આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદીયાની લીકર પોલીસી કેસમાં ધરપકડ કરવામાં આવી છે. CBIએ 8 કલાક સુધી પૂછપરછ કર્યા બાદ મનીષ સિસોદીયાની ધરપકડ કરી હતી. પુરાવા નાશ કરવાના આરોપસર CBIએ મનીષ સિસોદીયાની ધરપકડ કરી હતી. મનીષ સિસોદીયા Dated 26/02/2023 સવારે 11.10 કલાકે CBI કાર્યલય પૂછપરછ માટે પહોંચ્યા હતા. આ પહેલા સિસોદીયાને ગયા રવિવારે પણ પૂછપરછ માટે બોલાવ્યા હતા. પરંતુ બજેટની તૈયારીઓમાં વ્યસ્ત હોવાનું કારણ આપી તેઓ આગળની તારીખ માંગી હતી. આ બાદ CBIએ તેમને 26 તારીખે હાજર થવાનું કહ્યુ હતુ.
CBIએ મનિષ સિસોદીયાને પૂછપરછ દરમિયાન ઘરે પણ જવા દીધા ન હતા. આ સમયે જ મનીષ સિસોદીયાની ધરપકડ થશે તેવી આશંકા જોવા મળી રહી હતી. સિસોદીયા CBI કાર્યલય પહોંચે તે પહેલા પણ કહી રહ્યા હતા કે, તેમની ધરપકડ કરવામમાં આવશે. સિસોદીયાની ધરપકડ કરવામાં આવતા આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓ આકરા પાણીએ જોવા મળી રહ્યા હતા. આપના રાજ્યસભાના સાંસદ સંજ્યસિંહે કહ્યુ હતુ કે, આ ખરેખર તાનાશાહી છે.
મનીષ સિસોદીયા પર આરોપ છે કે, દારૂના વેપારીઓને લાઈસન્સ આપવામાં દિલ્હી સરકારે ગેરરીતિ કરી છે. દિલ્હી સરકારે દારૂના વેપારીઓને ફાયદો પહોંચાડ્યો છે જેના બદલે દારૂના વેપારીઓએ લાંચ આપી છે. જો કે, આ આરોપોનું આમ આદમી પાર્ટી દ્વારા ખંડન કરવામાં આવ્યું છે. આ અંગે CBI દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે, આબકારી નીતિમાં ફેરફાર, લાયસન્સધારકોને અનુચિત લાભ, લાયસન્સ ફીમાં મુક્તિ/ઘટાડો, મંજૂરી વિના એલ-1 લાયસન્સનું વિસ્તરણ વગેરે સહિતની ગેરરીતિ આચરવામાં આવી છે.