
2020 ખરેખર એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રી માટે બેકાર વર્ષ સાબિત થઈ રહ્યું છે. ચાલુ વર્ષે આ દુનિયામાંથી વિદાય લેનારાઓની યાદીમાં વધુ એક કલાકારનું નામ જોડાઈ ગયું છે. ગુજરાતી રંગમંચ અને ટેલિવિઝનના જાણીતા કલાકાર જગેશ મુકાતીએ જીંદગીના તખ્તા પરથી વિદાય લઈ લીધી છે. ગુજરાતી નાટકોમાં પ્રેક્ષકોને ખડખડાટ હસાવનાર અને ‘શ્રી ગણેશ’ સિરિયલ દ્વારા ઘરઘરમાં જાણીતું નામ બનેલા જગેશ મુકાતીનું 47 વર્ષે નિધન થયું છે. શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાથી તેમનું મૃત્યુ થયું છે.
સુત્રોએ આપેલી માહિતી મુજબ, ગત શુક્રવારે ઓક્સિજન ઓછું થતા જગેશ મુકાતીને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હૉસ્પિટલમાં દાખલ કરાતા સૌથી પહેલા તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જે નેગેટીવ આવ્યો હતો. પરંતુ તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. થોડુંક ચાલતા અને હાંફી હતા, ઓક્સિજન લેવલ સતત નીચે જતું હતું. એટલે તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા અને છેવટે વેન્ટિલેટરનો સહારો આવો પડયો. 10 જૂને બપોરે 3-3.15 વાગ્યાની આસપાસ હૉસ્પિટલમાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. બુધવારે સાંજે જ પરિવાર દ્વારા તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
બૉલીવુડ, ટેલીવુડ અને ઢોલીવુડના અનેક સેલેબ્ઝે તેમના નિધન પર શૉક વ્યક્ત કર્યો છે. ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટર મલ્હાર ઠાકરે કહ્યું હતું કે, જગ્ગુ દાદા વિલ મિસ યુ, જો શક્ય હોય તો પાછા આવી જાવ.
અભિનેતા સાથે કામ કરનાર ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ ફૅમ અભિનેત્રી અંબિકા રંજનકરે દુ:ખ વ્યક્ત કરતા લખ્યું હતું કે, દયાળુ અને મદદગાર મિત્ર જગેશની હંમેશા યાદ આવશે.
જગેશ મુકાતીએ અનેક ગુજરાતી નાટકો સાથે ટીવી સિરિયલ ‘અમિતા કા અમિત’, ‘શ્રી ગણેશ’ અને ‘ચાલ જીવી લઈએ’ જેવી ફિલ્મોમાં અભિનય કર્યો છે. તમને જણાવી દઈએ કે, 2000માં આવેલી સિરિયલ ‘શ્રી ગણેશ’નું અત્યારે પુન:પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. આ સિરિયલમાં અભિનેતાએ ગણેશ ભગવાનનું પાત્ર ભજવ્યું છે.
























