CIA ALERT

Blog - Page 32 of 707 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
January 20, 2026
image-11.png
1min101

ડાયમંડ નગરી સુરતમાં ગુજરાતના ઈતિહાસમાં કદાચ પ્રથમ કહી શકાય તેવા પ્રતિબંધિત કોબ્રા સાપનું ઝેર વેચવા આવેલા 7 યુવકો પકડાયા હતા. જ્યારે માસ્ટર માઈન્ડ અમદાવાદી ફરાર થઈ ગયો હતો. લસકાણા ખાતે નવજીવન સર્કલ પાસેના સહજાનંદ હબમાં પહેલા માળે આવેલા પટેલ લાઈફ પાર્ટનર નામની મેરેજ બ્યુરોની ઓફિસમાં રેડ પાડીને પોલીસે આરોપીઓને ઝડપી લીધા હતા. વડોદરાથી એક વકીલ સહિત પાંચ જણા ઝેરનો સોદો કરવા આવ્યા હતા. મેરેજ બ્યુરોના સંચાલક તથા તેના સાઢુ ભાઈએ ઝેરનો 9.10 કરોડમાં સોદો નક્કી કર્યો હતો. ડીલ ચાલતી હતી તે સમયે પોલીસ ત્રાટકી હતી. અમદાવાદના વ્યક્તિ પાસેથી આ ઝેર વેચવા લાવવામાં આવ્યું હતું તે ફરાર થઈ ગયો હતો.

એસઓજી મળેલી બાતમીના આધારે નવજીવન સર્કલની પાસે આવેલા સહજાનંદ હબમાં પહેલા માળે આવેલા પટેલ લાઈફ પાર્ટનર મેરેજ બ્યુરોમાં રેડ કરી હતી. જેમાં પ્રતિબંધિત કોબ્રા સાપનાં ઝેર (વેનમ)નો સોદો કરી રહેલા 7 જણાને ઝડપી લીધા હતા. એક કાચની બોટલમાં 6.5 મિલી લીટર સાપનું ઝેર જેની કિંમત રૂ.5.85 કરોડ ગણી શકાય તે પોલીસે કબજે કર્યું હતું.

સુરત SOG ટીમને બાતમી મળી હતી કે કોબ્રા સાપના ઝેરને વેચવા કેટલાક શખ્સો પૂછપરછ કરી રહ્યા છે. આ ગેંગ સુરતમાં મેરેજ બ્યુરો ચલાવી રહેલા મનસુખ ઘીનૈયા સાથે સંપર્કમાં હતી. જ્યાં ડીલ ડન થઈ હતી. આરોપીઓ રકમના સોદામાં દરેકના ટકાવારી પ્રમાણે કમિશન નક્કી હતા. પણ ડીલ ડન થાય તે જ પહેલા ચોક્કસ વોચ ગોઠવી દરોડા પાડવામાં આવ્યા હતા. સાતેય આરોપીની પૂછપરછ કરતાં બહાર આવ્યું કે, અમદાવાદના આરટીઓ સર્કલ પાસે રહેતા મુખ્ય સૂત્રધાર ઘનશ્યામ સોનીએ વડોદરાના પ્રશાંત અને મકરંદને આ ઝેર વેચવા માટે આપ્યું હતું. તેઓ કિંમતી ઝેરના વેચાણ માટે નેટવર્કનો વિસ્તાર કરી રહ્યા હતા. માસ્ટર માઈન્ડ અમદાવાદીઘનશ્યામ સોનીને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા.

સૂત્રોએ જણાવ્યું હતુ કે સુરત એસ.ઓ.જી દ્વારા પકડી પાડવામાં આવેલા ઝેરનું પરિક્ષણ કરવા માટે વન વિભાગ તરફથી હૈદરાબાદ, અથવા પુણે ખાતે આવેલી એડવાન્સ્ડ સ્નેક રિસર્ચ સેન્ટરમાં મોકલવામાં આવશે. જયાં ખરેખર કઈ પ્રજાતિનાં સાપનું ઝેર છે, તેની ગુણવત્તા સહિતની બાબતોનું પરીક્ષણ અને રિપોર્ટ તૈયાર થશે. ત્યારબાદ આરોપીઓ સામે વન વિભાગ તરફથી પણ વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ અંતર્ગત ગુનો નોંધી કાર્યવાહી આગળ વધારવામાં આવશે.

January 20, 2026
image-10.png
1min172

ભારતીય શેરબજાર માટે મંગળવારનો દિવસ અમંગળ સાબિત થયો છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ પોલિસીને કારણે વૈશ્વિક સ્તરે સર્જાયેલા તણાવની સીધી અસર દલાલ સ્ટ્રીટ પર જોવા મળી હતી. આજે કારોબારના અંતે BSE સેન્સેક્સ 1065.71 પોઈન્ટના મોટા ઘટાડા સાથે 82,180.47 ના સ્તરે બંધ રહ્યો હતો. તેવી જ રીતે, નિફ્ટી-50 પણ 353 પોઈન્ટ ગગડીને 25,232.50 ની સપાટીએ આવી ગયો હતો. આજે મંગળવારે રોકાણકારોને 10 લાખ કરોડથી વધુનું નુકસાન થયું છે, જ્યારે છેલ્લા બે દિવસમાં શેર બજાર ગગડતા રોકાણકારોના 12 લાખ કરોડથી વધુ સ્વાહા થયાનું અનુમાન છે.

ચોતરફ વેચવાલી: માત્ર HDFC બેંક જ બચી શકી

આજના કારોબારમાં બજારમાં વેચવાલીનું એટલું પ્રચંડ દબાણ હતું કે સેન્સેક્સના 30 માંથી 29 શેર લાલ નિશાન પર બંધ થયા હતા. બ્લુચિપ ગણાતા શેરો જેવા કે Reliance (RIL), TCS, ITC અને Bajaj Finance માં ભારે ધોવાણ જોવા મળ્યું હતું. માત્ર HDFC બેંક જ એકમાત્ર એવો શેર હતો જે મામૂલી વધારા સાથે ટકી રહેવામાં સફળ રહ્યો હતો. સૌથી વધુ નુકસાન સન ફાર્મા, બજાજ ફિનસર્વ અને ઇન્ટરગ્લોબ એવિએશનના શેરોમાં નોંધાયું હતું.

મોટા શેરોની સાથે મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં પણ રોકાણકારોએ પસ્તાળ પાડી હતી. નિફ્ટી મિડકેપ 100 ઇન્ડેક્સ 2.57% અને નિફ્ટી સ્મોલકેપ 100 ઇન્ડેક્સ 2.75% જેટલા તૂટ્યા હતા. સેક્ટર મુજબ જોઈએ તો રિયલ્ટી ઇન્ડેક્સમાં સૌથી વધુ 5% નો ઘટાડો નોંધાયો હતો, જ્યારે ઓટો, આઈટી અને મેટલ સેક્ટર પણ લોહીલુહાણ થયા હતા.

ટ્રમ્પની ટેરિફ પોલિસી: અમેરિકા અને યુરોપ વચ્ચે વધતા ટ્રેડ વોરના જોખમે રોકાણકારોનો ઉત્સાહ ઠંડો પાડ્યો છે. યુએસ સુપ્રીમ કોર્ટ આ ટેરિફ અંગે શું ચુકાદો આપે છે તેના પર સૌની નજર છે.

FIIs ની સતત વેચવાલી: વિદેશી સંસ્થાકીય રોકાણકારો ભારતીય બજારમાંથી સતત નાણાં ખેંચી રહ્યા છે.
નબળા ત્રિમાસિક પરિણામો: વિપ્રો અને ICICI બેંક જેવી દિગ્ગજ કંપનીઓના પરિણામો અપેક્ષા મુજબ ન રહેતા બજારનું સેન્ટિમેન્ટ બગડ્યું હતું.

નિષ્ણાતોના મતે, જ્યાં સુધી વૈશ્વિક બજારમાં સ્થિરતા નહીં આવે અને અમેરિકાની નીતિઓ સ્પષ્ટ નહીં થાય, ત્યાં સુધી બજારમાં ઉતાર-ચઢાવ ચાલુ રહી શકે છે.

January 20, 2026
weather-forecast.jpg
1min122

ગુજરાતના વાતાવરણમાં ફરી પલટો આવી શકે છે. હાલ રાજ્યમાં બેવડી ઋતુની અસર જોવા મળી રહી છે, વહેલી સવારે ઠંડી અને બપોરના સમયે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં સામાન્ય કમોસમી વરસાદ થવાના સંકેત મળી રહ્યા છે. કારણ કે હવામાન વિભાગની આગાહી મુજબ 20 જાન્યુઆરી પછી ઉત્તર ભારતમાં પશ્ચિમી વિક્ષેપ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ શકે છે જેની અસર ગુજરાતમાં પણ થશે તેવી શક્યતાઓ છે.

આ સાથે ઉત્તર-પશ્ચિમી પવનો ફૂંકાવાનું શરૂ થતા રાજ્યમાં ઠંડીનું જોર પણ વધશે, હવામાન વિભાગે આપેલી જાણકારી અનુસાર આગામી એક અઠવાડિયામાં ત્રણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની ભીતિ છે. જેના લીધે પશ્ચિમી હિમાલય વિસ્તારમાં વરસાદ તેમજ બરફવર્ષા પડી શકે છે. જેની અસર હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીરમાં વધારે થશે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતના વાતાવરણ પર પણ થઈ શકે. જો કે, હવામાન વિભાગ મુજબ હાલમાં ગુજરાત વાતાવરણમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નથી.

આગામી સમયમાં લઘુતમ તાપમાન 14 થી 15 ડિગ્રીની આસપાસ તો મહત્તમ તાપમાન 30 થી 32 ડિગ્રી સુધી પહોંચી શકે તેવું અનુમાન આપવામાં આવ્યું છે. ઠંડી, ગરમી અને વરસાદની વકી વચ્ચે આગામી દિવસોમાં વાયરલ ઇન્ફેક્શનના કેસ પણ સામે આવી શકે છે.

હાલમાં હિમાલય તરફથી આવી રહેલા ઠંડા પવનની અસર ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં જોવા મળી રહી છે. આજે નલિયા 10.8 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર શહેર હતું. તે ઉપરાંત, પોરબંદ 11 ડિગ્રી, અમરેલી 11.6 ડિગ્રી, તો ડીસા 11.9 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી.

January 18, 2026
Cia_business_news-1280x936.jpg
1min411

ગુજરાતના વિવિધ અખબારો, ટીવી મિડીયાના 13 પત્રકારોની ટીમ આજે નાગાલેન્ડના 5 દિવસના સત્તાવાર પ્રવાસે દીમાપૂર એરપોર્ટ પર પહોંચી હતી. જ્યાં નાગાલેન્ડ પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો (પીઆઇબી) કોહીમાના આસિસ્ટન્ટ ડાયરેક્ટર કે.સોનીકુમાર સિંઘ અને તેમની ટીમના સભ્યોએ ગુજરાતથી દીમાપૂર પહોંચેલા પત્રકારોનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.

ગુજરાતના પત્રકારો આગામી પાંચ દિવસ દરમિયાન નાગાલેન્ડમાં થઇ રહેલા વિકાસકામો તથા તેમની પ્રોજેક્ટ સાઇટની મુલાકાત લેશે. નાગાલેન્ડની ભાતીગળ સંસ્કૃતિ, ભારતના સૌથી પહેલા ગ્રીન વીલેજ સહિતના પ્રોજેક્ટની મુલાકાત લેશે. પ્રવાસનું આયોજન પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો ગુજરાત તેમજ પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો નાગાલેન્ડના સંયુક્ત પ્રયાસોથી હાથ ધરવામાં આવ્યો છે.

January 18, 2026
chardham.jpg
1min330

ઉત્તરાખંડની પવિત્ર ચારધામ યાત્રા પર જનારા શ્રદ્ધાળુ માટે આ વર્ષે મોટા સમાચાર સામે આવ્યા છે. બદ્રીનાથ, કેદારીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામની પવિત્રતા અને મર્યાદા જાળવી રાખવા માટે ઉત્તરાખંડ સરકાર અને વહીવટી તંત્રએ એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. હવેથી મંદિર પરિસરમાં મોબાઈલ ફોન અને કેમેરા લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો છે. આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ મંદિરોમાં વધતા જતા ‘રીલ’ કલ્ચર અને સોશિયલ મીડિયા બ્લોગિંગ પર લગામ કસવાનો છે.

આ અંગે ગઢવાલ કમિશનર વિનય શંકર પાંડેની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં નિર્ણય લેવાયો હતો. વહીવટીતંત્રના જણાવ્યાનુસાર, છેલ્લા કેટલાક વર્ષોમાં જોવા મળ્યું છે કે શ્રદ્ધાળુઓ દર્શન કરવાને બદલે મંદિરની અંદર ફોટા પાડવામાં અને વીડિયો કે રીલ બનાવવામાં વધુ સમય વિતાવે છે. આ કારણસર માત્ર મંદિરની ગરિમા તો જોખમાય જ છે, પરંતુ ત્યાં દર્શન માટે ઉભેલા અન્ય શ્રદ્ધાળુઓને પણ મુશ્કેલી પડે છે. ભીડનું વ્યવસ્થાપન કરવું પણ કઠિન બને છે. વળી, આ મુદ્દે અન્ય લોકો પણ વારંવાર ફરિયાદ કરે છે, જેથી પવિત્ર ધામોમાં કોઈ પણ વિવાદોને રોકવા માટે આ પગલું લેવાયું છે.

નવા નિયમ મુજબ, બદ્રીનાથમાં સિંહદ્વારથી આગળ અને કેદારીનાથ, ગંગોત્રી તેમજ યમુનોત્રીના મંદિર પરિસરમાં મોબાઈલ લઈ જવાની મનાઈ રહેશે. શ્રદ્ધાળુઓએ દર્શન કરતા પહેલા જ પોતાના મોબાઈલ ફોન અને કેમેરા નક્કી કરેલા કાઉન્ટર પર જમા કરાવવાના રહેશે. બદ્રીનાથ-કેદારીનાથ મંદિર સમિતિ (BKTC) દ્વારા ફોન સુરક્ષિત રાખવા માટે અલગ વ્યવસ્થા કરાશે. જો કે, મંદિરની બહારથી બેકગ્રાઉન્ડમાં જવાબદારીપૂર્વક અને કોઈને ખલેલ ના પહોંચે તે રીતે ફોટો અને વીડિયોગ્રાફી કરવાની છૂટ રહેશે.

આ વર્ષે પણ યાત્રા માટે રજિસ્ટ્રેશન ફરજિયાત રહેશે, જેમાં 60% ઓનલાઇન અને 40% ઓફલાઇન પદ્ધતિ રખાઈ છે. ગત વર્ષે 50 લાખથી વધુ પ્રવાસીએ ચારધામના દર્શન કર્યા હતા, જેને ધ્યાનમાં રાખીને આ વર્ષે રસ્તા, આરોગ્ય અને સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવાઈ રહી છે. શ્રદ્ધાળુઓ શાંતિપૂર્ણ અને ભક્તિમય વાતાવરણમાં દર્શન કરી શકે તે તંત્રની પ્રાથમિકતા છે.

January 18, 2026
image-8.png
1min123

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં રાજ્ય સરકારનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સ્વિત્ઝર્લેન્ડના દાવોસ ખાતે યોજાઈ રહેલી વર્લ્ડ ઈકોનોમિક ફોરમ 2026 (WEF)માં ભાગ લેવા જશે. ગુજરાતને વૈશ્વિક વિકાસના નકશા પર અગ્રેસર રાખવા અને ” વિકસિત ગુજરાત @2047″ ના સંકલ્પને વૈશ્વિક મંચ પર લઈ જવા માટે આ ફોરમમાં રાજ્ય સરકારનું પ્રતિનિધિમંડળ ભાગ લેશે.

સ્વિત્ઝર્લેન્ડના દાવોસમાં 19 થી 23 જાન્યુઆરી દરમિયાન યોજાનારી આ મહત્વપૂર્ણ વાર્ષિક બેઠકમાં ગુજરાતની સહભાગીતા, આંતરરાષ્ટ્રીય સહયોગ અને ઝડપી આર્થિક વિકાસ પ્રત્યે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.આ પ્રવાસ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિવિધ બેઠકોમાં ભાગ લેશે. ગુજરાતમાં રોજગારી અને ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે તેઓ એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ, ટેક્સટાઈલ, સેમિકન્ડક્ટર, ફાર્માસ્યુટિકલ્સ, રિન્યુએબલ એનર્જી, ફૂડ પ્રોસેસિંગ, કેમિકલ્સ, શિપિંગ-લોજિસ્ટિક્સ અને એરોસ્પેસ જેવા મહત્વના ક્ષેત્રોમાં રોકાણ આકર્ષવા માટે વિશ્વના ટોચના ઉદ્યોગપતિઓ અને નેતાઓ સાથે 58 જેટલી હાઈ-લેવલ “વન-ટુ-વન” બેઠકો યોજશે.

રાજ્યના ઉદ્યોગમંત્રી હર્ષ સંઘવીનો મુખ્ય હેતુ ગુજરાતની ઔદ્યોગિક ઇકોસિસ્ટમને મજબૂત કરવાનો અને રાજ્યના યુવાનો માટે મોટા પાયે નવી રોજગારીની તકો ઉભી કરવાનો છે. રાજ્ય સરકારનું પ્રતિનિધિમંડળ આ મુલાકાત દરમિયાન વિશ્વની નામાંકિત કંપનીઓ જેવી કે AP Moller Maersk, Engie, EDF,Johnson Controls,Sumitomo Group,Linde,SEALSQ અને Tillman Global ના વડાઓ સાથે રૂબરૂ ચર્ચા કરશે. આ બેઠકો દ્વારા ગુજરાતમાં નવી ટેકનોલોજી લાવવા, ઇનોવેશનને પ્રોત્સાહન આપવા અને લાંબા ગાળાના આંતરરાષ્ટ્રીય સંબંધો વિકસાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવશે. ગુજરાત સરકારનો પ્રયાસ છે કે ગ્લોબલ વેલ્યુ ચેઈનમાં ગુજરાત એક મહત્વના ભાગીદાર તરીકે ઉભરી આવે.

આ ફોરમમાં રોકાણ આકર્ષવા ઉપરાંત, વૈશ્વિક નીતિવિષયક ચર્ચાઓમાં પણ ગુજરાતનો અવાજ બુલંદ રહેશે. હર્ષ સંઘવી વિવિધ પ્રતિષ્ઠિત સત્રોમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહીને ગુજરાતનું વિઝન રજૂ કરશે. તેઓ “નવી ભૌગોલિક-આર્થિક વ્યવસ્થામાં ભારત” ,સ્પોર્ટ્સની શક્તિ: ભવ્યતાથી વારસા તરફ, “કોલ ટુ ક્લીન ઇનિશિયેટિવ” અંતર્ગત એનર્જી ટ્રાન્ઝિશન, “મિશન વોટર” દ્વારા જળ સુરક્ષા અને “સસ્ટેનેબિલિટી” જેવા વિષયો પર ગુજરાતના સફળ વિકાસ મોડલની વાત દુનિયા સમક્ષ મૂકશે. આ સત્રો દ્વારા ગુજરાત પોતાની વિકાસગાથાને વૈશ્વિક ફલક પર ઉજાગર કરશે.

વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF)એ વૈશ્વિક અર્થવ્યવસ્થાની દિશા નક્કી કરતો એક મહત્વપૂર્ણ મંચ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મંચના માધ્યમથી પણ ભારતને એક સશક્ત વૈશ્વિક શક્તિ તરીકે પ્રસ્થાપિત કર્યું છે.

January 18, 2026
image-7.png
1min172

સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં છેલ્લા બે દિવસથી પલટો આવ્યો છે અને આજે રવિવારે 18/01/26 સવારથી વાતાવરણમાં ગાઢ ધુમ્મસ છવાતા સુરત એરપોર્ટ પર ફ્લાઇટના આવાગમનને ઘેરી અસર થઈ હતી.

મળતી માહિતી મુજબ આજે 18/01/26 સવારે એક વાગ્યા સુધીની કમ સે કમ 6 ફલાઈટ અને પરત ફરનારી 6 મળીને 12 ફ્લાઈટોના એરાઇવલ તથા ડિપાર્ચરમાં ભારે વિલંબ થયો હતો. એર ઇન્ડિયા એક્સપ્રેસની સવારે 8:25 કલાકે સુરત આવનારી ફ્લાઇટને અમદાવાદ ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી.

આજે 18/1/26 લેટ થયેલી ફ્લાઈટની વાત કરીએ તો એર ઇન્ડિયા એક્સપ્રેસની દિલ્હીથી સુરત આવનારી ફ્લાઈટનો નિર્ધારિત સમય 7:30 કલાકનો હતો તેને બદલે એ ફ્લાઈટ 10.17 સુરત એરપોર્ટ પર લેન્ડ થઇ હતી. એવી જ રીતે હૈદરાબાદથી સુરત આવનારી ફ્લાઈટનો નિર્ધારિત એરાઇવલ ટાઈમ સવારે 7.50 કલાકનો છે, તેની જગ્યાએ એ ફ્લાઈટ આજે રવિવારે બપોરે 12.09 કલાકે સુરત એરપોર્ટ પર પહોંચી હતી.

ઈન્ડિગો એરલાઇન્સની દિલ્હીથી સુરત આવતી સવારે 8:00 કલાકની ફ્લાઈટ બપોરે 12:30 કલાકે સુરત એરપોર્ટ પર પહોંચી હતી.

ચેન્નાઈ થી સવારે 11:25 કલાકે સુરત આવતી ઈન્ડિગો એરલાઇન્સની ફ્લાઈટ એક કલાક મોડી પહોંચી હતી.
એરાઇવલ ફ્લાઈટોમાં જે રીતે વિલંબ થયો હતો તેવો જ વિલંબ ડિપાર્ચરમાં પણ થયો હતો. સુરતથી બેંગ્લોર, દિલ્હી, બેંગકોક, દુબઈ અને પુને જનારી લાઇટોમાં એકથી ત્રણ કલાક જેવો વિલંબ થયો હતો.

આજે સુરત એરપોર્ટ પર ફ્લાઇટોનું સમયપત્રક વાતાવરણ તેમજ કેટલાક ટેકનિકલ ઇશ્યુને કારણે ખોરવાયું હતું જેને કારણે સુરત એરપોર્ટ પરથી આવાગમન કરનારા સેંકડો મુસાફરોને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.

January 16, 2026
image-6.png
3min163

મહારાષ્ટ્રમાં ચાર વર્ષના લાંબા વિલંબ બાદ યોજાયેલી 29 નગર નિગમોની ચૂંટણીના પરિણામો આજે (શુક્રવાર) જાહેર થઈ રહ્યા છે. રાજ્યભરના 893 વોર્ડમાં કુલ 15,931 ઉમેદવારોના ભાવિનો ફેંસલો આજે થશે. મતોની ગણતરી સવારે 10 વાગ્યે શરૂ થઈ ગઈ છે અને બપોર પછી મુખ્ય પરિણામો આવવાની ધારણા છે.

BMC ચૂંટણીમાં શું છે સ્થિતિ?

કુલ બેઠક 227
પાર્ટી વલણો
ભાજપ+ 69
કોંગ્રેસ+ 04
UBT+ 27
NCP 0

નાગપુરના વલણોમાં ભાજપને બહુમતી

નાગપુરની 151 બેઠકમાંથી ભાજપ 98 બેઠક પર લીડ મેળવી ચૂક્યો છે. આ સાથે વલણોમાં ભાજપ બહુમતીમાં આવી ગયો છે.

બીએમસી ચૂંટણીથી એક મોટા સમાચાર એ આવ્યા છે કે પહેલી બેઠક કોંગ્રેસના ઉમેદવારે જીતી લીધી છે. વોર્ડ નંબર 183માં કોંગ્રેસના ઉમેદવારે જીત નોંધાવી છે. જ્યારે વોર્ડ નંબર 214 પ્ર ભાજપના ઉમેદવાર જીત્યા છે.

આ સાથે ચૂંટણી પંચે મતદાન વખતે માર્કર પેનના ઉપયોગ પર વિવાદ થતાં મોટો નિર્ણય કર્યો છે અને માર્કર પેનના ઉપયોગ પર બેન મૂકી દીધો છે.

નાગપુરમાં 151માંથી 73 બેઠકો વલણમાં ભાજપે 57 બેઠકો પર લીડ મેળવી લીધી છે. જ્યરે કોંગ્રેસ 16 જ બેઠક પર આગળ છે.

પૂણેમાં 165 બેઠકોમંથી 75 બેઠકના વલણો જાહેર થઇ ગયા છે. જેમાંથી 52 બેઠકો પર ભાજપના ગઠબંધને લીડ મેળવી લીધી છે. જ્યારે એનસીપી ગઠબંધન માત્ર 18 જ બેઠક પર લીડમાં જણાય છે. જ્યારે કોંગ્રેસ અને યુબીટીના ગઠબંધનમાં 1 જ બેઠક આવી છે.

રાહુલ ગાંધીએ શાહી વિવાદ અંગે ટિપ્પણી કરતાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી હતી જેમાં ચૂંટણી પંચ સામે નિશાન તાક્યું હતું. તેમણે કહ્યું કે ચૂંટણી પંચ દ્વારા ગેરમાર્ગે દોરવા એ લોકતંત્ર પર મોટા પ્રહાર સમાન છે.

સંજય રાઉતે ભજપ સામે ગંભીર આરોપ મૂકતાં કહ્યું હતું કે ચૂંટણી માટે મતદાન પૂરું થતાં જ બીએમસીના કમિશનરે ભાજપના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. આચારસંહિતા લાગુ હોવા છતાં તેઓ આવું કેવી રીતે કરી શકે?

બીએમસી સહિત મહારાષ્ટ્રની 29 મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે મતગણતરીની શરૂઆત થઇ ચૂકી છે. મોટાભાગે ભાજપનો દરેક જગ્યાએ દબદબો જોવા મળી રહ્યો છે. હાલમાં વલણો જાહેર થઇ રહ્યા છે. જેના આધારે પૂણેમાં ભાજપ 32 તો એનસીપી 14 બેઠક પર આગળ છે. જ્યારે બીએમસીની ચૂંટણીની વાત કરીએ તો 46 બેઠકના વલણો સામે આવ્યા છે. જેમાં ભાજપ ગઠબંધન 25, ઉદ્ધવ જૂથ 19, કોંગ્રેસ 2 બેઠક પર આગળ દેખાય છે.

ઉલ્લેખનીય છે કે એનડીએ ગઠબંધન એટલે કે મહાયુતિ મહારાષ્ટ્રની સ્થાનિક એકમની ચૂંટણીમાં 60થી વધુ બેઠકો પહેલાથી જ બિનહરિફ જીતી ચૂક્યું છે. તેમાં સૌથી વધુ બેઠક 43 ભાજપ જીત્યો હતો. જ્યારે એકનાથ શિંદેની શિવસેનાએ 19 અને એનસીપીએ 2 બેઠક જીતી હતી. જેને લઈને વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો. ચૂંટણી પંચે પણ આ મામલે તપાસના આદેશ કર્યા હતા.

આ તમામ ચૂંટણીઓમાં સૌથી વધુ ચર્ચા બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC)ની છે, જે દેશની સૌથી ધનિક નગર નિગમ છે અને તેનું બજેટ 74,400 કરોડ રૂપિયાથી વધુ છે. BMCમાં કુલ 227 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી, જ્યાં બહુમતી માટે 114 બેઠકોની જરૂર છે. ગુરુવારે આવેલા એક્ઝિટ પોલ્સમાં મહાયુતિ (ભાજપ + એકનાથ શિંદેની શિવસેના) ગઠબંધનને સ્પષ્ટ બહુમતી મળવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.

વિવિધ એક્ઝિટ પોલ્સ અનુસાર:

  • ભાજપ-શિંદે ગઠબંધન (મહાયુતિ): 130 થી 150 બેઠકો.
  • ઉદ્ધવ ઠાકરે (UBT) + રાજ ઠાકરે (MNS) ગઠબંધન: 58-68 બેઠકો.
  • કોંગ્રેસ + VBA ગઠબંધન: 12-16 બેઠકો.
  • અન્ય અને અપક્ષ: 6-12 બેઠકો.

આ હતા મુખ્ય રાજકીય ગઠબંધન

આ ચૂંટણીમાં મુખ્યત્વે ત્રણ મોટા ગઠબંધન વચ્ચે મુકાબલો જોવા મળ્યો હતો. શિવસેનાના વિભાજન બાદ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે પ્રથમવાર સાથે મળીને ચૂંટણી લડ્યા હતા.

  • મહાયુતિ: ભાજપે 137 અને શિંદે જૂથની શિવસેનાએ 90 બેઠકો પર ઉમેદવાર ઉતાર્યા હતા.
  • ઠાકરે ગઠબંધન: શિવસેના (UBT) 163 બેઠકો પર અને મનસે (MNS) 52 બેઠકો પર લડી હતી.
  • કોંગ્રેસ ગઠબંધન: કોંગ્રેસે 143 અને વંચિત બહુજન આઘાડી (VBA) એ 46 બેઠકો પર ઉમેદવાર ઉભા રાખ્યા હતા.
  • અજિત પવાર NCP: એકલા હાથે 94 બેઠકો પર ચૂંટણી લડી હતી.

મુંબઈમાં 41-50% મતદાન

15 જાન્યુઆરીએ યોજાયેલા મતદાનમાં મુંબઈમાં સરેરાશ 41-50% મતદાન નોંધાયું હતું. આ ચૂંટણી 2017 પછી પ્રથમ વખત યોજાઈ રહી છે, કારણ કે 2022માં યોજાનારી ચૂંટણી વોર્ડ સીમાંકન અને અન્ય કારણોસર મુલતવી રાખવામાં આવી હતી. મુંબઈ ઉપરાંત પુણે, નાગપુર, નાસિક, થાણે, નવી મુંબઈ, પિંપરી-ચિંચવડ અને કલ્યાણ-ડોમ્બિવલી જેવા મોટા શહેરોના પરિણામો પર પણ સૌની નજર રહેશે.

January 16, 2026
image-5.png
1min123

ગુજરાતમાં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણનો તહેવાર અનેક પરિવારો માટે માતમ લઈને આવ્યો છે. ચાઈનીઝ દોરી અને પતંગના કારણે સર્જાયેલી વિવિધ દુર્ઘટનાઓમાં રાજ્યભરમાં કુલ 11 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ દુર્ઘટનાઓમાં સૌથી વધુ 7 મોત સુરતમાં નોંધાયા છે, જ્યારે અમદાવાદ, જંબુસર, અરવલ્લી અને ખંભાતમાં 1-1 વ્યક્તિનું મોત નીપજ્યું હતું.

ફ્લાયઓવર પરથી દંપતી અને પુત્રી બ્રિજ પરથી નીચે ખાબક્યા

સુરતના અડાજણ પાટીયા નજીક આવેલા ચંદ્રશેખર આઝાદ બ્રિજ પર હૃદયદ્રાવક ઘટના બની હતી. જ્યાં 34 વર્ષીય રેહાન રહીમ શેખ, 30 વર્ષીય પત્ની રેહાના અને 10 વર્ષની પુત્રી આલિશા સાથે બાઈક પર ગાર્ડનમાં ફરવા નીકળ્યા હતા. બ્રિજના વળાંક પર અચાનક પતંગની દોરી આડી આવતા રેહાને બાઈક પરથી સંતુલન ગુમાવ્યું હતું. આ પરિવાર અંદાજે 70 ફૂટની ઊંચાઈએથી બ્રિજ નીચે પટકાયો હતો. આ અકસ્માતમાં ત્રણેયના કરુણ મોત નીપજ્યા હતા.

સરકાર અને પોલીસ દ્વારા વારંવાર પ્રતિબંધ અને સૂચનાઓ આપવા છતાં ચાઈનીઝ દોરી અને કાચ પાાયેલી ઘાતક દોરીનો ઉપયોગ ચાલુ રહેતા નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. અન્યાની પતંગ કાપવાની મજા અનેક પરિવારો માટે કાયમી સજા સમાન સાબિત થઈ છે.

January 13, 2026
makarsankranti.jpg
2min254

મકરસંક્રાંતિ 2026: સૂર્યનું મકર રાશિમાં પરિવર્તન, જાણો પુણ્યકાળનું વર્ષ 2026ની શરૂઆતમાં જ આવતા પર્વ મકરસંક્રાંતિને લઈને લોકોમાં ભારે ઉત્સાહ છે. જ્યોતિષશાસ્ત્ર અને ખગોળશાસ્ત્રની દ્રષ્ટિએ આ દિવસનું વિશેષ મહત્વ છે. જ્યોતિષાચાર્ય ડો. હેમીલ પી. લાઠીયાના જણાવ્યા અનુસાર, વર્ષ 2026માં સૂર્ય દેવ મકર રાશિમાં ક્યારે પ્રવેશ કરશે અને દાન-પુણ્યનું શું મહત્વ રહેશે તે અંગેની ખાસ વિગતો પર નજર કરીએ.

સંક્રાંતિનો સમય અને પંચાંગ

આ વર્ષે મકરસંક્રાંતિ એટલે કે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ 14 જાન્યુઆરી, 2026 ને બુધવારના રોજ થશે.

  • સમય: બપોરે 03:08 મિનિટે (IST)
  • તિથિ: પોષ વદ 11
  • નક્ષત્ર: અનુરાધા
  • ચંદ્ર રાશિ: વૃશ્ચિક
  • લગ્ન: વૃષભ

રાશિ મુજબ દાન: જાણો તમારે શું દાન કરવું જોઈએ?

મકરસંક્રાંતિના પવિત્ર દિવસે યથાશક્તિ દાન કરવાથી વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે. રાશિ મુજબ નીચે મુજબની વસ્તુઓના દાનનું સૂચન કરવામાં આવ્યું છે.

શાસ્ત્રોક્ત દાન ઉપરાંત પશુ-પંખીઓને ચણ નાખવું અને ગાયોને ઘાસચારો ખવડાવવો એ પણ આજના દિવસે અત્યંત ફળદાયી માનવામાં આવે છે. સૂર્ય ભગવાન જ્યારે ઉત્તર તરફ પ્રયાણ કરે છે ત્યારે તેમની તેજસ્વિતા વધે છે, જે માનવ જીવન અને ખેતી-વેપાર પર પણ સકારાત્મક અસર કરે છે.

જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યનું રાશિ પરિવર્તન ‘સંક્રાંતિ’ તરીકે ઓળખાય છે. સૂર્ય જ્યારે મકર રાશિમાં પ્રવેશે છે ત્યારે તે ઉત્તર તરફ પ્રયાણ કરે છે, જેને આપણે ‘ઉત્તરાયણ’ કહીએ છીએ. સાયન પદ્ધતિ મુજબ સૂર્ય 22 ડિસેમ્બરની આસપાસ રાશિ પ્રવેશ કરે છે, જે ઋતુ ફેરફાર માટે મહત્વનો છે, જ્યારે નિરયન પદ્ધતિ મુજબ 14 જાન્યુઆરીના રોજ મકર સંક્રાંતિ ઉજવાય છે. આ દિવસે કરવામાં આવતી સૂર્ય પૂજા અને દાનનું અનેરું ફળ મળે છે.