
ઑસ્ટ્રેલિયાની સરકારે ભારતમાં સુધારિત નાગરિકત્વ ધારાને મુદ્દે ફાટી નીકળેલી હિંસાને ધ્યાનમાં રાખીને પોતાના નાગરિકોને ભારતના પ્રવાસ સામે ચેતવણી આપી હતી.
અગાઉ, અમેરિકા, યુકે, સિંગાપોર, કેનેડા અને ઇઝરાયલે પણ પોતાના નાગરિકોને આવી ચેતવણી ગયા અઠવાડિયે આપી હતી.
પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બંગલાદેશમાંની ધાર્મિક સતામણીથી કંટાળીને ૨૦૧૪ની ૩૧મી ડિસેમ્બરની પહેલાં નાસીને ભારત આવેલા હિંદુ, જૈન, શીખ, ખ્રિસ્તી અને બૌદ્ધ લોકોને ભારતનું નાગરિકત્વ આપવાની સુધારિત નાગરિકત્વ ધારામાં જોગવાઇ છે.
ઑસ્ટ્રેલિયાના નાગરિકોને જમ્મુ અને કાશ્મીરમાં અને ભારત – પાકિસ્તાનની સરહદે આવેલા અન્ય વિસ્તારોમાં નહિ જવાની સલાહ પણ અપાઇ હતી.
ઑસ્ટ્રેલિયાની સરકારે પોતાના નાગરિકોને ચેતવણી આપતા બહાર પાડેલા નિવેદનમાં જણાવ્યું હતું કે ગુવાહાટી સિવાયના આસામ, નાગાલેન્ડ, મણિપુર, છત્તીસગઢ અને તેઓના પાડોશી રાજ્યોમાં ફાટી નીકળેલી હિંસાને ધ્યાનમાં રાખીને ત્યાં નહિ જવાની નાગરિકોને સલાહ આપીએ છીએ.
દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે સુધારિત નાગરિકત્વ કાયદાથી ભારતના કોઇપણ વિસ્તારને માઠી અસર નહિ થાય.
તેમણે જણાવ્યું હતું કે સ્થાપિત હિત ધરાવતા લોકો સમાજનું વિભાજન કરવા પ્રયાસ કરી રહ્યા છે અને તેથી જનતાએ અફવા પર ધ્યાન આપવું ન જોઇએ.


















