CIA ALERT

Blog - Page 301 of 708 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
October 9, 2020
surat_loksabha.png
1min5570

સુરત શહેરના વિકાસ નકશા-ડેવલપમેન્ટ પ્લાન ૨૦૩૫ ને મુખ્ય પ્રધાન વિજય રૂપાણી દ્વારા મંજૂર કરાયો છે. સુરત મહાનગરપાલિકા અને સુડાની કુલ ૧૦૮૫ ચોરસ કિ.મી વિસ્તારના ફાઈનલ ડેવલપમેન્ટ પ્લાનને મંજૂરી આપવામાં આવી છે. ૩૦ વર્ષથી રિઝર્વેશનમાં રખાયેલી જમીનો મુક્ત થશે. તેમજ આશરે ૮પ૦ હેકટર્સ જમીન બાંધકામ અને વિકાસ માટે ઉપલબ્ધ થશે.

30 વર્ષથી રિઝર્વેશનમાં રખાયેલી જમીનો મુક્ત થતાં ખેડૂતો-જમીન માલિકોને વિકાસના સપના સાકાર કરવાની નવી દિશા ખોલી આપી છે. CM રૂપાણીના મોટા નિર્ણયથી આશરે 850 હેકટર્સ જમીન બાંધકામ અને વિકાસ માટે ઉપલબ્ધ થશે.

આ પ્લાનને મંજૂરીથી અમદાવાદ-મુંબઇ નેશનલ હાઇવેની બંને બાજુ એક કિ.મી.ના કામરેજથી પલસાણા સુધીના ૫૦ ચો. કિ.મી. વિસ્તારમાં હાઇડેન્સીટી રેસીડેન્શીયલ અને કમર્શિયલ ડેવલપમેન્ટ હવે થઇ શકશે તેમજ અમદાવાદ-મુંબઇ બૂલેટ ટ્રેનના સુરત નજીકના સૂચિત ભવ્ય સ્ટેશન અંતરોલી અને તેની આસપાસના વિસ્તારમાં હાઇડેન્સિટી રેસિડેન્શિયલ-કોમર્શિયલ ડેવલપમેન્ટ માટે નવી દિશા હવે ખૂલી શકશે. કામરેજ-પલસાણા કોરીડોર અંતરોલી હાઇસ્પીડ કોરીડોર જેવી અતિ મહત્વપૂર્ણ દરખાસ્તોને અંતિમ મંજૂરી મળવાથી બૂલેટ ટ્રેન, મેટ્રો રેલવે અને ટ્રાન્સપોર્ટ ફેસેલિટીઝ માટે નવી ક્ષિતિજોનો પ્રારંભ થશે. આ સાથે જ સુરત મહાનગરમાં વધુ સુવિધાસભર આંતરમાળખાકીય સવલતો સાથે સ્માર્ટ સિટીના નિર્માણમાં વેગ લાવવામાં આવશે.

  • આશરે ૮પ૦ હેકટર્સ જમીન બાંધકામ અને વિકાસ માટે ઉપલબ્ધ થશે.
  • – DP મંજૂર થતાં સુરત મહાનગર માટે વિકાસની અઢળક તકો ખૂલશે
  • અમદાવાદ-મુંબઇ નેશનલ હાઇવેની બંને બાજુ 1 કિ.મી.ના કામરેજથી પલસાણા સુધીના 50 ચો. કિ.મી. વિસ્તારમાં હાઇડેન્સીટી રેસીડેન્શીયલ અને કમર્શિયલ ડેવલપમેન્ટ હવે થઇ શકશે
  • પ્રધાનમંત્રીના ડ્રીમ પ્રોજેકટ અમદાવાદ-મુંબઇ બૂલેટ ટ્રેનના સુરત નજીકના સૂચિત ભવ્ય સ્ટેશન અંતરોલી અને તેની આસપાસના વિસ્તારમાં હાઇડેન્સિટી રેસિડેન્શિયલ-કોમર્શિયલ ડેવલપમેન્ટ માટે ખૂલશે નવી દિશા હવે ખૂલી શકશે.
  • કામરેજ-પલસાણા કોરીડોર અંતરોલી હાઇસ્પીડ કોરીડોર જેવી અતિ મહત્વપૂર્ણ દરખાસ્તોને અંતિમ મંજૂરી મળવાથી બૂલેટ ટ્રેન, મેટ્રો રેલ્વે અને ટ્રાન્સપોર્ટ ફેસેલિટીઝ માટે નવી ક્ષિતીજોનો પ્રારંભ થશે.
  • સુરત મહાનગરમાં વધુ સુવિધાસભર આંતરમાળખાકીય સવલતો સાથે સ્માર્ટ સિટીના નિર્માણમાં વેગ લાવવામાં મુખ્યમંત્રીનો આ નિર્ણય અત્યંત ઉપકારક નીવડશે.

October 9, 2020
jalarambapa.jpg
1min5350

રાજકોટ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતા વીરપુરનું જલારામ મંદિર આઠ દિવસ માટે બંધ કરવામાં આવ્યું હતું. જે બાદ ગુરૂવારથી ભાવિકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે.

સરકારી ગાઈડલાઈનનું ચૂસ્તપણે પાલન સાથે ભાવિકોના જલારામ બાપાનાં દર્શન શરૂ થયાં હતાં. ભાવિકોએ જલારામ બાપાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું ચૂસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે.

દર્શનાર્થીઓને સૌ પ્રથમ વીરપુરમાં આવેલા માનકેશ્ર્વર મંદિરની બાજુમાં રજિસ્ટ્રેશન કાર્યાલય પર પોતાનું રજિસ્ટ્રેશન કરાવી ટોકન મેળવવાનું રહે છે. જે બાદ સેનિટાઈઝ ચેમ્બરમાં સેનિટાઇઝ થયા બાદ જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આ સાથે મંદિરમાં માસ્ક બાંધવું ફરજિયાત કરવામાં આવ્યું છે. પૂજ્ય બાપાના દર્શન સવારે ૭થી બપોરના ૧ વાગ્યા સુધી અને બપોરે ૩ વાગ્યાથી સાંજના ૭ વાગ્યા સુધી થઈ શકશે.

કોરોના સંક્રમણને કારણે મોટી સંખ્યામાં ભાવિકો એકત્ર થાય નહીં તે માટે મંદિર દ્વારા અગાઉ પણ ૩૦ ઓગસ્ટથી ૧ સપ્ટેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ હાલ કોરોનાની પરિસ્થિતિ વધુ વણસી હોવાથી ફરી આઠ દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

October 9, 2020
corona_testing1.jpg
1min5400

રાજ્યમાં યોગ્યતા ધરાવતી લેબોરેટરીઓને કોવિડ-૧૯ માટેનો રેપિડ એન્ટિબોડી ટેસ્ટ કરવા માટે મંજૂરી આપવાનો રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. આ માટે જે-તે જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને કોર્પોરેશનના આરોગ્ય અધિકારીને મંજૂરી આપવા માટે અધિકૃત કરાયા છે, એન્ટિબોડી ટેસ્ટ દર્દી લેબોરેટરીમાં જઈને ટેસ્ટ કરાવે તો રૂપિયા ૪૫૦ અને દર્દીના ઘરે કે હોસ્પિટલમા જઈ સેમ્પલ કલેકટ કરે તો રૂપિયા ૫૫૦નો ખર્ચ થશે.

રાજ્યના આરોગ્ય વિભાગની યાદીમાં જણાવાયા મુજબ, રાજ્યમાં હાલના તબક્કે વિવિધ લેબોરેટરીઓને આરટી-પીસીઆર ટેસ્ટ માટે રાજ્યકક્ષાએથી માન્યતા આપવામાં આવેલી છે. વિવિધ ખાનગી લેબોરેટરીઓ તરફથી રેપિડ એન્ટિબોડી ટેસ્ટ કરવા માટે રાજ્ય સરકાર પાસે મંજૂરી માગવામાં આવી હતી, જે અન્વયે રાજ્યમાં વિવિધ શરતોને આધીન યોગ્યતા ધરાવતી લેબોરેટરીઓને કોવિડ-૧૯ માટેનો રેપિડ એન્ટિબોડી ટેસ્ટ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. આમાં જે-તે લેબોરેટરીમાં એમ.ડી. પેથોલોજિસ્ટ કે એમ. ડી. માઈક્રોબાયોલોજિસ્ટ ફરજિયાત ઉપલબ્ધ હોવા જોઈએ, જે-તે લેબોરેટરી પાસે જરૂરી માનવસંસાધન તેમજ સાધનો પણ પૂરતાં પ્રમાણમાં ઉપલબ્ધ હોવાં જોઈએ, લેબોરેટરીએ રેપિડ એન્ટિબોડી ટેસ્ટ કરવા માટે જે-તે જિલ્લા/કોર્પોરેશનના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી કે આરોગ્ય અધિકારી, મહાનગરપાલિકા પાસે મંજૂરી મેળવવાની રહેશે. મંજૂરી મેળવ્યા બાદ જ જે-તે લેબોરેટરી રેપિડ એન્ટિબોડી ટેસ્ટ કરી શકશે.

October 9, 2020
indian_politics.jpg
1min7340

લોકો તહેવારો ઉજવવાનું સ્વયંભૂ ટાળી રહ્યા છે પણ નેતાઓ રાજકીય ઉત્સવ બંધ નહીં રાખે: તાત્કાલિક અસરથી સભાઓને મંજૂરી આપતી માર્ગદર્શિકા

કોરોના મહામારીના કાળમાં સ્વસ્થ રહેવા માટે શારીરિક દૂરીથી લઈને સેનેટાઇઝેશનની કાળજી અનિવાર્ય બની છે અને સામાન્ય જનતા પણ કોઈપણ તહેવાર ઉજવવાનું ટાળી રહી છે તેવા સમયે રાજકીય તહેવાર સમાન ચૂંટણી માટે કોરોનાની માર્ગદર્શિકામાં જબરો સુધારો કરી નાખવામાં આવ્યો છે.

સરકારે 12 રાજ્યમાં ચૂંટણી માટે રેલી, સભાઓને તાત્કાલિક અસરથી અનુમતિ આપી દીધી છે. આ પહેલા ગૃહ મંત્રાલય 1પ ઓક્ટોબર પછી જ ચૂંટણી સભાઓને પરવાનગી આપેલી હતી પણ હવે તેને તાત્કાલિક અસરથી છૂટ આપી દેવામાં આવી છે.

સરકારના આ એલાનથી બિહાર વિધાનસભાની આગામી ચૂંટણીની તૈયારીઓમાં મોટી અસર થવાની છે, કારણ કે અત્યાર સુધી કોરોના દિશાનિર્દેશ અનુસાર મોટી જાહેરસભાઓને પરવાનગી નહોતી. જેનાં કારણે રાજકીય દળો ચૂંટણી સભાઓ યોજી શકે તેમ નહોતા પણ હવે છૂટ મળી જતાં નેતાઓ હવે જ્યાં ચૂંટણી યોજાવાની છે તે પ્રદેશોને ધમરોળશે. ચૂંટણી પંચ દ્વારા હાલમાં જ અનેક રાજ્યોમાં પેટાચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી છે. આમાં વિધાનસભા ચૂંટણી, વિધાનસભા અને એક લોકસભા બેઠકની પેટાચૂંટણીનો સમાવેશ થાય છે.

બિહારમાં 28મી ઓક્ટોબરથી ત્રણ તબક્કામાં મતદાન થવાનું છે. આ ઉપરાંત તેલંગણ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, હરિયાણા, ઝારખંડ, છત્તીસગઢ, મણિપુર, નાગાલેન્ડ અને ઓરિસ્સા વિધાનસભાની પેટાચૂંટણીઓનો સમાવેશ થાય છે. આ ચૂંટણીનાં પરિણામોની જાહેરાત 10મી નવેમ્બરે આવવાનાં છે. ગૃહ મંત્રાલયે તમામ રાજકીય દળોને એ સુનિશ્ચિત કરવાં કહ્યું છે કે, તે કોરોના ઉપર અંકુશ લગાવવા માટેના તમામ ઉપાયોનું પાલન કરે. આ ઉપરાંત 30 સપ્ટેમ્બરના રોજ જારી કરવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન પણ તેમણે કરવાનું રહેશે.

October 8, 2020
riya-chakravarthi.jpg
1min5500

અભિનેતા સુુશાંતસિંહ રાજપૂતના મૃત્યુના કેસની તપાસમાં ડ્રગ્સનો એન્ગલ સામે આવ્યા બાદ ડ્રગ્સ સંબંધી આરોપ હેઠળ ધરપકડ કરાયેલી અભિનેત્રી રિયા ચક્રવર્તીના જામીન મુંબઈ હાઇ કોર્ટે મંજૂર કર્યા હતા. તમામ પ્રક્રિયા પૂરી કર્યા બાદ ભારે બંદોબસ્ત વચ્ચે રિયાને સાંજે સાડાપાંચ વાગ્યે ભાયખલા જેલમાંથી છોડવામાં આવી હતી.

જસ્ટિસ સારંગ કોટવાલની બેન્ચે સુશાંતસિંહના રસોઇયા દીપેશ સાવંત અને મેનેજર સેમ્યુઅલ મિરાન્ડાના જામીન પણ મંજૂર કર્યા હતા. જોકે રિયા ચક્રવર્તીના ભાઇ શોવિકની જામીન અરજી ફગાવી દીધી હતી. એ જ પ્રમાણે કોર્ટે ડ્રગ પેડલર અબ્દેલ બાસિત પરિહારની જામીન અરજી પણ ફગાવી દીધી હતી.

ડ્રગ્સના કેસની તપાસ કરી રહેલી નાર્કોટિક્સ ક્ધટ્રોલ બ્યૂરો (એનસીબી)ની ટીમે ગયા મહિને રિયા અને તેના ભાઇની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન અન્ય લોકોની પણ આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.

હાઇ કોર્ટે જામીન મંજૂર કરતી વખતે રિયા અને અન્ય બે જણને તેમના પાસપોર્ટ એનસીબી પાસે જમા કરાવવા અને વિશેષ એનડીપીએસ કોર્ટની પરવાનગી વિના દેશ નહીં છોડવાના નિર્દેશ આપ્યા હતા. હાઇ કોર્ટે રિયાને રૂ. એક લાખનો પર્સનલ બોન્ડ ડિપોઝિટ કરવા અને જામીન પર છૂટ્યા બાદ પહેલા દસ દિવસ સુધી સવારે ૧૧ વાગ્યે નજીકના પોલીસ સ્ટેશનમાં હાજરી આપવાના નિર્દેશ પણ કોર્ટે આપ્યા હતા.

હાઇ કોર્ટે રિયાને આગામી છ મહિના સુધી દર મહિનાના પહેલા દિવસે એનસીબીની ઓફિસમાં સવારે ૧૧ વાગ્યે હાજર રહેવાના નિર્દેશ આપ્યા હતા.

જામીન પર છૂટ્યા બાદ એનસીબીની પરવાનગી વિના મુંબઈ ન છોડવા અને પુરાવા સાથે ચેડાં ન કરવાના નિર્દે રિયાને આપવામાં આવ્યા છે.

નોંધનીય છે કે બાંદ્રાના નિવાસસ્થાને ૧૪ જૂને સુશાંતસિંહ રાજપૂત ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.

વિશેષ એનડીપીએસ કોર્ટે ગયા મહિને જામીન અરજી ફગાવી દીધા બાદ રિયા અને તેના ભાઇ શોવિકે હાઇ કોર્ટમાં જામીન અરજી કરી હતી. એનસીબીએ એડિશનલ સોલિસિટર જનરલ અનિલ સિંહ મારફત જામીન અરજીનો વિરોધ કર્યો હતો.

સિંહે જણાવ્યું હતું કે સુશાંતના ડ્રગ્સ માટે રિયા જાણીજોઇને પૈસા ચૂકવતી હતી અને ડ્રગ્સની આદતની વાત તેણે છુપાવી હતી. રિયાના વકીલ માનેશિંદેએ દલીલ કરી હતી કે અભિનેત્રી ક્યારેક જ રાજપૂતના ડ્રગ્સ માટે પૈસા ચૂકવતી હતી.

October 8, 2020
home.png
1min5150

કોરોનાને કારણે લગાવવામાં આવેલા લોકડાઉન બાદ ઘરોના વેચાણની માગ વધી હોવા છતાં જુલાઇથી સપ્ટેમ્બર દરમિયાન દેશના મુખ્ય સાત શહેરમાં ઘરોનું વેચાણ ૩૫ ટકા ઘટીને ૫૦,૯૮૩ યુનિટ રહ્યું હતું, જ્યારે ગયા વર્ષે આ સમાન સમયગાળામાં દિલ્હી-એનસીઆર, મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર), ચેન્નઇ, કોલકાતા, બેંગલુરુ, હૈદરાબાદ અને પુણેમાં ઘરોનું વેચાણ ૭૮,૪૭૨ યુનિટ રહ્યું હતું, એમ પ્રોપઇક્વિટી દ્વારા જાહેર કરાયેલા ડેટામાં જણાવાયું હતું.

એમએમઆરમાં ઘરોનું વેચાણ ૩૦ ટકાના ઘટાડા સાથે ૧૬,૬૫૨ યુનિટ થયું હતું.

પ્રોપર્ટી કન્સલ્ટન્ટ એનરોડે જણાવ્યું હતું કે મુખ્ય સાત શહેરમાં જુલાઇથી સપ્ટેમ્બર સુધી રહેવાસી મિલકતોનું વેચાણ ૪૬ ટકા ઘટાડા સાથે ૨૯,૫૨૦ યુનિટ રહ્યું હતું.

‘ભારતીય રિયલ એસ્ટેટ સેક્ટરમાં હવે રિકવરી દેખાઇ રહી છે, કારણ કે ગત ત્રિમાસિકમાં વિવિધ સ્કીમ અને ઓફર્સ સાથે ઘણા પ્રોજેક્ટ્સ હાથ ધરાયા હતા’, એમ પ્રોઇક્વિટીના સ્થાપક અને એમડી સમીર જાસુજાએ જણાવ્યું હતું.

‘હાલમાં તહેવારોની મોસમ ચાલી રહી છે તેથી ગ્રાહકોને આકર્ષવા માટે વધુ ઓફર, ડિસ્કાઉન્ટ્સ અને નાણાં ચૂકવણી માટેની વધુ સુવિધાઓ આપવામાં આવી શકે છે’, એમ જાસુજાએ જણાવ્યું હતું.

બેંગલુરુમાં ઘરોનું વેચાણ ૪૪ ટકાના ઘટાડા સાથે ૬૦૯૮ યુનિટ થયું હતું, જ્યારે ગયા વર્ષે આ આંકડો ૧૦૮૭૮ યુનિટ રહ્યો હતો.

દિલ્હી-એનસીઆરમાં ઘરોનું વેચાણ ૨૩ ટકાના ઘટાડા સાથે ૧૨,૨૩૭ યુનિટ રહ્યું હતું.

October 8, 2020
government_gujarat_gandhinagar.jpg
1min5440

ગુજરાતમાં મગફળી ઉપરાંત ડાંગર, મકાઈ, બાજરી, મગ, અડદ અને સોયાબીનની પણ ટેકાના ભાવે ખરીદી થશે. કૃષિ મંત્રી આર.સી. ફળદુએ આ અંગે જાહેરાત કરી હતી.

ફળદુએ  જણાવ્યું હતું કે મગફળીની 13,66,000 મેટ્રિક ટન ખરીદવા માટે દરખાસ્ત કરાઈ હતી. મગફળીની ખરીદી રૂ. 1055માં થશે. ડાંગરની ટેકાના ભાવે ખરીદી પ્રતિ ક્વિન્ટલ રૂ. 1868/-ના ભાવે, મકાઇ રૂ.1850/-ના ભાવે, બાજરી રૂ.2150/-ના ભાવે, મગ રૂ. 7196/-ના ભાવે, અડદ રૂ.6000/- અને સોયાબીનની રૂ. 3880/- પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદી કરવામાં આવશે.

આગામી દિવસોમાં આ ખરીદી માટે નાફેડના સંકલનમાં રહીને ગુજરાત અન્ન નાગરિક પુરવઠા નિગમ દ્વારા સંપૂર્ણ કાર્યક્રમ ઘડી કાઢીને ખરીદી પ્રક્રિયા હાથ ધરાશે. તેમણે ઉમેર્યું કે, વરસાદને કારણે જે ખેડૂતોને નુકસાન થયું છે એ માટે રૂ. 3700/- કરોડના આર્થિક પેકેજની જાહેરાત કરી છે અને સહાય ચૂકવવાનું શરૂ કરી દેવાયું છે. અન્ન નાગરિક પુરવઠા પ્રધાન જયેશ રાદડિયાએ કહ્યું કે, રાજ્યમાં ડાંગર માટે 92, મકાઈ માટે 61, બાજરી માટે 57, મગ માટે 71, અડદ માટે 80 અને સોયાબીન માટે 60 કેન્દ્ર કાર્યરત કરીને ખરીદી પ્રક્રિયા હાથ ધરાશે.

રાદડિયાએ ઉમેર્યું કે ડાંગર, મકાઇ અને બાજરી માટે ઓનલાઇન નોંધણી પ્રક્રિયા તારીખ 1લી ઓક્ટોબર 2020થી શરૂ કરી દેવામાં આવી છે. 29મી ઓક્ટોબર-2020 સુધી ચાલશે. ખરીદી 16મી ઓક્ટોબરથી 31મી ડિસેમ્બર સુધી ચાલશે જ્યારે મગ, અડદ અને સોયાબીન માટે ઓનલાઇન નોંધણી પ્રક્રિયા તા. 12મીથી શરૂ થશે. ખરીદી 2જી નવેમ્બરથી 30 જાન્યુઆરી – 2021 સુધી ચાલશે. રાજ્યમાં અત્યાર સુધીમાં 2.80 લાખ જેટલા ખેડૂતોએ મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે રજિસ્ટ્રેશન કરાવી દીધું છે.

October 8, 2020
supreme.jpg
1min5910

દિલ્હી-એનસીઆરના લાખો લોકોની રોજબરોજની જિંદગી માટે લાંબો સમય સુધી પરેશાનીરૂપ બનેલા શાહીન બાગ ધરણા-પ્રદર્શન અંગે સુપ્રીમ કોર્ટે મહત્ત્વનો ફેંસલો આપ્યો છે. શાહીન બાગના બનાવને ધ્યાને લઈ લોકશાહીમાં વિરોધના અધિકારની મર્યાદામાં માર્ગદર્શિકા માગતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે બુધવારે કહ્યું કે જાહેર સ્થળોએ લાંબો સમય સુધી પ્રદર્શન યોજી ન શકાય. એક નિર્ધારિત સ્થળે જ ધરણાં યોજાવા જોઈએ. રાઇટ ટૂ પ્રોટેસ્ટની કેટલીક મર્યાદાઓ પણ છે જાહેર સ્થળો પર કબજો જમાવીને અન્ય વિશાળ જનસમુદાય માટે મુશ્કેલી સર્જી તેમના અધિકારોને કચડી નાંખવાની કાયદા હેઠળ છૂટ આપી ન શકાય.

રાષ્ટ્રીય નાગરીકતા રજિસ્ટર અને નાગરીકતા સંશોધન કાયદા (સીએએ)ના વિરોધમાં 1પ ડિસેમ્બરથી શરૂ થયેલા ધરણા-પ્રદર્શન 100 દિવસથી વધુ સમય ચાલ્યા હતા. શાહીન બાગમાં પ્રદર્શનકારીઓએ મુખ્ય રસ્તા પર કબજો કરી લેતા અન્ય લોકોને રોજિંદા કામકાજમાં ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. જસ્ટિસ સંજય કિશન કૌલ, અનિરુદ્ધ બોઝ અને કિષ્ન મુરારીની ખંડપીઠે ચુકાદામાં કહ્યું છે કે વિરોધ વ્યક્ત કરવા માટે કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓનો સમૂહ જાહેર સ્થળોને બંધ ન કરી શકે. કોર્ટના આવા આદેશથી નાગરીકો હવે એવું માની રહ્યા છે કે શાહીન બાગ જેવા ધરણા-પ્રદર્શનનું પુનરાવર્તન નહીં થાય.

શાહીન બાગ ધરણા પ્રદર્શન વખતે મુખ્ય રસ્તો બંધ કરી દેવાયો હતો જે નોએડા અને દિલ્હીને સાહિબાબાગથી જોડતો હતો. 1પ ડિસે.થી શરૂ થયેલા આ પ્રદર્શને લાખો લોકોની જિંદગી જાણે દોજખ બનાવી નાખી હતી. 3 મહિનાથી વધુ સમય સુધી શાહીન બાગ પ્રદર્શન ચાલ્યું હતું. જેથી શાળાએ જતાં બાળકોથી માંડી વેપારીઓ સહિત જાહેર જનતાને આવાગમનમાં મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. જે લોકોને નોએડા અને ગાજિયાબાદથી દિલ્હી અથવા ફરીદાબાદ જવું હોય તેઓને માત્ર મેટ્રોમાં મુસાફરી કરવી પડતી હતી.

શાહીન બાગ ધરણા પ્રદર્શનને કારણે સ્થાનિક ધંધા ચોપટ થઈ ગયા હતા. વિદ્યાર્થીઓને શાળાએ જવા તથા પરત આવવા લાંબા ચક્કર લગાવવા પડતા હતા. સ્થળ આસપાસ આશરે 100 જેટલી દુકાનો, શો રૂમ બંધ થઈ ગયા હતા. જેથી વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવું પડયું હતું.’

October 8, 2020
H-1B-visa.jpg
1min5200

ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે US H-1Bને લગતાં નવા નિયમો જાહેર કર્યાં છે અને આ નિયમ અનુસાર અમેરિકન કર્મચારીઓને રોજગારીના વધુ મોકા મળશે અને ઇમિગ્રેશન પર લગામ લગાડાશે. ડિપાર્ટમેન્ટ ઑફ હોમલેન્ડ સિક્યોરિટીએ મંગળવારે US H-1Bને લઇન નવી જાહેરાત કરી છે.

દર વર્ષે યુએસએ 85000 H-1B વિઝા આપે છે અને આ વિઝાની મદદથી વિદેશના સ્કિલ્ડ વર્કર્સ અમેરિકા કામ કરવા પહોંચી શકે છે. એક ધારણા અનુસાર નવા નિયમોને પગલે ભારતીય ટેક પ્રોફેશનલ્સને મુશ્કેલી પડશે અને તેમને સૌથી વધુ નુકસાન થશે. 5 લાખ અમેરિકન્સ આ રોગચાળા દરમિયાન H-1B નોન ઇમિગ્રન્ટ્સ હોવાને કારણે બેરોજગાર થઇ ગયા છે.

અમેરિકન સરકારી ડેટા અનુસાર અમેરિકા દ્વારા જેટલા H-1B વિઝા જાહેર કરાય છે તેમાંથી 70 ટકા વિઝા ભારતીય પ્રોફેશનલ્સને જ અપાય છે અને નવા નિયમોના અમલીકરણ પછી આમાંથી એક તૃતિયાંશ ભારતીયો આ વિઝા મેળવવાની યાદીમાંથી છટણીનો ભોગ બનશે અને તેમને વિઝા નહીં મળે.

H-1B, આપણે જાણીએ છીએ તેમ વિશેષ કામ માટે અપાતો વિઝા છે અને તે ટુરિસ્ટ વિઝા નથી. અમેરિકી કંપનીઓ બીજા દેશનાં લોકોને તેમની આવડતને આધારે નિયુક્ત કરે છે અને ત્યારે તેમને આ વિઝા અપાય છે. દર વર્ષે અમેરિકાની આઇટી કંપનીઝમાં ભારત અને ચીન જેવા દેશોમાંથી લાખો કર્મચારીને આ વિઝા હેઠળ પોતાના દેશમાં કામ કરવા બોલાવે છે. જો કોઇ કંપની કર્મચારી સાથે પોતાનો કોન્ટ્રાક્ટ અટકાવી દે તો વિઝા સ્ટેટસ યથાવત્ રાખવા માટે કર્મચારીએ 60 દિવસોમાં જ નવી કંપનીમાં નોકરી શોધવી પડે છે. યુએસ સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિઝ અનુસાર H-1B વિઝાનો સૌથી વધુ લાભ ભારતીયોને મળે છે.

October 7, 2020
gujarat_map-1280x1023.png
1min4970

ગુજરાત રાજ્યમાં આવેલા 2700 જેટલા ગામડાઓની પંચાયત કચેરીઓમાં હવેથી સોગંદનામું, દાખલા અને સર્ટિફિકેટ જેવી વિવિધ ૨૨ જેટલી સેવાઓ ઉપલબ્ધ બનશે. ગુજરાત સરકાર આવતીકાલ તા.૮મી ઓક્ટોબરથી 2700 ગ્રામ પંચાયતોમાં આ સેવાઓનો આરંભ કરાવી રહી છે. રાજ્યના ગામડાઓને ઓપ્ટીક ફાઇબર કેબલથી કનેક્ટ કરી દેવાયા હોઇ, હવે આ ગામડાઓમાં ડિજિટલ સેવાઓ ઉપલબ્ધ બનાવી શકાશે.

પ્રાથમિક તબક્કે ડિજિટલ સેવાસેતુમાં આવરી લઇ બે હજાર ગ્રામ પંચાયતમાં આ સેવાઓ શરૂ થશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી આ સેવાનો ૮ ઓક્ટોબરે શુભારંભ કરાવશે. ગ્રામીણ નાગરિકોને રોજ-બરોજની સેવાઓ કે સર્ટિફિકેટ, દાખલાઓ માટે તાલુકા-જિલ્લામથકે ધક્કા ન ખાવા પડે, સમય અને આવવા-જવાના વાહન ભાડાના ખર્ચનો બચાવ થશે.

સરકારે લીધેલા નિર્ણયથી ગ્રામ પંચાયતના સેવા કેન્દ્ર-ગ્રામ પંચાયત કચેરીએથી જ હવે, રેશનકાર્ડની સેવાઓમાં નામ દાખલ કરવું, નામ કઢાવવું કે સુધારો કરવો અથવા ડુપ્લિકેટ રેશનકાર્ડ મેળવવું જેવી સેવાઓ, આવકનો દાખલો, સિનિયર સિટિઝનનો દાખલો, ક્રિમિલીયર સિર્ટિફિકેટ, જાતિના પ્રમાણપત્રો જેવી સેવાઓ ડિજિટલ સેવા સેતુ માધ્યમથી માત્ર ૨૦ રૂપિયાની નજીવી ફીથી મળશે.

મુખ્યમંત્રીએ આ ડિજિટલ સેવાસેતુનો વ્યાપ વધુ વિસ્તરે તેમજ ગ્રામીણ નાગરિકો લોકોને આવા દાખલાઓ માટે કરવાની થતી એફિડેવિટ-સોગંદનામા માટે તાલુકા કક્ષાએ કે નગરમાં જિલ્લામાં નોટરી પાસે જવું જ ન પડે તેવો પણ ક્રાંતિકારી નિર્ણય કર્યો છે. ઓથ એક્ટ ૧૯૬૯ની કલમ-૩ની જોગવાઇઓ મુજબ કરવાના સોગંદનામા એફિડેવિટ કરવા માટે ગ્રામ્યકક્ષાએ ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રીને સત્તાઓ આપવામાં આવશે.