VNSGU યુનિ. સેનેટ ચૂંટણીમાં ABVP (BJP)નું બુલડોઝર ફરી વળ્યું, અધ્યાપકોની 14માંથી 8 અને દાતાઓની બન્ને સીટ બિનહરીફ
યુનિવર્સિટી સેનેટ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા પૂર્ણ, આજે 7/8/22 ચકાસણી થશે
દાતાઓની પ્રતિષ્ઠાભરી બેઠક પર ડો.કશ્યપસિંહ ખરચીયા અને ડો. ભરત પટેલ બન્ને સામે કોઇએ ઉમેદવારીપત્ર ભર્યું નહીં
આગામી તા.14મી ઓગસ્ટે યોજાનારી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સેનેટ અધિકારમંડળની ચૂંટણીમાં ઉમેદવારીપત્ર ભરવાની પ્રક્રિયા આજે શનિવારે સાંજે પૂર્ણ કરી દેવામાં આવી છે. ઉમેદવારીપત્ર ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં જ કુલ 11 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ નિવડ્યા છે. હવે આ ઉમેદવારોને સત્તાવારી રીતે બિનહરીફ વિજેતા ઘોષિત કરાશે. અધ્યાપકોના મતદાર વિભાગની કુલ 14 સેનેટ બેઠકો પૈકી 8 બેઠકો પર ઉમેદવારો સામે કોઇએ ઉમેદવારી નોંધાવી નથી. એવી જ રીતે પ્રતિષ્ઠાભરી બેઠક ગણાતી દાતાઓના મતદાર વિભાગની બે સેનેટ બેઠકો પર પણ ડો.કશ્યપસિંહ ખરચીયા અને ડો. ભરત પટેલ સામે કોઇએ ઉમેદવારી નોંધાવી નથી. જ્યારે દક્ષિણ ગુજરાતમાં આવેલી નગરપાલિકાઓના વિસ્તારના પ્રમુખોની એક બેઠક પર બિલિમોરા નગરપાલિકાના પ્રમુખ પ્રાણલાલ પટેલ સામે પણ કોઇએ ઉમેદવારી નહીં નોંધાવતા સેનેટની કુલ 11 બેઠકો પર બાકી રહેલા ઉમેદવારોને બિનહરીફ વિજેતા ઘોષિત કરાશે.
હવે આવતીકાલ રવિવારે ઉમેદવારીપત્રોની ચકાસણીની પ્રક્રિયા હાથ ધરાશે. જ્યારે મંગળવારે બપોરે ચાર વાગ્યા સુધીમાં ઉમેદવારીપત્ર પરત ખેંચી શકાશે.
યુનિવર્સિટી સેનેટની ચૂંટણીમાં ઉમેદવારીપત્રોની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ત્રિપાંખીયા જંગનું ચિત્ર ઉપસ્યું છે. સુરતના રાજકીય તખ્તે સક્રીય ત્રણેય રાજકીય પક્ષો ભાજપ, કોંગ્રેસ અને આપની વિદ્યાર્થી પાંખ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદ, નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઇન્ડિયા અને છાત્ર યુવા સંઘર્ષ સમિતિના ઉમેદવારોએ રજિસ્ટર્ડ ગ્રેજ્યુએટની જુદી જુદી ફેકલ્ટીના મતદાર વિભાગોમાંથી ઉમેદવારી પત્રો ભર્યા છે.
11 સેનેટ બેઠક પર ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર કરાશે
- મતદાર વિભાગ બિનહરીફ ઉમેદવાર
- કોમર્સ ફેકલ્ટી – મનોજ દેસાઇ, બારડોલી
- કમ્પ્યુટર ફેકલ્ટી – સ્નેહલ જોષી, વલસાડ
- શિક્ષણ ફેકલ્ટી – નિમેષ નિઝામા, ખોલવડ
- કાનૂન ફેકલ્ટી – વિમલ પંડ્યા, ભરૂચ
- મેનેજમેન્ટ ફેકલ્ટી – જયદીપ ચૌધરી (પૂર્વ રજિસ્ટ્રાર)
- રૂરલ સ્ટડીઝ – દિપક ભોયે (યુનિ. ડિપાર્ટમેન્ટ)
- મેડીસીન (1) – ડો. વિપુલ ચૌધરી (નવી સિવિલ)
- મેડીસીન (2) – ડો.વિલાસરાવ (સ્મીમેર)
- દાતા સીટ (1) – ડો.કશ્યપસિંહ ખરચીયા
- દાતા સીટ (2) – ડો.ભરત પટેલ
- ન.પા. પ્રમુખ વિભાગ – પ્રાણલાલ પટેલ, બિલિમોરા
(નોંધ- ઉપરોક્ત 1થી 8 ક્રમના ઉમેદવારો અધ્યાપક મતદાર વિભાગના)
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now