હવામાન ખાતાએ કેરળમાં ૨૭ મેએ નૈર્ઋત્યના ચોમાસાનો વરસાદ શરૂ થવાની આગાહી કરી હતી. કેરળમાં ચોમાસું સામાન્ય કરતાં પાંચ દિવસ વહેલું બેસવાની આશા છે. હવામાન ખાતાએ જણાવ્યું હતું કે કેરળમાં ૨૭ મેએ ચોમાસું શરૂ થવાની શક્યતા છે. આ વખતે નૈર્ઋત્યનું ચોમાસું સામાન્ય તારીખ કરતાં વહેલું બેસવાની આશા છે.
અગાઉ, ૨૦૦૯માં નૈર્ઋત્યનું ચોમાસું ૨૩ મેએ બેઠું હતું. હવામાન ખાતાના નિષ્ણાતોએ ‘અસાની’ વાવાઝોડાની અસરને લીધે કેરળમાં નૈર્ઋત્યનું ચોમાસું વહેલું શરૂ થવાની સંભાવના વ્યક્ત કરી હતી.
કૃષિ પર આધારિત દેશના અર્થતંત્ર માટે નૈર્ઋત્યનું ચોમાસું ઘણું મહત્ત્વનું ગણાય છે. ઉત્તર અને પશ્ર્ચિમ ભારતનાં રાજ્યોમાં ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે નૈર્ઋત્યના ચોમાસાના વહેલા આગમનની આગાહીથી ઘણી રાહત મળવાની આશા છે. અગાઉ, હવામાન ખાતાએ આંદામાન અને નિકોબારમાં નૈર્ઋત્યનું ચોમાસું એક અઠવાડિયા વહેલું એટલે કે ૧૫ મેએ બેસવાની આગાહી કરી હતી. તમિળનાડુ, પુડુચેરી, કેરળમાં શનિવારે ભારે વરસાદ પડવાની આગાહી છે.