28મી માર્ચથી રાજ્યભરમાં Gujarat બોર્ડની SSC & HSC પરીક્ષા શરૂ થઇ રહી છે. શૈક્ષણિક વર્ષ 2021-22થી ધોરણ 10માં ગણિત વિષયમાં ગણિત સ્ટાન્ડર્ડ અને ગણિત બેઝિક એમ બે પ્રકારના પ્રશ્નપત્રના વિકલ્પ આપવા અંગે સરકારે નિર્ણય કર્યો હતો. શિક્ષણ બોર્ડે આ વર્ષથી બેઝિક ગણિત અને સ્ટાન્ડર્ડ ગણિતનો વિકલ્પ આપતા 80% વિદ્યાર્થીઓએ સરળ ગણિત પસંદ કર્યું.
ધો.10ની પરીક્ષા આપતા કુલ 9.64 લાખ વિદ્યાર્થીમાંથી અંદાજિત 8.10 લાખથી વધુ વિદ્યાર્થીઓએ સ્ટાન્ડર્ડ (અઘરું) ગણિત છોડી દીધું છે અને તેમણે બેઝિક એટલે કે સરળ ગણિત વિષય પસંદ કર્યો છે. જ્યારે માત્ર 1.25 લાખથી વધુ વિદ્યાર્થીઓએ જ સ્ટાન્ડર્ડ ગણિત વિષય પસંદ કર્યુ છે.
જેનો સીધો મતલબ એ નીકળી રહ્યો છે કે 8.10 લાખ વિદ્યાર્થીઓ હવે પછી ધો.11માં સાયન્સ બાયોલોજી ગ્રુપ, કોમર્સ, હ્યુમેનિટીઝ કે ડિપ્લોમા ઇજનેરી અભ્યાસક્રમમાં ભણવા માટે જશે. જ્યારે 1.25 લાખ પૈકી કેટલા વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ, ટેક્નોલોજીને વળગી રહે છે તે પણ જોવું રહ્યું.
સ્ટાન્ડર્ડ ગણિત પ્રમાણમાં અઘરું હોય છે, આ વિષય પસંદ કરનાર વિદ્યાર્થીઓ સાયન્સમાં A ગ્રૂપમાં જાય છે, JEE પરીક્ષા પાસ કરી એન્જિનિયરિંગમાં આગળ વધી શકે છે. બેઝિક ગણિત રાખનાર વિદ્યાર્થી સાયન્સમાં B ગ્રૂપ રાખી શકે છે, મેડિકલમાં આગળ વધી શકે, કોમર્સ-આર્ટસ રાખી શકે.
A ગ્રૂપ: ‘એ’ ગ્રૂપમાં જનારા વિદ્યાર્થીઓ સ્ટાન્ડર્ડ ગણિત રાખશે. જેમાં વિજ્ઞાનના વિષયો, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સનો સમાવેશ થાય છે. આ વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગના અભ્યાસ માટે આગળ જઈ શકે છે.
B ગ્રૂપ: ‘બી’ ગ્રૂપના વિદ્યાર્થીઓ સામાન્ય રીતે બેઝિક ગણિત રાખે છે. આગળ ધો.11 સાયન્સમાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજીના વિષય ભણે છે, આ વિદ્યાર્થીઓ બાયોલોજી સબ્જેક્ટ હોવાને કારણે મેડિકલ, ફાર્મસી ક્ષેત્રે પ્રવેશ મેળવી શકે છે.