CIA ALERT
19. May 2024

RBI Archives - CIA Live

September 30, 2022
rbi.jpeg
1min220

ભારત સહિત વિશ્વભરમાં મોંઘવારીને ડામવા માટે અમેરિકા બાદ હવે ભારતની સેન્ટ્રલ બેંક પણ આકરા પાણીએ છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આજે જાહેર થયેલ મોનિટરી પોલિસીમાં વ્યાજદરમાં 50 bps (50 બેઝિસ પોઈન્ટ્સ)નો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ આરબીઆઈના બેન્ચમાર્ક વ્યાજ દર 5.9 ટકા થયા છે.

RBI MPCના 6 સભ્યોમાંથી 5 સભ્યોએ વ્યાજદરમાં 0.50 % વધારવાનો મત આપ્યો હતો. આ સાથે મોનિટરી પોલિસીનું સ્ટેન્ડ આરબીઆઈએ એકોમોડેશનથી પાછું ખેંચવાનું વલણ યથાવત રાખ્યું છે. SDF 5.65% અને MSF 6.15% કરવામાં આવે છે તેમ ગવર્નરે ઉમેર્યું હતું.

ડોલર સામે રૂપિયામાં સતત ઘટાડાના કારણે આયાતી ચીજોના વધી રહેલા ભાવથી સંભવિત મોંઘવારી, અમેરિકા અને ભારતના વ્યાજના દર વચ્ચે ઘટી રહેલા તફાવતથી ભારતમાં રોકાણ કરવું જોખમી બની રહ્યું હોવાથી પણ રિઝર્વ બેન્કને વ્યાજના દર વધારવા ફરજ પડી છે.

મે 2020થી મે 2022 વચ્ચે રિઝર્વ બેંકના રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નહોતો. બેન્કો જ્યારે નાણાંની જરૂર પડે અને રિઝર્વ બેંક પાસેથી તે મેળવે ત્યારે જે વ્યાજ દર ચૂકવે તેને રેપો રેટ કહેવામાં આવે છે. રેપો રેટ આ બે વર્ષ 4 ટકા રહ્યો હતો.

જોકે, વધી રહેલા ફુગાવા અને વૈશ્વિક બેન્કોએ વ્યાજ દર વધારવાનું શરૂ કરતાં મે મહિનામાં આશ્ચર્યજનક રીતે મધ્યકાલીન સમીક્ષા પહેલા જ રિઝર્વ બેન્કે વ્યાજ દર વધારવા શરૂ કર્યા હતાં. આજની બેઠક પહેલા રેપો રેટ વધી 5.4 ટકા થઈ ગયો હતો.

રેપો રેટ વધતા બેન્કોની નાણાં મેળવવાની શકિત ઘટે છે અને નાણાં મોંઘા થાય છે. એની અસરથી ધિરાણ દરમાં વધારો થાય છે. સતત વધી રહેલા વ્યાજના દરથી હવે લોન ઉપર ગ્રાહકોએ વધારે વ્યાજ ચૂકવવું પડે છે. રિઝર્વ બેન્ક માટે હાલમાં સૌથી મોટી ચિંતા રૂપિયામાં થઈ રહેલો ઘસારો છે. રૂપિયામાં ઘસારાની સીધી અસર આયાત બિલ પર પડી રહી છે. ફોરેકસ રિઝર્વમાં ઘટાડાથી મની માર્કેટમાં દરમિયાનગિરી કરવાની રિઝર્વ બેન્કની ક્ષમતા ઓછી થઈ રહી છે, એમ એક બેન્કરે જણાવ્યું હતું.

ક્રુડ તેલના ભાવ જે જુનમાં પ્રતિ બેરલ 120 ડોલરથી વધુ હતા તે હાલમાં ઘટીને 80 ડોલરની અંદર ચાલી ગયા છે, જે આરબીઆઈ માટે રાહતની વાત છે.

ફોરેકસ રિઝર્વ તેની 642 અબજ ડોલરની ઓલટાઈમ હાઈ સપાટીએથી 100 અબજ ડોલર જેટલું ઘટી 545 અબજ ડોલર આવી ગયું છે. વર્તમાન વર્ષમાં રૂપિયો ડોલર સામે દસ ટકા જેટલો ઘટી ગયો છે.

May 5, 2022
rbi.png
1min379

ભારતીય રિઝર્વ બૅન્ક (આરબીઆઇ)ની આર્થિક નીતિ નક્કી કરતી સમિતિએ વ્યાજદર વધારવાની કરેલી જાહેરાતથી ઘર, વાહન અને અન્ય ચીજો પર લીધેલી લોનનો ઇએમઆઇ (ઇક્વેટેડ મંથલી ઇન્સ્ટોલમેન્ટ) વધી જશે.

બૅન્ચમાર્ક પૉલિસી રેટ (રેપો) તાત્કાલિક અમલથી ૪૦ બૅસિસ પૉઇન્ટ્સ વધારીને ૪.૪ ટકા કરાયો છે. પૉલિસી રેટમાં ૨૦૧૮ના ઑગસ્ટ બાદ કરાયેલા આ સૌપ્રથમ વધારાને લીધે વ્યક્તિગત અને કૉપૉર્રેટ્સ માટે લોન (કરજ) મોંઘી થશે. કૅશ રિઝર્વ રૅશિયો ૨૧ મેથી અમલમાં આવે એ રીતે પચાસ બૅસિસ પૉઇન્ટ્સ વધારીને ૪.૫ ટકા કરાયો હોવાથી બૅન્કોએ મધ્યવર્તી બૅન્કમાં વધુ નાણાં જમા કરાવવા પડશે.

આરબીઆઇના ગવર્નર શક્તિકાંતા દાસે વીડિયો સંદેશામાં સંબંધિત જાહેરાત કરી હતી. આ નિર્ણયને લીધે બૅન્કિંગ સિસ્ટમમાંની પ્રવાહિતા (લિક્વિડિટી)માંથી અંદાજે રૂપિયા ૮૭,૦૦૦ કરોડ ઘટવાની શક્યતા છે. તેમણે રિવર્સ રેપો રેટનો કોઇ ઉલ્લેખ નહિ કર્યો હોવાથી તે યથાવત્ (૩.૫ ટકા) રખાયો હોવાનું મનાય છે. સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી રેટ હવે ૪.૧૫ ટકા અને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ તેમ જ બૅન્ક રેટ ૪.૬૫ ટકા રહેશે.

આર્થિક નીતિને લગતી સમિતિએ ફુગાવાને કાબૂમાં લેવા અને વિકાસને વેગ આપવા બીજીથી ચોથી મે સુધી યોજેલી બેઠક બાદ સંબંધિત નિર્ણય જાહેર કરાયો હતો. ભારતીય રિઝર્વ બૅન્કની આર્થિક નીતિ નક્કી કરતી સમિતિની આગામી બેઠક છઠ્ઠીથી આઠમી જૂન સુધી યોજાશે અને તે વખતે પણ રેપો રેટ ઓછામાં ઓછો પચીસ બેસિસ પૉઇન્ટ વધવાની આશા રખાય છે.

રિઝર્વ બૅન્કે આંતરરાષ્ટ્રીય સમસ્યાને ધ્યાનમાં રાખીને ફુગાવાનો દર ઊંચો રહેવાનો ભય વ્યક્ત કર્યો હતો. ખાતર અને ખેતી માટેની અન્ય સામગ્રીમાંના ભાવવધારાને લીધે દેશમાં ખાદ્યાન્નની કિંમત પર સીધી માઠી અસર થશે. ઘઉંની વિશ્ર્વભરમાં ઊભી થયેલી અછતને લીધે સ્થાનિક બજારમાં પણ ઘઉંના ભાવ ઊંચા રહેવાની શક્યતા. (એજન્સી)

રિઝર્વ બૅન્કની નીતિના મુખ્ય મુદ્દા

  • ભારતીય રિઝર્વ બૅન્ક (આરબીઆઇ)ની આર્થિક નીતિ નક્કી કરતી સમિતિએ ત્રણ દિવસની બેઠકને અંતે જાહેર કરેલા નિર્ણયના મુખ્ય મુદ્દા નીચે મુજબ છે:
  • બૅન્ચમાર્ક પૉલિસી રેટ (રેપો) તાત્કાલિક અમલથી ૪૦ બૅસિસ પૉઇન્ટ્સ વધારીને ૪.૪ ટકા કરાયો.
  • પૉલિસી રેટમાં ૨૦૧૮ના ઑગસ્ટ બાદ કરાયેલા આ સૌપ્રથમ વધારાને લીધે વ્યક્તિગત અને કૉપૉર્રેટ્સ માટે લૉન (કરજ) મોંઘી થશે.
  • કૅશ રિઝર્વ રૅશિયો ૨૧ મેથી અમલમાં આવે એ રીતે પચાસ બૅસિસ પૉઇન્ટ્સ વધારીને ૪.૫ ટકા કરાયો.
  • આર્થિક નીતિને લગતી સમિતિએ ફુગાવાને કાબૂમાં લેવા અને વિકાસને વેગ આપવા બીજીથી ચોથી મે સુધી યોજેલી બેઠક બાદ સંબંધિત નિર્ણય જાહેર કરાયો.
  • ફુગાવાનો દર ઊંચો રહેવાની ભીતિ.
  • ખાતર અને ખેતી માટેની અન્ય સામગ્રીમાંના ભાવવધારાને લીધે દેશમાં ખાદ્યાન્નની કિંમત પર સીધી માઠી અસર થશે.
  • ઘઉંની વિશ્ર્વભરમાં ઊભી થયેલી અછતને લીધે સ્થાનિક બજારમાં પણ ઘઉંના ભાવ ઊંચા રહેવાની શક્યતા.
  • ભારતીય રિઝર્વ બૅન્કની આર્થિક નીતિ નક્કી કરતી સમિતિની આગામી બેઠક છઠ્ઠીથી આઠમી જૂન સુધી યોજાશે.
December 8, 2021
rbi.jpeg
1min312

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે જાહેરાત કરી છે કે રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેમની મોનેટરી પોલિસી સમીક્ષાના પરિણામો જાહેર કરતા દાસે કહ્યું કે પોલિસી રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. રેપો રેટ 4 ટકા અને રિવર્સ રેપો રેટ 3.35 ટકા પર યથાવત રહેશે. નોંધનીય છે કે, ગયા વર્ષે માર્ચમાં આરબીઆઈએ રેપો રેટમાં 0.75 ટકા અને મેમાં 0.40 ટકાનો ઘટાડો કર્યો હતો. આ ઘટાડા પછી રેપો રેટ 4 ટકાના રેકોર્ડ નીચલા સ્તરે આવી ગયો હતો. પરંતુ ત્યાર પછી નવ બેઠકોમાં વ્યાજદરમાં કોઈ ફેરફાર થયો નથી.

શક્તિકાંત દાસે કહ્યું કે, MPCના 6 સભ્યોમાંથી 5એ એકમોડેટીવ સ્ટેન્ડ જાળવવાના પક્ષમાં મતદાન કર્યું હતું. ઉપરાંત માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી 4.25 ટકા પર જાળવી રાખવામાં આવી છે. વાસ્તવિક જીડીપી વૃદ્ધિનો અંદાજ 9.5 ટકા રાખવામાં આવ્યો છે. પરંતુ નાણાકીય વર્ષ 2022ના ત્રીજા ક્વાર્ટર માટે તે ઘટાડીને 6.6 ટકા કરવામાં આવ્યું છે. અગાઉ તે 6.8 ટકા હતો. તેમજ ચોથા ક્વાર્ટર માટે તેને 6.1 ટકાથી ઘટાડીને 6 ટકા કરવામાં આવ્યો છે.

વ્યાજ દરોમાં કોઈ ફેરફાર ન થવાથી તમારા ખિસ્સા પર કોઈ અસર નહીં થાય. જો રિઝર્વ બેંક વ્યાજ દર વધારશે તો લોન મોંઘી થઈ જશે. બીજી બાજુ, જો રિઝર્વ બેંકે વ્યાજદરમાં ઘટાડો કર્યો હોત તો તેનાથી લોન સસ્તી થઈ ગઈ હોત.

દાસે જણાવ્યું કે, તાજેતરમાં જ કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ ઘટાડ્યો છે, જેનાથી ગ્રાહકોની ખરીદીની ક્ષમતા વધી છે. શક્તિકાંત દાસે જણાવ્યું કે, આપણી પાસે મજબૂત બફર સ્ટોક છે, જેનાથી મોંઘવારી પર કાબૂ મેળવી શકાય છે. કોવિડ-19 જેવી મહામારી સામે લડવા માટે અમે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. હાલ ઘરેલૂ અર્થવ્યવસ્થા પર ઓમિક્રોનનો ખતરો મંડાઈ રહ્યો છે.