ગુજરાતમાં હાલ અમલી બનેલી વિધાનસભા ચૂંટણીની આચારસંહિતાના કારણે રાજ્યમાં હીરા ઝવેરાત ક્ષેત્રના જુદા જુદા સ્ટેક હોલ્ડર્સ પોતાના કિંમતી માલસામાનની હેરફેરમાં ભારે સમસ્યા અનુભવી રહ્યા છે. કેટલાક ઝવેરીઓનો કરોડો રૂપિયાના દાગીના સીઝ થયાના પણ બનાવો બન્યા છે. આવી સ્થિતિમાં જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઇપીસી)ની રિજિયોનલ કચેરી, સુરતના ચેરમેન વિજય માગુકીયાની આગેવાનીમાં એક પ્રતિનિધિમંડળે તા.23મી નવેમ્બરે સાંજે સુરત કલેક્ટર અને મુખ્ય ચૂંટણી અધિકારી આયુષ ઑકને મળીને આ મુદ્દા પર ક્લેરિટી અને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર અંગે સ્પષ્ટતા માગી હતી.
હજુ ચૂંટણીની આચારસંહિતા તા.8મી ડિસેમ્બર 2022 સુધી લાગૂ થવાની હોઇ, હવે પછીના દિવસોમાં હીરા ઝવેરાત ક્ષેત્રના વેપારીઓ, સ્ટેક હોલ્ડર્સ નિર્ધારિત પ્રક્રિયા પૂર્ણ કરીને પોતાના હીરા ઝવેરાત, દાગીનાની હેરફેર કરશે તો તેમને કોઇ સમસ્યાનો સામનો કરવો નહીં પડે.
જીજેઇપીસીના ચેરમેન વિજય માંગુકીયા, જીજેઇપીસીના ડે.ડાયરેક્ટર રજતભાઇ, સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસીએશનના પ્રમુખ જયંતિ સાવલિયા સહિતના મહાનુભાવોએ મુખ્ય ચૂંટણી અધિકારી એવા જિલ્લા કલેક્ટર આયુષ ઑકને રૂબરૂ મળીને રજૂઆતો કરી હતી.
શ્રી ઓકે GJEPC ના પ્રો-એક્ટિવ અભિગમની પ્રશંસા કરી અને એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) અમલી બનાવવાની ખાતરી આપી હતી. હીરા ઝવેરાત ઉદ્યોગ સાથે સંકળાયાલા સ્ટેક હોલ્ડર્સ જો એ એસ.ઓ.પી.ની પ્રક્રિયાનો અમલ કરશે તો તેમને તથા GJEPC સુરત ઑફિસ મેમ્બર્સને કિંમતી માલસામાનની હેરફેર બેરોકટોક પણે કરી શકશે.
તદુપરાંત જિલ્લા કલેક્ટરે હીરા ઝવેરાત ક્ષેત્રના પ્રતિનિધિમંડળને એવી પણ ખાતરી આપી હતી કે અત્યાર સુધી ઝવેરીઓના જે સમાન સીઝ કરાયો છે, એ નિયમાનુસાર પ્રક્રિયા બાદ બે દિવસમાં રિલિઝ પણ કરવામં આવશે.
GJEPC સુરત ઑફિસ SOP પર વેબિનારનું આયોજન કરશે અને SOP ને તમામ GJEPC મેમ્બર અને અગ્રણી એસોસિએશનને સરક્યુલેટ કરશે, જે એકવાર સુરતના કલેક્ટરની ઑફિસમાંથી પ્રાપ્ત થશે.