CIA ALERT

Blog - Page 164 of 696 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
November 29, 2021
weather-forecast.jpg
1min453

ગુજરાતમાં ફરી માવઠાની આગાહીથી ખેડૂતોની ચિંતા વધી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 30 નવેમ્બરથી ગુજરાત, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં માવઠું પડી શકે છે. 30 નવેમ્બરથી 3 દિવસ સુધી એટલે કે 2 ડિસેમ્બર સુધીમાં કમોસમી વરસાદ ઉપરાંત રાજ્યમાં ઠંડીનો પારો પણ વધવાની આગાહી કરવામાં આવી છે.

સામાન્યથી મધ્યમ અને ગાજવીજ સાથે ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી છે. ભરૂચ, સુરત, ડાંગ, તાપી, વલસાડ,’ નવસારી, દાદરાનગર હવેલી, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દમણ અને દીવના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે.

રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે, તેવામાં હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી બે દિવસ બાદ પવનની દિશા બદલાશે અને ઠંડીનું જોર વધશે તેમજ દરિયામાં પવનની ગતિ તેજ રહેશે. ગુજરાતમાં હાલ ઠંડીનું જોર વધ્યું છે. સૌથી ઓછું કચ્છના નલિયાનું તાપમાન 14 ડિગ્રી નોંધાયું છે. અન્ય શહેરોનું પણ તાપમાન ગગડયું છે. ગુજરાતના મોટાભાગનાં શહેરોમાં ફૂલગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. જો કે, બે દિવસ બાદ

ગુજરાતમાં ઠંડીનું જોર વધશે. તાપમાનનો પારો વધુ ગગડી શકે છે. હવામાન વિભાગના મતે રાજ્યમાં આગામી 3 દિવસ દરમિયાન તાપમાનમાં 4 ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડીમાં વધારો થશે.’
અહીં નોંધવું ઘટે કે, વાતાવરણમાં ઠંડક પ્રસરતા ગુજરાતનાં અનેક શહેરોમાં વહેલી સવારથી જ ધુમમ્સ’ છવાઈ જાય છે. રસ્તા પર ધુમ્મસ છવાતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. વિઝિબિલિટી ઘટી જતાં વાહન ચાલકોને લાઇટો ચાલુ રાખવી ફરજિયાત બની ગયું છે. તો સાથે જ વહેલી સવારના સમયે ઠંડીનો શિતગાર અનુભવ થઈ રહ્યો છે.

November 29, 2021
narendra-modi.jpg
1min386

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે મન કી બાત મારફતે દેશને સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ મન કી બાતમાં કહ્યું હતું કે, તેઓ આજે સત્તામાં નથી અને ભવિષ્યમાં સત્તામાં જવા માગતા નથી. તેઓ માત્ર સેવામાં રહેવા માગે છે. તેઓ માટે વડાપ્રધાનનું પદ અને બધી વસ્તુઓ સત્તા માટે છે જ નહીં. સેવા માટે છે. સાથે જ પીએમ મોદીએ પ્રકૃતિને માતા ગણાવી હતી અને તેનાં સંરક્ષણની અપીલ કરી હતી.

પીએમ મોદીએ કહ્યું હતું કે, પ્રકૃતિથી જોખમ ત્યારે જ ઉભું થાય છે જ્યારે સંતુલન બગડે છે અથવા તેની પવિત્રતા નષ્ટ કરવામાં આવે છે. પીએમ મોદીએ કોરોનાને લઇને પણ ચેતવણી આપી હતી અને લોકોને સાવધાન રહેવા કહ્યું હતું.

વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, પ્રકૃતિ માતા છે અને તેનું સંરક્ષણ કરવું જોઈએ. આપણી આસપાસ જે પણ પ્રાકૃતિક સંસાધન છે તેને બચાવવા અને યોગ્ય રૂપમાં પરત કરવા જોઈએ. આ કામગીરીમાં જ તમામનું હિત છે. પીએમએ આગળ ઉમેર્યું હતું કે, આપણા દેશમાં અનેક રાજ્ય છે, અનેક ક્ષેત્ર છે જ્યાંના લોકોએ પોતાના પ્રાકૃતિક વારસાને સંભાળીને રાખ્યો છે. આ લોકોએ પ્રકૃતિ સાથે મળીને જીવવાની કળા પણ જીવંત રાખી છે.

November 29, 2021
tajmahal.jpg
1min456

 કોવિડ-૧૯ના નવા પ્રકાર ઓમીક્રોનના જોખમને ધ્યાનમાં લઈ કેટલાક દેશોમાંથી ભારત આવનારા પ્રવાસીઓના ટેસ્ટિંગ માટે ‘સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર’ (એસઓપી) રવિવારે જાહેર કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય ઉડ્ડયનો ફરી શરૂ કરવા નિર્ણાયોની પણ સમીક્ષા કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રાલયનાં સચિવ અજય ભલ્લાના વડપણમાં યોજાયેલી બેઠકમાં ઉપરોકત બે નિર્ણય લેવામાં આવ્યા હતા. આ બેઠકમાં વી.કે. પોલ, સભ્ય (આરોગ્ય) નીતિ આયોગ, વડા પ્રધાન વૈજ્ઞાનિક સલાહકાર વિજય રાઘવન, આરોગ્ય મંત્રાલય, નાગરિક ઉડ્ડયન મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા હતા.

શુક્રવારે વડા પ્રધાન મોદીની આગેવાનીમાં ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી, જેમાં આંતરરાષ્ટ્રીય ઉડ્ડયનો શરૂ કરવા અંગે ફેરવિચારણા કરવા મોદીએ સલાહ આપી હતી.
ઓમીક્રોન વાઈરસ અંગેની માહિતી મળ્યા પછી ઊભી થયેલી વૈશ્ર્વિક પરિસ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી અને વિવિધ ‘સાવચેતિના પગલાં’  ભરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય ઉડ્ડયનો ફરી શરૂ કરવા અગાઉ વૈશ્ર્વિક પરિસ્થિતિ પર ધ્યાન આપવામાં આવશે તેવું ગૃહમંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું. પ્રવક્તાએ વધુમાં કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના ટેસ્ટિંગ અને સર્વીલેન્સ અંગેની એસઓપીની સરકાર દ્વારા સમીક્ષા કરવામાં આવશે.

November 28, 2021
gandhinagar.jpg
1min508

ગાંધીનગરમાં દારૂની મહેફિલ માણતા નબીરા અને યુવતીઓ મળીને કુલ 13 લોકોને ઈન્ફોસિટી પોલીસે પકડી પાડ્યા છે. ઈન્ફોસિટી પોલીસને મળેલી માહિતીના આધારે પોલીસ સરગાસણ સ્વાગત એફોર્ડ એફોર્ડ સોસાયટીના ફ્લેટ નંબર એક્સ-501માં પહોંચી હતી જ્યાં દારૂ પાર્ટી ચાલી રહી છે.

આ માહિતી મળ્યા બાદ પોલીસે ત્યાં પહોંચી ગઈ હતી અને દારૂ પાર્ટી કરી રહેલા યુવક અને યુવતીઓને પકડી પાડ્યા હતા. પોલીસને ફરિયાદ મળી હતી કે સ્વાગત એફોર્ડમાં ફ્લેટ નં-501માં છોકરા અને છોકરીઓ ભેગા મળીને જોર જોરથી સ્પીકર વગાડી રહ્યા છે. જેના કારણે પોલીસ ત્યાં પહોંચી હતી.

પોલીસે તપાસ કરતા ફ્લેટમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી. પોલીસે નવ યુવતીઓ અને ચાર નબીરાને પકડી લીધા હતા. આ ઉપરાંત પોલીસે દારૂની બે બોટલ પણ કબ્જે કરી હતી. આ તમામ યુવક યુવતીઓ કર્ણાવતી ડેન્ટલ કોલેજમાં ભણતા અને તેની હોસ્ટેલમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસે જણાવ્યું હતું કે, નબીરાઓ અને યુવતીઓ સામે દારૂ પાર્ટીનો ગુનો નોંધવામાં આવ્યો છે. તેમની પાસેથી કોઈ ડ્રગ્સ મળ્યું નથી. તમામ લોકો સામે એફઆઈઆર નોંધવામાં આવી છે.

હવે 31 ડિસેમ્બર જેમ જેમ નજીક આવતી જશે તેમ તેમ ગાંધીનગર સહિત ગુજરાત પોલીસ એલર્ટ બની રહી છે. થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરે દારૂ પાર્ટીઓ ન યોજાય તે માટે પોલીસ અત્યારથી જ સતર્ક બની ગઈ છે. ગાંધીનગર પોલીસને જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા પ્રોહિબિશન અને જુગાર અંગેના કેસોને શોધી કાઢીને પરિણામલક્ષી કામગીરી કરવાની સૂચના આપવામાં આવેલી છે.

November 28, 2021
uptet.jpg
1min563

ઉત્તર પ્રદેશમાં શિક્ષકોની ભરતી માટેની યુપી- ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ (UP TET)નું પેપર લીક થઈ જતા રાજ્યભરમાં રવિવારે યોજાનારી પરીક્ષા રદ કરવામાં આવી છે. સચિવ પરીક્ષા નિયામક સંજય કુમાર ઉપાધ્યાયે જણાવ્યું કે બે તબક્કામાં લેવાનારી પરીક્ષા રદ કરી દેવામાં આવી છે. 

પ્રાપ્ત માહિતી મુજબ પેપર શરૂ થતા પૂર્વે જ મથુરા, ગાઝિયાબાદ અને બુલંદશહેરના વોટ્સએપ ગ્રુપમાં પેપર વાયરલ થયું હતું. એસટીએફએ આ અંગે તપાસનો ધમધમાટ હાથ ધરતા મેરઠથી ત્રણ લોકોને ઝડપ્યા હતા. પકડાયેલા લોકોની સઘન પૂછપરછ ચાલુ છે.

ઉલ્લેખનીય છે કે યુપી ટેટ 2021ની પરીક્ષા બે પાળીમાં 2,554 કેન્દ્રો પર યોજાનાર હતી. પ્રથમ સેશનમાં 12,91,628 અને બીજા સેશનમાં 8,73,553 ઉમેદવારો પરીક્ષા આપવાના હતા. આ માટે ગુરુવારે ઉચ્ચ અધિકારીઓએ વીડિયો કોન્ફરન્સ કરી પરીક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. પ્રથમ વખત યુપી ટેટમાં પરીક્ષા કેન્દ્રો પર લાઈવ સીસીટીવીના માધ્યમથી નજર રાખવાની યોજના હતી. પરીક્ષા ખંડમાં અંદર મોબાઈલ ફઓન તેમજ અન્ય ઈલેક્ટ્રિક ઉપકરણો લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ હતો. 

યુપી ટેટ 28 નવેમ્બરે બે તબક્કામાં યોજાનાર હતી અને 21 લાખ જેટલા ઉમેદવારોનું ભાવી નક્કી થવાનું હતું. પરીક્ષા આપવા માટે વિવિધ ગામોમાંથી ઉમેદવારો રાત્રે જ પરીક્ષા કેન્દ્રો પર પહોંચ્યા હતા. કેટલાક ઉમેદવારોએ રેલવે અને બસ સ્ટેશન પર જ રાત વિતાવી હતી. રાત ઉજાગરો કરીને સવારે પેપર આપવાના આશાવાદ સાથે પહોંચેલા પરીક્ષાર્થીઓને સવારે પેપર લીક થયું હોવાથી પરીક્ષા રદ થવાની જાણ થતા નિરાશા મળી હતી.

હાલમાં એસટીએફ દ્વારા કેટલાક લોકોને પકડીને પૂછપરછ કરવામાં આવી રહી છે. મેરઠથી ત્રણ શખ્સોને પકડવામાં આવ્યા છે. આ ઉપરાંત અન્ય સ્થળે પણ તપાસ ચાલુ છે. યુપી સરકાર હવે આગામી એક મહિનાની અંદર ફરીથી ટેટની પરીક્ષાનું આયોજન કરી શકે છે.  

November 28, 2021
indiavsnz1.jpg
1min456

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કાનપુરના ગ્રીનપાર્કમાં પ્રથમ ટેસ્ટ મેચના ચોથા દિવસે ભારતની બીજી ઈનિંગમાં કંગાળ શરૂઆત રહી છે. ત્રીજા દિવસની રમતના અંતે ભારતનો સ્કોર એક વિકેટે 14 રન રહ્યો હતો. ચોથા દિવસે મયંગ અગ્રવાલ અને ચેતેશ્વર પૂજારાએ રમતને આગળ ધપાવતા 11 ઓવરમાં 32 રન કર સુધી સ્કોર પહોંચાડ્યો હતો. પ્રથમ સેશનમાં 37 રનમાં જ ભારતે વધુ ચાર વિકેટ ગુમાવી હતી. જેને પગલે ભારત આ મેચમાં બેકફૂટ પર આવતું જણાય છે.

ચોથા દિવસના પ્રારંભે વાઈસ કેપ્ટન પૂજારા ઈનિંગની 12મી ઓવરમાં જેમીસનના લેગ સાઈડમાં જતા બોલને રમવા જતા તેના ગ્લવ્ઝ પર બોલ અડી જતા તે આઉટ થયો હતો. અમ્પાયરે સોફ્ટ સિગ્નલ નોટઆઉટ આપ્યું હતું પરંતુ બોલર જેમીસન અને વિકેટકીપર બ્લન્ડેલે કપ્તાન કેન વિલિયમસનને ડીઆરએસ લેવાનો આગ્રહ વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ ડીઆરએસ મુજબ પૂજારાના ગ્લવ્ઝ પર બોલ સ્પર્શ્યો હોવાનું સ્નીકોમીટરમાં જણાતા તેને આઉટ આપવામાં આવ્યો હતો. પૂજારા 33 બોલમાં 22 રન કરી આઉટ થયો હતો.

કેપ્ટન અજિંક્યા રહાણે ચોથા ક્રમે બેટિંગમાં ઉતર્યો હતો અને તે તેના કંગાળ ફોર્મને લીધે વધુ એક વખત સસ્તામાં ફક્ત ચાર રન કરી આઉટ થઈ ગયો હતો. એજાઝ પટેલની ઓવરમાં કપ્તાહન રહાણે એલબીડબલ્યુ આઉટ થતા ભારતને ત્રીજો ઝટકો લાગ્યો હતો. 18મી ઓવરમાં ભારતીય ટીમે 51 રન પૂરા કર્યા હતા અને 100 રનની લીડ મેળવી હતી. ડ્રિંક્સ બ્રેક બાદ 20મી ઓવરમાં ઓપનર મયંક અગ્રવાલ પણ ટીમ સાઉથીના આઉટસ્વિંગ બોલ પર સ્લિપમાં લેથમના હાથે કેચઆઉટ થયો હતો. મયંકે 53 બોલમાં 17 રન કર્યા હતા.

સાઉથીની ઓવરના ચોથા બોલ પર ડાબોડી બેટ્સમેન રવિન્દ્ર જાડેજા એલબીડબલ્યુ આઉટ થતા 51 રનમાં ભારતની અડધી ટીમ પેવેલિયન પરત હતી. ન્યૂઝીલેન્ડની શીસ્તબદ્ધ બોલિંગ સામે ભારતના ટોચના બેટ્સમેનો ઘૂંટણીયા ટેકવા મજબૂર થયા હતા.  

November 28, 2021
omicron.jpg
1min675

ઓમીક્રોન નામના નવા વેરિયન્ટના કારણે દુનિયામાં કોરોનાની ચોથી લહેર અને ભારતમાં ત્રીજી લહેરના ભણકારા શરૂ થઈ ગયા છે. દક્ષિણ આફ્રિકાના આ વેરિયન્ટની ઘાતકતા સામાન્ય શબ્દોમાં સમજીએ તો તે અગાઉના ડેલ્ટા વેરિયન્ટ કરતાં સાત ગણી સ્પીડે ચેપ ફેલાવી રહ્યો છે. એટલું જ નહીં પણ તે ખૂબ જ ઝડપથી મ્યૂટેટ પણ થઈ રહ્યો છે. તે પકડાય તે પહેલાં તો તેમાં 32 મ્યૂટેશન થઈ ગયા હોય છે. આ જોઈને યુરોપિયન યુનિયનના તમામ 27 દેશોએ પણ હવે 7 આફ્રિકન દેશો સાથેની ફ્લાઈટ્સ પર રોક લગાવી દીધી છે. જો કે, ભારતમાં અત્યાર સુધી આ વેરિયન્ટવાળો કોઈ કેસ સામે આવ્યો નથી. સતર્કતાના ભાગરૂપે સિંગાપુર, મોરિશસ સહિતના 12 દેશોથી આવનારા યાત્રીઓનું પણ સઘન ચેકિંગ કરવામાં આવશે.

સૌપ્રથમ વેરિયન્ટ ક્યાં જોવા મળ્યો?

આમીક્રોન વાયરસ 11 નવેમ્બરના રોજ બોત્સવાનામાં મળ્યો હતો. ત્યારબાદ હોંગકોંગ, ઈઝરાયેલ અને બેલ્જિયમમાં પણ મળી આવ્યો હતો. લંડન સ્થિત UCL જિનેટિક્સ ઇન્સ્ટિટ્યૂટના કહેવા મુજબ આ વેરિયન્ટ HIV/AIDS દર્દીમાં વિકસિત થઈ શકે છે, જેની સારવાર કરવામાં આવી ન હતી. નવા સ્ટ્રેનની ઉત્પત્તિ વિશે હજુ પણ અટકળો છે, પરંતુ એ એક વ્યક્તિમાંથી જ વિકસિત થયેલો હોઈ શકે છે.

હવે દક્ષિણ આફ્રિકાના રોજ મળતા 90 ટકા કેસમાં આ વેરિયન્ટ જ છે, જે 15 દિવસ પહેલાં માત્ર 1 ટકા જ હતા. દક્ષિણ આફ્રિકામાં છેલ્લા એક અઠવાડિયામાં કોરોનાના નવા દર્દીઓમાં 210 ટકાનો વધારો થતાં હવે દુનિયાભરના વૈજ્ઞાનિકોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે. કેમકે અત્યાર સુધી સૌથી વધુ ઝડપથી ફેલાતો વેરિયન્ટ ડેલ્ટા હતો. જેના કારણે દુનિયામાં કોરોનાની ત્રીજી અને ભારતમાં બીજી લહેર આવી હતી. 24 નવેમ્બરના રોજ કોરોનાના ઘાતક વેરિયન્ટનો રિપોર્ટ સામે આવતાં જ WHOએ પણ ચિંતા વ્યક્ત કરી હતી.

આ વાઈરસ માનવ શરીરની કોશિકાઓમાં પ્રવેશવા માટે સ્પાઈક પ્રોટીનનો ઉપયોગ કરે છે. ઓમીક્રોનના સ્પાઈક પ્રોટીનમાં જોવા મળતાં 32 વેરિયન્ટ તેને ખતરનાક બનાવે છે. નિષ્ણાતો માને છે કે ઓમીક્રોન 50 વખત મ્યૂટેટ થઈ રહ્યો છે, જેમાં એ 30 વખત મ્યૂટેટ થઈને એકલા સ્પાઈક પ્રોટીન પર હુમલો કરે છે. કોરોનાની મોટા ભાગની વેક્સિન આ સ્પાઇક પ્રોટીન સામે રક્ષણાત્મક કવચ તરીકે કામ કરે છે. જો કે, આ મ્યૂટેશન આગળ વેક્સિનના બે ડોઝ પણ કારગર નીવડ્યા ન હોવાથી સંક્રમણ વધવાનો પણ ડર ફેલાયો છે. એનો અર્થ એ પણ થાય છે કે જે લોકો અગાઉ સંક્રમિત થઈ ચૂક્યા છે કે તેમાંથી બચી ગયા છે તેઓ પણ કોરોનાની ઝપટમાં આવી શકે છે.  

November 28, 2021
1min639

વર્ષ ૨૦૨૧ શૅરબજાર માટે અત્યારસુધી ખૂબ જ ઉત્તેજનાપૂર્ણ અને ખાસ તો પ્રાઈમરી માર્કેટ નવાં ભરણાં (આઈપીઓ)ની બજાર માટે અતિ સારું રહ્યું છે. જાન્યુઆરીથી અત્યારસુધીમાં આવેલા ૫૧ આઈપીઓમાંથી ૩૮ આઈપીઓના ભાવ તેની ઓફર પ્રાઇસથી ઊંચા બોલાઈ રહ્યાં છે. અમુક કંપનીઓના ભાવ તો ઓફર પ્રાઇસથી ડબલ પણ થયા છે. પેટીએમના અપવાદને બાદ કરતા એકંદરે રોકાણકારો મોટેભાગે કમાયા છે, આ કંપનીઓ એક લાખ કરોડ રૂપિયાથી વધુ  ભંડોળ ઊભું કરવામાં અને પોતાની બ્રાન્ડ ઊંચે લઈ જવામાં સફળ થઈ છે. અલબત્ત, આમાંથી ઘણી કંપનીઓના શેરના ભાવ લિસ્ટિંગ બાદ ધીમે-ધીમે ઘટવા લાગ્યા છે. અર્થાત્ આ ઘોડા મહત્તમ દશેરાના દિવસે જ દોડ્યા કહી શકાય. બાકી ઓકે-ઓકે.  હજી કેટલીક નામાંકિત કંપનીઓના આઈપીઓ કતારમાં છે અને આગામી થોડાં સપ્તાહમાં તે પણ પ્રાઈમરી માર્કેટમાં પ્રવેશવા થનગની રહ્યા છે. જોકે તાજેતરમાં પેટીએમના આઈપીઓ મારફત મળેલા પાઠ બાદ રોકાણકારોમાં એલર્ટ આવ્યા છે. જો કે લેટેન્ટના આઈપીઓની ભવ્ય સફળતાએ ફરી નવી આશા જગાવી છે. તેથી જ આ વિષયમાં કેટલીક બાબતો સમજવી અને તેનો અમલ કરવો જરૂરી છે. 

આઈપીઓમાં રિટેલ રોકાણકારો બહુ મોટી સંખ્યામાં સામેલ થઈ રહ્યા છે અને આઈપીઓમાં રોકાણ મારફત લિસ્ટિંગ સમયે અદ્ભુત વળતર મળી રહ્યું છે એટલે ઝટપટ કમાઈ લેવાની વૃત્તિવાળા રોકાણકારોનું ઘોડાપૂર પ્રાઈમરી માર્કેટમાં આવ્યું છે અને તેમાંના ઘણાં શેરો આઈપીઓની ૨૦૦૯ અને ૨૦૧૧ની તેજી કરતાંય સારી કામગીરી કરી રહ્યા છે. તમે હજી આઈપીઓ બજારમાં સામેલ ન થયા હો પરંતુ હવે તેમાં રોકાણ કરવા માગતા હો તો તમારે મૂડીરોકાણ કરવા પૂર્વે અને પછી પણ નીચેના પાયાના-મહત્ત્વના મુદ્દાઓ ચકાસી જવાની જરૂર છે. તમે શોર્ટ ટર્મ રોકાણકાર હો અને માત્ર લિસ્ટિંગ બાદ નીકળી જવાનો વિચાર હોય તો આ વાત સાવ જ જુદી છે, પરંતુ તમે ગંભીર રોકાણકાર છો અને શેર ધરાવી રાખવા માગો છો તો વાત સાવ અલગ છે. 
હંમેશાં પ્રોસ્પેક્ટસ વાંચો
પ્રોસ્પેક્ટસ એવો દસ્તાવેજ છે, જેમાં સંભવિત રોકાણકારોને આમંત્રણ આપવામા આવ્યું હોય છે. પ્રોસ્પેક્ટસમાં બિડ રેન્જ, લઘુતમ બિડ, આઈપીઓ ખૂલવાની અને બંધ થવાની તારીખો આપેલી હોય છે. આમાં ખાસ ધ્યાન બિડની રેન્જ પર આપવાની જરૂર છે, કારણ કે ખોટ કરતી કંપનીઓ આઈપીઓ લઈને આવવાના કિસ્સા વધી રહ્યા છે એટલે બિડની રેન્જ પ્રાપ્ત થયેલી બિડની સંખ્યાના આધારે નક્કી કરવામાં આવે છે. આથી તમારે તમારા બ્રોકરને સ્પષ્ટ રીતે જણાવવાની જરૂર છે કે તમે ઓછામાં ઓછા કેટલા શેર્સ શું કિંમતે ખરીદવા તૈયાર છો. તમારા બજેટની અધિક કિંમત હોય તો તમે એ ચીજ ન ખરીદો એના જેવી આ વાત છે. 
વ્યક્તિગતપણે કે સંયુક્તપણે મૂડીરોકાણ કરવું
તમે જે ખાતામાંથી રોકાણ કરો એ વ્યક્તિગત કે જોઈન્ટ હોઈ શકે છે. જો એકાઉન્ટ જોઈન્ટ હોય તો જોડાયેલી વ્યક્તિઓ સાથે રોકાણની પ્રક્રિયા, ડોક્યુમેન્ટ્સ વગેરેની ચર્ચા કરી લેવી સારી જેથી ભવિષ્યમાં કોઈ વિવાદ ઊભો ન થાય અને કૌટુંબિક સંબંધ ન બગડે. કોઈ એક ખાસ વર્ગના રોકાણ માટે કુટુંબના સભ્યો વચ્ચે મૂડીરોકાણ અને તેના જોખમ લેવાના પ્રમાણ સંબંધિત સંમતિ અંગેનું કરારનામું પણ થઈ શકે છે. આ કરારમાં કુટુંબની કઈ વ્યક્તિઓ રોકાણનો કારભાર કરશે એની અને જરૂરી ગુપ્તતા જાળવવા માટેની જોગવાઈ પણ કરી શકાય. જ્યારે તમે આ અંગે અનિશ્ર્ચિત હો ત્યારે કાનૂની સલાહ લો.
 કંપનીનું બેકગ્રાઉન્ડ ચેક કરો 
કંપનીનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેકટસ કંપનીનું સાચું ચિત્ર દર્શાવવા માટેનો દસ્તાવેજ છે. કંપનીનો ઈતિહાસ અને અન્ય કંપનીઓ સાથેના તેના તાણાવાણા જાણવા માટેનો એ શ્રેષ્ઠ દસ્તાવેજ છે. કંપની આઈપીઓ લાવીને એટલે કે તમને શેરો વેચીને એ ભંડોળનું શું કરવા માગે છે એના પર ધ્યાન આપો. આ દસ્તાવેજ ઘણો લાંબો હોય છે પરંતુ તેમાંની મહત્ત્વની વિગતો જેવી કે જોખમી પરિબળો પર નજર ફેરવી લો એ જરૂરી છે. શું એ જોખમો તમે કે તમારા ભાગીદારો તમારી આર્થિક શક્તિનો વિચાર કરી લેવા માગો છો કે નહિ તે નક્કી કરો. કંપની વિરૂદ્ધ કયા અને કેવા કેસો પેન્ડિંગ છે એ પણ જાણી લો. આવા કેસોની યાદી પણ પ્રોસ્પેક્ટસમાં આપવામાં આવી હોય છે. કેસોનો નિકાલ કંપનીની તરફેણમાં આવવાની સંભાવનાનો અંદાજ પણ તમને તેનાથી આવી શકે છે. કંપની પર કેવી નાણાકીય જવાબદારી આવી શકે છે એ સમજી લેવામાં સાર.
માર્કેટ ઓવરવ્યુનું મહત્ત્વ
તમારે એ ન ભૂલવું જોઈએ કે તમે રોકાણકાર છો અને કંપનીએ ભૂતકાળમાં વેન્ચર કેપિટલિસ્ટ્સને જે વચનો આપીને રોકાણ પ્રાપ્ત કર્યું હતું એ હવે તમને આપવામાં આવી રહ્યાં છે પણ તમારી સ્થિતિ વેન્ચર કેપિટલિસ્ટ્સિની તુલનાએ ભિન્ન છે. એટલે તમારે સ્વતંત્ર રીતે વિચાર કરવો જોઈએ કે શું આ રોકાણ કરવું યોગ્ય છે કે નહિ. પ્રોસ્પેક્ટસમાં એક શીર્ષક હોય છે ‘માર્કેટ ઓવરવ્યૂ’ તેમાં બજારની સ્થિતિનો અને સંભવિત જોખમોનો ચિતાર હોય છે એનો વિચાર તમારા લાભ માટે કરી શકો છો. ઘણી એવી કંપનીઓના આઈપીઓ આવી રહ્યા છે, જેની સર્વિસીસ કે પ્રોડક્ટ્સ આપણે વાપરતા હોઈએ અથવા એવી કંપનીઓ કે જેને આપણે જાણતા હોઈએ. દાખલા તરીકે ઝોમેટો, પેટીએમ, નાયકા પરંતુ તેમાં રોકાણ કરવા માટે તો તે કંપનીઓની નાણાકીય સ્થિતિનો અભ્યાસ કરવો જ પડે. માત્ર સાંભળેલી વાતોથી કે પાયાની જાણકારીના આધારે તેમાં રોકાણ કરાય નહિ. 
 તમારી વર્તમાન કંપની સાથેનું ઘર્ષણ
જો તમે કોઈ કંપનીમાં કામ કરતા હો તો તમે જે કંપનીમાં રોકાણ કરવાના છો એ કંપની તમારી વર્તમાન કંપનીની હરીફ હોય તો તમારે સાવધ થઈ જવું જરૂરી છે. અગાઉ તો એવું હતું કે તમે વ્યક્તિગત રૂપે કોઈ પણ કંપનીમાં રોકાણ કરો એનાથી તમે જેમાં કામ કરો છો એ કંપનીને કશી લેવાદેવા નહોતી. પરંતુ હવે કંપનીઓ અગાઉથી એવી શરત તમારા નિમણૂક પત્રમાં સામેલ કરી દે છે કે તમે એ જ ક્ષેત્રની અન્ય કોઈ કંપનીમાં મૂડીરોકાણ નહિ કરો. તમારે રોકાણ કરવા પૂર્વે એ તપાસી લેવું જોઈએ કે તમે આવી કોઈ શરત પર સહી કરી છે કે નહિ. એ શક્ય છે કે તમે જે કંપનીમાં રોકાણ કરવા જઈ રહ્યા છો તે કંપની તમારી વર્તમાન કંપની સાથે સંઘર્ષમાં હોય.
 કેપિટલ ગેઈન્સ અને ટેકસ
તમે જે નફો આઈપીઓના લિસ્ટિંગ સમયે કમાઓ છો તેના પર કેપિટલ ગેઈન ટેક્સ લાગે છે અને તેની જાણ તમારે તમારા આવકવેરાના રિટર્નમાં કરવાની રહે છે. હવે પરમેનન્ટ એકાઉન્ટ નંબર (પાન) અને આધાર જોડાયેલાં હોવાથી એ સંભવ છે કે આવકવેરા વિભાગની નજર તમારા પર હોય અને તે એવી અપેક્ષા રાખતા હોય કે તમે પ્રામાણિકપણે આઈટી રિટર્ન ફાઈલ કરો. તમે જે રોકાણ કરો અને નફો કરો એનો સતત તાળો મેળવતા રહો. તમારા એ સોદાઓની તમારા આઈટી રિટર્ન પર શી અસર થશે એની સલાહ પણ પ્રોફેશનલ કરનિષ્ણાત પાસેથી લો. આઈટી રિટર્નમાં આવકનાં પાંચ શીર્ષક હોય છે અને તેમાં કેપિટલ ગેઈન્સનો પણ સમાવેશ છે એટલે તમે પગારની દૃષ્ટિએ આવકવેરાના નીચા ટેક્સ બ્રેકેટમાં ભલે આવતા હો પરંતુ એ શક્ય છે કે આઈપીઓ રોકાણમાંથી થયેલા નફાને પગલે તમે આવકવેરાના ઊંચા બ્રેકેટમાં આવી જાઓ.
આઈપીઓમાં રોકાણ કરતા ઈન્વેસ્ટરોની માનસિકતા
આઈપીઓમાં વિવિધ માનસિકતા સાથેના રોકાણકારો ભાગ લે છે. એક, સાવ નવા રોકાણકારો, જેઓ આઈપીઓને એન્ટ્રી પોઈન્ટ ગણે છે. બીજા, આઈપીઓમાં ઝટપટ નફો મેળવવા રોકાણ કરે છે, તેમનો હેતુ લિસ્ટિંગ બાદ ભાવ ઊંચા જાય કે તરત નફો લઈ લેવાનો હોય છે. ત્રીજા પ્રકારના રોકાણકાર કંપનીનો ટ્રેકરેકોર્ડ મજબૂત હોય અને પ્રમોટર્સ-મેનેજમેન્ટ ગ્રુપ સારું હોય તો લાંબા ગાળા માટે રોકાણ કરવાના ઈરાદાથી શેર જાળવી રાખવા રોકાણ કરે છે. ઘણાં આઈપીઓની ગ્રે માર્કેટ (બિન-સત્તાવાર) માર્કેટના ટ્રેન્ડને જોઈ રોકાણ કરે છે. અમુક પોતાની પાસેની વધારાની પ્રવાહિતાને આધારે રોકાણ કરી દે છે. હાલ તો મોટા ભાગના રોકાણકારો લિસ્ટિંગ બાદ તરત નફો કરવા રોકાણ કરતા થયા છે. અગાઉ લોકો લોંગ ટર્મ માટે કરતા હતા, હવે શોર્ટેસ્ટ ટાઈમ માટે કરે છે. આવા રોકાણકારો ફાઈનાન્સ મેળવીને રોકાણ કરતા હોવાથી તેમની હોલ્ડિંગ કેપેસિટી હોતી નથી. 

આઈપીઓ સંબંધી આ હકીકત કાયમ યાદ રાખો

આઈપીઓ માટે એક પાયાની વાત એ સમજી રાખો કે આઈપીઓ લાવનાર મોટાભાગની કંપનીઓ પોતાનું ગુલાબી ચિત્ર જ તમારી સમક્ષ મૂકશે. સેબીની આઈપીઓ સંબંધી ભાવ નીતિ મુકત હોવાથી કંપની તેના શેરની ઓફર પ્રાઈસ બેફામ મૂકે છે. મર્ચન્ટ બેન્કર્સ તેમને ફુલ સપોર્ટ કરે છે, કારણ કે તેમને તગડી ફી કંપની જ ચૂકવે છે. આ સાથે વિવિધ મીડિયા, પીઆર,ચોકકસ બ્રોકરોની મંડળી સહિત ઘણી તકવાદી હસ્તીઓ આ વહેતી ગંગામાં પોતાના હાથ ધોઈ લે છે, તેમને મન તો વર મરો, ક્ધયા મરો, ગોરનું તરભાણું ભરોનો મંત્ર જાપ ચાલતો હોય છે. કંપનીઓ એકવાર ભંડોળ ઊભું કરી લે એ પછી તે પોતાના પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે. આમાં મોટી રકમ ઘર ભેગી પણ કરાય છે. અથવા તેની બીજી કંપનીઓમાં પણ શિફટ કરાય છે. જેથી રોકાણકારોએ એ પણ જોવું જોઈએ કે કંપની કયાં નાણાંનો વપરાશ કરવા ભંડોળ ઊભું કરી રહી છે. એ પછી કંપની કયાં નાણાં વાપરી રહી છે. આ બધાં કંપનીના હિસાબમાં મળે છે. ઘણી કંપનીઓ પોતાનું દેવું ઓછું કરવા ભંડોળ ઊભું કરે છે. કેટલીક કંપનીઓ રોકાણકારોના ભોગે બિઝનેસના જોખમો ઊઠાવે છે. અમુક કંપનીઓ પોતાનું હોલ્ડિંગ ઓછું કરવા અને તેના અન્ય પ્રાથમિક રોકાણકારોને છૂટા કરવા આઈપીઓ લાવતી હોય છે, જેમાં નાણાં ખરેખર કંપનીના બિઝનેસમાં નહીં બલકે પ્રમોટર્સના અને પ્રાથમિક રોકાણકારોના ખિસ્સામાં જાય છે. તેથી જ અનેક આઈપીઓમાંથી કેટલાંય આઈપીઓ અમુક વરસ બાદ ગુમ થઈ જાય છે અથવા તેના શેરના ભાવ અડધા યા ઢીલા પડી જાય છે. તેનો ચાર્મ ખતમ થઈ જાય છે. ઉત્સાહથી શેરો ખરીદનારા રોકાણકારો છેલ્લે ઉદાસીન રહી જાય છે. હવે તમારે શું કરવું એ તમારે પોતાની વિવેકબુદ્ધિના આધારે નકકી કરવું જોઈશે.                                                          

November 27, 2021
fires.jpg
1min506
Gujarat: Fire Breaks Out At Rani Sati Dyeing Mill in Surat (Watch Video) |  ???? LatestLY

સુરતના ઇન્ડસ્ટ્રીટલ એરીયા, પાંડેસરા જીઆઈડીસીમાં આવેલી રાણી સતી ટેક્ષટાઇલ મિલમાં આજે તા.27મી નવેમ્બર 2021ની સવારે 10 વાગ્યાના સુમારે ભીષણ આંગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં હોહા મચી ગઇ હતી. આગને જોતા તેને મેજર કોલ તરીકે ગણીને ફાયર બ્રિગેડની 15 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગના ધુમાડાના કાળા ડિબાંગ ગોટેગોટા બે કિલોમીટર સુધી જોઇ શકાતા હતા. ફાયર વિભાગ દ્વારા ફોર્મયુક્ત પાણીનો મારો ચલાવી 2 કલાકેની જહેમતે આગ પર કાબૂ મેળવવામાં સફળતા મેળવી હતી. મળતી પ્રાથમિક માહિતી મુજબ આજે સવારે રાની સતિ મિલમાં રાબેતા મુજબ બોઇલર પાસે રૂટીન કામ ચાલતું હતું. એ દરમિયાન ઓઈલ લીકેજ થવાથી કેમિકલમાં સ્પાર્ક થતાં જ જોતજોતાંમાં ભીષણ આગ ફાટી નીકળી હોઇ શકે.

પાંડેસરા જીઆઇડીસીની રાણી સતી ડાઇંગ મિલમાં આગ લાગતાં ફાયર વિભાગને પાંચ ગેટની બહારથી 15 જેટલી ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી હતી. ફાયર વિભાગ દ્વારા ફોર્મયુક્ત પાણીનો મારો શરૂ કર્યો હતો અને આગને કાબૂમાં લેતા બે કલાક થયા હતા. ડાઇંગ પ્રિન્ટિંગની અંદર જે કેમિકલ અને યાર્નનો ઉપયોગ થાય છે એ પેટ્રોલિયમ પદાર્થોથી તૈયાર થતો હોય છે અને એને કારણે એ ખૂબ જ્વલનશીલ હોય છે. આ પદાર્થ પર સાદા પાણીથી કંટ્રોલ કરવો ખૂબ જ મુશ્કેલ બની જતું હોય છે, તેથી ફાયર વિભાગ દ્વારા ફોર્મયુક્ત પાણીનો મારો કર્યો હતો.

સુરતના મેયર હેમાલી બોઘાવાલા ઘટના સ્થળ પર પહોંચીને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે જણાવ્યું કે, આગ કાબૂમાં આવી ગઈ છે અને કૂલિંગનું કામ ચાલી રહ્યો છે. સમગ્ર ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. આગ લાગે ત્યારે ફાયર વિભાગના જવાનો આવે એ પહેલાં મિલના કેટલાક કર્મચારીઓ દ્વારા આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરાયો હતો. શહેરની મોટા ભાગની ફાયર વિભાગની ટીમોએ પહોંચીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

હાલમાં જ ત્રણ દિવસ બંધ રહ્યા બાદ આજે મિલ ચાલુ કરવા સમયે ઘટના બની હોવાનું બહાર આવ્યું છે. રાની સતિ મિલનું સ્ટ્રક્ચર અંદાજે 30 વર્ષ કરતાં પણ જૂની હોવાથી નબળું પડી ગયુ હોવાને કારણે ફાયરબ્રિગેડે સિફતપૂર્વક ઓગ ઓલવવાનું મુશ્કેલ બની રહ્યું હતું.

November 26, 2021
shreyas-iyer.jpg
1min437

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કરનાર ભારતના શ્રેયસ ઐયરે ધમાકેદાર સદી ફટકારીને નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ઐયર ડેબ્યૂ ટેસ્ટમાં જ સદી ફટકારનાર ભારતનો 16મો ભારતીય પ્લેયર બન્યો છે. કાનપુરના ગ્રીનપાર્ક સ્ટેડિયમમાં પ્રથમ ટેસ્ટ મેચના બીજા દિવસે શ્રેયસ ઐયરે જેમીસનના બોલ પર બે રન લઈને ટેસ્ટ કારકિર્દીની પ્રથમ સદી ફટકારી છે. શ્રેયસ ઐયરે 157 બોલમાં પોતાની સેન્ચુરી પૂર્ણ કરી હતી. ત્યારબાદ ટીમ સાઉથીના બોલ પર ઐયર 105 રને આઉટ થયો હતો. 
    
મુંબઈના બેટ્સમેને પોતાની પ્રથમ ટેસ્ટ સદીમાં 12 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. આ સાથે જ શ્રેયસ ઐયર લાલા અમરનાથ, ગુંડપ્પા વિશ્વનાથ સૌરવ ગાંગુલી, વિરેન્દ્ર સેહવાગ અને રોહિત શર્મા સહિતના દિગ્ગજ ખેલાડીઓની ક્લબમાં સામેલ થયો છે. ભારત તરફથી ટેસ્ટ ટેબ્યૂમાં સૌપ્રથમ સદી લાલા અમરનાથે ફટકારી હતી. ઐયર ન્યૂઝીલેન્ડ સામે ડેબ્યૂમાં ટેસ્ટ ફટકારનાર ત્રીજો ભારતીય બેટ્સમેન બન્યો છે.
 
લાલા અમરનાથે 1933માં 118, દીપક શોધને પાકિસ્તાન વિરુદ્ધ 1952માં 110 રન જ્યારે એજી કૃપાલ સિંહ 1955માં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 100 રનની અણનમ ઈનિંગ રમી હતી. આ ઉપરાંત અબ્બાસ અલી બેગે ઈંગ્લેન્ડ સામે 1959માં 112 રન કર્યા હતા જ્યારે હનુમંત સિંહે 1964માં ઈંગ્લેન્ડ સામે 105 રનની ઈનિંગ રમી હતી. ગુંડપ્પા વિશ્વનાથે ઓસ્ટ્રેલિયા સામે 1969માં 137 રન કર્યા હતા જ્યારે સુરિંદર અમરનાથે ન્યૂઝીલેન્ડ 1976માં સામે 124 રન કર્યા હતા. 1984માં પૂર્વ કપ્તાન મોહમ્મદ અઝરુદ્દીને ઈંગ્લેન્ડ સામે 110 રન, પ્રવીણ આમરેએ દક્ષિણ આફ્રિકા સામે 1992માં ટેસ્ટ ડેબ્યૂમાં 103 રન કર્યા હતા. સૌરવ ગાંગુલી આ યાદીમાં 10માં ક્રમે છે. વર્તમાન બોર્ડ અધ્યક્ષ ગાંગુલીએ 1996માં ઈંગ્લેન્ડ સામે 131 રન કર્યા હતા. ત્યારબાદ વિરેન્દ્ર સેહવાગે 2001માં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ 105 રન, 2010માં સુરેશ રૈનાએ શ્રીલંકા સામે 120 રન કર્યા હતા. 

શિખર ધવને ઓસ્ટ્રેલિયા સામે 2013માં ડેબ્યૂમાં 187 રન કર્યા હતા. રોહિત શર્માએ 2013માં વેસ્ટ ઈન્ડિઝ સામે 177 રન ફટકાર્યા હતા. પૃથ્વી શોએ 2018માં વેસ્ટ ઈન્ડિઝ સામે 134 રનની ઈનિંગ રમી હતી.