CIA ALERT

Blog - Page 12 of 707 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
June 23, 2026
image-14.png
1min149

નર્મદા જિલ્લાના દેડિયાપાડા વિસ્તારમાં વન વિભાગની જમીન સંબંધિત વર્ષો જૂના કેસમાં આજે(23મી જૂન) રાજપીપળા સેશન્સ કોર્ટે એક મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે આમ આદમી પાર્ટી(AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવા તેમજ તેમની પત્ની સહિત કુલ 9 આરોપીઓને આ કેસમાં દોષિત જાહેર કર્યા છે. કોર્ટે ચૈતર વસાવાને 7 વર્ષની જેલની સજા ફટકારી છે.

આ સમગ્ર વિવાદ નવેમ્બર 2023માં નોંધાયેલી એક સત્તાવાર પોલીસ ફરિયાદ સાથે જોડાયેલો છે. આ ફરિયાદ મુજબ, ધારાસભ્ય ચૈતર વસાવા પર આક્ષેપ હતો કે તેમણે વન વિભાગના કર્મચારીઓને વાતચીત કરવા ઘરે બોલાવ્યા હતા. આ દરમિયાન તેમની સાથે મારામારી કરી હતી. એટલું જ નહીં, તેઓને સરકારી ફરજ કરતાં અટકાવીને, હવામાં ફાયરિંગ કરીને, તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટના બન્યા બાદ ચૈતર વસાવા લાંબા સમય સુધી ફરાર રહ્યા હતા અને ઘટનાના 1 મહિના અને 9 દિવસ બાદ તેઓ પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. આ કેસમાં લાંબી કાયદેસરની કાર્યવાહી અને ટ્રાયલ બાદ કોર્ટે આ ચુકાદો આપ્યો છે.

આ મામલે માહિતી આપતા ઇન્ચાર્જ સરકારી વકીલ વંદના ભટ્ટે જણાવ્યું હતું કે, ‘આ કેસ વર્ષ 2023માં ફોરેસ્ટ ઑફિસર પર થયેલા હુમલા અંગેની છે. જેમાં ચૈતર વસાવા અને તેમની પત્ની સહિત કુલ 9 આરોપીઓ સામેલ છે. આજે કોર્ટે તમામ આરોપીઓને દોષિત જાહેર કરી સજા ફટકારવાનો આદેશ કર્યો છે.’

સરકારી વકીલના જણાવ્યાઅનુસાર, આ કેસ વર્ષ 2023 નો છે. દેડિયાપાડા વિસ્તારમાં વન વિભાગ (ફોરેસ્ટ) ની સરકારી જમીન પર વન કર્મચારીઓએ ગેરકાયદે થયેલું વાવેતર દૂર કર્યું હતું. આ બાબતની અદાવત રાખીને ધારાસભ્ય ચૈતર વસાવાએ વન કર્મચારીઓને પોતાના ઘરે બોલાવ્યા હતા. ત્યાં તેમને ધાક-ધમકી આપી, ધોલ-ધપાટ કરી અને પોતાની બંદૂક વડે હવામાં ગોળીબાર કરીને ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું. આટલું જ નહીં, તેના બીજા દિવસે ધારાસભ્યના પીએ (PA) અને અન્ય ઇસમોએ વન કર્મચારીઓ પાસે બે વ્યક્તિઓને આપવાના બહાને 60,000 રૂપિયાની ખંડણી માંગી હતી.

આ કેસમાં કાયદાકીય રીતે આરોપીઓને ભીંસમાં લેવા માટે સરકારી પક્ષે મજબૂત પુરાવા રજૂ કર્યા હતા. ભોગ બનનાર કર્મચારીએ ખંડણી આપવા માટે ડેડિયાપાડા નજીકના એટીએમ (ATM) માંથી પૈસા ઉપાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ટ્રાન્ઝેક્શન નિષ્ફળ જતાં સ્લીપ નીકળી હતી. ત્યારબાદ કર્મચારીએ પોતાના ઉપરી અધિકારીને ફોન કરતાં અધિકારીએ ઓનલાઇન ₹30-30 હજાર ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં આ રકમ જે વ્યક્તિની જમીન પર ગેરકાયદેસર વાવેતર હતું ત્યાંથી જ મળી આવી હતી. કોર્ટે આ આખી કડી કમ્પ્લીટ હોવાનું નોંધીને તમામ પુરાવા ગ્રાહ્ય રાખ્યા હતા.

અદાલતના હુકમ બાદ તમામ 5 પુરુષ આરોપીઓ અને 4 મહિલા આરોપીઓ (જેમાં એક ગર્ભવતી મહિલા અને એક નવજાત બાળકની માતા પણ સામેલ છે) ને રાજપીપળા જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયા છે. નવજાત બાળકની માતાએ બાળકને સાથે રાખવાની મંજૂરી માંગી છે.

ભારતીય બંધારણ અને લોકપ્રતિનિધિત્વ અધિનિયમના નિયમો અનુસાર, જો દેશના કોઈ પણ સાંસદ અથવા ધારાસભ્યને અદાલત દ્વારા 2 વર્ષ કે તેથી વધુની જેલની સજા ફટકારવામાં આવે, તો તેમનું સભ્યપદ તાત્કાલિક અસરથી રદ થઈ જાય છે. રાજપીપળા કોર્ટે ચૈતર વસાવાને પૂરા 7 વર્ષની સજા સંભળાવી હોવાથી, કાયદાકીય રીતે તેમનું ધારાસભ્ય પદ હવે રદ થવાના આરે છે. હવે વસાવા પાસે હાઇકોર્ટમાંથી આ સજા પર સ્ટે મેળવવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી.

June 23, 2026
image-13.png
1min153

કતારના પ્રખ્યાત રાસ લફાન લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) કોમ્પ્લેક્સમાં આવેલા બારઝાન ગેસ સપ્લાય પ્લાન્ટમાં એક ભીષણ વિસ્ફોટ થયો હતો. આ ભયાનક દુર્ઘટનામાં 12 ભારતીય નાગરિકો સહિત કુલ 13 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે અન્ય 66 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ બ્લાસ્ટ એટલો શક્તિશાળી હતો કે તેનો આંચકો 70 કિલોમીટર દૂર કતારની રાજધાની દોહા સુધી અનુભવાયો હતો.

આ ઘટના અંગે કતારના ઊર્જા મંત્રી અને ‘કતાર એનર્જી’ના ચીફ એક્ઝિક્યુટિવ સાદ અલ-કાબીએ પત્રકારો સાથે વાતચીત કરતા સત્તાવાર પુષ્ટિ કરી છે. તેમણે આ ઘટનાને એક ‘ટેકનિકલ અકસ્માત’ ગણાવ્યો છે અને મૃતકોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે અને ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરી દેવાઈ છે.

મંત્રી સાદ અલ-કાબીએ ભાવુક થઈને નિવેદન આપ્યું હતું કે, હું આજે મારી જાતને એક એવા સ્થાને ઊભેલી જોઈ રહ્યો છું, જ્યાં મારે કંઈક એવું કરવું પડી રહ્યું છે જેની મેં હંમેશા આશા રાખી હતી કે ક્યારેય ન કરવું પડે. મારે આપણા 13 લોકોના દુઃખદ અવસાનની જાહેરાત કરવી પડી રહી છે, જેઓ ભારતીય અને પાકિસ્તાની નાગરિકત્વ ધરાવતા હતા. આ સિવાય 66 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે અને તેઓની તબીબી સારવાર ચાલી રહી છે, સદનસીબે તેમાંથી કોઈની પણ સ્થિતિ જીવલેણ નથી.

આ વિસ્ફોટની તીવ્રતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે રાસ લફાન ઇન્ડસ્ટ્રિયલ સિટીથી 70 કિલોમીટર કરતાં વધુ દૂર આવેલા સેન્ટ્રલ દોહામાં પણ તેના આંચકા અનુભવાયા હતા. બ્લાસ્ટના કારણે દોહામાં ઘરોના બારી-બારણાં ધ્રૂજી ઉઠ્યા હતા, જેના લીધે સ્થાનિક રહીશોમાં ભારે ગભરાટ અને ભયનો માહોલ જોવા મળ્યો હતો. ઊર્જા મંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે આ દુર્ઘટનાથી કોઈ પર્યાવરણીય જોખમ ઊભું થયું નથી અને કતારની વૈશ્વિક LNG નિકાસ કામગીરીને કોઈ અસર થઈ નથી.

દોહા સ્થિત ભારતીય દૂતાવાસે આ દુર્ઘટના અંગે ઊંડો શોક વ્યક્ત કરતાં જણાવ્યું કે ગઈકાલે રાત્રે રાસ લફાન ઇન્ડસ્ટ્રિયલ સિટીમાં બનેલી દુઃખદ ઘટનામાં જે લોકો કાળનો કોળિયો બન્યા છે, તેમના પરિવારો પ્રત્યે અમે અમારી ઊંડી સંવેદનશીલતા વ્યક્ત કરીએ છીએ. અમે આ ઘટનાથી પ્રભાવિત થયેલા ભારતીય નાગરિકો અને તેમના પરિવારોને તમામ સંભવિત સહાય પૂરી પાડવા માટે કામ કરી રહ્યા છીએ.

આ વિસ્ફોટ એવા સમયે થયો છે જ્યારે આ પ્લાન્ટ તાજેતરમાં જ ઈરાન યુદ્ધ દરમિયાન થયેલા ભારે નુકસાનમાંથી રિકવર થઈ રહ્યો હતો. થોડા મહિના પહેલા જ ઈરાનની મિસાઈલોએ રાસ લફાનમાં આવેલા મુખ્ય ગેસ-પ્રોસેસિંગ યુનિટ્સને નિશાન બનાવ્યા હતા, જેના કારણે ત્યાંના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મોટું નુકસાન થયું હતું અને ઉત્પાદન ઠપ થઈ ગયું હતું.

આ પ્લાન્ટ ડિસેમ્બર 2025થી મેઇન્ટેનન્સના કારણે સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યો હતો અને દુર્ઘટનાના માત્ર બે દિવસ પહેલા જ તેને ફરીથી શરૂ કરવામાં આવ્યો હતો.

June 22, 2026
cia_edu-1280x925.jpg
2min198
  • IIIT સુરતે નવા અભ્યાસક્રમોની જાહેરાત કરી, પ્રવેશ ક્ષમતામાં વધારો કર્યો તથા સંશોધન, નવીનતા, સ્ટાર્ટઅપ્સ અને વૈશ્વિક સહયોગને વધુ ગતિ મળશે
  • AI, સેમિકન્ડક્ટર, ડિફેન્સ અને સ્પેસ ક્ષેત્રમાં ભારતની વધતી પ્રતિભાની માંગને અનુરૂપ નવા અભ્યાસક્રમોનો શૈક્ષણિક વર્ષ 2026-27થી પ્રારંભ થશે

ભારતીય માહિતી પ્રૌદ્યોગિકી સંસ્થા (IIIT) સુરત, જે રાષ્ટ્રીય મહત્વની સંસ્થા (Institute of National Importance) છે, એ શૈક્ષણિક વર્ષ 2026-27 થી બે નવા શૈક્ષણિક અભ્યાસક્રમો શરૂ કરવાની જાહેરાત કરી છે. સંસ્થા બી.ટેક. (ગણિત અને કમ્પ્યુટિંગ) તથા એમ.ટેક. (ઇલેક્ટ્રોનિક્સ અને કમ્યુનિકેશન એન્જિનિયરિંગ)માં ડિફેન્સ અને સ્પેસ ઇલેક્ટ્રોનિક્સ વિશેષતા સાથે નવા અભ્યાસક્રમો શરૂ કરશે.

નવા અભ્યાસક્રમોની શરૂઆત અંગે IIIT સુરતના નિયામક ડૉ. રાજીવ શૌરીએ જણાવ્યું હતું કે, “બી.ટેક. ગણિત અને કમ્પ્યુટિંગ તથા એમ.ટેક. ડિફેન્સ અને સ્પેસ ઇલેક્ટ્રોનિક્સ અભ્યાસક્રમોની શરૂઆત, ભવિષ્યની ટેકનોલોજીકલ માંગને ધ્યાનમાં રાખી અને રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ સાથે સુસંગત શૈક્ષણિક અભ્યાસક્રમો વિકસાવવાની IIIT સુરતની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. આ અભ્યાસક્રમો વિદ્યાર્થીઓને મજબૂત સિદ્ધાંત આધાર અને વ્યવહારુ કૌશલ્ય પ્રદાન કરવા માટે રચવામાં આવ્યા છે, જે ભારતના ટેકનોલોજીકલ અને આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.”

IIIT સુરતના બોર્ડ ઓફ ગવર્નર્સ (BoG)ના સભ્ય શ્રીમતી આશા દવેએ જણાવ્યું હતું કે, “IIIT સુરતે નવીન શૈક્ષણિક અભ્યાસક્રમો અને મજબૂત રાષ્ટ્રીય તથા વૈશ્વિક સહયોગો દ્વારા ઉદ્યોગ અને સમાજની ઊભરતી જરૂરિયાતોને સતત પ્રતિસાદ આપ્યો છે. આ નવા અભ્યાસક્રમોની શરૂઆતથી અદ્યતન કમ્પ્યુટિંગ, સંરક્ષણ ટેકનોલોજી, સેમિકન્ડક્ટર અને અવકાશ પ્રણાલીઓ જેવા રાષ્ટ્રીય વ્યૂહાત્મક ક્ષેત્રો માટે ઉચ્ચ કૌશલ્ય ધરાવતી માનવશક્તિ તૈયાર કરવામાં સંસ્થાનું યોગદાન વધુ મજબૂત બનશે. આ સ્થાનિક ઉદ્યોગ અને નવીનતા ઇકોસિસ્ટમ માટે પણ વિશાળ તકો ઊભી કરશે.“

આ નવા અભ્યાસક્રમો સાથે IIIT સુરતના B.Tech. અભ્યાસક્રમોની કુલ સંખ્યા પાંચ થશે, જેમાં Computer Science and Engineering (CSE), Computer Science and Engineering (Artificial Intelligence & Machine Learning), Computer Science and Engineering (Cyber Security), Electronics and Communication Engineering (ECE) તથા Mathematics & Computing નો સમાવેશ થાય છે. સંસ્થા ત્રણ M.Tech. અભ્યાસક્રમો પણ શરૂ કરશે, જેમાં Computer Science and Engineering (Data Science & AI-ML), Electronics and Communication Engineering (VLSI) તથા Electronics and Communication Engineering (Defence & Space Electronics) નો સમાવેશ થાય છે.

આ નવા સોપાનોને ટેકો આપવા માટે IIIT સુરતે પોતાની શૈક્ષણિક ક્ષમતામાં નોંધપાત્ર વધારો કર્યો છે. બી.ટેક. કાર્યક્રમોમાં પ્રવેશ ક્ષમતા 280 થી વધારીને 384 બેઠકો કરવામાં આવી છે, જ્યારે એમ.ટેક. કાર્યક્રમોમાં પ્રવેશ ક્ષમતા 40 થી વધારીને 60 બેઠકો કરવામાં આવી છે. સંસ્થા તેના પીએચ.ડી. કાર્યક્રમો અને આંતરવિષયક સંશોધનના પ્રારંભ દ્વારા કૃત્રિમ બુદ્ધિમત્તા, સાયબર સિક્યોરિટી, VLSI ડિઝાઇન, રોબોટિક્સ, કમ્યુનિકેશન સિસ્ટમ્સ અને સ્પેસ ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં સંશોધન અને નવીનતાને સતત પ્રોત્સાહન આપી રહી છે.
IIIT સુરત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અગ્રણી ઉદ્યોગો તથા શૈક્ષણિક સંસ્થાઓ સાથેના મજબૂત સહયોગો દ્વારા ટેકનોલોજીકલ શ્રેષ્ઠતાના કેન્દ્ર તરીકે પોતાની ઓળખ વધુ મજબૂત બનાવી રહ્યું છે.

સંસ્થાએ Advanced Micro Devices (AMD), USA; MediaTek, Taiwan; Bosch;
ISRO Space Applications Centre (SAC); તેમજ ભારત અને વિદેશના અનેક સ્ટાર્ટઅપ્સ સાથે સમજુતી કરારો (MoU) કર્યા છે. ઉપરાંત, સંસ્થાએ IIT Gandhinagar, IIIT Bangalore, IITMO University (Russia),Singapore Management University (Singapore), University of Siena (Italy) અને Deakin University, (Australia) જેવી અગ્રણી સંસ્થાઓ સાથે શૈક્ષણિક સહયોગ સ્થાપ્યો છે.

35 નિયમિત ફેકલ્ટી સભ્યો અને 13 Professors of Practice તથા Adjunct Faculty સાથે સંસ્થાએ જાન્યુઆરીથી જૂન 2026 દરમિયાન 45 કરતાં વધુ સંશોધન પેપરો પ્રકાશિત કર્યા છે અને 2 પેટન્ટ પ્રાપ્ત કર્યા છે. સંસ્થાએ ઉદ્યોગસાહસિકતા માટે પણ સશક્ત માહોલ ઊભો કર્યો છે, જેના પરિણામે તેની સ્થાપના પછીથી વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી દ્વારા પાંચ સ્ટાર્ટઅપ્સ ઇન્ક્યુબેટ કરવામાં આવ્યા છે.

IIIT સુરતે પ્લેસમેન્ટ ક્ષેત્રમાં પણ ઉત્તમ પ્રદર્શન કર્યું છે. શૈક્ષણિક વર્ષ 2025-26 દરમિયાન સંસ્થાનો સર્વોચ્ચ વાર્ષિક પગાર પેકેજ ₹54.89 લાખ (LPA) અને સરેરાશ વાર્ષિક પગાર પેકેજ ₹14.85 લાખ (LPA) રહ્યો હતો, જે ગુણવત્તાસભર શિક્ષણ, સંશોધન, નવીનતા અને ઉદ્યોગ-તૈયાર માનવશક્તિ નિર્માણ પ્રત્યેની સંસ્થાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

આ નવા અભ્યાસક્રમોની શરૂઆત ભવિષ્ય માટે પ્રતિભાઓને તૈયાર કરી અને ભારતની ટેકનોલોજીકલ પ્રગતિમાં યોગદાન આપવાના IIIT સુરતના ધ્યેય તરફનું વધુ એક મહત્વપૂર્ણ પગલું છે.

June 18, 2026
Cia_business_news-1280x936.jpg
1min195
  • ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ટેક્ષટાઇલ્સ એસોસીએશન્સ (ફોસ્ટા)ના નવનિર્વાચિત બોર્ડની પહેલી મિટીંગમાં
  • કોષાધ્યક્ષ તરીકે નીરજ અગ્રવાલની વરણી,પૂર્વ કૈલાશ હાકિમે નવી ટીમને કાર્યભાર સોંપી દીધો
  • ગીરીશ મિત્તલની સંગઠન મહામંત્રી તરીકે નિયુક્તિ

સુરત, તા.18
તાજેતરમાં નવનિર્વાચીત થયેલા ફોસ્ટા બોર્ડ ઓફ ડિરેક્ટર્સની પહેલી મિટીંગ આજે યોજાઇ હતી અને આ મિટીંગમાં દેશમાં ટેક્ષટાઇલ વેપારીઓના સૌથી મોટા સંગઠન ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ટેક્ષટાઇલ એસોસીએસન્સ (ફોસ્ટા)ના નવા પ્રમુખ તરીકે હંસરાજ જૈન, સેક્રેટરી તરીકે દિનેશ કટારીયા અને કોષાધ્યક્ષ તરીકે નીરજ અગ્રવાલની સર્વસંમતિથી વરણી કરવામાં આવી હતી. ફોસ્ટાના વિદાય લેતા પ્રમુખ કૈલાશ હાકીમે નવી ટીમને કાર્યભાર સુપરત કરી દીધો હતો.

ફોસ્ટાના તત્કાલિન પ્રમુખ કૈલાશ હાકીમે જણાવ્યું હતું કે આજે સાંજે 5 કલાકે ફોસ્ટા કાર્યાલય ખાતે ફોસ્ટાની નવ નિર્વાચીત ટીમની પહેલી બોર્ડ મિટીંગ યોજાઇ હતી. જેમાં અધ્યક્ષ પદે હંસરાજ જૈન, સેક્રેટરી તરીકે દિનેશ કટારીયા તેમજ કોષાધ્યક્ષ તરીકે નીરજ અગ્રવાલ તેમજ સંગઠન મહામંત્રી તરીકે ગીરીશ મિત્તલના નામની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી, જેને સર્વાનુંમતે મંજૂર કરવામાં આવી હતી.
ફોસ્ટાના નવા વરાયેલા પ્રમુખ હંસરાજ જૈન તેમજ સેક્રેટરી દિનેશ કટારીયાએ મિડીયા કર્મીઓને પોતાના પહેલા સ્ટેટમેન્ટમાં જણાવ્યું કે તેઓ સુરતના 75 હજારથી વધુ ટેક્ષટાઇલ વેપારીઓ માટે જે રીતે વિતેલા ત્રણ વર્ષ દરમિયાન આયોજનબદ્ધ રીતે કામગીરી કરવામાં આવી, વેપારીઓને સ્પર્શતા પ્રશ્નોને ટોપ પ્રાયોરિટી પર રાખીને તેનું નિરાકરણ લાવવાની અપનાવેલી સિસ્ટમને આગળ વધારવામાં આવશે. તેમજ આગામી ત્રણ વર્ષ દરમિયાન વધુને વધુ વેપારીઓ ફોસ્ટા સંગઠનના મેમ્બર બને તે માટે મુહિમ ચલાવવામાં આવશે.

June 18, 2026
image-12.png
1min142

આખરે અમેરિકા અને ઈરાન યુદ્ધનો અંત આવી આવી ગયો છે. અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાનના રાષ્ટ્ર પ્રમુખ મસૂદ પેઝેશ્કિયાન બંને દેશો વચ્ચે છેલ્લા કેટલાય મહિનાઓથી ચાલી રહેલા યુદ્ધને ખતમ કરવા માટે MoU પર ઔપચારિક રીતે હસ્તાક્ષર કરી દીધા છે. અમેરિકન અને ઈરાની અધિકારીઓના જણાવ્યા અનુસાર, બંને દેશોના રાષ્ટ્ર પ્રમુખોએ બુધવારે આ એમઓયુ પર સાઇન કર્યા. આ કરાર તાત્કાલિક અસરથી લાગુ થઈ ગયો છે.

અમેરિકન અધિકારીના જણાવ્યા મુજબ, રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પે ફ્રાન્સના પેલેસ ઓફ વર્સેલ્સમાં મેક્રોન સાથે ડિનર દરમિયાન અમેરિકા-ઈરાન એગ્રીમેન્ટની હાર્ડ કોપી પર પણ સત્તાવાર રીતે હસ્તાક્ષર કરી દીધા. સાઇન કરવામાં આવેલી એગ્રીમેન્ટની કોપી ઈરાન અને મધ્યસ્થતા કરાવી રહેલા દેશોને મોકલી દેવામાં આવી છે. આ પહેલા રવિવારે અમેરિકન ઉપરાષ્ટ્ર પ્રમુખ જેડી વેન્સ અને ઈરાનના મુખ્ય વાર્તાકાર મોહમ્મદ બાકેર ગાલિબાફે એમઓયુ પર ઈલેક્ટ્રોનિક રીતે સાઇન કર્યા હતા. અમેરિકન અધિકારીઓનું કહેવું છે કે એમઓયુ પર સાઇન થવાથી બંને દેશો વચ્ચે આશરે ચાર મહિનાથી ચાલી રહેલો સંઘર્ષ ખતમ થઈ ગયો છે.

જો કે, શુક્રવારે બંને દેશોના વાર્તા દળોનું જિનીવામાં એકઠા થવાનો કાર્યક્રમ હજુ પણ નક્કી છે. ઈરાની અધિકારીઓએ જણાવ્યું કે શુક્રવારે સ્વિટ્ઝર્લેન્ડમાં યોજાનારી બેઠકનો ઉદ્દેશ્ય કરાર પર હસ્તાક્ષર કરવાનો નથી. સાથે જ, આ બેઠક વાસ્તવમાં થશે કે નહીં, તેના પર અંતિમ નિર્ણય આગામી થોડા કલાકોમાં લેવામાં આવે તેવી અપેક્ષા છે. પરંતુ આનાથી એવો પણ સંકેત મળે છે કે દસ્તાવેજ પર ડિજિટલ રીતે હસ્તાક્ષર થઈ ચૂક્યા છે તેથી સ્વિટ્ઝર્લેન્ડમાં આમને-સામને યોજાનારા હસ્તાક્ષર સમારોહનું આયોજન કરવામાં આવશે નહીં.

પરંતુ આનાથી એવો પણ સંકેત મળે છે કે દસ્તાવેજ પર ડિજિટલ રીતે હસ્તાક્ષર થઈ ચૂક્યા છે તેથી સ્વિટ્ઝર્લેન્ડમાં આમને-સામને યોજાનારા હસ્તાક્ષર સમારોહનું આયોજન કરવામાં આવશે નહીં. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બઘાઈએ જણાવ્યું કે તેહરાનને પોતાના ક્રૂડનું વેચાણ કોઈપણ પરિવહન કે વીમા સંબંધિત પ્રતિબંધો વિના કરવાની મંજૂરી મળવી જોઈએ. તે વેચાણમાંથી થનારી આવક સુધી તેની સંપૂર્ણ પહોંચ હોવી જોઈએ.

શાંતિ ડીલ Points

-લેબનાન સહિત અન્ય તમામ સંઘર્ષવાળા મોરચાઓ પર કાયમી યુદ્ધવિરામ
-એકબીજાની સાર્વભૌમત્વ, પ્રાદેશિક અખંડિતતાનું સન્માન, આંતરિક બાબતોમાં દખલ નહીં કરે
-60 દિવસમાં અંતિમ કરાર પર સંમતિ. સંમતિથી આ સમય મર્યાદાને વધારી શકાય છે
-અમેરિકન નૌસેનાની નાકાબંધી સંપૂર્ણપણે દૂર થશે અને ઈરાન બાબતોમાં તેની દખલગીરી નહીં હોય
-30 દિવસમાં હોર્મુઝથી જહાજોની અવરજવર પુનઃસ્થાપિત કરવી
-અમેરિકા અને તેના સહયોગીઓ દ્વારા ઈરાનને 300 અબજ ડોલરની વિકાસ યોજનાની ઓફર
-અમેરિકા, ઈરાન પર લાગુ તમામ પ્રકારના પ્રતિબંધો હટાવશે
-ઈરાન પરમાણુ હથિયાર નહીં બનાવે, સંવર્ધિત યુરેનિયમ પર અંતિમ કરાર પહેલા વાત થશે

તેમણે એમ પણ કહ્યું કે અમેરિકાએ ઈરાનની ફ્રીઝ કરાયેલી સંપત્તિઓ સુધી તેની પહોંચમાં રહેલા અવરોધોને હટાવવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. ઈરાન ઈચ્છે છે કે તે પોતાના ક્રૂડની નિકાસ મુક્ત રીતે કરી શકે. તેના ક્રૂડને લઈ જનારા જહાજો અને વીમા સેવાઓ પર કોઈ રોક ન હોય અને ક્રૂડ વેચાણથી થનારી કમાણી સીધી તેને પ્રાપ્ત થઈ શકે. ઈરાનનું કહેવું છે કે આગામી 60 દિવસ સુધી બંને દેશોએ સંયમ રાખવો પડશે અને એવા કોઈપણ રાજકીય, આર્થિક કે સૈન્ય પગલાંથી બચવું પડશે જેનાથી કરારના અમલીકરણ અને પરસ્પર વિશ્વાસ પર નકારાત્મક અસર પડે.

જણાવી દઈએ કે આ પહેલા સ્વિટ્ઝર્લેન્ડના લૂઝર્ન શહેર નજીક બર્ગનસ્ટોક રિસોર્ટમાં શુક્રવારે યોજાનારા હસ્તાક્ષર સમારોહની તૈયારીઓ વચ્ચે અમેરિકન અધિકારીઓએ ચેતવણી આપી હતી કે આ કરાર માત્ર એક પ્રારંભિક માળખું છે. બંને પક્ષો કોઈપણ સમયે અંતિમ કરારથી પાછળ હટી શકે છે. એક વરિષ્ઠ અમેરિકન અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે સ્વિટ્ઝર્લેન્ડમાં યોજાનારી આગળની વાર્તા એ નક્કી કરશે કે આ માળખું એક પૂર્ણ અને કાયમી કરારમાં બદલાઈ શકશે કે નહીં. બીજી તરફ, બંને દેશો વચ્ચે થયેલી સહમતિ મુજબ, હસ્તાક્ષર બાદ 60 દિવસનો વાતચીતનો સમયગાળો શરૂ થશે, જેને બંને પક્ષોની સહમતિથી લંબાવી શકાય છે. આ જ સમયગાળામાં અંતિમ કરારની વિગતો નક્કી કરવામાં આવશે.

June 17, 2026
image-10-1280x853.png
1min107

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે એક જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં જણાવાયું છે કે કફ સિરપ સહિત તમામ પ્રકારની સીરપ હવે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના મળશે નહીં. આ સીરપ ખરીદવા માટે ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન જરૂરી રહેશે. સરકારે ડ્રગ્સ રૂલ્સ, 1945માં એક નવો સુધારો કર્યો છે, જેમાં કફ સિરપ સહિત તમામ સીરપના વેચાણ માટેના નિયમો કડક બનાવવામાં આવ્યા છે. આનો અર્થ એ થયો કે ગ્રાહકોને હવે ફાર્મસીઓમાંથી આવી દવાઓ ખરીદવા માટે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શનની જરૂર પડશે..

દવાની ગુણવત્તા અને દર્દીની સલામતીની ચિંતાઓ વચ્ચે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે દેશભરમાં ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના કફ સિરપ સહિત સીરપના વેચાણ પર પ્રતિબંધ મૂકવા માટે નિયમોમાં સુધારો કર્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ પગલાનો હેતુ કફ સિરપ સહિત સીરપ આધારિત ફોર્મ્યુલેશનને કડક નિયમનકારી દેખરેખ હેઠળ લાવવાનો છે.

મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું હતું કે આ ફેરફાર અગાઉ શિડ્યુલ-કેની એન્ટ્રી નંબર 13 હેઠળ 1000થી ઓછી વસ્તી ધરાવતા ગામમાં કફ સિરપના વેચાણની મંજૂરી હતી જેના માટે ચોક્કસ છૂટક વેચાણ લાઇસન્સિંગ સાથે જોડાયેલા કેટલાક નિયમોનું પાલન જરૂરી નહોતું.

ઉક્ત એન્ટ્રીમાંથી “સીરપ” શબ્દને બાદ કરતાં કફ સિરપ માટે આ મુક્તિ હવે ઉપલબ્ધ રહેશે નહીં. પરિણામે નાના ગામડાઓમાં કફ સિરપનું વેચાણ અને વિતરણ હવે ડ્રગ્સ અને કોસ્મેટિક્સ એક્ટ, 1940 અને તેના હેઠળ રચાયેલા નિયમોની જોગવાઈઓ અનુસાર યોગ્ય રીતે લાઇસન્સ પ્રાપ્ત ફાર્મસીઓ દ્વારા જ કરવાની રહેશે.”

આ ફેરફાર ડ્રગ્સ (પાંચમા સંશોધન) નિયમ, 2026 દ્વારા સૂચિત કરવામાં આવ્યો છે, જે સત્તાવાર ગેઝેટમાં પ્રકાશિત થયો છે. ડ્રગ્સ રૂલ્સ, 1945ની શેડ્યૂલ-કે ડ્રગ્સ અને કોસ્મેટિક્સ એક્ટ, 1940ની કેટલીક જોગવાઈઓ અને તેના હેઠળ બનાવેલા નિયમોમાંથી દવાઓના ચોક્કસ વર્ગો માટે છૂટ આપે છે. તે દવાઓની શ્રેણીઓનો ઉલ્લેખ કરે છે જે ડ્રગ્સ અને કોસ્મેટિક્સ એક્ટ અને નિયમો હેઠળ ઉત્પાદન, વેચાણ અને વિતરણ સંબંધિત ચોક્કસ જોગવાઈઓમાંથી મુક્તિ આપે છે, જે નિર્ધારિત શરતોને આધીન છે.ફિફા વર્લ્ડ કપ

આ પગલું ગયા વર્ષે ડિસેમ્બરમાં સરકાર દ્વારા જાહેર કરાયેલ ડ્રાફ્ટ નોટિફિકેશનને અનુસરે છે જેમાં હિસ્સેદારો પાસેથી વાંધા અને સૂચનો માંગવામાં આવ્યા હતા. આ ફેરફાર સિરપ ફોર્મ્યુલેશનની નિયમનકારી દેખરેખને મજબૂત કરવા અને સમકાલીન જાહેર આરોગ્ય અને સલામતી આવશ્યકતાઓ સાથે મુક્તિ માળખાને સંરેખિત કરવા માટે હાથ ધરવામાં આવ્યો છે. આ પગલાથી દેશભરમાં કફ સિરપના જવાબદાર વિતરણ અને વેચાણને પ્રોત્સાહન મળવાની અપેક્ષા છે.”

આ ફેરફાર ત્યારે કરવામાં આવ્યો છે જ્યારે તાજેતરના વર્ષોમાં કેટલાક દેશોમાં સિરપમાં ભેળસેળના કારણે બાળકોના મૃત્યુના અહેવાલો બહાર આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સુધારાથી ઉત્પાદકો અને વેચાણકર્તાઓ કડક લાઇસન્સિંગ અને ગુણવત્તા-નિયંત્રણ આવશ્યકતાઓનું પાલન કરે છે તેની ખાતરી કરવામાં આવે છે.

June 17, 2026
image-9-1280x720.png
1min169

મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી ગરમાવો આવી ગયો છે. ઉદ્ધવ ઠાકરે (UBT)ની શિવસેનામાં મોટું ભંગાણ થવા જઇ રહ્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. ઉદ્ધવના 9માંથી 6 સાંસદ બળવાખોર બનવાના મૂડમાં છે. UBT સાંસદ સંજય રાઉતે મોટો દાવો કર્યો છે. રાઉતે દેવેન્દ્ર ફડણવીસને ટેગ કરીને દાવો કર્યો છે કે ઉદ્ધવ જૂથના સાંસદોને 15-15 કરોડની ઓફર આપવામાં આવી રહી છે. UBTના ઘણાં સાંસદોના ફોન સ્વીચ ઓફ આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 6 થી 7 સાંસદો એકનાથ શિંદે જૂથમાં સામેલ થઇ શકે છે.

અગાઉ શિવસેના (શિંદે) નેતા પ્રતાપ સરનાઇકે સંકેત આપ્યો હતો કે અમારી પાર્ટીમાં બળવાખોર સાંસદો(UBT)નું સ્વાગત કરવામાં આવશે. સરનાઇકના સંકેતોથી ઉદ્ધવ જૂથમાં વિદ્રોહની સંભાવનાને બળ મળ્યું હતું. સંજય રાઉત દિલ્હી પહોંચ્યા ત્યારે જ ઉદ્ધવ જૂથના સાંસદોના પક્ષ પલટાની ચર્ચાઓ શરુ થઇ ગઇ હતી. એવું માનવામાં આવતું હતું કે રાઉત શિવસેનાના બાગી 9 સાંસદો દ્વારા અલગ સમૂહ બનાવવાની સંભાવનાને રોકવા માટે લોકસભા અધ્યક્ષ બિરલા સાથે મુલાકાત કરી શકે છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર મોડી રાત્રે કરેલી એક પોસ્ટમાં સંજય રાઉતે કહ્યું, ‘અપના સપના મની… મની! એવા સમાચાર છે કે મહારાષ્ટ્રના સાંસદોને ખરીદવા માટે આજે રાત્રે 15 કરોડ રૂપિયાની એડવાન્સ રકમ આપવામાં આવશે. આ ચોંકાવનારું અને શરમજનક છે!’ આ પહેલા સંજય રાઉત અને તેમની પાર્ટી શિવસેના (UBT) ના સાથી અને લોકસભા સાંસદ અનિલ દેસાઈએ કેટલાક સાંસદો અલગ જૂથ બનાવી શકે છે એ વાતને નકારી કાઢી હતી.

સાંસદો વચ્ચે બળવાની ચર્ચાઓ વચ્ચે શિવસેના નેતા અને રાજ્યના પરિવહન મંત્રી સરનાઇકે સંકેતમાં બળવાખોર સાંસદોને એક પ્રકારે આમંત્રણ આપ્યું. તેમણે કહ્યું, ‘જો સાંસદ અને ધારાસભ્ય જેવા જનપ્રતિનિધિઓને તેમના નેતૃત્વ પર ભરોસો નથી… જો તેઓ શિવસેનાના સ્થાપક બાળ ઠાકરેના આદર્શોમાં વિશ્વાસ રાખે છે અને એકનાથ શિંદેના નેતૃત્વ પર ભરોસો કરવા તૈયાર છે, તો શિવસેનાના દરવાજા તેમના માટે ખુલ્લા છે.’ તેમણે વધુમાં કહ્યું, ‘જો તેઓ ભવિષ્યમાં ક્યારેય એવું વિચારશે, તો અમે તેમને પ્રાધાન્ય આપીશું.’ તેમની આ ટિપ્પણી શિવસેના (UBT) ના સાંસદ સંજય દેશમુખે દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી અને શિવસેના નેતા પ્રતાપરાવ જાધવ સાથે મુલાકાત કર્યાના એક દિવસ પછી આવી છે.

રવિવારે ઉદ્ધવ ઠાકરેના નિવાસ્થાને શિવસેના (UBT)ના 9માંથી માત્ર ચાર સાંસદો જ બેઠકમાં વ્યક્તિગત રીતે હાજર રહ્યા બાદ પક્ષ પલટાની શક્યતાઓને વધુ બળ મળ્યું. સંજય રાઉતે દાવો કર્યો હતો કે બાકીના પાંચ સાંસદો ડિજિટલ માધ્યમથી અને ફોન દ્વારા બેઠકમાં જોડાયા હતા. મંગળવારે સંજય રાઉતે કહ્યું કે ખોટું ચિત્ર રજૂ કરવામાં આવી રહ્યું છે અને ભારપૂર્વક જણાવ્યું કે તમામ સાંસદો મજબૂતાઈથી પાર્ટી અને ઉદ્ધવ ઠાકરેની સાથે છે.

June 16, 2026
image-8.png
2min178

ભારતમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ: આ પ્લેટફોર્મનો ઉપયોગ લીક થયેલા પ્રશ્નોનું પ્રસારણ કરવા અને નેટવર્ક સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ, વચેટિયાઓ અને અન્ય લોકો સાથે વાતચીત કરવા માટે કરવામાં આવતો હોવાનું માનવામાં આવે છે.

વ્યાપક પેપર લીકના આરોપો અને અનિયમિતતાને કારણે દેશની મુખ્ય અંડરગ્રેજ્યુએટ મેડિકલ પ્રવેશ પરીક્ષા આ વર્ષની શરૂઆતમાં રદ થયા પછી, રાષ્ટ્રીય પાત્રતા કમ પ્રવેશ પરીક્ષા (NEET)નું આયોજન કરવા માટે જવાબદાર રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી (NTA) ની વિનંતી પર ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલયે ભારતમાં લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ ટેલિગ્રામને 22 જૂન સુધી બ્લોક કરી દીધું છે.

પેપર લીકના કારણે 3 મેના રોજ યોજાનારી પ્રારંભિક પરીક્ષા રદ થયા પછી, 21 જૂને યોજાનારી NEETની પુનઃપરીક્ષાના એક દિવસ પછી ટેલિગ્રામ પર પ્રતિબંધ લાગુ પડે છે. આ પ્લેટફોર્મનો ઉપયોગ લીક થયેલા પ્રશ્નોનું પ્રસારણ કરવા અને નેટવર્ક સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ, વચેટિયાઓ અને અન્ય લોકો સાથે વાતચીત કરવા માટે કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે.

બ્લોકિંગ ઓર્ડર ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ, 2000 ની કલમ 69(A) હેઠળ જારી કરવામાં આવ્યો છે. સરકારે ટેલિગ્રામને 30 જૂન સુધી પોસ્ટ કરાયેલા સંદેશાઓના સંદર્ભમાં ભારતમાં તેની સંદેશ-સંપાદન સુવિધાને અક્ષમ કરવાનો નિર્દેશ પણ જારી કર્યો છે. NTA એ જણાવ્યું હતું કે, આ “રાષ્ટ્રીય પરીક્ષાઓના સંદર્ભમાં ઘટના પછીના ‘પેપર લીક’ પુરાવા બનાવવા માટે પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવેલ ચોક્કસ માળખાકીય સુવિધા” ને સંબોધશે.

NTA એ કહ્યું, “આ નિર્દેશો છેલ્લા ઉપાય તરીકે છે.”

ટેલિગ્રામ પર પ્રતિબંધ પાછળનો તર્ક

એક નિવેદનમાં, NTA એ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક અઠવાડિયામાં, પ્લેટફોર્મ પર ખુલ્લેઆમ કાર્યરત ટેલિગ્રામ ચેનલોએ ઉમેદવારો અને તેમના પરિવારો પાસેથી પુનઃપરીક્ષા પેપરની કથિત ઍક્સેસના બદલામાં થોડા હજારથી લઈને લાખો રૂપિયા સુધીની રકમની માંગણી કરી હતી. NTA મુજબ, આમાંની કેટલીક ચેનલો ખુલ્લેઆમ તેમના નામો દ્વારા તેમના હેતુની જાહેરાત કરી રહી હતી: “પેપર લીક્ડ NEET”, “Re-NEET 2026”, “ખાનગી માફિયા”, અને “REE NEET MAFIAA”. તેમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે “સુરક્ષિત પરીક્ષા શૃંખલાની બહાર” આવા કોઈ પેપર ઉપલબ્ધ નહોતા.

૧૫ જૂનના રોજ, ધ ઇન્ડિયન એક્સપ્રેસે અહેવાલ આપ્યો હતો કે અમદાવાદ શહેર પોલીસની સાયબર ક્રાઇમ શાખાએ સોમવારે રાજસ્થાનના બે માણસોની ધરપકડ કરી હતી, જેમણે NEET (UG) પુનઃપરીક્ષા પ્રશ્નપત્ર હોવાનો દાવો કરીને અને તેને વેચવાની ઓફર કરીને ટેલિગ્રામ દ્વારા મેડિકલ ઉમેદવારો અને તેમના માતાપિતા સાથે છેતરપિંડી કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે આ બંને પાસે કોઈ લીક થયેલા દસ્તાવેજો નથી.

NTA, બિહાર, ગુજરાત અને રાજસ્થાનના પોલીસ દળો સહિત રાજ્ય કાયદા અમલીકરણ એજન્સીઓ તરફથી મળેલા ઇનપુટ્સ અને જાહેર ચેનલો અને પ્લેટફોર્મ પર સતત દેખરેખ રાખવાથી, ભારતીય સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) એ “નોંધપાત્ર” સંખ્યામાં ટેલિગ્રામ ચેનલો, જૂથો અને બોટ્સને તાત્કાલિક દૂર કર્યા છે, જેમના નામ અને સામગ્રીએ ખુલ્લેઆમ તેમના કપટપૂર્ણ અને ભ્રામક હેતુઓની જાહેરાત કરી હતી, પરીક્ષણ એજન્સીએ જણાવ્યું હતું.

સંદેશ-સંપાદનને અક્ષમ કરવાનો નિર્દેશ શા માટે

ટેલિગ્રામને ભારતમાં 30 જૂન સુધી તેના સંદેશ-સંપાદન સુવિધાને અક્ષમ કરવાની આવશ્યકતા ધરાવતી સૂચના “અલગ પરંતુ સંબંધિત ચિંતા” ને સંબોધે છે, NTA એ જણાવ્યું હતું.

પરીક્ષણ એજન્સીના જણાવ્યા મુજબ, આ સુવિધા, તેના વર્તમાન સ્વરૂપમાં, ચેનલ એડમિનિસ્ટ્રેટરને અગાઉ પોસ્ટ કરેલા સંદેશની સામગ્રીને સંપાદિત કરવાની મંજૂરી આપે છે – જેમાં PDF જેવી જોડાયેલ ફાઇલોનો સમાવેશ થાય છે – જ્યારે મૂળ મોકલવાનો સમય જાળવી રાખવામાં આવે છે.

“આ ક્ષમતાનો ઉપયોગ, ઘણી તાજેતરની પરીક્ષાઓના સંદર્ભમાં, ઘટના પછીની ‘પેપર લીક’ કલાકૃતિઓ બનાવવા માટે કરવામાં આવ્યો છે: ચેનલ એડમિનિસ્ટ્રેટર પરીક્ષા પછી વાસ્તવિક પ્રશ્નપત્ર દાખલ કરવા માટે એક જૂના, નિર્દોષ સંદેશને સંપાદિત કરે છે, અને પરિણામી ચેટ પછી કથિત ‘પુરાવા’ તરીકે પ્રસારિત થાય છે કે પરીક્ષા પહેલાં પેપર પ્રચલિત હતું. MeitY દિશા પરીક્ષા પછીની વિંડો માટે બનાવટનો આ માર્ગ બંધ કરે છે જેમાં આવી કલાકૃતિઓ ઐતિહાસિક રીતે તૈનાત કરવામાં આવી છે,” NTA એ જણાવ્યું હતું.

June 16, 2026
Cia_business_news-1280x936.jpg
2min134

અવાસ્તવિક DCR નિયમો, દૈનિક 70% સુધીનો પાવર કાપ અને ડિસ્કોમ દ્વારા બિનજરૂરી ચાર્જિસ ભારતના નેટ-ઝીરો લક્ષ્યાંકો અને અબજોના રિન્યુએબલ રોકાણો માટે જોખમરૂપ
સુરત-

દેશના કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રિયલ (C&I) સોલાર સેક્ટરમાં ગંભીર કટોકટી સર્જાઈ છે, જેના કારણે ખાનગી મૂડી રોકાણો અને દેશના રિન્યુએબલ એનર્જીના લક્ષ્યાંકો જોખમમાં મુકાયા છે. સોલાર પ્રોજેક્ટ ડેવલપર્સ અને ઔદ્યોગિક ગ્રાહકોના સંગઠનોએ સંયુક્ત રીતે ગંભીર વહીવટી, નિયમનકારી અને નાણાકીય અવરોધો અંગે ચિંતા વ્યક્ત કરી છે, જેના કારણે ચાલુ પ્રોજેક્ટ્સ અટકી પડ્યા છે. આ ગંભીર સમસ્યા અંગે સાઉથ ગુજરાત સોલાર એસોસીએશન દ્વારા સરકાર સમક્ષ તાત્કાલિક હસ્તક્ષેપની માંગણી કરવામાં આવી છે.

મનઘડત નિયમો, સ્થાનિક સ્તરે સોલાર સેલના પુરવઠાની ભારે અછત, નીતિગત અસ્થિરતા અને જેટકો (GETCO) તથા ડિસ્કોમ (DISCOMs) દ્વારા કરવામાં આવતા પાવર કાપને કારણે આ સ્થિતિ સર્જાઈ છે. ઉદ્યોગ જગતે ચેતવણી આપી છે કે જો કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક સુધારો કરવામાં નહીં આવે, તો ઉદ્યોગોને ગ્રીન એનર્જી તરફ વાળવાની યોજના નિષ્ફળ જશે જેમાં કોઇ શંકાને સ્થાન નથી. સોલાર ઉદ્યોગ એવા વળાંક પર છે કે જ્યાં વગર વિચારે લેવાયેલા નિર્ણયો ઉદ્યોગના જ રિન્યુએબલ એનર્જીના પ્રોગ્રેસને નુકસાન પહોંચાડી રહ્યા છે. પ્રોજેક્ટ્સના ખર્ચમાં રાતોરાત 30% સુધીનો વધારો થયો છે, જ્યારે કાર્યરત પ્લાન્ટમાંથી આધુનિક ગ્રીડના અભાવે 70% જેટલી સ્વચ્છ ઊર્જા ગુમાવવી પડે છે. સોલાર ઉદ્યોગને બંધ થતો બચાવવા સરકારને આ બાબતે તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની પણ અમારી માંગણી છે.

સોલાર ઉદ્યોગ દ્વારા ઉઠાવવામાં આવેલા 8 મુખ્ય મુદ્દાઓ:

  • 1. સપ્લાય ચેઈનની સમસ્યા (DCR અને ALCM નીતિ): હાઈ-એફિશિયન્સી સોલાર સેલના સ્થાનિક ઉત્પાદનની અછત હોવા છતાં DCR નિયમો ફરજિયાત કરાતા પ્રોજેક્ટ ખર્ચમાં 25% થી 30% નો તોતિંગ વધારો થયો છે.
  • 2. નીતિગત ગૂંચવણ (DCR સેલ્સ વિરુદ્ધ ALMM મોડ્યુલ્સ): સ્થાનિક સ્તરે સેલ ઉત્પાદન ક્ષમતા મર્યાદિત હોવાથી, આ નિયમના કારણે બજારમાં જૂજ ઉત્પાદકોની મોનોપોલી (Monopoly) સર્જાવાનું અને ભાવવધારો થવાનું જોખમ છે.
  • 3. ગ્રીડની બિનકાર્યક્ષમતા અને ભારે પાવર કાપ: GETCO અને ડિસ્કોમ દ્વારા પીક અવર્સ દરમિયાન સોલાર પાવર જનરેશનને 60% થી 70% સુધી ઘટાડી દેવા અથવા બંધ કરવા દબાણ કરવામાં આવે છે, જેનાથી રોકાણકારોને ભારે આર્થિક નુકસાન થઇ રહ્યુ છે.
  • 4. વીકએન્ડ દરમિયાન અનપેક્ષિત શટડાઉન: શનિવાર અને રવિવાર દરમિયાન કોઈપણ પૂર્વ સૂચના વગર ગ્રીડ બ્રેકડાઉન અને શટડાઉન કરવામાં આવે છે. ઉદ્યોગ જગત આ માટે અગાઉથી નોટિસ અને વળતરની વ્યવસ્થા કરવામાં આવે એવી માંગણી પણ કરવામાં આવે છે.
  • 5. ડિજિટલ મીટર રીડિંગના નામે ઉઘાડી લૂંટ: સોલાર પ્લાન્ટ્સ ઓનલાઈન મોનિટરિંગ સિસ્ટમથી સજ્જ હોવા છતાં, ડિસ્કોમ દ્વારા મીટર રીડિંગ દીઠ આશરે ₹5,000 નો જંગી ચાર્જ વસૂલવામાં આવે છે, જે તદ્દન ગેરવાજબી છે.
  • 6. જટિલ અને અસ્પષ્ટ બિલિંગ સિસ્ટમ: C&I, કુસુમ (KUSUM) અને ગ્રાઉન્ડ માઉન્ટેડ પ્રોજેક્ટ્સમાં બિલ જનરેટ થવામાં વિલંબ, બેંકિંગ ગણતરીમાં ભૂલો અને અસ્પષ્ટ ફોર્મેટને કારણે રોકાણકારોનો વિશ્વાસ ડગમગી રહ્યો છે.
  • 7. લાઈવ હિતધારક પરામર્શનો અભાવ: પાયાની વાસ્તવિકતાઓ સમજ્યા વિના જ બંધ બારણે મોટા નીતિગત નિર્ણયો લેવાય છે. સરકારે ગ્રાહકો અને ડેવલપર્સ સાથે ચર્ચા કરીને પછી જ નિર્ણય લેવો જોઈએ આ અમારી માંગણી છે.
  • 8. લાંબા ગાળાની નીતિગત સ્થિરતાની માંગ: સોલાર પ્રોજેક્ટ્સમાં કરોડોનું રોકાણ લાંબા ગાળા માટે થતું હોય છે. વારંવાર બદલાતી નીતિઓ અસ્થિરતા લાવે છે, તેથી મુખ્ય નીતિઓ ઓછામાં ઓછા 5 વર્ષ માટે સ્થિર રાખવી જરૂરી છે.
June 16, 2026
gold-and-silver.jpg
1min99

ગત મે મહિનામાં સોનાના વૈશ્વિક ભાવ ઊંચી સપાટીએ રહ્યા હોવાથી દેશમાં સોનાની આયાત વર્ષાનુવર્ષ ધોરણે 34 ટકા વધીને 3.41 અબજ ડૉલરની સપાટીએ રહી હતી, જ્યારે ચાંદીની આયાતમાં 86.65 ટકાનો ઘટાડો આવ્યો હોવાનું વાણિજ્ય મંત્રાલયે આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે. નોંધનીય બાબત એ છે કે ગત 13મી મેના રોજથી અમલી બને તેમ સરકારે સોનાચાંદીની આયાત જકાત જે છ ટકા હતી તે વધારીને 15 ટકા કરી હતી.

પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર ગત મે મહિનામાં ચાંદીની આયાત મે, 2025નાં 56.622 કરોડ ડૉલર સામે ઘટીને 7.557 કરોડ ડૉલરની સપાટીએ રહી હતી. સોનાની આયાતમાં નોંધપાત્ર વધારો થવાને કારણે ગત મે મહિનામાં દેશની વેપાર ખાધ (આયાત અને નિકાસ વચ્ચેનો તફાવત)28.21 અબજ ડૉલરની સપાટીએ રહી હતી. ઉલ્લેખનીય બાબત એ છે કે નવી દિલ્હી ખાતે ગત મે મહિનામાં સોનાના વેરા સહિતનાં ભાવ 10 ગ્રામદીઠ રૂ. 1.60 લાખ આસપાસ રહ્યા, જ્યારે ચાંદીના ભાવ 2.60 લાખ આસપાસ રહ્યા હતા.

દેશમાં સોનાની આયાત માટેના મુખ્ય સ્રોતમાં સ્વિટ્ઝર્લેન્ડ 40ના હિસ્સા સાથે મોખરે છે. ત્યાર બાદ અનુક્રમે યુએઈનો હિસ્સો 16 ટકા અને દક્ષિણ આફ્રિકાનો હિસ્સો અંદાજે 10 ટકા છે. જોકે, ગત મે મહિનામાં સ્વિટ્ઝર્લેન્ડથી સોનાની આયાતમાં 57.73 ટકાનો અને એપ્રિલ તથા મે મહિનાની કુલ આયાતમાં 20.34 ટકાનો ઘટાડો થયો છે. નોંધનીય બાબત એ છે કે દેશની કુલ આયાતમાં કિંમતી ધાતુઓની આયાતનો હિસ્સો પાંચ ટકા જેટલો હોય છે.

વાણિજ્ય મંત્રાલયની આંકડાકીય માહિતી મુજબ ગત એપ્રિલ અને મે મહિનામાં સોનાની કુલ આયાત ગત સાલના સમાનગાળાની તુલનામાં 60.14 ટકા વધીને 9.04 અબજ ડૉલરની સપાટીએ રહી હતી, જ્યારે ચાંદીની આયાત 33 ટકા વધીને 48.658 કરોડ ડૉલરની સપાટીએ રહી હતી. જોકે, ગત નાણાકીય વર્ષ 2025-26માં દેશની સોનાની આયાત 24 ટકા વધીને 71.98 અબજ ડૉલરની ઐતિહાસિક ઊંચી સપાટીએ રહી હતી, પરંતુ પ્રમાણની દૃષ્ટિએ આયાત 4.76 ટકાના ઘટાડા સાથે 721.03 ટનના સ્તરે રહી હતી.

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે વિશ્વમાં ચીન પછી ભારત બીજા ક્રમાંકનો સૌથી મોટો સોનાનો વપરાશકાર દેશ છે અને સ્થાનિક જ્વેલરી ઉત્પાદકોની માગ આયાતથી સંતોષાય છે, પરંતુ સોનાની આયાત થતી હોવાથી તેની સીધી અસર ચાલુ ખાતાની ખાધ પર પડતી હોય છે. ગત નાણાકીય વર્ષનાં ચોથા ત્રિમાસિકગાળામાં અથવા તો ગત જાન્યુઆરીથી માર્ચ દરમિયાન દેશની ચાલુ ખાતાની ખાધ જીડીપીનાં 0.7 ટકા અથવા તો 7.1 અબજ ડૉલરના સ્તરે રહી હતી. જોકે, તે પૂર્વેના નાણાકીય વર્ષના સમાનગાળામાં ચાલુ ખાતાની પુરાંત જીડીપીના 1.4 ટકા અથવા તો 13.7 અબજ ડૉલરના સ્તરે રહી હોવાનું રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ જણાવ્યું હતું.

જોકે, ગત સમગ્ર નાણાકીય વર્ષ 2025-26માં દેશની ચાલુ ખાતાની ખાધ જીડીપીના 0.6 ટકા અથવા તો 25.2 અબજ ડૉલરના સ્તરે રહી હતી, જ્યારે તે પૂર્વેના નાણાકીય વર્ષમાં ચાલુ ખાતાની ખાધ જીડીપીના 0.6 ટકા અથવા તો 22.9 અબજ ડૉલરના સ્તરે રહી હતી.