ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને રાજ્યમાં દિગ્ગજ નેતાઓની રેલીઓ, ઉમેદવારોની બેઠકો, ઠેર-ઠેર જાહેરસભાઓ યોજાઈ રહી છે, ત્યારે આ ક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાલ ગુજરાતના પ્રવાસે છે. PM નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ગઈકાલથી જ રોડ-શો અને જાહેર સભાઓ શરૂ કરી દીધી છે અને તેમને નિહાળવા તેમજ સાંભળવા લોકોની જનમેદની પણ જોવા મળી રહી છે, ત્યારે PM મોદીએ વેરાવળમાં પણ વિરાટ જનસભાને સંબોધન કર્યું હતું.
આ સભામાં PM મોદીએ કહ્યું કે, આ વખતે ગુજરાતમાં રેકોર્ડ તોડવાનો છે. તમામ મતદાન મથકો પર ભાજપને જીતાડવાની છે. ગુજરાત અંગે કહેવાતું હતું કે, ગુજરાત કંઈ નહીં કરી શકે, કોઈ પ્રગતિ નહીં કરી શકે. આ તમામ ધારણાઓ પર ગુજરાત સરકારે પૂર્ણ વિરામ મુકી દીધું. ભાજપે ગુજરાતના બંદરનો વિકાસ કર્યો, દરેક યોજનાએ ગુજરાતના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે, આજે રાજ્યના દરિયા કિનારાઓ પણ વિકાસ પામ્યા છે. ગુજરાતના બંદરો ભારતની સમૃદ્ધિનું પ્રવેશદ્વાર બની ગયા છે. સૌરાષ્ટ્રમાં આ મારી પ્રથમ ચૂંટણી રેલી યોજાઈ છે અને તે પણ સોમનાથ દાદાની પવિત્ર ભૂમિ પર યોજાઈ છે. એક સમયે અમારા માટે કચ્છનું રણ ખુબ જ સમસ્યારૂપ હતું, આ સમસ્યાને દૂર કરવા અમે કચ્છના આ રણને બદલીને ‘ગુજરાતનું તોરણ’ કરી નાખ્યું.
વડાપ્રધાન મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે મુખ્યમંત્રીએ ગુજરાતના વિકાસ માટે ઘણું કામ કર્યું છે. અમે આગળ પણ ગુજરાતના વિકાસ માટે કામ કરવા માંગીએ છીએ. એકવાર ફરી ભાજપને ગુજરાતમાં સેવા કરવાની તક આપો.
બોટાદમાં જનસભાને સંબોધતા PM Modi
બોટાદમાં જનસભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યુ કે આ ચૂંટણી માત્ર પાંચ વર્ષ માટે નથી પરંતુ આ ચૂંટણી નક્કી કરશે કે ગુજરાત 25 વર્ષ બાદ કેવુ દેખાશે.
PM મોદીએ જણાવ્યુ કે એક દિવસમાં હું જ્યાં પણ ગયો છુ. ત્યાં લોકોનો ઉત્સાહ જોઇને જ લાગે છે કે ગુજરાતની જનતાએ ભાજપને અભૂતપૂર્વ વિજય અપાવવાનું નક્કી કર્યુ છે. આ બોટાદ તેનું જીવતુ જાગતુ સાક્ષી છે. જનતાએ ચૂંટણી પરિણામો નક્કી કરી દીધા છે. તેમણે યુવાનોને મોટા પ્રમાણમાં મતદાન કરવા માટે અપીલ કરી હતી. ભારતીય જનતા પાર્ટી વિકાસની ગેરંટી છે. અમે મજબૂતી લાવવા માગીએ છીએ. અમે 100 વર્ષનું કામ પૂરું કરવા માગીએ છીએ. જેથી આગામી સમયમાં ગુજરાતને પાછું વળીને જોવું નહીં પડે.
વડાપ્રધાન મોદીએ કોઈપણ પાર્ટીનું નામ લીધા વગર અન્ય પાર્ટી પર પ્રહાર કરતા કહ્યુ કે આ બધા લોકો જેમણે બહારથી આવીને ગુજરાતને બદનામ કરવાનું અભિયાન ઉપાડ્યું છે. આ નકારાત્મકતાથી કોઈનું ભલુ થવાનુ નથી. તે બધાએ પોતાના ઘર ભરવા માટે જિંદગી ખપાવી દીધી છે. આપણે ગુજરાતને સમૃદ્ધ બનાવવું છે. ગુજરાતને ચેતનવંતુ બનાવવું છે. ગુજરાતના વિકાસમાં રોડા અટકાવવાવાળા, વાર-તહેવારને ગુજરાતીઓને ગાળો આપનારી આખી જમાતને અહીંથી વિદાય આપવાની જરૂર છે. લોકોની અપેક્ષા પર અમે ખરા ઉતર્યા છીએ, એટલે આજે લોકો વધુ માંગી રહ્યાં છે. ભૂપેન્દ્ર પટેલની સરકાર નવી નીતિઓ પર સતત કામ કરી રહી છે. ભાજપ જે સંકલ્પ લે છે, એને પૂર્ણ કરીને જ રહે છે.
ગુજરાતમાં ફિર એક બાર મોદી સરકાર આવશે. ગુજરાત અને ભાજપનો જૂનો સંબંધ છે. એમાંય બોટાદ સાથે મારો જનસંઘ સમયથી સંબંધ છે. બોટાદે જનસંઘને સૌથી પહેલા નગરપાલિકામાં શાસન આપ્યું હતું. પહેલા ચૂંટણી મુદ્દા ગોટાળા અને કૌભાંડ હતા, પરંતુ ભાજપે ચૂંટણીમાં વિકાસને મુદ્દો બનાવ્યો છે. બોટાદના લોકો લખી રાખે. બોટાદ, ધંધુકા, વલ્લભીપુર, ભાવનગર સહિતનો આખો પટ્ટો ઉદ્યોગોથી ધમધમવાનો છે.