કેરળમાં નૈર્ઋત્ય મોસમી વાયરાનું આગમન થયા બાદ મોન્સૂન કર્ણાટકના કિનારા પાસે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને ત્યાર પછી ગોવામાં તેનું આગમન થયું હતું. સમય પહેલાં જ મહારાષ્ટ્રમાં મોન્સૂન દાખલ થશે, એવો હવામાન ખાતાનો અંદાજ જોકે ભૂલભરેલો હતો. હવે ૧૨થી ૧૩મી જૂન દરમિયાન મોન્સૂન દાખલ થશે, એવી નવી માહિતી હવામાન વિભાગ તરફથી આપવામાં આવી હતી. દરમિયાન આગામી દિવસમાં કોંકણ સહિત મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા અને વિદર્ભ એમ તમામ ઠેકાણે પ્રિ-મોન્સૂન વરસાદ પડવાની શક્યતા છે.
ઉત્તર મહારાષ્ટ્રમાં અમુક જિલ્લાને બાદ કરતાં મહારાષ્ટ્રના મોટા ભાગના જિલ્લામાં વરસાદ પડવાની શક્યતા વર્તાવવામાં આવી હતી. મુંબઈ સહિત થાણે, પાલઘર, નંદુરબાર, ધુળે, જળગાંવ, ભંડારા અને ગઢચિરોલીને બાદ કરતાં મહારાષ્ટ્રમાં વરસાદનું મોજું ફરી વળશે, એવું હવામાન ખાતાનાં સૂત્રોએ જણાવ્યું હતું. જે ભાગમાં વરસાદ પડવાનો છે ત્યાં હવામાન ખાતાએ એલર્ટ રહેવાની સૂચના આપી હતી. સંબંધિત જિલ્લામાં બુધવારે સવારથી મોડી સાંજ સુધી આકાશ ગોરંભાયેલું રહ્યું હતું, પણ વરસાદ નહોતો પડ્યો. આથી અહીં ગમે ત્યારે પ્રિ-મોન્સૂન થાય એવો અંદાજ વર્તાઈ રહ્યો હતો. આગામી પાંચ દિવસ આવા જ રહેશે, એવું હવામાન ખાતાએ જણાવ્યું હતું.
મહારાષ્ટ્રમાં મોન્સૂનના આગમન માટે પોષક હવામાન તૈયાર થઇ રહ્યું છે. આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન દક્ષિણ કોંકણમાં અનેક ઠેકાણે વીજળીના કડાકા સાથે જોરદાર વરસાદ પડશે, એવું હવામાન ખાતાનાં સૂત્રોએ જણાવ્યું હતું. હવામાનની આ સ્થિતિ મોન્સૂનના આગમન માટે લાભદાયી નીવડશે.
દરમિયાન હવામાન ખાતાએ બુધવારે પુણે સહિત સાંગલી, સાતારા, કોલ્હાપુર, રાયગડ, રત્નાગિરિ, સિંધુદુર્ગ, સોલાપુર, ઉસ્માનાબાદ, લાતુર, બીડ, એહમદનગર, ઔરંગાબાદ, જાલના, નાંદેડ, પરભણી, હિંગોલી, નાશિક, બૂલઢાણા, અકોલા, વાશીમ, યવતમાળ, અમરાવતી, વર્ધા, નાગપુર, ચંદ્રપુર અને ગોંદિયા જિલ્લાને યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી સમયમાં આ ઠેકાણે મેઘગર્જના સહિત વરસાદ પડવાની શક્યતા છે, એવું હવામાન ખાતાનાં સૂત્રોએ જણાવ્યું હતું.