વરિષ્ઠા વડિલોની અનોખી વંદના માટે અમલી શ્રવણતીર્થ દર્શન યોજનાના ધોરણોમાં રાજ્ય સરકાર દ્વારા ફેરફાર કરવામાં આવ્યો છે. આ જાહેરાત કરતા પ્રવાસન મંત્રી પૂર્ણેશભાઇ મોદીએ જણાવ્યું હતું કે, આ યોજના હેઠળ હાલમાં એસ.ટી.ની સુપર બસ (નોન એ.સી.) ઉપરાંત એસ.ટી.ની મીની બસ (નોન એ.સી.)નું ભાડું અથવા ખાનગી બસનું ભાડુ બે માંથી જે ઓછું હોય તેની 50% રકમ સહાય આપવામાં આવતી હતી, તેના બદલે હવે એસ.ટી.ની સુપર બસ (નોન એ.સી.) ઉપરાંત એસ.ટી.ની મીની બસ (નોન એ.સી.), એ.સી. કોચ, સ્લીપર કોચનું ભાડું અથવા ખાનગી બસનું ભાડું બે માંથી જે ઓછું હોય તેની 75% કે તેથી વધુ રકમની સહાય અપાશે.
સિનિયર સિટીઝન્સોને તીર્થધામોના દેવદર્શન કરાવવાની આ રાજ્ય સરકારની વિશિષ્ટ સેવાઓ પૂરી પાડવા માટે ગુજરાત ગૌરવ દિવસથી આ યોજનાનો શુભારંભ થયો હતો. યોજનામાં કરાયેલા અન્ય ફેરફારો અનુસાર ગુજરાતના યાત્રાધામોના બે રાત્રિ અને ત્રણ દિવસ (60 કલાક) સુધીના પ્રવાસની મર્યાદામાં આ યોજના હેઠળ લાભ આપવામાં આવતો હતો. જેના બદલે હવે ત્રણ રાત્રિ અને ત્રણ દિવસ (72 કલાક) સુધીના પ્રવાસની મર્યાદામાં આ યોજના હેઠળ લાભ આપવામાં આવશે. આ ઉપરાંત 75 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિ જો એકલા પ્રવાસ કરતી હોય તો તેઓની સાથે એક એટેન્ડન્ટને તે 60 વર્ષથી નીચેની ઉંમરના હોય તો પણ લઇ શકતા હતાં, તેમાં સુધારો કરીને હવે 70 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિ જો એકલા પ્રવાસ કરતી હોય તો તેઓની સાથે એક 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના એટેન્ડન્ટને લઇ જઇ શકશે.