સુરત અને ફરીદાબાદમાં રેલવેની જમીન પર દબાણ મામલે સુપ્રીમ કોર્ટની મહત્ત્વની ટિપ્પણી
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે રેલવેની જમીન પર જો સ્થાનિક મ્યુનિસિપલ અધિકારીઓએ દબાણની અનુમતિ આપી હોય તો પુનર્વાસની જવાબદારી પણ તેણે જ ઉઠાવવી પડશે. સુરત અને ફરીદાબાદમાં રેલવેની જમીન પર દબાણના મામલે પુનર્વાસની જવાબદારી કોની થાય તે મામલાની સુનાવણી દરમ્યાન સર્વોચ્ચ અદાલતે આ ટિપ્પણી કરી હતી. આ મામલાની વધુ સુનાવણી 15 નવેમ્બરે કરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એએમ ખાનવિલકરની આગેવાની ધરાવતી બેન્ચે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના વકીલને જણાવ્યું હતું કે, પહેલાં તો તમે દબાણ થવા દો છો અને પછી કહો છો કે આ માટે રાજ્ય જવાબદાર છે.
કોર્ટે કહ્યું હતું કે, રેલવેની જમીન જરૂર છે પરંતુ વહીવટ તમારા હાથમાં છે અને તમારે એ સુનિશ્ચિત કરવાનું રહે કે કોઈ ગેરકાયદે કબ્જો અથવા દબાણ થાય નહીં.
અદાલતે મૌખિક ટિપ્પણીમાં કહ્યું કે, સ્થાનિક વહીવટી તંત્રે જો દબાણની મંજૂરી આપી છે તો પુનર્વાસની જવાબદારી રાજ્યની કઈ રીતે થાય. આ જવાબદારી પણ મ્યુનિસિપલ કોર્પોરેશને લેવી પડશે.












