Jayesh Brahmbhatt 98253 44944
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ આયોજિત ઉદ્યોગપતિઓ સાથેના ઇન્ટરએક્ટિવ સેશનમાં કેન્દ્રના વાણિજ્ય મંત્રી પિયુષ ગોયેલએ આજે સુરતમાં કામ કરતી સરકારનો પરચો દેખાડતા સુરતના સચિન ખાતે બિલકુલ ફ્લોપ નિવડેલા સુરત એપેરલ પાર્કની 3.6 લાખ ચો.મી. જેટલી વિશાળ અને કિંમતી જમીન એક સપ્તાહમાં ઉદ્યોગોને પરત સોંપી દેવાની જાહેરાત કરતા સુરતના ઉદ્યોગકારો સ્તબ્ધ થઇ ગયા હતા. સચિન એપેરલ પાર્કની આ જમીનની સ્થાનિક જંત્રી પ્રમાણેની કિંમત રૂ.100 કરોડ જેટલી થવા જાય છે.

પિયુષ ગોયેલે છેલ્લા 15 વર્ષથી ગૂંચવાયેલા મામલાને ચપટી વગાડતા ઉકેલી આપ્યો હતો. વેપાર ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે ઓપન હાઉસમાં ચર્ચા કરવા માટે આજે ખાસ સુરત આવેલા કેન્દ્રના વાણિજ્ય મંત્રી પિયુષ ગોયેલએ સુરતના સચિન ખાતે એપેરલ પાર્ક સ્થાપવાની 15 વર્ષ જૂની ચેમ્બરની યોજના અન્વયે બિલકુલ બિનઉપયોગી પડી રહેલી 3.6 લાખ ચો.મી. જેટલી વિશાળ અને કિંમતી જમીનને ઉદ્યોગના હિતમાં છૂટી કરવા સંદર્ભે સ્થાનિક ઉદ્યોગપતિ રવિન્દ્ર આર્યએ રજૂઆતો કરી હતી.સચિન એપેરલ પાર્ક કે જેને ગેરસમજથી સ્પેશિયલ ઇકોનોમિક ઝોનનું સ્ટેટસ આપી દેવાયું હતું, ત્યાં અંદાજે 50 જેટલા યુનિટ્સ કાર્યરત થયા હતા એ પછી સમગ્ર પ્રોજેક્ટ ફ્લોપ ગયો હતો અને તેની 3 લાખ 60 હજાર ચો.મી. જેટલી વિશાળ જમીન વર્ષોથી બિનઉપયોગી નકામી પડી રહી હતી. આ જમીનને પાર્સીયલ રીતે ડીનોટીફાઇ કરવા સંદર્ભની ફાઇલ કેન્દ્રના વાણિજ્ય મંત્રાલયમાં પડી રહી છે તેનો નિકાલ લાવવા માટે રવિન્દ્ આર્યએ રજૂઆતો કરી હતી.
આ પ્રશ્ન ઉપસ્થિત થતાં જ પિયુષ ગોયેલે લોક પ્રશ્નો સાંભળવાની સાથે પોતાના મંત્રાલયમાંથી વિગતો કઢાવી હતી અને સ્ટેટસ જાણી લીધા બાદ રવિન્દ્ર આર્ય અને સુરતના ઉદ્યોગકારોને કહ્યું હતું કે સચિન એપેરલ પાર્કની પાર્સિયલ ડિનોટીફાઇ કરવાની દરખાસ્તને આગામી મંગળવા સુધીમાં ક્લીયર કરી દેવામાં આવશે.ઉદ્યોગોને જો આ જમીન પરત મળશે તો સચિનમાં વધુ કરોડો રૂપિયાના યુનિટ્સ નંખાશે જે સરવાળે સુરતના ઉદ્યોગોનું ટર્નઓવર વધારશે.














