ટીમ ઇન્ડિયા Dt.2/11/22 બુધવારે અહીં રમાનાર ગ્રુપ-બેના તેના લીગ મેચમાં બાંગલાદેશ વિરૂધ્ધ વિજય મેળવીને સેમિ ફાઇનલ ભણી આગેકૂચ કરવાના લક્ષ્ય સાથે મેદાને પડશે. ભારતીય ટીમના હાલ 3 મેચમાં 2 જીત અને 1 હારથી કુલ 4 પોઇન્ટ છે અને દ. આફ્રિકા પછી પોઇન્ટ ટેબલ પર બીજા સ્થાને છે. બાંગલાદેશની ટીમની પણ ભારત સમાન જ સ્થિતિ છે, પણ તે નેટ રન રેટમાં પાછળ છે. આથી તે ત્રીજા સ્થાને છે. ભારતનો રન રેટ 0.844 અને શ્રીલંકાનો માઇનસ 1.પ33 છે. બાંગલાદેશની ટીમ ઉલટફેર કરવામાં માહિર છે, પણ આ મેચમાં ટીમ ઇન્ડિયા જીતની પ્રબળ દાવેદાર છે.
બંગલાદેશ સામેના મેચમાં ભારતીય ટીમ ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહેલ કેએલ રાહુલને ફરી ઓપનિંગમાં ઉતરાવનું પસંદ કરશે. જ્યારે અનફિટ દિનેશ કાર્તિકના સ્થાને ઋષભ પંતને તક મળી શકે છે અને તે મીડલ ઓર્ડરમાં બેટિંગ કરશે તેવું માનવામાં આવે છે. કેએલ રાહુલ ટી-20 વિશ્વ કપમાં હજુ સુધી 3 મેચમાં 22 રન જ કરી શકયો છે. જો કે કોચ દ્રવિડ અને કપ્તાન શર્મા તેના પર પૂરો ભરોસો રાખે છે. બાંગલાદેશનું બોલિંગ આક્રમણ પ્રમાણમાં નબળુ છે આથી રાહુલ પાસે ફોર્મમાં વાપસી કરવાનો મોકો બની રહેશે.
બંગાલદેશના બોલિંગ આક્રમણમાં મુસ્તાફિઝૂર, તસકીન, મહેંદી હસન, હસન મહમૂદ અને કપ્તાન શકિબ છે, પણ નિશ્ચિત રીતે આ આક્રમણ વિશ્વસ્તરીય નથી. સૂર્યકુમાર યાદવ અને વિરાટ કોહલી વિશ્વ કપમાં શાનદાર ઇનિંગો રમી ચૂકયા છે. આથી તેની સામે બાંગલાદેશની બોલિંગની કસોટી થશે. ભારતીય ટીમને કપ્તાન રોહિત શર્મા પાસેથી મોટી અને વિસ્ફોટક ઇનિંગની આશા રહેશે. પાછલા મેચમાં વિકેટકીપર કાર્તિક ઇજાગ્રસ્ત થયો હતો. આથી તેના સ્થાને પંતને મોકો મળી શકે છે. ભારતીય ટીમમાં દીપક હુડ્ડાના સ્થાને અક્ષર પટેલની વાપસી થઇ શકે છે. કારણ કે બાંગલાદેશની ટીમમાં 4 ડાબોડી બેટધર છે. આ મેચમાં પણ ભારત ઝડપી બોલર ત્રિપુટી ભુવનેશ્વર, અર્શદિપ અને શમી સાથે ઉતરવાનું પસંદ કરશે.
ટોસ જીતનાર ટીમ એડિલેડમાં પહેલા બેટિંગ પસંદ કરી શકે છે. કારણ કે એડિલેડમાં સંધ્યા ટાણે બોલ વધુ સ્વિંગ થાય છે. જેનો ફાયદો મળી શકે છે. મેચ ભારતીય સમય અનુસાર બુધવારે બપોરે 1-30થી શરૂ થશે.