-ગોંડલમાં મણે રૂ. 1500-1600 સુધી ગયો હતો. જોકે સોમવારે આવકના પૂરમાં ભાવ તણાઇ ગયો હતો. બન્ને યાર્ડમાં ઝીણી રૂ. 800-1200 અને જાડી રૂ. 800-1050 સુધી વેચાઇ હતી. ભાવ ઉપલા સ્તરેથી તીવ્ર વેગથી તૂટયાં છે.

ઉત્તર ગુજરાતમાં ય હોબેશ આવક હતી. ડિસામાં 35 હજાર ગુણી, પાથાવાડામાં 15 અને પાલનપુરમાં 7 હજાર ગુણી આવી હતી. સૌરાષ્ટ્રમાં મહુવા ખાતે 6, જૂનાગઢ અને કાલાવડમાં 5-5 હજાર ગુણી, સાવરકુંડલા અને વીસાવદરમાં 2200 ગુણી, જામજોધપુરમાં 3000 ગુણી, જેતપુરમાં 2500 ગુણી અને કોડીનારમાં 2500 ગુણીની આવક મુખ્ય હતી.

વેપારીઓએ કહ્યું કે, સતત વરસાદને લીધે આવકો 20-25 દિવસ મોડી પડી ચૂકી હતી. ભાદરવા જેવા તાપ પડવાનું શરું થતા હવે ખેડૂતો ફટાફટ માલ કાઢીને ઉંચો ભાવ મેળવી રહ્યા છે. સરકાર દ્વારા આવતા મહિનાથી મગફળીની ખરીદી થવાની છે એ પૂર્વે ભેજ અને ભાવનો લાભ લેવા માટે ખેડૂતો માર્કેટ યાર્ડોમાં માલ ઠાલવવા માંડયા છે.

નાફેડને વેંચવા માટે આશરે પાંચેક લાખ ખેડૂતોએ ગુજરાતમાં નોંધણી કરાવી છે. પ્રત્યેક ખેડૂતો પાસેથી સરકાર 2500 કિલોની મર્યાદામાં મગફળી ખરીદશે. આઠ લાખ ટનનું લક્ષ્યાંક છે. લાભપાંચમે ખરીદીનો આરંભ થાય એ પૂર્વે ખેડૂતો નાણાની જરુરિયાત સંતોષવા માટે માલ વેંચી રહ્યા છે.

October 15, 2019
pmc.jpg
1min12610

આર્થિક કટોકટીમાં ફસાયેલી પંજાબ ઍન્ડ મહારાષ્ટ્ર (પીએમસી) કો-ઓ. બૅંકના ખાતાધારકો માટે સારા સમાચાર છે. રિઝર્વ બૅંક ઑફ ઈન્ડિયા-આરબીઆઈએ ખાતાધારકો માટે પીએમસી બૅંકમાંથી રૂપિયાનો ઉપાડ કરવાની મર્યાદા હાલના રૂ.૨૫૦૦૦થી વધારીને રૂ.૪૦૦૦૦ કરી છે.

રોષે ભરાયેલા ખાતાધારકો નાણાં પ્રધાન નિર્મલા સીતારામનને મળ્યા બાદ તેમણે આરબીઆઈને ખાતાધારકોની સમસ્યાઓ ધ્યાન પર લેવાનું જણાવ્યા બાદ આ પગલું આવી પડ્યું હતું.

ટોચની ૧૦ અર્બન કો.ઓ. બૅંકમાં સ્થાન ધરાવતી પીએમસી બૅંકે જાણીજોઈને એનપીએ ઓછી દેખાડતાં સર્જાયેલી સમસ્યા બાદ ૨૩ સપ્ટેમ્બરથી છ મહિના માટે તેને આરબીઆઈની દેખરેખ હેઠળ મૂકી દેવામાં આવી હતી.

આરબીઆઈએ ત્રીજીવાર આ મર્યાદા વધારી છે. અગાઉ ખાતાધારકોને રૂ. ૧૦૦૦ ઉપાડવાની છૂટ હતી જે વધારીને રૂ.૧૦૦૦૦, રૂ. ૨૫૦૦૦ આવી હતી અને હવે એ મર્યાદા હવે વધારીને રૂ.૪૦૦૦૦ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આરબીઆઈનાં આ પગલાંને કારણે હવે લગભગ કુલ ખાતાધારકો અને થાપણદારોમાંથી ૭૭ ટકા લોકો તેમનાં ખાતામાંની પૂરી રકમનો ઉપાડ કરી શકશે.

છેતરપિંડીવાળા ટ્રાન્ઝેક્શનોની ચકાસણી કરવા આરબીઆઈએ ફૉરેન્સિક ઑડિટર્સની નિમણૂંક કરી છે.

શહેર પોલીસની આર્થિક ગુના શાખાએ આ મામલે તપાસ આરંભી હોવાનું તેમણે કહ્યું હતું.

બૅંકને તેની કાર્યવાહી કરવામાં નડતી વિવિધ સમસ્યાઓનો ઝડપી ઉકેલ લાવવા વહીવટીતંત્ર અને આરબીઆઈ દ્વારા નીમવામાં આવેલી ત્રણ સભ્યની સલાહકાર સમિતિ સાથે મળીને કામ કરી રહ્યા છે. 

October 14, 2019
IMG-20191014-WA0027.jpg
1min11790

સુરતમાં હીરા ઉદ્યોગકારોએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું કર્યું ભવ્ય અભિવાદન

સૂરતના હીરા ઉદ્યોગકારોએ આજે ભેગા મળીને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલનો જાહેર અભિવાદન કાર્યક્રમ શાનદાર રીતે સંપન્ન કર્યો હતો. હીરા ઉદ્યોગ પર લાગૂ પાડવામાં આવેલા જીએસટીના દરો ઘટાડવા સંદર્ભે કેન્દ્ર સરકારમાં પરીણામલક્ષી રજૂઆતો કરવામાં આગેવાની લેવા બદલ સૂરતના જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઇપીસી), સૂરત ડાયમંડ એસોસીએશન તેમજ સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસીએશનના ઉપક્રમે સૂરતના અમેઝીયા સંકુલમાં આજે તા.14મી ઓક્ટોબર 2019ના રોજ બપોરે 3 કલાકે ગુજરાતના મુખ્યમંત્રી નીતિન પટેલનું જાહેર અભિવાદન કરવામાં આવ્યું હતું. સૂરતના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા અન્ય ઘટક સંઘો, નવસારીના હીરા ઉદ્યોગકારો, ખંભાતના હીરા ઉદ્યોગકારો સમેત અનેક સંસ્થાઓએ આ પ્રસંગે નીતિન પટેલનું બહુમાન કર્યું હતું.

હીરા ઉદ્યોગને કનડી રહેલા જીએસટીના અતિશય દરોને ઓછા કરવા સંદર્ભની કાર્યવાહી હાથ ધરાય એ માટે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપરાંત સાંસદો સર્વશ્રી સી.આર. પાટીલ, શ્રીમતી દર્શનાબેન જરદોષ તેમજ કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવીયા સમેતના નેતાઓએ કરેલી ધારદાર રજૂઆતોની જાહેર નોંધ લઇને તેમનો જાહેરમાં ઋુણ સ્વીકાર કરવામાં આવ્યો હતો.

હીરા ઉદ્યોગના પ્રશ્નો પરત્વે કેન્દ્રમાં કરેલી રજૂઆતો ફળદાયી નિવડી : દિનેશ નાવડીયા

સમારંભના આરંભમાં જેજેઇપીસીના રિજિયોનલ ચેરમેન શ્રી દિનેશભાઇ નાવડીયાએ તમામ મહાનુભાવોને આવકારતા નિખાલસ વાતો કરી હતી. તેમણે કહ્યું કે જેમ જેમ જીએસટીનો અમલ શરૂ થયો તેમ તેમ તેની નકારાત્મક બાબતે સામે આવી હતી. જીએસટી સમેત અન્ય પ્રતિકૂળતાએ જ્યારે સામે આવે ત્યારે જ તેની અસરકારકતાની પ્રતીતિ થાય. સૂરતના હીરા ઉદ્યોગકારો વતી અનેક વખત રાજ્ય સરકારમાં, કેન્દ્ર સરકારમાં, સ્થાનિક સાંસદો દ્વારા, ધારાસભ્યો દ્વારા રજૂઆતો થઇ. નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલએ સમગ્ર પ્રશ્નનો સમજ્યો અને પછી કેન્દ્રમાં તેમણે પરીણાલક્ષી રજૂઆતો કરી, જેની ફળશ્રૃતિ રૂપે હીરા ઉદ્યોગ પરથી જીએસટીનો બિનજરૂરી ભાર ઓછો થયો છે.

પોતાના જાહેર અભિવાદન બદલ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલએ સૂરતના હીરા ઉદ્યોગકારો તેમજ મહાનુભાવોનો જાહેર આભાર વ્યક્ત કર્યો હતો.

આ લોકોએ સમારોહને શાનદાર બનાવ્યો

આ સમારોહને સફળ બનાવવામાં જીજેઇપીસીના રિજિયોનલ ચેરમેન શ્રી દિનેશભાઈ નાવડીયા, જિલ્પાબેન શેઠ તેમજ સમગ્ર કાઉન્સિલ સ્ટાફ ઉપરાંત સુરત ડાયમંડ એસોસિએશન પ્રમુખ શ્રી બાબુભાઈ કથીરિયા અને તેમની ટીમ તથા સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસીએશનના પ્રમુખશ્રી જયંતીભાઈ સાવલીયા તેમજ તેમની ટીમે છેલ્લા દસ દિવસથી ભારે જહેમત ઊઠાવી હતી.

October 12, 2019
st.jpg
1min6250

સૂરત ડાયમંડ એસોસીએશનએ કરેલી રજૂઆતો ફળી, સૌરાષ્ટ્રવાસી પરિવારોને વતન જવામાં રાહત

Symbolic Photo

સૂરત ડાયમંડ એસોસીએશનએ કરેલી રજૂઆતોને પગલે આગામી દિવાળીની રજાઓ દરમિયાન સૂરતથી સૌરાષ્ટ્ર પોતાના માદરે વતન જતા પરિવારો માટે એક્સ્ટ્રા બસ મૂકવાની જાહેરાત કરનાર ગુજરાત એસ.ટી. તંત્ર આવી સ્પેશ્યલ એક્સટ્રા બસ સર્વિસ માટે વધારાનો એક પણ રૂપિયા ચાર્જ નહીં લેશે આ બાબતે એસ.ટી. તંત્રવાહકો સંમત થયા છે.

સૂરતથી પોતાના વતનમાં જતા સૌરાષ્ટ્રવાસી પરિવારો, રત્નકલાકારો પાસે ગુજરાત એસટી વિભાગ જે વાસ્તવિક અમલી રેટ હશે તે મુજબ જ મુસાફરી ભાડું વસૂલ કરશે. અત્યાર સુધી એવું નોંધાયું હતું કે એસટી વિભાગ એકસ્ટ્રા બસ માટે વધારાનો ચાર્જ વસૂલ કરી રહ્યું હતું. સૂરત ડાયમંડ એસોસીએશનના પ્રમુખ શ્રી બાબુભાઇ કથિરીયા તેમજ અન્ય આગેવાનોએ હાલમાં ચાલી રહેલી મંદી દરમિયાન સૂરત આવીને વસેલા સૌરાષ્ટ્રવાસી પરિવારોને રાહત મળે એ માટે ઉપરોક્ત રજૂઆતો કરી હતી. જેને એસ.ટી. તંત્રના ઉચ્ચાધિકારીઓએ ગ્રાહ્ય રાખી છે.

વધુ મળતી માહિતી મુજબ સૂરતથી સૌરાષ્ટ્ર જઇ રહેલા મુસાફરોને જ આ લાભ મળશે. વતનથી પરત આવતી વખતે એકસ્ટ્રા બસનો લાભ નહીં મળી શકે એવી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે.

સુરત ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ બાબુભાઇ કથિરીયાએ કહ્યું હતું કે આ વખતે હીરાઉદ્યોગમાં ભારે મંદીને કારણે રત્નકલાકારોને વતન જવા માટે વધારાનો આર્થિક બોજ ના ઉઠાવવો પડે એ વાતને ધ્યાનમાં રાખીને સૂરત ડાયમંડ એસોસીએશનએ રાજ્ય સરકારમાં રજૂઆત કરી હતી કે એસટી વધારાનો ચાર્જ ન લે. એ વાત સ્વાકારી લેવામાં આવી છે અને કારીગરોને વતન જવા માટે એસટીનો જે ચાર્જ હશે તે ચુકવવો પડશે.

સુરત ડાયમંડ એસોસિયેશનના પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે દિવાળીના વેકેશનમાં લકઝરી બસો ઉઘાડી લૂંટ ચલાવે છે જેની સામે એસટીનો દર ઘણો ઓછો છે એટલે રત્નકલાકારોને રાહત મળશે.

October 12, 2019
rally.jpg
1min17140

સમર્થન ગ્રુપની એકતા પદયાત્રાને સૂરતીઓનો પ્રચંડ પ્રતિસાદ

સૂરત આજરોજ તા.12મી ઓક્ટોબર 2019ના રોજ એવી બિનરાજકીય અને રાષ્ટ્રહિતના સમર્થનમાં નીકળેલી વિરાટ રેલીનું સાક્ષી બન્યુ છે જેમાં હકડેઠઠ માનવ મહેરામણ ઉમટ્યો હતો. સૂરતના જાણિતા આઇ સ્પેશ્યાલિસ્ટ તબીબ ડો. મહેન્દ્રસિંહ ચૌહાણની બિનસરકારી સંસ્થા સમર્થન ગ્રુપે રાષ્ટ્ર હિતમાં કાશ્મીરમાં કેન્દ્ર સરકારે કરેલી કાર્યવાહીને સમર્થન આપવા માટે આજે સવારે 7 વાગ્યે શહેરના કારગીલ ચોક પરથી શરૂ થનારી એક્તા પદયાત્રામાં ઉમટી પડવા માટે કરેલી હાકલને લહેરીલાલા સૂરતીઓએ પ્રચંડ પ્રતિસાદ આપ્યો હતો.

સવારે સાડા છ વાગ્યાથી પીપલોદના કારગીલ ચોક પર લોકો ઉમટવાના શરૂ થઇ ગયા હતા. સમર્થન ગ્રુપ આયોજિત એકતા પદયાત્રામાં એકલ દોકલ નહીં પણ લોકો 25-50-100ના ગ્રુપમાં જોડાઇ રહ્યા હતા. જોત જોતામાં સવારે સાતના ટકોરે કારગીલ ચોક પર પંદર હજારથી વધુ લોકો વ્હાઇટ કપડામાં સજ્જ થઇ ગયા હતા.

રેલીના આયોજકો પૈકીના સમર્થન ગ્રુપના ડો. મહેન્દ્રસિંહ ચૌહાણ, SGCCI પ્રેસિડેન્ટ શ્રી કેતનભાઇ દેસાઇ, જીજેઇપીસીના રિજિયોનલ ચેરમેન અને ચેમ્બર ઓફ કોમર્સના વાઇસ પ્રેસિડેન્ટ દિનેશ નાવડીયા, ડો. મુકુલ ચોક્સી, ભાજપાના સૂરત મહામંત્રી શ્રી મદનસિંહ અટોદરીયા, શિક્ષણ સમિતિ, સૂરતના ચેરમેન શ્રી હસમુખભાઇ પટેલ, સભ્ય શ્રી પરિમલભાઇ ચાસીયા, વકીલ શ્રી નિલકંઠ બારોટ, ડો.કિશોરસિંહ ચાવડા, ડો.કશ્યપ ખરચીયા, શ્રી ઇકબાલ કડીવાલા સમેત અનેક આગેવાનોએ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું.

સવારે 7 વાગ્યે શહેરના પોશ વિસ્તારમાં માનવ કિડીયારું ઉમટેલું જોઇને આસપાસના રહેવાસીઓ સમેત વાહનચાલકો, રાહદારીઓમાં કૌતુક સર્જાયું હતું. સુરત ડુમસ રોડ પર દરરોજ વોકીંગ, જોગીંગ કરતા સેંકડો લોકો આજે સમર્થન ગ્રુપ આયોજિત એકતા પદયાત્રામાં જોડાઇ ગયા હતા. શહેરની લગભગ 500થી વધુ શૈક્ષણિક સંસ્થાઓ, સમાજ સેવી સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ, એન.જી.ઓ. વગેરેના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાતા આજની બિનરાજકીય રેલીએ અત્યંત વિશાળ બની જવા પામી હતી.

રેલીમાં સૂરત શહેરના મેયર ડો. જગદીશ પટેલ ઉપરાંત ભાજપાના નેતા શ્રી ભરતસિંહ પરમાર, સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોષ, સૂરત મજૂરાના ધારાસભ્ય શ્રી હર્ષ સંઘવી સમેત અનેક આગેવાનો જોડાયા હતા.

સૂરત શહેર ઉપરાંત સૂરતની બહાર, સૂરત જિલ્લા, વ્યારા, બારડોલી, નવસારી, ભરૂચ વગેરે વિસ્તારોમાંથી લોકો મોટી સંખ્યામાં સમર્થન ગ્રુપ આયોજિત એક્તા પદયાત્રામાં જોડાયા હતા.

આજની આ રેલી જોઇને શહેરના જાણકારોનું કહેવું છેકે શહેરમાં રાજકીય રેલીઓ કે ધાર્મિક રેલીઓમાં લોકોને ઉમટી પડતા જોયા છે, સામાજિક હિત માટેની રેલીમાં લોકો કિડીયારાની જેમ ઉમટી પડતા જોયા છે પણ આજે રાષ્ટ્રહિતના મુદ્દા પર સમર્થન આપવા માટે સૂરતીઓએ એકતા પદયાત્રાને પ્રચંડ પ્રતિસાદ આપ્યો હતો. ગણ્યા ગણાય નહીં એટલા લોકો પદયાત્રામાં જોડાય રહ્યા હતા.

October 11, 2019
double_diamond.jpg
2min8460

રશીયાની ખાણમાંથી હીરા કાઢતી વખતે મળી આવ્યો વિશ્વનો પહેલો ડબલ ડાયમંડ

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

વિશ્વના સૌથી મોટી ડાયમંડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ ધરાવતા સૂરતના હીરા ઉદ્યોગકારો સમેત હીરાનું પ્રોસેસિંગ કરતા લાખો રત્ન કલાકારોને પણ અચરજ પમાડે એવો હીરો રશીયાની ખાણમાંથી મળી આવ્યો છે. રશીયાના (Yakutia, Russia) યકુશિયા સ્થિત હીરાની ખાણમાંથી એક એવો ડાયમંડ મળી આવ્યો છે જેને ડબલ ડાયમંડ કહેવામાં આવે છે. હીરાની અંદર હીરો હોય તેવી આ ઘટના બનતા સમગ્ર વિશ્વના હીરા ઝવેરાતની મોટી મોટી કંપનીઓની નજર પણ આ ઘટના પર ઠરી છે.

Thomas Stachel, a University of Alberta mineralogist, told National Geographic. “We have been looking for diamonds now for a long time, and that is a first.”

રશીયા (Yakutia, Russia) સ્થિત હીરાની ખાણમાંથી મળી આવેલા ડાયમંડનો સ્ક્રીન્ડ ફોટો, જેમાં ડાયમંડની અંદર ડાયમંડ સ્પષ્ટ રીતે જોઇ શકાય છે. વિશ્વમાં ડબલ ડાયમંડ મળી આવવાની આ પ્રથમ ઘટના લેખાઇ રહી છે.

ન્યુયોર્ક પોસ્ટના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં પૃથ્વીના પેટાળમાંથી કરોડો કેરેટસ રફ ડાયમંડસ મળ્યા છે પરંતુ, ક્યારેય પણ ડબલ ડાયમંડ મળી આવ્યો નથી. ડાયમંડની અંદર ડાયમંડ હોવું એક કુદરતી ક્રિએશન છે પણ હવે આ પ્રકારનો પહેલો હીરો મળ્યો છે, જેણે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યુ છે.

વિશ્વભરમાં કૌતુક જગાડ્યું છે ડબલ ડાયમંડે

(Yakutia, Russia) હીરાની ખાણમાંથી મળી આવેલા વિશ્વના પહેલા ડબલ ડાયમંડની નેચરલ તસ્વીર. નેચરલ તસ્વીરમાં પણ હીરાની અંદર હીરો હોવાનું નરી આંખે જોઇ શકાય છે.

એક ડાયમંડમાં બીજા ડાયમંડની તસ્વીરો હાલ સોશ્યલ મિડીયામાં ભારે વાઇરલ થઇ છે.

રશીયાની જે ખાણમાંથી ડબલ ડાયમંડ મળી આવ્યો છે એની માલિકી અલ રોઝા ડાયમંડ કંપની ધરાવે છે અને આ કંપનીએ નિર્ણય કર્યો છે કે ડબલ ડાયમંડને વધુ ચકાસણી માટે અમેરિકાની જેમોલોજિકલ ઇન્સ્ટીટ્યુટ ખાતે રિસર્ચ માટે મોકલવામાં આવશે. જ્યાં તેના પર વધુ રિસર્ચ કરવામાં આવશે.

Alrosa plans to send the mysterious stone to the Gemological Institute of America to be further analyzed, though there are a few possible explanations. A salty fluid may have once filled the rock but later dissolved or leaked out, leaving one piece of the diamond inside the cavity. Water may also have worked its way in and cleaned out or dissolved the inner material, with the tiny gem remaining behind.

લિંક ક્લીક કરો અને વાંચો ન્યુયોર્ક પોસ્ટના ડબલ ડાયમંડ અંગેના ન્યુઝ

https://nypost.com/2019/10/10/worlds-first-double-diamond-discovered-in-russian-mine/?utm_source=url_sitebuttons&utm_medium=site%20buttons&utm_campaign=site%20buttons

October 11, 2019
jinping.jpg
1min5280

તામિલનાડુના મહાબલીપુરમાં 11-12 ઓકટોબરના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપ્રમુખ શ્રી જિનપિંગ વચ્ચે બીજી અનૌપચારિક શિખર બેઠક યોજવા જઇ રહી છે. બન્ને નેતા યુનેસ્કોના કેટલાક વિશ્વ ધરોહર સ્થળોનું ભ્રમણ કરશે અને કલાક્ષેત્ર દ્વારા પ્રસ્તુત એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ હાજર રહેશે.

ચીનના રાષ્ટ્રપ્રમુખ શ્રી જિનપિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પોતાની પ્રસ્તાપિત બેઠક માટે 11 ઓકટોબરે બપોર બાદ ચેન્નાઇ પહોંચશે. આ સ્થળ મહાબલીપુરથી પ0 કિલોમીટર દૂર છે.

બન્ને નેતાઓ મહાબલીપુરમાં સાંજે બેઠક કરશે અને વડાપ્રધાન મોદી રાષ્ટ્રપ્રમુખ જિનપિંગને આ તટીય શહેરમાં મલ્લમ શાસકો દ્વારા નિર્મિત કેટલાંક ઐતિહાસિક સ્થળો ઉપર લઇ જશે. મોદી ચીનના રાષ્ટ્ર પ્રમુખના માનમાં રાત્રીભોજન પણ આપશે અને બન્ને નેતા ત્યાં કલાક્ષેત્રના સાંસ્કૃતિક કાર્યક્રમમાં સામેલ થશે. ત્યારબાદ બન્ને નેતાઓ 12 ઓકટોબરે પોતાના પ્રતિનિધિઓ વચ્ચે મંત્રણાના બીજા તબક્કામાં સામેલ થશે જેના પછી થી બપોરે બે વાગ્યે સ્વદેશ જવા રવાના થશે.

બીજા દિવસની મંત્રણા તાજ સમૂહ સંચાલિત ફિશરમેન્સ કોચમાં યોજાશે. જોકે મંત્રણા અનૌપચારિક છે. તેથી કોઇ ઔપચારિક મંત્રણા કે કોઇ પ્રકારની સમજૂતિ ઉપર હસ્તાક્ષર નહીં થાય.

October 11, 2019
rajkot-fire.jpg
1min7980

આજી જીઆઈડીસી વિસ્તારમાં અમૂલ યુનિટ સામે આવેલી મેસ્કોટ ઈન્ડસ્ટ્રીઝમાં આજે બપોરે 3 કલાકે શાપર-વેરાવળની વીએના કેમિકલ્સમાંથી ‘ટોલ્વીન’ કેમિકલનું એક ટેન્કર ભરાઈને આવ્યું હતું. આ કેમિકલને બેરલમાં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યું હતું ત્યારે તેમાં આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે, બાજુમાં પાર્ક કરેલી એક કાર તેમજ છકડો પણ તેમાં બળીને ખાક થઈ ગયો હતો. કારખાનેદારો દ્વારા આગ ઓલવવા માટે સતત ફોમનો મારો ચલાવવામાં આવ્યો હતો પરંતુ આગ વધુને વધુ ભયાનક બની હતી. કાળા ધૂમાડાના ગોટેગોટા કિલોમીટર સુધી જોવા મળતાં હતાં.

આજી જીઆઈડીસી વિસ્તારમાં આવેલી એક કેમિકલ ફેક્ટરીમાં’ આજે આગ લાગતા ફાયરબ્રિગેડના 8 ફાયરફાયટર ઘટના સ્થળે દોડી ગયાં હતાં, આગની તિવ્રતાને ધ્યાને લઈ ફાયરબ્રિગેડ બ્રિગેડકોલ આપીને આસપાસનો સમગ્ર વિસ્તાર ખાલી કરાવ્યો હતો અને 3 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવા આવ્યો હતો. અલબત આગ ઓલવતી વખતે ચીફ ફાયર ઓફિસર સહિત 7 લાકોને કેમિકલની અસર થતાં સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયાં હતાં તેઓનું સ્વાસ્થ્ય સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે.

દરમિયાન આ અંગેની જાણ ફાયરબ્રિગેડને થતાં ચીફ ફાયર ઓફિસર બી.જે. ઠેબાની આગેવાનીમાં ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. 8 ફાયરફાયટર સાથે ઘટના સ્થળે પહોંચેલી ટીમે’ સૌપ્રથમ તો આસપાસના ગોદામોને ખાલી કરાવવામાં આવ્યાં હતાં અને કામદારો અને લોકોને દૂર હટાવાયાં હતાં. પોલીસ પણ ખડેપગે રહી હતી. 3 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ તો મેળવી લેવાયો હતો પરંતુ આગ બૂઝાવતી વખતે ચીફ ફાયર ઓફિસર સહિત અન્ય 7 વ્યક્તિઓને કેમિકલની ઝેરી અસર થતાં શહેરની મધુરમ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં તેઓનું સ્વાસ્થ્ય સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે.

ટ્રોલ્વીન એક સુગંધિત હાઈડ્રોકાર્બન છે. રંગવિહાણા આ કેમિકલ પાણીમાં અદ્રાવ્ય છે તેમજ તેની સુંગધ રંગરોગાનમાં વપરાતા થીનરને મળતી આવે છે. ઓદ્યોગિક એકમોમાં તેનો પુષ્કળ વપરાશ થાય છે. ટ્રોલ્વીન એક જ્વલનશીલ કેમિકલ છે, તેમાં આગ લાગે ત્યારે ઓલવવી ખૂબ જ મુશ્કેલ પડે છે.

October 11, 2019
mumbai-local-train.jpg
1min4710

દેશની પહેલી ખાનગી ટ્રેન તેજસ એક્સપ્રેસ બાદ સરકારે અન્ય 150 ટ્રેનો તેમજ 50 રેલ્વે સ્ટેશનોનાં ખાનગીકરણની તૈયારી કરી છે.

આ અંગે સમગ્ર માળખું તૈયાર થઈ ચૂક્યું છે. રેલ્વે મંત્રાલયે નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંત સાથે વાતચીતના આધારે આ ફેંસલો લીધો છે. કાંતે રેલ્વે બોર્ડના અધ્યક્ષ વી. કે. યાદવને પત્ર લખીને 150 ટ્રેનો તેમજ 50 રેલ્વે મથકો ખાનગી હાથોમાં સોંપવાની વાત કરી છે.

ટ્રેનો અને રેલ્વે સ્ટેશનોમાં ખાનગીકરણની પ્રક્રિયા માટે સચિવસ્તરનું એક સત્તાધારી જૂથ રચાશે, જેમાં નીતિ આયોગના સીઈઓ, રેલ્વે બોર્ડના અધ્યક્ષ, આર્થિક બાબતોના સચિવ, શહેરી વિકાસ મંત્રાલયના સચિવ સામેલ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, ગત ચોથી ઓક્ટોબરથી તેજસ એક્સપ્રેસ ટ્રેન નિયમિત દોડતી થઈ ગઈ છે. જે લખનૌથી દિલ્હી વચ્ચે દોડે છે.